Category Archives: Video

Happy Birthday to … વ્હાલા કવિ શ્રી અનિલ જોશી

કવિ શ્રી અનિલ જોશીને આજે એમનાં જન્મદિવસ પર ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ… મારા અને તમારા તરફથી…!  અને સાથે સાંભળીએ થોડી વાતો – કવિ શ્રી વિષે – અને કવિ શ્રી તરફથી..!!

(Video માટે આભાર – ગુજરાતી સાહિત્ય અકાદમી)

અહીં પ્રસ્તુત videoમાં એમણે સંભળાવેલા ગીતોમાંથી થોડા ટહુકો પર અહીં સાંભળો:

1. બરફનાં પંખી – અનિલ જોશી

2. સાંજ હીંચકા ખાય .. – અનિલ જોશી

3.  સૂકી જુદાઇની ડાળ – અનિલ જોશી 

કુંજ કુંજ તું ગુંજે ભમરા – ઉમાશંકર જોષી

આજે ૨૧ જુલાઇ, વ્હાલા કવિ-સંગીતકાર અને જેને ફક્ત ગુજરાતી સંગીતની ઇમારતનો પાયો જ નહીં, પણ આખે આખી ઇમારત જ કહી શકાય એવા શ્રી અવિનાશ વ્યાસનો અને જેના નામ વગર ગુજરાતી કવિતા અધૂરી જ કહેવાય એવા કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ..! ( જન્મ : 21 જુલાઇ, 1911 )

અમે અહીં (Bay Area, California)’ડગલો’ આયોજિત ‘કવિ વંદના’ કાર્યક્રમ કર્યો હતો – એમાં કલાકારોએ કવિ શ્રી ઉમાશંકર જોષીના આ ગીતની ઘણી જ સુંદર રજૂઆત કરી હતી – જે આજે આપ સાથે વહેંચુ છું!

સ્વર : પલક વ્યાસ, આણલ અંજારિયા, રાજા સોલંકી, નિકુંજ વૈદ્ય, દિનેશ મહેતા
સ્વરાંકન : શશીકાંતભાઇ વ્યાસ

કુંજ કુંજ તું ગુંજે ભમરા
કાં આટલું તને ના સૂઝે
કુંજ કુંજ તું ગુંજે

કાં પંકજ પુષ્પની પાંખરે
તું જીવન તારું ખાખ કરે
રસ તરસ્યા રસનાં ગાન કરે
તું પ્રાણ દઈ પ્રીત પાન કરે

તૂં પ્રીત ગીત લલકારે
ફરી કુંજ કુંજની ડાળે
તું પ્રણય વેદી પર પ્રાણ દે
તું પ્રાણ સમરામ જાણે

કાં આટલું તું ના જાણે
શું ફૂલ બીડાશે વ્હાણે
શું દુ:ખ હ્રદયમાં સાલે
તું જીવન જીવી જાણે

– ઉમાશંકર જોષી

ઝરણું રમતું રમતું આવે – ઉમાશંકર જોષી

અમારી ‘ડગલો’ સંસ્થા આયોજિત ‘ઉમાશંકર જોષી’ શતાબ્દી ઉત્સવની શરૂઆત આ નાનકડી બાળકીએ કરી, પોતાના મધમીઠા સ્વરમાં એક નાનકડી સ્તુતિ સાથે..! અને પછી એણે પોતાની જેમ જ ઉછળતા કુદતા ઝરણાનું આ મસ્ત મઝાનું ગીત રજૂ કર્યું. એ પછી ઘણીવાર આ રેકોર્ડિંગ માણ્યું છે – તો આજે એ તમારી સાથે પણ વહેંચી લઉં..!

સ્વર – શ્રાવ્યા અંજારિયા

ઝરણું રમતું રમતું આવે,
ઝરણું રમતું રમતું જાય.

ઝરણું રૂમઝૂમ કરતું નાચે,
ઝરણું ઝમઝમ કરતું ગાય.

