આજે વ્હાલા કવિ શ્રી હરીન્દ્ર દવેના શબ્દો મઢ્યું આ કૃષ્ણગીત… ઝરણા વ્યાસના મીઠા અવાજમાં અને ઉદયનભાઇનું એટલું જ મઝાનું સ્વરાંકન..!!
સ્વર – ઝરણા વ્યાસ
સંગીત – ઉદ્દયન મારુ
અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.
દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.
કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?
રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે
ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?
– હરીન્દ્ર દવે
(શબ્દો માટે આભાર- અક્ષરનાદ.કોમ)


