Category Archives: ગઝલ

અવાજ જુદો – રાજેન્દ્ર શુક્લ

ગુજરાતી ગઝલક્ષેત્રે જેમનો ‘જુદો અવાજ’ છે – એવા કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનો આજે જન્મદિવસ. તો આપણા સૌના તરફથી એમને જન્મદિવસની ખૂબ ખૂબ – અઢળક – હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે Happy Birthday…!! :)

સાથે માણીએ એમની આ મઝાની ગઝલ – એમના પોતાના અવાજમાં…!!

ગઝલ પઠન – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ

—————————-

Posted on March 15, 2011

ગઇકાલે શ્રી અતુલ દેસાઇના અવાજમાં  વિરાટનો હિંડોળો રચના સાંભળી, તો સાથે એમણે ગાયેલી, અને ટહુકો પર આ પહેલા મુકેલી બીજી બે રચનાઓ પણ સાથે સાથે માણી લીધી..!

પોત અલગ છે! – રાજેન્દ્ર શુક્લ
રાજા તારા ડુંગરિયા પર – મીરાંબાઈ

અને કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની એ ગઝલ સાંભળતા સાંભળતા જ એમની આ બીજી ગઝલ યાદ આવી ગઇ..! આ ગઝલના બે-ત્રણ શેર – સ્વરકાર શ્રી અમર ભટ્ટ પાસેથી ઘણી વાર સાંભળ્યા છે..! આ ગઝલ સ્વરબધ્ધ થઇ છે કે નહીં એ તો યાદ નથી – પણ સ્વરાંકન હશે કે થશે – તો ત્યારે ટહુકો પર ફરી એકવાર માણી લઇશું..! અને કવિના – જુદા અવાજમાં – આ ગઝલનું પઠન મળે તો યે અહીં લઇ આવીશ..! પણ ત્યાં સુધી.. મમળાવો આ મઝાની ગઝલ..!

જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

મલક બધોયે ફરીફરી ને અહીં અચાનક મળ્યો વિસામો,
અમે અમારી સમીપ ઊભા, નથી દરદ થી ઈલાજ જુદો.

ગઝલ આખરી ગવાઈ રહી આ, અહો ખમોશી છવાઈ રહી આ;
હું બંદગી યે કરું કિંહા લગ, રહ્યો ન બંદાનવાજ જુદો!

– રાજેન્દ્ર શુક્લ

ખંખેરી નાખ – સુધીર પટેલ

ચાલ, ઊભો થા ને રજ ખંખેરી નાખ;
જાતને ચોંટી સમજ ખંખેરી નાખ !

ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર ને
એક હો કે હો અબજ ખંખેરી નાખ !

રાતને પણ પ્રેમથી માણી શકાય,
તું અહમ્ ના સૌ સૂરજ ખંખેરી નાખ !

નાદમાં તું પૂર્ણરૂપે વ્યક્ત થઈ
શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ !

જાત તારી ટહુકતી રહેશે ‘સુધીર’,
કોઈની જૂઠી તરજ ખંખેરી નાખ !

– સુધીર પટેલ

ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે – આદિલ મંસૂરી

આજે એક આદિલ-ગઝલ….શ્રી આદિલભાઈનાં જ અવાજમાં સાંભળીએ….

કાવ્ય પઠન : શ્રી આદિલ મંસૂરી

લાગણી ને આમનાં વિસ્તાર વચ્ચે આવશે,
આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે.

કાન મીંચી મૌનનાં ખંડેરમાં બેઠા પછી,
સૂક્ષ્મતમથી સૂક્ષ્મતમ ઉદગાર વચ્ચે આવશે.

આ સડકની સામસામે આપણું હોવું અને,
સાયકલ રીક્ષા ખટારા કાર વચ્ચે આવશે.

આંગણું સંબંધનું કોરું રહી જાશે અગર,
એક દી વરસાદ મુશળધાર વચ્ચે આવશે.

વચ્ચેની દિવાલ કેવી પારદર્શક છે હજી,
પણ સમય વિતે સમયનો ક્ષાર વચ્ચે આવશે.

માર્ગનાં અંતે હશે એક બારણું પણ તે પ્રથમ,
ઝંખનાનો ભૂખરો વિસ્તાર વચ્ચે આવશે.

તું બધું છોડીને ચાલી તો નીકળ પહેલાં, પછી
ડગલે ને પગલે ભર્યા ભંડાર વચ્ચે આવશે.

કોના કોના આંગળાની છાપ છે ગરદન ઉપર ?
દોસ્તોનાં નામ વારંવાર વચ્ચે આવશે.

આ ગઝલનાં આયનાઘરમાં કદમ મૂકો અને,
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે.

આ ગઝલ ‘આદિલ’ હૃદય સોંસરવી ઉતરી જાય પણ,
પંડિતો ને પાઘડીનો ભાર વચ્ચે આવશે.

– આદિલ મંસૂરી
(આભાર – ગાગરમાં સાગર)

પાછા વળો ! – ડો. મહેશ રાવલ

ડો. મહેશ રાવલને એડવાન્સમાં એમના જન્મદિવસ ૪મી સેપ્ટેમ્બર પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! આજે માણીએ એમની કલમે લખાયેલું, રોજિંદી વાતચીતની રદીફ લઈ ચાલતી આ ગઝલ વધુ સ્પર્શી જાય છે….શ્રી મનહર ઉધાસનું ૨૮મું આલબ્મ ‘અભિલાષા’માં થી જે ૨૦૧૧માં રિલીસ થયેલું….

સ્વર / સંગીત – મનહર ઉધાસ
આલબ્મ – અભિલાષા

લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો
નીકળે એવું નિવારણ હોય તો, પાછા વળો !

જિંદગી, કંઈ એકલાં વીતી શકે એવી નથી
ક્યાં જવું એની વિમાસણ હોય તો, પાછા વળો !

આપણા સંબંધનો ઈતિહાસ જાજરમાન છે
જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો, પાછા વળો !

ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં
આંખ નહીં, રગમાં ય શ્રાવણ હોય તો, પાછા વળો !

ફૂલ માફક મેં હથેળીમાં જ રાખ્યાં છે, છતાં
સ્વપ્નમાં પણ આવતું રણ હોય તો, પાછા વળો !

આમ તો મારા હિસાબે, હાથ છે સંજોગનોં
તોય બીજું કોઇ કારણ હોય તો, પાછા વળો !

ખેલદિલી તો અમારી ખાસિયત છે, આગવી
એ વિષયમાં ગેરસમજણ હોય તો, પાછા વળો !

આટલાં વરસે ન શોભે, આમ તરછોડી જવું
સ્હેજપણ શેનું ય વળગણ હોય તો, પાછા વળો !

હું ય જીરવી નહીં શકું આઘાત, આવો કારમો
‘ને તમારે પાળવું પ્રણ હોય તો, પાછા વળો !

– ડો. મહેશ રાવલ

અમે નીકળી નથી શકતા – મનોજ ખંડેરિયા

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા

સદીઓથી શિલાલેખોના અણઉકેલ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા

નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા

સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહિ મિત્રો
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા

ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ
પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા

– મનોજ ખંડેરિયા

———————-
આ ગઝલના સંદર્ભમાં કવિ શ્રી ની આ બીજી બે ગઝલો માણવા લાયક છે –
જરા નીકળો – મનોજ ખંડેરિયા 

 

પ્રેમના પુષ્પો ભરીને રાખજો – અદી મિર્ઝા

સ્વર – મનહર ઉધાસ

પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ દીધું છે, સાચવીને રાખજો.

દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
એક ગઝલ મારી લખીને રાખજો.

રાત છે એના મિલનની દોસ્તો,
સાંજથી તારા ગણીને રાખજો.