ઝરણું ડુંગર કરાડ કૂદે,
ઝરણું વન વન ખીણો ખૂંદે,
ઝરણું મારગ ધોતું દૂધે,

ઝરણું અલકમલકથી આવે
ઝરણું અલકમલકથી જાય

ઝરણું રમતું રમતું આવે
ઝરણું રમતું રમતું જાય.

 – ઉમાશંકર જોષી


વાલમનો બોલ – અનિલ જોષી

ગઈ કાલે, 17 May 2012, કવિ શ્રી રમેશ પારેખની છઠ્ઠી પુણ્યતિથી હતી – તો એમને ફરી એકવાર શ્રધ્ધાંજલી!….

કવિ શ્રી રમેશ પારેખ અને કવિ શ્રી અનિલ જોષીની દોસ્તીથી તો તમે વાકેફ હશો જ. એમણે સાથે લખેલું પેલું ગીત – ડેલીએથી પાછા મા વળજો હો શ્યામ – યાદ છે?

બે કવિઓ ભેગા મળી ગીત-ગઝલ લખે – એ સમજી શકાય… પણ એક કવિનું ગીત, બીજા કોઇ કવિની યાદમાં લખાયેલું ગીત, ત્રીજા એક કવિ એ સ્વરબધ્ધ કર્યું હોય, એવું તમને યાદ છે? અહીં પ્રસ્તુત આ ગીત લખ્યું છે અનિલ જોષીએ.. કવિ શ્રી મણીલાલ દેસાઇની યાદમાં.. અને એનું સ્વરાંકન કર્યું છે – કવિ શ્રી રમેશ પારેખએ..! અરે થોભો…!! હજું એક વાત તો બાકી રહી ગઈ… આ જ ગીતને કવિ રમેશ પારેખ અને અનિલ જોષીએ – સાથે મળીને સ્વર પણ આપ્યો છે..!!

અને હા.. આ વિડિયો ક્લિપમાં પ્ર્સ્તુતકર્તા કવિ શ્રી શોભિત દેસાઇ…!!

સ્વર – અનિલ જોષી અને રમેશ પારેખ
સંગીત – રમેશ પારેખ
ગીત પ્રસ્તાવના – શોભિત દેસાઇ

કૂવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
ને ઊગ્યો તે બાજરાને મોલ
કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
મારા વાલમનો હરિયાળો કોલ

શેઢે ઘૂમે રે ભૂરી ખિસકોલી જેમ
મારી કાયાનો રાખોડી રંગ
તરતું આકાશ લઈ વહી જાય ધોરિયે
અંતરનો બાંધ્યો ઉમંગ

દખ્ખણની કોર હવે ઊડતું રે મન
જેમ ખેતર મેલીને ઊડે પોલ.

ચારે દિશાઓ ભરી વાદળ ઘેરાય
અને પર્વતના શિખરોમાં કંપ
આઘે આઘે રે ઓલી વીતકની ઝાડીમાં
હરણું થઈ કૂદે અજંપ

સામે આવીને ઊભી ઝંઝાની પાલખીમાં
ફરફરતો વાલમનો બોલ.

– અનિલ જોષી

************
અને આ રહ્યો – લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ…   (આભાર – લયસ્તરો.કોમ)

અનિલ જોષીના ખાસ મિત્ર રમેશ પારેખ આ ગીતનો ‘પાણીદાર ગીત’ કહીને જે આસ્વાદ કરાવે છે એને ટૂંકાણમાં માણીએ (થોડી મારી નોંક-ઝોંક સાથે):

ગીતના ઉપાડમાં જ કવિ ‘પાણી ઉલેચ્યું’ એમ નહીં, ‘કૂવો ઉલેચ્યો’ એમ કહીને આ કૈંક જુદી જ વાત છે એનો સંકેત કરી દે છે. પછી તરત જ ‘કૂવો વાવ્યો’ એમ કહે છે ત્યારે કૂવો એના વાચ્યાર્થનો પરિહાર કરીને રહસ્યમય વ્યંજના ધારણ કરે છે. વાતે-વાતે રડી પડનારને લોકો ‘ભઈ, તારે તો કપાળમાં કૂવો છે’ એવું કહે છે તે યાદ આવે. અને તરત જ ‘આંખ’ના સંદર્ભો વીંટળાઈ જાય. ‘ખેતર’નો પણ એની જડ ચતુઃસીમામાંથી મોક્ષ થયો છે. પ્રતિભાશાળી સર્જક પગલે પગલે શબ્દોનો મોક્ષ કરતો હોય છે.

જેનાથી દૃષ્ટિ પોતાનું સાર્થક્ય પામે તેવા કોઈ ‘અવલોકનીય’ને પામવાની અપેક્ષામાં આંખને રોપી, વાવી. પછી? પછી બાજરાના મોલની ખળા સુધી પહોંચવા માટે હોય તેવી પક્વ સજ્જતાનું અને ઉત્સુક્તાનું દૃષ્ટિમાં પ્રકટીકરણ થયું. કાંટાની વાડનું નડતર પણ ન રહ્યું કેમકે એને અતિક્રમીને વ્હાલમનો બોલ સન્મુખ પ્રકટ થયો છે.

કાયા અને કાયામાં રહેલો ઉમંગ હવે અસીમ બન્યો છે. ખેતર પાછળ મેલીને પોલ ઊડી નીકળે એમ સ્થૂળ દેહ ખેતરના શેઢે છોડીને મન વિસર્જિત થવા દક્ષિણ તરફ ઊડ્યું. (મૃત્યુ પછી મૃતદેહને દક્ષિણ દિશામાં વિસર્જિત કરાય છે એ પરંપરાગત સંદર્ભમાંથી કવિએ આ માર્મિક અભિવ્યક્તિ નિપજાવી લીધી છે).

ચારે દિશાઓ ભરાઈ જાય એટલા ઉમળકા હૈયામાં ઊઠી રહ્યા છે અને અ-ચલ પર્વતના શિખરોમાં ય કંપ છે. હરણાં જેવું મન અજંપે ચડી કૂદાકૂદ કરે છે…કેમકે પવનની પાલખીમાં આવેલ વ્હાલમનો કોલ, ઉપયોગી કે નિરુપયોગી તમામ વળગણોને તોડીફોડીને, પાલખીમાં લઈ જવા આવ્યો છે એટલે લઈ જ જશે….

Rocking around the Christmas Tree …

આપ સૌને અમારા તરફથી Merry Christmas…..! :)

 Artist – Brenda Lee

Rocking around the Christmas Tree
at the Christmas party hop
Mistletoe hung where you can see
Ev’ry couple tries to stop

Rocking around the Christmas Tree
Let the Christmas Spirit ring
Later we’ll have some pumpkin pie
and we’ll do some caroling

You will get a sentimental feeling When you hear voices singing
“Let’s be jolly; Deck the halls with boughs of holly”

Rocking around the Christmas Tree
Have a happy holiday
Everyone’s dancing merrily
In a new old fashioned way

Rocking around the Christmas Tree
Let the Christmas Spirit ring
Later we’ll have some pumpkin pie
and we’ll do some caroling

You will get a sentimental feeling When you hear voices singing
“Let’s be jolly; Deck the halls with boughs of holly”
Rocking around the Christmas Tree
Have a happy holiday
Everyone’s dancing merrily
In a new old fashioned way

ગુર્જરી વ્યવહાર શોધું છું – અદમ ટંકારવી

જે બ્રિટનનિવાસી શાયરે ગુજલીશ ગઝલો દ્વારા ગુજરાતી ગઝલને ડાયસ્પોરિક બાની અને સંદર્ભોથી વધુ વૈશ્વિક આયામ આપ્યો છે એ સિદ્ધહસ્ત અને વડીલ શાયર અદમ ટંકારવીની એક ખૂબસૂરત ગઝલ આપ સહુ વાચકો/ભાવકો માટે શાયરના જ સ્વમુખે. થોડા સમય પહેલા જ જનાબ અદમ ટંકારવીનું કલાપી ઍવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.

http://www.youtube.com/watch?v=OKFkRw6VSn8

ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.

લાવે પરભાતિયાં પાલવમાં ભરી,
ખુશનુમા એ સવાર શોધું છું.

તેંય અંગ્રેજી મૂઠ મારી છે,
હુંય એનો ઉતાર શોધું છું.

ક, ખ, ગ – ના ગળે શોષ પડે,
પહેલાં ધાવણની ધાર શોધું છું.

લખી છે ગુજરાતીમાં એક ગઝલ,
ને હવે વાંચનાર શોધું છું.

જડી છે એક લાવારીસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું.

જામ ભાષાનો છલોછલ છે ‘અદમ’,
સાથે બેસી પીનાર શોધું છું.

શ્રી જગજીતસિંગ ને શ્રધ્ધાંજલી : લાગી રામ ભજનની લગની – વેણીભાઇ પુરોહિત

ગઝલસમ્રાટ શ્રી જગજીત સિંગ હવે આપણી વચ્ચે નથી રહ્યા..! એમને શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ આ ભજન. ફિલ્મ પાર્શ્વગાયન શ્રેતે એમને મળેલો એ પ્રથમ બ્રેક.. સંગીતકાર શ્રી અજિત મર્ચન્ટ – કવિ શ્રી વેણીભાઇ પુરોહિત.

http://www.youtube.com/watch?v=p6UIoF4rtTA

લાગી રામ ભજનની લગની,
કે રમણા થઇ ગઇ છે રગરગની,
લાગી રામ ભજનની લગની

રામનામથી પાવન બનતી
માટી પણ મારગની
રામ મિલનને કાજ રે મનવા
________ (?)

લાગી રામ ભજનની લગની,
કે રમણા થઇ ગઇ છે રગરગની,
લાગી રામ ભજનની લગની

– વેણીભાઇ પુરોહિત

કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ (27 ઑગસ્ટ 2011)

કવિશ્રી અનિલ જોશીનો કાવ્યપાઠ (27 ઑગસ્ટ 2011)

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
http://spancham.wordpress.com/2011/08/15/aniljoshi_27aug2011/

 

અને સાથે માણો એમની એક રચના – એમના પોતાના સ્વરમાં..!!

મુસાફરીના વિઘન – અનિલ જોશી

(નદીમાં બરફના ટુકડા તરતા જોઈને પનિહારી ગાય છે.)

સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
ડેલી ઉઘાડ…
મારું બેડું ઉતાર…
કાળ ચોઘડિયે સુધબુધ મેં ખોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા ને પાણીનો રજવાડી ઠાઠ
ઓણસાલ નદીયું નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મડાગાંઠ
મરચાં ને લીં બુ કોઈ નદીએ જઈ બાંધો
પાણીમાં હોય નહીં બખિયા કે સાંધો
ડાકલા બેસાડીને ભૂવા ધુણાવો કે પાણીને સીવી ગયું કોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું કાઢીને વદ્યા વાણી
જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી.
હવે નદીયુંની જાતરામાં નડતર બરફ
હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
તમે ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મેં ક્યાં જઈ ધોઈ ?
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

રક્ષાબંધન Special – જાહલની ચિઠ્ઠી

આજે બધી બહેનોના વ્હાલકડા ભાઇઓ અને ભાઇઓની લાડકડી બહેનોને અમારા સર્વ તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

આજની આ પોસ્ટ – કેતનભાઇ તરફથી..!

*******
રક્ષાબંધન એટલે કાચા સૂતરનાં તાંતણે બંધાયેલ ભાઈ-બહેનનાં હેતનું પર્વ!! આમ તો, રક્ષાબંધનની વાત નીકળે એટલે ઘણા ઉદાહરણો પુરાણો અથવા નજીકના ઇતિહાસમાંથી મળી આવે. જેમકે, કુંતાજીએ ચક્રવ્યૂહમાં જતા અભિમન્યુને રાખડી બાંધી હતી. પુરાણોમાં ઉલ્લેખ છે કે ઇન્દ્રાણીએ પણ હારેલ ઇન્દ્ર દૈત્યો પર વિજય મેળવી શેકે એ માટે રક્ષાબંધનનું વ્રત કર્યું હતું. લક્ષ્મીજીએ પણ બલિના હાથે રાખડી બાંધી ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. રાજપૂત રાણી કર્મવતીએ બાદશાહ હૂમાયુને રાખડી મોકલાવી ભાઈ બનાવ્યો હતો અને રાજ્યની રક્ષા કરી હતી.

…પણ આજે રક્ષાબંધનના દિવસે ચાલો જાણીએ એક આવી જ ભાઈ-બહેનનાં અદભૂત પ્રેમની ન ચર્ચાયેલી કથા –

———————————————————————————————-
ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા’ડિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં ગઢનો કાંગરો ય ખેરવી શક્યો નહીં. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રા’ નું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રા’ એ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું.

આમ, સોલંકીઓએ કપટથી રા’ડિયાસને મારી જૂનાગઢ હાથ કર્યું, જેથી રા’ની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. તેમાંની સોમલદે નામની રાણી મરતાં પહેલા પોતાનાં નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ. આ બાળક એ જ નવઘણ – રા’ ના કુળનો છેલ્લો વંશજ. પેલી વડારણ બાઈ જેમતેમ કરીને બાળ નવઘણને બોડીદર ગામના દેવાયત આહીર પાસે પહોંચાડે છે. દેવાયતને નવઘણની એ જ ઉંમરનાં બે સંતાન છે – દીકરો વાહણ અને દીકરી જાહલ. સોલંકીઓનો કેર હોવાં છતાં બહાદુર આહીર દંપતિ નવઘણને સ્વીકારે છે. હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરે છે. સમય પસાર થતો જાય છે. ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે. એવે વખતે કોઈ જાણભેદુ સોલંકીઓના થાણેદારના કાન ભંભેરે છે અને વાત છતી થાય છે. ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક-એકને પૂછે છે કે “સાચે જ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી. આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે, અને સૌનાં આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતાં કહે છે –

“મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી. પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.”

પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવઘણને તેડાવે છે. કાગળમાં લખે છે – “રા’ રાખીને વાત કરજે”.

“રા’ રાખીને વાત કરજે” – સોરઠી ભાષાના આ કોયડાને ગુજરાતનાં સોલંકીઓ પકડી ન શક્યા, પણ દેવાયતની પત્ની બધું જ સમજી ગઈ. હૈયા પર પથ્થર મૂકીને એણે પેટના દીકરા વાહણને તૈયાર કરીને મોકલ્યો. નાનકડા વાહણને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો. ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી. મર્યો છે એ નવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા, તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી રા’ ના કુળદીપકને જલતો રાખ્યો!

વરસો વીત્યાં. જાહલ અને નવઘણ યુવાન થયાં. વૃદ્ધ થયેલાં દેવાયતે દીકરી જાહલનાં લગ્ન લીધાં. નવઘણને પણ તમામ હકીકતથી વાકેફ કર્યો. તમામ આહીરોને દેવાયતે ભેગા કર્યા અને જૂનાગઢ પર ચડાઈ કરી. સોલંકીરાજનું પતન થયુ અને રા’નવઘણ જૂનાગઢની ગાદીએ બેઠો. ધામધૂમથી બહેન જાહલને પરણાવી. નવઘણે બહેનને માંગવા કહ્યું ત્યારે જાહલે એટલું જ કહ્યું કે “સમય આવ્યે કાપડું માગી લઈશ.”

સમય પસાર થતો જાય છે. કાઠિયાવાડમાં કારમો દુકાળ પડે છે. જાહલ પોતાના પતિ સાથે સ્થળાંતર કરીને સિંધ પ્રાંત તરફ જાય છે. સિંધનો સૂબો હમીર સૂમરો એકવાર જાહલને જોઈ જાય છે. એના રૂપ પર મોહી પડે છે અને તેને તાબે થવાનો આદેશ કરે છે. લાચાર જાહલ ૩ મહિનાનો સમય માંગી લઈને તરત પોતાના ભાઈ રા’નવઘણ પર ચિઠ્ઠી લખી પતિને જૂનાગઢ દોડાવે છે. રાજકાજમાં ડૂબેલ નવઘણને બહેન ક્યાં છે એનો ખ્યાલ નથી. લાંબા રઝળપાટને અંતે તે જૂનાગઢ રાજમહેલમાં પહોંચી કાગળ રા’નવઘણને વંચાવે છે. કાઠિયાવાડનાં ઇતિહાસમાં આ કાગળ “જાહલની ચિઠ્ઠી” તરીકે પ્રખ્યાત છે.

ફિલ્મ “રા’નવઘણ (૧૯૭૬)” માંથી લીધેલ આ પ્રસંગનું ચિત્રાંકન અહીં જોઈ શકાશે..

 

સિંધ મહિપ દુઃશાસન કેરી મુજ પર મીટ મંડાઈ,
પાંચાળી જેમ આજ પુકારું ચીર પૂરો જદુરાઈ

હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

ભીતર લાગ્યા ઘાવ સંતાડું, રૂપ સંતાડ્યા ન જાય,
ફૂલની માથે સાપ ફૂંફાડે, લાગી અંગે-અંગ લ્હાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

કોડભર્યા મારા વીરને કાંધે તેગ સૂબાની તોળાય,
ડુંગર સમો દેવાત ડગ્યો નહિં, થડકો ન માને થાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

બાપના ગુણ ને ભોગ બાંધવનો, દૂધડિયાની સગાઈ,
કાપડા કેરો બોલ દીધોતો માંડવડાની માંય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

નવઘણ મારા એ બદલાને ભૂલી જજે ભલે ભાઈ,
જે ધરતીમાં જનમ્યા એના, સગપણ નો વિસરાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

સાબદો થા વીર વાત સુણી, મારા જુગ સમા દિન જાય,
અવધિ વિત્યા પછી કાપડું તારું, બેનનું ખાપણ થાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

આશા ભોંસલેએ ગીતને કંઠ આપ્યો છે. શ્રીઅવિનાશ વ્યાસે હ્રદયદ્રાવક શબ્દોથી ગીતને શણગાર્યું છે. ગીતમાં જાહલ નવઘણને બાળપણમાં સાથે ઉછર્યા, રમ્યાં, મીઠા ઝઘડા કર્યા તેની યાદ અપાવે છે. લગ્નમંડપમાં આપેલ કાપડાનું વચન યાદ અપાવે છે અને સમયસર સિંધ પહોંચવા તાકીદ કરે છે.

પછીની વાત ટૂકાણમાં જોઈએ તો – બહેનનાં કાગળથી રા’નું હૈયું ભીંજાય છે. તે ફોજને સાબદી કરી સિંધ પર ચડાઈ કરે છે. જૂનાગઢથી સિધ (હાલ પાકિસ્તાનમાં) તરફ જમીનમાર્ગે કૂચ કરવામાં ઘણો જ સમય લાગે તેમ છે કારણકે વચ્ચે દરિયો છે. કાંઠે-કાંઠે ચાલીને સિંધ સુધી પહોંચે ત્યાં સુધી બહેન જાહલને મળેલ અવધિનો સમય ચૂકી જવાય તેમ છે. આ વખતે માતાજીની કૃપાથી આખી સેનાને દરિયો મારગ આપે છે અને સમયસર સિંધ પહોંચી રા’નવઘણ બહેન જાહલને છોડાવે છે.

———————————————————————————————-
આભાર,
કેતન રૈયાણી

**************
અને હા – રક્ષાબંધનની સાથે આ ગીતો તો કેમ ભૂલાય?
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
રક્ષાબંધન.. હો રક્ષાબંધન – ડો. દિનેશ શાહ
ઇટ્ટા કિટ્ટા… – સુરેશ દલાલ