રંગે-રૂપે કાગડા જેવી ભાસતી કોયલને ખુલ્લામાં ઝડપવી થોડું કઠિન છે. ટહુકા કાયમ સાંભળવા મળે પરંતુ ૩૮ વર્ષની ઉંમરમાં છેક ગયા વરસે ઉનાળામાં કોયલના સાક્ષાત્ દર્શન નસીબ થયા. દેવબાગ, કર્ણાટકના જંગલમાં ખુબસૂરત કોયલ જોવા મળી (નીચેનો ફોટોગ્રાફ) અને ગઈકાલે મારા ઘર સામેના અમેરિકન કોટન પર નર કોકિલ (ઉપરનો ફોટો) ખુલ્લામાં દૃષ્ટિગોચર થઈ મને કહે, લે ! તારે મારા ફોટા પાડવા હતા ને ! પાડ હવે….
ગઈકાલે
ભયંકર ડિપ્રેશનમાં હૉસ્પિટલમાં દાખલ થયેલા કાકા
આજે ખુશખુશાલ હતા.
મારી દવાની આટલી ઝડપી અસર ?
કેમ છો કાકા ?
અરે, શું કહું ડોક્ટરસાહેબ ?
આ કંઈ હૉસ્પિટલ નથી,
આ તો હિલ-સ્ટેશન છે, હિલ-સ્ટેશન !
મેં સ્ટથૉસ્કૉપ બાજુએ મૂક્યું.
અરે સાહેબ !
અહીં હૉર્ન ઓછા સંભળાય છે અને ટહુકા વધુ…
કોયલે તો દિ’ આખામાં એક ઘડીનોય વિરામ લીધો નથી
ચકલીનું ચીં ચીં ને કબૂતરનું ઘૂ ઘૂ તો
ઘણા દહાડે કાન ભરી ભરીને સાંભળ્યું.
અને ખિસકોલીની ચિક્ ચિક્ તો શહેરમાં આવ્યો પછી પહેલીવાર સાંભળી
કાગડા, બુલબુલ, કાબર તો ઠીક,
તમારે ત્યાં તો દરજીડો પણ આવે છે…
અચ્છા ! પેલો ઝીણકી ચકલી જેવો જે આવે છે
એ દરજીડો છે ?
તમે તો કાકા ! એક નવા જ ટહુકાની ઓળખ આપી.
…એમની છાતીને અડાડ્યા વિના જ
મેં સ્ટેથોસ્કૉપ ગળામાં પાછું લટકાવી દીધું.
હું શું બોલું ?
દવા પણ શું આપું ?
તમારી સારવાર તો સમજાઈ ગઈ, કાકા
પણ આખી જિંદગી કંઈ હૉસ્પિટલમાં તો રાખી શકાવાનું નથી ને ?!
‘મુન્નાને નિશાળમાં મૂકવાનો સમય પાકી ગયો છે’ – લોકો કહે છે.
એની પા-પા પગલી બહારના વિશ્વ સાથે હાથ મેળવે
એનો સમય થઈ ગયો છે.
રસ્તા ઉપર ઊભરાતી અસંખ્ય મોટરો, બસો,
સાઇકલોથી બચાવી બચાવી
કોણ એને નિશાળને ઉંબરે મૂકશે – ફૂલની જેમ ?
કોણ એના ભેરુ હશે વર્ગમાં? કોઇ તોફાની, જિદ્દી, મશ્કરા :
એને હેરાન તો નહીં કરે ને?
મારો મુન્નો ખૂબ શાંત છે. સામો હાથ પણ નહીં ઉપાડે !
કેવી હશે એની ‘ટીચર’? પ્રેમથી નીતરતી એની આંખો હશે
કે પછી ‘ચૂપ બેસો’ કહેતી સોટી લઈને ઊભી રહેશે
બે કડક આંખો?
થાય છે : મારા નાનકડા ઘરમાં જ એક બાળમંદિર સજાવું.
બાળકોને હસતાંરમતાં ગીત ગાતાં કરું !
અથવા મુન્નાની જોડે રોજ હું જ એની શાળામાં જઈને બેસું, ને જોઉં.
પણ, એના પપ્પા હસી પડે છે, કહે છે : ‘તું ગાંડી છે, -‘
દરેક માએ ક્યારેક તો… વિખૂટા થવું જ પડે છે.
સવાલમાત્ર સમયનો છે !
આમ તો ત્રણ વર્ષથી પણ વધારે સમયથી ટહુકો પર શબ્દ સાથે મુકેલું આ ગીત.. આજે ફરી એકવાર સાંભળીએ, કવિયત્રીના પોતાના અવાજમાં, અને પછી દિલીપ ધોળકિયાના સ્વરાંકનમાં…
તારા બગીચામાં રહેતી ગઇ ને ટહુકાનું પંખી એક દેતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું
ઝાડવાની લીલેરી માયા મને
ફૂલની, સુગંધની છાયા મને
અને વહેતા આ વાયરામાં વહેતી ગઇ, કંઇક જન્મોની વાતને ઉકેલતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું
આ દિવસ ને રાતની કળીઓ ખૂલી
અહીં પળ પળના ગુંજનની ગાથા ઝૂલી
હું તો ભમતી ગઇ ને કશું ભૂલતી ગઇ ને યાદ કરતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું
– પન્ના નાયક
અંતિમ અવસરના જુહાર
પન્ના નાયક વિદેશમાં રહે છે અને સ્વદેશમાં આવનજાવન કરે છે. એના ગીત સંગ્રહનું નામ પણ ‘આવનજાવન’ છે. પ્રારંભમાં કેવળ અછાંદસ કાવ્યો લખતાં. પછી એમની કલમ ગીત અને હાયકુ તરફ પણ વળી છે. આ કાવ્ય એટલે અંતિમ સમયે વ્યકિત પ્રત્યે અને જગત પ્રત્યે આભારની અભિવ્યકિત- કોઈ પણ પ્રકારના ભાર વિના નરી હળવાશ અને અનાયાસે પ્રગટેલી અભિવ્યકિત. આ સૌંદર્યમય વિશ્વમાં જે કંઈ જોયું છે- જાણ્યું છે- માણ્યું છે એનો નર્યોઆનંદ. સજજનો જયારે જાય છે ત્યારે ઘા કે ઘસરકા મૂકી જતા નથી. જતાં જતાં પણ કોઈને આવજો કહીને જવું એમાં માણસની અને માણસાઈની ખાનદાની છે. જીવનમાં જયારે આપણે જીવતા હોઇએ છીએ ત્યારે કોક આપણને પ્રેમ કરે છે. આ પ્રેમ એ કોઈકે રચી આપેલો બગીચો છે. હું તો ત્યાં સુધી કહું કે આ સૃષ્ટિમાં આવ્યા પછી આપણે સૃષ્ટિમાં જીવીએ છીએ એ બીજું કશું જ નથી પણ ઈશ્વરે આપણા માટે રચેલો બગીચો છે. તો જીવ જયારે અહીંથી વિદાય લે ત્યારે એ બગીચામાં રહેવાનો જે આનંદ મળ્યો એ આનંદની લાગણીને કઈ રીતે વ્યકત કરે? ઈશ્વર પાસેથી માત્ર લેવાનું ન હોય. કશુંક સૂક્ષ્મ ઈશ્વરને આપવાનું પણ હોય. જેણે આપણને બગીચો આપ્યો એને આપણે કમમાં કમ આપણા ટહુકાનું પંખી તો આપીએ. ટહુકો નિરાકાર છે ને પંખીને આકાર છે. આમ તો જીવ અને શિવની, રૂપ અને અરૂપની આ લીલા છે. હરીન્દ્ર દવેની પંકિત યાદ આવે છે: કોઈ મહેલેથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો. આ ગીતની મજા એ છે કે એમાં મરણની ભયાનકતા નથી, મરણનું માંગલ્ય છે, એનું વૃંદાવન છે. ઝાડવાની લીલી માયા છે. ફૂલોની સુગંધી છાયા છે. વહેતા વાયરાની જેમ પસાર થતા કાળમાં આપણે પણ પસાર થઈએ છીએ અને આપણને ખબર નથી કે આ આપણો કયો અને કેટલામો જન્મ છે. પણ આપણે એ જન્મોની વાતને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક ક્ષણ એવી આવે છે કે જયારે આપણા આંગણે આખરનો અવસર આવી ઊભો રહે છે. કવિ રાજેન્દ્ર શાહની પંકિતઓ માણવા જેવી છે:
આખરને અવસરિયે,
વણું જુહાર, જયાં વાર વાર,
ત્યારે જ મેં અરે જાણ્યું
મારે આવડો છે પરિવાર.
રણની રેતાળ કેડીએ
જાતા ઝાકળને જળ ન્હા.
અહીં પણ અંતિમ ક્ષણની વેદના નથી, પણ આનંદનો અવસર છે. આમ આમ કરતાં કેટલા દિવસો વહી ગયા. કેટલી કળીઓ દિવસ રાતની ખૂલી અને આ કળીઓની આસપાસ કાળના ભમરાનું ગુંજન અને એની ગાથાઓ ઝૂલતી રહી. કાવ્યનાયિકા કહે છે કે હું તો જન્મોજન્મ લખચોર્યાશી ફેરામાં ભમતી રહી. ગત જન્મને ભૂલતી રહી અને છતાં કયાંક કયાંક પૂર્વજન્મના અને પુનર્જન્મના અણસાર આવતા રહ્યા. એ અણસારે અણસારે હું જન્મોની વાતોને ઉકેલતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉ છું. ખલિલ જિબ્રાને વિદાય વેળાનું એક ચિત્ર કર્યું છે. એમાં ‘આવજો’ કહીએ ત્યારે આપણો હાથ સહજપણે ઊચકાઈ જાય છે. કવિ ચિત્રકાર ખલિલ જિબ્રાને આવજો કહીને હથેળીમાં આંખને મૂકી છે. કારણ કે આવજો માત્ર હાથથી નહીં પણ આંખથી કહેવાનું હોય છે. આ સાથે સ્પેનિશ કવિ યિમિનેસના કાવ્ય અંતિમ યાત્રાનો અનુવાદ મૂકું છું તે તુલનાત્મક રીતે વાંચવા જેવો છે.
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
ને તોય હશે અહીં પંખી : રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો!
લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ, શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ: ઘંટનો હશે રણકતો નાદ:
નાદ એ નહીં જાય રે ઝાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
મને રહાતાં લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- ખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
અને એકલો જાઉ : વટાવી ઘરના ઉબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
-તો ય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
આજે કવિ શ્રી આદિલ મન્સૂરીને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ગઝલ એમના પોતાના અવાજમાં, અને સાથે મનહર ઉધાસના સ્વર-સ્વરાંકન..!!
હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય.
– આદિલ મન્સૂરી
સ્વર-સંગીત : મનહર ઉધાસ
આલ્બમ : અપેક્ષા
.
સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ.
સાચે જ મીણ જેવી હતી મારી િજંદગી,
દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ.
મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.
આજે કવિ શ્રી રમેશ પારેખની પૂણ્યતિથિ… એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ગઝલ, એમના પોતાના સ્વરમાં… અને હા, કવિ શ્રી ને થોડા વધુ નજીકથી ઓળખવાનો આ મોકો ચુકશો નહીં – http://www.rameshparekh.in/
રમેશ પારેખ કંઇક ભાળી ગયેલો કવિ હતો. પ્રેમના માર્ગે ચાલનારો આ કવિ સતત કંઇક ખોજવામાં રત હતો. ખુદ ભીંજાઇને બીજાને ભીંજવવા મથતો એ કવિ હતો.
– મોરારિ બાપુ
રમેશ પારેખની કવિતાનો હું સનાતન ઘાયલ છું. એ હૃદય મન સરોવરનો કવિ છે અને આપણા માન-સરોવરનો અધિકારી છે. એની કલમમાંથી આખોને આખો ગીતોનો દરિયો ઊછળી આવે છે. સર્જકતાથી ફાટફાટ થતાં આ કવિનું નામ વૈપુલ્યથી અને વૈવિધ્યથી ગીત, ગઝલ અને અછાંદસ દ્વારા ઊર્મિકવિતા સાથે ગુંથાયેલું અને ગંઠાયેલું છે. સોનલ તેની કાલ્પનિક વાસ્તવિકતા છે અને વાસ્તવિક કલ્પના છે. રમેશ એ વાવાઝોડું પી ગયેલો કવિ છે.
– સુરેશ દલાલ
એને તમે ‘લયનો કામાતુર રાજવી’ કહો કે પછી ‘સર્જકતાથી ફાટફાટ થતો કવિ’ કહો, રમેશ પારેખ છેલ્લા ત્રણ દાયકા સુધી ગુજરાતી ભાષાપ્રેમીઓના હૃદય પર એકચક્રી શાસન કરનાર અનન્વય અલંકાર છે. પોતાના નામને એણે કવિતાના માધ્યમથી જેટલું ચાહ્યું છે, ભાગ્યે જ કોઈ કવિ કે લેખકે એટલું ચાહ્યું હશે. ફરક ખાલી એટલો જ કે એનો આ ‘છ અક્ષર’નો પ્રેમ આપણે સૌએ સર-આંખો પર ઊઠાવી લીધો છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. એની કવિતાના શીર્ષક તો જુઓ: ‘કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું’, ‘ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત’, ‘પત્તર ન ખાંડવાની પ્રાર્થના’, ‘મા ઝળઝળિયાજીની ગરબી’, ‘સમળી બોલે ચિલ્લીલ્લીલ્લી’, ‘વૈજયંતીમાલા અથવા ઠાકોરજીની છબીમાં’, ‘હનુમાનપુચ્છિકા’, ‘મનજી કાનજી સરવૈયા’, ‘બાબુભાઈ બાટલીવાલા’, ‘સાંઈબાબાછાપ છીંકણી વિશે’, ‘પગાયણ’, ‘હસ્તાયણ’, ‘રમેશાયણ’, ‘’પેનબાઈ ઈંડું ક્યાં મૂક્શો?’, ‘કલમને કાગળ ધાવે’ વિ…
રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા.
– વિવેક ટેલર
આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.
સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.
તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.
એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.
સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.
આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
હુંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો ; હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે.
સવાલ એ નથી એ માનવી કે કોઇ મત્સ્ય છે ; બધાંની ભિતરે કશેક એક તત્વ દિવ્ય છે,
શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા, શું સ્થિરતા, પ્રવાહિતા શું સામ દામ દંડ ભેદ !?
ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે, એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.
‘ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,’
સ્વભાવગત આ વાત છે સ્વિકારવું – નકારવું, કરૂણતાઓથી ભર્યું જિવનનું આ જ સત્ય છે.
ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે ; ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે !
બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે ; ક્ષણીક હોય છે બધું – અહીં કશું ક્યાં નિત્ય છે ?
કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત ; વિવેચકોની દ્રષ્ટિઓય લીન છે સ્વરૂપમાં
છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ ; સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’ !
પ્રસ્તાવના : ચિંતન નાયક
ધોમ ધખતા ગ્રીષ્મ વચાળે પણ મળવાનું મન થાય એવો રંગીલો ગુલમ્હોર ખિલ્યો છે. અને મનમાં, મળવાનો ઊમળકો એટલો તો ઉભરાય છે, કે ગુલમ્હોરની એકાદ ડાળખી તો નહીં, એકાદ શેરીયે નહીં… પણ આખું ગામ ભરાય એમ ફૂટ્યા છે લાલમલાલ ફૂવારા…
એવા ગુલમ્હોરને ગામ મળીશુ એવો અદમ્ય વિશ્વાસ પ્રેમીના અંતરમાં અકબંધ છે.
વારેવારે ખોવાવું ને વળીવળીને મળવું, એની એક આગવી મજા છે. જો થોડીથોડી વારે એકબીજાથી જરા દુર ન થવાય, વિરહની સદિઓ સમી લાગતી જરા અમથી પળ પણ અનુભવવા ન મળે, તો એવા મળવામાં મજા પણ શી? અને મળીયે ત્યારે ટીપુ કે સરોવર કે દરિયો ભરીએ એમ નહીં, પણ આંખ ભરીને મળવું… હૈયામાં હૈયુ એક કરી ઓગળવું…