Category Archives: Video

કવિ – ગઝલકાર રઇશ મનીઆર અમેરિકાની મુલાકાતે…

રઇશભાઇના અમેરિકા નિવાસી ચાહકો…. આનંદો… રઇશભાઇ ૩૦ એપ્રિલ થી ૧૫ જુન સુધી અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે.. અને ઘણા શહેરોની મુલાકાત લેશે..! તમારા શહેરમાં એમના કાર્યક્રમ સંદર્ભે વાત કરવા આપ નીચેની રીતે એમનો સંપર્ક કરી શકો છો :

Email : amiraeesh@yahoo.co.in
Cell Phone : +91 9825137077

અને હવે માણીએ રઇશભાઇની આ પહેલાની એક અમેરિકાની મુકાલાત દરમ્યાન એમણે રજૂ કરેલી હઝલનું રેકોર્ડિંગ..!

પહેલાં એક સુરતી શેર માણીએ…

સુરતનો છું હું વતની એટલે આ આળ લાગે છે,
શુભેચ્છા પાઠવું છું તોયે સૌને ગાળ લાગે છે.

– હઝલ –

અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં,
નથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસમાં કચોરીમાં.

પ્રિયે, એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગી,
કદી ચટણીપુરી લાગી, કદી પાણીપુરી લાગી.

થતી તુજ વાત ને તેમાં ય તારા રૂપની ચર્ચા,
જાણે ગરમાગરમ ભજીયા અને હો સાથમાં મરચા.

અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથ,
નકામી ગઈ જે રોજેરોજ ખાધી ભેળ તારી સાથ.

હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.

અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું,
કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું.

– ડો. રઇશ મનીઆર

પરવરદિગાર દે – મરીઝ

આજે ફરી એકવાર આ મઝાની ગઝલ – સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં ફરી એકવાર… ગમશે ને? 🙂

—————-

Posted on May 12th, 2009

થોડા વખત પહેલા વડોદરામાં ‘કાવ્યધારા’ નું આયોજન થયું હતું, એની એક નાનકડી ઝલક લાવી છું તમારા માટે. આમ તો ટહુકો પર થોડા મહિનાથી ગુંજતી આ ગઝલ, આજે એક નવા સ્વરાંકન સાથે સાંભળવી ચોક્કસ ગમશે. અને સાથે બોનસમાં છે તેજસભાઇની મજેદાર પ્રસ્તુતિ.

સ્વર : અચલ મહેતા
સંગીત : નરેન્દ્ર જોશી
પ્રસ્તાવના : તેજસ મઝમુદાર

————————————

Posted on November 23, 2008

મરીઝ સાહેબની આ સદાબહાર ગઝલ… ફક્ત 6 શેર સાથે તો ટહુકો પર ઘણા વખતથી હતી જ, આજે એક સુમધુર સ્વરાંકન અને બીજા 4 શેર સાથે ફરી એકવાર…

સ્વર : સંગીત : શ્યામલ મુન્શી – સૌમિલ મુન્શી

.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

– મરીઝ

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર… – અવિનાશ વ્યાસ

આજની આ પોસ્ટ અક્ષરસ: કેતનભાઇના શબ્દોમાં…! હું તો બસ એટલું જ કહીશ કે… આભાર કેતનભાઇ..! અને ચાલો – માણો આ ગીત અને સાથે એમની બીજી વાતો…!

_______________________________

ઈ.સ. ૧૯૮૩માં અવિનાશ વ્યાસનાં ગીત અને સંગીતવાળી ફિલ્મ “રાજા ભરથરી” પ્રદર્શિત થઈ, જેમાં મુખ્ય કલાકારો આ મુજબ હતાઃ

રાજા ભરથરી – ઉપેન્દ્ર ત્રિવેદી
રાણી પિંગળા – સ્નેહલતા
ગુરુ ગોરખનાથ – અરવિંદ ત્રિવેદી

આ ઉપરાંત ફિલ્મમાં જયશ્રી ટી અને રમેશ મહેતા (કે જે એમના સમયની મોટા ભાગની ગુજરાતી ફિલ્મોમાં લ.સા.અ એટલે કે, લઘુતમ સામાન્ય અવયવ…!!! 🙂 ) પણ હતા. ફિલ્મની કથા અને સંવાદ પણ રમેશ મહેતાએ જ લખ્યા હતા. આ ગીત ફિલ્મના અંતભાગમાં આવે છે. આ ફિલ્મે એ વખતે વિરાટ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ઉપેન્દ્ર ત્રિવેદી પણ એ વખતે લોકોનાં હ્રદયમાં “અભિનયસમ્રાટ”નો હોદ્દો ધરાવતા હતા. અને અધૂરામાં પૂરું, મજબૂત સ્ક્રિપ્ટ, સુંદર સંવાદો અને આ ગીત!!!

