ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે….
સૌને ઉત્તરાણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ઘણા બધા તલના લાડુ ખાઓ, બોર ખાઓ, ઘણા બધા પતંગ કાપો, અને આખો દિવસ ધાબા પર પસાર કરી સાંજે ફાનસ ચગાવો, અને ખાટા પૂડા ખાઓ..!!
અહીં પ્રસ્તુત ગીત કોઇ જુની રેકોર્ડમાંથી લેવામાં આવ્યું છે (જે કવિ તુષાર શુક્લએ ‘કંકુનો સૂરજ’ કાર્યક્રમમાં રજૂ કરેલું). ગીત સાથે પ્રદ્યુમ્ન તન્ના અને અનિરુધ્ધ તન્ના એવું નામ હતું, પણ વધુ કોઇ માહિતી નથી. આપને ગીત વિશે વધુ માહિતી હોય તો જરૂરથી જણાવશો. ત્યાં સુધી, સાંભળો આ મઝાનું Vintage પગંત-બાળગીત..!!
ઝીણાભાઈ રતનજી દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ (૧૬-૪-૧૯૦૩, ૬-૧-૧૯૯૧): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક. જન્મ વલસાડ જિલ્લાના ચીખલીમાં. ૧૯૨૦માં મેટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૨૬માં ત્યાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. ૧૯૨૬-૧૯૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક. ૧૯૩૨-૩૩માં બેએક વર્ષ જેલવાસ. ૧૯૩૪માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય. ૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક. ૧૯૬૧માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ. ત્રણેકવાર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ. ૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ જ ૧૯૮૫નો નર્મદચન્દ્રક. ગુજરાતી કવિતામાં જાપાનીઝ કાવ્ય હાઈકુના પ્રણેતા.
પ્રમુખ કવિ, વાર્તાકાર, ચરિત્રકાર છે. સ્વાધીનતા, દેશભક્તિનો સૂર આરંભના કાવ્યોમાં પછી સૌન્દર્યાભિમુખ વલણ પ્રગટ થાય છે. જાપાની કાવ્યપ્રકાર હાઈકુને ગુજરાતીમાં સુપ્રતિષ્ઠિત કરી તેમણે ઐતિહાસિક પ્રદાન કર્યું છે. તેમની વાર્તાઓ વિશેષે ઊર્મિપ્રધાન અને જીવનમૂલ્યોને લક્ષ્ય કરનારી છે. ત્રણ ભાગમાં વિસ્તરેલી તેમની આત્મકથામાં તત્કાલીન રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓનું ચિત્ર ઉપસે છે.