લગભગ 4 મહિના પહેલા ટહુકો પર આ ગઝલ રજુ કરી હતી, ત્યારે ખબર ન હતી કે બીજા પણ 4 શેર છે એમાં. આજે માણો આ સુંદર ગઝલ સંપૂર્ણ સ્વરૂપે. જો કે ગઝલ એવી સરસ છે કે ફરી ફરી વાંચવી ગમશે જ.
ઘણીવાર વાચકમિત્રો તરફથી એટલા મીઠા પ્રતિભાવો મળે છે….થોડા દિવસો પહેલા રીષભગ્રુપના ગરબાની રેડિયો પોસ્ટ પર આવો જ કંઇ પ્રતિભાવ આવ્યો.
…૧૦૦ ટકા ડાયાબીટિસ થવાની શકયતા !!!! ટહુકો માના કેટલાય ગીતો ઘણા મીઠા છે, પણ આ તો જાણે સીધ્ધે-સીધ્ધી ચાસણી. રીષભ ગ્રુપ ગરબા ના વીશે સાંભળ્યુ હતું, પણ i cannot think why i missed listening to these garbas all this time….!
આમ તો એમના બધા જ ગીતો સાંભળવા ગમે છે, પણ નિશા ઉપાધ્યાયના સુમધુર સ્વરમાં આ ગીત તો બસ સાંભળ્યા જ કરવાની ઇચ્છા થાય… ગીતની શરૂઆત જ કેટલી સરસ… વણખુલ્યા હોઠની વાત…. એમ પણ, આપણે ક્યાં બધી વાતો કહી શકીયે છીએ..!! સાથે સાથે , વણગાયા ગીતનો ટહુકો, મુંગા પારેવાનો છાનો ફફડાટ, જેવા શબ્દો લાગણીની તીવ્રતા ખૂબ સચોટ રીતે પ્રદર્શિત કરે છે.
વરસાદની મોસમ એ સ્નેહીજનો માટે વ્હાલ અને વ્યથાનો તીવ્ર અનુભવ કરવાનો સમય! સ્નેહીજન સાથે એકાકાર થવા અસ્તિત્વની દિવાલો જાણે તૂટવા મથતી હોય એવું લાગે. આકાશ અને ધરતીને એકાકાર કરતા વરસાદને જોઇને પ્રિયતમાને લાગે છે કે હું પણ મારા રસિયામાં ભીંજાઈને ઓગળી જાઉં.
મીરાંની સમક્ષ અગર કૃષ્ણ ઉપસ્થિત થય તો મીરાં એમનું પૂજન કેવી રીતના કરે? મીરાં ઉષઃકાળનું કંકુ અને સન્ધ્યાનું કેસર લે, બ્રહ્માંડની થાળીમાં સૂર્યના દીવાને પ્રગટાવી આરતી કરે, પહેલા વરસાદની માટીની સોડમની અગરબત્તી કરે, મેઘનાદનો ઘંટનાદ કરે અને આકાશી વીજળીની લાઈટોની સીરીઝ મૂકે, સાગરનું મંદમંદ સંગીત લહેરાવે અને પંચમહાભૂતોનો પ્રસાદ કરી મીરાં કૃષ્ણમાં સમર્પિત થાય- આવું એક કલ્પનાચિત્ર નજર સમક્ષ ખડું થાય છે. આપણે મીરાં નથી, અને કૃષ્ણને હજુ પામ્યા નથી…પણ આજે તો આ વરસાદ છે અને મારો સાંવરિયો છે! તો હૈયાના દરબારમાં જેનો રાજ્યાભિષેક થયો છે એવા મારા સજના માટે આજે હું શું કરું? વ્હાલમના ગીત માટે તો સૃષ્ટિમાંથી શ્રેષ્ઠ જ લાવવું પડે, અને એટલે જ એ ઘેલી કોયલના સૂરને અને મોરના ટહુકાથી પોતાનો સૂર સજાવે છે, મેઘધનુષના મેઘનાદનું ઝાંઝર પહેરે છે, જીવને જંતર બનાવી ગૂંજી ઊઠે છે, અને ત્યાં સુધી કે આ પ્રીતનો પાવો છોડી ખુદ રસિયાને જ પી જઈને તનમન પ્યાસ બુઝાવે છે!
આજનો દિવસ ગુજરાતી કાવ્ય અને સંગીતજગત માટે ખરેખર મહત્વનો ગણાય. આજે કવિશ્રી ઉમાશંકર જોષી અને સંગીતકાર-કવિશ્રી અવિનાશ વ્યાસનો જન્મદિવસ. ( તા. 21 જુલાઇ, 1911 )
તમે તો ગુજરાતી કવિતાની સાથે સાથે સંગીતમાં પણ રસ ધરાવતા હોય, તો પુરુષોત્તમ ઉપાધ્યાય – ચંદુ મટ્ટાણી દ્વારા પ્રદર્શિત ‘સદા અમર અવિનાશ’ આલ્બમ ( ૪ સીડીનો સેટ ) ખરેખર વસાવવા જેવો છે… અવિનાશ વ્યાસની કલમ અને સંગીતને સલામ કરવાનું મન ન થાય તો કહેજો… !!
કહેવાય છે કે અવિનાશ વ્યાસે સમગ્ર ગુજરાતને ગાતુ અને રમતુ કર્યું. એમના કેટલાય એવા ગીતો છે કે જેના વગરના ગુજરાતી સંગીતજગતની કલ્પના મુશ્કેલ થઇ પડે. એચ.એમ.વી દ્વારા પ્રદ્શિત ‘Gujarati Classics’ series માં લતા મંગેશકર, આશા ભોંસલે, મુકેશ, ઉષા મંગેશકર અને પ્રફુલ દવે દ્વારા ગવાયેલા ૬૦ જેટલા ગીતો છે, એમાંથી અડધોઅડધ અવિનાશ વ્યાસ દ્વારા સંગીતબધ્ધ છે. હમણા કોઇક પુસ્તકમાં વાંચ્યુ કે અવિનાશ વ્યાસે ફક્ત ‘રાખના રમકડા’ ગીતની રચના જ કરી હોત, તો પણ એમનું નામ અમર થઇ ગયું હોત…
ચલો, તમારો વધુ સમય નથી લેવો… સાંભળો અવિનાશ વ્યાસની કલમે લખાયેલું અને ખૂબ જ સરસ રીતે સ્વરબધ્ધ થયેલું આ ગીત… અને એમા પુરુષોત્તમ ઉપાધ્યાયનો સ્વર ફળે એટલે પૂછવું જ શું ? જરા સ્પિકરનો અવાજ વધારીને સાંભળજો… મારા જેવા અમુકને તો વગર નવરાત્રીએ હાથમાં ખંજવાળ આવશે… ( દાંડિયા પકડવા માટે હોં..! )