વિશ્વ મિત્રતા દિવસ – આપણો ઘડીક સંગ… – નિરંજન ભગત

વિશ્વ મિત્રતા દિવસ પર મારું ખૂબ ગમતું ગીત…

કવિ: નિરંજન ભગત
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
આલબમ: શબદનો અજવાસ

‘કાળની કેડીએ ઘડીક સંગ’

કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ,
આપણો ઘડીક સંગ;

આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!

ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનમેળા,

વાટમાં વચ્ચે એક દિ નકી આવશે વિદાયવેળા!

તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!

હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,

કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી;

એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!

ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!’

સ્વરકારના શબ્દોમાં આ ગીત વિષે –

“કવિ નિરંજન ભગતનું આ ગીત આજે વહેંચવું ગમશે-“આપણો ઘડીક સંગ”
ભગતસાહેબે “સ્વાધ્યાયલોક-8″માં ‘મૈત્રીના ઉપનિષદ’ સમા પોતાના આ કાવ્યનું રસદર્શન કરાવ્યું છે. એમાંની ખૂબ ગમતી પંક્તિઓ વહેંચવાનો આનંદ લેવો છે-
“આ ગીતનો વિષય છે સંગ એટલે કે મિલન એટલે કે મૈત્રી. મૈત્રી ન કરી હોય એવો કોઈ મનુષ્ય હશે?કોઈ મનુષ્ય ‘અજાતમિત્ર’ નથી. એટલે કે જેનો મિત્ર ન જન્મ્યો હોય એવો મનુષ્ય જન્મ્યો નથી….મૈત્રીના સાર્વભૌમ અનુભવનું આ ગીત છે. એમાં મૈત્રીનો મહિમા છે…..
“…..’એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી’-બે મનુષ્ય વચ્ચે મૈત્રી કે પ્રેમ થાય ત્યારે બંનેને જીતવું હોય છે. પહેલાંને જીતવું છે પણ બીજો હારે નહીં તો પહેલો ક્યાંથી જીતે?એટલે પહેલાએ જીતવું હોય તો બીજાએ હારવું પડે. એટલે બીજાએ જીતવું હોય તો પહેલાએ હારવું પડે. આમ પહેલો અને બીજો બંને ત્યારે જ જીતે કે જયારે પહેલો અને બીજો બંને હારે.એટલે બંને ત્યારે જ જીતે કે જયારે બંને હારે!”. ભગતસાહેબે પોતાના મિત્ર કવિ પિનાકિન ઠાકોરને નવા વર્ષની શુભેચ્છારૂપે પોસ્ટકાર્ડમાં મોકલેલ કાવ્ય…
આ ગીત બંગાળી લયમાં હોવાથી બંગાળી ઢાળ પર આધારિત સ્વરનિયોજન કરવાની મજા મેં લીધી.”
– અમર ભટ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *