Category Archives: કવિઓ

એક સાબરકાંઠાનો શાહુકાર – તુષાર શુક્લ

સ્વરાંકન – નયનેશ જાની
સ્વર – નિશા કાપડિયા , નિગમ ઉપાધ્યાય

એક સાબરકાંઠાનો શાહુકાર, એના દલડા માથે દેવું
કે વેણો વરીયાળી
એક ગોંડલ ગામની ગોરી, એનું ચીતડું લેવું ચોરી
કે વેણો વરીયાળી

ઘરફોડીનો ગણેશિયો આ તો દલ ચોર્યાની વાત
દનદાડાનું કોમ નૈ રે એણે માથે લીધી રાત
કે વેણો વરિયાળી

માઝમ કોતર મેલીયાં કે લો આયો ગમતો ઘેર
ગોમના લોક તો જોઈ રિયાં એ તો કરતો લીલાલ્હેર
કે વેણો વરિયાળી

આવી આવી નોરતાની રાત – અવિનાશ વ્યાસ

સ્વર – કમલ બારોટ અને કોરસ
સ્વરાંકન – અવિનાશ વ્યાસ

આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

રૂડો ચાચરનો ચોક શણગારી
માથે ચંદરવો ઓઢાળો
ગરબે રમવા હાલો

તોરણ બાંધ્યા માંડવે અને
દીવડા મેલ્યા દ્વાર
સરખી સહિયર આવજો
સોળે સજી શણગાર
એ…ય સોળે સજી શણગાર
સૈયર મોરી ગરબે રમવા હાલો

હાલો
આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

એ… ચરણે ઝાંઝર ઝમકતાં ને
કર કંકણનો સાથ
કાને લટકે લોળિયાં ને
મેંદી ભરેલા હાથ
એ…ય મેંદી ભરેલા હાથ રે
સૈયર મોરી ગરબે રમવા હાલો

હાલો
આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

– અવિનાશ વ્યાસ

(આભાર – માવજીભાઇ.કોમ)

બહાર આવ્યો છું… – મનોજ ખંડેરિયા

આજે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ મઝાની ગઝલ – એમના પોતાના અવાજમાં પઠન સાથે..!!

****

ગઝલ પઠન : મનોજ ખંડેરિયા

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.

Say Sorry, My Son! Say Sorry… – રઈશ મનીઆર

આ ગીતની શરૂઆત (અને અંત પણ) ભલે Say Sorry, My Son! થી થતા હોય, પણ ગીતનો હજુ પહેલો જ ફકરો વાંચી/સાંભળીને I am sorry, My Son! તમારા હ્રદયમાંથી ન નીકળે તો જ નવાઇ..! ભલે તમારુ બાળક આ સ્થિતિમાંથી પસાર થયું હોય કે નહીં, પણ દેશના ખૂણે ખૂણે બનતી આ રોજની ઘટના એક કવિના શબ્દોમાં સાંભળી ક્યાંક કશેથી દાઝી ચોક્કસ જવાશે..! તો વળી ક્યાંક મમ્મીઓ પર હસવું પણ આવી જશે…

સ્વર – સ્વરાંકન : શ્યામલ-સૌમિલ મુન્શી

(Picture : Ranmal Sindhav)

Say Sorry, My Son! Say Sorry…
Say Sorry, My Son! Say Sorry…
છ છ કલાક સ્કૂલ, ત્રણ ત્રણ કલાક ટ્યુશન,
ને તોયે આ નોટ તારી કોરી…
Say Sorry, My Son! Say Sorry…

ઘસી-ઘસી પીવડાવી અઢળક બદામ,
અને માથે તે ચોપડ્યું ઘી..
યાદદાસ્ત માટે શંખપુષ્પીની
કાંઇ બાટલીઓ પેટમાં ભરી.

કેમે કરી યાદ ના રહેતું તને લેસન,
યાદ રાખે તું સીરીયલની સ્ટોરી…
Say Sorry, My Son! Say Sorry…

પંખીઓ બચ્ચાને ઊડતા શીખવે,
માણસ બચ્ચાને આપે પિંજરું,
મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,
થાય બાળકને ટહુકા ચીતરું.

મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં
બાળક લાવ્યું છે આભ આખું દોરી…
Say Sorry, My Son! Say Sorry…

તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું
ને જાગવું હો ત્યારે સુવડાવું,
પરીઓના દેશમાંથી ઊડતો ઝાલીને
તને રીક્ષામાં ખીચોખીચ ઢાસું.

ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી…
Say Sorry, My Son! Say Sorry…

– રઇશ મનીઆર

તું મીંઢળ જેવો કઠ્ઠણ… – વિનોદ જોશી

મારું આ ખૂબ જ ગમતું ગીત – આમ તો ૪ વર્ષ કરતા વધુ સમયથી ટહુકો પર ગૂંજે છે..! (તમે સાંભળવાનું ચૂકી નથી ગયા ને? )
આજે ફરી આ ગીત – અને એ પણ એક મઝ્ઝાના બોનસ સાથે.. આ જ ગીત – કવિના પોતાના સ્વર અને સ્વરાંકન સાથે..! મને શિકાગોમાં આ ગીત વિનોદભાઇ પાસે તો સાંભળવા મળ્યું જ હતું – પણ મધુમતીબેને પણ એમના મધુરા સ્વરમાં આની એક રજૂઆત કરી હતી..!

ચલો.. વધુ પૂર્વભુમિકા વગર સાંભળો અને માણો આ મસ્ત ગીત..!

સ્વર અને સ્વરાંકન : વિનોદ જોશી

.

*******
Posted on July 26, 2006.

સ્વર : રેખા ઠાકર
સંગીત : સુધીર ઠાકર
RA2840

.

તું મીંઢળ જેવો કઠ્ઠણ.. ને હું નમણી નાડાછડી
તું શીલાલેખનો અક્ષર, ને હું જળની બારાખડી

એક આસોપાલવ રોપ્યો…
તેં આસોપાલવ ફળીયે રોપ્યો.. તોરણમાં હું ઝુલી
તું અત્તરની શીશી લઇ આવ્યો, પોયણમાં હું ખીલી

તું આળસ મરડી ઉભો.. ને હું પડછાયામાં પડી..
તું મીંઢળ જેવો કઠ્ઠણ….

એક પાનેતરમાં ટાંક્યું,
મેં પાનેતરમાં મોતી ટાંક્યું, તેં પૂજ્યા પરવાળા
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું, તેં પૂછ્યા સરવાળા

તું સેંથીમાં જઇ બેઠો, ને હું પાંપણ પરથી દડી
તું મીંઢળ જેવો કઠ્ઠણ…

– વિનોદ જોશી

અર્ઝ કિયા હૈ : પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા… – હિતેન આનંદપરા

મુંબઇના સમાચાર પત્ર – મિડ ડે – માં ૧૮મી સપ્ટેમ્બરના દિવસે ‘સેટર ડે સ્પેશિયલ’ ના ‘અર્ઝ કિયા હૈ’ વિભાગમાં છપાયેલો આ લેખ અહીં તમારા માટે – અક્ષરસ: ..!! આશા છે કે હિતેનભાઇની કલમે ફરી હરીન્દ્ર દવેને માણવાની આપને મઝા આવશે.

સંવેદનાથી સભર-સભર સર્જક અને સજાગ રહીને અગ્રલેખોને અજવાળનાર તંત્રી સ્વ. હરીન્દ્ર દવેનો આવતી કાલે જન્મદિવસ છે. થ્રી ચિયર્સ હરીન્દ્ર દવે. તમારા શેરોથી અખબારના આ પાનાને આજે લીલુંછમ થવું છે.

