Category Archives: પુરુષોત્તમ ઉપાધ્યાય

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ? – મેઘબિંદુ

સ્વર – હંસા દવે
સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય (?)
કવિ – ??

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,
લાગણીનાં દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથીયા,
પાણી પીધુને ફસાયા

કેટલીય વાર મારી ડુબેલી ઈચ્છાને ;
નીંદડીથી કાઢી છે બ્હાર,
ગોબા પડેલી ખાલી ગાગરનો;
મને ઉચકતા લાગે છે ભાર,
નિર્જન આ પંથે સાવ ધીમી ચાલુ,
તોયે સ્મરણોના નીર છલકાયા.

આફવાઓ સુણી, સુણીને મને રોજ રોજ,
પજવે છે ઘરના રે લોકો,
એકલી પડું ત્યારે,આંસુંના;સથવારે,
હૈયાનો બોજ કરુ હલ્કો,
એક પછી એક ગાંઠ વધતી રે જાય ;
ને લાગણીનાં દોરડા ટુંકાયા

સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ,
લાગણીનાં દોરડા ઘસાયા
વાતોની વાવના ઉતરી પગથીયા,
પાણી પીધુને ફસાયા

મને ખ્યાલ પણ નથી – હરીન્દ્ર દવે

આજે હરીન્દ્ર દવેની આ ઘણી જ જાણીતી ગઝલ – none other than પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સ્વરાંકન સાથે..! અને હા – ટહુકો ને જેમણે ઘણા ટહુકાઓ ભેટ આપ્યા છે – એવા એક ખાસ મિત્ર અને PUના એક મોટ્ટા ચાહકને – એમના જન્મદિવસે આ ભેટ આપણા તરફથી..! Happy Birthday, K ભાઇ! 🙂

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે

દૂરતા કોઈ વખત મોંઘી પડી -જવાહર બક્ષી

જવાહર બક્ષીની આ મઝાની ગઝલ – અને પુરુષોત્તમ ઉપાધ્યાયનું અફલાતૂન સ્વરાંકન સાથે એમનો અને આશિત દેસાઇનો સ્વર..! વારંવાર બસ સાંભળ્યા જ કરો … સાંભળ્યા જ કરો..! એમ પણ ગુજરાતી સુગમમાં male duets અને female duets ઓછા જોવા મળે છે.

સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ
આલ્બમ : તારા શહેરમાં

દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.

જીવવા જેવું જ જીવાયું નહી,
જીવવાની આવડત મોંઘી પડી.

મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.

શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી  પડી.

-જવાહર બક્ષી

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર

ચાર વર્ષ પહેલાના Mother’s Day પર આપને સંભળાવેલું, અને ત્યારથી ટહુકો પર ગૂંજતું આ ગીત… આજે માધ્વી મહેતાના સ્વરમાં ફરી એકવાર…! આમ તો મમ્મી કેટલી વ્હાલી છે એ કહેવા માટે Mother’s Dayની રાહ ન જોવાની હોય – તો યે.. આજે એકવાર ફરી કહી દઉં.. – I love you, Mummy 🙂

આપ સૌને Happy Mother’s Day..!

સ્વર : માધ્વી મહેતા

******

Posted on: May 12, 2007

આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત transformation થતું હશે તો એ એ કે કન્યા જ્યારે મા બને છે. એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે…ફક્ત એના દેવના દીધેલને માટે. અને આ transformation એવું કે જીવનપર્યંત એ મા જ રહે છે. ૯ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલાય તબક્કાઓમાંથી પસાર થાય છે, ફક્ત એના બાળકના વિકાસ માટે! આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્ક્રુતિ જીવતી છે! અને એ માતાનું ભારતીય વિચારધારાએ વૈશ્વિકરણ એ રીતે કર્યું છે કે આપણે ગાય, નદી, પ્રુથ્વી, દેશ (ભારતમાતા), અરે ભગવાન સુધ્ધાંને માતા કહીએ છીએ. અહીં અમેરિકામાં આજનો દિવસ મધર્સ ડે છે, જ્યારે ત્યાં ભારતમાં હર દિવસની સવાર બાળકો માતાને માત્રુદેવો ભવ કહીને રોજેરોજ માત્રુદિન ઊજવે છે….ત્યારે એ નિમિત્તે આજે આપણે આપણી માતાને કહીએ કે “જનનીની જોડ સખી નહી મળે રે લોલ”.

પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે આ મધુરુ ગીત શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એ કરેલી વાતો, એક-બે કાલ્પનિક પ્રસંગોની રજુઆત….. ખરેખર આંખો ભીની કરી જાય છે.

.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

(આભાર : ફોર એસ.વી. )
———————————

ફરમાઇશ કરનાર મિત્રો : ઊર્મિ , હિરલ, રમિત, આરિફ

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું – મરીઝ

ઘણા વખતથી… (આમ તો ચાર વર્ષથી) ટહુકો પર ગૂંજતી મરીઝ સાહેબની આ સદાબહાર ગઝલ….. આજે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર…!!

સ્વર – સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

______________________

Posted on: February 4, 2007

સ્વર : મનહર ઉધાસ

tofan

.

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો,
છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,
કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની,
કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,
સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે,
ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,
તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો,
થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,
હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,
તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,
ફકત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે,
નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.

( કવિ પરિચય )

( આભાર : ઇન્દ્રવદન મિસ્ત્રી )

પરવરદિગાર દે – મરીઝ

આજે ફરી એકવાર આ મઝાની ગઝલ – સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં ફરી એકવાર… ગમશે ને? 🙂

—————-

Posted on May 12th, 2009

થોડા વખત પહેલા વડોદરામાં ‘કાવ્યધારા’ નું આયોજન થયું હતું, એની એક નાનકડી ઝલક લાવી છું તમારા માટે. આમ તો ટહુકો પર થોડા મહિનાથી ગુંજતી આ ગઝલ, આજે એક નવા સ્વરાંકન સાથે સાંભળવી ચોક્કસ ગમશે. અને સાથે બોનસમાં છે તેજસભાઇની મજેદાર પ્રસ્તુતિ.

સ્વર : અચલ મહેતા
સંગીત : નરેન્દ્ર જોશી
પ્રસ્તાવના : તેજસ મઝમુદાર

————————————

Posted on November 23, 2008

મરીઝ સાહેબની આ સદાબહાર ગઝલ… ફક્ત 6 શેર સાથે તો ટહુકો પર ઘણા વખતથી હતી જ, આજે એક સુમધુર સ્વરાંકન અને બીજા 4 શેર સાથે ફરી એકવાર…

સ્વર : સંગીત : શ્યામલ મુન્શી – સૌમિલ મુન્શી

.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

– મરીઝ

એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે – મહેશ દવે

: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર : હંસા દવે

એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે,
એમાં ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

ભર તું બપ્પોર (?) મારી આંખો લઈ ગોકુળીયુ ગોતી તું ક્યાંય નજર ના આવે,
આખીયે જાત ધૂળ ધૂળ થઈ ગોકુળની(?) ગાયોની ખરીઓ ખરડાવે.

એકવાર પગલી તું ગોકુળમાં પાડી દે,
ને ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

મોરપીંછ મોકલવું ક્યાંય નહીં હોય તેમ માથે મૂકીને તું હાલજે,
રાધાને દીધેલા કોલ પેલો વાંસળી વગાડવાનો આખર તો પાળજે.

એકવાર એટલી ઉદારતા બતાવી દે,
ને ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

-મહેશ દવે

દિવસો જુદાઈના જાય છે – ગની દહીંવાલા

આમ તો ટહુકો શરૂ થયો લગભગ ત્યારથી અહીં ટહૂકતી આ ગઝલ – આજે ફરી એક સાંભળવાનો મોકો આપું છું..! ગુજરાતી ગઝલોમાં અમરત્વ પામી ચૂકેલી આ ગઝલ વિષે આમ તો કંઇ કહેવાનું બાકી રહ્યું નથી..! ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેલી આ ગઝલ આજે સાંભળીએ ખુદ સ્વરકારનાં સ્વર સાથે – અને હા, સાથ આપે છે – ઐશ્વર્યા મજમુદાર ..!!

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

————
Posted July 4, 2006

સ્વર : મુહમ્મદ રફી
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
divaso.jpg

.

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

પુરુષોત્તમ પર્વ ૧ : હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર… – ભાસ્કર વોરા

ગુજરાતીઓના હોઠે અને હૈયે વસેવું આ મઝાનું ગીત.. અને ટહુકો પર ઐશ્વર્યા – પુરુષોત્તમભાઇ – લતા મંગેશકરના અવાજમાં ઘણા વખતથી ગુંજતું.. આજે ફરી એકવાર માણીએ – લોકલાડીલ કલાકાર – ગુજરાતનું ગૌરવ એવા પાર્થિવ ગોહિલના સ્વરમાં..! (April 2007 માં આ સંભળાવવાનો વાયદો કર્યો હતો.. આજે પૂરો કરું છું 🙂 ).

ગુજરાત સમાચાર – સમન્વય પ્રોગ્રામનું આ રેકોર્ડિંગ છે – શરૂઆતમાં કવિ શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ એ પાર્થિવ વિષે જે વાત કરી છે – એ સાંભળવાની પણ મજા આવશે..!

.

_________________________________
Posted on August 16th, 2009

ગઇકાલે વ્હાલા, લોકલાડીલા ગુજરાતી સંગીતનો શ્વાસ એવા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો ૭૫મો જ્ન્મદિવસ આપણે એમને થોડા વધુ નજીકથી ઓળખવાના પ્રયાસ રૂપે અમરભાઇ અને એમની દીકરીઓ વિરાજ-બીજલના શબ્દો-ભાવો સાથે મનાવ્યો…

અને આજથી એક અઠવાડિયા સુધી વારંવાર એમને ‘તુમ જીઓ હઝારો સાલ.. સાલમેં ગીત ગાઓ પચાસ હઝાર…’ ની શુભેચ્છાઓ પાઠવીએ. એટલે કે ટહુકો પર એક અઠવાડિયા સુધી એમણે ગાયેલા, સ્વરબધ્ધ કરેલા ગીતો નો ઉત્સ્વ મનાવીએ.. ‘પુરુષોત્તમ પર્વ’ સાથે..

અને શરૂઆત આ ગીતથી.. જે આમ તો ટહુકો પર છેલ્લા લગભગ અઢી વર્ષથી ઐશ્વર્યા (જેણે સંગીતની તાલીમ પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે જ લીધી છે) ના અવાજમાં ગુંજે જ છે, એ જ અણમોલું ગીત સાંભળીએ સ્વરકારશ્રી ના પોતાના અવાજમાં.. અને સાથે ૫૦ વર્ષ પહેલાનું (મે ૧૯૫૯) ‘All India Radio’ પરથી પ્રકાશિત રેકોર્ડિંગ – લતા મંગેશકરના અવાજમાં.

પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ સ્વરકારની ૭૫મી વર્ષગાંઠ ઉજવતા હોઇએ, તો આનાથી ઓછું કંઇ ચાલે? 🙂

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સ્વર : લતા મંગેશકર (May 1959, AIR Broadcast)

.

—————————

Posted on April 3, 2007

ગાયકઃ ઐશ્વર્યા મજમુદાર (13 years old singer from Ahmedabad)

ગુજરાતી ગીતો અને સાથે શાસ્ત્રીય સંગીતના કોઇ પણ ચાહકના હૈયાને દરબાર રાજ કરે એવું સુંદર ગીત લઇને આવી છું આજે. એકદમ ટૂંકુ ગીત.. હજુ વાંચવાનું શરુ કરો ત્યાં તો પૂરું પણ થઇ જાય.. પણ સાંભળવાનું શરૂ કરો તો ફરી ફરી સાંભળવાની એક વણથંભી ઇચ્છા જરૂર જાગે….શબ્દ અને સૂરની સાથે સાથે આ ગીતમાં જેનો સ્વર છે, એ પણ ખાસ છે. નાનકડી એશ્વર્યાએ આ ગીતના શબ્દોમાં ખરેખર પ્રાણ રેડ્યો છે એમ કહી શકાય.

( ઐશ્વર્યા મજમુદાર વિશે વધુ માહીતી માટે અહીં ક્લિક કરો )

આ ગીત originally પુરૂષોત્તમ ઉપાધ્યાયે ગાયેલું અને પછીથી પાર્થિવ ગોહિલે પણ ગાયેલું છે, જે પછીથી અહીં મૂકીશ.

.

હૈયાને દરબાર વણથંભી વાગે કોઇ સિતાર…

કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયા આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર….વણથંભી વાગે કોઇ સિતાર

કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયા આજ નચાવે?
પળપળ પ્રીતિના પલકાર…વણથંભી વાગે કોઇ સિતાર

ટહુકોના એક વાચકમિત્રના શબ્દોમાં આ ગીતનો આસ્વાદ :

પ્રેમની એક એવી સ્થિતિ હોય છે કે જેમાં પ્રેમી સંપૂર્ણતઃ પ્રિયતમમાં ખોવાઈ જાય છે, પોતાની જાતને પ્રિયતમમાં ઓગાળી દે છે- જાણે એનો પ્રિયતમ જ પોતાના હૈયામાં આવીને ધબકી રહ્યો છે. હૈયામાં દરબાર ભરાયો છે, અને દરબાર ભરાયો છે તો એમાં દુન્યવી વાતો તો થવાની જ- પરંતુ એ બધામાં પ્રિયતમના નામની જે વણથંભી સિતાર વાગતી હોય છે એ સંવેદના જ કાંઈ અનોખી હોય છે! “કોઈ મને ખૂબ પ્રેમ કરે છે” આ વિચારમાત્ર પ્રેમીના હૈયામાં ધબકાર બનીને સતત ધબક્યા કરે છે…. અને એની હૂંફ અવર્ણનીય છે. શરીર ભલે સંસારનાં કામોમાં વ્યસ્ત હોય, પણ અંદરના અંતરનો એકતારો સતત “સાંવરિયો” “સાંવરિયો”નું સંગીત રેલાવતો હોય છે, પલેપલ પ્રીતિના પલકાર મારતો હોય છે.

ક્યારેક પ્રશ્ન થાય કે દીવો બળે છે કેમ? માનવનું જીવન ધબકતું છે કેમ? તો જેમ તેલ દીવાને બળતો રાખે છે, તેમ પ્રિયતમનો ભીનો ભીનો સંબંધ હૈયામાં ધબકાર બની માનવની જીજીવિષા જીવંત રાખે છે. હૈયામાં જે વસી ગયું છે, એ લૈલા માટે મજનુ હોઈ શકે, ભગતસિંહ માટે ભારતમાતા હોઈ શકે, કે પછી મીરાં અને અર્જુન માટે શ્રીકૃષ્ણ પણ હોઈ શકે….આપણાં હૈયાંમાં પણ જ્યારે કોઈકની હુંફ રંગત જમાવશે, કોઈના ઝાંઝર હૈયાને હૂલાવશે, કોઈના રૂપની રસભર રાગિણી રેલાતી હશે, કોઈની યાદે અકળિત આશાઓ જનમી ઊઠશે, ત્યારે આ ગીત એ ગીત નહીં પણ આપણાં જીવનનો એક ભાગ બની જશે……!!
—————–
ફરમાઇશ કરનાર મિત્ર : યોગેશ ઠાકર.

કેમ રે વિસારી – અવિનાશ વ્યાસ

આ મધુરુ ગીત આમ તો ટહુકો પર ત્રણ વર્ષ કરતાંય વધુ સમયથી ગુંજે છે..! પણ નીચે comment માં પ્રગ્નેશભાઇએ જણાવ્યું એ મુજબ – પુરુષોત્તમ ઉપાધ્યાયના અવાજમાં પણ આ ગીત એક ખજાનો છે..! તો ચલો – સાંભળીએ એ ખજાનો… (આભાર પ્રગ્નેશભાઇ..!)

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

*********

Posted on May 10, 2007

સ્વર : આરતી મુન્શી

.

કેમ રે વિસારી,
ઓ વનના વિહારી…
તારી રાધા દુલારી…

વગડાની વાટે હું વાટડીયું જોતી
ભુલ કીધી હોય તો હું આંસુડે ધોતી
વેગળી મુકીને મને મુરલી ધારી
તારી રાધા દુલારી

નિત્ય નિરંતર મુજ અંતરમા
તુજ વાજીંતર બાજે
કહે ને મારા નંદ દુલારા
હૈયું શેને રાજી

તારી માળા જપતી વનમાં
ભમતી આંસુ સારી

કેમ રે વિસારી,
ઓ વનના વિહારી…
તારી રાધા દુલારી…

———————————
ફરમાઇશ કરનાર મિત્ર : ગિરિશ