Category Archives: કવિઓ

જિંદગી – વેણીભાઇ પુરોહિત

લગભગ 4 મહિના પહેલા ટહુકો પર આ ગઝલ રજુ કરી હતી, ત્યારે ખબર ન હતી કે બીજા પણ 4 શેર છે એમાં. આજે માણો આ સુંદર ગઝલ સંપૂર્ણ સ્વરૂપે. જો કે ગઝલ એવી સરસ છે કે ફરી ફરી વાંચવી ગમશે જ.

જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી
ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

જોઇ લેવું આપણે, જોનારને પણ છૂટ છે
આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી

ભાનભૂલી વેદનાઓ વલૂરી નાખવી
જ્વાલા ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી

જામમાં રેડાય તેને પી જવાનું હોય છે
ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી

કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું
થોડુંક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી

ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન
જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી

એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઇ
ફૂંક સૂરીલી અને બંસી બેસૂરી રાખવી

બાજ થઇને ઘૂમવું અંદાજની ઊંચાઇ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી

————————–
* દડમજલ – અટક્યા વગરની સફર,
* ફિતૂરી – બળવાખોર,
* ઘૂરી = એકાએક વિચાર આવતાં આવતો આવેશ કે ઊભરો, એવો જુસ્સો કે ઉત્સાહ. ઉધામો, તરંગ
* તાસીર = ખાસિયત, ટેવ, સ્વભાવ

મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત – ગૌરાંગ દિવેટિયા

ઘણીવાર વાચકમિત્રો તરફથી એટલા મીઠા પ્રતિભાવો મળે છે….થોડા દિવસો પહેલા રીષભગ્રુપના ગરબાની રેડિયો પોસ્ટ પર આવો જ કંઇ પ્રતિભાવ આવ્યો.

…૧૦૦ ટકા ડાયાબીટિસ થવાની શકયતા !!!! ટહુકો માના કેટલાય ગીતો ઘણા મીઠા છે, પણ આ તો જાણે સીધ્ધે-સીધ્ધી ચાસણી. રીષભ ગ્રુપ ગરબા ના વીશે સાંભળ્યુ હતું, પણ i cannot think why i missed listening to these garbas all this time….!

આમ તો એમના બધા જ ગીતો સાંભળવા ગમે છે, પણ નિશા ઉપાધ્યાયના સુમધુર સ્વરમાં આ ગીત તો બસ સાંભળ્યા જ કરવાની ઇચ્છા થાય… ગીતની શરૂઆત જ કેટલી સરસ… વણખુલ્યા હોઠની વાત…. એમ પણ, આપણે ક્યાં બધી વાતો કહી શકીયે છીએ..!! સાથે સાથે , વણગાયા ગીતનો ટહુકો, મુંગા પારેવાનો છાનો ફફડાટ, જેવા શબ્દો લાગણીની તીવ્રતા ખૂબ સચોટ રીતે પ્રદર્શિત કરે છે.

સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : રીષભ Group


.

મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,
મારા થંભ્યા હિંડોળાને ઝૂલવું રળિયાત

ફૂલોના આંસુઓ લૂછે પતંગિયા
ભમરા તો રસમાં ચકચૂર;
પાંપણના ઝાકળને સૂરજની ઝંખના
ને આંખો તો સ્વપ્ને ભરપૂર

મારે વણખીલી કળીઓની કરવી છે વાત
મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,

રાધાની વેદનાનાં જંગલ ઊગ્યાં
ને એમાં રઝળે છે મોરલી ના સૂર,
આંખ અને આંસુને ઝીણો સંબંધ
કે કોઇ પાસે નથી ને નથી દૂર.

મારે મનગમતા સગપણની કરવી છે વાત
મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,

મૂંગા પારેવડાનો છાનો ફફડાટ
અહીં જગવે છે કેવું તોફાન!
વણગાયા ગીતનો ટહુકો ઊડે
અને ભૂલું છે કહાન સાનભાન !

હું તો ઘેનમાં ડૂબું અને વીતે છે રાત
મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત,

તો સાંભળું… – સુરેન ઠક્કર ‘મેહુલ’

farnm

એક તારો સ્વર મળે તો સાંભળું,
ક્યાંય પણ ઇશ્વર મળે તો સાંભળું.

કોસનો કલવર ને તારું ટહૂકવું,
આપણું ખેતર મળે તો સાંભળું.

પાતળી રેખા સમજની છે છતાં,
મર્મના અક્ષર મળે તો સાંભળું.

સાદ ગોરંભાય છે શમણા રૂપે,
પાછલી ઉમ્મર મળે તો સાંભળું.

એક વિતેલા સમયની વારતા
નાનું સરખું ઘર મળે તો સાંભળું.

સુણ સાજન એક ગીત સુણાવું – અવિનાશ વ્યાસ

વરસાદની મોસમ એ સ્નેહીજનો માટે વ્હાલ અને વ્યથાનો તીવ્ર અનુભવ કરવાનો સમય! સ્નેહીજન સાથે એકાકાર થવા અસ્તિત્વની દિવાલો જાણે તૂટવા મથતી હોય એવું લાગે. આકાશ અને ધરતીને એકાકાર કરતા વરસાદને જોઇને પ્રિયતમાને લાગે છે કે હું પણ મારા રસિયામાં ભીંજાઈને ઓગળી જાઉં.

મીરાંની સમક્ષ અગર કૃષ્ણ ઉપસ્થિત થય તો મીરાં એમનું પૂજન કેવી રીતના કરે? મીરાં ઉષઃકાળનું કંકુ અને સન્ધ્યાનું કેસર લે, બ્રહ્માંડની થાળીમાં સૂર્યના દીવાને પ્રગટાવી આરતી કરે, પહેલા વરસાદની માટીની સોડમની અગરબત્તી કરે, મેઘનાદનો ઘંટનાદ કરે અને આકાશી વીજળીની લાઈટોની સીરીઝ મૂકે, સાગરનું મંદમંદ સંગીત લહેરાવે અને પંચમહાભૂતોનો પ્રસાદ કરી મીરાં કૃષ્ણમાં સમર્પિત થાય- આવું એક કલ્પનાચિત્ર નજર સમક્ષ ખડું થાય છે. આપણે મીરાં નથી, અને કૃષ્ણને હજુ પામ્યા નથી…પણ આજે તો આ વરસાદ છે અને મારો સાંવરિયો છે! તો હૈયાના દરબારમાં જેનો રાજ્યાભિષેક થયો છે એવા મારા સજના માટે આજે હું શું કરું? વ્હાલમના ગીત માટે તો સૃષ્ટિમાંથી શ્રેષ્ઠ જ લાવવું પડે, અને એટલે જ એ ઘેલી કોયલના સૂરને અને મોરના ટહુકાથી પોતાનો સૂર સજાવે છે, મેઘધનુષના મેઘનાદનું ઝાંઝર પહેરે છે, જીવને જંતર બનાવી ગૂંજી ઊઠે છે, અને ત્યાં સુધી કે આ પ્રીતનો પાવો છોડી ખુદ રસિયાને જ પી જઈને તનમન પ્યાસ બુઝાવે છે!

કવિઃ અવિનાશ વ્યાસ…….ગાયકઃ મૃદુલા પરીખ

.

સુણ સાજન એક ગીત સુણાવું
મન-વીણાના તાર મીલાવે, હૈયું આજ સજાવું.
કાનનની કોયલના સૂરને મુજ કંઠે હું વસાવું, મોર ટહૂકતો વન ઉપવનમાં મુજ કંઠે ટહૂકાવું,
રીમઝીમ સૂર વરસાવું….સુણ સાજન એક ગીત સુણાવું.
રીમઝીમ વર્ષાના વાદળમાં માદલને ગરજાવી, મેઘધનુષના મેઘનાદથી સૂરમંડળ સરજાવી,
નૂપુરનાદ જગાવું…..સુણ સાજન એક ગીત સુણાવું.
જંતર જીવનું દિનની ધડકન એવો બાજ બજાવું, પ્રીતનો પાવો છોડી મારા રસિયાને પી જાવું!!
તનમન પ્યાસ બુઝાવું…..સુણ સાજન એક ગીત સુણાવું.

જો પ્રત કદી ખૂટી પડે પ્રેમની – હિતેન આનંદપરા

બેસી નિરાંતે બે ઘડી પૃથક્કરણ કરતા રહો;
જે પણ મળે સારું સતત એને ગ્રહણ કરતા રહો.

એ ભ્રમ કદી ના પાળવો , આકાશ અહીંથી અહીં સુધી,
ક્ષિતિજ કંઈ સીમા નથી જો વિસ્તરણ કરતા રહો.

જેની ઉપર ના હક હતો, ના છે ન બનાવાનો કદી,
મનમાં નિરંતર એ જ વ્યક્તિનું સ્મરણ કરતા રહો.

આ પ્રેમ નામે ગ્રંથોનો ફેલાવો વધવો જોઈએ,
જો પ્રત કદી ખૂટી પડે તો સંસ્કરણ કરતા રહો.

આ પિંડ ફરતે રક્ત-અસ્થિ પર ત્વચા, પર વસ્ત્ર છે,
અહીંયા તો પહેલેથી રૂઢી છે આવરણ કરતા રહો.

એ નામ લખવાનું અગર મુમકિન નથી તો કંઈ નહીં,
ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો.

માઇલોના માઇલો મારી અંદર – ઉમાશંકર જોશી

કવિ શ્રી ઉમાશંકર જોશી ( જન્મ : તા 21 જુલાઇ, 1911 )

માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં, શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.

જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, આંગણા ઓકળી-લીંપેલા
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયા કરે….

વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયા કરે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બધ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા કવાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી, પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીંધા કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો,
ધરતીની દ્યુતિ – અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો,
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.

હે….રંગલો – અવિનાશ વ્યાસ

આજનો દિવસ ગુજરાતી કાવ્ય અને સંગીતજગત માટે ખરેખર મહત્વનો ગણાય. આજે કવિશ્રી ઉમાશંકર જોષી અને સંગીતકાર-કવિશ્રી અવિનાશ વ્યાસનો જન્મદિવસ. ( તા. 21 જુલાઇ, 1911 )

તમે તો ગુજરાતી કવિતાની સાથે સાથે સંગીતમાં પણ રસ ધરાવતા હોય, તો પુરુષોત્તમ ઉપાધ્યાય – ચંદુ મટ્ટાણી દ્વારા પ્રદર્શિત ‘સદા અમર અવિનાશ’ આલ્બમ ( ૪ સીડીનો સેટ ) ખરેખર વસાવવા જેવો છે… અવિનાશ વ્યાસની કલમ અને સંગીતને સલામ કરવાનું મન ન થાય તો કહેજો… !!

કહેવાય છે કે અવિનાશ વ્યાસે સમગ્ર ગુજરાતને ગાતુ અને રમતુ કર્યું. એમના કેટલાય એવા ગીતો છે કે જેના વગરના ગુજરાતી સંગીતજગતની કલ્પના મુશ્કેલ થઇ પડે. એચ.એમ.વી દ્વારા પ્રદ્શિત ‘Gujarati Classics’ series માં લતા મંગેશકર, આશા ભોંસલે, મુકેશ, ઉષા મંગેશકર અને પ્રફુલ દવે દ્વારા ગવાયેલા ૬૦ જેટલા ગીતો છે, એમાંથી અડધોઅડધ અવિનાશ વ્યાસ દ્વારા સંગીતબધ્ધ છે. હમણા કોઇક પુસ્તકમાં વાંચ્યુ કે અવિનાશ વ્યાસે ફક્ત ‘રાખના રમકડા’ ગીતની રચના જ કરી હોત, તો પણ એમનું નામ અમર થઇ ગયું હોત…

ચલો, તમારો વધુ સમય નથી લેવો… સાંભળો અવિનાશ વ્યાસની કલમે લખાયેલું અને ખૂબ જ સરસ રીતે સ્વરબધ્ધ થયેલું આ ગીત… અને એમા પુરુષોત્તમ ઉપાધ્યાયનો સ્વર ફળે એટલે પૂછવું જ શું ? જરા સ્પિકરનો અવાજ વધારીને સાંભળજો… મારા જેવા અમુકને તો વગર નવરાત્રીએ હાથમાં ખંજવાળ આવશે… ( દાંડિયા પકડવા માટે હોં..! )

