૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮ માં મુકેલું કવિ સંદીપ ભાટિયાનું આ ગીત વધારે સારુ રેકોર્ડિંગ સાથે ફરી એક વાર….સ્વર સંગીત આશિત દેસાઇ….
21મી સપ્ટેમ્બર આપણા વ્હાલા કવિ જગદીશ જોષીની પુણ્યતિથી. તમને ખબર છે, આ સંદીપ ભાટિયાના ગીતમાં કવિ જગદીશ જોષીને કેમ યાદ કર્યા? કારણ એ કે – ખરેખર તો આ ગીત કવિ જગદીશ જોષીના મુત્યુપ્રસંગે લખાયું હતું. સાંભળતા જ અચાનક વિખુટા પડેલા સ્વજન યાદ આવી જાય…..

સ્વર અને સંગીત : આશિત દેસાઇ
(સ્ટ્યૂડિઓ રેકોર્ડિંગ)
(ખાનગી બેઠકનું સાધારણ રેકોર્ડિંગ)
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.
હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.
સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.
– સંદીપ ભાટિયા




