Category Archives: સંગીતકાર

આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી

સ્વર – સંગીત : હરીશ સોની
આલ્બમ: ઉઝરડા

.

આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે….

દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા

આમ તો ટહુકો શરૂ થયો લગભગ ત્યારથી અહીં ટહૂકતી આ ગઝલ – આજે ફરી એક સાંભળવાનો મોકો આપું છું..! ગુજરાતી ગઝલોમાં અમરત્વ પામી ચૂકેલી આ ગઝલ વિષે આમ તો કંઇ કહેવાનું બાકી રહ્યું નથી..! ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેલી આ ગઝલ આજે સાંભળીએ ખુદ સ્વરકારનાં સ્વર સાથે – અને હા, સાથ આપે છે – ઐશ્વર્યા મજમુદાર ..!!

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

————
Posted July 4, 2006

સ્વર : મુહમ્મદ રફી
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
divaso.jpg

.

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

આટલું તે વ્હાલ નહીં વેરીએ… – સુરેશ દલાલ

સ્વર – આરતી મુન્શી
સ્વરાંકન -?
પ્રસ્તાવના – તુષાર શુક્લ
આલ્બમ – મોરપિચ્છ

આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા,
શ્યામ ને તે આમ નહીં ઘેરીએ;
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે
મોરલીના સૂર મૂંગા થાય;
એને પણ સાન જરી આવે કે રાધાથી
અળગા તે કેમ રહેવાય?

પાસે આવે તો જરા નાચાકોડી મુખ ક્યાંક
સરી જવું સપનાની શેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે
કહેવું કે પીડ નથી કાંઈ;
વિરહની વેદના તે કહેવાની હોય? ભલે
કાળજું આ જાય કંતાઈ!

આંસુથી આંક્યું હોય એનું તે નામ ભલે
વ્હેતી હવાની સૂની લ્હેરીએ!
બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ
આઘે રહીને એને હેરીએ!

– સુરેશ દલાલ

આનંદે નાચે મારું મન ઉમંગે નાચે.. – જગદીપ વિરાણી

સ્વર : ગીતા દત્ત
ગીત-સંગીત : જગદીપ વિરાણી
ગુજરાતી ફિલમ : નસીબદાર (૧૯૫૦)

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

ઊગિયો દિન અહીં
દિલ મહીં સૃષ્ટિ ખિલી
દિલ મહીં સૃષ્ટિ ખિલી
જાગી આનંદની ઉર્મિ
મનડું દે છે તાલી
મનહર કોઈ રાગિણી સુણી
ઘેલી ઘેલી થાઉં રે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

જાણે આવી બાગમાં મારા
રૂત સુહાની દોડી દોડી
ફૂલ ભર્યા મેં હાથમાં સુંદર
રંગબેરંગી તોડી તોડી
આજે આનંદે ખણખણતું
ગીત ગાઉં રે
મારું મન નાચે રે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

શાને આજે દિલડું મારું
ઊડવાને લલચાય રે
શાને આજે દિલડું મારું
ઊડવાને લલચાય રે
પાંખ પસારી એ પંખીડું
ઝટ રે ઊડી જાય રે
પાંખ પસારી એ પંખીડું
ઝટ રે ઊડી જાય રે
પૂરી રાત ભર
દિલ તાલ પર રાસ રમે

આનંદે નાચે
આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
આનંદે નાચે

(શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ)

ફકત દિલની સફાઈ માંગે છે – કિરીટ ગોસ્વામી

આજે સાંભળીએ ઓસ્માન મીરના જાદુભર્યા અવાજમાં આ ગઝલ… બે અલગ-અલગ રેકોર્ડિંગ.. અને બંને એટલાજ મઝાના… પહેલું રેકોર્ડિંગ ઓડિયો – ૨૦૦૮ના કાવ્ય-સંગીત સમારોહની રજૂઆત..!! એક ગુજરાતી ગઝલના મત્લાથી શરૂ કરીને આ કલાકાર રાજસ્થાનની ભૂમિમાં આપણને જે રીતે લઇ જાય છે – એ ખરેખર એક મઝાની સફર છે..!

સ્વર – સ્વરાંકન : ઓસ્માન મીર

.

અને સાથે માણો આ બીજું એક રેકોર્ડિંગ – બીજા થોડા શેર સાથે..!

ફકત દિલની સફાઈ માંગે છે
પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે.

આંખને ઓળખાણ છે કાફી
લાગણી ક્યાં ખરાઈ માંગે છે.

જોઈએ સુખ બધાંને પોતીકાં
કોણ પીડા પરાઈ માંગે છે.

એક ઝાંખી જ એમની ઝંખે
દિલ બીજું ન કાંઈ માંગે છે.

– કિરીટ ગોસ્વામી

અત્તરિયાને – બાલમુકુન્દ દવે

હમણાં ટહુકો આયોજિત સ્વર અક્ષર – 2 શ્રેણીમાં વિજય ભટ્ટે ખુબ સુંદર સ્વરાંકન પ્રસ્તુત કર્યું. તમે પણ એની સુગંધ માણો 🙂

સ્વર:વિજય ભટ્ટ
સ્વરાંકન:વિજય ભટ્ટ

.

