Category Archives: કવિઓ

ગઢને હોંકારો તો કાંગરાય દેશે – રમેશ પારેખ

gadh ne

સ્વર – વિનોદ પટેલ

આલ્બમ: સંગત
પ્રસ્તાવના :વિનોદ જોશી

.

સ્વર: ઓસમાન મીર
આલબમ: સંગત

.

સ્વરઃ અમર ભટ્ટ

.

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?

આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,
જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે.

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ

કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં
કાળું મલીર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે.

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઇ લેણદેણ તૂટ્યાનું શૂળ
ડમરી જેવું રે સહેજે ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ

મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ
રૂંવે રૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે.

( કવિ પરિચય )

Gadha ne honkaro to kangara ya deshe – ramesh parekh

Taro mevaad meera chhodashe

ઉખાણું – હરીન્દ્ર દવે

ukhaanu

દૂધે ધોઇ ચાંદની
ચાંદનીએ ધોઇ રાત,
એવામાં જો મળે તો
વ્હાલમ, માંડુ રે એક વાત.

અડધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સહોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.

વાત સમજ તો વ્હાલમ,
ચાંદ-સૂરજની દઉં સોગાત.

વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,
વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ.

ભેદ સમજ તો તને વસાવું,
કીકીમાં રળિયાત.

મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઇ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઇ;

દાખવ તો ઓ પિયુ !
તને દઉં હૈયાની ઠકરાત.

(કવિ પરિચય)  

Ukhanun – harindra dave

જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો – સુરેન ઠક્કર ‘મેહુલ’

કવિ : સુરેન ઠક્કર ‘મેહુલ’
ગાયક : આશિત દેસાઇ
સંગીત : તલત અઝીઝ
આલ્બમ : લાગણી
jagat ma kon

.

જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો
ઘડ્યું છે રૂપ ખુદાએ માહતાબ કહો

હજાર લાખ સિતારાને ખરલમાં ઘૂંટી
દીધું છે તેજ લલાટે પછી ધીરજ ખૂટી
સદા બહાર સુમનની મધુર મહેક લૂંટી
ઘડ્યું છે મસ્ત ફૂલ બહાર રૂપ ખ્વાબ કહો

વિરાટ સ્વપ્ન વસંતો ના તમોને દીઘા
સૂરાના નામે અમે પ્રેમ ધૂંટને પીધા
તમારા એજ દિવસથી થવાના સમ લીધા
મળ્યું છે તમને જીવન ખીલતું ગુલાબ કહો

હતો હું છિન્નભિન્ન આપને મળ્યા પહેલા
મને દર્શન થયા છે ક્યાંય પણ ઢળ્યા પહેલા
બુલંદ મારો સિતારો જુઓ ખર્યા પહેલા
મળ્યું જીવન લો હવે પ્રેમંની કિતાબ કહો

Jagat ma kon bhala khush naseeb aap kaho – suren thakkar mehul

ભાવની ભૂગોળની ગઝલ – શેખાદમ આબુવાલા

ધરો ધીરજ  

dharo dheeraj

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;
અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.

તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો

હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો

જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.

ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.

ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.

ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

તારી હથેળીને દરિયો માનીને – તુષાર શુક્લ

સ્વર : પ્રણવ મહેતા
સંગીત : રાસબિહારી દેસાઇ

ran

.

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

પ્રેમ કેદખાનું નથી – પન્ના નાયક

46822_wallpaper280

રોજ સાથે ને સાથે રહેવાનું હોય તો ફાવે નહીં.
હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
– કોઇ એના ઇશારે નચાવે નહીં

હું તો ડાળી પર કળી થઇ ઝૂલતી રહું;
મને ફૂલદાની હંમેશા નાની લાગે,
પળપળનો સાથ ને યુગયુગની વાત
મને જુઠ્ઠી અને આસમાની લાગે,

રોજ રોજ ગળપણ ખાવાનું હોય
તો એવું એ સગપણ પણ ફાવે નહીં.

હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
– કોઇ એના ઇશારે નચાવે નહીં

એને પીંજરામાં પૂરી પુરાય નહીં,
ચાંદની રેલાય અને ચાંદની ફેલાય
એને મુઠ્ઠીમાં ઝાલી ઝલાય નહીં,
મને બાંધવા જશો તો છટકી હું જઇશ
અને બટકી હું જઇશ: મને ફાવે નહીં.

હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
– કોઇ એના ઇશારે નચાવે નહીં

વ્હાલપને નામ નવ દઇએ – મેધનાદ ભટ્ટ

સ્વર : ફાલ્ગુની શેઠ
આલ્બમ : ટહુકે છે લીલીછમ ડાળ
સંગીત : અજીત શેઠ
paper pen

.

વ્હાલપને નામ નવ દઇએ
ઓ સખી, વ્હાલપને નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

કાળા તે અખ્ખરનો અમને ના મોહ સખી
આંસુથી પત્તર ભીંજવીએ

સુરજથી દાઝેલી વેણુંને એમ સખી
વર્ષાની વાત કેમ કરીએ
વેણુની સંગ વિત્યા દિવસોની વાત હવે
દરિયો…..

દરિયાનું નામ નવ દઇએ
હો સખી, દરિયાનું નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

અમથી વહે જો કદી હવાની લહેરખી
તો વૈશાખી વાયરો ન કહીએ
માસે માસે જો ચહો વૈશાખી વાયરો તો
વાયરાનું નામ નવ દઇએ

Vahaalap ne naam nav daiye – medhanad bhatt

વૈષ્ણવજન – નરસિંહ મહેતા

નરસિંહ મહેતાનું આ પદ સાંભળીને કે વાંચીને કયા ગુજરાતીને ગાંધીજી યાદ ન આવે ?? એટલે જ અહીં ગીતના બેકગ્રાઉન્ડમાં એમનો ફોટો મુક્યો છે. આપમેળે ગાંધીજી યાદ ન આવતા હોય તો હું યાદ કરાવી દઉં.. 🙂

સ્વર : મન્ના ડે

gandhijee

.

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

ડો.દર્શના ઝાલાએ હમણાં એમણે અમેરિકામાં વૈષ્ણવજનની પ્રસ્તુતિ કરી હતી એની ઓડીઓ મોકલી. સુંદર અવાજ અને સંગીત. મજાની વાત એ છે કે સંગીતની ગોઠવણ બે અમેરિકન વિદ્યાર્થીઓ બેન અને કોનલ એ કરી છે. અવાજ ડો.દર્શના ઝાલાનો અને તબલા એમના દીકરા અમોલે વગાડ્યાં છે. ડો.દર્શના ઝાલા અમેરિકામાં રહીને અમેરિકન વિદ્યાર્થીઓને ભારતીય સંગીત શીખવવાનું ઉમદા કાર્ય કરે છે!
ચાલો સાંભળીએ,

.

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

( કવિ પરિચય )

અબોલડા – પ્રહલાદ પારેખ

ઉરે હતી વાત હજાર કે’વા
કિન્તુ નહીં ઓષ્ઠ જરીય ઊઘડ્યા;
જલ્યા કર્યા અંતર સ્નેહદીવા,
ઉજાશ શાં હાસ્ય મુખે ન આવિયાં.

નિસર્ગલીલા તુજ સાથ જોવા
હૈયે હતા કોડ, ન પાય ઊપડ્યા;
સૂરે મિલાવી તુજ સૂર, ગાવા
ઉરે ઊઠયાં ગીત, બધાં શમાવ્યાં.

મળી મળી નેન વળી જતાં ફરી,
અકથ્ય શબ્દે વદી વાત ઉરની;
હૈયું મૂગું ચાતક શું અધીર;
એ રાહ જોતું તુજ શબ્દબિન્દુની :

એવો અબોલ-દિન છે સ્મૃતિમાં,
– જે દિ’ ચડ્યાં અંતર પૂર નેહનાં ?