Category Archives: ગઝલ

સાચી છે મહોબ્બત – મરીઝ

પઠન : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

સાચી છે મહોબ્બત તો એક એવી કલા મળશે,
મળવાના વિચારોમાં મળવાની મજા મળશે.

તે બાદ ખટક દિલમાં રહેશે ન ગુનાહોની,
જ્યારે તું સજા કરશે ત્યારે જ ક્ષમા મળશે.

ભૂતકાળની મહેફિલમાં ચાલો ને જરા જોઈએ,
જો આપ હશો તો સાથે ફરવામાં મજા મળશે.

દુનિયાના દુઃખો તારો આઘાત ભૂલાવે છે,
નહોતી એ ખબર અમને આ રીતે દવા મળશે.

માનવને ય મળવામાં ગભરાટ થતો રે’છે,
શું હાલ થશે મારો જ્યારે ખુદા મળશે.

થોડાક અધૂરાં રહી છૂટા જો પડી શકીએ,
તો પાછું મિલન થાતાં થોડીક મજા મળશે.

હું યત્ન નહીં કરતે જો એની ખબર હોતે,
પણ જાણ નથી શું શું તકદીર વિના મળશે.

સમજી લ્યો ‘મરીઝ’ એની સૌ વાત નિરાળી છે,
‘હા’માં કદી ‘ના’ મળશે, ‘ના’માં કદી ‘હા’ મળશે.

– મરીઝ

પીડાના ટાંકણાની – મનોજ ખંડેરિયા

સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ
સંગીત : અમર ભટ્ટ
સ્વર : અમર ભટ્ટ

.

પીડાના ટાંકણાની ભાત લઇ દરવાજે ઊભો છું,
કળામય આગવો આઘાત લઇ દરવાજે ઉભો છું.

નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિન રાત લઇ દરવાજે ઉભો છુ.

તમે જેના અભાવે વાસી દીધા દ્વાર વર્ષોથી,
હું એ વિશ્વાસની મિરાત લઇ દરવાજે ઉભો છું.

ઉભો દ્વારે શિશુ ભોળો, દયામય મંદિર ખોલો,
બચેલા શ્વાસની સોગાત લઇ દરવાજે ઉભો છું.
-મનોજ ખંડેરિયા

ગ્લૉબલ કવિતા: ૧૪૨ : કદાચ – ગુલઝાર

शायद

कोई अटका हुआ है पल शायद
वक़्त में पड़ गया है बल शायद

लब पे आई मिरी ग़ज़ल शायद
वो अकेले हैं आज-कल शायद

दिल अगर है तो दर्द भी होगा
इस का कोई नहीं है हल शायद

जानते हैं सवाब-ए-रहम-ओ-करम
उन से होता नहीं अमल शायद

आ रही है जो चाप क़दमों की
खिल रहे हैं कहीं कँवल शायद

राख को भी कुरेद कर देखो
अब भी जलता हो कोई पल शायद

चाँद डूबे तो चाँद ही निकले
आप के पास होगा हल शायद

– गुलज़ार

કદાચ

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

એકલા આજકાલ છે એ કદાચ
હોઠે મારી જ કો’ ગઝલ છે કદાચ.

દિલ યદિ છે તો દર્દ હોવાનું જ,
ને વળી એનો હલ અકળ છે કદાચ.

જાણે છે, શું છે ફળ ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

આવે છે આ તરફ એ પગરવ ને,
ક્યાંક ખીલી રહ્યાં કમળ છે કદાચ.

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

– ગુલઝાર
(અનુ. વિવેક મનહર ટેલર)

અનિશ્ચિતતાની ચાદર તળે સંતાયેલી નિશ્ચિતતાની ગઝલ

ગઝલ આજે કદાચ સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર છે. ફરસાણની દુકાને એક જ ઘાણમાં જેમ સેંકડો ગાંઠિયા ઉતરે, એમ પ્રધાન ભારતીય ભાષાઓમાં ગઝલોના ઘાણ ઊતરી રહ્યા છે ને કવિતાનો ઘાણ નીકળી રહ્યો છે. દેખાવે સાવ સરળ લાગતો હોવા છતાં હકીકતમાં આ કાવ્યપ્રકાર કદાચ સહુથી કપરો છે, કેમ કે બે પંક્તિની સાવ નાનકડી જગ્યામાં કવિએ દોરડા પર ચાલતા નટની કુશળતાથી સમતુલન ગુમાવ્યા વિના વસવાનું હોય છે. કૃષ્ણના નાનકડા મુખમાં આખું બ્રહ્માંડ દેખાય એમ દરેક શેરના બે મિસરામાં સ્વતંત્ર કવિતા અવતારવાનું ભગીરથકાર્ય જૂજ કવિઓ જૂજ વાર જ હાંસિલ કરી શકે છે. ગુલઝારની પ્રસ્તુત ગઝલ આ કાર્ય સુપેરે કરી શકી છે.

