Category Archives: કવિઓ

ક્યાં એ હૃદયના આભમાં બીજું સમાય છે ! – સુનીલ શાહ

શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી સુરત ખાતે યોજેલ તરહી મુશાયરામાં પ્રસ્તુત ગઝલ…

**

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જિવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.*

આવેગ લાગણીનો જરા જો વધારે હોય,
ડૂચો વળે છે શબ્દ, ને ડૂમો ભરાય છે.

કાઢી શકાય છે અહીં એનું જ માપ દોસ્ત,
જે ભીતરે ને બ્હારથી સરખો જણાય છે.

પડઘા તમારી યાદના જ્યાં વિસ્તરી ગયા,
ક્યાં એ હૃદયના આભમાં બીજું સમાય છે !

તું સુખ વિશે ન ગણ કશું, એક–બે કે દસગણું,
એકાદ ટહુકા માત્રથી જીવી જવાય છે.

સુનીલ શાહ
(*પંક્તિ સૌજન્યઃ મુ.શ્રી ભગવતીકુમાર શર્મા)

કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

આ ૨ જાન્યુઆરીએ આપણે દિલીપકાકાને ગુમાવ્યા – અને એ જ દિવસ એટલે આપણા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ શ્રી રાજેન્દ્ર શાહની પહેલી પુણ્યતિથી. તો આજે એમનું આ ગીત માણીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

****

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

– રાજેન્દ્ર શાહ

પરવરદિગાર દે – મરીઝ

આજે ફરી એકવાર આ મઝાની ગઝલ – સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં ફરી એકવાર… ગમશે ને? 🙂

—————-

Posted on May 12th, 2009

થોડા વખત પહેલા વડોદરામાં ‘કાવ્યધારા’ નું આયોજન થયું હતું, એની એક નાનકડી ઝલક લાવી છું તમારા માટે. આમ તો ટહુકો પર થોડા મહિનાથી ગુંજતી આ ગઝલ, આજે એક નવા સ્વરાંકન સાથે સાંભળવી ચોક્કસ ગમશે. અને સાથે બોનસમાં છે તેજસભાઇની મજેદાર પ્રસ્તુતિ.

સ્વર : અચલ મહેતા
સંગીત : નરેન્દ્ર જોશી
પ્રસ્તાવના : તેજસ મઝમુદાર

————————————

Posted on November 23, 2008

મરીઝ સાહેબની આ સદાબહાર ગઝલ… ફક્ત 6 શેર સાથે તો ટહુકો પર ઘણા વખતથી હતી જ, આજે એક સુમધુર સ્વરાંકન અને બીજા 4 શેર સાથે ફરી એકવાર…

સ્વર : સંગીત : શ્યામલ મુન્શી – સૌમિલ મુન્શી

.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

– મરીઝ

લે ! – અમૃત ‘ઘાયલ’

સૌને નવા વર્ષની .. ૨૦૧૧ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!!
*****

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !

લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !

તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !

સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !

કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !

‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !

– અમૃત ‘ઘાયલ’

જીવન-મરણ છે એક….. – મરીઝ

મરીઝ સાહેબની આ ઘણી જ જાણીતી ગઝલ… આમ તો જગજીતસિંગના પ્રથમ ગુજરાતી આલ્બમ – મરીઝ સાહેબની ગઝલો -નું શિર્ષક પણ આ ગઝલથી જ અપાયું છે… પણ જગજીતસિંગને માણીશું ફરી કોઇ દિવસ. આજે તો મરીઝ સાહેબના શબ્દોની સૂરા – અને આશિત-હેમા દેસાઇ સાકી..!

સ્વર – હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ

.

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું

રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

ઊંટ ભરીને આવ્યું રે – રાજેન્દ્ર શુકલ

ઊંટ ભરીને આવ્યું રે
અંધારું લ્યો.
આ પોઠ ભરીને આવ્યું રે
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

કોઇ લિયે આંજવા આંખ,
કોઇ લિયે માંજવા ઝાંખ;
અમે તે ઉંબરમાં ઉતરાવ્યું રે
અંધારું લ્યો.
અમે તો આંગણામાં ઓરાવ્યું રે
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

એના અડ્યા આભને છોડ;
એવા અડ્યા આભને કોડ –
અમે તો મુઠ્ઠી ભરી મમળાવ્યું રે,
અંધારું લ્યો.
અમને ભોર થતાં લગ ભાવ્યું રે,
અંધારું લ્યો. — ઊંટ ભરીને …

– રાજેન્દ્ર શુકલ

मैं अपने आप से घबरा गया हूँ… (ત્રિપદી ગઝલ) – વિવેક મનહર ટેલર

મિત્ર વિવેકની આ મને ખૂબ જ ગમતી – મારા માટે એકદમ સ્પેશિયલ – એવી ત્રિપદી ગઝલ – આજના સ્પેશિયલ દિવસે – આપ સૌ માટે..!! અને હા – સાથે વિવેકને ખૂબ ખૂબ અભિનંદન..

