આજે ટહુકો ના વાચકો ને બોનસ…. બેવડી ખુશી છે – સ્વાતંત્ર્ય દિવસ, અને આપણા માનીતા અને લાડીલા ગાયક – સંગીતકાર – શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય નો જન્મ દિવસ.
સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો ?
ને કેમ કરી તમને તે ફાવશે ?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…
કેવું બપોર તમે વાંસળીનાં સૂર થકી
વાયરાની જેમ હતા ઠારતા !
પાંપણમાં પૂરેલી ગાયો લઈ સાંજ પળે
તમે પાદરની વાટને મઠારતા.
મોરપિચ્છ ખોસીને ફરતા બેફામ
હવે સોનાનો ભાર કેવો લાગશે?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…
માખણની જેમ ક્યાંક હૈયું યે ચોરતા
ને ક્યાંક વળી કરતા ઉદારતા
ગોવર્ધન જીતવા છતાં ય એક રાધાની
તમે પાસે અનાયાસે હારતા.
રાજ તણી રમતોમાં નહીં ચાલે હારીને,
જીતવાનું ઠેર ઠેર આવશે.
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…
આજનો દિવસ ગુજરાતી કાવ્ય અને સંગીતજગત માટે ખરેખર મહત્વનો ગણાય. આજે કવિશ્રી ઉમાશંકર જોષી અને સંગીતકાર-કવિશ્રી અવિનાશ વ્યાસનો જન્મદિવસ. ( તા. 21 જુલાઇ, 1911 )
તમે તો ગુજરાતી કવિતાની સાથે સાથે સંગીતમાં પણ રસ ધરાવતા હોય, તો પુરુષોત્તમ ઉપાધ્યાય – ચંદુ મટ્ટાણી દ્વારા પ્રદર્શિત ‘સદા અમર અવિનાશ’ આલ્બમ ( ૪ સીડીનો સેટ ) ખરેખર વસાવવા જેવો છે… અવિનાશ વ્યાસની કલમ અને સંગીતને સલામ કરવાનું મન ન થાય તો કહેજો… !!
કહેવાય છે કે અવિનાશ વ્યાસે સમગ્ર ગુજરાતને ગાતુ અને રમતુ કર્યું. એમના કેટલાય એવા ગીતો છે કે જેના વગરના ગુજરાતી સંગીતજગતની કલ્પના મુશ્કેલ થઇ પડે. એચ.એમ.વી દ્વારા પ્રદ્શિત ‘Gujarati Classics’ series માં લતા મંગેશકર, આશા ભોંસલે, મુકેશ, ઉષા મંગેશકર અને પ્રફુલ દવે દ્વારા ગવાયેલા ૬૦ જેટલા ગીતો છે, એમાંથી અડધોઅડધ અવિનાશ વ્યાસ દ્વારા સંગીતબધ્ધ છે. હમણા કોઇક પુસ્તકમાં વાંચ્યુ કે અવિનાશ વ્યાસે ફક્ત ‘રાખના રમકડા’ ગીતની રચના જ કરી હોત, તો પણ એમનું નામ અમર થઇ ગયું હોત…
ચલો, તમારો વધુ સમય નથી લેવો… સાંભળો અવિનાશ વ્યાસની કલમે લખાયેલું અને ખૂબ જ સરસ રીતે સ્વરબધ્ધ થયેલું આ ગીત… અને એમા પુરુષોત્તમ ઉપાધ્યાયનો સ્વર ફળે એટલે પૂછવું જ શું ? જરા સ્પિકરનો અવાજ વધારીને સાંભળજો… મારા જેવા અમુકને તો વગર નવરાત્રીએ હાથમાં ખંજવાળ આવશે… ( દાંડિયા પકડવા માટે હોં..! )
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
————————————
જ્યારે અનિવાર્ય સંજોગોમાં એમણે પોતાનું વતન અમદાવાદ છોડવું પડેલું ત્યારે એ સાબરમતીની હવાને શ્વાસોમાં ભરતાં ભરતાં એમના હૃદયમાંથી ઉઠેલી એક તીવ્ર ચીસ, એટલે આ ’મળે ન મળે’ ગઝલ!! જે આજે તો એમનાં નામનો પર્યાયસમી બની ગઇ છે. જ્યારે આ ગઝલને કોઇ પણ વાંચે છે ત્યારે એમની વેદના આ ગઝલમાં અચૂક અનુભવાય છે. બર્મિંગહામનાં એક મુશાયરામાં જ્યારે એમણે ‘મળે ન મળે’ ગઝલ રજૂ કરેલી ત્યારે કાર્યક્રમને અંતે એક બહેને આવીને એમને કહેલું, ‘આદિલભાઇ, આ કાવ્ય સાંભળીને હું રડી પડી.’ ત્યારે અત્યંત સાહજિકતાથી એમણે કહેલું કે ‘બહેન, મેં એ રડતા રડતા જ લખેલું!’
સૌથી પહેલા તો સૌને હોળી-ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ… માતૃભૂમિથી દૂર રહેતા મારા જેવા લોકોને આવા સમયે ઘર સૌથી વધુ યાદ આવે… પણ એમ ઉદાસ થવાને બદલે જરા મલકાઇએ આજે…. ફાગણનો ફાગ.. અને કેસુડાના કામણ કદાચ અમેરિકા અને બીજા દેશોમાં ન જોવા મળે… પણ ટહુકાનો સાદ તો પહોંચે છે ને ??
સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
(બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ…. )
.
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે