થોડા દિવસ પહેલા ઉર્વિશ વસાવડાની ગઝલ – વૃક્ષ પડે છે ત્યારે... વાંચી હતી એ યાદ છે ને? તો એના જ અનુસંધાનમાં આજની આ ગઝલ.. કવિ મુકેશ જોષીની કલમને દાદ આપવાનું મન થાય એવી ગઝલ… વૃક્ષ પડે ત્યારે શું થાય એ તો ઉર્વિશભાઇની ગઝલ કહે છે.. પરંતુ એ વૃક્ષ જ્યારે કોઇ માનવીની કુહાડીને લીધે પડે ત્યારે?
ચલો આપણે જઇએ કવિ સાથે… ઝાડની ખબર કાઢવા..!!
સ્વર : કવિ મુકેશ જોષી
(એક કુહાડી ક્યાંક ઊઠી છે…. Sequoia National Park, CA – Sept 08)
* * * * * * *
.
કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી’તી
એ પંખીની હામ ખુટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
ડાળ તૂટી ને કેટકેટલા પંખીઓના ઘર તૂટી ગયાં
કોકે શી મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
ઝાડ કુહાડી લાયક હો તો માણસ શેને લાયક ?
તરણાઓમાં વાત ફૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
– મુકેશ જોષી







