ઉડ્ડયન – રમેશ પારેખ

રમેશ પારેખનાં ધોધમાર ગીતોમાંથી પસાર થવાનો આનંદ અનેરો છે.
એમનું પ્રખ્યાત ગીત છે-
‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલાં ઓછાં પડ્યાં રે લોલ!
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાંક્યાં ને આભલાં ઓછાં પડ્યાં
રે લોલ!’
આ ઓછું પડવું -એ આ ગીતમાં પણ કવિ કૈંક જુદી રીતે લાવે છે. અંગ્રેજીમાં કહેવતરૂપ વાક્ય છે-
‘the sky is the limit’
કવિ એ જ વાત ગીતરૂપે અભિવ્યક્ત કરે ત્યારે આવું ગણગણવાનું મન થાય છે. -આભ તેને ઓછાં પડે!
હજી કઈંક મેળવવાની તલપ માટે મનોજ ખંડેરિયાનો શેર યાદ આવે છે-
‘તે છતાં તૃપ્તિ સુધી ન પહોંચાયું
આમ એ એક ઘૂંટ છેટી છે’
અનહદના અનુભવ માટે ભાર ‘હોવાનો’ ખંખેરવાનો સંદેશ સૂચક છે. રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં ‘હોવા’ – being – વિશેની વાત છે-
‘હોવુંય હવે ઉત્સવ આકંઠ શ્વસી જઈએ’
ને
‘શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાંખે’.
-અમર ભટ્ટ

કવિ: રમેશ પારેખ

‘જેને ઊડવું હો વીંઝીને પાંખો
હો આભ તેને ઓછાં પડે
થાય ધખધખતો તડકોય ઝાંખો
હવાઓ એને ક્યાંથી નડે?
નથી આંકેલા નકશા પર ચાલવાની વાત
ના થકાવટના ભયથી સંકેલવાની જાત
ઝીલે તેજ તણાં નોતરાંને આંખો
તો જીવને ના સાંકડ્યું પડે!
નહીં ડાળખી મળે કે નહીં છાંયડો મળે
ઝાડ ભૂલીને ઊડીએ તો જાતરા ફળે
ભાર હોવાનો ખંખેરી નાખો
તો અનહદની ઓસરી જડે!’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *