Category Archives: અમર ભટ્ટ

સાધો, શબ્દસાધના કીજે -કબીરસાહેબ

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

સાધો, શબ્દસાધના કીજે,
જેહિ શબ્દ તે પ્રગટ ભએ સબ શબ્દ સોઈ ગહિ લીજૈ.

શબ્દહિ ગુરુ શબ્દ સુનિ સિખ ભૈ સો બિરલા બૂઝૈ,
સાંઈ શિષ્ય ઔર ગુરુ મહામત જેઈ અંતરગત સૂઝૈ.

શબ્દૈ વેદ પુરાન કહત હૈ શબ્દૈ સબ ઠહરાવૈ,
શબ્દૈ સુરમુનિ સંત કહત હૈ શબ્દભેદ નહિ પાવે.

શબ્દૈ સુનિસુનિ ભેખ ધરત હૈ શબ્દૈ કહે અનુરાગી,
ષટદર્શન સબ શબ્દ કહત હૈ શબ્દ કહૈ બૈરાગી.

શબ્દૈ માયા જગ ઉતપાની શબ્દૈ કેર પસારા,
કહ કબીર જહં શબ્દ હોત હૈ તબન ભેદ હૈ ન્યારા.
-કબીરસાહેબ

અમે બરફનાં પંખી રે ભાઈ – અનિલ જોશી

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
– અનિલ જોશી

અમે તો ગીત ગાનારા – પ્રિયકાંત મણિયાર

સ્વરાંકનઃ અમર ભટ્ટ
સ્વર: અમર ભટ્ટ

.

અમે તો ગીત ગાનારા
પ્રીત પાનારા
સાવ છલોછલ જઈએ ઢળી
પૂછીએ નહી ગાછીએ નહી મનમાં જઈએ ઢળી,
કોઈના મનમાં જઈએ મળી

આંખને મારગ અંદર જઈએ, ટેરવે કરીએ વાત,
સળગે સૂરજ આજ ભલેને નિતની શરદ રાત,
અમારે નિતની શરદ રાત,
આટલા ધગે તારલા એ તો વણ ખીલેલી મોગરકળી.

પુલ બનીને જલને જોવા ઉપજે દાહ,
સરકી જાતી ટ્રેનના પાટા અંતર ભરતા આહ,
જાણીએ અમે કોઈની એવી વેદના વળી.

સાગરના એ ક્ષારથી છૂટા – આભથી અંતરિયાળ,
જલને વહેવું હોય તો પછી ક્યાંકથી મળે ઢાળ,
કાળની કંકુશીશી એમાં ચાંલ્લો કરવા ક્ષણની સળી,
અમે ક્ષણની સળી.
– પ્રિયકાંત મણિયાર

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો – મકરંદ દવે

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!

આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

– મકરંદ દવે

વિશ્વ માતૃભાષા દિવસ

આજે 21 ફેબ્રુઆરી- વિશ્વ માતૃભાષા દિવસ. આપણા વ્હાલા સ્વરકાર શ્રી અમર ભટ્ટ તરફથી મળેલો આ સંદેશ સીધ્ધો તમારા સુધી… સૌ ને માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે..!!

19મી સદીના મધ્યકાળમાં ડોકિયું કરવા જેવું છે. 1844માં અમદાવાદમાં કલાપ્રેમી અંગ્રેજ અમલદાર એલેક્ઝાન્ડર કિનલાક ફૉર્બસ અધિકારી તરીકે આવે છે, ગુજરાતી શીખવાની તત્પરતા બતાવે છે, શિક્ષક શોધે છે, ભોળાનાથ સારાભાઈ દિવેટિયા દલપતરામનું નામ સૂચવે છે, ફૉર્બસસાહેબને ગુજરાતી શીખવવા દલપતરામ ખૂબ જહેમત વેઠી વઢવાણથી પગપાળા પ્રવાસ કરી અમદાવાદ આવે છે. બંને વચ્ચેની મૈત્રીનું પરિણામ એટલે અનેક પુસ્તકાલયો, અને સામાજિક સુધારાવાદી અને ભાષાલાક્ષી પ્રવૃત્તિઓ….

