દરેક ગુજરાતીને હોઠે ને હૈયે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા સાંભળવા માટે આમ તો સમય જોવાનો હોતો નથી..! તો ચલો, સાંભળો આ અમર રચના આજે ફરી એક સ્વરમાં.
સ્વર – અભરામ ભગત
____________________
Posted on April 26, 2007
અત્યારે ભલે તમારે ક્યાં કોઇ પણ સમય હોય, પણ શક્ય હોય તો આ પ્રભાતિયા વહેલી પરોઢે જરૂર સાંભળજો.. આમ તો પ્રભાતિયા કોઇ પણ અવાજમાં અને કોઇ પણ સમયે સાંભળવા ગમતા જ હોય છે, પણ જેનું નામ જ ‘પ્રભાતિયા’ છે, એને પ્રભાતે તો સાંભળવા જ પડે ને !! 🙂
અને આ સૌથી પહેલું જે ગીત મુક્યું છે, એમાં પ્રફુલ દવેના સ્વરની સાથે સાથે જ પંખીઓનો કલરવ, મંદિરનો ઘંટનાદ, ગાયના ભાંભરવાનો અવાજ, અને કુકડો બોલે એ બધા અવાજ એવા સરસ રીતે વણી લીધા છે કે જો તમે ગામડાની સવારની મજા માણી હોય, તો એ જરૂર યાદ આવી જ જાય.

સ્વર : પ્રફુલ દવે
.
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને
————————————–
ફરમાઇશ કરનાર મિત્ર : વસંત




