Category Archives: કાવ્યપ્રકાર

સમ તને – ઊર્મિ

રોજ ઝરમર ઝાર ઝરતાં આંસુઓના સમ તને,
ધીરતાં જ્યાં થઈ અધીરી- એ પળોના સમ તને.

આગમનની અમથી અમથી અટકળોના સમ તને,
ને નિરંતર વાટ જોતા પગરવોનાં સમ તને.

મેઘની માફક તું અઢળક આવ ને પડ ધોધમાર,
કોરી કોરી આવતી આ વાછટોના સમ તને.

તું અમસ્તાં વેણ આપીને હવે ભરમાવ નહીં,
છે, છલોછલ છળથી છળતાં મૃગજળોના સમ તને.

તું મને બોલાવે પણ નહીં ને વળી આવેય નહીં ?!
જો, બહાનાં કાઢ નહીં… છે કારણોનાં સમ તને !

હાથમાં મારા હવે હૈયું નથી રહેતું, સખા !
ધબ ધબક ધબધબ ધડકતી ધડકનોના સમ તને.

કોઈ પણ રીતે પ્રણયની રાખજે તું આબરૂ,
ઊર્મિના સાગરમાં ઊઠતી ભરતીઓના સમ તને.

-’ઊર્મિ’ (મે ૨૦૦૯)

જાગને જાદવા… – નરસિંહ મહેતા

દરેક ગુજરાતીને હોઠે ને હૈયે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા સાંભળવા માટે આમ તો સમય જોવાનો હોતો નથી..! તો ચલો, સાંભળો આ અમર રચના આજે ફરી એક સ્વરમાં.

સ્વર – અભરામ ભગત


____________________
Posted on April 26, 2007

અત્યારે ભલે તમારે ક્યાં કોઇ પણ સમય હોય, પણ શક્ય હોય તો આ પ્રભાતિયા વહેલી પરોઢે જરૂર સાંભળજો.. આમ તો પ્રભાતિયા કોઇ પણ અવાજમાં અને કોઇ પણ સમયે સાંભળવા ગમતા જ હોય છે, પણ જેનું નામ જ ‘પ્રભાતિયા’ છે, એને પ્રભાતે તો સાંભળવા જ પડે ને !! 🙂

અને આ સૌથી પહેલું જે ગીત મુક્યું છે, એમાં પ્રફુલ દવેના સ્વરની સાથે સાથે જ પંખીઓનો કલરવ, મંદિરનો ઘંટનાદ, ગાયના ભાંભરવાનો અવાજ, અને કુકડો બોલે એ બધા અવાજ એવા સરસ રીતે વણી લીધા છે કે જો તમે ગામડાની સવારની મજા માણી હોય, તો એ જરૂર યાદ આવી જ જાય.
young_krishna_PZ20_l

સ્વર : પ્રફુલ દવે

.

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

————————————–
ફરમાઇશ કરનાર મિત્ર : વસંત

( આભાર : સ્વર્ગારોહણ )

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે – અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદીની આ મનગમતી ગઝલ – ફરી એકવાર… એક તરોતાજા સ્વરાંકન સાથે

સ્વર – સંગીત – શૌનક પંડ્યા

Posted on October 23, 2010

અંકિત ત્રિવેદીની આ મને ખૂબ જ ગમતી ગઝલ.. આજે ફરી એક વાર – એમના પોતાના અવાજમાં પઠન સાથે..!

*********

ગઝલ પઠન: અંકિત ત્રિવેદી

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…

સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં…

તું મથામણો કરી ગઝલ લખી તો જો !
હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…

વાંક મારો નથી – ગની દહીંવાલા

દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી;
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી.

થૈને સાગર રહે દૂર આરાથી તું,જોઈ
બિન્દુને વેગળું રાખે ધારાથી તું;
એથી આગળ વધી કહું તો મારાથી તું –
બેફિકર હોય તો વાંક મારો નથી.

એક આવાસ. જે હરઘડી શોકમય,
ઊર્મિ-અભિલાષ સેવી રહ્યા એમાં ભય,
હાય બરબાદ જે થૈ ગયું એ હૃદય,
તારું ઘર હોય તો વાંક મારો નથી.

હું તો પાગલ ગણાયો સદાનો, પ્રભુ !
પણ વિચારું છું એકાંતે છાનો, પ્રભુ !
હું મુસાફર અને આ જમાનો, પ્રભુ !
રાહબર હોય તો વાંક મારો નથી.

કોઈનું હું બૂરું ચાહું, મારું થજો !
મારા દિલની વ્યથા કોટિ દિલમાં હજો;
મેં જગતને વહેંચ્યું છે એ દર્દ જો
શ્રેયકર હોય તો વાંક મારો નથી.

એક તણખો ઝગે છે ‘ગની’ અંતરે,
લોક અવળો ભલે અર્થ એનો કરે,
કોઈની નેહ-તરબોળ મારા પરે
જો નજર હોય તો વાંક મારો નથી.

-ગની દહીંવાલા

મુક્તક – આદિલ મન્સૂરી

ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ?
ને શબ્દના વ્હેવારની વાત જ ક્યાં છે ?
છે મિત્રના જેવો જ અનુભવ ‘આદિલ’
આ અર્થના વ્યાપારની વાત જ ક્યાં છે ?

