Sonnet 18
Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:
Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance or nature’s changing course untrimm’d;
But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou owest;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou growest:
So long as men can breathe or eyes can see,
So long lives this and this gives life to thee.
– William Shakespeare
સૉનેટ ૧૮
કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું?
વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે:
વસંતી ફૂલોને પવન વસમો, કેમ બચવું?,
વળી ઉનાળોયે દિન ગણતરીના જ ટકશે:
કદી આકાશી નેણ વધુ પડતા તેજ બનતાં,
કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી;
અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા,
અકસ્માતે યા તો કુદરત તણા કાળક્રમથી;
ઉનાળો તારો આ કદી નહિ વીતે, શાશ્વત થશે
અને કોઈ કાળે વિલીન ન થશે રૂપ તવ આ,
બડાઈ ના હાંકે યમ, અવગતે તું જઈ ફરે,
તું જ્યારે જીવે છે અજર-અમરા આ કવનમાં:
શ્વસે છે જ્યાં સુધી મનુષ અથવા આંખ નીરખે,
જીવે ત્યાં સુધી આ, જીવન ધરશે એ જ તુજને.
-વિલિયમ શેક્સપિઅર
(અનુ.: વિવેક મનહર ટેલર)
જીવન નાશવંત છે, કળા અમર છે..
દુનિયામાં કશું સનાતન નથી. જે આવે છે તે જાય જ છે. શ્વાસની સાથે જ ઉચ્છવાસ અને જન્મની સાથે જ મૃત્યુ લખાઈ ગયા હોવા છતાં અમરત્વની, શાશ્વતીની કામના કોણ નથી કરતું? પણ જીવનમાં કેટલીક વસ્તુઓ સમયાતીત છે. કળા એમાંની એક છે. સૌંદર્ય ક્ષણિક છે, સૌંદર્યની અદાઓ ક્ષણભંગુર છે પણ અક્ષર? અ-ક્ષર અવિનાશી છે. કળા કાળાતીત છે. શબ્દોમાં કંડારાયેલ શિલ્પ શાશ્વત-સનાતન બની શકે છે. હિપોક્રેટ્સે કહ્યું હતું: Ars Longa Vita Brevis (જીવન ટૂંકું છે, કળા શાશ્વત છે). આ દૃષ્ટિકોણથી શેક્સપિઅરનું આ સૉનેટ જોઈએ.
What is there in name? આ ઉક્તિ ભલે વિલિયમ શેક્સપિઅરની કેમ ન હોય, પણ ભાગ્યે જ કોઈ શિક્ષિત મનુષ્ય એમના નામથી અજાણ્યો હશે. નિર્વિવાદિતપણે અંગ્રેજી સાહિત્યજગતના બિનહરીફ શહેનશાહ. સર્વકાલીન સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર. જેમના નાટ્કો અને કવિતાઓ ચાર-ચાર સૈકાથી વિશ્વભરના માનવમન પર એકહથ્થુ રાજ કરી રહ્યાં છે એમનું મોટાભાગનું જીવન હજીય એક રહસ્ય જ બની રહ્યું છે. મોટાભાગે ૨૩-૦૪-૧૫૬૪ના રોજ સ્ટ્રેટફર્ડ-એટ—એવોન ખાતે ચામડાના વેપારી જોન અને મેરી આર્ડનને ત્યાં જન્મ. બાળપણ અને અભ્યાસ અંગે પણ ભાગ્યે જ કોઈ જાણકારી છે. ૧૮ની ઊંમરે સાત-આઠ વર્ષ મોટી એન હથવે સાથે લગ્ન. બે સંતાન. સમલૈંગિકતાનો આરોપ પણ બહુચર્ચિત. ૧૫૮૫થી લઈને ૧૫૯૨ સુધીનો ગાળો ‘લોસ્ટ પિરિયડ’ તરીકે ઓળખાય છે. આ વર્ષોમાં એ ક્યાં હતા, શું કરતા હતા એની ભાગ્યે જ કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ છે. કહે છે, આ સમયગાળામાં એ કળાકાર થવા માટે લંડન પહોંચ્યા હશે. લંડનના નાટ્યગૃહો ૧૫૯૨થી ૧૫૯૪ દરમિયાન પ્લેગના કારણે બંધ રહ્યાં હતાં. ૧૫૯૪માં લોર્ડ ચેમ્બર્લિનની નાટ્યસંસ્થામાં જોડાયા. થોડા સમય બાદ ‘ધ ગ્લૉબ’ સાથે જોડાયા જે પ્રવર્તમાન સમયની સૌથી વધુ લોકપ્રિય નાટ્યસંસ્થા હતી. ત્યાં શેક્સપિઅર બે પાંદડે થયા, પોતાનું ઘર ખરીદ્યું. ૨૩-૦૪-૧૬૧૬ના રોજ નિધન.
દુનિયાની તમામ ભાષાઓમાં એમના સાહિત્યનો અનુવાદ થયો છે. એમના સમકાલીન બેન જોન્સને કહ્યું હતું કે આ માણસ કોઈ એક યુગનો નથી, પણ સર્વકાલીન છે. શેક્સપિઅરના ૧૫૪ સૉનેટ વિશ્વસાહિત્યનું મહામૂલું ઘરેણું છે. પહેલાં ૧૨૬ સૉનેટ ઉંમરમાં નાના પણ સામાજિક સ્તરે ચડિયાતા મિત્ર કે પ્રેમીપુરુષને સંબોધીને લખાયાં છે. એ પછીના સૉનેટ એકાધિક સંબંધ રાખનાર શ્યામસુંદરીને સંબોધીને લખાયાં છે. શેક્સપિઅરની જિંદગી બહુધા એક અણજાણ કોયડો હોવાથી અને કવિતાઓ નાટ્યાત્મક આત્મકથનાત્મક શૈલીમાં હોવાથી કવિતાને એમની જિંદગીની માનવાની લાલચ થાય પણ અંતિમ સત્ય તો અનભિજ્ઞ જ છે. આ સૉનેટોમાં સજાતીય અને વિજાતીય સંબંધો, પ્રેમ-બેવફાઈ બધું જ ઊઘડીને સામે આવે છે. વિવેચક જોન બેરીમેને કહ્યું હતું: ‘જ્યારે શેકસપિઅરે લખ્યું કે મારે બે પ્રેમી છે, વાચક, એ મજાક નહોતો કરતો.’ મહદાંશે આ સૉનેટો સમય અને અનિવાર્ય ક્ષયની સામે પ્રેમ, સૌંદર્ય અને ખાસ તો કળાની શાશ્વતતાને મૂકે છે. શેક્સપિઅરે લેટિન, ફ્રેંચ, ગ્રીક જેવી ભાષાના શબ્દો અને શબ્દોના મૂળને હાથ ઝાલીને સેંકડો નવા શબ્દો અને શબ્દપ્રયોગો ભેટ આપ્યા છે. કોઈપણ કવિનો કોઈ ભાષા પર આવો વિરાટ અને એકલહથ્થો પ્રભાવ न भूतो, न भविष्यति છે. લગભગ ૩૭ જેટલા નાટકો એમના નામે બોલાય છે જેમાંના એકાદ-બેને બાદ કરતાં એકપણ મૌલિક નથી. મોટાભાગના નાટકોમાં જાણીતી-અજાણી વાર્તાઓ-ઘટનાઓના સંમિશ્રણ હોવા છતાં કથાગૂંફનનું નાવીન્ય, અભૂતપૂર્વ શબ્દસામર્થ્ય, ભાષા પરની અન્ન્ય હથોટી, માનવમનના અંતરતમ સંવેદનોને તાદૃશ કરવાની કળા, નાનાવિધ લોકબોલીઓનો ઊંડો અભ્યાસ અને ઉત્તમ કાવ્યત્ત્વથી રસાયેલાં આ નાટકો વિશ્વસમગ્રમાં સર્વશ્રેષ્ઠ ગણાયાં છે. કદાચ સૌથી વધારે વાર મંચિત પણ થયાં હશે. એક સર્જક તરીકે એમનો પ્રભાવ અનન્ય, સર્વકાલીન અને સર્વવ્યાપી રહ્યો છે.
