આજે ૨૧ જુલાઇ, વ્હાલા કવિ-સંગીતકાર અને જેને ફક્ત ગુજરાતી સંગીતની ઇમારતનો પાયો જ નહીં, પણ આખે આખી ઇમારત જ કહી શકાય એવા શ્રી અવિનાશ વ્યાસનો અને જેના નામ વગર ગુજરાતી કવિતા અધૂરી જ કહેવાય એવા કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ..! ( જન્મ : 21 જુલાઇ, 1911 )
અવિનાશ વ્યાસને એમના સંગીતથી તો ગુજરાત આખુ જાણે છે, પણ એમના થોડા વધુ નજીકથી ઓળખવા હોય તો રીડગુજરાતી.કોમ પર પ્રસિધ્ધ થયેલો આ લેખ :એક ગરવા ગુજરાતી – વીણા દેરાસરી જરૂર વાંચવા જેવો છે. (વીણાબેનની પરવાનગી મળે તો આ આખો લેખ ટહુકો પર જરૂર સમાવીશ)
તો આજે સાંભળીયે અવિનાશ વ્યાસની કલમે લખાયેલ અને એમણે સ્વરબધ્ધ કરેલા કેટકેટલાય સુપ્રસિધ્ધ ગુજરાતી ગીતોમાંનું એક ગીત.. અમદાવાદનો રિક્ષાવાળો…! આ ગીતની સાથે સાથે અમદાવાદની સફર કરવાની પણ એક અનેરી મઝા સાથે..! અને કિશોરકુમારના સ્વરની હાજરી પણ એક રીતે આ ગીતને બીજા ગીતોથી અલગ પાડે છે.
.
હે… હે અલ્યા… હે બાજુ બાજુ… એ ભઈલા
હું અમદાવાદનો રિક્ષાવાળો
નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ…અમદાવાદ બતાવું ચાલો…
એવી રિક્ષાં હાંકુ હેરત પામે ઉપરવાળો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
રીચી રોડના અડ્ડા જેવી હોટલ એક વખણાય,
જ્યાં ગરમ ફાફડા ગરમ જલેબી નાના-મોટાં ખાય…
અહીં દાળમાં પડતો કેવો ઉમદા ગરમ મસાલો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
ભદ્ર મહીં બિરાજે રુડા માતા ભદ્રકાળી,
ભીડ જામે ત્યાં ભક્તજનોની સૌના દુ:ખ દે ટાળી,
જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય કોઈ બુટ ચોરવાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
રાત પડે ત્યારે માણેકચોકની અંદર જાફત ઉડે,
અરે પાણીપુરી ને કુલ્ફી ભજીયા,શેઠ મજુર સૌ ઝૂડે…
દિવસે અહીં સોની બેસે ને રાતે ગોટાવાળો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
લૉ-ગાર્ડન કે લવ ગાર્ડન એ હજુ એ ના સમઝાય
પણ સાંજ પડે ત્યાં છોરા છોરી ફરવા બહાને જાય,
લૉ ને લવ ની અંદર થોડો થઇ ગયો ગોટાળો
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
એક વાણિયે સાબરના પાણીની કિંમત જાણી
દાંડી કૂચથી આઝાદીની લડત અહીં મંડાણી
પણ સાચો અમદાવાદી કોઇને કદી ન ઝૂકવાવાળો
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
કોઈ રીસાયેલા પ્રેમી-પંખીડા રિક્ષા કરતા ભાડે,
એકબીજાથી રૂસણું લઈને મીઠો ઝઘડો માણે,
પણ એક બ્રેકના ફટકે… કેવો કરીએ મેળ રૂપાળો,
અમદાવાદ બતાવું ચાલો…
હું અમદાવાદનો રિક્ષાવાળો…
અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ…અમદાવાદ
————–
અને હા… અવિનાશ વ્યાસનું જ પેલું ‘ અમે અમદાવાદી… ‘ ગીત સાંભળવાનું ચૂકી ન જતા
આ ગીત પહેલી વાર વાંચેલું ત્યારે તો મને યોગેશ જોષીનું વર્ષાકાવ્ય- ઝરમર વરસે ઝીણી જ યાદ આવી ગયેલું… અને હા, સાથે સાથે ન્હાનાલાલનું પેલું ખૂબ જ જાણીતુ ગીત- ઝીણા ઝરમર વરસે મેહ યાદ ન આવે એવું બને?
કૈક ચોમાસા અને વરસાદ… એમ લાગે છે ને કે આજે ફરીથી એક વરસાદી ગઝલ? ના રે.. ચોમાસા અને વરસાદથી ભલે શરૂ થાય ગઝલ, પણ ખરેખર તો આ સંપૂર્ણત: કૃષ્ણગીત. અને કૃષ્ણગીત કરતા પણ વધારે તો રાધાગીત.
