Category Archives: કવિઓ

બદલાવ દોસ્ત – અલ્પેશ ‘પાગલ’

birds 

બદલી શકાતું હોય તો બસ આટલું બદલાવ દોસ્ત
તું માપ દંડોનું પુરાણું કાટલું બદલાવ દોસ્ત

જો તો ખરા આકાશ આખુ આવકારે છે તને
પણ શર્ત છે કે પૂર્વગ્રહનું પાંજરું બદલાવ દોસ્ત

કાંટો બની અંદરથી કાંટો કાઢવો પડશે હવે
મક્કમ રહી તારૂ વલણ થોડુંઘણું બદલાવ દોસ્ત

તું હારવાની બીકથી બાજી અધુરી મુકમાં
જીતી શકાશે માત્ર તારી ચાલ તું બદલાવ દોસ્ત

‘પાગલ’ તને તાજી ખબર કેવી રીતે મળશે ભલા
અખબાર સામે છે હજી ગઈકાલનું બદલાવ દોસ્ત

– અલ્પેશ ‘પાગલ’

મેલી મત જા મને એકલી વણજારા – કાજી મામદશા

સ્વર : ચેતન ગઢવી

dungar

.

મેલી મત જા મને એકલી વણજારા
મેલી મત જા, પરદેશમાં વણજારા
જીઓ વણજારા, જીઓ વણજારા….

સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા,
મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા…

ડુંગર માથે તારી દેરડી વણજારા,
હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા….

કાજી મામદશાની વિનંતી વણજારા,
તમે રહી જાઓ આજની રાત રે, વણજારા….
જીઓ વણજારા, જીઓ વણજારા…

ઉદાસી વેડફી જો નાખવાની હોય તો – ગુંજન ગાંધી

આજે ગુંજનભાઇની એક Oven Fresh ગઝલ… એમના જ સ્વર સાથે 🙂

udasi

.

ઉદાસી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું,
સુગંધી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું.

બધા સુખની, બધા દુ:ખની કથા તારે જ હસ્તક રાખ પણ,
કથા સંજોગની આલેખવાની હોય તો કહેજે મને તું.

કે જે શબરી એ ચાખ્યા’તા અને જે તે ન’તા ચાખ્યા કદી પણ,
એ ભક્તિ બોરની જો ચાખવાની હોય તો કહેજે મને તું.

હજી હમણાં સુધી ખુલ્લી હતી જે શક્યતાઓની, ને ક્ષણની,
એ બારી સહેજ અમથી વાખવાની હોય તો કહેજે મને તું.

નવેસરથી જ તારો ન્યાય કરવાની મને આપી છે સત્તા,
જરા શ્રધ્ધાને નમતી જોખવાની હોય તો કહેજે મને તું.

ઉદાસી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું,
સુગંધી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું.

——————-

અને હા, એમની બીજી રચનાઓ વાંચવા એમના બ્લોગની મુકાલાત લેતા રહેજો

http://gujaratikavita.blogspot.com/

ભીતરથી ભાંગેલો માણસ – ગૌરાંગ દિવેટિયા

depressed 

આયનાની ભીતરમાં ફૂટેલા માણસને
પૂછી શકો તો જરી પૂછો,
કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી
લૂછી શકો તો જરી લૂછો.

લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
કેમ કરી જીરવ્યા જીરવાય નહીં.
એકાકી વાંસળીની વેદનાના પડછાયા
કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.

સૂરજ વિનાનું પેલું તડકાનું ફૂલ
સૂંઘી શકો તો જરી સૂંઘો.

ભમ્મરિયા કૂવામાં ઘુમરાયા કરતી
એ પથ્થરિયા સમણાંની વારતા.
ફૂલો વિનાના આ બાવળિયા ગામમાં
અત્તરિયા કોઇ નથી આવતા.

દ્રષ્ટિ વિનાની કોઇ ખાલીખમ આંખોમાં
ફરકી શકો તો જરી ફરકો.

 

ભોળી રે ભરવાડણ – નરસિંહ મહેતા

.

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo

અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo

મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo

– નરસિંહ મહેતા

આભાર : લયસ્તરો

તોરણ જે ઉતારો છો એ લીલું તો નથી ને? – વિવેક કાણે ‘સહજ’

કવિ વિવેક કાણે ‘સહજ’ની એક ગઝલ – એમના જ અવાજમાં..!!  

તોરણ જે ઉતારો છો એ લીલું તો નથી ને?
સંકેલો છો જે સ્વપ્ન,એ ભીનું તો નથી ને?

આ મોડસઓપરેંડી તો એની જ છે નક્કી
હથિયાર કતલનું જુઓ, પીછું તો નથી ને?

સરખું છે અમારું કે તમારું કે બધાનું,
દુ:ખોનું તપાસો, કોઇ બીબું તો નથી ને ?

નીકળ્યા જ કરે નિત્ય નવાં સ્વપ્નો નિરંતર
પલકોંની પછીતે કોઇ ખીસ્સું તો નથી ને ?

જન્મ્યા અને જીવ્યા ને પછી મોતને ભેટ્યા
આયુષ્ય ‘સહજ’ એટલું સીધું તો નથી ને?

ભૂલી શકું તો – ઊર્મિ

ગઇકાલે ૧૦ -જુન એટલે આપણા ગુજરાતી બ્લોગજગતના લાડીલા ‘ઊર્મિસાગર.કોમ’ નો જન્મદિવસ…

અછાંદસથી શરૂ થયેલી ઊર્મિની યાત્રા બે વર્ષમાં છાંદસ ગઝલો અને લયબધ્ધ ગીતો સુધી પહોંચી, એના આપણે સાક્ષી રહ્યા જ છીએ.  એમના પોતાના અવાજમાં તમે ‘તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ?‘ સાંભળ્યુ ને ?  ટહુકો પર પણ ભવિષ્યમાં એમના અવાજનો ટહુકો કરશું જ, પણ આજ માટે આપણે એમની સ્વરબધ્ધ થયેલી આ ગઝલ (જે એમના બ્લોગ પર તો છે જ..!) સાંભળીયે…

સંગીત : મેહુલ સુરતી
સ્વર : અમન લેખડિયા 

 waves

મને પણ હું મારામાં ખોલી શકું તો,
તને એક પળ જો હું ભૂલી શકું તો.

સુગમ થાય થોડું, કયા માર્ગે જાવું,
ગયેલાં જનમને ટટોલી શકું તો.

બદલવા છે થોડા પ્રસંગોને મારે,
સમયનાં આ રણમાં ટહેલી શકું તો.

ન માંગુ તમારી અમોલી ક્ષણોને,
ભરેલી કો’ પળને હું ઝાલી શકું તો.

અમારી આ દુનિયા યે રંગાઈ જાશે,
કો’ શમણાંને પાંપણથી ખોલી શકું તો.

ભરી લઉં હું પ્રીતિની પીડાનું ભાથું,
વજનમાં જો ઊર્મિને તોલી શકું તો.

ભલે આયખું થાતું પુરું આ ક્ષણમાં,
તવ ઊર્મિનાં સાગરમાં ડોલી શકું તો.

– ઊર્મિ

પરિચય છે મંદિરમાં દેવોને મારો – શૂન્ય પાલનપૂરી

આજે શૂન્ય પાલનપૂરીની આ લોકપ્રિય ગઝલ, બે અલગ અલગ સ્વર – સંગીત સાથે…. આશા છે આપને ગમશે…!!
સ્વર – સંગીત : મનહર ઉધાસ

.

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે – કિરણ ચૌહાણ

koel 

બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.

એજ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે,
જે મરણના આગમનની વાત ભુલી જાય છે.

કોઈ પણ હાલતમાં ખુશ રહેવાનું મન શીખી ગયું,
એટલે મારાં બધાંયે દર્દ હાંફી જાય છે.

પહોંચવા તારા લગી કંઈ ચાલવું પડતું  નથી,
પગ તળેથી માર્ગ આપોઆપ સરકી જાય છે.

આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે.

-કિરણ ચૌહાણ

માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં ! – આદિલ મન્સૂરી

 rainy

કેટલી માદકતા સંતાઇ હતી વરસાદમાં !
મસ્ત થઇ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

કેટલો ફિક્કો અને નિસ્તેજ છે  બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઇ ચાંદની વરસાદમાં !

કોઇ આવે છે ન કોઇ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઇ છે ગલી વરસાદમાં !

એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.