Category Archives: અમર ભટ્ટ

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી – હરીન્દ્ર દવે

આજે ૨૬ નવેમ્બર – સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવનો જન્મદિવસ.. એમને યાદ કરી આજે સાંભળીએ એમનું સૌથી પહેલું સ્વરાંકન…

સ્વરાંકન –દક્ષેશ ધ્રુવ
સ્વર – અમર ભટ્ટ

********

Posted on July 17, 2015

૬ વર્ષ પહેલા ફક્ત શબ્દો સાથે રજૂ કરેલી આ રચના, આજે એક નહીં, પણ બે સ્વરાંકનો સાથે ફરી એકવાર… ગમશે ને?

સ્વર અને સ્વરાંકન – મધૂસુદન શાસ્ત્રી

 

સ્વર અને સ્વરાંકન – વિજલ પટેલ

જ્યાં ચરણ રુકે ત્યાં ....    Photo : Chirag Patel (at Sierra, Tahoe)
જ્યાં ચરણ રુકે ત્યાં …. Photo : Chirag Patel (at Sierra, Tahoe)

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી
ઝકળના બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ

જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી.

સ્પર્શુ તો સાકાર, ન સ્પર્શુ તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઇ જાળમાં
હું જ રહું સંન્યાસી.

હું જ વિલાસે રમું, ધરી લઉં હું જ પરમનું ધ્યાન,
કદી અયાચક રહું, જાગી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી !

-હરીન્દ્ર દવે

હું મારી મરજીમાં નૈ – રમેશ પારેખ 

સ્વર: ઐશ્વર્યા મજમુદાર 
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે
 

.

સ્વર: હિમાલી વ્યાસ-નાયક
આલ્બમ: સંગત

.

હું મારી મરજીમાં નૈ ‘હરિજી, મુંને એવી મોહાડી ગયા, સૈ 

હું શું વરસું? હું શું રેલું? હું શું ઢોળું, તિયાં ?
મન મારું એક જળનો ખોબો – જગજીવન પી ગિયા 
– સાટામાં મને સતપત ઉજાગરાઓ દૈ.

મીરાં કે પ્રભુ, રમવા આજ્યો ઉતાવળા રથ જોડી
 હું અરધી ચોપાટે પટમાં પડી રહેલ કોડી 
– ખોબામાં તમે ઢાંકો, રમાડો મુંને લૈ.

– રમેશ પારેખ 

દરદ ન જાણ્યાં કોય -મીરાંબાઈ

સ્વર: ગાર્ગી વ્હોરા 
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે 

.

હે રી મ્હાં દરદે દીવાણી મ્હારાં દરદ ન જાણ્યાં કોય
ઘાયલ રી ગત ઘાઈલ જાણ્યાં, હિવડો અગણ સંજોય 
મ્હારાં દરદ ન જાણ્યાં કોય

દરદ કી માર્યાં દર દર ડોલ્યા બૈદ મિલ્યા નહિં કોય 
મ્હારાં દરદ ન જાણ્યાં કોય

મીરાં રી પ્રભુ પીર મીટાંગા જબ બૈદ સાઁવરો હોય 
મ્હારાં દરદ ન જાણ્યાં કોય
-મીરાંબાઈ 

અષાઢે – ઉશનશ 

સ્વર: ઓસમાણ મીર 
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે 

.

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી… અષાઢે તણખલું ના તોડીએ જી.

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી…. અષાઢે તણખલું ના તોડીએ જી.

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ ?
પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી…. અષાઢે તણખલું ના તોડીએ જી.

–ઉશનસ્

પ્રભુ, મારી અંધારી રાત્યુંને – સુંન્દરમ 

સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય  
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે 

.

પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી,
મારી અંજવાળી રાતડીને ચાંદ,
કે ઊજળા દિનોને દેજો ભાણજી. – પ્રભુ મારી.

પ્રભુ, મારી ફોરમને દેજો એનાં ફૂલડાંજી,
મારા વગડાને દેજો એનાં ઝાડ,
કે ધરતીને દેજો એનાં આભજી. – પ્રભુ મારી.

પ્રભુ, મારી ચણને દેજો રે ચણનારજી,
મારાં પાણીડાંને દેજો એનાં તીર,
કે સમંદરને દેજો એના લોઢજી. – પ્રભુ મારી.

પ્રભુ, મારા આંગણાને દેજો એનાં બાળુડાંજી,
મારા ગોંદરાને દેજો રે તળાવ,
કે ગાયોને દેજો એનાં દૂધજી. – પ્રભુ મારી.

પ્રભુ, મારા મનડાને દેજો એના માનવીજી,
મારા દિલડાને દેજો એનું દિલ,
કે આતમાને દેજો એના રામજી. – પ્રભુ મારી.
– સુન્દરમ

હરિ! આવો ને!  – કવિ નાનાલાલ

સ્વર: ઐશ્વર્યા મજમુદાર 
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે 

.

હરિ! આવો ને 
 
આ વસન્ત ખીલે શતપાંખડી, હરિ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવો ને!
આ વિશ્વ વદે છે વધામણી, હરિ! આવો ને;
આવી વાંચો અમારા સોભાગ્ય; હવે તો હરિ! આવો ને!

આ ચંદરવો કરે ચન્દની, હરિ! આવો ને;
વેર્યાં તારલિયાના ફુલ; હવે તો હરિ! આવો ને!
પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડૂલ; હવે તો હરિ! આવો ને!

આ જળમાં ઉઘડે પોયણાં, હરિ! આવો ને;
એવા ઉઘડે હૈયાના ભાવ; હવે તો હરિ! આવો ને!
આ માથે મયંકનો મણિ તપે, હરિ! આવો ને;
એવા આવો જીવનમણિ માવ ! હવે તો હરિ! આવો ને!

આ ચંદની ભરી છે તળાવડી, હરિ! આવો ને!
ફૂલડીયે બાંધી છે પાજ; હવે તો હરિ! આવો ને!
આ આસોપાલવને છાંયડે, હરિ! આવો ને;
મનમહેરામણ, મહારાજ! હવે તો હરિ! આવો ને.

મ્હારે સુની આયુષ્યની શેરીઓ, હરિ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ! આવો ને.
મ્હારા કાળજ કેરી કુંજમાં, હરિ! આવો ને;
મ્હારા આતમ સરોવરઘાટ; હવે તો હરિ! આવો ને.
-કવિ નાનાલાલ

(માવ: પતિ, સ્વામી, વ્હાલમ ; પાજ: પાળ, સેતુ )

હળવે હળવે હળવે હરજી -નરસિંહ મહેતા

સ્વર: ગાર્ગી વ્હોરા
સંગીતઃ અમિત ઠક્કર
આલ્બમ: હરિને સંગે

.

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે,
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે…

કીધું કીધું કીધું મુજને કાંઈક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે…

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઈ ફૂલી રે…

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે,
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે….

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈયાનો સ્વામી રે…

-નરસિંહ મહેતા

ભીનો ભીનો કાગળ લઇ – ભગવતીકુમાર શર્મા

સ્મરણ લીલું -શ્રી રાસબિહારી દેસાઈ(સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇના સ્મરણ સાથે શ્રી અમર ભટ્ટની પ્રસ્તુતિ)

એક અને માત્ર એક રાસભાઈ
અમુક વ્યક્તિઓ લગભગ રોજ યાદ આવે. એમાંની એક તે રાસભાઈ. 23 જૂન એમની જન્મતારીખ. કાવ્યસંગીત ગુરુ તરીકે ને ગુજરાતી કાવ્યસંગીતના પાયામાં રહેલ ગાયક તરીકે તો એ યાદ આવે જ પણ આજે એમને સ્વરકાર તરીકે યાદ કરું છું. મારી પાસે એમણે કવિ ભગવતીકુમાર શર્માનું આ ગીત ગવડાવ્યું.-

‘ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠા
પીંછી બદલે પાંપણ લઇ વરસાદ ચીતરવા બેઠા

આકુળ વ્યાકુળ ધરતીના આ લૂ ઝરતા નિઃશ્વાસ
ચાતકની કરપીણ તરસનો તગતગતો ઇતિહાસ
ભૂરું ભૂરું અંધારું કોકરવરણો અંજવાસ
રામગિરિના યક્ષનો ચીતર્યો વસમો વિયોગવાસ

લીલીસૂકી અટકળ લઇ વરસાદ ચીતરવા બેઠા
આંસુઓના પુદ્દગળ લઇ વરસાદ ચીતરવા બેઠા

ટહુકાની વચ્ચે ચીતરી મઘમઘ માટીની મ્હેંક
મંદાક્રાન્તા વડે આળખી શબ્દ-છંદની ઠેક
સમીર ચીતર્યા, પર્ણ પર્ણની ચીતરી મર્મર ગહેંક
વણખીલેલા મેઘધનુષની ચીતરી કલ્પિત રેખ

પળ બે પળની ઝળહળ લઇ વરસાદ ચીતરવા બેઠા
જીવવું મરવું કોમળ લઇ વરસાદ ચીતરવા બેઠા’

કવિ: ભગવતીકુમાર શર્મા
સ્વરકાર: રાસબિહારી દેસાઈ
ગાન: અમર ભટ્ટ

વરસાદની વાત છે એટલે મલ્હારનો આધાર તો હોય પણ ગીતમાં રહેલો વિષાદનો ભાવ- પૅથોસ- એમણે મલ્હારના સ્વરો,ખાસ કરીને બંને નિષાદ – કોમળ અને શુદ્ધ -,અદ્દભુત રીતે પ્રયોજીને વ્યક્ત કર્યો છે. એ એમની સ્વરકાર તરીકેની આગવી સૂઝ પણ દર્શાવે છે. 12 સપ્ટેમ્બર 2012ના દિવસે આ ગીત સ્ટુડિયોમાં મેં ગાયું. એ પહેલા જ ટૅકમાં ઑકે થયું એનો રાસભાઈને થયેલો આનંદ અને એમનો એ ‘વૉર્મ હગ’-હજી ભુલાતા નથી.
અદમ ટંકારવીનો શેર છે:
‘સ્મરણ લીલું કપૂરી પાન જેવું
હવામાં ચોતરફ લોબાન જેવું ‘
રાસભાઈનું સ્મરણ લોબાનની જેમ મઘમઘે છે.
રાસભાઈને સૂરવંદન.
-અમર ભટ્ટ

બોલે બુલબુલ – ઉમાશંકર જોશી

કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મદિવસે – એમને શ્રધ્ધાંજલી સાથે આજનું આ ગીત, અને સાથેની વાતો – સ્વરકાર શ્રી અમર ભટ્ટ તરફથી..
*******
21 જુલાઈ – ઉમાશંકર જોશીનો જન્મદિન –

રાસભાઈએ 1983માં સુગમ સંગીત શિબિર દરમિયાન એક સંગીતશ્રવણબેઠકમાં બુલબુલના અવાજનું રૅકૉર્ડિન્ગ સંભળાવેલું, એના સ્વરો ઓળખી બતાવેલા, ને એ રીતે પંખીગાન તરફ ધ્યાન દોરેલું. 2010માં, ઉમાશંકર જોશીના જન્મશતાબ્દિ વર્ષમાં, એકાએક સવારે કોફી પીતા સામેના ગુલમહોર પર બેઠેલા બુલબુલનો અવાજ સાંભળ્યો ને કવિનું ‘બોલે બુલબુલ’ ગીત રાગ ભટિયાર પર આધારિત સ્વરબદ્ધ થયું. એમના ‘પંખીહૃદય’ કાવ્યનું મારા અવાજમાં પઠન અને ‘બોલે બુલબુલ’નું ઐશ્વર્યા મજમુદારના અવાજમાં ગાન પ્રસ્તુત છે.-

સ્વરકાર: અમર ભટ્ટ
ગાયક: ઐશ્વર્યા મજમુદાર

.

‘બોલે બુલબુલ
આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ? બોલે બુલબુલ
ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,
આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ
રજની વલોવી એણે શું શું રે પીધું?
અમરત પિવડાવવામાં રહેતું મશગૂલ! બોલે બુલબુલ
અરધું પરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચે સૂર તણો પુલ! બોલે બુલબુલ’

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશીના સંગ્રહ ‘સમગ્ર કવિતા’માં પ્રથમ કાવ્યની પ્રથમ પંક્તિ છે-
‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’
અને અંતિમ કાવ્યની અંતિમ પંક્તિ છે-
‘છેલ્લો શબ્દ તો મૌનને જ કહેવાનો હોય’
‘મંગલ શબ્દ’થી ‘છેલ્લા શબ્દ’ની યાત્રાના કવિને સૂરવંદન

અમર ભટ્ટ

ઠારી દે તું દીપ નયનના -રેઈનર મારિયા રિલ્કે

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ
અનુવાદ્ઃ હરીન્દ્ર દવે

.

ઠારી દે તું દીપ નયનના
તવ દર્શનને કાજ
મને એ કાચ નથી કઈ ખપના.

કર્ણપટલ તોડી દે તોપણ
રહું સાંભળી સૂર;
ચરણ વિના પણ નહિ લાગે
તવ ધામ મને બહુ દૂર.
છીનવી લે વાચા તદપિ
સ્વર વહેશે મુક્ત સ્તવનના.

બાહુ વિના પણ હ્રદય-બાહુથી
આલિંગન રહું આપી,
હ્રદય પડે પરવશ, તો મન
ધબકાર દિયે આલાપી;
મન પે આગ લગાડો તોપણ
વહું વહેણે નસનસનાં.
-રેઈનર મારિયા રિલ્કે (અનુવાદઃહરીન્દ્ર દવે)