– આદિલ મન્સૂરી

હોય ભલે ને લાખ કુટેવો – મકરંદ મૂસળે

કવિ શ્રી સુરેશ દલાલનું એક ગીત છે –

ખુણા ખાંચા હોય છતાંયે,
માણસ એતો મન મૂકીને ગીત ગઝલમાં ગાવા જેવો.
માણસ અંતે ચાહવા જેવો.

અને એનું શ્યામલ-સૌમિલ મુન્શીએ એકદમ મઝાનું સ્વરાંકન પણ કર્યું છે – એ પણ ચોક્કસ સંભળાવીશ..! પણ આજે સાંભળો વડોદરાના શાયર શ્રી મકરંદ મૂસળેની આ શાનદાર ગઝલનું વડોદરાના જ સ્વરકાર રાહુલ રાનડે એ કરેલું જાનદાર સ્વરાંકન.

સ્વર & સ્વરાંકન -રાહુલ રાનડે

હોય ભલે ને લાખ કુટેવો,
માણસ તોએ મળવા જેવો.

સૌ પૂછે છે સારું છે એને,
સાચો ઉત્તર કોને દેવો?

આપ ભલે ને હોવ ગમે તે,
હુંય નથી કંઈ જેવો તેવો.

દર્પણને ઘડપણ આવ્યું છે,
હું તો છું એવો ને એવો.

બાળક ખાલી આંખ મિલાવે,
ત્યાં જ મને છૂટે પરસેવો.

– મકરંદ મૂસળે

જૂઠી ઝાકળની પિછોડી – બાલમુકુન્દ દવે

જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા ! શીદ રે જાણીને તમે ઓઢી ?
સોડ રે તાણીને મનવા ! સૂવા જ્યાં જાશો ત્યાં તો –
શ્વાસને સેજારે જાશે ઊડી!
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવામાં –
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મોરલાને પાછા રે વાળો વીરા !
સાચાં સરવરિયે દ્યો ને જોડી.
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા !
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરા જી !
ચૂની ચૂની લેજો એને તોડી !
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

એવું રે પોઢો મનવા ! એવું રે ઓઢો મનવા !
થીર કે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા ! એવા જી ઊંઘવા કે –
કોઈ નો શકે સુરતા તોડી,
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !

-બાલમુકુન્દ દવે

અડધી રમતથી… (એક ઝલક)

ક્યાંથી મેળવશો આ ઑડિયો CD તથા પુસ્તકો – શબ્દો છે શ્વાસ મારા (ગઝલ સંગ્રહ) અને ગરમાળો (કાવ્યસંગ્રહ)?

ફાગણ – મનોજ શુક્લ

Photo from : http://www.cs.columbia.edu
Photo from : http://3.bp.blogspot.com

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કળી કનેથી કેસુડાની કુંજન શીખી કોયલ છૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.

ગાન સુણીને કોયલનું
ભમરો જૈ ભુલતો ભાન અને,
તે બેઉની પાછળ ઘોડાપૂર
વછૂટે ફોરમ રે !
તે ધસમસતા વ્હેણ મહીં તરબોળ દિશાને કલરવ ફૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.

પતંગિયાઓ ગુલમહોરને
પાંખે લઇને વનમાં ફરતાં,
ગરમાળાનાં ફૂલ ગીતની
ગલી ગલીમાં ફેરી કરતાં,
ભમરાનાં જૈ કાને પીટતાં ભેદભરમનાં ઢોલ તૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.

– મનોજ શુક્લ

હઝલ(રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે) – ડૉ.રઈશ મનીઆર

આજે આપણે રઈશભાઈ સાથે હસીને થોડા હળવા થઈ જઈએ. 🙂 પ્રસ્તુત છે રઈશભાઈની એક હઝલ…એમનાં એક પ્રોગ્રામમાં લીધેલી વિડીયોની એક ઝલક.

(વિડીયો: ઊર્મિ… 6 સપ્ટેમ્બર 2007)

રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે,
ગોલ્ફના મેદાનમાં બિલિયર્ડ રમવા જાય છે.

હું કદી એને શિખામણ કે સલાહ આપું નહીં,
કે વધુ બગડે છે એ જ્યારે સુધરવા જાય છે.

ત્રણ વેળા એક પિક્ચર એ જૂએ છે મોજથી,
જાય છે ચોથી વખત ત્યારે સમજવા જાય છે.

આમ ઝઘડાળુ નથી પણ ખાય છે દરરોજ માર,
બે જણા ઝઘડે છે ત્યારે વચ્ચે પડવા જાય છે.

એ રહે મૂડલેશ એ સાહિત્ય જગનાં હિતમાં છે,
મૂડમાં આવે છે ત્યારે કાવ્ય લખવા જાય છે.

પ્રેમ પ્રાણીમાત્ર પર છે એને એ દર્શાવવા,
શાંત સૂતા આખલાને એ અડકવા જાય છે.

-ડૉ.રઈશ મનીઆર

આ પ્રોગ્રામમાં પ્રસ્તુત થયેલી બીજી બે હઝલો પણ રઈશભાઈનાં મુખે જ અહીં માણો.