સૉનેટનો જન્મ ઇટાલીમાં થયો પણ એને ઇંગ્લેન્ડમાં સર થોમસ વાયટ અને હેન્રી હાવર્ડ અર્લ ઑફ સરે લાવ્યા. ઇટાલિયન સૉનેટ પેટ્રાર્કન સૉનેટ તરીકે પણ ઓળખાય છે જેમાં અષ્ટક-ષટકની પંક્તિવ્યવસ્થા અને ABBA ABBA / CDE CDE (અથવા CDCDCD) પ્રાસવ્યવસ્થા છે, જે અંગ્રેજી ભાષાને સાનુકૂળ નહોતી. વાયટ અંગ્રેજીમાં સૉનેટ લાવ્યા તો અર્લ ઑફ સરે ત્રણ ચતુષ્ક- યુગ્મકની પંક્તિવ્યવસ્થા તથા ABAB CDCD EFEF GG મુજબની પ્રાસવ્યવસ્થા લાવ્યા, જે પ્રાસ-નબળી અંગ્રેજી ભાષાના ગળે શીરાની જેમ ઊતરી ગઈ. શેક્સપિઅરે એમાં એવી હથોટીથી ખેડાણ કર્યું કે અંગ્રેજી સૉનેટ પર એમનો સિક્કો લાગી ગયો. એ શેક્સપિરિઅન સૉનેટ કહેવાયું.
શેક્સપિઅરના મોટાભાગના સૉનેટમાં કોઈએક શબ્દ પુનરાવર્તિત થતો નજરે ચડે છે. બહુધા ત્રણેય ચતુષ્ક અને યુગ્મમાં એક-એકવાર અર્થાત્ કુલ્લે ચારવાર તો ખરો જ. આ સૉનેટમાં summer, sometime અને fair શબ્દ ત્રણવાર તો eternal વગેરે બબ્બેવાર છે. હેલન વેન્ડલરના અવલોકન મુજબ એક નોંધપાત્ર પાસું couplet-tie છે, જેમાં આખરી યુગ્મકનો મહત્ત્વનો શબ્દ સૉનેટમાં ક્યાંક અનુસંધાયેલ હોય છે, પ્રસ્તુત સૉનેટમાં યુગ્મકનો eye પ્રથમ પંક્તિના ‘I’ તથા પાંચમી પંક્તિના eye સાથે તાલ મિલાવે છે. આ રીતે એ સૉનેટના મુખ્ય શરીર અને યુગ્મકને જોડે છે. ક્યારેક કવિ વિરોધાભાસી શબ્દોને અડખપડખે મૂકીને વાતને પરાકાષ્ઠાએ લઈ જાય છે. પ્રસ્તુત સૉનેટમાં eternal summer આવો જ એક પ્રયોગ છે. ઋતુ હોવાના નાતે ઉનાળાનું આયુષ્ય નિશ્ચિત છે. ‘તારો રમણીય ઉનાળો’ એમ પણ કહી શકાયું હોત પણ કવિ મર્ત્ય અને અમર્ત્યને એક તાંતણે બાંધી દે છે. જેન કોટ કહે છે, શેક્સપિઅરનું યુગ્મક અનિવાર્યપણે નાયક પોતાને જ સીધું ઉદ્દેશીને બોલતો હોય એ પ્રકારના આત્મકથાત્મક સંવાદથી બનેલું હોય છે. ૧૫૪માંથી ૧૪૫ (આયંબિક ટેટ્રામીટર)મા સોનેટને બાદ કરતાં બાકીના આયંબિક પેન્ટામીટરમાં લખાયા છે. પહેલા ૧૭ સૉનેટ પ્રજોત્પાદન સૉનેટ (Procreation Sonnets) ગણાયા છે. ૧૯મા સૉનેટથી સમય કેન્દ્રવર્તી સ્થાન લે છે. કહી શકાય કે અઢારમું સૉનેટ બે વચ્ચેનું સંક્રમણ-સૉનેટ છે કેમકે ૧૫થી ૧૭મા સૉનેટમાં જીવનને શાશ્વત બનાવવાની મથામણ અને કાવ્યામૃતની વાતો છે, ૧૮માં સૉનેટમાં આ વાત દૃઢીભૂત થાય છે અને ૧૯મા સૉનેટમાં સમય અને ઘડપણને કવિતાની મદદથી પડકાર અપાતો જોવા મળે છે. કવિતા દ્વારા અમરત્વનો શેક્સપિઅરનો વિચાર જે આગળના સૉનેટ્સમાં ઢીલોપોચો દેખાય છે, એ અહીં આત્મવિશ્વાસની ટોચે પહોંચેલો નજરે ચડે છે. કદાચ સૉનેટ લખતાં-લખતાં ૧૮મા સૉનેટ સુધી કવિ આવ્યા હશે ત્યાં સુધીમાં એમને પોતાને પોતાની સર્ગશક્તિ અને શાશ્વતીનો અંદાજ આવી ચૂક્યો હશે, જે આત્મવિશ્વાસ આ પછીના સૉનેટ્સમાં બળવત્તર થયેલો જોઈ શકાય છે.
અહીં અઢારમા સૉનેટમાં શેક્સપિઅરે ત્રણેય ચતુષ્ક અને અંતિમ યુગ્મકને પૂર્ણવિરામોથી અલગ કરવાના બદલે એકસૂત્રે બાંધીને પ્રવાહિતા આણી છે. આઠ પંક્તિ પછી ભાવપલટો અને અંતિમ બે પંક્તિઓમાં ચોટ –એમ સૉનેટના અનિવાર્ય અંગો અલગ તારવી શકાતા હોવા છતાં સળંગસૂત્રિતા મુખ્ય પાસુ છે. પ્રિયપાત્રને પ્રશ્ન પૂછવાથી કવિ કાવ્યારંભ કરે છે. પૂછે છે, કહે, ઉનાળાના દિવસ સાથે તને હું શી રીતે સરખાવું? શેક્સપિઅરનો ઉનાળો સમજવા માટે ઇંગ્લેન્ડમાં પણ જવું પડે. આપણે ત્યાંથી વિપરિત હાડ ગાળી નાંખે એવા શિયાળા પછી ઉનાળો ક્યારે આવે એની ત્યાં કાગડોળે રાહ જોવાતી હોય છે. ‘હૉમ થોટ્સ, ફ્રોમ અબ્રોડ’માં રૉબર્ટ બ્રાઉનિંગ પણ ઇંગ્લેન્ડના ઉનાળાને યાદ કરીને નૉસ્ટેલજિક થયા છે. ૧૭૫૨ સુધી ઇંગ્લેન્ડમાં આજે વપરાતા ગ્રેગોરિઅન કેલેન્ડરના સ્થાને જૂનું જુલિયન કેલેન્ડર વપરાતું, એટલે મે મહિનો પ્રારંભિક ઉનાળાનો સમય હતો. ‘મે ડે’ ઉત્સવનો, પ્રણયફાગનો દિવસ ગણાતો. ઉનાળાનો દિવસ સૌને મન અતિપ્રિય હોવા છતાં કવિ પ્રિયપાત્રને એની સાથે સરખાવતાં ખચકાટ અનુભવે છે. કેમ? તો કે, ઉનાળા જેવી જાજરમાન, માનવંતી, સૌંદર્યવતી ઋતુના દિવસ કરતાં પણ પ્રિયપાત્ર વધુ પ્રિય પણ છે અને વધુ ઉષ્માસભર પણ છે. દઝાડતી ગરમી કે થીજાવતી ઠંડી નહીં, પણ મનભાવન ઉષ્મા આપે એવી. નવપલ્લવિત ફૂલ-કૂંપળોને મે મહિનાના વસમા પવનનો ડર સતત રહે છે. ઇંગ્લેન્ડના મે મહિનાના ઉનાળાને આપણા માર્ચ મહિનાના ફાગણ –વસંત ઋતુ સાથે સરખાવી શકાય. આપણા કેલેન્ડર મુજબ પણ વસંત ઋતુ એટલે ફાગણ અને ચૈત્ર, યાને મધ્ય માર્ચથી મધ્ય મે સુધીનો સમય. એટલે અનુવાદમાં મે મહિનાના સ્થાને એને અનુરૂપ વસંતી ફૂલો ખીલ્યાં છે, જેમને માટે નઠોર પવનોથી કેમ બચવું એ સવાલ તો ઊભો જ રહે છે. વળી ઉનાળો પોતે પણ કેટલા દિવસ ટકવાનો? સમય નામના મકાનમાલિકને ત્યાં ઉનાળાનો ભાડાકરાર કંઈ કાયમી નથી હોતો. ગણતરીની દિવસોમાં ઉનાળાનો પણ અંત થનાર છે. તો પછી પ્રિયજનની સરખામણી એની સાથે શીદ કરી શકાય?