ગઇકાલે જ નિલયભાઇએ આ ગીત યાદ કરાવ્યું – તો મને થયું કે આવા મઝાના ગીતનું અત્તર દેવામાં વાર શેની? ઘટડામાં ઘેન ભરતી આ કવિશ્રી બાલમુકુન્દ દવેની ગજબની દેન… માણો અને થાઓ અત્તરભીના…!!

******

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

હાટડી પૂછીને કોક આવી ચડે તો એને
પૂમડું આલીને મન રીઝીએ;
દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે
છોગાની ખોટ ખમી લીજીએ.

ઊભે બજાર લોક આવે હજાર, એની
ઝાઝી ના પડપૂછ કીજીએ;
આપણને વહોરવા આવે, એને તે એલા
ગંધને રે બંધ બાંધી લીજીએ.

આઘેથી પગલાંને પરખી લઈએ, ને એના
ઉરની આરતને પ્રીછીએ;
માછીડો ગલ જેમ નાખે છે જલ, એમ
નજરુંની ડૂબકી દીજીએ

આછી આછી છાંટ જરી દઈએ છાંટી ને એવો
ફાયો સવાયો કરી દીજીએ;
રૂંવે-રૂંવે સૌરભની લેર્યું લહેરાય, એવાં
ઘટડામાં ઘેન ભરી દીજીએ.

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

( આભાર : Readgujarati.com)

તમે રે તિલક રાજા રામના – રાવજી પટેલ

આજે કવિ શ્રી રાવજી પટેલના જન્મદિવસે આજે એમનું ગીત સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

****

તમે રે તિલક રાજા રામના,
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં !
‘કહો ને સાજણ દ:ખ કેવા સહ્યાં!’
તમે રે ઊંચેરા ઘરના ટોડલા !
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં ?
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં ?’
તમે રે અખશર થઈને ઊકલ્યા !
અમે પડતલ મૂંઝારા મૂંઝીણી છીપના,
તમારી મશે ના અમે સોહિયાં –
કહો ને કહો ને દ:ખ કેવાં પડ્યાં ?

– રાવજી પટેલ

છલકતી જોઈને મોસમ – વિનય ઘાસવાલા

સ્વર : મનહર ઉધાસ

.

છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.
હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ.

પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ.

નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.

અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા આશયથી,
ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઇ.

– વિનય ઘાસવાલા

તમન્ના (બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું…) – ગની દહીંવાલા

સ્વર – ગાર્ગી વોરા
સ્વરાંકન – ડૉ. ભરત પટેલ
આલ્બમ – એક મેકના મન સુધી (ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન પસ્તુતિ)

.

બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું…

સજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જોજો,
ધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું…

પડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,
ઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.

પતંગાની અગન લઈને ‘ગની’, કંઈ શોધીએ શાતા;
દીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું.

– ગની દહીંવાલા/p>

પુરુષોત્તમ પર્વ ૧ : હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર… – ભાસ્કર વોરા

ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેવું આ મઝાનું ગીત.. અને ટહુકો પર ઐશ્વર્યા – પુરુષોત્તમભાઇ – લતા મંગેશકરના અવાજમાં ઘણા વખતથી ગુંજતું.. આજે ફરી એકવાર માણીએ – લોકલાડીલ કલાકાર – ગુજરાતનું ગૌરવ એવા પાર્થિવ ગોહિલના સ્વરમાં..! (April 2007 માં આ સંભળાવવાનો વાયદો કર્યો હતો.. આજે પૂરો કરું છું 🙂 ).

ગુજરાત સમાચાર – સમન્વય પ્રોગ્રામનું આ રેકોર્ડિંગ છે – શરૂઆતમાં કવિ શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ એ પાર્થિવ વિષે જે વાત કરી છે – એ સાંભળવાની પણ મજા આવશે..!

.

_________________________________
Posted on August 16th, 2009

ગઇકાલે વ્હાલા, લોકલાડીલા ગુજરાતી સંગીતનો શ્વાસ એવા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો ૭૫મો જ્ન્મદિવસ આપણે એમને થોડા વધુ નજીકથી ઓળખવાના પ્રયાસ રૂપે અમરભાઇ અને એમની દીકરીઓ વિરાજ-બીજલના શબ્દો-ભાવો સાથે મનાવ્યો…

અને આજથી એક અઠવાડિયા સુધી વારંવાર એમને ‘તુમ જીઓ હઝારો સાલ.. સાલમેં ગીત ગાઓ પચાસ હઝાર…’ ની શુભેચ્છાઓ પાઠવીએ. એટલે કે ટહુકો પર એક અઠવાડિયા સુધી એમણે ગાયેલા, સ્વરબધ્ધ કરેલા ગીતો નો ઉત્સ્વ મનાવીએ.. ‘પુરુષોત્તમ પર્વ’ સાથે..

