Category Archives: કવિઓ

વેણીનાં ફૂલ – ઝવેરચંદ મેઘાણી

કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીને એમના જન્મદિવસે આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી… સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી એમણે જે લોકગીતોના મોતીઓ એકઠા કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે – એ માટે ગુજરાતી પ્રજા હંમેશા એમની ઋણી રહેશે.

અને એક વધુ ગૌરવ લેવા જેવા ખબર – કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી વિશે ઘણી વધુ માહિતી, જુના ફોટા, એમની રચનાઓ, એમના હસ્તાક્ષરમાં અમુક લખાણો… એવું ઘણું બધું એમની પોતાની વેબસાઇટ – http://jhaverchandmeghani.com/ પરથી મળશે..

અને હા.. આ વેબસાઇટ બનાવનાર એમના પૌત્ર પિનાકીભાઇને પણ અભિનંદન આપવા જ રહ્યા.. સાથે એક ખબર એ કે – ગુજરાતના લોકલાડિલા ગાયક શ્રી પ્રફૂલ દવેના સ્વરમાં ઝવેરચંદ મેઘાણીની ૨૫૧ જેટલી રચનાઓનું રેકોર્ડિગ કરીને ભવિષ્યમાં એ વેબસાઇટ પર મુકવામાં આવશે. એ માટે મારા તરફથી પફૂલભાઇનો પણ ખૂબ ખૂબ આભાર… લોકસંગીતના અમુલ્ય ખજાના જેવી રચનાઓ પ્રફૂલભાઇના અવાજમાં સાંભળવા મળે એ દિવસની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહી છું.

અને હા.. આજે સાંભળીએ ઝવેરચંદ મેઘાણીનું આ ગીત – લોકસંગીતના ઢાળમાં સ્વરબધ્ધ – રાજૂ બારોટ અને એમના સાથીઓના સ્વરમાં…

(Photo from : http://jhaverchandmeghani.com/)

સ્વર : રાજૂ બારોટ અને સાથી કલાકારો (અમદાવાદ થિયેટર ગ્રુપ)
સંગીત : લોકઢાળ

.

મારે ઘેર આવજે બે’ની ! નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ;
ફૂલ વિના, મારી બે’નડી ! તારા શોભતા નો’તા વાળ. – મારે

બાગબગીચાના રોપ નથી, બે’ની, ઊગતા મારે ઘેર;
મોગરા ડોલર જાઈ ચંબેલીની મારે માથે મ્હેર – મારે

રૂપ સુગંધી હું કાંઇ નો જાણું ! ડુંગરાનો ગોવાળ;
આવળ બાવળ આકડા કેરી કાંટ્યમાં આથડનાર – મારે

ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં રાતડાં ગુલેનાર
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી બે’ન સાટુ વીણનાર – મારે

પહાડ તણે પેટાળ ઊગેલાં લાલ કરેણીનાં ઝાડ;
કેશૂડલાં કેરી વાંકડી કળીઓ વીણીશ છેલ્લી ડાળ – મારે

ખેતર વચ્ચે ખોઇ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ;
વાગશે કાંટા, દુખશે પાની, તોયે જરીકે ન બ્હીશ. – મારે

સાંજ વેળા મારી ગાવડી ઘોળી આવીશ દોટાદોટ;
ગોંદરે ઊભીને વાટ જોતી બે’ની માંડશે ઝૂંટાઝૂંટ – મારે

મોઢડાં નો મચકોડજે, બાપુ ! જોઇ જંગલનાં ફૂલ;
મોરલીવાળાને માથડે એ તો ઓપતાં’તાં અણમૂલ – મારે

શિવભોળા, ભોળાં પારવતી, એને ભાવતાં દિવસ-રાત;
તુંય ભોળી મારી દેવડી ! તુંને શોભશે સુંદર ભાત. – મારે

ભાઇભાભી બેય ભોળાં બેસીને ગૂંથશું તારે ચૂલ;
થોડી ઘડી પે’રી રાખજે વીરનાં વીણેલ વેણી-ફૂલ !
મારે ઘેર આવજે, બે’ની લાંબી તારી ગૂંથવા વેણી !

– ઝવેરચંદ મેઘાણી

————————

આ પહેલા ટહુકો પર પ્રસ્તુત ઝવેરચંદ મેઘાણીની રચનાઓ :

કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી
કોઇનો લાડકવાયો – ઝવેરચંદ મેઘાણી
જાગેલું ઝરણું – ઝવેરચંદ મેઘાણી
ઝાકળબિંદુ ! – ઝવેરચંદ મેઘાણી
દરિયો ડોલે રે માઝમ રાતનો… – ઝવેરચંદ મેઘાણી
મોર બની થનગાટ કરે… – ઝવેરચંદ મેઘાણી
મોરબીની વાણિયણ
મોરલા હો ! મુંને થોડી ઘડી… – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો – ઝવેરચંદ મેઘાણી
શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી
હાય રે હાય કવિ ! – ઝવેરચંદ મેઘાણી

પ્રાણ પણ નથી – વિવેક મનહર ટેલર

તુજમાં હું સરથી પગ સુધી રમમાણ પણ નથી,
ઊંડે ગયો છું કેટલે એ જાણ પણ નથી.

આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને ફક્ત,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.

મળતાંની સાથે માર્ગ તેં બદલ્યો, મને તો એમ –
સઘળું પતી ગયું, હવે ખેંચાણ પણ નથી.

જ્યાં મૂક્યું સર ખભે કે ગ્રહી વાત દિલની લે,
સગપણમાં ક્યાંય એટલું ઊંડાણ પણ નથી.

હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.

-વિવેક મનહર ટેલર

————–
રમમાણ એટલે લીન, મગ્ન, ઓતપ્રોત…

તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

ઘણા વખત પહેલા ટહુકો પર મુકેલું આ ગીત – આજે અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરી એકવાર..

(તમે જિંદગી વાંચી છે ? …. Photo from Flickr)

* * * * * * *

.

સુખની આખી અનુક્રમણિકા
અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ?
વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે,
કેમ બચાવો દર્પણ… તમે જિંદગી…

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં
ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને
પીડા નામે વળગણ…. તમે જિંદગી…..

આવો – ગૌરાંગ દિવેટિયા

(ઝાકળની વાત…  Photo By Rikx)

* * * * * * *

આવો હવે તો સાવ હળવા થઇને આવજો
ઝાકળની વાત પછી માંડશું
શબ્દોનો ભાર બધો મૂકીને આવજો
કાગળની વાત પછી માંડશું

પંખીની વાતમાં પીંછા ના હોય
એને અચરજ જેવું કશું ન માનતા
વૃક્ષ વિનાના એ જંગલની વાત વિશે
અટકળિયાં કાંઇ નથી જાણતા

આવો તો ખોબામાં અજવાળું લાવજો
ઝળહળની વાત પછી માંડશું

ઘટના વિનાના આ કંઇ નહિની વારતામાં
ભજવ્યો’તો હોવાનો વેશ
પડછાયા ક્યારના શોધ્યા કરે છે
પેલા માણસ વિનાનો કોઇ દેશ

આવો તો ચપટીમાં વિસ્મય લઇ આવજો
અટકળની વાત પછી માંડશું

– ગૌરાંગ દિવેટિયા

નર્મદ

અવસાન સંદેશ – કવિ નર્મદ

કવિ શ્રી નર્મદને એમના જન્મદિવસે આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.

સ્વર : દ્રવિતા ચોક્સી
સંગીત : મેહુલ સુરતી

નવ કરશો કોઇ શોક – રસિકડાં, નવ કરશો કોઇ શોક – ટેક.
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી – રસિકડાં.
પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી – રસિકડાં.
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી – રસિકડાં
એક પીડમાં બીજી ચ્હીડથી, જળશે જીવ અગનથી – રસિકડાં.
હતો દુખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી – રસિકડાં.
મુઓ હું ત્હમે પણ વળી મરશો, મુક્ત થશો જગતમાંથી – રસિકડાં.
હરિકૃપાથી મમ લેખ ચિત્રથી, જીવતો છઉં હું દમથી – રસિકડાં.
વીર સત્યને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી – રસિકડાં
જુદાઇ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી – રસિકડાં
મરણ પ્રેમીને ખચિત મોડું છે દુઃખ વધે જ રુદનથી – રસિકડાં
જગતનીમ છે જનમ મરણનો, દ્રઢ રહેજો હિંમતથી – રસિકડાં
મ્હને વિસારી રામ સમરજો, સુખી થશો તે લતથી – રસિકડાં

– કવિ નર્મદ

————

કવિ નર્મદની અન્ય રચનાઓ ટહુકો પર :

જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ
યા હોમ કરીને પડો – નર્મદ

પુરુષોત્તમ પર્વ 6 : મના (રે નયણાં ! મત વરસો..) – વેણીભાઇ પુરોહિત

વેણીભાઇ પુરોહિતનું એકદમ મજાનું ગીત.. અને મારા જેવા આંખોમાં હંમેશા વાદળ લઇને ફરતા લોકો માટે એકદમ સાચી સલાહ 🙂
અને કોઇ live program નું recording હોવાથી સંગીત પણ એકદમ ઓછું, ફક્ત થોડું હાર્મોનિયમ.. જે ખરેખર તો શબ્દો અને સ્વરને શ્રોતા સામે વધુ અસરકારક રીતે રજૂ કરે છે.

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

કે નયણાં !
મત વરસો, મત વરસો :
કે નયણાં !
વરસી ને શું કરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું:
તો દર્દીલાં ખારાં જલનું
કયાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો, ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથા ડૂબી મરશો.
રે નયણાં ! મત વરસો, મત વરસો.

કોઇ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઇને કરગરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

પુરુષોત્તમ પર્વ 5 : તેં પથ્થર પસંદ કેમ કર્યો ? – અવિનાશ વ્યાસ

‘એક ગરવા ગુજરાતી’ આ લેખમાં વીણાબેને અવિનાશ વ્યાસનું ગીત ‘તેં પથ્થર પસંદ કેમ કર્યો’ વિષે વાંચ્યુ, ત્યારથી જ આ ગીત સાંભળવાની ખૂબ ઇચ્છા હતી.. આ અઠવાડિયું આપણે જ્યારે પુરુષોત્તમ પર્વ મનાવીએ છીએ, ત્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય અને અવિનાશ વ્યાસનું નામ એકસાથે લીધા વગર ચાલે? બરાબર ૭ વર્ષ પહેલાનું – ઓગસ્ટ ૨૦, ૨૦૦૨ નું આ રેકોર્ડિંગ સાંભળીએ.. અવિનાશ વ્યાસની કલમે લખાયેલું અને સ્વરબધ્ધ થયેલું ગીત, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : અવિનાશ વ્યાસ

.

તેં પથ્થર પસંદ કેમ કર્યો?
અરે કે’ને ઓ કરુણાના સાગર,
અને કોણે જઇ પાષાણ ભર્યો?
તેં પથ્થર પસંદ કેમ કર્યો?

વાયુ વાદળ સૂરજ ચંદર
વ્યોમ ભોમ પાતાળની અંદર
હોય ભલે મસ્જિદ મંદર
સત્વ તત્વમાં તું જ નિરંતર

તો યે નિરાકાર આકાર ધરી
અરે ઠરી ઠરી પાષાણ ધર્યો

ભાવે સ્વભાવે નોખો ન્યારા
ફૂલને પથ્થર વચ્ચે
તો યે તારી સંગ સદંતર
ફૂલ ઉપરને તું અંદર

કદી ફૂલ ડૂબે પથ્થર નીચે
આ તો ફૂલ નીચે પાષાણ મર્યો

તો પથ્થરનું હૈયું ખોલીને
મંદિરભરની મૂર્તિ ડોલી
શીલાનો શણગાર સજી
અરે સર્જનહાર હસી ઉઠ્યો

સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

કે રામ બનીને માનવકુળમાં
જ્યારે હું જગમાં ઉતર્યો’તો
ત્યારે ચૌદ વરશના વનના વાસે
વન ઉપવન વિશે વિચર્યો

ત્યારે ચરણનીચે ફૂલ ઢગ જેને કચર્યો
એને આજે મેં મારે શિર ધર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

અને હરણ કરી મારી સીતાનું
જ્યારે રાવણ લંકાપાર ગયો
ત્યારે કામ ન આવ્યું કોઇ મને
આ પથ્થરથી પથ્થર ઉગર્યો

અને એક જ મારા રામનામથી
આ પથ્થર સાગરપાર તર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

– અવિનાશ વ્યાસ

પુરુષોત્તમ પર્વ ૪ : શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? – વિશનજી નાગડા

આજે કવિ-સ્વરકાર અને ગુજરાતી સંગીતમાં જેઓ હંમેશા ધબકતા રહેશે એવો વ્હાલા શ્રી અવિનાશ વ્યાસને એમની પુણ્યતિથિ એ હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!!

અખૂટ શ્રધ્ધાના પ્રતિક સમી શબરીની વાતને કવિએ અહીં ખૂબ જ અસરકારક રીતે રજુ કરી છે.. અને આ ચોટદાર શબ્દોમાં જાદુ રેડ્યો છે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સંગીતે..!!

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
એણે જીભે રાખ્યા’તા રામને !
એક પછી એક બોર ચાખવાનું
નામ લઇ અંદરથી ચાખ્યા’તા રામને,

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના
કાંટા જરૂર એને વાગ્યા હશે,
લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી,
એક એક બોરને લાગ્યા હશે.

આંગળીથી બોર એણે ચૂંટ્યા’તા ક્યાં?
લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને,
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને,
કેટલીયે વાર એણે તાકી હશે ?
રામરામ રાત દિ’ કરતાં રટણ,
ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?

હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?
ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને.
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

– વિશનજી નાગડા

પુરુષોત્તમ પર્વ 3 : વા વાયા ને વાદળ ઊમટ્યાં – નરસિંહ મહેતા

નરસિહ મહેતાનું આ ખૂબ જ જાણીતું કૃષ્ણગીત / વર્ષાગીત.. અને જ્યારથી રહેમાને ‘ગુરુ’ ફિલ્મના ‘બરસો રે મેઘા’ ગીતમાં આની પહેલી કડી લીધી, ત્યારથી તો કદાચ ગુજરાત બહાર પણ આ ગીત ઘણું જાણીતું થઇ ગયું હશે..!!

આમ પણ શ્રાવણ મહિનાના દિવસો.. અને જન્માષ્ટમી પણ હજુ હમણા જ ગઇ એટલે વાતાવરણ વાદળછાયું અને કૃષ્ણભર્યું હોવાનું જ. એટલે આ મઝાનું ગીત એવા જ મઝાના ‘પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે’ ના કંઠમાં સાંભળવાનું ગમશે ને?

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય – હંસા દવે

.

વા વાયા ને વાદળ ઊમટ્યાં,
ગોકુળમાં ટહુક્યા મોર,
મળવા આવો સુંદીરવર શામળિયા.

તમે મળવા તે ના’વો શા માટે
નહીં આવો તો નંદજીની આણ … મળવા.

તમે ગોકુળમાં ગોધન ચોરંતા,
તમે છો રે સદાના ચોર … મળવા.

તમે કાળી તે કામળી ઓઢંતા,
તમે ભરવાડના ભાણેજ … મળવા.

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા,
તમે ગોપીઓના ચિત્તના ચોર … મળવા.

મહેતા નરસિંહના સ્વામી શામળિયા,
એમને તેડી રમાડ્યા રાસ … મળવા.

– નરસિંહ મહેતા

(આભાર – સ્વર્ગારોહણ.કોમ)

પુરુષોત્તમ પર્વ ૨ :કન્યા વિદાય (સમી સાંજનો ઢોલ ઢબૂકતો) – અનિલ જોશી

અનિલ જોશીનું આ અમર ‘કન્યા વિદાય’ કાવ્ય. ગીતના શબ્દે-શબ્દે તો વ્હાલ અને કન્યા-વિદાયનું દર્દ નીતરે જ છે, અને પછી એ શબ્દોને પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વરાંકન અને સ્વર મળે ત્યારે? દીકરીને પરણાવી હોય કે પરણાવવાની હોય એવા દરેક પિતાને દીકરીઓ… , અને એવી દરેક દીકરીઓને પિતાને જઇ વળગી જવાની ઇચ્છા થઇ આવે…

(Picture : GangesIndia.com)

* * * * * * *

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

પૈંડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

-અનિલ જોશી