Category Archives: આશિત દેસાઇ

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને – બરકત વીરાણી ‘બેફામ’

સ્વર / સંગીત – આશિત દેસાઇ

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

– બરકત વીરાણી ‘બેફામ’
(1925 – 1994)

અણગમતું આયખું (ની ઉક્તિ) – જગદીશ જોષી

પહેલા મુકેલું (Mar 12, 2008) કવિ જગદીશ જોષીનું આ કાવ્ય આજે સાંભળ્યે હેમા દેસાઈ ના સ્વરમાં…..

250672625_d641f74cc6_m.jpg

સ્વર – હેમા દેસાઈ
સંગીત – આશિત દેસાઈ
આલબ્મ – સ્વરાંગિની

સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:
આલબમ:તારાં નામમાં

.

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
અર્જુનનો મત્સ્યવેધ આપો.

મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
કાયમની કેદ મને આપો !

—————————-

સાથે વાંચો એક સુંદર સંકલન : સાંજ અને જગદીશ જોષી

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને – રમેશ પારેખ

લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ….(આભાર – લયસ્તરો.કોમ)

રમેશ પારેખ ફક્ત ગીતકાર તરીકે યાદ કરાશે એમ કહેવામાં એમની ગઝલો આડે આવે છે.કેટલાંક છંદદોષને બાદ કરીએ તો ભાષા-વૈવિધ્ય, અંદાજે-બયાં, મૌસિકી અને શેરિયતથી છલકાતી એમની ગઝલો સદાને માટે આપણી ભાષામાં મોખરાના સ્થાને વિરાજમાન રહેશે. ર.પા.ની ઘણી વિખ્યાત પણ હજી સુધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી એવી એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ. ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો કદાચ સૌથી સરળ છતાં સૌથી ઉત્તમ ! અને મક્તો જુઓ: શબ્દોને આશીર્વાદ તો ર.પા. જ આપી શકે ને! વાજીકરણ શબ્દને કાફિયા તરીકે વાપરવાની છાતી તો અમરેલીના નાથ વિના કોની કને હોય!
(ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ)

સ્વર – ઐશ્વર્યા મજમુદાર

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.

– રમેશ પારેખ

જશોદા ! તારા કાનુડાને – નરસિંહ મહેતા

લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ….(આભાર – લયસ્તરો.કોમ)

જેટલા લાડ કૃષ્ણે એના ભક્તોને અને ભક્તોએ એને લડાવ્યા છે એ અન્ય તમામ ભગવાન માટે ઈર્ષ્યાજનક છે. નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે. નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે….

(જાન કીધું = જાણીને કર્યું; મહી મથવાની ગોળી = દહીં વલોવવાની માટલી; મુઝાર = અંદર, માં)

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

સ્વર – રેખા ત્રિવેદી, કૌમુદી મુનશી
સંગીત – નીનું મઝુમદાર
આલબ્મ – નરસિંહ મીરા – એક ઝાંખી

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા.

શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે,
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાંખોળાં કરતાં હીંડે, બીએ નહીં લગાર રે,
મહીં મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે,
નિત ઊઠીને કેટલું સહીએ, રહેવું નગર મોઝાર રે … જશોદા.

આડી-અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે;
ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે … જશોદા.

મારો કાનજી ઘરમાં સૂતો, ક્યારે દીઠો બ્હાર રે,
દહીં દૂધનાં તો માટ ભર્યાં, પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલે સહુ આવી, ટોળી વળી દસ-બાર રે,
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે …. જશોદા.

– નરસિંહ મહેતા

મનના મેવાડમાં એક રાણો વસે છે – સુરેશ દલાલ

પહેલા મૂકેલું આ કૃષ્ણ-મીરા ગીત મને ખૂબજ ગમતું આજે હેમા દેસાઇનાં સ્વર માં સાંભળીએ….

MEERA

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઈ

(આ ઓડ્યો ફાઈલ માટે આભાર – દેવાંગ ખારોડ)

Previously posted on 08 September, 2007

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સ્વર – અનાર કઠિયારા
સંગીત – આશિત દેસાઈ

મનના મેવાડમાં એક રાણો વસે છે,
એ રાણાને અહીંથી ઉથાપો કોઇ,
મને મીરાંનું પાગલપન આપો કોઇ.