ગુલઝાર. મૂળ નામ સમ્પૂરન સિંહ કાલરા. ઑસ્કાર એવૉર્ડથી સન્માનિત એકમાત્ર ભારતીય ગીતકાર. ગ્રેમી એવોર્ડ, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ, અને સાત-સાત વખત નેશનલ એવોર્ડ! આજના દૌરના ઉત્તમોત્તમ કવિ. સફળતમ ફિલ્મી ગીતકાર. સેંકડો ઉત્તમ ફિલ્મો-ધારાવાહિકોના સંવાદલેખક-પટકથાલેખક-વાર્તાકાર-દિગ્દર્શક-પ્રોડ્યુસર ગુલઝારના નામથી ભાગ્યેજ કોઈ કાવ્યરસિક અને સિનેરસિક અણજાણ હોઈ શકે. નસીરુદ્દીન શાહ અભિનીત ‘મિર્ઝા ગાલિબ’ ટીવી સિરિયલ એમની કારકિર્દીનું શિરમોર છોગું છે. ૧૮-૦૮-૧૯૩૪ના રોજ બ્રિટિશ ભારત (આજના પાકિસ્તાન)ના ઝેલમ જિલ્લાના દીના ગામમાં માખનસિંહ કાલરા તથા સુજન કૌરના શીખ પરિવારમાં જન્મ. નાની વયે જ માતાને ગુમાવી. પિતાએ ત્રણ લગ્ન કર્યા. વચલી પત્નીથી એક સંતાન, તે ગુલઝાર. પહેલી પત્નીથી ત્રણ અને ત્રીજી પત્નીથી થયેલ ચાર સંતાનોની સાથે તેઓ મોટા થયા. સાત વર્ષની વયે પિતા સાથે દિલ્હી આવ્યા. દિલ્હીમાં એક દુકાનદાર અઠવાડિયાના ચાર આના લઈને ઇચ્છો એટલા પુસ્તક વાંચવા આપતો. ગુલઝાર ભૂખ્યાડાંસની જેમ તૂટી પડ્યા. દુકાનદારે એકવાર કોઈ નહોતું લઈ જતું એ પુસ્તક આપ્યું. રવીન્દ્રનાથના ‘ગાર્ડનર’નો એ ઉર્દૂ અનુવાદ હતો. આજીવન પ્રિય બની રહેનાર એ પુસ્તક એમણે પચાવી પાડ્યું. એમના શબ્દોમાં એ એમની પહેલી ચોરી. આ પુસ્તકે એમને લેખક બનવાની પ્રેરણા આપી. દસ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. શરૂમાં તો એમના પિતાએ આ (કુ)કર્મ માટે એમનો ઉધડો પણ લીધો હતો. ભાગલા સમયે બાકીનો પરિવાર પણ દિલ્હી આવ્યો. ૧૯૫૦માં પિતાએ ગુલઝારને બીજીવાર પરિવારથી અલગ કરી મુંબઈ મોટાભાઈને ત્યાં મોકલી આપ્યા. ભાઈને ત્યાં ગાડીના રંગોની દુકાનમાં થોડો સમય કામ કર્યા બાદ ગુલઝારે ઘણી ક્ષુલ્લક નોકરીઓ કરી. આખરે રંગોની બાબતમાં નૈસર્ગિક હથોટી હોવાના કારણે વરલીમાં એક ગેરેજમાં ગાડી રંગવાના કામે લાગ્યા. ગેરેજ સિવાયના સમયે કોલેજ અને પ્રોગ્રેસિવ રાઇટર્સ એસૉશિયેશનમાં જતા. બિમલ રૉયે કાદવમાંના કમળને પારખી લીધું. ગુલઝાર એમના સહાયક બન્યા. ૧૯૬૩માં બંદિની ફિલ્મ માટે પ્રથમ ગીત, ‘મોરા ગોરા અંગ લઈ લે’ લખ્યું. આપણને ગુલઝાર દિનવી મળ્યા, જેમાંથી દિનવી તખલ્લુસ કાળક્રમે ખરી ગયું. બિમલ રૉય અને ઋષિકેશ મુખર્જીને તેઓ ગુરુ ગણે છે. લૉન ટેનિસના શોખીન. મુશાયરાઓમાં કદી ભાગ લેતા નથી. ૧૯૭૩માં રાખી સાથે લગ્ન. એક સંતાન, નામે મેઘના, જેના જન્મ પછી બંને અલગ થયા પણ એકમેક સાથે રોજિંદા સંપર્કમાં રહે છે. ગુલઝારના શબ્દોમાં આ ‘Living together, separately’ છે, જેની વિગતો તેઓ દુનિયા સાથે વહેંચવા માંગતા નથી. ટ્રેજેડીક્વીન મીનાકુમારી મીનાકુમારી પોતાની કવિતાઓ અને ડાયરીઓ ગુલઝારના હવાલે કરી ગયાં હતાં. મીનાકુમારીની નાદુરસ્ત તબિયત અને દવાઓની અનિવાર્યતા પારખીને ગુલઝારે એમના વતી રમઝાન માસમાં રોજા રાખવા આદર્યા. મીનાકુમારીને ગયાના વરસો બાદ આજે પણ ગુલઝાર પોતાની ઉમર અને તબિયતને ધ્યાનમાં રાખીને દર વરસે દસથી પંદર રોજા તો રાખે જ છે. વર્ષોથી માત્ર સફેદ વસ્ત્રો જ પહેરે છે. શર્મિલા ટાગોરને એમણે કહ્યું હતું કે એમની પાસે કાળો કોટ નહોતો એટલે તેઓ ઓસ્કાર એવૉર્ડ લેવા ગયા નહોતા. પંચ્યાસી વર્ષની જૈફ વયે પણ તેઓ સતત સક્રિય છે અને મુંબઈમાં જ ‘બોસ્કીયાના’માં રહે છે.

ફિલ્મોમાં ગમે એટલી નામના કેમ ન મળી હોય, ગુલઝારનું શ્રેષ્ઠ પદાર્પણ એટલે એમની કવિતાઓ. સાચા ગુલઝારને મળવું હોય તો એમની કવિતાઓની ગલીઓમાં જ જવું પડે. સરળ ભાસતી ભાષા એમને હસ્તગત સાવ જ અનૂઠા રૂપકોના કારણે અભૂતપૂર્વ પોત ધારતી જોવા મળે છે. સસ્તાં ગણાતાં ફિલ્મી ગીતો પણ એમના પારસસ્પર્શે સુવર્ણ બની જાય છે. એ ફિલ્મી ગીત લખે છે તો એમાંય કવિતાનો સ્પર્શ અછતો રહેતો નથી. જો કે ગીત-ગઝલ કરતાંય એમનું પ્રધાન કર્તૃત્વ નઝમમાં જોવા મળે છે. પ્રાસ-સ્વરૂપની અન્ય પળોજણ ત્યગીને માત્ર છંદના આવર્તનોનો હાથ ઝાલી ‘બ્લૅન્ક વર્સ’માં ગુલઝાર ઊંડું કાવ્યતત્ત્વ ધરાવતી નઝમો આપે છે. ગઝલના શેરથી ઉપર ઊઠીને એમણે આપણે ત્યાં ત્રિપદી તરીકે આવકાર પામેલ ત્રણ પંક્તિના ‘ત્રિવેણી’ નામક કાવ્યપ્રકારનો આવિષ્કાર કર્યો. હિંદી, ઉર્દૂ અને પંજાબી ઉપરાંત તેઓ વ્રજ ભાષા, ખડી બોલી, મારવાડી અને હરિયાણવીમાં પણ રચના કરે છે.

ટૂંકી બહેર, ચુસ્ત કાફિયા અને સંભાવનાના સિક્કાની બીજી બાજુ કોરી છોડી દેતી ‘કદાચ’ જેવી બહુઆયામી રદીફ વાપરીને ગઝલ સિદ્ધ કરવી સહેલું કામ નથી. ટૂંકી બહેરમાં કામ કરવું એટલે આમેય સાંકડી ગલીમાં નોળિયો નાચવા જેવી વાત. પણ ગુલઝાર સિદ્ધહસ્ત સર્જક છે. એ અદભુત ગઝલ આપે છે. સાત શેરની ગઝલમાં સાતેય ભાવ-વિશ્વ બિલકુલ સ્વ-તંત્ર હોવા છતાંય ‘કદાચ’ના તાંતણે કવિએ સાતેયને એ રીતે બાંધ્યા છે કે આખી ગઝલમાં સૂક્ષ્મ એકસૂત્રિતા પ્રવર્તમાન હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. અનિશ્ચિતતાની ચાદર તળે સંતાયેલી નિશ્ચિતતાની આ ગઝલ છે. ‘કદાચ’, ‘કદાચ’ કહીને પણ કવિ નિશાન તો ધાર્યું જ તાકે છે. ફક્ત એટલું જ થાય છે, કે નિશ્ચિતતાના સ્થિર જળમાં ‘કદાચ’નો આ પથ્થર લાંબા અંતર અને લાંબા સમય સુધી નાનાવિધ અર્થચ્છાયાઓના વમળ જન્માવે છે…

એક પછી એક શેર હાથમાં લઈએ…

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

समय तू धीरे धीरे चल એમ આપણે ગાઈએ છીએ પણ આપણે જાણીએ પણ છીએ કે સમય નથી કદી રોકાયો, નથી રોકાવાનો. સમયનું વહેણ નદી જેવું છે. એક જ પાણીમાં તમે કદી બે વાર ન્હાઈ શકતા નથી. જે પળ હાથમાંથી સરી ગઈ એ ગઈ. એટલે જ તો Carpe Diem – Live in this moment એવું કહેવાયું છે. પણ તોય સમય થંભી જાય એવી મનોકામના આપણે કેટલીવાર કરતાં હોઈએ છીએ! સમયથી વધુ સાપેક્ષ પરિબળ બીજું કયું હશે?!

તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.

કાળની ગતિ અકળ છે. એ કોઈ માટે અટકતો નથી પણ આવનાર સમય મરજી મુજબનો આવે અને વીતેલી પળોમાં પુનઃપ્રવેશ કરી શકાય એવી મંશા તો કાયમ રહે જ છે. વીતી ગયેલા સમયની વાત થાય તો મીર ‘હસન’ની ચેતવણી યાદ આવ્યા વિના નહીં રહે:

सदा ऐशे दोरां दिखाता नहीं,
गया वक़्त फ़िर हाथ आता नहीं

‘રાહી’ કુરેશી પણ યાદ આવે:

मैं गया वक़्त हूं जमाने में
मुझ को आवाज़ दे न अब कोई

અને આ બે શેર વાંચીએ એટલે કયા પૂર્વસૂરિના પ્રભાવમાં આ બંને શેર લખાયા હશે એ તરત ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે. મિર્ઝા ગાલિબના શેરોએ “આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના” (મરીઝ)ના ન્યાયે આજપર્યંતના તમામ શાયરોને ઓછેવત્તે અંશે પ્રભાવિત કર્યા જ છે. મિર્ઝા કહે છે:

मेहरबाँ हो के बुला लो मुझे जिस वक़्त चाहो,
मैं गया वक़्त नहीं हूं कि फिर आ भी न सकूं

પણ ગુલઝાર વીતેલી પળની વાત નથી કરતા. એ તો કોઈક અટકી ગયેલી પળની વાત કરે છે. એવો સમય જે વીતી ગયા પછી પણ વીતતો જ નથી. એવો સમય જેને વૉચના કાંટા તો તાણી લઈ ગયા છે પણ જે સોચના કાંટામાં ભરાઈ પડ્યો છે. જીવનમાં કોઈક પળે કોઈક તકલીફ આવી પડે તો માણસનું મન ત્યાં જ અટકી જાય છે. જિંદગી ભલે આગળ વહેતી રહે, માણસ એ ક્ષણમાં જ પીગળી ન શકે એવો બરફ બનીને થીજી જાય છે. રેશમની દોરી પર હાથ લસરતો જતો હોય અને વચ્ચે અકસ્માત એક ગાંઠ આવી ચડે તો હાથ કેવો અટકી જાય! કવિ સમયની દોરમાં આવી ગાંઠ-આવો વળ પડી ગયેલ કલ્પે છે. સડસડાટ વહી જતા સમયમાં વળ-આમળો પડી જવાનું કલ્પન શેરના અનનુભૂત સૌંદર્યને ઉજાગર કરે છે. સડેડાટ વહેતા સંબંધમાં પણ એકવાર વળ પડી જાય તો ઇસ્ત્રી કરી શકાતી નથી. ગુલઝાર એક નઝ્મમાં આ ગાંઠનો સ-રસ ઉલ્લેખ કરે છે:

मैंने तो इक बार बुना था एक ही रिश्ता
लेकिन उसकी सारी गिरहें
साफ़ नज़र आती हैं मेरे यार जुलाहे!
*

એકલા આજકાલ છે એ કદાચ
હોઠે મારી જ કો’ ગઝલ છે કદાચ.

પ્રેમમાં કોરી ખાતી એકલતાની કોરી દીવાલને અઢેલીને બેસવા માટે સ્મરણોની પીઠથી મોટી કોઈ સવલત નથી. બીજાના પ્રેમમાં પડીને પહેલાને છોડી દેનાર બેવફા સાથે જ્યારે બેવફાઈ થાય છે ત્યારે કદાચ વફાદાર આશિકની ગઝલો જ દવા બની રહે છે. કવિતા તમામ દર્દનો રામબાણ ઈલાજ છે. કવિને ખાતરી નથી પણ પ્રિયપાત્રના હોઠ પર કદાચ પોતાની જ કોઈ ગઝલ રમી રહી હોય એવું લાગે છે એટલે અનુમાન કરે છે કે એ આજકાલ એકલા હોવા જોઈએ. જીવનમાં એકલા પડી જઈએ એ ઘડીએ જ સાચો પ્રેમ, પ્રેમની સાચી અભિવ્યક્તિ હોઠ પર ગણગણાટ બનીને આપોઆપ ઊભરી આવે છે. આસપાસના સહેવાસનો અહેસાસ શ્વાસમાંથી દૂર થાય ત્યારે જ ગઝલનો પ્રાસ બેસે છે. એક નઝમમાં કવિ કવિતાએ એમને કઈ ઘડીએ મળવાનો વાયદો કર્યો છે એ જણાવે છે:

जिस्म जब ख़त्म हो और रुह को जब साँस आये
मुझसे इक नज़्म का वादा है, मिलेगी मुझको
*

દિલ યદિ છે તો દર્દ હોવાનું જ,
ને વળી એનો હલ અકળ છે કદાચ.

ગુલઝાર ઘણીવાર પોતાને જ દોહરાવતા પણ જોવા મળે છે. ‘દિલ સે’ ફિલ્મના ટાઇટલ ગીતમાં ‘દિલ હૈ તો ફિર દર્દ હોગા’ પંક્તિ આપણને સ્પર્શી જાય છે. પ્રસ્તુત પંક્તિ ગુલઝારે ફિલ્મમાં વાપરી કે ફિલ્મમાંથી ગઝલમાં આવી એ વાત નગણ્ય છે. પણ ગુલઝારની ખાસિયત છે કે એમની રચનાઓમાં પુનરાવર્તન પણ નવસર્જન થઈને જ આવતું હોય છે. ધુમાડો છે તો આગ પણ હશે જ. દિલ અગર છે તો દર્દ પણ હશે જ. એવું કોઈ દિલ બન્યું નથી જે તૂટવાનું ન હોય. કાચનું વાસણ છે. કદાચ તૂટે નહીં પણ તિરાડ તો પડવાની જ. અને કદાચ આ દર્દનો કોઈ ઈલાજ પણ નથી. તરત ગાલિબ યાદ આવે:

इश्क़ से तबीअत ने ज़ीस्त का मज़ा पाया,
दर्द की दवा पाई, दर्द बे-दवा पाया।

આખી વાતને આ રીતે પણ જોઈ શકાય:

આ દર્દ પ્યારનું હો ભલે લા-દવા મગર,
એના વિના આ જિંદગી બીમાર હોય છે.
*

જાણે છે, શું છે ફળ ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

સારા કામનું ફળ હંમેશા સારું જ હોય છે પણ કદાચ આપણે જાણકારી હોવા છતાં અમલ કરી નથી શકતા આ મનુષ્યગત કમજોરીને કવિએ બખૂબી ઉપસાવી છે. વાત તો જૂની જ છે પણ અંદાજે-બયાં સ્પર્શી જાય છે. કોઈ પ્રત્યે ભલાઈ બતાવીએ કે દયા દાખવીએ તો ઈશ્વર એનું સારું પરિણામ આપશે એ પ્રિયપાત્રથી અજાણ્યું નથી. પણ એ છતાં પ્રિયજન કવિ તરફ દયાભાવ કે કરુણાદૃષ્ટિ દાખવતું નથી. કવિને તો પ્રિયજન તરફથી અપેક્ષા, અવમાનનો જ અનુભવ થતો રહે છે. આ છતાંય આ તારણની પાછળ ‘કદાચ’ મૂકીને કવિ પ્રિયજનને શંકાનો લાભ આપીને એના પર આળ મૂકવાથી દૂર રહે છે. રદીફનો આવો સુંદર પ્રયોગ બહુ ઓછા કવિઓ કરી શક્યા છે.
*

આવે છે આ તરફ એ પગરવ ને,
ક્યાંક ખીલી રહ્યાં કમળ છે કદાચ.

પ્રિયતમાનો પગરવ સાંભળીને દિલના કમળ ખીલી ઊઠવા જેવી તકિયાનૂસી વાત પણ કવચિત્ ગુલઝાર કરી બેસે છે. પણ અહીં પણ ‘કદાચ’નો કાકુ વાતને નવો ઓપ આપે છે. એમના પગલાંનો અવાજ આવી રહ્યો છે એ કારણે કદાચ ક્યાંક કમળ ખીલી રહ્યાં છે. ‘ક્યાંક’ કહીને ગુલઝાર પોતાના પ્રિયતમા પરના અવલંબનને રદિયો આપવા કરે છે અને ‘કદાચ’ કહીને વળી ‘नरो वा कुंजरो वा’ના ન્યાયે આ રદીયા નીચે અધોરેખા દોરી એને ગાઢો કરે છે. બાકી, પ્રેમમાં સમર્પણ ગુલઝારનો સ્વભાવ છે:

सिरे उघड गये हैं, सुबह-ओ-शाम के,
वो मेरे दो जहान साथ ले गया
*

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

તરત જ ગાલિબ યાદ આવે:

जला है जिस्म जहाँ, दिल भी जल गया होगा,
कुरेदते हो जो अब राख, जूस्तेजु क्या है?

શરીરની સાથે જ દિલ પણ બળી જ ગયું હશે. હવે શેની શોધ છે જે માટે રાખને ફંફોસી રહ્યા છો? ગુલઝાર જેમ પોતાને દોહરાવે છે એમ અન્ય કવિઓની કવિતાઓ સાથે પણ પોતાની કવિતાને તાણા-વાણાની જેમ વણી લે છે. સિદ્ધહસ્ત કવિઓની કવિતામાંથી પ્રેરણા લઈને અનુસર્જન કરવામાં કવિની હથોટી છે. અમીર ખુશરોના ‘અય સરબથે આશિકી’ પરથી ગુરુ ફિલ્મમાં ‘અય હૈરથે આશિકી,’ તો બુલ્લે શાહના ‘થૈયા થૈયા’ પરથી દિલ સે ફિલ્મનું ‘છૈયા છૈયા’ આના ઉત્તમ ઉદાહરણો છે. ગાલિબની પંક્તિ ‘बैठे रहे तसव्वुरे-जानां किए हुए’ની ઉપર ‘दिल ढूंढता है, फ़िर वही फुरसत के रात-दिन’ની ગિરહ લગાવી ગુલઝારે કેવી કમાલ કરી છે! પ્રસ્તુત શેરમાં પણ ગાલિબના ‘जूस्तेजु क्या है?’નો જવાબ આપતા હોય એમ ગુલઝાર કહે છે કદાચ સમયનો કોઈ ટુકડો હજી આ રાખની નીચે સળગતો બચી ગયો હોય. કદાચ ‘तुम्हारी यादों के जिस्म पर नील पड गये हैं,’ એ શોધવાનું આહ્વાન કવિ આપતા હોય એમ પણ બને. આ જ શેરના ‘એક્સટેન્શન’ જેવી એક ત્રિવેણીમાં કવિ લખે છે:

जिस्म और जाँ टटोल कर देखें
ये पिटारी भी खोल कर देखें

टूटा फूटा अगर ख़ुदा निकले-!
*

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

સવારે ગાયબ થઈ જતા ચાંદ વિશે ગુલઝાર કેવી મજાની કલ્પના કરે છે:

रात के पेड पे कल ही तो उसे देखा था-
चाँद बस गिरने ही वाला था फ़लक से पक कर

सूरज आया था, ज़रा उसकी तलाशी लेना!

આ જ કવિ વળી ચવાઈને ચુથ્થો થઈ ગયેલ ઉપમાન પણ પ્રયોજી શકે છે. પ્રિયતમાને ચાંદની ઉપમા કવિઓ સદીઓથી આપતા આવ્યા છે. ગુલઝાર પણ આપે છે પણ જૂના રંગમાં નવી ઝાંય ઉમેરીને એ કેવી મનોરમ્ય નૂતન સૃષ્ટિ સર્જી શકે છે એ સમજવા જેવું છે. ચંદ્રનું આથમવું એ સૂર્યોદયની પહેલી શરત છે પણ કવિ કહે છે કે કદાચ તારી પાસે કોઈ ઉપાય હોય, ચંદ્ર આથમે અને ચંદ્ર જ ઊગે.. મતલબ દિવસ થાય અને તું આવે! શબ્દની નાની સરખી રમત અને કવિતા નામનો મોટો ચમત્કાર! આવા જાદુથી જ ગુલઝારે ગઝલને ગુલઝાર કરી છે…

ગઝલ – શયદા

ફૂલો કાં થઇ ગયા કાંટા? (Canyonlands National Park, Utah – May 2019)

****

હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે;
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રૂદન માટે.

ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.

યુગે યુગેથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઇ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.

સુધારા કે કુધારા ધોઇ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.

હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે.

તમે જે ચાહ્ય તે લઇ જાવ, મારી ના નથી કાંઇ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.

દયા મેં દેવની માગી , તો ઉત્તર એ મળ્યો ત્યાંથી –
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.

મને પૂછો, મને પૂછો – ફૂલો કાં થઇ ગયા કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન, માટે.

વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે.

– શયદા

ટહુકોની તેરમી વર્ષગાંઠ

૧૨મી જુન… ટહુકોની વર્ષગાંઠ… આ વર્ષે કોઇ ખાસ ‘Celebration’ લઇને નથી આવી.. બસ એક વાત કરવી છે, વાચકો સાથે.. અને ખાસ તો પોતાની સાથે..!!! I haven’t given up on myself, yet! ટહુકોનો સાથ આપતા રહેજો.. કૂકડાની બાંગ સાથે ટક્કર લેવા જેટલી નિયમિતતા ફરી આવશે!!

વ્હાલા ‘ટહુકો’ ને જન્મદિવસની મોડી પણ મોળી નહિં એવી શુભેચ્છાઓ સાથે – વ્હાલી સખી મોના નાયક ‘ઊર્મિ’ની આ મનગમતી ગઝલ!!

Tropical Cyclone ‘વાયુ’ થી પ્રભુ સૌની રક્ષા કરે એ પ્રાર્થના.

બારી વિનાની ઈમારત … Lower Antelope Canyon, Page, AZ (May 2019)

*******

પ્રથમ ખૂલ્લી આંખે એ સપના ગણે છે,
પછી સ્વપ્નમાં આવી ચૂંટી ખણે છે.

આ માણસ અજાયબ ને અવળુ ભણે છે,
ફસલને નહીં, વાવણીને લણે છે.

નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
એ બારી વિનાની ઈમારત ચણે છે.

વચન આપીને પણ ક્યાં આવે છે એ, સૈં !
છતાંયે સતત પગરવો રણઝણે છે.

વિના કારણે પહેલા વિખરાઈ જાશે,
પછી એ સમેટીને ખુદને વણે છે.

ગજબનું નગર છે, ગજબના છે માણસ,
જે અંતરનાં સગપણને વળગણ ગણે છે!

લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
આ રીતે એ મનનાં તમસને હણે છે.

ઘડીભરમાં સ્થાપે, ઘડીમાં ઊથાપે,
સતત મારી ઊર્મિઓ સમરાંગણે છે.

– મોના નાયક ‘ઊર્મિ’

ગ્લૉબલ કવિતા : ૧૨૮ : જાગ ને જાદવા – મનહર મોદી

તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા

એક પર એક બસ આવતા ને જતા
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા

ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું
એટલું જાગવા, જાગ ને જાદવા

આપણે, આપણું હોય એથી વધુ
અન્યને આપવા, જાગ ને જાદવા

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા

– મનહર મોદી

જગતના તાતથી પોતાની જાત સુધી

ઊંઘમાંથી ઊઠવું અને જાગવું બે ક્રિયા પહેલી નજરે તો સમાનાર્થી લાગે છે. પણ થોડું ધ્યાન દઈએ તો બન્નેમાં જમીન-આસમાનનો ફરક છે. સવારે રોજ ઊંઘમાંથી આપણે બધા ઊઠી જઈએ છીએ. કૂકડાની બાંગ તો હવે ગાયબ થઈ ગઈ છે, પણ આપણા શરીરમાંની જૈવિક ઘડિયાળ સવાર પડતાં જ ઍલાર્મ વગાડે છે અને આપણાં બે પોપચાંની વચ્ચે અજવાળાનું કાજળ અંજાતાં આપણી આંખો ઊઘડે છે. ઊઠવાની આ ક્રિયા તો સાર્વત્રિક છે અને દુનિયાના તમામ સજીવો માટે એ સાહજીક પણ છે, પરંતુ જાગવાની ઘટના તો બહુ ઓછાના જીવનમાં આવે છે. ઊઠવાની વાત એટલે ચર્મચક્ષુ ખુલવાની વાત. જાગવાની વાત અંતર્ચક્ષુ સાથે સંકળાયેલી છે. જે ઘડીએ આપણા અંતર્ચક્ષુ ખુલે છે એ ઘડી ખરી જાગૃતિની ઘડી છે. એ ઘડીએ આપણે કહી શકીએ કે માંહ્યલો જાગી ગયો છે. કવિ મનહર મોદીની આ ગઝલ જાગવાની વાત લઈ આવી છે.

મનહર મોદી. ૧૫-૦૪-૧૯૩૭ ના રોજ અમદાવાદ ખાતે જન્મ. પિતા શાંતિલાલ. માતા ગજીબા. પત્ની સુહાસિની. અભ્યાસકાળ દરમિયાન બે’ક વર્ષ કાપડબજારમાં સેલ્સમેન તરીકે અને પછી ૧૯૫૮થી ૬૬ સુધી રેલવેમાં ક્લર્ક તરીકે કામ કર્યું. ૧૯૬૬માં જ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ. કર્યું. શરૂમાં ડાકોર અને પછી અમદાવાદ ખાતે નિવૃત્તિ સુધી અધ્યાપક તરીકે સેવા બજાવી. અનેક સામયિકોના સંપાદક રહ્યા. ૧૯૫૬ની આસપાસ ‘કવિતા’ અને ‘કુમાર’ના માધ્યમ થકી કવિ તરીકે એમનો ઉદય થયો. ૨૬ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ આપ્યો. ગુજરાતી સાહિત્યમાં આધિનિકતાની ચળવળના મુખ્ય પ્રણેતાઓમાં મોખરેના એક. બહુચર્ચિત અને બહુખ્યાત ‘રે મઠ’ના સ્થાપકોમાંના એક. એની પ્રવૃત્તિઓ અને બળવાખોરીમાં પ્રધાન પ્રદાન. ૨૩-૦૩-૨૦૦૩ના રોજ અમદાવાદ ખાતે જ નિધન.

