Category Archives: ગઝલ

આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી

આલ્બમ: હવે બોલવું નથી
ગાયક અને સ્વરકાર : હરીશ સોની

.

આંખોમાં છલકતો કૈફ હશે,હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું,પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

મેં લાખ ગુનાઓ કીધાં છે,પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે,પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હું તુજને કરી દઉં માફ ભલે,પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને,એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’,હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો,આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે….
~ અમર પાલનપુરી

તરછોડ્યો જયારે આપે – અમર પાલનપુરી

સ્વર : આલાપ દેસાઈ

.

આલ્બમ: હવે બોલવું નથી
ગાયક અને સ્વરકાર : હરીશ સોની

.

તરછોડ્યો જયારે આપે, હસવાનું મન થયું
બોલાવ્યો જયારે આપે, રડવાનું મન થયું

ખોળામાં જયારે આપના, માથું મૂકી દીધું
સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું

દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું

ડૂબ્યો નથી અમરને, ડૂબાડ્યો છે કોઈએ
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું
– અમર પાલનપુરી

જેવી જેની મોજ – અમૃત ‘ઘાયલ’

કોઈ પીએ કોઈ ચાખે, જેવી જેની મોજ
કોઈ વહેંચે કોઈ રાખે, જેવી જેની મોજ

બાબા આ તો મોજની વસ્તી, માનમોજીનો વાસ
બોલે કે મૂંગા વ્રત રાખે, જેવી જેની મોજ

સર્વ પ્રકારે મુક્ત અહીંયા, રંગબેરંગી ફૂલ
ઝૂલે ફાવે તેવી શાખે, જેવી જેની મોજ

કોઈ જીવે મરતા મરતા, કોઈ મરવા વાંકે
કોઈ જીવનનું નાહી નાખે, જેવી જેની મોજ

લોકો ભાખે સારું ‘ઘાયલ’ એવો આગ્રહ શાને?
હિણામાં હીણું પણ ભાખે, જેવી જેની મોજ
– અમૃત ‘ઘાયલ’

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો – જલન માતરી

થોડા વખત પહેલા ‘ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક – સંગીત વિશેષ’ વિષે વાત કરી હતી એ યાદ છે? એ જ અંકમા રઇશભાઇએ કેટલીક ગુજરાતી – સંગીતબધ્ધ થયેલી અમર ગઝલો નો આસ્વાદ કરાવ્યો છે. એમાંની એક ગઝલ, સાંભળીએ આશિતભાઇના મઝાના સ્વર-સંગીત સાથે, અને સાથે માણીએ રઇશભાઇના શબ્દોમાં આ ગઝલનો રસાસ્વાદ..!!

સ્વર – સંગીત : આશિત દેસાઇ

.

ટહુકો ફાઉન્ડેશનના કાર્યક્રમ સુર શબ્દની પાંખેમાં અચલ અંજારિયાના સ્વરમાં સાંભળો

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
ખુદા છે કે નહી હાક મારી તો જો

પલાઠી લગાવીને ના બેસી રહે
તુ મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો

હશે તો ઉઠી દોડવા માંડશે
તુ પ્રારબ્ધને લાત મારી તો જો

ખબર તો પડે મોતીઓ છે કે નહી
તુ સમુંદરમાં ડુબકી લગાવી તો જો

છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવાઓને ચાખી તો જો

————–

આસ્વાદ : (‘ફિલિંગ્સ’ માંથી સાભાર)
જનાબ જલન માતરી ગુજરાતી ભાષાના વિદ્રોહી શાયર છે. ભારતીય સંસ્કૃતિમાં ચાર્વાકની નાસ્તિકતાથી લઇ, ઉપનિષદોના `અહં બ્રહ્માસ્મિ’ સુધીનું વૈવિઘ્યપૂર્ણ તત્ત્વજ્ઞાન ઝીલાયું અને સચવાયું છે. આ ગઝલમાં પણ કવિનો મિજાજ ઇશ્ર્વરના ઐશ્ર્વર્યને અને પ્રારબ્ધવાદના દૈન્યને પડકારે છે. રહસ્યોના પડદાની પાછળ ઓઝલ રહે, એવો ઇશ્ર્વર કવિને ખપતો નથી. જ્યાં જ્યાં પડદા છે ત્યાં પડદાની પાછળ ખરેખર કોઇ છે પણ ખરું ? એવો શક પડે. આ શકનો દાયરો ધર્મપ્રબોધકોએ, મુલ્લાઓ અને પંડિતોએ ઊભો કર્યો છે. ઇશ્ર્વર અનુભવી શકાય એટલો પારદર્શક બની જાય તો મુલ્લાઓ અને પંડિતોની દુકાન કેવી રીતે ચાલે ? તેથી જ દુનિયામા: પડદાઓનો (અને પંડાઓનો) મહિમા છે. `પ્રારબ્ધને લાત મારવાની’ વાત અને `હશે તો ઊઠી દોડવા માંડશે’નો વિચાર અદ્ભુત છે.અને જીવનારાઓમાં જોમ પ્રેરે એવો છે. આટલી બિન્ધાસ્ત રીતે, આટલી બેફિકરાઇથી અને આલી ખુમારીથી પુરુષાર્થનો મહિમા કદાચ બીજી કોઇ કવિતામાં થયો નહીં હોય !
– રઇશ મનીઆર