મને મેવાડી મહેલ હવે જોઇતા નથી, હીરા મોતીના હેલ હવે જોઇતા નથી,
મારા જ કરંડિયાને સાપ તો ડસે, એ સાપને તો અહીંથી ઉથાપો કોઇ.
મને મીરાંનું વૃંદાવન આપો કોઇ…..

હરિ-આવનના અવાજને હું સાંભળ્યા કરું, અહીં દિવસ ને રાત દીપ બાળ્યા કરું
નૈનનમેં નન્દલાલ એવા શ્વસે, મને પ્રીતિ પુરાતન આપો કોઇ
મને મીરાંનું વૈરાગન આપો કોઇ…..હવે સાંવરિયો મનભાવન સ્થાપો કોઇ!!

– સુરેશ દલાલ

કાનજીના મોબાઈલમાં રાધાનો રીંગટોન – અંકિત ત્રિવેદી

પ્રસ્તાવના : અંકિત ત્રિવેદી
સ્વરાંકન – સ્વર : આશિત દેસાઈ

કાનજીના મોબાઈલમાં જ્યારે અચાનક રીંગટોન રાધાનો વાગે,
જન્મો જનમની ઘેલી રાધાની પ્રીત કાનજીની આંખોમાં જાગે.

મોબાઈલના નેટવર્કમાં કેમે ના સંભળાતી રાધાના રાસની તાલી,
મોબાઈલ પકડીને થાકેલા હાથને રાધાનો હાથ લેવો ઝાલી;
આયખાની સાંજ પર ઊભેલો કાનજી, સપનાનો ટૉક ટાઈમ માંગે.

s.m.s. મોકલેલો વાયા ઓધાજી, એના replyમાં રાધાના આંસુ,
રાધાના આંસુનો s.m.s. વાંચીને, કાનજીની આંખે ચોમાસું ;
મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં,વાંસળી વાગે છે એક રાગે.

– અંકિત ત્રિવેદી

કાન ઓળખાતા નથી – હરીન્દ્ર દવે

સ્વર: હેમા દેસાઈ
સ્વરાંકન – આશિત દેસાઇ

.

અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી
કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,
હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

– હરીન્દ્ર દવે

મોરપિચ્છની રજાઈ ઓઢી – સુરેશ દલાલ

Update at 10.15 pm of August 10, 2012:
ગુજરાતી ભાષાને કવિતાનો દરિયો જેમણે આપ્યો – એ વ્હાલા કવિ શ્રી સુરેશ દલાલ હવે આપણી વચ્ચે નથી! ગુજરાતી પ્રજા હંમેશા આ કવિની ઋણી રહેશે, અને કવિતા થકી કવિશ્રી હંમેશા આપણી સાથે જ રહેશે! કવિ શ્રી ને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી!

અમે એવા છઇએ, અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.

– સુરેશ દલાલ
———————————————————–

Posted at 5.25 am of August 10, 2012:

આદિ કવિ નરસિંહ મહેતાથી લઇને અર્વાચિન કવિઓની વાત કરીએ – એ બધામાં ‘ગુરુત્તમ સામાન્ય અવયવ’ એટલે કૃષ્ણ..!

તો આજે ‘જન્માષ્ટમી’ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણો એક મઝાનું કૃષ્ણકાવ્ય..! કવિ કહે – “અમે તમારા સપનામાં તો નક્કી જ આવી ચડાશું…” આહા…! પૂર્ણ સમર્પણ વગર આટલો confidence શક્ય જ નથી. અને આ મઝાના શબ્દોને સ્વર-સંગીત પણ એવા મળ્યા છે કે કૃષ્ણમય થયા વિના છૂટકો જ નથી..!!

સ્વર : હરિહરન
સંગીત : આશિત દેસાઇ

મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ
અમને થાય પછી આરામ….

મુરલીના સૂરનાં ઓશીકાં
રાખો અડખે-પડખે
તમે નીંદમાં કેવા લાગો
જોવા ને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ
મ્હેકી ઊઠે આમ….

અમે તમારા સપનામાં તો
નક્કી જ આવી ચડાશું
આંખ ખોલીને જોશો ત્યારે
અમે જ નજરે પડશું
નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં
ઝળહળભર્યો દમામ….

– સુરેશ દલાલ

श्री नन्दकुमाराष्टकं – શ્રી વલ્લભાચાર્ય

સ્વર – રવિન્દ્ર સાઠે, વાંસળી – પંડિત હરિપ્રસાદ ચૌરસિયા
આલબ્મ – Prarthana – Shri Krishna Vol. 1

સ્વર – શ્યામલ મુન્શી
સંગીત – શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી
પ્રસ્તાવના – તુષાર શુક્લ

સ્વર – દેવકી પંડિત (Raag Hansdhwani)
સંગીત – આશિત દેસાઇ, ચન્દુ મટ્ટાણી
આલબ્મ – Divine Chants Of Krishna

સ્વર – દીક્ષિત શરદ, ચિત્રા શરદ
સંગીત – દિપેશ દેસાઇ

सुन्दर गोपालं उरवनमालं नयन विशालं दुःख हरं,
वृन्दावन चन्द्रं आनंदकंदं परमानन्दं धरणिधरं ।
वल्लभ घनश्यामं पूरण कामं अत्यभिरामं प्रीतिकरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥१॥

सुन्दरवारिज वदनं निर्जितमदनं आनन्दसदनं मुकुटधरं,
गुंजाकृतिहारं विपिनविहारं परमोदारं चीरहरम ।
वल्लभ पटपीतं कृतउपवीतं करनवनीतं विबुधवरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥२॥

शोभित मुख धूलं यमुना कूलं निपट अतूलं सुखदतरं,
मुख मण्डित रेणुं चारित धेनुं बाजित वेणुं मधुर सुरम ।
वल्लभ अति विमलं शुभपदकमलं नखरुचि अमलं तिमिरहरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥३॥

शिर मुकुट सुदेशं कुंचित केशं नटवरवेशं कामवरं,
मायाकृतमनुजं हलधर अनुजं प्रतिहदनुजं भारहरम ।
वल्लभ व्रजपालं सुभग सुचालं हित अनुकालं भाववरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥४॥

इन्दीवरभासं प्रकट्सुरासं कुसुमविकासं वंशीधरं,
हृतमन्मथमानं रूपनिधानं कृतकलिगानं चित्तहरं ।
वल्लभ मृदुहासं कुंजनिवासं विविधविलासं केलिकरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥५॥

अति परं प्रवीणं पालितदीनं भक्ताधीनं कर्मकरं,
मोहन मतिधीरं फणिबलवीरं हतपरवीरं तरलतरं ।
वल्लभ व्रजरमणं वारिजवदनं जलधरशमनं शैलधरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥६॥

जलधरद्युतिअंगं ललितत्रिभंगं बहुकृतिरंगं रसिकवरं,
गोकुलपरिवारं मदनाकारं कुंजविहारं गूढनरम ।
वल्लभ व्रजचन्दं सुभग सुचन्दं कृताअनन्दं भ्रांतिहरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥७॥

वंदित युग चरणं पावन करणं जगत उद्धरणं विमलधरं,
कालिय शिर गमनं कृत फणिनमनं घातित यमनं मृदुलतरं ।
वल्लभ दुःखहरणं निरमलचरणं अशरण शरणं मुक्तिकरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥८॥

– શ્રી વલ્લભાચાર્ય

(શબ્દો માટે આભાર – pushtimarg.wordpress.com)

મુખડાની માયા લાગી રે – મીરાંબાઇ

જૂન ૧૫, ૨૦૦૯ માં મુકેલું આ મીરાંબાઇનું ગીત આજે બે અલગ સ્વરાંકનમાં……

સ્વર – દિપાલી સોમૈયા
સંગીત – આશિત દેસાઇ ?

સ્વર – કૌમુદી મુનશી
સંગીત – ?

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા … મુખડાની માયા

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે, મોહન પ્યારા … મુખડાની માયા

સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને તો શીદ યાચું રે, મોહન પ્યારા … મુખડાની માયા

પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો નાવે વારો, મોહન પ્યારા … મુખડાની માયા

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
સંસારથી રહી ન્યારી રે, મોહન પ્યારા … મુખડાની માયા

– મીરાંબાઇ