ગુર્જર નરેશ ખંડેરાવ ગાયકવાડ સમક્ષ દલપતરામ ગુજરાતી ભાષાના વકીલ તરીકે આમ કહે છે-

‘ગિરા ગુજરાતી તણા પિયરની ગાદી પામી
મુખ્ય તો મરાઠી માની દેખી દુઃખી દિલ છું,
અરજી તો આપી દીઠી મરજી તથાપિ નહીં
આવ્યો આપ આગળ ઉચ્ચરવા અપીલ છું,
માંડતા મુકદમાને ચાર જણા ચૂંથશે તો
શું થશે તે શોચનાથી સાહેબ શિથિલ છું,
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.’
આવી દલીલ કોને ગળે ન ઉતરે?

ઉમાશંકર જોશી કહે છે તેમ-
‘ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી
કૃષ્ણચરણરજ પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી’

.

– અમર ભટ્ટ

ચાલ, ફરીએ ! – નિરંજન ભગત

સ્વર – સ્વરાંકન ઃ અમર ભટ્ટ

.

એકદમ નાનકડું, તો યે વાંચતા જ ગમી જાય એવું મજાનુ કાવ્ય…
વાત પણ કેવી સરસ.. મળી જો બે ઘડી – ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !

(આ સૃષ્ટિ છે ના સાંકડી ! Lake Tahoe, August 08)

* * * * *

પઠન : નિરંજન ભગત
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ !

બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !

એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !

-નિરંજન ભગત

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી – રમેશ પારેખ

સ્વર્ઃ અનાર શાહ્
સ્વરાંકનઃ અમર ભટ્ટ

.

આલ્બમ : સંગત
સ્વર : વિરાજ બીજલ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

આજ રાબેતાભેર હું મારે ઘેર ન પાછી આવી
કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી ?
પાસપાસે અણસાર જેવું પણ નીરખ્યું તો મોંસૂઝણાં છેટાં રહ્યાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

મોરા વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર !
કોણ જાણે, પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર
મોરને એનું કોઈ ચોમાસું સાંભરી આવે એટલાં લોચન વહ્યાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
– રમેશ પારેખ ‌

સામાય ધસી જઈએ – રાજેન્દ્ર શુકલ

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

.

સામાય ધસી જઈએ, આઘાંય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઈએ.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએ.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇએ.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.

– રાજેન્દ્ર શુકલ

કવિ શ્રી સુરેશ દલાલને સ્વરાંજલિ : આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે

11 ઓક્ટોબર એટલે કવિશ્રી સુરેશ દલાલનો જન્મ દિવસ.  એમની કવિતાથી, એમનાં વિવેચનોથી, એમનાં લખાણોથી આપણા સાહિત્યને રળિયાત કરનાર વ્યકિત વિશેષ. આપણને વિશ્વકવિતાનો પરિચય કરાવનાર કવિતાપ્રેમી.

ઘણીવાર  કવિસંમેલનોમાં બે કાવ્યો- ગીતો એ સાથે વાંચતા.
‘પૂછતી નહિ કેટલો પાગલ, કેટલો પાગલ,
આભમાં જોને કેટલાં વાદળ, કેટલાં વાદળ?…. એટલો પાગલ, એટલો પાગલ’

આના જવાબમાં પ્રશ્નરૂપે બીજું કાવ્ય આવે-
‘આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે?
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે?
નજર લાગે એમ શું કોઈ જોતું હશે?’

આ પ્રશ્નો બંગાળી લયમાં ને ઢાળમાં,તબલાંના તાલ વગર, ગિટારના લયે ગાવાની મેં લીધેલી મજા વહેંચીને સુરેશ દલાલને યાદ કરું છું.

– અમર ભટ્ટ

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

.