હે અત્ર તત્ર સર્વત્ર કરે શુભ ગૌરીપુત્ર ગણેશ,
હે દુંદાળો ભીડભજંણો એને સમરું શ્રી પ્રથમેશ.
હે સમરું શ્રી પ્રથમેશ
ખંભે ધરી ખેશ આંખે આંજી મેશ
પિતાંબર વેશ ધરી રમે કૃષ્ણ કનૈયો…
બાંધી ઝાંઝ અને પખવાજ ખાસા
ખાસા બંસીને નાદે નાચે નંદછૈયો…

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

હે રંગલો,
જામ્યો કાલંદરી ને ઘાટ,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો…
હે હાલ્ય હાલ્ય હાલ્ય,
વહી જાય રાત વાત માં ને,
માથે પડશે પ્રભાત,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
હે રંગરસીયા,
હે રંગરસીયા તારો રાહડો માંડી ને, ગામને છેવાડે બેઠા,
કાના તારી ગોપલીએ, તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને બરકે તારી જશોદા તારી માત…
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
મારા પાલવ નો છેડલો મેલ,
છોગાળાઓ છેલકે
મન મારું મલકે છે.
એ હું મોરલો ને તું તો મારી ઢેલ,
હું છોડવો તું વેલકે
મન મારું ઘડકે છે.
હે હે હે…..હે જી
સાંજ ને સુમારેજ્યારે સુર જ્યાં નમે
નર નાર લગે તારસંગ રંગ રમે
કોઇ રૂપની કટોરી, કોઇ રૂપનો કટોરો
કોઇ શ્યામ, કોઇ ગોરો
રમે છોરી અને છોરો
ધરણી ધમધમે…..
હે જી રે…..તુર તુર તુર
ગાંડીતુર શરણાઇ કેરા સુર
વીંધે ઉર ચકચુર
સંગે તાલ ને નુપુર
તારુ પાદર ને પુર
સામ સામ સામે
હે જીણું જીણું વાગતી રે વેણુંરે
ને ગામને પાદર ઉડતી રે રેણું
ને નાચતી રે આવે કોઇ ગામની રે ઘેનું
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.

છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.

એક કાવ્ય – સુરેશ દલાલ

મારામાં ઊગે ને મારામાં આથમે
એ ઝાડવાને કેમ કરી ઝાલું જી રે ?
લીલાંછમ પાંદડા કરમાયાં એવાં
કે આ મેળામાં કેમ કરી મ્હાલું જી રે ?

મારામાં વાદળા ઘેરાય ને વીખરાય :
જળને હું કેમ કરી ઝીલું જી રે ?
એકલતાનું આ સરોવર ઊભરાય
હું કમળ થઇને કેમ ખીલું જી રે ?

સૂની આ ગલીઓ ને સૂનાં મકાન છે :
એમાં જઇને કેમ મારે વસવું જી રે ?
આંખોમાં આંસુને સંતાડી રાખ્યાં
પણ કેમ કરી હોઠેથી હસવું જી રે ?

ચહેરો ઉતારું ને મ્હોરાને પહેરું :
મ્હોરું પહેરીને કેમ જીવવું જી રે ?
પૃથ્વીની પથારી પીંજાઇ ગઇ
ને ચીથરેહાલ આભ કેમ સીવવું જી રે ?

ખબર પડશે તને – ખલીલ ધનતેજવી

 Photo by philipdyer

આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ જો રદ, ખબર પડશે તને.

લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.

પલ – મણિલાલ દેસાઈ

કવિ શ્રી મણિલાલ દેસાઇ ( જન્મ : 19 જુલાઇ, 1939 ; અવસાન : 4 મે, 1966 )

સંગીત : અજીત શેઠ
સ્વર : હરીહરન

watch

.

સરકી જાયે પલ…
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !

નહીં વર્ષામાં પૂર,
નહીં ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિ:સગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !

છલક છલક છલકાય
છતાં યે કદી શકી નવ ઢળી,
વૃન્દાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ !