Category Archives: કૃષ્ણગીત

બાલા જોગી આયો… – સૂરદાસ

સ્વર – અભરામ ભગત

સ્વર – શ્રી રમેશભાઇ ઓઝા

એ મૈયા તોરે દ્વારે યશોદા તો રે દ્વારે
બાલા જોગી આયો….મૈયા તોરે

અંગ ભભૂતિ ગલે રૂન્ઢ માલા
શેષ નાગ લીપટાયો ભોલે

બાંકો તિલક ભાલ ચંદ્રમા….
ઘરઘર અલખ જગાયો….મૈયા

લેકર ભિક્ષા ચલી નંદ રાની
કંચન થાલ ધરાયો….મૈયા

લો ભિક્ષા જોગી આવો આસન પર
મેરો બાલક હૈ ડરાયો….મૈયા

ના ચાહીએ તેરી દોલત દુનિયા
ના યેકંચન માયા…..મૈયા

શ્રી કૃષ્ણ શરણં મમૂ જયશ્રીકૃષ્ણ મમૂ
અહં નિર્વિકલ્પો, નિરાકાર રૂપો

વિભુરૂવ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણમૂ
સદામે સમત્વં ન મુક્તિર્ન બંધઃ

ચિદાનંદ રૂપં શિવોડહં શિવોડહમૂ….મૈયા તોરે
પંચ દેવ પરિક્રમા કર કે શીંગીનાદ બજાયો….ભોલે

સુર શ્યામ બલિહારી કનૈયા
જુગજુગ જીયે તેરો જાયો….મૈયા

– સૂરદાસ

કાન તને રાધા ગમે કે મીરાં – ઈશુદાન ગઢવી

સ્વર : અનુપ જલોટા
કાર્યક્રમ : સમનવ્ય ૨૦૦૮

સ્વર : પામેલા જૈન

કાન તને રાધા ગમે કે ગમે મીરાં?
એકે કાળજ કરવત મેલ્યાં, એકે પાડ્યા ચીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

એકે જોબન ઘેલી થઈને તુજને નાચ નચાવ્યો;
એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યો.
એકે તુજને ગોરસ પાયાં, એકે ઝેર કટોરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

પચરંગી પાનેતર તું વિણ રાધે કદી ન પહેર્યા;
મખમલિયો મલીર મીરાંનાં અંગે કદી ન ઓઢીયાં.
એકે ઓઢી શ્યામ ઓઢણી, એકે ભગવત લીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

મલક બધાનો મેલી મલાજો રાધા બની વરણાગણ;
ભરી ભાદરી મેલી મહેલા તો મીરાં બની વીજોગણ.
એક નામની દરદ દીવાની, બીજી શબદ શરીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

કીધું ક્રિષ્નએ પૂછો એટલું મળે ક્યાંય જો રાધા;
મળે ક્યાંય તો પૂછો મીરાંને કોને વહાલો માધા?
મોરે અંતર રાધા વેણુ વગાડે, ભીતર મીરાં મંજીરા!
કાન કહે મારે બે સરખાં રાધા-મીરાં!
કાન તને રાધા ગમે કે મીરાં?

જશોદા ! તારા કાનુડાને – નરસિંહ મહેતા

લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ….(આભાર – લયસ્તરો.કોમ)

જેટલા લાડ કૃષ્ણે એના ભક્તોને અને ભક્તોએ એને લડાવ્યા છે એ અન્ય તમામ ભગવાન માટે ઈર્ષ્યાજનક છે. નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે. નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે….

(જાન કીધું = જાણીને કર્યું; મહી મથવાની ગોળી = દહીં વલોવવાની માટલી; મુઝાર = અંદર, માં)

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

સ્વર – રેખા ત્રિવેદી, કૌમુદી મુનશી
સંગીત – નીનું મઝુમદાર
આલબ્મ – નરસિંહ મીરા – એક ઝાંખી

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા.

શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે,
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાંખોળાં કરતાં હીંડે, બીએ નહીં લગાર રે,
મહીં મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે,
નિત ઊઠીને કેટલું સહીએ, રહેવું નગર મોઝાર રે … જશોદા.

આડી-અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે;
ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે … જશોદા.

મારો કાનજી ઘરમાં સૂતો, ક્યારે દીઠો બ્હાર રે,
દહીં દૂધનાં તો માટ ભર્યાં, પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલે સહુ આવી, ટોળી વળી દસ-બાર રે,
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે …. જશોદા.

