Category Archives: કાવ્યપ્રકાર

પિયર ગયેલી ભરવાડણની ગઝલ – નયન દેસાઇ

સ્વર – સ્વરાંકન : અચલ મહેતા અને રિષભ ગ્રુપ

પનઘટે છલકાતી ગાગર સાંભરે,
દી ઊગે ને રોજ સહિયર સાંભરે.

છેડલો ખેંચી શિરામણ માગતો
વાસીદું વાળું ને દિયર સાંભરે.

ત્રાડ સાવજની પડે ભણકારમાં,
રાતના થરથરતું પાધર સાંભરે.

ઢોલિયે ઢાળું હું મારો દેહ ને,
બાથમાં લઈ લેતી નીંદર સાંભરે.

કાંબિયું ખખડે ને હું ચોંકી ઊઠું,
ઝાંઝરો રણકે ને જંતર સાંભરે.

તાણ ભાભુજીએ કીધી’તી નકર
કોણ બોલ્યું’તુ કે મહિયર સાંભરે.

મા ! મને ગમતું નથી આ ગામમાં
હાલ્ય, બચકું બાંધ, આયર સાંભરે.

એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો – રમેશ પારેખ

આજે San Francisco ની Public Library ના Children section માં અચાનક ગુજરાતી અક્ષરોવાળી ચોપડી દેખાઇ ગઇ..! છ માળની એ Library માં આમ તો ચાર shelf ભરીને ગુજરાતી ચોપડીઓ છે એ ખબર હતી – પણ બાળકોના વિભાગમાં પણ આમ ગુજરાતી ચોપડી જોઇને મઝા મઝા આવી ગઇ..! તો થયું, ચલો આજે જ તમને પણ ફરી એકવાર એક મઝ્ઝાનું બાળગીત સંભળાવી દઉં..!

(Knees and toes! નું એક પાનું.. – SF Main Library)

****
સ્વર – સ્વરાંકન : પરેશ ભટ્ટ

એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો
ટોપો હતો બ્લ્યૂ, તેમાં હતી જૂ

જૂ ભરે ચટકો, લાગે મોટો ઝટકો
તો ય રાખે ભોપો, કાઢે નહીં ટોપો

ટોપો સાવ ગંદો, તેમાં એક વંદો
વંદો ફરે માથે, ટોપા સાથે સાથે

વંદો ભાળે જૂ, બોલે: સૂ સૂ સૂ
જૂને બીક લાગે, આમ તેમ ભાગે

જૂ સંતાય છે, વંદો ખિજાય છે
વંદો કાઢે ડોળા, કરે ખોળંખોળા

હડિયાપટ્ટી મચ્ચી, થાય ગલીપચ્ચી
ભોપો ખણવા બેઠો, ટોપો પડ્યો હેઠો

– રમેશ પારેખ

વનની તે વાટમાં તું ભૂલી પડી રે.. – ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘

કવિ શ્રી સ્નેહરશ્મિની પૂણ્યતિથિ પર એમનું આ ગીત સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

સ્વર : પરાગી પરમાર
સ્વરાંકન : ?
કવિઃ ઝીણાભાઈ દેસાઈ- ’ સ્નેહરશ્મિ ‘

આભારઃ સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ અને પ્રાર્થના મંદિર

વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં,

જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….

કાંટા બાવળનાં એ વીંધ્યે જોબનિયુંને..(૨)
વાયરામાં ચૂંદડીના ઊડે રે લીરાં,
વ્હેંટે વેરાઈને રઝળે છે તારા અને,
હૈયાના લોલકનાં નંદાતા હીરા..(૨)
વનની તે વાટમાં…

વનની તે વાટ મહીં તું પડે એકલી,
આવી ગઈ આડી એક ઊંડી રે ખાઈ(૨)
જાને પાછી તું વળી, સાદ કરે તારી જૂની વનરાઈ(૨)
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં….
ચૂંદડી ભરાઈ તે કાંટાળા થોરમાં(૨)

જોયું ન જોયું કરી રહી તું તો દોડતી (૨)
ફાટ ફાટ થાતાં જોબનનાં તોરમાં,
વનની તે વાટમાં તું ભૂલી પડી રે..(૨)
વનની તે વાટમાં…

ક્યાં એ હૃદયના આભમાં બીજું સમાય છે ! – સુનીલ શાહ

શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી સુરત ખાતે યોજેલ તરહી મુશાયરામાં પ્રસ્તુત ગઝલ…

**

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જિવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.*

આવેગ લાગણીનો જરા જો વધારે હોય,
ડૂચો વળે છે શબ્દ, ને ડૂમો ભરાય છે.

કાઢી શકાય છે અહીં એનું જ માપ દોસ્ત,
જે ભીતરે ને બ્હારથી સરખો જણાય છે.

પડઘા તમારી યાદના જ્યાં વિસ્તરી ગયા,
ક્યાં એ હૃદયના આભમાં બીજું સમાય છે !

તું સુખ વિશે ન ગણ કશું, એક–બે કે દસગણું,
એકાદ ટહુકા માત્રથી જીવી જવાય છે.

સુનીલ શાહ
(*પંક્તિ સૌજન્યઃ મુ.શ્રી ભગવતીકુમાર શર્મા)

કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

આ ૨ જાન્યુઆરીએ આપણે દિલીપકાકાને ગુમાવ્યા – અને એ જ દિવસ એટલે આપણા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ શ્રી રાજેન્દ્ર શાહની પહેલી પુણ્યતિથી. તો આજે એમનું આ ગીત માણીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

****

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

– રાજેન્દ્ર શાહ

પરવરદિગાર દે – મરીઝ

આજે ફરી એકવાર આ મઝાની ગઝલ – સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં ફરી એકવાર… ગમશે ને? 🙂

—————-

Posted on May 12th, 2009

થોડા વખત પહેલા વડોદરામાં ‘કાવ્યધારા’ નું આયોજન થયું હતું, એની એક નાનકડી ઝલક લાવી છું તમારા માટે. આમ તો ટહુકો પર થોડા મહિનાથી ગુંજતી આ ગઝલ, આજે એક નવા સ્વરાંકન સાથે સાંભળવી ચોક્કસ ગમશે. અને સાથે બોનસમાં છે તેજસભાઇની મજેદાર પ્રસ્તુતિ.

સ્વર : અચલ મહેતા
સંગીત : નરેન્દ્ર જોશી
પ્રસ્તાવના : તેજસ મઝમુદાર

————————————

Posted on November 23, 2008

મરીઝ સાહેબની આ સદાબહાર ગઝલ… ફક્ત 6 શેર સાથે તો ટહુકો પર ઘણા વખતથી હતી જ, આજે એક સુમધુર સ્વરાંકન અને બીજા 4 શેર સાથે ફરી એકવાર…

સ્વર : સંગીત : શ્યામલ મુન્શી – સૌમિલ મુન્શી

.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

– મરીઝ

લે ! – અમૃત ‘ઘાયલ’

સૌને નવા વર્ષની .. ૨૦૧૧ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!!
*****

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !

લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !

તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !

સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !

કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !

‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !

– અમૃત ‘ઘાયલ’

જીવન-મરણ છે એક….. – મરીઝ

મરીઝ સાહેબની આ ઘણી જ જાણીતી ગઝલ… આમ તો જગજીતસિંગના પ્રથમ ગુજરાતી આલ્બમ – મરીઝ સાહેબની ગઝલો -નું શિર્ષક પણ આ ગઝલથી જ અપાયું છે… પણ જગજીતસિંગને માણીશું ફરી કોઇ દિવસ. આજે તો મરીઝ સાહેબના શબ્દોની સૂરા – અને આશિત-હેમા દેસાઇ સાકી..!

સ્વર – હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ

.

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું

રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

ઊંટ ભરીને આવ્યું રે – રાજેન્દ્ર શુકલ

ઊંટ ભરીને આવ્યું રે
અંધારું લ્યો.
આ પોઠ ભરીને આવ્યું રે
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

કોઇ લિયે આંજવા આંખ,
કોઇ લિયે માંજવા ઝાંખ;
અમે તે ઉંબરમાં ઉતરાવ્યું રે
અંધારું લ્યો.
અમે તો આંગણામાં ઓરાવ્યું રે
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

એના અડ્યા આભને છોડ;
એવા અડ્યા આભને કોડ –
અમે તો મુઠ્ઠી ભરી મમળાવ્યું રે,
અંધારું લ્યો.
અમને ભોર થતાં લગ ભાવ્યું રે,
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

– રાજેન્દ્ર શુકલ

मैं अपने आप से घबरा गया हूँ… (ત્રિપદી ગઝલ) – વિવેક મનહર ટેલર

મિત્ર વિવેકની આ મને ખૂબ જ ગમતી – મારા માટે એકદમ સ્પેશિયલ – એવી ત્રિપદી ગઝલ – આજના સ્પેશિયલ દિવસે – આપ સૌ માટે..!! અને હા – સાથે વિવેકને ખૂબ ખૂબ અભિનંદન..

આજે ‘શબ્દો છે શ્વાસ મારા’ (http://www.vmtailor.com/)- મિત્ર વિવેકની સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – ને પાંચ વર્ષ પૂરા થયા..!

આવતા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ દોસ્ત..

PB093327
(આખરી ઉજાસ…            ….બેલે આઇલેન્ડ, ડેટ્રોઇટ, અમેરિકા, ૦૮-૧૧-૨૦૦૯)
*

થવું નારાજ તારાથી શી રીતે ?
હું જાણું છું, તું મારી જિંદગી છે,
मैं अपने आप से घबरा गया हूँ ।

રણોને રણમાં મૃગજળથી છળીને,
હું પહોંચું શી રીતે મારી સમીપે ?
मैं अपने आप से घबरा गया हूँ ।

આ જીવન આમ તો શી રીતે વીતે ?
સમય પણ જાય થોભી આ કહીને :
‘मैं अपने आप से घबरा गया हूँ ।’

જમાના પાસે છે કારણ હજારો,
જીવે સૌ એકબીજાથી ડરીને,
मैं अपने आप से घबरा गया हूँ ।

હું મારા-તારા સૌ સાથે લડી લઈશ,
તું મુજ ગ્લાનિ મિટાવીશ શું કહીને ?
मैं अपने आप से घबरा गया हूँ ।

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૮-૨૦૦૯)