વળી, ઉનાળાના તેજ-છાંયા પણ કાયમી નથી. કવિ જેને આકાશી નેણ કહી સંબોધે છે, એ સૂર્ય ઉનાળામાં ક્યારેક અસહ્ય તપે છે તો ક્યારેક એની સ્વર્ણપ્રભા વાદળોનું ગ્રહણ લાગી જતાં ઓઝપાઈ પણ જાય છે. પ્રકૃતિમાં કશું જ ચિરસ્થાયી નથી. સૃષ્ટિનું ચક્ર કદી સ્થિર રહેતું નથી. જે રીતે ઋતુપલટા અનિવાર્ય છે એ જ રીતે, ક્યારેક અકસ્માતે તો ક્યારેક કુદરતના અફર કાળચક્રની અડફેટે ચડીને ભલભલા રૂપસ્વીઓના રૂપ પણ સમય જતાં વિલાઈ જાય છે. સૉનેટ ૧૧૬માં શેક્સપિઅર લખે છે: ‘ગુલાબી હોઠો અને ગાલ પણ એના (સમયના) દાંતરડાથી છટકી શકતા નથી.’ બારમા સૉનેટમાં પણ એ લખે છે કે, ‘એવું કશું નથી જે સમયના દાંતરડા સામે કંઈપણ બચાવ કરી શકતું નથી.’ કુદરત સર્વદા પરિવર્તનશીલ છે એ તરફ ઈશારો કરીને કવિ સમસ્ત પ્રકૃતિની ક્ષણભંગુરતા તરફનો પોતાનો અણગમો પણ પ્રદર્શિત કરે છે. કવિની ગતિ પણ સ્વથી સર્વ પ્રતિની છે- એક દિવસથી કદી-ક્યારેક તરફ અને એક સૂર્યથી અનેક સૂર્ય-તમામ રૂપાળાઓ તરફની છે. વ્યક્તિથી સમષ્ટિ સુધીની વાત પ્રથમ બે ચતુષ્કમાં સમાવી કવિ સૉનેટમાં અનિવાર્ય એવો વળાંક (વૉલ્ટા) લે છે.
સૃષ્ટિમાં બધું જ અસ્થાયી અને ચલાયમાન છે, નશ્વર અથવા કામચલાઉ છે, એટલે જ કવિ સૃષ્ટિના ઘટકત્ત્વો સાથે વહાલાની બરાબરી કરવા માંગતા નથી. જો કે કવિને ખાતરી છે કે ઉનાળાથીય વધુ ઉષ્માસભર અને અધિકતર પ્યારા પ્રિયપાત્રનો સુવર્ણકાળ –ઉનાળો કદી વીતનાર નથી, શાશ્વત રહેનાર છે. કવિને પ્રતીતિ છે કે એના વહાલાનું રૂપ-તેજ સમયના વાદળ કદી ઝાંખાં પાડી શકશે નહીં. પ્રિયજનનું રૂપ કાળની ગર્તામાં વિલીન નહીં જ થાય એ વિશ્વાસ-પ્રદર્શન સાથે કવિતા આગળ વધે છે. કવિ સર્જનહારની સમકક્ષ ગણાયો છે. (अपारे काव्यसंसारे कविः एव प्रजापतिः-આનંદવર્ધન) કદાચ એટલે જ કવિને વિશ્વાસ છે કે સાક્ષાત્ યમ પણ પ્રિયજનને પોતાના ખોળામાં સમાવી લઈને બડાઈ હાંકી શકનાર નથી કે જા, અવગતે જા અને ફરતો રહે. કેમકે પ્રિયપાત્ર તો કવિના કવનમાં અજરામર થઈ ચૂક્યું છે. ‘સામ્ઝ’ (Psalms) (૨૩.૩)માં Shadow of death (મૃત્યુના ઓળા)નો ઉલ્લેખ છે. બાઇબલમાં ‘મૃત્યુ! તારો ડંખ ક્યાં છે?’ કહીને મૃત્યુને જીવન પર વિજયની શેખી મારતું દર્શાવાયું છે. વર્જિલ (ઇ.પૂ. ૭૦-૧૯)ના ‘ઇનીઇડ’ (Aeneid)માં ઇનીઆસને મૃત્યુ પછી પાતાળમાં- પ્રેતલોકમાં જતો બતાવ્યો છે એ વાતથી પણ શેક્સપિઅર વાકેફ હોઈ શકે છે. બીજું, શેક્સપિઅરે Shade શબ્દ વાપર્યો છે, જેનો શાબ્દિક અર્થ અંધારું કે ઓછાયો છે. અંધારું મૃત્યુની કાલિમા નિર્દેશે છે, પણ જોડણીમાં સહેજ ફેરફાર કરી શરૂનો ‘એસ’ શબ્દાંતે મૂકીએ તો Shade નો Hades થાય. ગ્રીક પુરાકથામાં હેડ્સ મૃત્યુનો દેવતા અને પાતાળનો રાજા છે. આ બંને અર્થ આવા સમર્થ કવિને અભિપ્રેત ન હોય તો જ નવાઈ. અહીં ક્રમશઃ ઓઝપાતો પ્રકાશ પણ વર્તાય છે. વધુ પડતા તેજસ્વી આકાશી નેણ, ઝાંખી પડતી કાંતિ, સમય સાથે રૂપનો થતો ક્ષય, વીતતો ઉનાળો, અને મૃત્યુની કાલિમા – સૉનેટના વચલા બે ચતુષ્કમાં ज्योतिर्मा तमसो गमय જેવી ઉનાળાના દિવસની અવળી ગતિ દેખાય છે.
કાવ્યાંતે શેક્સપિઅર એમની સચોટ સૉનેટશૈલીને વળગી રહી, અંતિમ બે પંક્તિમાં આખી કવિતાનો સાર આપે છે. ઉનાળાના દિવસથી માંડીને પ્રકૃતિની તમામ ચીજ ભલેને નાશવંત હોય, ક્ષણિક હોય પણ હે પ્રિય! તું શાશ્વતીને પામનાર છે, કારણ કે તને મારી કવિતાઓ અમરત્વ બક્ષનાર છે. અમરત્વની વાત શેક્સપિઅરના પ્રથમ સૉનેટની પ્રથમ કડીઓથી જ નજરે ચડે છે: ‘સૌથી સુંદર લોકોએ બાળકો પેદા કરવાં જોઈએ, જેથી સૌંદર્યનું ગુલાબ કદી મૃત્યુ ન પામે.’ પણ પ્રથમ સત્તર સૉનેટ સુધી પ્રજોત્પાદનની હિમાકત કર્યા પછી અઢારમા સૉનેટમાં અમરત્વની ગુરુચાવી પ્રજોત્પત્તિમાં નહીં પણ પોતાની કવિતાઓમાં છે એવો ઘટસ્ફોટ શેક્સપિઅર કરે છે.
જો કે શેક્સપિઅર કવિ હોવા છતાંય કુશાગ્ર બુદ્ધિજીવી પણ હતા. એ વાસ્તવદર્શી હતા. એ ‘यावत्चंद्रौदिवाकरौ’ની વાત નથી કરતા, એ શાશ્વતીની ખાતરી અવશ્ય આપે છે, પણ આ ખાતરી મનુષ્યજાતના અસ્તિત્વ સુધીની જ છે. પૃથ્વી પર અનેક જીવો આવ્યા, જીવ્યા અને નામશેષ થઈ ચૂક્યા છે. મનુષ્યો પણ અમરપટો લખાવીને આવ્યા નથી. આખી માનવજાત ભવિષ્યમાં નેસ્તનાબૂદ થઈ જાય એમ પણ બને. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કળાનું અસ્તિત્ત્વ પણ મનુષ્યો ધરા પર વિચરણ કરે છે, ત્યાં સુધીની જ હોવાનું ને! મનુષ્યના નાશ સાથે જ કળા પણ નામશેષ-અર્થશેષ બની રહેશે. કવિ કહે છે, જ્યાં સુધી આ પૃથ્વી પર મનુષ્યો જીવતા હશે અથવા આંખ જોઈ શકતી હશે ત્યાં સુધી આ કવિતા જીવશે અને આ કવિતા તને સમયાતીત જીવન આપતી રહેશે. આખરે, કવિતાથી ચડિયાતી સંજીવની બીજી કઈ હોઈ શકે?