આ ગીતે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. વડીલો પાસેથી સાંભળ્યું છે કે, આ ગીત વખતે જ્યારે રાજા ભરથરી ભેખ ધારણ કરી પત્ની પિંગળા પાસે ભિક્ષા માંગવા આવે છે ત્યારે થિયેટરમાં લોકો પ્રેક્ષકો ઉભા થઈને દશિયાનો ‘ઘા’ કરતા (ભરથરીને ભેખધારી સંન્યાસી સમજીને સ્તો!!!). ફિલ્મ પૂરી થતાં જ થિયેટરના સફાઈ કામદારો અંદર ધસી આવતા અને બધા સિક્કા એકઠા કરી લેતા અને ત્યાર બાદ જ બીજો શૉ ચાલુ થતો…બોલો, છે ને માન્યામાં ન આવે એવું?

ગાયકોઃ મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર
સંગીતઃ અવિનાશ વ્યાસ

(નીચેના Video માં ગીતની આગળ-પાછળના થોડા સંવાદો પણ આવી ગયા છે. ચાલશે ને?)

સ્વર – ??

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભેખ રે ઉતારો રાજા ભરથરી…(૨)
હૈયું કરે છે પોકાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

કેમ રે જોવાશે ભેખ તમારો, ખાવું ઝેર કટાર…હો…(૨)
કેસર-ચંદન છોડીને રાજા…(૨) ધર્યો કાં ભભૂત અવતાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું, કરનારો કિરતાર…હો…(૨)
કંચન-શી કાયા તો રાખ થવાની…(૨) શોભે નહીં શણગાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

રંગ રેલાવું રાજા મ્હેલમાં મારા, રેલાવું રંગધાર…હો…(૨)
દયા કરી મને છોડો ના એકલી…(૨), મારગ બીચ મઝધાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

જંગલનાં જોગી તો જંગલમાં શોભે, શોભે નહીં સંસાર…હો…(૨)
અલખ નિરંજનની ધૂણી ધખાવી…(૨) થાવા ભવસાગર પાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…

ભેખ રે ઉતારો રાજા ભરથરી…
ભિક્ષા દે ને મૈયા પિંગળા…

રાજા ભરથરીની મૂળ વાર્તા અને ફિલ્મની વાર્તા થોડે ઘણે અંશે જુદી પડે છે. વાર્તા કંઇક આમ છે –

રાજા ભર્તુહરિ (આપણે અપભ્રંશ કરી “ભરથરી” કરી નાંખ્યું છે!!) બત્રીસલક્ષણો રાજા છે. સુંદર રીતે રાજ કરે છે. તેના રાજ્યમાં પ્રજા સુખી છે. રાજા પ્રજામાં ખૂબ જ પ્રિય છે. ભર્તુહરિની પત્ની પિંગળા અતિ સુંદર હોય છે. ભર્તુહરિ પિંગળાને ખૂબ જ પ્રેમ કરે છે. રાજ્યનાં કામ-કાજ સિવાયનો મોટાભાગનો સમય રાજા પિંગળા સાથે જ વિતાવે છે.

