આજે કવિ શ્રી આદિલ મન્સૂરીને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ગઝલ એમના પોતાના અવાજમાં, અને સાથે મનહર ઉધાસના સ્વર-સ્વરાંકન..!!
હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય.
– આદિલ મન્સૂરી
સ્વર-સંગીત : મનહર ઉધાસ
આલ્બમ : અપેક્ષા
.
સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ.
સાચે જ મીણ જેવી હતી મારી િજંદગી,
દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ.
મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.
આજે કવિ શ્રી રમેશ પારેખની પૂણ્યતિથિ… એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ગઝલ, એમના પોતાના સ્વરમાં… અને હા, કવિ શ્રી ને થોડા વધુ નજીકથી ઓળખવાનો આ મોકો ચુકશો નહીં – http://www.rameshparekh.in/
રમેશ પારેખ કંઇક ભાળી ગયેલો કવિ હતો. પ્રેમના માર્ગે ચાલનારો આ કવિ સતત કંઇક ખોજવામાં રત હતો. ખુદ ભીંજાઇને બીજાને ભીંજવવા મથતો એ કવિ હતો.
– મોરારિ બાપુ
રમેશ પારેખની કવિતાનો હું સનાતન ઘાયલ છું. એ હૃદય મન સરોવરનો કવિ છે અને આપણા માન-સરોવરનો અધિકારી છે. એની કલમમાંથી આખોને આખો ગીતોનો દરિયો ઊછળી આવે છે. સર્જકતાથી ફાટફાટ થતાં આ કવિનું નામ વૈપુલ્યથી અને વૈવિધ્યથી ગીત, ગઝલ અને અછાંદસ દ્વારા ઊર્મિકવિતા સાથે ગુંથાયેલું અને ગંઠાયેલું છે. સોનલ તેની કાલ્પનિક વાસ્તવિકતા છે અને વાસ્તવિક કલ્પના છે. રમેશ એ વાવાઝોડું પી ગયેલો કવિ છે.
– સુરેશ દલાલ
એને તમે ‘લયનો કામાતુર રાજવી’ કહો કે પછી ‘સર્જકતાથી ફાટફાટ થતો કવિ’ કહો, રમેશ પારેખ છેલ્લા ત્રણ દાયકા સુધી ગુજરાતી ભાષાપ્રેમીઓના હૃદય પર એકચક્રી શાસન કરનાર અનન્વય અલંકાર છે. પોતાના નામને એણે કવિતાના માધ્યમથી જેટલું ચાહ્યું છે, ભાગ્યે જ કોઈ કવિ કે લેખકે એટલું ચાહ્યું હશે. ફરક ખાલી એટલો જ કે એનો આ ‘છ અક્ષર’નો પ્રેમ આપણે સૌએ સર-આંખો પર ઊઠાવી લીધો છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. એની કવિતાના શીર્ષક તો જુઓ: ‘કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું’, ‘ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત’, ‘પત્તર ન ખાંડવાની પ્રાર્થના’, ‘મા ઝળઝળિયાજીની ગરબી’, ‘સમળી બોલે ચિલ્લીલ્લીલ્લી’, ‘વૈજયંતીમાલા અથવા ઠાકોરજીની છબીમાં’, ‘હનુમાનપુચ્છિકા’, ‘મનજી કાનજી સરવૈયા’, ‘બાબુભાઈ બાટલીવાલા’, ‘સાંઈબાબાછાપ છીંકણી વિશે’, ‘પગાયણ’, ‘હસ્તાયણ’, ‘રમેશાયણ’, ‘’પેનબાઈ ઈંડું ક્યાં મૂક્શો?’, ‘કલમને કાગળ ધાવે’ વિ…
રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા.
– વિવેક ટેલર
આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.
સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.
તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.
એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.
સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.
આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
હુંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો ; હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે.
સવાલ એ નથી એ માનવી કે કોઇ મત્સ્ય છે ; બધાંની ભિતરે કશેક એક તત્વ દિવ્ય છે,
શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા, શું સ્થિરતા, પ્રવાહિતા શું સામ દામ દંડ ભેદ !?
ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે, એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.
‘ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,’
સ્વભાવગત આ વાત છે સ્વિકારવું – નકારવું, કરૂણતાઓથી ભર્યું જિવનનું આ જ સત્ય છે.
ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે ; ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે !
બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે ; ક્ષણીક હોય છે બધું – અહીં કશું ક્યાં નિત્ય છે ?
કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત ; વિવેચકોની દ્રષ્ટિઓય લીન છે સ્વરૂપમાં
છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ ; સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’ !
પ્રસ્તાવના : ચિંતન નાયક
ધોમ ધખતા ગ્રીષ્મ વચાળે પણ મળવાનું મન થાય એવો રંગીલો ગુલમ્હોર ખિલ્યો છે. અને મનમાં, મળવાનો ઊમળકો એટલો તો ઉભરાય છે, કે ગુલમ્હોરની એકાદ ડાળખી તો નહીં, એકાદ શેરીયે નહીં… પણ આખું ગામ ભરાય એમ ફૂટ્યા છે લાલમલાલ ફૂવારા…
એવા ગુલમ્હોરને ગામ મળીશુ એવો અદમ્ય વિશ્વાસ પ્રેમીના અંતરમાં અકબંધ છે.
વારેવારે ખોવાવું ને વળીવળીને મળવું, એની એક આગવી મજા છે. જો થોડીથોડી વારે એકબીજાથી જરા દુર ન થવાય, વિરહની સદિઓ સમી લાગતી જરા અમથી પળ પણ અનુભવવા ન મળે, તો એવા મળવામાં મજા પણ શી? અને મળીયે ત્યારે ટીપુ કે સરોવર કે દરિયો ભરીએ એમ નહીં, પણ આંખ ભરીને મળવું… હૈયામાં હૈયુ એક કરી ઓગળવું…
ડૉ. ગોપાલ શાસ્ત્રીનું એક ગીત પહેલા મુક્યું હતું… અમને ખબર નઇ.!!. આ પહેલા પણ ગીત સાંભળ્યું હોય તો ફરી એકવાર સાંભળવાનો મોકો લઇ લો. મસ્ત મઝાનું ગીત છે.. 🙂
લગભગ ૨૦-૨૫ વર્ષો પહેલા અમારી સુવિધા કોલોની (અતુલ)માં ઇસ્કોનની કોઇ બસ આવી હતી.. વધારે કંઇ યાદ નથી, પણ એટલું ખબર છે કે ત્યાંથી પપ્પાએ ‘શ્યામ શ્યામ શ્યામ’ એવા ટાઇટલવાળી એક કેસેટ અને સાથે કૃષ્ણ ભગવાનનો એક લેમિનેટ કરેલો ફોટો ખરીદેલો. એ ફોટો આજે પણ મારા ઘરના મંદિરમાં છે, અને આશા ભોંસલેના અવાજમાં એ કેસેટ ‘શ્યામ શ્યામ શ્યામ’ એ તો મેં એટલી બધી સાંભળી છે કે… વધારે તો શું કહું! કોઇ ગીત ગમતું હોય, કોઇ ઘણું જ ગમતું હોય, પણ અમુક ગીત માટે તમે કહી શકો કે એ તો લોહીમાં ભળી ગયું છે..!! આ આલ્બમના દરેકે દરેક ભક્તિગીત માટે કદાચ હું એ કહી શકું. આશા ભોંસલે – Top ૧૦ એવું કોઇ આલ્બમ જો હું બનાવું તો એમાં પહેલા ૬ ગીત આ આબ્લમમાંથી હોય. Classical Music, આશા ભોંસલે, અને કૃષ્ણભક્તિથી ભરપૂર શબ્દો..! એક એવો અનુભવ જે શબ્દોમાં ન જ સમાઇ શકે..!!
અમેરિકા આવી ત્યારથી એ આલ્બમની mp3 મળે તો શોધતી હતી. હજુ પણ શોધું જ છું.. ઘરે જે કેસેટ હતી એ તો સાંભળી સાંભળીને ઘસી નાખી છે, એટલે એને convert કરવાની ઇચ્છા નથી થતી, એટલે જ શોધું છું કે કશેથી આ આલ્બમના બધા જ ગીતોનું સારુ રેકોર્ડિંગ મળી જાય…
થોડા દિવસો પહેલા ધવલભાઇએ આ જ આબ્લમના બીજા એક ગીત – તન તો મંદિર હૈ… એના માટે પૂછ્યું અને સાથે જણાવ્યું કે આબ્લમમાં સંગીત નદીમ-શ્રવણનું હતુ. એક મિત્ર પાસેથી આ એક ગીત તો મળ્યું, પણ બાકીના ગીતો હજુ પણ એટલીજ આતુરતાથી શોધું છું… તમને મળે, અથવા ખબર હોય કે ક્યાંથી મળે, તો જણાવશો?
एक मंत्र जपते रहो श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…
मन वचन ह्रदय से उसकी वंदना करो
आंसूओ के फुलोसे अर्चना करो
दुःखहर्ता सुखकर्ता कह करो प्रणाम
श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…
पुत्र पिता बंधू मित्र स्वार्थी सभी
कोई तेरे काम नहीं आयेंगे कभी
बस प्रभुके चरणोंके तुम बनो गुलाम
श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…
—————
આ રહ્યા બાકીના ગીતો ના નામ….
1. Tan to mandir hai, Hraday Hai Vrundavan
2. Kanha Mujhko Bhi Rangle
3. Ab To Dekha Apani Suratiya Man Hua Bechain
4. Jaiseke Nainon Mein Jyoti, Jaiseke Saagar Mein Moti
5. Asatoma Sadgamay, Tamasoma Jyotirgamay
રવિવારે નવમી મે નાં રોજ આપણા પ્રિય કવિ શ્રીગારાંગભાઈ ઠાકરનાં બીજા કાવ્યસંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું. અને લયસ્તરો પર ખાસ ઇ-મોચન પણ કરવામાં આવ્યું છે 🙂 પહેલા કાવ્યસંગ્રહનું નામ તો લગભગ બધાને ખબર જ છે – ‘મારા હિસ્સાનો સૂરજ ‘. એમના આ બીજા કાવ્યસંગ્રહનું નામ એમણે રાખ્યું છે – ‘વ્હાલ વાવી જોઈએ ‘ ! મિત્રો, એમનું આ નામ તમને થોડું જાણીતું લાગ્યું ને? કારણ કે કદાચ તમને આ શિર્ષકવાળી એમની એક ગઝલ એમના ગઝલ-પઠન સાથે યાદ આવી ગઈ હશે, જે આપણે અહીં ગયા વર્ષે માણી ચૂક્યા છીએ… 🙂 : વ્હાલ વાવી જોઈએ
તો એમના આ નવા કાવ્યસંગ્રહમાંની બીજી બે ગઝલોની થોડી ઝલક આપણે એમનાં જ અવાજમાં માણીએ… જે આપણે આમ તો આગળ અહીં અને લયસ્તરો પર અપ્રગટ ગઝલો તરીકે માણી જ ચૂક્યા છીએ.
(કાવ્યસંગ્રહનું મુખ્યપૃષ્ઠ…)
સ્વર : ગૌરાંગ ઠાકર
*
મારું સઘળું એ ધ્યાન એ લઇ બેઠા
જાણે ઇશ્વરનું સ્થાન લઇ બેઠા
ને માત્ર સરમાનુ એમણે દીધું
ને અમે ત્યાં મકાન લઇ બેઠા
*
ટોચની આ કલ્પના ક્યાં તળ વગર
શક્યતા ક્યાં વૃક્ષની કુંપળ વગર
છાપ સિક્કાની મને બંને ગમે
માત્ર તું એને ઉછાળે છળ વગર
*
શબ્ક ક્યારેક તીર લાગે છે,
કોઇ વેળા લકીર લાગે છે
કોઇ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે
જેને વૈભવ મળે છે અંદરથી,
બહારથી એ ફકીર લાગે છે
*
મને સ્હેજ મારાથી અળગો કરી દઉં
તને પામવાનો હું રસ્તો કરી દઉં
નદી ક્યાંક મંઝિલથી ભટકી પડે ના
હું પર્વતની નીચે જ દરિયો કરી દઉં