ગુજરાતી ગઝલ ‘ગુજરાતી’ બની એ પછી લાંબો સમય નકરી પરંપરાની ગઝલ બની રહી. પરંપરાની ગુજરાતી ગઝલને નવો વળાંક આપવામાં જે થોડા નામોનું નોંધનીય યોગદાન છે એમાં મનહર મોદીનું નામ ભૂલી ન શકાય. આદિલ મન્સૂરીએ કહ્યું હતું: ‘ગુજરાતી ગઝલસાહિત્યનો આ આપણો પહેલો ઍબ્સર્ડ ગઝલકાર છે અને કદાચ છેલ્લો પણ.’ પ્રયોગખોરીના બેતાજ બાદશાહ. જો કે એમની પ્રયોગખોરી ‘રે મઠ’ સ્થાપ્યો એ પહેલાંથી જોવા મળે છે. મનહર મોદીના નસીબે બે પ્રકારના વાચકો આવ્યા. એક, નાકનું ટેરવું ચડાવી ભાગી જનારા અને બીજા, એમના પર ઓળઘોળ થઈ જનારા. સામા પક્ષે વાચકોના નસીબે પણ ચિનુ મોદીના મતે બે મનહર મોદી આવ્યા: એક, શુદ્ધ પરંપરાના શાયર અને બીજા, વિશુદ્ધ પ્રયોગશીલ. જો કે પરંપરાની ગલીમાંથી નીકળીને પ્રયોગના મહોલ્લામાં રખડવા નીકળેલી એમની ગઝલોએ પાછળથી બંનેના સુભગ સમન્વયથી સદભાગ્યે નવું સરનામું મેળવ્યું હતું. એમની ગઝલોનું ભાવજગત ક્યારેક અટપટું અને સંદિગ્ધ લાગે છે, ઘણીવાર પ્રાથમિક સ્તર પર પ્રત્યાયન કરવામાં સરિયામ નિષ્ફળ જાય છે, ગઝલને આધુનિક બનાવવા માટેના ભાષાકર્મ પાછળના આયાસ ઘણીવાર છતા થઈ જય છે અને ક્યાંક કાવ્યત્તત્વનો અગ્નિ મંદ પણ પડેલો અનુભવાય છે, એ છતાં ચુસ્ત છંદ અને કાફિયા-રદીફની અવનવી રવાની વડે શેરિયત સિદ્ધ કરવામાં એ ભાગ્યે જ પાછા પડ્યા છે. મણિલાલ પટેલ લખે છે: ‘છંદ-લયમાંથી બહાર આવીને જીવનની વિચ્છિન્નતાને છિન્નલયમાં અભિવ્યક્ત કરતી એમની કવિતા અર્થથી મુક્ત થઈને ‘નર્થ’ સુધી જાય છે.’ કવિએ પોતે કહ્યું છે કે, ‘આ ક્રિયેટિવ પ્રોસેસનો મામલો છે. અહીં શબ્દને નહીં, શબ્દ દ્વારા નવા શબ્દ ભણી સહજ રીતે જતા ભાવને કેવળ ‘સમજવાનો’ નહીં, ‘અનુભવવાનો’ છે, ‘પામવાનો’ છે. અહીં ‘અર્થ’માંથી ‘અનર્થ’ ભણીનો ચેતોવિસ્તાર છે.’

‘જાગ ને જાદવા’ રદીફવાળી સાત શેરની આ ગઝલ છે. પરંપરા અને પ્રયોગકાળ પછી બંનેથી સમન્વયિત થયેલા કવિની આ રચના છે. અહીં પરંપરા અને આધુનિકતાનું ન સાંધો-ન રેણવાળું સાયુજ્ય છે. નરસિંહ મહેતાના બે’ક પદોમાં આપણને ‘જાગ ને જાદવા’ મળી આવે છે. એક, ‘જાગને જાદવા ! જનની જશોદા ભણે કહાનજી, કાં ઘણી નિદ્રા આવે?’ અને બીજું અતિ લોકપ્રિય ‘જાગને જાદવા ! કૃષ્ણ ગોવાળિયા ! તુજ વિના ધેનમાં કોણ જાશે?’ આ અતિ લોકપ્રિય બનેલા પદના ઉપાડને કવિએ ગઝલની રદીફ બનાવી છે. એમ કહી શકાય કે નરસિંહ જ્યાંથી શરૂઆત કરે છે, મનહર ત્યાં સમાપ્ત કરે છે. નરસૈયો જગતના ‘તાત’ને જગાડવા આર્દ્ર સ્વરે વિનંતી કરે છે, મનહર મોદી પોતાની ‘જાત’ને જગાડવા તારસ્વરે ગાય છે. નરસિંહનો ‘જાદવા’ અને મનહરનો ‘જાદવા’ એક નથી. નરસિંહ કૃષ્ણને જગાડવાની વાત કરે છે, મનહર મોદી ખુદને. પાંચ-છ સૈકા પહેલાં લખાયેલ એ પદ ભક્તિ હતી, આજની આ ગઝલ કવિતા છે. મનહર મોદી છ સદીઓના આપણા સંસ્કારોને એકરસ કરીને આજના જમાનાના નરસૈંયાનું ભજન ગઝલસ્વરૂપે આપણને આપે છે. નરસિંહ મહેતાના અતિપ્રિય અને ‘જાગ ને જાદવા’ પદમાં પ્રયોજાયેલ ઝુલણા છંદના ફારસી-કઝિન જેવા ‘મુતદારિક મુસમન સાલિમ’ છંદના ગાલગાના સંગીતમય ચાર આવર્તનોથી આ ગઝલની લયાત્મક્તા વધે છે. વળી રદીફના ‘જાદવા’ની સાથે કાફિયાના ‘તાગવા’-‘માપવા’ વિ.નો આંતર્પ્રાસ પણ ચુસ્ત મળતો હોવાથી શ્રુતિરમ્ય નાદમાધુર્ય પણ જન્મે છે, જાણે દરેક શેરમાં બે કાફિયા ન હોય! એક પછી એક શેર જોઈએ:

તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા

મત્લાના શેરમાં અડધોઅડધ જગ્યા તો ખાલી રદીફ જ રોકી લે છે. પરિણામે શેર બનાવવા માટે કવિ પાસે બંને મિસરામાં માત્ર બે જ શબ્દની સા…વ સાંકડી જમીન બચે છે. આવામાં શેર કહેવો અને એ પણ ચુસ્ત કાફિયા લઈને તથા કવિતા પણ સર્જવી એ સોયના કાણામાંથી હાથીને પસાર કરવા જેવું ખકુસુમવત્ કામ છે. સિદ્ધહસ્ત ગઝલકાર જ આવી હથોટીની કસોટીમાંથી પાર પડી શકે. કવિ આ ચેલેન્જ ઉપાડે છે અને સાંગોપાંગ ઉત્તીર્ણ પણ થાય છે. મનહર મોદીની ગઝલોની એક ખાસિયત એ કે એ સહેલાઈથી છેતરી જઈ શકે છે. જરામાં એ દુર્બોધ-દુર્ગમ લાગે તો ઘડીમાં બાળરમત. પણ જો શેરને ખોલી શકીએ તો છીપમાંથી મોતી જડવાનું સાનંદાશ્ચર્ય થાય એ નક્કી. એમની ગઝલો ‘હળવે તે હાથ, નાથ! મહીડાં વલોવજો’ની નીતિ-રીતિને વરેલી છે. કવિએ પોતે કહ્યું છે: ‘ગઝલ એટલે ૧૦૦ મીટરની દોડ. ૨૦૦-૪૦૦-૮૦૦ મીટરની દોડ કરતાં એનું ડિસ્ટન્સ ટૂંકું તેથી જ પહોંચવું અઘરું. એના ચૅમ્પિયનમાં ઝડપ ટાઇમિંગ ફૂટિંગ સ્ફૂર્તિ એક્યુરસીનું માપ આગવું. આ સ્વરૂપમાં કામ કરવાની અર્થાત્ એ દ્વારા મને પામવાની હંમેશાં મજા પડી છે. બે પંક્તિના શેરમાં સમાઈ જતું ગઝલનું રૂપ દરિયાના દરિયા ઉછાળી શકે છે.’