આજે ‘શબ્દો છે શ્વાસ મારા’ (http://www.vmtailor.com/)- મિત્ર વિવેકની સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – ને પાંચ વર્ષ પૂરા થયા..!

આવતા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ દોસ્ત..

PB093327
(આખરી ઉજાસ…            ….બેલે આઇલેન્ડ, ડેટ્રોઇટ, અમેરિકા, ૦૮-૧૧-૨૦૦૯)
*

થવું નારાજ તારાથી શી રીતે ?
હું જાણું છું, તું મારી જિંદગી છે,
मैं अपने आप से घबरा गया हूँ ।

રણોને રણમાં મૃગજળથી છળીને,
હું પહોંચું શી રીતે મારી સમીપે ?
मैं अपने आप से घबरा गया हूँ ।

આ જીવન આમ તો શી રીતે વીતે ?
સમય પણ જાય થોભી આ કહીને :
‘मैं अपने आप से घबरा गया हूँ ।’

જમાના પાસે છે કારણ હજારો,
જીવે સૌ એકબીજાથી ડરીને,
मैं अपने आप से घबरा गया हूँ ।

હું મારા-તારા સૌ સાથે લડી લઈશ,
તું મુજ ગ્લાનિ મિટાવીશ શું કહીને ?
मैं अपने आप से घबरा गया हूँ ।

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૮-૨૦૦૯)

ફુલ ખીલ્યું ને -પન્ના નાયક

આજે કવિયત્રી પન્ના નાયકનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મજાનું ગીત..!

આ ગીત જેમાંથી લેવાયું છે – એ આલ્બમ વિષે વધુ માહિતી કવિયત્રીની પોતાની વેબસાઇટ પરથી (http://pannanaik.com) મેળવી શકો છો.

સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર: ઝરણા વ્યાસ અને સોનિક સુથાર
આલ્બમ: વિદેશિની
(આ આલ્બમનાં બધા ગીતોની ઝલક અહીં સાંભળો!)

આલ્બમ:શબ્દનો સ્વરાભિષેક

.

ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું,
ભમરાઓ તો મનમાં ગૂંજે ગીત ગહન મર્માળુ.

વાસંતી સંદેશો લઈ મન ઉડે આમ ને તેમ,
દિશ દિશમાં સુગંધી, સૂરજ છલકાવે છે પ્રેમ;
કંઠ ઝનકતી કોયલને હું કેમ કરી સંભાળું ?
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.

આપણ ક્યાંય જવું નથીજી, ઉડે સૂર-ગુલાલ,
એકમેકનાં રંગેસંગે આપણ ન્યાલમ ન્યાલ;
આંખોમાં રેશમિયા મનનાં સપનાને પંપાળું,
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.

પન્ના નાયક

ભૂતળ ભક્તિ પદારથ મોટું – નરસિંહ મહેતા

સ્વર : ઉદય મઝુમદાર

.

ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે

હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે,
નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે … ભૂતળ ભક્તિ.

ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન્ય ધન્ય એના માતપિતાને, સફળ કરી જેણે કાયા રે … ભૂતળ ભક્તિ.

ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે ઉભી, મુક્તિ થઈ એની દાસી રે … ભૂતળ ભક્તિ.

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કાંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો ભોગી રે … ભૂતળ ભક્તિ.

મહાભારત : એક માથાકૂટ છે – કૃષ્ણ દવે

(મહાભારત : એક માથાકૂટ છે….. Photo : Veda.com)

.

કાવ્ય પઠન : કૃષ્ણ દવે

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. – કૃષ્ણ

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. – ભીષ્મ

સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. – ધૃતરાષ્ટ્ર

આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છેને
આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. – ગાંધારી

નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. – કુંતી

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. – સહદેવ

ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે. – દ્રૌપદી

સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે. – ભીમ

કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. – કર્ણ

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ આમ ફર્યાની માથાકૂટ છે. – અર્જુન

અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં બસ
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે. – એકલવ્ય

છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું,
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે. – અભિમન્યુ

મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે. – શકુનિ

નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે. – દ્રોણ

થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે. – દુર્યોધન

અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે. – અશ્વત્થામા

ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે ?
સત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. – યુધિષ્ઠિ

મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં,
ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની માથાકૂટ છે. – વેદવ્યાસ

– કૃષ્ણ દવે