એકવાર રાજ્યમાં એક મહાત્મા આવે છે. રાજાની પ્રજાવત્સલતા અને વહીવટ જોઈ મહાત્મા અત્યંત પ્રસન્ન થાય છે અને રાજાને અમરફળ પ્રદાન કરે છે, કે જે ખાઈને રાજા ‘અમરત્વ’ પ્રાપ્ત કરી શકે. રાજા પિંગળાને બેહદ પ્રેમ કરે છે. તે વિચારે છે કે મારે અમર થઈને શું કરવું છે? પિગળાની અપ્રતિમ અને અનુપમ સુંદરતા શાશ્વત રહેવી જોઈએ. એટલે રાજા આ ફળ ખાતો નથી અને એ લઈને રાણીવાસમાં પિગળા પાસે જઇ તેને આપી દે છે. રાણી પિંગળા ત્યારે ને ત્યારે ફળ ખાતી નથી. તે રાજ્યનાં અશ્વપાળને પ્રેમ કરે છે, અને તેને ચોરી છૂપીથી મળતી હોય છે. પિંગળા એમ વિચારે છે કે હું અમર થઈને શું કરીશ? મારે તો મારા પ્રેમને અમર બનાવવો છે. એટલે પિંગળા એ અમરફળ અશ્વપાળને આપે છે. હવે અશ્વપાળ તરફનો પિંગળાને પ્રેમ એકતરફી છે. વાસ્તવમાં અશ્વપાળ રાજનર્તકીને પ્રેમ કરે છે. એ વિચારે છે કે હું અમર થઈને શું કરુ? રાજનર્તકીની અલૌકિક નૃત્યકલા સદાકાળ રહે તે જ વધુ ઉત્તમ. એટલે તે ફળ રાજનર્તકી પાસે આવે છે. હવે રાજનર્તકી ખૂબ સમજદાર છે. એ પણ ફળ ખાતી નથી અને વિચારે છે કે હું ખરેખર અમર થવા યોગ્ય નથી. અમર તો એ વ્યક્તિ થવી જોઇએ કે સમાજને માટે પોતાનું જીવન ઘસી નાંખે. ઘણો વિચાર કર્યા પછી તેણે નિર્ણય કર્યો કે આ અમરફળ માટે રાજા ભર્તુહરિ સિવાય કોઇ અન્ય યોગ્ય ન હોઈ શકે.

બીજા દિવસે સવારે રાજનર્તકી રાજદરબારમાં અમરફળ લઈને આવે છે અને રાજાને આપે છે. રાજા પર જાણે વિજળી પડે છે. તે એક પળ માટે વિચારશૂન્ય થઈ જાય છે. તરત જ તેને આખું ચક્કર સમજાઈ જાય છે અને વૈરાગ્ય આવી જાય છે. તે જ ક્ષણે રાજપાટ ત્યાગી, સંસાર છોડી દે છે અને જોગી-ભિક્ષુકના વેશે મહેલમાં પિંગળા પાસે ભિક્ષા માગવા આવે છે. હવે ભર્તુહરિ સંસારી નથી, રાજા નથી, કોઇનો પતિ નથી, માત્ર સંન્યાસી છે. તે તમામ દુન્યવી સંબંધોને વેગળા મૂકીને આવ્યો છે અને ભિક્ષા માગતી વખતે પિંગળાને “મૈયા” એવું સંબોધન કરે છે. આ પ્રસંગ આ ગીતમાં ફિલ્માવવામાં આવ્યો છે.

નોંધઃ ઉપરોક્ત વાર્તા ફિલ્મની નથી, પણ અમુક પુસ્તકોમાં વાંચેલી કે પછી ક્યાંક સાંભળેલી છે. ફિલ્મમાં આ જ વાર્તા કંઈક અલગ રીતે રજૂ થયેલી છે. ફિલ્મની વાર્તા અનુસાર પિગળા બેવફા નથી પણ એક પતિવ્રતા અને સતી સ્ત્રી છે. અને માત્ર સંજોગો અનુસાર રાજા પિંગળા પર શંકા કરી સંસારત્યાગ કરે છે. ફિલ્મમાં ગુરુ ગોરખનાથ અશ્વપાળ સ્વરુપે આવીને રાજાને સંસારથી વિમુખ કરવાના પ્રયત્નો કરે છે. અશ્વપાળનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું છે. રાજનર્તકીના પાત્રમાં જયશ્રી ટી છે.

મને ડેન્ચર આપો તો કૈંક બોલું – અનિલ જોશી

Well known Gujarati poet Shri Anil Joshi reciting his ‘gray laughter’ tinted poem/geet ‘મને ડેન્ચર આપો તો’ in a private bethak in London (28 July 2010).

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.

એકવાર દાંત પડી જાય પછી જીભના વળવા માંડે છે સા’વ લોચા;
પહેલા તો રોટલાની પોપટી ખાતો’તો, હવે ધાનને કર્યા કરું છું પોચાં,
ઓણ શિયાળે ગંડેરી ખાવાનો મોહ, કહો શેરડીના સાંઠા કેમ છોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

પહેલા તો છોકરીને જોતા વેંત જ મારા હોઠમાંથી નીકળતી સીટી;
ચોકઠું પહેરી પહેરીને કાંઈ સીટી ન વાગે, પેઢાં બની ગયા છે દાંતની બે ખીંટીં,
હવેલીએથી આવ્યો છે ઠોરનો પરસાદ, એને જોતા વેંત આવી જતું ઝોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

પહેલાં તો દાંત ઉપર દુનિયા ઊંચકતો’તો, હવે સ્ટ્રેચરમાં ઊંચકે મને લોકો;
જીવતર આખુંય બહુ ભાષણ ઠોક્યાં, હવે શ્રોતા બનવાનો આવ્યો મોકો,
વાંસળી બનવાના ઘણા ફાંફાં માર્યા, પણ બની ગયો સાંબેલું પોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

– અનિલ જોશી

અમેરિકન-ગુજરાતી કવિઓ : પ્રો. મધુસૂદન કાપડિયા

ગુગલની દુનિયામાં રખડતા રખડતા આ વિડિયો હાથમાં લાગ્યો.. અને થયું કે આ પણ તમારી સાથે વહેંચી લઉં..! એમ પણ આજે રવિવારને… એટલે કદાચ તમને આ એક કલાકનો ખૂબ જ રસપ્રદ વાર્તાલાપ સાંભળવાની ફૂરસત હોય.. 🙂

લગભગ એકાદ વર્ષ પહેલા પ્રસ્તુત આ વિડિયો કદાચ દેશના કોઇક કાર્યક્રમ માટે રેકોર્ડ થયો હોય એવું લાગે છે. વધુ માહિતી કદાચ તમે શ્રોતાઓમાંથી કોઇ પાસે હશે જ – તો એ અહીં બધા સાથે વહેંચશો તો ગમશે.

સાંભળીએ – ર્પોફેસર મધુસૂદન કાપડિયાનો – અમેરિકન ગુજરાતી કવિઓ વિષેનો આ વાર્તાલાપ … સમય મર્યાદાને લીધે એમણે ફક્ત ૫ કવિઓ વિષે વાત કરવાનો નિર્ધાર કર્યો હતો..! વધુ સાંભળીએ – એમના પોતાના શબ્દોમાં…!

અને હા.. પ્રો. મધુસૂદન કાપડિયાને રૂબરૂમાં સાંભળવાનો લ્હાવો Los Angeles ના મિત્રોને થોડા દિવસોમાં જ મળશે. વધુ માહિતી માટે નીચે ક્લિક કરો.

મધુસુદન કાપડિયા દ્વારા રાજેન્દ્ર શાહની કવિતાઓ વિષે વાર્તાલાપ – Los Angeles – Oct 1, 2010

हे शिवशंकर हे करुनाकर परमानन्द महेश्वर

હિન્દી ફિલ્મ સૂર-સંગમના ગીતો કોઇ પણ classical music lover માટે ઘણા જ ખાસ હશે..! મારી જેમ…
તો ચલો, આજે આ ફિલ્મનું એક ગીત… video & audio…

સ્વર – રાજન-સાજન મિશ્રા

हे शिवशंकर हे करुनाकर परमानन्द महेश्वर
मेरे भीतर तुम गाते हो,
सुन लो तुम अपना ये स्वर.

मौन गान का ध्यान जमाया
योग राग को ही माना
तुम्ही बने हो तान प्राण की
मेरे तन-मन को पावन कर.

બે ઘડી વાતો કરી … – કૃષ્ણ દવે

તા ૧૫ જુલાઈથી ૨ ઑગસ્ટ સુધી કવિશ્રી કૃષ્ણ દવે બ્રિટનની ઉડતી મુલાકાતે હતા. લયના હિલ્લોળના રાજવી અને મંચના મહારથી આ કવિ મનમોજી વાદળોની જેમ લંડન, બેટલી, બર્મિંગહામ અને લેસ્ટર જેવા સ્થળોએ ગીત, ગઝલ અને બાળકાવ્યોની હેલીથી સહુને તરબતર કરી શિકાગોના ભવ્ય કાર્યક્ર્મ માટે અમેરિકા આવી રહ્યા છે.