જાગવા માટેનું આહ્વાન તો છે પણ શા માટે જાગવાનું છે? તો કે તેજને તાગવા અને આભને માપવા. જે અતાગ છે અને જે અમાપ છે એને બાથમાં લેવાની વાત છે. ભર્તૃહરિના શતકત્રયીના પ્રારંભનો મંગળશ્લોક યાદ આવે:

दिक्कालाद्यनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये ।
स्वानुभूत्येकमानाय नमः शान्ताय तेजसे ॥

(દિશાઓ અને કાળ આદિથી જે સીમિત નથી એ અનંત અને ચૈતન્યસ્વરૂપ જેને એકમાત્ર સ્વાનુભવથી જ જાણી શકાય છે તે શાંત અને તેજસ્વી (પરમેશ્વર)ને નમસ્કાર). અને આ અસીમને તાગવા-માપવા-પામવા માટેની એક માત્ર રીત સ્વાનુભવ એટલે કે જાગૃતિ… અંતર્ચક્ષુ જે ઘડી ઉઘડશે એ જ ઘડી એ મૂળ બ્રહ્મના દર્શન થશે…

એક પર એક બસ આવતા ને જતા
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા

જીવન શરૂ થાય એ ઘડીથી સફરની પણ શરૂઆત થઈ જાય છે. અનવરત ચાલતા શ્વાસ પોતે એક સફર છે. મંઝિલ પૂર્વનિશ્ચિત છે, પણ સફર કદી પૂર્વનિશ્ચિત હોતી નથી. ક્યાં જવાનું ધાર્યું હોય અને ક્યાં પહોંચી જવાય એ કદી નક્કી થઈ શકે ખરું? પુરુષાર્થ ગમે એટલો પ્રબળ કેમ ન હોય, પ્રારબ્ધ એનો ભાગ અવશ્ય ભજવે છે. એક પછી એક વિકલ્પ જીવનમાં આવતા જ રહેવાના અને જતા જ રહેવાના… આપણે સહુ ચિરનિદ્રાની ઘાણીએ બંધાયેલા બળદની જેમ બસ ચાલ-ચાલ કરીએ છીએ પણ હકીકત એ છે કે इन उम्र से लंबी सडकों को मंज़िल पे पहुंचते देखा नहीं… કવિ મુખર થયા વિના આપણને આહ્વાન આપે છે અને સમજાવે છે કે જે ઘડીએ આપણા અંતર્ચક્ષુ ઊઘડશે અને બ્રહ્મની સન્મુખ થઈશું એ ઘડી જ સફર પરિપૂર્ણ થવાની ઘડી છે અન્યથા એક પછી એક માર્ગ આવતા જ રહેવાના…

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

સૃષ્ટિનું સર્જન થયું અને માણસ વિચારતો થયો એ ઘડીથી આ મથામણ ચાલે છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? શંકરાચાર્ય પણ કહે છે: कस्त्वं क: अहं कुत आयात: का मे जननी को मे तात: । इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ (તું કોણ? હું કોણ ? હું ક્યાંથી આવ્યો? મારી મા કોણ? મારા પિતા કોણ? એમ વિચાર્યા કર. આ સર્વ જગત અસાર અને સ્વપ્નવત્ છે, તેનો ત્યાગ કર) આપણું આ આખું જગત એક સ્વપ્ન છે, ભ્રમણા છે એ તાંતણાના સત્યને અઢેલીને આ શેર બેઠો છે. જે છે એ નથી. જે દેખાય છે એ પણ નથી. દૃષ્ટિની પાર જઈ શકે છે એ જ પ્રજ્ઞાચક્ષુ છે. એતેરેય ઉપનિષદમાં કહ્યું છે: प्रज्ञानं ब्रह्म। જે જાગી શકે છે – જાગૃતિ અને પ્રજ્ઞાનો તફાવત સમજી શકે છે – એ જ બુદ્ધ થઈ શકે છે… બાકીના આશારામ થઈને અવનિ પર વિચરતા રહે છે.

શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા

પુનરાવર્તન અને પુનરુક્તિ એ જ્ઞાનની કૂંચી છે. આપણે વાત સાંભળીએ છીએ અને ભૂલી જઈએ છીએ. ફરીથી એ વાત સાંભળીએ અને ભૂલતા થોડી વધુ વાર લાગે છે. ફરી ફરીને સાંભળીએ અને એ વાત આપણી અંદર કોતરાઈ જાય છે, આત્મસાત થઈ જાય છે. આપણા ઋષિઓએ એમના મંત્ર-સ્તોત્રમાં એક જ વાત વારંવાર ખરલમાં ઘૂંટવાનો ઉપક્રમ રાખ્યો હતો એના મૂળમાં આ જ વૃત્તિ નજરે ચડે છે. કવિ મનહર મોદી પણ આ જ પ્રથાને અનુસરતા હોય તેમ ब्रह्मं सत्यं, जगत्मिथ्या ની એક જ વાતનો તંત પકડીને અલગ અલગ રીતે રજૂ કરે છે અને ભાવકે જાગવું જ પડશે એ વાત તારસ્વરે કરતા હોય એમ લાગે છે. ‘જાગ ને જાદવા’ની પુનરુક્તિ પણ જાગવું જ રહ્યુંની આલબેલ પોકારે છે.

ગઝલ જેમ આગળ વધે છે એમ અર્થનું ઊંડાણ વધતું જાય છે. છેલ્લા ત્રણ શેરમાં તો પોત ખાસ્સું ગાઢું બને છે.

ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું
એટલું જાગવા, જાગ ને જાદવા

ઊંઘ આવી ન જાય એમ ઊંઘવું અને એટલું જાગવા માટે જાગવાની ટકોર- બંને મિસરામાં એક જ શબ્દની દ્વિરુક્તિથી કવિ જે ભાવ અભિવ્યંજિત કરે છે તે ભાવકને પ્રત્યેક પુનરાવર્તન પર નવી ચેતના બક્ષે છે. અહીં ‘ઊંઘ’ અને ‘જાગવું’ બંને ધ્યાન માંગી લે છે. કહે છે કે રામકૃષ્ણ પરમહંસની ભીતરમાં ઊંઘતા-જાગતા, ઊઠતા-બેસતા સતત હરિસ્મરણ ચાલ્યા કરતું. કોઈ રસ્તે ભૂલેચૂકે પણ ઈશ્વરનું નામ લઈ લે તો એ ત્યાં અને તે જ ક્ષણે ભાવસમાધિમાં સરી જતા. એક ભક્તના આગ્રહવશ એ એના દીકરાના લગ્નમાં ગયા અને કોઈએ દીકરા ગોવિંદને બૂમ પાડી અને રામકૃષ્ણ તો ભાવલીન થઈ ત્યાં જ નાચવા માંડ્યા… કવિને જે જાગૃતિ અભિપ્રેત છે એ આ ભીતરની જાગૃતિ છે…

આપણે, આપણું હોય એથી વધુ
અન્યને આપવા, જાગ ને જાદવા

ભીતરની સંપત્તિ એક એવી સંપત્તિ છે જે સાચવી રાખો તો જડી જડતી નથી અને વાપરો તો ખૂટી ખૂટતી નથી. ભર્તૃહરિ ‘નીતિશતક’માં વિદ્યા નામના આંતરિક ધન વિશે કહે છે: ह्यर्थिभ्य: प्रतिपाद्यमानमनिशं प्राप्नोति वृद्धिं पराम् । (યાચકને આપવામાં આવતાં જે સતત વૃદ્ધિ પામે છે). બહુ જાણીતું એક સંસ્કૃત સુભાષિત પણ આ જ વાત કરે છે: व्ययेकृते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनं प्रधानम्। (વ્યય કરવાથી જે સદા વૃદ્ધિ પામે છે એ વિદ્યાધન બધા જ ધનમાં ઉત્તમ છે). આ કયા વિદ્યાધનની વાત છે જે સ્કૂલ-કોલેજ કે પુસ્તકોમાંથી મળે છે એ? ના, ત્યાંથી તો માત્ર ગોખેલું જ્ઞાન મળે છે અને એ માટે તો શંકરાચાર્ય કહી જ ગયા છે કે संप्राप्ते संनिहिते काले नहि नहि रक्षति डुकृञ करणे (જ્યારે મૃત્યુ નજીક આવશે ત્યારે ગોખણપટ્ટી તારું રક્ષણ નહીં કરે, નહીં કરે). ભીતરની આ સંપત્તિ એટલે પ્રજ્ઞા. જિંદગીના બોધિવૃક્ષની નીચે બેસીને સ્વયંનો સાક્ષાત્કાર કરીએ ત્યારે એ હાથ આવે. અને આ લખલૂટ સંપત્તિ સાચવવાનો એકમાત્ર નિયમ ગમતાંનો ગુલાલ કરવો તે છે.

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા

ચોર્યાસી લાખ ફેરાનું આવાગમન કરતા રહેતા આપણા સહુમાંથી બહુ ઓછા પોતાના અવનિપટ પર હોવા વિશેના કારણોના તારણોમાં પડવાની મથામણ કરતા હોય છે. જે લોકો આધિ-વ્યાધિ ને ઉપાધિમાં પડી રહે છે એ બધા મહેલની અંદર કેદ કરાયેલા સિદ્ધાર્થ છે. મહેલની દીવાલ બહાર નિસરીને જે લોકો વેદનાથી સમ-વેદના સુધી જઈ શકે છે એ જ મહાભિનિષ્ક્રમણના હકદાર બને છે. ગાલિબે કહ્યું હતું, डूबोया मुझ को होने ने, न होता मैं तो क्या होता ? સમસ્યા આપણા ‘હું’ની છે. આપણે ‘હું’ના અનુસ્વારનો બોજો વેંઢારી શકીએ તોય બસ. જે દુનિયા આપણા પહેલા પણ હતી જ અને બાદ પણ રહેવાની જ છે અને જ્યાં આપણું હોવું એ ઓજસ પાલનપુરીએ કહ્યા મુજબ, ‘આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ’ જેવું ક્ષણભંગુર છે ત્યાં હવે વધુ સૂઈ રહેવું પાલવે એમ નથી. હવે જાગીએ તો સારું… કારણ કે ખરેખર તો જે ઘડીએ હું ‘હું નથી’નું સત્ય સમજાઈ જાય એ ઘડી જ अहं ब्रह्मास्मि (બૃહદારણ્યક ઉપનિષદ)ની ઘડી છે…

આપણો બેલી આપણા સિવાય બીજું નથી. બીજાના દીવાથી આપણી જિંદગી અજવાળાય નહીં. ‘તું તારા દિલનો દીવો થા ને’ જ સાચું અજવાસસૂત્ર છે. બુદ્ધના મતે આંતરિક અને બાહ્ય જીવનમાં યાત્રા કરવી હોય તો અંતરાત્માના અવાજને જ અનુસરવો પડે. બુદ્ધનું તો એક નામ જ ‘Awakened one’ હતું. ઓશો પણ કહી ગયા, ‘દુનિયાને જોવા માટે ક્યાંય બહાર દોડવાની જરૂર નથી. આ એક અંતર્યાત્રા છે. જાગતા રહીને જગતના દરેક અનુભવમાંથી પસાર થઈ ભીતરના ભેદ પામવાની આ વાત છે.’ પણ જાગૃતિ તરફની આ મુસાફરીની શરૂઆત ‘હું જાગૃત નથી’ના સંપૂર્ણ સ્વીકાર બાદ જ શક્ય છે. એ પછીની અવસ્થાને બદરાયણ ‘બ્રહ્મજિજ્ઞાસા’ કહે છે. વિવેકચૂડામણિમાં શંકરાચાર્ય કહે છે: ‘કોટિમાંથી એકને બ્રહ્મજિજ્ઞાસા લાધે અને જેને લાધે તેવા લક્ષમાંથી એક પાણી વગર માછલી તડપે એમ દર્શનને ઝંખે. એવી જ વ્યક્તિ આ માર્ગે આગળ વધે અને કદાચ જાગૃત થાય. બાકી તમે ૫૦૦૦ વર્ષ સુધી અવિરત નામજાપ, સત્સંગ, ગુરુસેવા, ભક્તિ ઈત્યાદી કરો તો પણ તે વ્યર્થ છે.’ ભ્રમનો સ્વીકાર જ ખરી જાગૃતિ છે. આ ગઝલ ત્યાંથી જ શરૂ થાય છે…

વ્હાલ વાવી જોઈએ – ગૌરાંગ ઠાકર

સ્વર અને સ્વરાંકન – વિભુ જોષી

ચાલને, માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.

કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વ્હાલસોયી દીકરી ઘરથી વળાવી જોઈએ.

કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ, દોસ્ત,
એકબીજાના ખભે એને ચલાવી જોઈએ.

બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.

– ગૌરાંગ ઠાકર

હું શું કરું ? – રઈશ મનીઆર

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ?

જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?

મારું શ્રેય શું, મારું ધ્યેય શું ? છું હું બેખબર છે તને ખબર
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું ?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે
કે સમાનતાનો જ્યાં ભંગ હો , એ ઉદારતાનું હું શું કરું ?

-રઈશ મનીઆર

તો હું શું કરું? – આદિલ મન્સૂરી

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

-આદિલ મન્સૂરી

(આભાર – લયસ્તરો)

શૂન્યતાની સાંકળો – નયન દેસાઈ

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

– નયન દેસાઈ