બધાં દ્રશ્યો અલગ દેખાય છે, એ ભેદ સાદો છે
હું દેખું છું વિમાસણમાં, તમે દેખો છો સંશયથી
જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉં છ મિત્રો!
હું મહેફિલમાં નથી આવ્યો ટકી રહેવાના નિશ્ચયથી

છતાં આ નિશ્ચયની વિરુધ્ધ હરીન્દ્રભાઇ અઢળક ચાહકોની સ્મૃતિમાં ધબકી રહ્યા છે. લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં ‘રજકણ સૂરજ થવાને શમણે’ અને ‘રૂપલે મઠી છે સારી રાત રે સજન’ ગીત હજી રેડિયો ફ્રીક્વન્સીને તરંગિત કરે છે. ‘ચાલ વરસાદની મોસમ છે વરસતા જઇએ’ ગઝલ વરસાદને ભીનાશ પહેરાવીને બાલ્કનીમાં બોલાવે છે. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ લોકગીત થઇ ચુક્યું છે. બીજા એક સદાબહાર ગીતને આ રીતે બિરદાવી શકાય : ‘માધવ ક્યાંક નથી મધુવનમાં’. મરણ સર્જકને છીનવી શકે, સર્જનને નહીં.

તંત્રી તરીકે જગતભરની ઘટનાઓનું અવલોકન આવા બારીક શેર તરફ કવિને દોરી જાય છે.

એવું, કશુંય ક્યાં છે, જે જીતી નથી જક્યો
ને જઇ રહ્યો છું જગથી સિકંદર થયા વિના

દરેક જણ પાસે નાની-નાની જીતનો આનંદ હોય છે. એક ડગલું આગળ જઈને મેળવેલી જીત ભલે સિકંદરની સરખામણી ન કરી શકે, પણ અરીસામાં આપણો ચહેરો જોઈને સંતોષનું એક સ્મિત તાગવા માટે પૂરતી છે. આપણા હોવાપણા માટે આ જીત એટલી જ જરૂરી છે જેટલી જરૂરી છે પ્રીત.

એ કઇ રીતે ટકે છે મને ના સમજ પડે
આ પ્રેમની ક્ષણોને તો આધાર પણ નથી

સમયના પ્રવાહમાં ટકી જતો પ્રેમ આપણને ટકાવી રાખે છે. પ્રેમમાં સત્ય અને સાતત્ય બન્ને જોઈએ. પ્રેમ આપણી સમજણ કરતાં વધારે પુખ્ત અને આપણી શ્રધ્ધા કરતાં વધારે સમૃધ્ધ હોય છે. એને ખબર છે કે રોમાંચની ગલીઓ રગદોળીને અંતે કઈ ગલીમાં પગલીઓ પાડવાની છે.

આંખોનું તેજ, વાળની ખુશ્બૂ, અધરનો રંગ
વાતો શરીરની કરી આત્મા સુધી ગયા

પ્રેમના હજારો રંગ છે. કોઇ રંગ રોમાંચનો તો કોઇ રંગ વિષાદનો, કોઇ રંગ મિલનનો તો કોઇ રંગ વિરહનો, કોઇ રગ સમીપનો તો કોઇ રંગ ક્ષિતિજનો, કોઇ રંગ અપેક્ષાનો તો કોઇ રંગ ઉપેક્ષાનો…

એય હશે પ્રણયના જમાનાનો એક રંગ
તું ઝંખતી હશે, મને ચાહત નહીં રહે

જેનું સાંનિધ્ય પામવા માટે તરસતા હોઇએ તેનો સહવાસ ન ગમે એવું બને? તાજા કુમળા વર્ષો પછી મૂરઝાવા લાગે ત્યારે કસોટીની શરૂઆત થાય છે. જીવન એકમાંથી અનેક તરફ ફંટાય, સાંજ પડે ને ઘરે ઉતાવળે પાછો વળતો પગરવ હવે કામ પતાવવાની વેતરણમાં હોય. કામની સાથે-સાથે અંદર રહેળી જિજીવિષા પણ પતતી જાય. ફરજના ઘરમાં ચાહતે નૉક કરીને પ્રવેશવાની પરવાનગી માંગવી પડે.

તારું તો એકે કામ ન કરવા મળ્યું અહીં
થાકી ગયો જગતના ઘણાં કામકાજથી

દુનિયા આપણી સાથે ડીલ કરે ત્યારે એનાં આગવાં સમીકરણો હોય છે. તમે કામના માણસ હો તો તમારી ટ્રીટમેન્ટ જુદી. હું તો બસ ફરવા આવ્યો છું ની જેમ ધ્યેયવિહીન મળવા આવો તો તમારી ટ્રીટમેન્ટ જુદી. સમય બદલાય ત્યારે ભલભલા બદલાઈ જાય છે.

એ બધાએ મળી કીધું કે જગ્યા ક્યાં છે હવે?
જેને જેને મેં જગતમાં જગ્યા કરી આપી

સારા માણસો માટે પર્યાય એ જ છે કે સારું કરીને ભૂલી જવું. ડગલે ને પગલે ઠેસ તૈયાર ઊભી હોય છે. નજર ચૂક્યા કે વાગી જ સમજો.

ઠોકર ફરી મળી, ફરી શ્રધ્ધા શરૂ થઇ
લ્યો, પાછી મારી વૃધ્ધ અવસ્થા શરૂ થઇ

ઠોકરો ફરી-ફરી ખાવાની ભલમનસાઈ રાખનારને દુનિયા મૂર્ખ ગણે છે. ગહેરી સમજણ ગુનાઓ માફ કરે છે, કારણ કે એ દૂરનું જોઈ શકે છે.

આકાશની સીમાઓ ખતમ થાય છે જ્યહીં
ત્યાંથી શરૂ જે થાય, એ મારા વિચાર છે.

*******

ક્યા બાત હૈ!

મને ચમત્કારોમાં શ્રધ્ધા છે. લીલું તરણું ધરતીની માટી તોડીને ઊગે એનાથી મોટો ચમત્કાર ક્યો હોઈ શકે? હિમાલયનાં શિખરો પર પ્રભાતનાં કિરણો સોનાની માફક પથરાઇ જાય એય એક ચમત્કાર છે. નદીમાં તણાતા પર્ણને વળગેલી કીડી એવો જ મોટો ચમત્કાર છે.

પુષ્પો પ્રત્યેનો પ્રત્યેક પરિચય એક નવો અનુભવ છે. જીવાતા જીવનની ક્ષણ ચમત્કાર જ છે. એ ક્ષણ દુન્યવી અર્થમાં સુખ લાવે કે દુ:ખ લાવે, નર્યા વિસ્મયનો પ્રદેશ તો એમાં જ હોય છે. હવે પછીની પ્રત્યેક ક્ષણ પુસ્તકનાં ન વાંચેલા પાનાં જેવી છે. બરાબર આ જ રીતે કવિતાનો કોઇ પણ શબ્દ મારા માટે ચમત્કાર છે.

– હરીન્દ્ર દવે.

ગાંધીજયંતિ તે દિને – ઉમાશંકર જોશી

ગયા વર્ષે ગાંધીજયંતિ ના દિવસે લયસ્તરો પર ‘ગાંધી-વિશેષ’ની ત્રણ કવિતામાં વિવેકે આ કવિતાની પહેલી કડી પ્રસ્તુત કરી હતી. આજે અહીં વાંચો એ કાવ્ય સંપૂર્ણ સ્વરૂપે.

માર્ગમાં કંટક પડ્યા
સૌને નડ્યા;
બાજુ મૂક્યા ઊંચકી,
તે દી નક્કી

જન્મ ગાંધીબાપુનો
સત્યના અમોઘ મોંઘા જાદુનો.

અન્યાય નીચી મૂંડીએ ના લીધ સાંખી;
દુર્ગંધ પર મૂઠી ભરીને ધૂળ નાંખી,
ઉકરડા વાળી-ઉલેચી સૃજનનું  ખાતર રચ્યું;
અબોલા ભંગાવવા – એ વાતમાં મનડું મચ્યું;
કંઈક આમાંનું બને,
ગાંધીજયંતી તે દિને.

મૂર્ખને લીધા નભાવી,
ધૂર્તને યોજ્યા જગતકલ્યાણના પથમાં પટાવી;
હૈયું  દીધું તે દીધું,
પાછા વળી – ખમચાઈ ના કંઈ ગણતરીથી સાંકદું કીધું;
દૂભ્યા દબાયાં કોઈનું એકાદ પણ જો આંસુ લૂછ્યું,
દાખવ્યું ઘર મનુજ કેરા માંહ્યલાને વણપૂછ્યું;
હ્રદય જો નાચી ઊઠ્યું અન્યના સાત્ત્વિક સુખે,
હરખભર જો ઝંપલાવ્યું અદય ભીષણ જગતહિંસાના મુખે;
-તિથિ ન જોશો ટીપણે-
ગાંધીજયંતી તે દિને.

અમર આશા – મણિલાલ ન. દ્વિવેદી

આજે ૧લી ઓક્ટોબર – કવિ શ્રી મણિલાલ દ્વિવેદીની પૂણ્યતિથિ..! અને હજુ ૨૬મી સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ પણ ગયો..! તો એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ અમર રચના..

*****

કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે.

જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે.

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે.

જખમ દુનિયાં જબાનોના, મુસીબત ખોફના ખંજર,
કતલમાંયે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે.

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે.

ફના કરવું – ફના થાવું, ફનામાં શહ સમાઈ છે,
મરીને જીવવાનો મન્ત્ર, દિલબરની દુહાઈ છે.

ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશી થી તું,
સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઈ છે.

સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે,
તડપ તે તૂટતાં અન્દર ખડી માશૂક સાંઈ છે.

ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે.

હજારો ઓલિયા મુરશિદ, ગયા માશૂકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મૂવા એવી, કલામો સખ્ત ગાઈ છે.

-મણિલાલ દ્વિવેદી
(જન્મ : ૨૬-૦૯-૧૮૫૮, મૃત્યુ : ૦૧-૧૦-૧૮૯૮)

(વસ્લ= સમાગમ, મિલન; કદમબોસી= ચરણચંપી; અગમ= અગમ્ય, ભવિષ્ય; શહ્= સામર્થ્ય; રફાઈ=આત્મબલિદાન; મુરશિદ=ધર્મોપદેશક)

આભાર – લયસ્તરો.કોમ

હું જાણું – ઉશનસ્

આજે ૨૮મી સપ્ટેમ્બર – કવિ શ્રી ઉશનસ્ નો જન્મદિવસ.. (૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦). એમને આપણા તરફથી જન્મદિવસની અઢળક શુભકામનાઓ સાથે માણીએ એમની આ રચના..!

(Photo : Gujarati Sahitya Parishad)

હું જાણું : જન્મ્યા કે મરણસમું કૈં નક્કી ન બીજું
મનુષ્યે વ્હાલાના મરણ થકી ટેવાવું જ રહ્યું
બને તો મૃત્યુને શિવ-વર કહી ગાવું ય રહ્યું :

પરંતુ પૃથ્વીને મરણ હજી કોઠે નથી પડ્યું !
નવું ના, મૃત્યુ મેં વળી વળી દીઠું છે અહિ થકી
જતું ધોરી રસ્તે જીવનતણી ખાંધે ચઢી ચઢી
(અને જોવા જેવી બીજી ચીજ અહિ છે ય કંઇ તે?)

બધી વેળા થોડો વધુ વધુ રહ્યો ફિલસૂફ બની
પરંતુ મૃત્યુ રે સ્વજનનું, શિરચ્છત્ર સરખા
સદા જોયા વ્યાપ્યા નભનું, અમ ગેહે જ? વસમું

છયે કોઠે જીતી ફિલસૂફી અહિ સપ્તમ ગઢે
જતી હારી, હાવાં અવ સુદૂરથી પત્ર લખતાં
મને વીંધે શૈયા સ્મૃતિશરની – દેશો ન ઠપકો
નિરાંતે ઓ મારાં નયન, અહિ એકાંત ટપકો.

આખા નગરની જલતી દીવાલોને… – મુકુલ ચોક્સી

Updated on September 27, 2010 – by Jayshree

April 2009 માં વિવેકના શબ્દોમાં એક ફિલ્મની કથા જેટલી Interesting વાત સાથે રજૂ થયેલ આ Lost and Found – મુકુલભાઇની ગઝલ – અને સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇનું સ્વરાંકન – આજે ફરી એકવાર સાંભળીએ..!! પણ હા – આજે સાથે એક બોનસ.. આ જ ગઝલ – કવિ શ્રી ના શબ્દોમાં પણ સાંભળીએ..!

ગઝલ પઠન – ડૉ. મુકુલ ચોક્સી

***************
Posted on April 29, 2009 – by Vivek

Mukul Choksi_Aakha nagar No jalti diwalo ne

(મુકુલ ચોક્સીની ગઝલ, શ્રી રાસબિહારી દેસાઈના હસ્તાક્ષરમાં)

(સ્વરાંકન તારીખ: ૦૫-૧૨-૧૯૯૯)

મનમોહન દેસાઈની ફિલ્મોની જેમ જ ખોવાયેલી કૃતિ પણ ક્યારેક જનેતા કવિનું સરનામું અદભુત ‘ક્લાઈમેક્સ’ સાથે શોધી કાઢે છે… નથી માનવું ? તો આ વાંચો…

મુકુલભાઈ એમની ગઝલો વિશે જણાવે છે કે ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. મુકુલભાઈ આ વાતને સો ટકા પ્રામાણિક્તાથી જીવતા આદમી છે. લખાઈ હોય ત્યારે સંઘરવાનું ચૂકી જવાયું હોય એવી મુકુલભાઈની આ અલગારીવૃત્તિની બે ઘટના અમે જાણી છે. આવી રચનાઓના ચમત્કારિક પુનર્જન્મની વાત પણ એવી જ રોચક હોય છે.

પહેલી ગઝલ હોટલ તાજ, સુરતના ગાયકે ગાઈ હતી અને મુકુલભાઈ ઊછળી પડ્યા હતા જેના વિશે વિગતે આપ લયસ્તરો પર જાણી શકો છો. અને બીજી ગઝલ આજે એક્સ્લુઝિવલી ‘ટહુકો.કોમ’ના વાચકો માટે. બે દાયકા પહેલાં લખીને ભૂલી જવાયેલ એક ગઝલ રાસબિહારી દેસાઈએ નવનીત સમર્પણના એક અંકમાં વાંચી હતી અને ડાયરીમાં ટપકાવી લીધી હતી. પાંચેક વર્ષ પહેલાં અમદાવાદ ખાતે ‘સમન્વય’ કાર્યક્રમનું સંચાલન મુકુલભાઈ પોતે કરી રહ્યા હતા અને રાસબિહારી દેસાઈએ આ ગઝલ ગાવાની શરૂઆત કરી ત્યારે આફરીન પોકારીને મુકુલભાઈએ વચ્ચે જ પૂછ્યું, ઉસ્તાદ, આ કોની ગઝલ છે? રા.દે.ને લાગ્યું કે મુકુલભાઈ મજાક કરે છે એટલે એમણે પણ ગાયકીની વચ્ચે જ માઈક પર જ એલાન કર્યું કે આ મુકુલભાઈની જ જૂની ગઝલ છે અને મુકુલભાઈને પણ ખબર નથી… લોકોને વાતમાં મજા પડી પરંતુ હકીકત એ છે કે સમયની ગર્તામાં ક્યાંક ખોવાઈ ગયેલી આ ગઝલના ગેયતા અને શીઘ્ર પ્રત્યાયનક્ષમતા ધરાવતા જે ત્રણ શેર રા.દે.એ ગાયા હતા એ જ આજે મુકુલભાઈ પાસે બચ્યા છે…

પણ જયશ્રીની જમાદારી અને ફળસ્વરૂપે મારી ઉઘરાણીને વશ થઈ રા.દે.એ પોતાના હસ્તાક્ષરમાં મુકુલભાઈની આ ગઝલ મોકલાવી આપી છે એ આખી ગઝલ ટહુકો પર આજે પ્રકાશિત થયા પછી જ મુકુલભાઈને ‘સરપ્રાઈઝ’ ભેટ તરીકે આપવામાં આવશે… છે ને મનમોહન દેસાઈની ફિલ્મ જેવી ‘લૉસ્ટ એન્ડ ફાઉન્ડ’ વાત ?

ખોવાયેલી ગઝલ ક્યારેક આ રીતે પણ આવી મળે છે…

સ્વર – સંગીત : રાસબિહારી દેસાઇ

.

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.