Category Archives: કાવ્યપ્રકાર

યાદ – રમેશ પારેખ

મારા જ ઘરમાં આવે મને મારા ઘરની યાદ
આવે ને આમ કોઇને કારણ વગરની યાદ

બાઝી ગયાં છે નકશાનાં જાળાંઓ આંખમાં
સચવાઇ રહી છે આમ તમારા નગરની યાદ

ચીલા મૂકી ગયાં તમે મારા વિચારમાં
તમને નથી હવે એ તમારી સફરની યાદ

ખરતી રહે છે આંગળી અક્ષર ક્ષણે ક્ષણે
આવે છે ટેરવાંને કઇ પાનખરની યાદ

શબ્દોમાં તરતી સાંજનું ખાલીપણું જુઓ:
આવે છે કોઇ દીવા વગરના ઝુમ્મરની યાદ ?

મુક્તક – એસ.એસ.રાહી

haran

કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?
કિંતુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે,
નહીં તો આ દોડતુ હરણ ઉભું રહે નહીં,
મૃગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે.

H हम करें राष्ट आराधन

થોડા દિવસો પહેલા Internet પર ફરતા ફરતા આ ગીત મળી ગયું. માહિતી પરથી ખબર પડી કે દુરદર્શન પર આવેલી પ્રસિધ્ધ ‘ચાણક્ય’ શ્રેણીમાં આ ગીત છે. ( મને ચાણક્ય જોયાનું થોડુ થોડુ યાદ છે, પણ ખૂબ નાની હતી, એટલે આ ગીત તો યાદ નથી આવતું )

આજે પ્રજાસત્તાક દિન. – 26મી જાન્યુઆરી. આપણને રાષ્ટ્રભાવના યાદ કરાવતું આ ગીત ઓડિયો અને વિડિયો બંનેમાં મુક્યું છે. અને એક શબ્દો, એક રાગ હોવા છતાં આ બંને ગીતો અલગ અલગ છે.

સ્વર અને સંગીત : આશિત દેસાઇ

ફક્ત ઓડિયો સાંભળો :

हम करें राष्ट आराधन

हम करें राष्ट आराधन
तन से मन से धन से
तन मन धन जीवनसे
हम करें राष्ट आराधन………………।।…धृ

अन्तर से मुख से कृती से
निश्र्चल हो निर्मल मति से
श्रध्धा से मस्तक नत से
हम करें राष्ट अभिवादन…………………। १

अपने हंसते शैशव से
अपने खिलते यौवन से
प्रौढता पूर्ण जीवन से
हम करें राष्ट का अर्चन……………………।२

अपने अतीत को पढकर
अपना ईतिहास उलटकर
अपना भवितव्य समझकर
हम करें राष्ट का चिंतन…।………………।३

है याद हमें युग युग की जलती अनेक घटनायें
जो मां के सेवा पथ पर आई बनकर विपदायें
हमने अभिषेक किया था जननी का अरिशोणित से
हमने शृंगार किया था माता का अरिमुंडो से

हमने ही ऊसे दिया था सांस्कृतिक उच्च सिंहासन
मां जिस पर बैठी सुख से करती थी जग का शासन
अब काल चक्र की गति से वह टूट गया सिंहासन
अपना तन मन धन देकर हम करें पुन: संस्थापन………………।४

કવિતા ! – કલાપી

આજે 26મી જાન્યુઆરી, અમર કવિશ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’નો જન્મદિવસ. વિવેકભાઇના શબ્દોમાં ‘જેની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે’, એ કવિ પોતાની કવિતા વિષે કંઇક આવું કહે છે.

કવિતા ! મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. મને મારી કવિતા પણ એવી જ છે. હું જે કંઇ લખું તે મને આનંદ જ આપી શકે તેવુંયે નથી. હું શેલી કે શેક્સપિયર વાંચતો હોઉં છું ત્યારે ઘણી વખત મન થઇ જાય છે જાણે મારી કવિતાને, એ કાગળોને બાળી નાખું.

( તા. 14-1-1898નો પત્ર : ‘કલાપીના 144 પત્રો’ પુસ્તક )

અને સાથે જ વાંચો એમની જીવનઝાંખી, અને એમની બીજી રચનાઓ :

એક વેલીને..
ભોળાં પ્રેમી
ફુલ વીણ સખે!
કવિ કલાપીની પુણ્યતિથિ પર….
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં
એક ઘા
ક્લાપી – રખોપીઆને
કલાપીનાં સંસ્મરણો
કલાપીનો કેકારવ – 1
કલાપીનો કેકારવ – 2

ઝાકળ થયા પછી – રઇશ મનીઆર

ઉમટ્યો ગઝલના ગામમાં વાદળ થયા પછી,
જાઉં તો પાછો જાઉં હવે જળ થયા પછી.

એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે,
આવ્યો મને એ ખ્યાલ ઉતાવળ થયા પછી.

મારી જ સૌ અંધારી ગુફાઓ ને કંદરા,
દેખાવા માંડી ખુદ મને ઝળહળ થયા પછી.

વિહવળતા જીરવી શકું એ બળ મને મળે,
હા, સ્વસ્થ થઇ શકાય છે વિહવળ થયા પછી.

વિસ્તાર પામશે તું સમેટાઇ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.

એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઇશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.

પ્રેમના ટહુકાઓ – દિલીપ પરીખ

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને,

તારા વિના અહીં તો ધૂમ્મસ છે બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને.

અકળાઇ જાઉં એવા અબોલા ના રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને,

તું આવશે નહિ એ હું જાણું છું, તે છતાં,
તું આવવાના ખોટા ઇરાદાઓ લખ મને !

કોઇ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારા હાથે દિલાસા લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
કયાં ક્યાં પડયા છે તારાં એ પગલાં લખ મને !

(મુકતક સમજીને લખેલી પહેલી બે પંક્તિઓ પરથી બાકીની પંક્તિઓ શોધી આપવામાટે આભાર, ઊર્મિ.)

સાંવરિયા.. – સુધીર પટેલ.

ocean

બતાઓ મળે કઇ ગલી સાંવરિયા ?
અમે જોઇ આવ્યાં બધી ગુજરિયા.

વહાવું કહો કેટલાં ઝળઝળિયાં ?
ભરાઇ ગયાં છે અહીં સૌ દરિયા !

ધરી ધૈર્ય ઊભા છીએ બસ યુગોથી,
કહે અમને દુનિયા ભલે બાંવરિયા.

દઇ દો બહેરાશ ઘોંઘાટથી આ,
ફરીથી સંભળાવો તમે બાંસુરિયા !

જવું કેટલું એના ઊંડાણમાં પણ ?
જો દેખાઇ ગયા છે ભીતરના તળિયા !

તમસ તોયે ઘેરી વળે છે ફરીને,
અમે વાટના અંત લગ ઝળહળિયા.

અમે તોયે એના જ થૈ રહેશું ‘સુધીર’,
છબિલા કહો કે કહોને છલિયા.

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો …. – કવિ દાદ

કવિ દાદનું કન્યાવિદાયનું આ ગીત. તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !!

સ્વર અને સંગીત : ઇસ્માઈલ વાલેરા

Red_mandap3

.

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

આવું કેમ ?

292220568_4af1e845d3

લાગણી મારી,
જે અનુભવું છું એ દર્દ મારું.
આંખો મારી,
અને જેના તૂટવાનો કોઇ અફસોસ નથી
એ શમણું પણ મારું.
અને છતાંય
જો આજે મારે રડવું છે –
તો કેમ મને
ખોટ સાલે છે
તારા ખભાની ?

– જયશ્રી