– નરસિંહ મહેતા

મનના મેવાડમાં એક રાણો વસે છે – સુરેશ દલાલ

પહેલા મૂકેલું આ કૃષ્ણ-મીરા ગીત મને ખૂબજ ગમતું આજે હેમા દેસાઇનાં સ્વર માં સાંભળીએ….

MEERA

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઈ

(આ ઓડ્યો ફાઈલ માટે આભાર – દેવાંગ ખારોડ)

Previously posted on 08 September, 2007

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સ્વર – અનાર કઠિયારા
સંગીત – આશિત દેસાઈ

મનના મેવાડમાં એક રાણો વસે છે,
એ રાણાને અહીંથી ઉથાપો કોઇ,
મને મીરાંનું પાગલપન આપો કોઇ.

મને મેવાડી મહેલ હવે જોઇતા નથી, હીરા મોતીના હેલ હવે જોઇતા નથી,
મારા જ કરંડિયાને સાપ તો ડસે, એ સાપને તો અહીંથી ઉથાપો કોઇ.
મને મીરાંનું વૃંદાવન આપો કોઇ…..

હરિ-આવનના અવાજને હું સાંભળ્યા કરું, અહીં દિવસ ને રાત દીપ બાળ્યા કરું
નૈનનમેં નન્દલાલ એવા શ્વસે, મને પ્રીતિ પુરાતન આપો કોઇ
મને મીરાંનું વૈરાગન આપો કોઇ…..હવે સાંવરિયો મનભાવન સ્થાપો કોઇ!!

– સુરેશ દલાલ

અમે મહિયારાં રે ગોકુળ ગામનાં – નરસિંહ મહેતા

સ્વર – પ્રફુલ દવે અને ઉષા મંગેશકર
સંગીત – ગૌરાંગ વ્યાસ

સ્વર – હેમુ ગઢવી

અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં, મહિયારાં રે….ગોકુળ ગામનાં

મથુરાની વાટ મહીં વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે….મારે દાણ દેવા, નહીં લેવા, મહિયારાં રે….ગોકુળ ગામનાં

માવડી જશોદાજી કાનજીને વારો
દુ:ખડા હજાર દિયે નંદજીનો લાલો
હે….મારે દુ:ખ સહેવા, નહીં કહેવા,મહિયારાં રે….ગોકુળ ગામનાં

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે….મારે જાગી જોવું ને જાવું. મહિયારાં રે….ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી
ઉતારે આતમથી ભવ-ભવનો ભાર જી
નિર્મળ હૈયાંની વાત કહેતા, મહિયારા રે….ગોકુળ ગામનાં

– નરસિંહ મહેતા

કાન ઓળખાતા નથી – હરીન્દ્ર દવે

સ્વર: હેમા દેસાઈ
સ્વરાંકન – આશિત દેસાઇ

.

અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી
કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,
હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

– હરીન્દ્ર દવે

મોરપિચ્છની રજાઈ ઓઢી – સુરેશ દલાલ

Update at 10.15 pm of August 10, 2012:
ગુજરાતી ભાષાને કવિતાનો દરિયો જેમણે આપ્યો – એ વ્હાલા કવિ શ્રી સુરેશ દલાલ હવે આપણી વચ્ચે નથી! ગુજરાતી પ્રજા હંમેશા આ કવિની ઋણી રહેશે, અને કવિતા થકી કવિશ્રી હંમેશા આપણી સાથે જ રહેશે! કવિ શ્રી ને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી!

અમે એવા છઇએ, અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.

– સુરેશ દલાલ
———————————————————–

Posted at 5.25 am of August 10, 2012:

આદિ કવિ નરસિંહ મહેતાથી લઇને અર્વાચિન કવિઓની વાત કરીએ – એ બધામાં ‘ગુરુત્તમ સામાન્ય અવયવ’ એટલે કૃષ્ણ..!

તો આજે ‘જન્માષ્ટમી’ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણો એક મઝાનું કૃષ્ણકાવ્ય..! કવિ કહે – “અમે તમારા સપનામાં તો નક્કી જ આવી ચડાશું…” આહા…! પૂર્ણ સમર્પણ વગર આટલો confidence શક્ય જ નથી. અને આ મઝાના શબ્દોને સ્વર-સંગીત પણ એવા મળ્યા છે કે કૃષ્ણમય થયા વિના છૂટકો જ નથી..!!

સ્વર : હરિહરન
સંગીત : આશિત દેસાઇ

મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ
અમને થાય પછી આરામ….

મુરલીના સૂરનાં ઓશીકાં
રાખો અડખે-પડખે
તમે નીંદમાં કેવા લાગો
જોવા ને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ
મ્હેકી ઊઠે આમ….

અમે તમારા સપનામાં તો
નક્કી જ આવી ચડાશું
આંખ ખોલીને જોશો ત્યારે
અમે જ નજરે પડશું
નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં
ઝળહળભર્યો દમામ….

– સુરેશ દલાલ

નહીં આવું – હરીન્દ્ર દવે

ગોકુળથી ગોવર્ધન જાવું
ને શ્યામ, તોય વચ્ચે વૃંદાવન નહીં આવું.

દાણતણો લેશ નથી ડર રે ઓ કાન!
એમ અમથા ફુલાતા નહીં મનમાં,
બંસરીનો નાદ હવે ભૂલવે ના રાહ
હવે સૂણતી એ સૂર ક્ષણેક્ષણમાં;
સંતાશો તોય નહિ શોધું, ઓ કાન,
તને કહો તો એ માન પણ મુકાવું.

ફોગટના પોરસાઓ નહિ રે ઓ કાન,
હવે ભૂલી પડું ન કુંજગલીએ,
સામે આવીને તમે રસ્તો રોકો તો અમે
આડબીડ મારગે ઊપડીએ;
કોઈનીયે રોક, કે ન કોઈનીય ટોક
હવે મારગ મળે એમ જાવું.

અમને મિલન કેરો આવડિયો મંતર રે
ખોવાયું હોય એ જ ખોળે,
દીધું’તું એથી તો કૈંક ગણું પામ્યાં, હાથ
આવ્યું રતન કોણ રોળે?
જેને ગરજ હોય આવે ને સ્હાય હાથ
મારે તે શીદને મૂંઝાવું!

– હરીન્દ્ર દવે

શ્યામ તને હું સાચ્ચે કહું છું – સુરેશ દલાલ

આસ્વાદ – તુષાર શુક્લ
સ્વર – આરતી મુન્શી
સંગીત – ગૌરાંગ વ્યાસ
સંગીત સંચાલન – શ્યામલ – સૌમિલ મુનશી
આલ્બમ – મોરપિચ્છ

સ્વર – ઐશ્વર્યા મજમુદાર
સંગીતકાર – ગૌરાંગ વ્યાસ
આલ્બમ – ઐશ્વર્યા

શ્યામ તને હું સાચ્ચે કહું છું, માન મલાજો લોપી;
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

જાણીતી ને તોય અજાણી, એક યમુના વહ્યા કરે,
એક વાંસળી મોરપીંછની મૂંગી મૂંગી સહ્યા કરે;
સૂર શબ્દની સીમાએથી આંખ આંખમાં રોપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

કીયા જનમનાં કદંબો ઉગ્યાં કીયા જનમની છાયા,
મીરાં ને મોહન મુખડાની અનંત લાગી માયા;
શ્યામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

– સુરેશ દલાલ

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે – મહેશ શાહ

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે……

સ્વર : સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

આસ્વાદ : તુષાર શુક્લ
સ્વર : વૃંદ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત સંચાલન : શ્યામલ – સૌમિલ મુનશી
આલ્બમ : મોરપિચ્છ

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહિ આવું,
જમનાનાં વ્હેણમાંથી પાણી લઇ મૂકો કે મુરલીની તાન નહિ લાવું.

જમનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદમ્બનો પ્હાડ,
લીલેરી લાગણીઓ ક્યાંય ગઇ ઓસરીને રહી ગઇ વેદનાની વાડ,
ફૂલની સુવાસ તણા સોગન લઇ કહી દો કે શમણાંને સાદ નહિ આવું.

આટલી અધીરતા જવામાં છે કેમ જરા એક નજર ગાયો પર નાખો,
આખરી યે વાર કોઇ મટુકીમાં બોળીને આંગળીનું માખણ તો ચાખો,
એકવાર નીરખી લે ગામ પછી કહી દો કે પાંપણને પાન નહિ આવું.

– મહેશ શાહ