Category Archives: કાવ્યપ્રકાર

હું મળીશ જ – રાજેન્દ્ર શુક્લ

આજે ૧૨ ઓક્ટોબર ૨૦૦૯ – કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનો ૬૭મો જન્મદિવસ..! આપણા બધા તરફથી એમને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે… ટહુકો પર પહેલા મુકાયેલી આ ગઝલ – આજે એમના પોતાના અવાજમાં ફરીથી સાંભળીએ.

( દામોદર કુંડ, જુનાગઢ……..  Photo: Junagadh Tourist Information Center)

* * * * * * *

.

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ

ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ

હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ

નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જ

બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ

તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ

કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ

શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ

છતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ

શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ

હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ

મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ

મંદિર સાથે પરણી મીરાં – સુરેશ દલાલ

આજે ૧૧ ઓક્ટોબર – કવિ શ્રી સુરેશ દલાલનો જન્મદિવસ.. એમને આપણા સર્વે તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

! સાથે સાંભળીએ એમનું આ મીરાં-કાવ્ય – ઐશ્વર્યાના મધુરા અવાજ ને પુરુષોત્તમ ઉપાધ્યાયના મઝાના સંગીત સાથે. અને હા.. મને સાથે સાથે મુકેશ જોષીનું આ ગીત યાદ આવી ગયું – ખાસ તો ઐશ્વર્યાને લીધે.. જેટલીવાર એનું કોઇ પણ ગીત સાંભળું, મને એકવાર ફોટા સાથે અરજી ! સાંભળવાનું અચૂક મન થાય..!

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે

આધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે

તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
શ્યામ-શ્યામનો સૂરજ માથે, મીરાં સૂરજમુખી રે

કાળી રાતનો કંબળ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે

ન સવાર થઈ કે ન સાંજ થઈ – કવિ રાવલ

(વહે છે વહાલ થઈ….    Photo: Hudson River, Upstate NY. June 09)

* * * * * * * * * *

ન સવાર થઈ કે ન સાંજ થઈ – ન વહી હવા, ન બહાર થઈ
ન થયું કશું – ન થશે કશું – હુ ઉભી છું માત્ર અભાવ થઈ

અહિ બંધ છું હુ કમાડ સમ નહિ આપમેળે ખુલી શકું –
વિધિવત મને જો તું ખોલશે – હું તને મળીશ ઉઘાડ થઈ

તરુવર હરિત ને હવા પુનિત, રુજુ વાદળી ને છે તારલો
મુનિવર સમા છે પહાડ સૌ સરિતા વહે છે વહાલ થઈ

એ ભલે વહે ને વહે સદા ને વહે ભલેને બધી તરફ –
અનુભૂતિ એ જ નવી નવી મને આ પહેલી જ વાર થઈ

હું આ ઝાડ થૈ ને ઉભી રહું કે પરણ થઈ ખખડ્યાં કરૂ ?
છું હું બીજમાં ને બધેય હું જ છું મૂળભૂત વિચાર થઈ

-કવિ રાવલ

જીવનનો સાર – હિમાંશુ ભટ્ટ

હિંમાશુભાઇને આજે ઓક્ટોબર ૦૯ – એમના જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ સાથે.. એમની જ ગઝલ Birthday Gift માં..!! 🙂

સ્વર – સંગીત : કર્ણિક શાહ

niagara

(મંઝિલની વાત કે રસ્તાની ?? … Bridge on Niagara River & Niagara Falls – June 09)

* * * * *

.

જીવનનો સાર એક બે ઘટનાની વાત છે
મંઝિલની વાત છે કદી રસ્તાની વાત છે

સામે હતી ખુશી ને તમે શોધતા રહ્યા
આંખો કરી છે બંધ કાં પરદાની વાત છે

રજનીની બીજી કોઇ નિશાની નહીં મળે
ઝાકળની વાત છે એ શમણાંની વાત છે

ઓળખ તો માનવીની બીજી કોઇ પણ નથી
આંખોમા જે સજાવ્યા છે સપનાની વાત છે

મૃત્યુના રૂપમાં તો મળે છે નવું જીવન
કુંપળની વાતમાં કદી ખરવાની વાત છે

દેખાય છે જે એજ હકીકત નથી હ’તી
ઇશ્વર, ધરમ ને પ્રેમ એ શ્રધ્ધાની વાત છે

– હિમાંશુ ભટ્ટ

વાલ્યમના અઢળક વ્હાલને… – પ્રદ્યુમ્ન તન્ના

૩૦ ઓગસ્ટના દિવસે આપણે વચ્ચેથી ચિરવિદાય લઇ ગયેલા કવિ શ્રી પ્રદ્યુમ્ન તન્ના ને ટહુકોના સૌ વાચકો તરફથી શ્રધ્ધાંજલી..! પ્રભુ એમના આત્માને શાંતી અર્પે એવી પ્રાથના.

(કે’ને વાલ્યમ….    Photo: DollsofIndia.com)

* * * * * * *

કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
હાયે કઇ પેર હું તે મૂલવું?

આવરી લીધો રે મારા ચિતનો ચંદરવો
એણે આવરી લીધાં રે મારા ચેન
દા’ડીને રેણ હવે દેખે ન કાંઇ બીજું
તારી રમણામાં રચ્યાં નેણ
અંજવાળે અરુંપરું રે’તાં બીડાઇ એને
રેશમ અંધારે ગમે ખૂલવું !
કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
હાયે કઇ પેર હું તે મૂલવું? ….

રાખું રાખું ને બંધ આપસમાં એવી તોય
ગુસપુસ તે શીય કરી ગોઠ,
વારે વારે ને વળી અમથાં અમથાંયે હવે
મરકી રિયે છે બેઉ ઓઠ,
રોમ રોમ અણજાણ્યા ઊઠતા હુલાસને
હાલર હિંદોલ મારે ઝૂલવું !
કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
હાયે કઇ પેર હું તે મૂલવું? …

ઊભરતી એષણાના ઓઘ પરે ઓઘ લઇ
આવ્ય મારા આઠાઢી મેહ,
કુંળી આ કાયાના કણકણમાં રોપી દે
લીલો કુંજાર તારો નેહ,
અતલ ઊંડાણ થકી આનંદના આવ્ય
એક તારું સરૂપ નવું હૂલવું !
કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
હાયે કઇ પેર હું તે મૂલવું? ….

– પ્રદ્યુમ્ન તન્ના

શૂન્યતામાં પાનખર – આદિલ મન્સૂરી

અહીં અમેરિકામાં પાનખરની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે આદિલ સાહેબની આ ગઝલ, ગૌરાંગ વ્યાસના અદ્ભુત સ્વરાંકન સાથે. અકિંત ત્રિવેદીએ આ ગઝલની પૂર્વભુમિકામાં કહ્યું હતું એમ – ગઝલનું વૃંદગાન બનાવવું એ ખરેખર પડકારનું કામ છે.

સ્વર : શ્રુતિ વૃંદ
સંગીત : ગૌરાંગ વ્યાસ

(photo : foodha for thought)

.

શૂન્યતામાં પાનખર ફરતી રહી.
પાંદડીઓ આભથી ખરતી રહી.

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આંખ નીતરતી રહી.

સૂર્ય સંકોચાઇને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.

મૌનની ભીનાશને માણ્યા કરી,
ઝૂલ્ફમાં બસ અંગુલી ફરતી રહી.

હું સમયની રેતમાં ડૂબી ગયો,
મૃગજળે મારી તૃષા તરતી રહી.

તેજ ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ આંખમાં ઠરતી રહી.

આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.

હા બધા લાચાર થઇ જોતા રહ્યા,
હાથમાંથી જિંદગી સરતી રહી.

આભાર : http://aektinka.wordpress.com/

શબ્દને સથવારે – ચિનુ મોદી

(મૌનનો સાગર છલકતો…..  Near Point Cabrillo Lighthouse, Mendocino – Nov 2008)

* * * * * * *

કદી આંસુઓનું લઇ રૂપ આવે
કદી ફૂલ પેઠે પરોવાય શબ્દો

કદી ઓઠ પર આવી પાછા વળે છે
ઘણીવાર ઠાલા જ શરમાઇ શબ્દો

હતો મૌનનો એક સાગર છલકતો
કિનારે રહીને તારી જાય શબ્દો

વીતેલો સમય એટલે શૂન્યઘરમાં
શમી જાય, ક્યારેક પડઘાય શબ્દો

ખખડતું રહ્યું શહેર મધરાતના પણ
અવાજે અવાજે વગોવાય શબ્દો

– ચિનુ મોદી

મનોજ પર્વ ૦૪ : પીછું

જુલાઇ ૨૦૦૯ માં આપણે કવિ શ્રી મનોજ ખંડેરિયાની કલમને માણવા – ઉજવવા, એક અઠવાડિયા સુધી મનોજ પર્વ મનાવેલો, એ યાદ છે ને?

ત્યારે પસ્તુત મનોજ ખંડેરિયાની આ પીછું ગઝલ – આજે સ્વરકાર અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરીથી એકવાર… અને મને ખાત્રી છે કે નવા સ્વર-સંગીતની સાથે સાથે તમને પહેલા પ્રસ્તુત કવિ શ્રી રમેશ પારેખના સ્વરમાં આ ગઝલ વિષેની વાતો – તેમ જ ચીનુ મોદીના સ્વરમાં આ ગઝલનું પઠન – ફરીથી સાંભળવું પણ એટલું જ ગમશે..!!

( પીછું…. Photo : Flickr.com)

* * * * * * *

.

Posted on July 9, 2009

ગઇકાલે જે ‘વરસોના વરસ લાગે‘ ગઝલની વાત કરી, એ મનોજ ખંડેરિયાની એક ગઝલકાર તરીકેની સિધ્ધીની વાત હતી..! આજે પ્રસ્તુત ગઝલ એટલે મનોજ ખંડેરિયાનું એ સિધ્ધી તરફ ગયેલું પહેલું પગલું.

સૌપ્રથમ સાંભળીયે કે કવિ રમેશ પારેખ આ ગઝલ વિષે શું કહે છે..!

.

અને હવે સાંભળીયે આ ગઝલનું પઠન કવિ શ્રી ચિનુ મોદીના સ્વરમાં.. અને સાથે એમણે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે, એમની ગઝલ વિષે કરેલી થોડી વાતો..!

.

ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું

ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું

હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું

હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું

ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું.

– મનોજ ખંડેરિયા

સાથે માણીએ કવિ શ્રી સુરેશ દલાલે કરેલો આ ગઝલનો આસ્વાદ…

મનોજની આ નજમ ઊંડાણનો અને અભિવ્યક્તિની છટાનો અને એને આધુનિકતાનો પણ, આધુનિકતાના કોલાહલ વિના પરિચય આપે છે. પંખીની પાંખમાંથી પીછું ખરે છે ત્યારે એ પીછાંના અવતરણમાં આખું આકાશ ઊતરી આવે છે. પંખી ઊડે છે ત્યારે એનો નાતો આકાશ સાથે છે અને આકાશમાં ઊડતા પંખીનું પીછું ખરે ત્યારે એની સાથે આખું ગગન સરતું એવું લાગે. અંશની સાથે અખિલ હંમેશા સંકળાયેલું હોય છે.

શાયરે અહીં હવાને રંગ આપ્યો છે. ‘ભૂરી હવા’ કહી છે. પીછું ઊતરે છે ત્યારે આ પીંછુ હવામાં ઝીંણા શિલ્પો કોતરે છે. હવા પણ દેખાતી નથી શિલ્પો પણ દેખાતાં નથી. શિલ્પ મૂર્ત હોય છે, હવા અદ્રશ્ય હોય છે. અદ્રશ્યનું આ દ્રશ્ય છે, કવિની કલ્પનાની આંખે જોયેલું.

સૂના આંગણામાં પીછું છે; પણ આંગણાને સભર કરવાની એની શક્તિ છે. એક પીછામાં જો શિલ્પ દેખાય છે, તો એમાં પંખીનો કલશોર પણ સંભળાય છે. એટલું જ નહીં, પણ પીછું કે પીછાની સ્મૃતિ જો આંખમાં તરે તો હ્રદયમાં વસેલાં કેટલાય પંખીઓ બહાર ધસી આવે છે.

પીંછુ તો ખરી જાય છે પણ પંખીને જો ખરી ગયેલા પીછાની સ્મૃતિ થાય તો? એ પંખી જઇ જઇને ક્યાં ડૂબે? એક જ સ્થાન છે; ગગનના અકળ શૂન્યમાં..!

– સુરેશ દલાલ

તમારા વિના સાંજ – ભગવતીકુમાર શર્મા

આજથી લગભગ ૨ વર્ષ પહેલા ભગવતીકાકાને જ્યારે મળવાનું થયેલું, ત્યારે એમણે ‘ટહુકો’ ને આશિર્વાદ આપતા કહ્યું હતું કે કવિના શબ્દો જ્યારે કવિના પોતાના અવાજમાં રજૂ થાય, એનો પણ પોતાનો મહિમા છે…! ‘આલાખાચર’ ને રમેશ પારેખના અવાજમાં સાંભળવાની એક ઓર જ મજા છે – જે બીજા કોઇનો અવાજ ન જ આપી શકે..!

તો આજે – ભવગતીકાકાની જ એક ઘણી જાણીતી ગઝલ – એમના પોતાના અવાજમાં.. આશા છે કે તમને ગમશે..!

.

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે.

લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે.

ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે.

જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

– ભગવતીકુમાર શર્મા

પૂનમની પ્યારી પ્યારી રાત…

સૌને અમારા તરફથી શરદપૂનમની અમિત શુભેચ્છાઓ…!! અને હા, દૂધ-પૌઆની મઝા લેવાનું ન ભૂલતા..! શરદપૂનમની ચાંદનીમાં દૂધ-પૌઆ જેટલી મીઠાશ બીજી કોઇ મીઠાઇમાં પણ નહીં મળે..! 🙂

હે શરદ પૂનમની રાતડી જ રે અને ચાંદો ઊગ્યો છે આકાશ
અરે પણ સરખે સરખી સાહેલડી અરે મળી રમવા કારણ રાસ

સ્વર: ઉષા મંગેશકર
સંગીત: સી.અર્જુન

(Picture : Mayapur Katha)

.

હો.. પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રિતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…

ચમકે છે નભમાં જેટલાં તારા, સપનાં તે એટલાં મનમાં
આજની આ પૂનમ છે જેવી રૂપાળી, એવું જ રૂપ મારા તનમાં
જોજે થાયે ન આજે પ્રભાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…

જાગી છે પ્રિત્ત મારી જન્મો જનમની, રમશું રે રાતભર રંગમાં
જાવ જાવ સખીઓ થાશે રે મોડું, સાજન છે કોઇનાં સંગમાં
મને કરવા દોને થોડી વાર, મારી પ્રિતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
ના જાતી… ના જાતી…
હો.. પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી…