આજે ગુંજનભાઇની એક Oven Fresh ગઝલ… એમના જ સ્વર સાથે 🙂
.
ઉદાસી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું,
સુગંધી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું.
બધા સુખની, બધા દુ:ખની કથા તારે જ હસ્તક રાખ પણ,
કથા સંજોગની આલેખવાની હોય તો કહેજે મને તું.
કે જે શબરી એ ચાખ્યા’તા અને જે તે ન’તા ચાખ્યા કદી પણ,
એ ભક્તિ બોરની જો ચાખવાની હોય તો કહેજે મને તું.
હજી હમણાં સુધી ખુલ્લી હતી જે શક્યતાઓની, ને ક્ષણની,
એ બારી સહેજ અમથી વાખવાની હોય તો કહેજે મને તું.
નવેસરથી જ તારો ન્યાય કરવાની મને આપી છે સત્તા,
જરા શ્રધ્ધાને નમતી જોખવાની હોય તો કહેજે મને તું.
ઉદાસી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું,
સુગંધી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું.
——————-
અને હા, એમની બીજી રચનાઓ વાંચવા એમના બ્લોગની મુકાલાત લેતા રહેજો







