Category Archives: ગઝલ

બે ઘડી વાતો કરી … – કૃષ્ણ દવે

તા ૧૫ જુલાઈથી ૨ ઑગસ્ટ સુધી કવિશ્રી કૃષ્ણ દવે બ્રિટનની ઉડતી મુલાકાતે હતા. લયના હિલ્લોળના રાજવી અને મંચના મહારથી આ કવિ મનમોજી વાદળોની જેમ લંડન, બેટલી, બર્મિંગહામ અને લેસ્ટર જેવા સ્થળોએ ગીત, ગઝલ અને બાળકાવ્યોની હેલીથી સહુને તરબતર કરી શિકાગોના ભવ્ય કાર્યક્ર્મ માટે અમેરિકા આવી રહ્યા છે.

આખો ઑગસ્ટ મહિનો કવિશ્રી અમેરિકાના વિવિધ સાહિત્યિક વર્તુળોને એમનો લાભ આપશે. કવિ સાથે ગોષ્ઠિ માટે આતુર સાહિત્યક સંસ્થાઓ કે ઘરઘરાઉ બેઠકો યોજવા ઈચ્છનાર માટે કવિનો ઈમેલ સંપર્ક છેઃ krushnadave@yahoo.co.in

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.

આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ આંખમાં આવી અમે નીકળી ગયાં.

વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા.

પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં..બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા.

આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા.

– કૃષ્ણ દવે

રહેવા દે – હિતેન આનંદપરા

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્ર્વાસ રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઇશ્ર્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તુ મારા માટે થોડી પ્યાસ રહેવા દે.

– હિતેન આનંદપરા

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

લગભગ ૨ વર્ષ પહેલા ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલી આ મિલિન્દની ગઝલ – આજે બે અલગ અલગ સ્વરાંકનો સામે ફરી એકવાર માણીએ..!

(અષાઢી સાંજે….   Photo: by Ted Szukalski )

.

.

હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે
હું શબ્દ બનીને સળગુ છું, એ મૌન લખીને ઘુંટૅ છે

હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું જઇ પૂછ વિરહની રાતોને
અહીં રોજ નિરાશા ફણગે છે, અહીં રોજ નિસાસા ઊગે છે

નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી
અફસોસ બિચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે

મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
તો કોણ પછી આ રગરગમાં નિઃશ્વાસ બનીને ઘૂમે છે

પેલા પર્વતની ટોચે કહે છે બે પ્રેમી આખર વાર મળ્યા
એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે.

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.

શબદચોકમાં રે ! – અશરફ ડબાવાલા

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે !
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે !

લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે !

મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે !

પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે !

રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે !

મારે પીડાની મા કેવી હાજરાહજૂર !
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે !

જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે !

– અશરફ ડબાવાલા

————–
ધવલભાઇ આ ગઝલ માટે કહે છે :
તળપદા શબ્દોનો પ્રયોગ છતાં પણ ગઝલ આધુનિક છે. ગઝલનો ઉપાડ જ બહુ મઝાનો છે. ને છેલ્લો શેર તો મારો પ્રિય છે : મન અને તન પર – રોમેરોમ પર – સવાર થઈ જાય એ જ (શબ્દની) ખરી લગની કહેવાય. સતત મનમાં રહેતી-રમતી વાત માટે ‘નેજવાના ગઢ પર દેરી બાંધી’ એવો મઝાનો પ્રયોગ તરત જ ગમી જાય છે. ( આભાર – લયસ્તરો)

————-

અને હા….. સાથે એક અગત્યની જાહેરાત (Press Note as provided by Chicago Art Circle)

ફ્રેન્ડ્ઝ ઓફ શિકાગો આર્ટ સર્કલ યોજે છે
“શબ્દ અને સંગીતનો મહોત્સવ”

શિકાગોના મશહૂર તબીબ ડો. અશરફ ડબાવાલા એક હાથે પ્રિસ્ક્રિપ્શન ને બીજા હાથે કવિતા લખે છે. અશરફ ડબાવાલાની ગઝલો ગુજરાત તેમ જ અમેરિકામાં સમાનભાવે સમાદર પામી છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગુજરાત લિટરરી એકેદમી ઓફ નોર્થ અમેરિકાનું ચુનીલાલ વેલજી પારિતોષિક અને વિખ્યાત નાટ્યસંસ્થા “આઇએનટી” નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયાં છે. તેમનો કાવ્યસંગ્રહ “ધબકારાનો વારસ” ગુજરાતની યુનિવર્સિટીઓમાં ભણાવાય છે. તેમની નિગેહબાની હેઠળ છેલ્લાં ૧૫ વર્ષોથી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ અને લોકપ્રિય કાર્યક્રમો રજૂ કરતી સંસ્થા “શિકાગો આર્ટ સર્કલ” અવારનવાર અમેરિકાના વિશિષ્ટ ભારતીયોને બિરદાવે છે. તે “શિકાગો આર્ટ સર્કલ”ના ઉત્સાહી મિત્રો હવે એવા અલબેલા શાયર ડો. ડબાવાલાને બિરદાવવા ગુજરાતી શબ્દ અને સંગીતનો બે દિવસનો મનોરંજક તેમ જ કર્ણરંજક કાર્યક્રમ યોજી રહ્યા છે. શનિવાર, તારીખ ૭મી ઓગષ્ટ ૨૦૧૦ની સાંજે ૬:૩૦ વાગ્યાના એક ભવ્ય “આંતરરાષ્ટ્રીય કવિ સમેલન”માં શ્રી અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવામાં આવશે, અને તે ઉપલક્ષ્યે ભારતથી આમંત્રિત કવિઓ ચિનુ મોદી, અનિલ જોષી, વિનોદ જોષી, કૃષ્ણ દવે અને અમેરિકાના ચંદ્રકાન્ત શાહ, અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, પ્રીતમ લખલાણી, અબ્દુલ વહીદ “સોઝ”, કમલેશ શાહ, ભરત દેસાઈ અને અન્ય મહેમાન કવિઓ પોતાની કૃતિઓ પેશ કરશે. આ સભામાં અતિથિ વિશેષ તરીકે નિમંત્રિત છે મધુ રાય, રામ ગઢવી, મધુસૂદન કાપડિયા અને નરેન્દ્ર લાખાણી.

રવિવાર તારીખ ૮મી ઓગષ્ટ ૨૦૧૦ની સાંજે ૪:૩૦ વાગ્યે આયોજીત “સંગીત સંધ્યા”માં ન્યુજર્સીના પ્રો. મધુસૂદન કાપડિયાનું તેમની અવિરત સાહિત્યસેવા બદલ, કેલિફોર્નિયાનાં જયશ્રીબહેન ભક્તાનું તેમના સાહિત્યિક બ્લોગ “ટહૂકો” (www.tahuko.com) થકી કરાતી કાવ્યસેવા બદલ, અને ઇલિનોઈ સર્કિટ કોર્ટ(શિકાગો)નાં જજ કેતકિ શ્રોફનું તેમની સિદ્ધિઓ બદલ સન્માન કરાશે. આ પ્રસંગ ઉજવવા ગુજરાતી સંગીતવિશ્વના લોકપ્રિય કલાકારો શ્યામલ, સૌમિલ, અને આરતી મુન્શી પેશ કરશે ગીત, ગઝલ અને હાસ્યસભર સંગીતની રમઝટ.

આ ઉત્સવ ઉજવાશે 435 નોર્થ રાઉટ 59, બાર્ટલેટ, ઇલિનોઈ 60103 (ફોન 630-837-1077) સ્થિત રમણીય જૈન સેન્ટર ઓડિટોરિયમમાં. કાર્યક્રમના આયોજકો કહે છે કે સાચી શોભા તો તેના પ્રેક્ષકો જ છે. અમે દેશ પરદેશથી ઉત્તમ ચીજો પેશ કરીએ જ છીએ અને આશા છે કે સાહિત્ય અને સંગીત રસિકો ઊલટથી ભાગ લેશે અને કાર્યક્રમને, અશરફને બિરદાવશે.

આ કાર્યક્રમની ટિકિટો છે: ૭મીનું કવિ સંમેલન તથા અલ્પાહાર – $10, $25, VIP($50); ૮મીની સંગીત સંધ્યા સાથે ડિનર – $25, $35, VIP($50); બંને દિવસની સંયુક્ત ટિકિટ – $25, $50, VIP($100).

ટિકિટ તેમ જ વધુ માહિતી માટે વીરેશ ચાંપાનેરી 847-566-2029; નિશા કપાસી 847-757-6342; ઉત્પલ મુન્શી 224-578-5100; મુકુન્દરાય દેસાઈ 847-803-9560 અથવા હોરાઇઝન મેડિકલ સેન્ટર (લીના) 847-490-0600

વીજળી છે કે કોઈના દસ્તખત ! – રવીન્દ્ર પારેખ

(photo: TrekEarth.Com)

ડૂબવાનું હોય જાણે કે જગત,
એટલો વરસાદ વરસે છે સખત.

બારણાં, બારી બધું વરસાદનું,
ને ઉપર વરસાદની એકાદ છત.

જળ ભલે આપે મને વરસાદ તું-
લે, ઉમેરી અશ્રુ આપું છું પરત.

હોય કોરું તોય હું તરબોળ છું,
યાદમાં એવું બધું તો હસ્તગત.

હું મને મળવા મથું પણ ના મળું,
એટલો વરસાદ વચ્ચે છે સતત.

ના કશેથી આવવું કે ના જવું –
ને ઉપરથી જાય ના ભીનો વખત.

શક્ય છે એ રીતથી મળવું બને,
લે; લખ્યો આજે મને એકાદ ખત.

સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.

ભીની આંખે કેમ ઉકેલું કહે,
વીજળી છે કે કોઈના દસ્તખત !

-રવીન્દ્ર પારેખ

તો તુ શું કરીશ ? – મુકેશ જોષી

ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?

વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?

કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

– મુકેશ જોષી

મરવાનું મન થયું – અમર પાલનપુરી

સ્વર – સંગીત : હરીશ સોની

.

તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું;
બોલાવ્યો જ્યારે પાછો, તો રડવાનું મન થયું.

ખોળામાં જ્યારે કોઈના માથું મૂકી દીધું;
સોગંદ જીવનના, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું.

દિલને મળ્યું જે દર્દ એ ઓછું પડ્યું હશે!
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું?

દીઠી જ્યાં મસ્ત ઝૂલ્ફ ને ચકચૂર આંખડી,
તૈબાને ઘોળી, પ્યાલીઓ ભરવાનું મન થયું.

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ;
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું!

– અમર પાલનપુરી

મનોજ પર્વ ૧૨ : જળ

‘હસ્તપ્રત’માંનું પંચતત્ત્વ વિશેનું ગઝલગુચ્છ વિશેષ ઉલ્લેખનીય છે. વાયુ, આકાશ, અગ્નિ, પૃથ્વી અને જળ જેવાં પંચતત્ત્વનું અહીં થયેલું નૂતન અર્થઘટન કવિની ચિંતનપ્રવણતાનું પરિચાયક બને છે, તો કવિતાના દ્રાવણમાં ઓગળીને થયેલું કથયિતયનું નિરૂપણ કવિની સર્ગશક્તિનું ધોતક પણ બની રહે છે. માટીમાંથી ઉદૂભવતાં અને માટીમાં ભળી જતાં, અગ્નિ અને આકાશમાં ઓગળી જતાં કે પવનના પાતળાં પોતમાં અને પાણીના પ્રવાહી રૂપમાં એકાકાર થઈ જતાં દેહની તત્ત્વગર્ભ વાત અહીં ગઝલના રસાયણમાં ભળીને આવે છે ત્યારે ગઝલનું નવું જ પરિમાણ પ્રગટી ઊઠે છે. ર્દષ્ટાંત તરીકે ‘જળ શીર્ષકની ગઝલના મત્લા અને મક્તાના શે’ર પ્રસ્તુત છે –

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

*  *  *  *  *

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

મનોજ ખંડેરિયાની ગઝલોમાં આમ આત્મનિરીક્ષણને પરિણામે પ્રગટતા ચિંતનની સરવાણી સતત વહે છે, તો સાથેસાથ કવિની ભાવસૃષ્ટિ કાવ્યાત્મક પશ્ર્ચાદભૂમાં પણ ચિંતનાત્મક રૂપ ધરે છે. ગઝલના શિલ્પમાં સિધ્દ્ર થતું આવું વિચારસૌન્દર્ય ગઝલ ને મનભર બનાવ છે અને સહૃદયના ચિત્તકોષને અજવાળે છે.

નીતિન વડગામા

***********

(કાગળની હોડી…..Photo : A Daily Photo of Brooklyn)

સ્વર-સંગીત : અમર ભટ્ટ

.

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ
પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ

ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં ઠીજ્યું,
તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ

કાગળની હોડી શી ઇચ્છા સધળી ડૂબે,
એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ

માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં,
પાણીની આગે બળબળતું પાણી છીએ

જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ

સાતપૂડાની વ્હેતી જલની ધારા જેવા-
કાળા પથ્થરનું ઓગળતું પાણી છીએ

ક્યાંથી આવ્યા, મૂળ અમારું કૈં ના પૂછો
અંતે પાણીમાં જઈ ભળતું પાણી છીએ

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૧૦ : ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ

સ્વર – સંગીત : અમર ભટ્ટ

(The horizon @ 0.00 degrees Equator, Kenya)

.

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૦૯ : પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

આ વર્ષના ‘મનોજ પર્વ’ના બીજે દિવસે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ મને ખૂબ જ ગમતી ગઝલ..! કવિના પોતાના અવાજમાં.. મનોજ ખંડેરિયાની ગઝલોમાં આવતા જૂનાગઢ, નરસિંહના સંદર્ભો આમ તો અજાણ્યા નથી – પણ આ ગઝલમાં જૂનાગઢ કે નરસિંહ મહેતાના નામ વગર આવતો સંદર્ભ વિષે કવિના પોતાના અવાજમાં જ સાંભળો.

ગઝલ પઠન : મનોજ ખંડેરિયા

.

*****

અને સાથે બે અલગ સ્વરાંકનો અને સ્વરોમાં માણીએ આ ગઝલ ..!

સ્વર અને સ્વરાંકન : રાસબિહારી દેસાઇ
(થોડું જૂનું રેકોર્ડિંગ હોવાથી અવાજ થોડો ધીમો છે… ચલાવી લેશો ને? 🙂 )

.

સ્વર અને સ્વરાંકન : સોલી કાપડિયા

.

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા