લયસ્તરો ‘યાદગાર ગુજરાતી ગઝલો’ ની શ્રેણીની શરૂઆત ધવલભાઇએ આ જ ગઝલથી કરી હતી..! અને એમની વાત પણ સાચી – સવાસો વર્ષ પહેલા લખાયેલી આ ગઝલની પ્રથમ પંક્તિ તો કહેવત જ બની ગઇ છે. તો માણીએ આ ગઝલના આજે પણ એટલા જ પ્રસ્તુત શબ્દો – મઝાના સ્વર-સ્વરાંકન સાથે!
સ્વર – સંગીત : ??
ગણ્યું જે પ્યારું પ્યારાએ....
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!
દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!
કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!
રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!
રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે.
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!
કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!
અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!
અહો શું પ્રેમમાં રાચે ? નહીં ત્યાં સત્ય પામે તું ?
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે.
લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.
વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.
રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !
અને સાથે માણો એમની એક રચના – એમના પોતાના સ્વરમાં..!!
મુસાફરીના વિઘન – અનિલ જોશી
(નદીમાં બરફના ટુકડા તરતા જોઈને પનિહારી ગાય છે.)
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
ડેલી ઉઘાડ…
મારું બેડું ઉતાર…
કાળ ચોઘડિયે સુધબુધ મેં ખોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા ને પાણીનો રજવાડી ઠાઠ
ઓણસાલ નદીયું નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મડાગાંઠ
મરચાં ને લીં બુ કોઈ નદીએ જઈ બાંધો
પાણીમાં હોય નહીં બખિયા કે સાંધો
ડાકલા બેસાડીને ભૂવા ધુણાવો કે પાણીને સીવી ગયું કોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું કાઢીને વદ્યા વાણી
જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી.
હવે નદીયુંની જાતરામાં નડતર બરફ
હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
તમે ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મેં ક્યાં જઈ ધોઈ ?
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
આજે જન્માષ્ટમી… સૌને કૃષ્ણજન્મની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!
આજ દિવસે ગુજરાતના લોકલાડીલા લોકગાયક શ્રી હેમુદાન ગઢવી – તા. ૨૦-૭-૬૫ની જન્માષ્ટમીએ, એમના કાનુડા પાસે એકાએક ચાલ્યા ગયા!!
તો આજે એમને શ્રધ્ધાંજલી સાથે માણીએ – એમના અવાજમાં થોડા કૃષ્ણગીતો..!!
સ્વર – હેમુદાન ગઢવી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસની સાથે આપણા વ્હાલા લાડીલા અને ગુજરાતી સંગીતને એક અનેરી ઉંચાઇ બક્ષનાર સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મદિવસ પણ. એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમના સ્વરમાં આ અદ્ભૂત પદ..!
આજે બધી બહેનોના વ્હાલકડા ભાઇઓ અને ભાઇઓની લાડકડી બહેનોને અમારા સર્વ તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!
આજની આ પોસ્ટ – કેતનભાઇ તરફથી..!
*******
રક્ષાબંધન એટલે કાચા સૂતરનાં તાંતણે બંધાયેલ ભાઈ-બહેનનાં હેતનું પર્વ!! આમ તો, રક્ષાબંધનની વાત નીકળે એટલે ઘણા ઉદાહરણો પુરાણો અથવા નજીકના ઇતિહાસમાંથી મળી આવે. જેમકે, કુંતાજીએ ચક્રવ્યૂહમાં જતા અભિમન્યુને રાખડી બાંધી હતી. પુરાણોમાં ઉલ્લેખ છે કે ઇન્દ્રાણીએ પણ હારેલ ઇન્દ્ર દૈત્યો પર વિજય મેળવી શેકે એ માટે રક્ષાબંધનનું વ્રત કર્યું હતું. લક્ષ્મીજીએ પણ બલિના હાથે રાખડી બાંધી ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. રાજપૂત રાણી કર્મવતીએ બાદશાહ હૂમાયુને રાખડી મોકલાવી ભાઈ બનાવ્યો હતો અને રાજ્યની રક્ષા કરી હતી.
…પણ આજે રક્ષાબંધનના દિવસે ચાલો જાણીએ એક આવી જ ભાઈ-બહેનનાં અદભૂત પ્રેમની ન ચર્ચાયેલી કથા –
———————————————————————————————-
ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા’ડિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં ગઢનો કાંગરો ય ખેરવી શક્યો નહીં. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રા’ નું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રા’ એ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું.
આમ, સોલંકીઓએ કપટથી રા’ડિયાસને મારી જૂનાગઢ હાથ કર્યું, જેથી રા’ની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. તેમાંની સોમલદે નામની રાણી મરતાં પહેલા પોતાનાં નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ. આ બાળક એ જ નવઘણ – રા’ ના કુળનો છેલ્લો વંશજ. પેલી વડારણ બાઈ જેમતેમ કરીને બાળ નવઘણને બોડીદર ગામના દેવાયત આહીર પાસે પહોંચાડે છે. દેવાયતને નવઘણની એ જ ઉંમરનાં બે સંતાન છે – દીકરો વાહણ અને દીકરી જાહલ. સોલંકીઓનો કેર હોવાં છતાં બહાદુર આહીર દંપતિ નવઘણને સ્વીકારે છે. હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરે છે. સમય પસાર થતો જાય છે. ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે. એવે વખતે કોઈ જાણભેદુ સોલંકીઓના થાણેદારના કાન ભંભેરે છે અને વાત છતી થાય છે. ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક-એકને પૂછે છે કે “સાચે જ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી. આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે, અને સૌનાં આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતાં કહે છે –
“મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી. પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.”
પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવઘણને તેડાવે છે. કાગળમાં લખે છે – “રા’ રાખીને વાત કરજે”.
“રા’ રાખીને વાત કરજે” – સોરઠી ભાષાના આ કોયડાને ગુજરાતનાં સોલંકીઓ પકડી ન શક્યા, પણ દેવાયતની પત્ની બધું જ સમજી ગઈ. હૈયા પર પથ્થર મૂકીને એણે પેટના દીકરા વાહણને તૈયાર કરીને મોકલ્યો. નાનકડા વાહણને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો. ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી. મર્યો છે એ નવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા, તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી રા’ ના કુળદીપકને જલતો રાખ્યો!
વરસો વીત્યાં. જાહલ અને નવઘણ યુવાન થયાં. વૃદ્ધ થયેલાં દેવાયતે દીકરી જાહલનાં લગ્ન લીધાં. નવઘણને પણ તમામ હકીકતથી વાકેફ કર્યો. તમામ આહીરોને દેવાયતે ભેગા કર્યા અને જૂનાગઢ પર ચડાઈ કરી. સોલંકીરાજનું પતન થયુ અને રા’નવઘણ જૂનાગઢની ગાદીએ બેઠો. ધામધૂમથી બહેન જાહલને પરણાવી. નવઘણે બહેનને માંગવા કહ્યું ત્યારે જાહલે એટલું જ કહ્યું કે “સમય આવ્યે કાપડું માગી લઈશ.”
સમય પસાર થતો જાય છે. કાઠિયાવાડમાં કારમો દુકાળ પડે છે. જાહલ પોતાના પતિ સાથે સ્થળાંતર કરીને સિંધ પ્રાંત તરફ જાય છે. સિંધનો સૂબો હમીર સૂમરો એકવાર જાહલને જોઈ જાય છે. એના રૂપ પર મોહી પડે છે અને તેને તાબે થવાનો આદેશ કરે છે. લાચાર જાહલ ૩ મહિનાનો સમય માંગી લઈને તરત પોતાના ભાઈ રા’નવઘણ પર ચિઠ્ઠી લખી પતિને જૂનાગઢ દોડાવે છે. રાજકાજમાં ડૂબેલ નવઘણને બહેન ક્યાં છે એનો ખ્યાલ નથી. લાંબા રઝળપાટને અંતે તે જૂનાગઢ રાજમહેલમાં પહોંચી કાગળ રા’નવઘણને વંચાવે છે. કાઠિયાવાડનાં ઇતિહાસમાં આ કાગળ “જાહલની ચિઠ્ઠી” તરીકે પ્રખ્યાત છે.
ફિલ્મ “રા’નવઘણ (૧૯૭૬)” માંથી લીધેલ આ પ્રસંગનું ચિત્રાંકન અહીં જોઈ શકાશે..
સિંધ મહિપ દુઃશાસન કેરી મુજ પર મીટ મંડાઈ,
પાંચાળી જેમ આજ પુકારું ચીર પૂરો જદુરાઈ
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
નવઘણ મારા એ બદલાને ભૂલી જજે ભલે ભાઈ,
જે ધરતીમાં જનમ્યા એના, સગપણ નો વિસરાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
સાબદો થા વીર વાત સુણી, મારા જુગ સમા દિન જાય,
અવધિ વિત્યા પછી કાપડું તારું, બેનનું ખાપણ થાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
આશા ભોંસલેએ ગીતને કંઠ આપ્યો છે. શ્રીઅવિનાશ વ્યાસે હ્રદયદ્રાવક શબ્દોથી ગીતને શણગાર્યું છે. ગીતમાં જાહલ નવઘણને બાળપણમાં સાથે ઉછર્યા, રમ્યાં, મીઠા ઝઘડા કર્યા તેની યાદ અપાવે છે. લગ્નમંડપમાં આપેલ કાપડાનું વચન યાદ અપાવે છે અને સમયસર સિંધ પહોંચવા તાકીદ કરે છે.
પછીની વાત ટૂકાણમાં જોઈએ તો – બહેનનાં કાગળથી રા’નું હૈયું ભીંજાય છે. તે ફોજને સાબદી કરી સિંધ પર ચડાઈ કરે છે. જૂનાગઢથી સિધ (હાલ પાકિસ્તાનમાં) તરફ જમીનમાર્ગે કૂચ કરવામાં ઘણો જ સમય લાગે તેમ છે કારણકે વચ્ચે દરિયો છે. કાંઠે-કાંઠે ચાલીને સિંધ સુધી પહોંચે ત્યાં સુધી બહેન જાહલને મળેલ અવધિનો સમય ચૂકી જવાય તેમ છે. આ વખતે માતાજીની કૃપાથી આખી સેનાને દરિયો મારગ આપે છે અને સમયસર સિંધ પહોંચી રા’નવઘણ બહેન જાહલને છોડાવે છે.
સાંભળો એ બધા ગીતો કાન સુધી તો પહોંચે… એમાંથી કેટલાક મન સુધી – હ્રદય સુધી જાય..! પણ આ એક ગીત સાંભળો ત્યારે જાણે કાનનું અસ્તિત્વ જ નથી જણાતું..! સ્વર સીધો હ્રદયના ખૂણે ખૂણે પ્રસરી જાય.. અમુક ગીતો એવા હોય કે એના પર નિબંધ લખી શકાય.. અને છતાંયે એક વાર સાંભળો પછી એને બીજી કોઇ વાત કહેવાની જરૂર જ ના પડે.
આ ગીતના શબ્દો, સ્વર અને સંગીત – ભેગા મળીને એવો જાદુ રચે છે કે… તમે જાતે જ સાંભળી લો! હું તો બસ એટલું કહીશ કે – એક અનોખી દુનિયાની સફર માટે તૈયાર થઇ જાવ.
સ્વર – આલાપ દેસાઇ
સ્વરાંકન – ઉદયન મારૂ
આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…
મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાઇ
ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે
ગેરૂવા તે રંગનો વૈરાગ
ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ
કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…
રણને ત્યજીને એક નિસરે રે શગ
એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…