આખો ઑગસ્ટ મહિનો કવિશ્રી અમેરિકાના વિવિધ સાહિત્યિક વર્તુળોને એમનો લાભ આપશે. કવિ સાથે ગોષ્ઠિ માટે આતુર સાહિત્યક સંસ્થાઓ કે ઘરઘરાઉ બેઠકો યોજવા ઈચ્છનાર માટે કવિનો ઈમેલ સંપર્ક છેઃ krushnadave@yahoo.co.in

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.

આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ આંખમાં આવી અમે નીકળી ગયાં.

વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા.

પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં..બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા.

આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા.

– કૃષ્ણ દવે

આંબે આવ્યા મ્હોર ! – ડો. દિનેશ ઓ. શાહ

આજે કવિ ડો. દિનેશ શાહને એમના ૭૨મા જન્મદિંવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
સાથે સાંભળીએ એમનું આ સુંદર ગીત…..”આંબે આવ્યા મ્હોર…”

અને હા.. ગીતની પ્રસ્તાવના લઇને આવનાર છે વ્હાલા કવિ મુકેશ જોષી..!!

સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી
સંગીત : ઉદય મઝુમદાર

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

કોણે વાવ્યા’તા વૃક્ષ કેરીના, કોણે નાખ્યા’તા ખાતર ખોર ?
કોણે સિંચ્યા’તા નીર બપોરે, ભર ઉનાળે નાચ્યા’તા મોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

હરખે મલકે કેરિયું નાની, ઝુલે ડોલમ ડોલ
એની સુગંધનો દરિયો ઉછળે, આજે છોળમ છોળ !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

મ્હોરમાંથી મારી કેરીયું થાશે, ને કોયલ કરશે કલશોર !
ગાડાં ભરી ઘેર કેરિયું જાશે, મારા હૈયાની ભીંજશે કોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

જીવતર મારું કેરીનું ગાડું, હંકારુ ખેતરથી ઘરની કોર
કોણે વાવી’તી ને કોણ રે ખાશે, કોણે ખેંચ્યા’તા કુવે દોર ?
આજ મારે આંબે આવ્યા મ્હોર !

અમરત સમ રસ પીવે સૌએ, મન મારું કરે કલશોર !
વાવવા મારે આંબા આ ભવમાં,કાલે સૌ થાશે ભાવ વિભોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

– ડો. દિનેશ ઓ. શાહ

(શબ્દો માટે આભાર – ગુજરાતી સાહિત્ય સરિતા)

આપણા મલકના માયાળુ માનવી…..

સ્વર – પ્રફુલ દવે, દિવાળીબેન ભીલ
સંગીત – ?
ગુજરાતી ફીલમ – આપણા મલકના માયાળુ માનવી

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

સ્વર – પ્રફુલ દવે
સંગીત અરેન્જમન્ટ – બ્રિજરાજ જોષી
આલ્બમ – ગીત ગુંજન

.

હે….. હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં,
હે…..મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં;
પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી,
હે…….જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી.

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન,
રિયોને આપણા મલકમાં….કે હાલો….

સાંજ પડેને ગામને પાદર, ગાયો પાછી વળતી;
દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;
ગામને કૂવે પાણી સીંચન્તી, પનિહારી નખરાળી;
સરખી સૈયર વળતી ટોળે, વાત કરે મલકાતી.

આપણા મલકમાં ઓઢણ ઓરડા,
ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન,
રિયોને આપણા મલકમાં….કે હાલો….

વર્ષા માથે ધરતી રૂડી, ઓઢણી લીલી ઓઢે;
પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;
વાર-તહેવારે ગામવચાળે, રાસની રંગત જામે;
બાળપણાની ગોઠડી મીઠી, યાદ આવે હૈયાને.

આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

રોજ પરભાતે દરના ટાણે, ઘરમાં ગીત ગવાતા;
રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા;
છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે;
અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે.

આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
ઘડિક માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.

આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

(શબ્દો મટે આભાર – પ્રીત નાં ગીત)