તમે કાજલ ઓઝાની નવલકથા ‘કૃષ્ણાયન’ વાંચી છે? જીવનની છેલ્લી ક્ષણોમાં કૃષ્ણ કેવી રીતે અને કેટલી હદે રાધા સાંભરી હશે, એનો આંખ ભીની કરી જાય એવું સુંદર વર્ણન કર્યું છે લેખિકાએ.
અને મુકેશ જોષીની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે.. રાધા કે બીના શ્યામ આધા…!!
અને આખી ગઝલનો હાર્દ હોય એવો ગઝલનો મક્તા..!
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
અને હા, હવે તો મુકેશ જોષીની રચનાઓ માણવી easier than ever..! 🙂 વાંચો એમની રચનાઓ એમના પોતાના બ્લોગ પર : http://mdj029.wordpress.com/
(વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા………… )
* * * * * * *
સ્વર – સંગીત : અનંત વ્યાસ
.
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.
ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.
એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
મુકેશ જોષીની એક ખૂબ ગમતી કવિતા, એમના જ અવાજમાં…! મારે જો કોઇ ‘બા’ કાવ્ય યાદ કરવાનું હોય તો મને વિપિન પરીખનું ‘મને મારી ભાષા ગમે છે, કારણ મને મારી બા ગમે છે‘ સૌથી પહેલા યાદ આવે.. એ કાવ્યમેં કદાચ ઘણા વર્ષો પહેલા ચિત્રલેખામાં વાંચેલું, અને ત્યારથી જ ઘણું ગમી ગયેલું. મુકેશ જોષીનું આજનું આ ગીત જો કે ગામમાં રહેતા ‘દાદીમા’ માટેનું છે..! અને ધવલભાઇ કહે છે એમ, ઉત્તરાવસ્થાની વ્યથાને ધાર કાઢીને રજૂ કરે છે આ ગીત..
કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતાં
બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં :કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિ:સાસા સીવે ….. બા સાવ એકલાં જીવે
કમ સે કમ કોઇ ટપાલ આવે તાકે આંખો રોજ
નીંચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
ભીની આંખે દાદાજીના ફોટા સામે પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે કોઇ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે ….. બા સાવ એકલાં જીવે
કિસન સોસાનું આ રાધા-કૃષ્ણ ગીત છેલ્લા ઘણા વખતથી શોધતી હતી.. શરૂઆતમાં તો કવિનું નામ પણ ખબર નો’તી..! પણ મને ખાત્રી હતી કે કોઇક દિવસ તો મળશે જ. આજે બીજું એક ગીતના શબ્દો શોધવા એક પુસ્તક ખોલ્યું અને આ ગીત મળી ગયું. આશા છે કે મને ગમી ગયેલું આ ગીત તમને પણ ગમશે.
સ્વર:હેમા દેસાઈ
સ્વરાંકન :આશિત દેસાઈ ,કિરણ સંપત
.
રાધાની છાતી પર ઝૂકીને કોક વાર રોયા હશે ઘનશ્યામ
હિમાળા ઢાળેથી ઢળ્યું હશે પછી શ્યામળી જમનાનું નામ.
રાધાના સ્કંધ પર ઢાળીને શીશ ક્હાન ટહુક્યા હશે એવું વેણ
ઓઢણીને દાંતમાં દાબીને રાધાને ઢાળી દીધા હશે નેણ
આજે એક અઠવાડિયાથી ટહુકો પર ઉજવાઇ રહેલા ‘મનોજ પર્વ’ નો છેલ્લો દિવસ..! મનોજભાઇની કેટલીય એવી ગઝલો છે કે જે મનોજ પર્વમાં સમાવી લેવાની ઇચ્છા હતી..! અને ભવિષ્યમાં ટહુકો પર એમની ગઝલો આવતી જ રહેશે. મનોજ ખંડેરિયાના શબ્દો ઉજવવા માટે એક અઠવાડિયું તો શું, એક મહિનો પણ ઓછો જ પડવાનો..!
એમ જ્યાં જ્યાં ગુજરાતી ગઝલની.. જુનાગઢની.. ગિરનારની અને ગુલમ્હોરની વાતો થશે, ત્યાં ત્યાં મનોજભાઇ સાંભરી જ જશે..!! દેખાઇ ના દેખાઇ, ત્યાં મનોજ હશે જ.
આજ ની આ ગઝલ એટલે મનોજ ખંડેરિયાના તરુણાવસ્થાથી મિત્ર, સમકાલીન સર્જક અને જુનાગઢના ભેરુ એવા રાજેન્દ્ર શુક્લ દ્વારા અપાયેલી સ્મરણાંજલી. આ ગઝલને અમર ભટ્ટે એમના ચુંબકીય અવાજમાં દિલભીનું કરી દે એવી ભાવવાહી રીતે ગાઈ છે.
સ્વર – સંગીત : અમર ભટ્ટ
.
ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.