અને શરૂઆત આ ગીતથી.. જે આમ તો ટહુકો પર છેલ્લા લગભગ અઢી વર્ષથી ઐશ્વર્યા (જેણે સંગીતની તાલીમ પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે જ લીધી છે) ના અવાજમાં ગુંજે જ છે, એ જ અણમોલું ગીત સાંભળીએ સ્વરકારશ્રી ના પોતાના અવાજમાં.. અને સાથે ૫૦ વર્ષ પહેલાનું (મે ૧૯૫૯) ‘All India Radio’ પરથી પ્રકાશિત રેકોર્ડિંગ – લતા મંગેશકરના અવાજમાં.

પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ સ્વરકારની ૭૫મી વર્ષગાંઠ ઉજવતા હોઇએ, તો આનાથી ઓછું કંઇ ચાલે? 🙂

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સ્વર : લતા મંગેશકર (May 1959, AIR Broadcast)

.

—————————

Posted on April 3, 2007

ગાયકઃ ઐશ્વર્યા મજમુદાર (13 years old singer from Ahmedabad)

ગુજરાતી ગીતો અને સાથે શાસ્ત્રીય સંગીતના કોઇ પણ ચાહકના હૈયાને દરબાર રાજ કરે એવું સુંદર ગીત લઇને આવી છું આજે. એકદમ ટૂંકુ ગીત.. હજુ વાંચવાનું શરુ કરો ત્યાં તો પૂરું પણ થઇ જાય.. પણ સાંભળવાનું શરૂ કરો તો ફરી ફરી સાંભળવાની એક વણથંભી ઇચ્છા જરૂર જાગે….શબ્દ અને સૂરની સાથે સાથે આ ગીતમાં જેનો સ્વર છે, એ પણ ખાસ છે. નાનકડી એશ્વર્યાએ આ ગીતના શબ્દોમાં ખરેખર પ્રાણ રેડ્યો છે એમ કહી શકાય.

( ઐશ્વર્યા મજમુદાર વિશે વધુ માહીતી માટે અહીં ક્લિક કરો )

આ ગીત originally પુરૂષોત્તમ ઉપાધ્યાયે ગાયેલું અને પછીથી પાર્થિવ ગોહિલે પણ ગાયેલું છે, જે પછીથી અહીં મૂકીશ.

.

હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર…

કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયા આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર….વણથંભી વાગે કોઇ સિતાર

કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયા આજ નચાવે?
પળપળ પ્રીતિના પલકાર…વણથંભી વાગે કોઇ સિતાર

ટહુકોના એક વાચકમિત્રના શબ્દોમાં આ ગીતનો આસ્વાદ :

પ્રેમની એક એવી સ્થિતિ હોય છે કે જેમાં પ્રેમી સંપૂર્ણતઃ પ્રિયતમમાં ખોવાઈ જાય છે, પોતાની જાતને પ્રિયતમમાં ઓગાળી દે છે- જાણે એનો પ્રિયતમ જ પોતાના હૈયામાં આવીને ધબકી રહ્યો છે. હૈયામાં દરબાર ભરાયો છે, અને દરબાર ભરાયો છે તો એમાં દુન્યવી વાતો તો થવાની જ- પરંતુ એ બધામાં પ્રિયતમના નામની જે વણથંભી સિતાર વાગતી હોય છે એ સંવેદના જ કાંઈ અનોખી હોય છે! “કોઈ મને ખૂબ પ્રેમ કરે છે” આ વિચારમાત્ર પ્રેમીના હૈયામાં ધબકાર બનીને સતત ધબક્યા કરે છે…. અને એની હૂંફ અવર્ણનીય છે. શરીર ભલે સંસારનાં કામોમાં વ્યસ્ત હોય, પણ અંદરના અંતરનો એકતારો સતત “સાંવરિયો” “સાંવરિયો”નું સંગીત રેલાવતો હોય છે, પલેપલ પ્રીતિના પલકાર મારતો હોય છે.

ક્યારેક પ્રશ્ન થાય કે દીવો બળે છે કેમ? માનવનું જીવન ધબકતું છે કેમ? તો જેમ તેલ દીવાને બળતો રાખે છે, તેમ પ્રિયતમનો ભીનો ભીનો સંબંધ હૈયામાં ધબકાર બની માનવની જીજીવિષા જીવંત રાખે છે. હૈયામાં જે વસી ગયું છે, એ લૈલા માટે મજનુ હોઈ શકે, ભગતસિંહ માટે ભારતમાતા હોઈ શકે, કે પછી મીરાં અને અર્જુન માટે શ્રીકૃષ્ણ પણ હોઈ શકે….આપણાં હૈયાંમાં પણ જ્યારે કોઈકની હુંફ રંગત જમાવશે, કોઈના ઝાંઝર હૈયાને હૂલાવશે, કોઈના રૂપની રસભર રાગિણી રેલાતી હશે, કોઈની યાદે અકળિત આશાઓ જનમી ઊઠશે, ત્યારે આ ગીત એ ગીત નહીં પણ આપણાં જીવનનો એક ભાગ બની જશે……!!
—————–
ફરમાઇશ કરનાર મિત્ર : યોગેશ ઠાકર.