‘માં’ – અનિલ ચાવડા

અનિલ ચાવડાની સુંદર ગઝલ આજના દિવસ માટે આપ સૌ માટે 🙂
Happy Mother’s Day!!!

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
-અનિલ ચાવડા

પરદેશમાં વસ્યો છતાં જીવ્યો વતન સ્મરણ માં – જયેન્દ્ર શેખડીવાળા

ટહુકોના ‘અમર ગુર્જરી’ કાર્યક્રમમાં વિજય ભટ્ટે સુંદર ડાયસ્પોરા ગઝલની રજૂઆત કરી હતી.વિજય ભટ્ટનું જ સ્વરાંકન અને એમના જ સ્વરમાં માણો.

સ્વર અને સ્વરાંકન:વિજય ભટ્ટ

.

પરદેશમાં વસ્યો છતાં જીવ્યો વતન સ્મરણમાં
પડછાયો વસે જેમ કે તેમ ભીનાશ કેરો રણમાં

ભીનાશ જેવું ક્યાં છે આ દેશની હવામાં
આંખો પલળતી મારી જઈ ગામના ઝરણમાં

લોચન બબડતી માં ના વાવે મને વતનમાં
ઉગી હું જઉં છું પરદેશ ભીની ક્ષણમાં

ઘર ગામ કે વતનથી છૂટો નથી પડ્યો હું
જીવું છું હું વિદેશમાં ગુજરાતી વ્યાકરણમાં

આંગણની ધૂળ લાવી કોઈ શુકન કરાવો
રસ્તે હું નીકળ્યો છું પરદેશી આચરણમાં
– જયેન્દ્ર શેખડીવાળા

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે – ‘ગની’ દહીંવાળા

સ્વર: પ્રહર વોરા
સ્વરાંકન : આશિત દેસાઈ

.

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે…

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે…

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દરુપે દર્દનો દેનાર લાગે છે…

હૃદયની આશને ઓ તોડનારા આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે…

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે…

‘ગની વિતેલ જીવનનાં સ્મરણ તાજાં થયા આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે…

– ‘ગની’ દહીંવાળા

બને છે – જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”

પઠન – જયશ્રી વિનુ મરચંટ

.

કશું જિંદગીમાં અચાનક બને છે
ન હો જ્યાં કશુંયે ત્યાં થાનક બને છે

હું માગણ જો માગું બરાબર એ લાગે
કરો શું જો દાતા જ યાચક બને છે

બધું છે છતાંયે કમી શેની લાગે?
જો પૂછું તો દિલ આ અવાચક બને છે

અમે તો રહ્યાં માગતા હાથ એનાં
ડુબે એનાં ક્યાં કોઈ તારક બને છે?

વરસ મેઘ બારે, તરસ છીપશે ક્યાં
ન છીપે તરસ તો જ ચાતક બને છે

નયનથી ખરે આંસુના કંકુ ચોખા
ને પૂજાની “ભગ્ન” આ તાસક બને છે
– જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”

લાગે – જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”

પઠન – જયશ્રી વિનુ મરચંટ

.

સવારો હવે તો વજનદાર લાગે
સુકોમળ આ તડકાનો પણ ભાર લાગે

છે શરણાગતિ કેવી દૈવી તમારી
હું જીતું છતાં પણ મને હાર લાગે

સજાવી કહું વાતને લે હું થોડી
સીધીસટ કહું તો નહીં સાર લાગે

ભળે બોલવામાં વધુ ટોળ ટોણાં
ફુલો જેવા સંબંધ પણ ખાર લાગે

છે શું ‘ભગ્ન’ એની ગઝલમાં તે એવું
ઊતરતાં જ દિલમાં તરત ધાર લાગે
– જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”

મારે તો રોજ જલસા – ખલીલ ધનતેજવી

મારે તો રોજ જલસા લગાતાર કેટલા ?
બોલ તારા વર્ષમાં રવિવાર કેટલા ?

જ્યાં ટેરવેથી જાતે ટકોરા ખરી પડે;
એવા અહીં લાગણીના દ્વાર કેટલા ?

ઘર એક પણ સૌના ઓરડા અલગ;
ઘરમાં જ અંદામાન નિકોબાર કેટલા

-ખલીલ ધનતેજવી