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટના
ભીતર એક જ નામની રટના, નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? આટલું બધું o

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? આટલું બધું o

શ્રી રાસબિહારી દેસાઈને સ્વરાંજલિ : સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી

બધાયે નાદોને જીવતર મળ્યું કંઠ તુજથી: રાસબિહારી દેસાઈ (23/6/1935-6/10/2012)

મારા જેવા કેટલાંય કલાકારોના ગુરુ રાસભાઈને સહર્ષ યાદ કરું છું.
રાસભાઈનો અવાજ પહેલી વાર ક્ષેમુભાઈના સ્વરાંકનમાં એમણે ગાયેલા ગીત ‘મધરાતે સાંભળ્યો મોર’માં સાંભળ્યો. મારી ત્યારે 11 વર્ષની ઉંમર. ટાગોરના એક કાવ્યમાં આ પંક્તિઓ છે-
‘સુનિ સેઈ સૂર
સહસા દેખિતે પાઈ દ્વિગુન મધુર
આમાદેર ધરા‘
(એ સૂર સાંભળીને એકાએક પૃથ્વી છે તેનાથી બેવડી સુંદર લાગવા માંડી)
આવી જ અનુભૂતિ મને રાસભાઈનો મેઘઘેરો (જાણે કે ગુફામાંથી આવતો ના હોય એવો) અવાજ સાંભળીને થઇ.
ઉમાશંકર જોશીએ ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનના અવસાન પર શિખરિણી છંદમાં એક કાવ્ય લખ્યું. એની આ પંક્તિઓ હું રાસભાઈ માટે ઉપયોગમાં લેવા માંગુ છું-
‘હતું તારે કંઠે પરમ કંઈ કરણામૃત રસ્યું
બધાયે નાદોને જીવતર મળ્યું કંઠ તુજથી’
એ સ્વરલીન થયા 6/10/2012ના દિવસે પણ છેલ્લે સુધી એટલે કે 4/10/2012 સુધી તો સ્ટુડિયોમાં એમણે ગાયું. મકરંદ દવેને યાદ કરું?-
‘અમે ગાતાં ગાતાં જાશું,
આ નગરીને છેલ્લે દરવાજે
વિદાય સાંજે મધુર અવાજે સલામના સૂરે
સુંદરના ખોળે ધન્ય સમાશું
અમે જાતાં જાતાં ગાશું
અમે ગાતાં ગાતાં જાશું’
ઉમાશંકર જોશીના જન્મશતાબ્દિ વર્ષમાં એમનાં ગીતોનાં અમારા આલબમ ‘ગીતગંગોત્રી’માં રાસભાઈએ ગયેલું ગીત છે-
‘સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી,
પૃથ્વી પગથારે ઘૂમે ભમતા અવધૂત કોઈ વિશ્વંભર ભરવા નયણે રે હો જી’
આ ગીત રેકોર્ડ કરવા માટે મેં ખૂબ સંકોચ સાથે રાસભાઈને પૂછ્યું. મનમાં સંદેહ કે મારા જેવા જુનિયર સ્વરકારનું ગીત ગાવા એમને પૂછાય? પણ એમણે તો સહજતાથી, કોઈ પણ શરત વિના ગાવાનું સ્વીકાર્યું; એટલું જ નહિ પ્રોત્સાહનના શબ્દો કહી મને પોરસાવ્યો. રાસભાઈએ એકતારા એન્ડ ડફ ઉપર ફકીરી અદામાં અવધૂતી મસ્તીથી આ ગીત ગાયું છે.
ઉત્તમ શિક્ષક, પ્રતિબદ્ધ, પ્રતિભાસંપન્ન અને નિષ્ઠાવાન કલાકાર રાસભાઈને પ્રણામ.
– અમર ભટ્ટ

સ્વર – શ્રી રાસબિહારી દેસાઇ
સ્વરાંકન – અમરભટ્ટ

.

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
વિશ્વંભર ભરવા નયણે રે હો જી.
– સૂરજ..

મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.
– સૂરજ..

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે જી.
– સૂરજ..

ગગન ઘેરીને આજે દર્શન વારસો રે વ્હાલા!
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે જી.
– સૂરજ..