દિલના કોઈ એકાદ ખૂણામાં ‘અદી’
નામ એનું કોતરીને રાખજો.

– અદી મિર્ઝા

રહેવા દે – હિતેન આનંદપરા

સ્વર / સંગીત – આલાપ દેસાઇ
આલબ્મ – ગઝલ TRIO

આ નથી કઈ તારું કામ રહેવા દે,
પ્રેમના ગામે મુકામ રહેવા દે

ગોકુળની માટી ને ખૂલાસા દેવાના,
આ શોભતું નથી ને શામ રહેવા દે

પ્રેમમાં એ શર્ત છે ઝૂકવું પડે,
પણ આ રીતે ડંડવત પ્રણામ રહેવા દે

– હિતેન આનંદપરા

ન પૂછો શું હાલત થઈ કાળજાની… – ઊર્મિ

p1240919-copy2
(પાનખરની કાયાપલટ… ચેરી બ્લોસમ… Photo by Urmi - 3/24/201 )

જુઓ, માંગણી એ કરે છે મજાની…
“કરું તો કરું માંગણી હું ગજાની!”

થયો છે ગુન્હો જ્યારથી એક સુંદર,
કરે છે પ્રતિક્ષા એ સુંદર સજાની…

તરજ વેણુએ છેડી’તી કૈંક એવી,
ન પૂછો શું હાલત થઈ કાળજાની…

શરીરે નહીં, ક્રાંતિ થઈ ગઈ સમજમાં
ને કાયાપલટ થૈ ગઈ કુબજાની…

આ શેની અસર છે નિરંતર ગઝલમાં
પડી ટેવ ‘ઊર્મિ’ને પણ આવજાની…?

– ઊર્મિ (4/30/2012)

આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત – રાહી ઓધારિયા

સ્વરનિયોજન અને સ્વરઃ ડૉ.ફિરદૌસ દેખૈયા

આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત
બેસો,કહું છું તમને હું મારા મર્યાની વાત.

વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને,
મારા મહીંથી ધીમે ધીમે હું સર્યાની વાત.

તમને ય તે હવે તો ખરી લાગતી હશે,
જન્માક્ષરો મારા ને તમારા વર્યાની વાત.

‘રાહી’!અબળખા કોઈ હવે બાકી ક્યાં રહી?
કેવળ રહી છે મન મહીં તમને સ્મર્યાની વાત.

-રાહી ઓધારિયા

મનોજ પર્વ ૧૯ : રહસ્યોની ગૂફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં

મનોજપર્વમાં આજે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ rare ગઝલ – સ્વરકાર શ્રી અમર ભટ્ટ પાસે, એમના જ શબ્દોમાં થોડી પ્રસ્તાવના સાથે…!
———————————

મનોજ ખંડેરિયાને આજે સહર્ષ યાદ કરું છું. કાયમ દિવાળીના થોડા દિવસો પહેલા અમદાવાદ આવે. મારા ઘરે અચૂક આવે. નવી ગઝલો સંભળાવે. શ્રોતામાં માત્ર હું ને પૂર્ણિમાબેન ને વિરાજ – મારી પત્ની. એક ગઝલ એમણે સંભળાવેલી તે આ –

રહસ્યોની ગૂફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં,
સમયસર ખૂલ જા સિમ સિમ ઉચરવું યાદ આવ્યું નહીં

અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
ઘણા યત્નો છતાં પાછું ચીતરવું યાદ આવ્યું નહીં

હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ
ખરે ટાણે હુકમ પાનું ઉતરવું યાદ આવ્યું નહીં

કલમથી શાહી બદલે દર્દ છટકોર્યું છે કાગળ પર
બીજી કોઇ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહીં
– મનોજ ખંડેરિયા

આ એક rare ગઝલ છે. એમની સમગ્ર કવિતામાં પણ કદાચ છપાઈ નથી. આ ગઝલ એક experience ane expression તરીકે તાલ વગર રજૂ કરું છું.

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