Category Archives: કવિઓ

મનોજ પર્વ ૦૪ : પીછું

જુલાઇ ૨૦૦૯ માં આપણે કવિ શ્રી મનોજ ખંડેરિયાની કલમને માણવા – ઉજવવા, એક અઠવાડિયા સુધી મનોજ પર્વ મનાવેલો, એ યાદ છે ને?

ત્યારે પસ્તુત મનોજ ખંડેરિયાની આ પીછું ગઝલ – આજે સ્વરકાર અનંત વ્યાસના સ્વર-સંગીત સાથે ફરીથી એકવાર… અને મને ખાત્રી છે કે નવા સ્વર-સંગીતની સાથે સાથે તમને પહેલા પ્રસ્તુત કવિ શ્રી રમેશ પારેખના સ્વરમાં આ ગઝલ વિષેની વાતો – તેમ જ ચીનુ મોદીના સ્વરમાં આ ગઝલનું પઠન – ફરીથી સાંભળવું પણ એટલું જ ગમશે..!!

( પીછું…. Photo : Flickr.com)

* * * * * * *

.

Posted on July 9, 2009

ગઇકાલે જે ‘વરસોના વરસ લાગે‘ ગઝલની વાત કરી, એ મનોજ ખંડેરિયાની એક ગઝલકાર તરીકેની સિધ્ધીની વાત હતી..! આજે પ્રસ્તુત ગઝલ એટલે મનોજ ખંડેરિયાનું એ સિધ્ધી તરફ ગયેલું પહેલું પગલું.

સૌપ્રથમ સાંભળીયે કે કવિ રમેશ પારેખ આ ગઝલ વિષે શું કહે છે..!

.

અને હવે સાંભળીયે આ ગઝલનું પઠન કવિ શ્રી ચિનુ મોદીના સ્વરમાં.. અને સાથે એમણે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે, એમની ગઝલ વિષે કરેલી થોડી વાતો..!

.

ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું

ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું

હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું

હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું

ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું.

– મનોજ ખંડેરિયા

સાથે માણીએ કવિ શ્રી સુરેશ દલાલે કરેલો આ ગઝલનો આસ્વાદ…

મનોજની આ નજમ ઊંડાણનો અને અભિવ્યક્તિની છટાનો અને એને આધુનિકતાનો પણ, આધુનિકતાના કોલાહલ વિના પરિચય આપે છે. પંખીની પાંખમાંથી પીછું ખરે છે ત્યારે એ પીછાંના અવતરણમાં આખું આકાશ ઊતરી આવે છે. પંખી ઊડે છે ત્યારે એનો નાતો આકાશ સાથે છે અને આકાશમાં ઊડતા પંખીનું પીછું ખરે ત્યારે એની સાથે આખું ગગન સરતું એવું લાગે. અંશની સાથે અખિલ હંમેશા સંકળાયેલું હોય છે.

શાયરે અહીં હવાને રંગ આપ્યો છે. ‘ભૂરી હવા’ કહી છે. પીછું ઊતરે છે ત્યારે આ પીંછુ હવામાં ઝીંણા શિલ્પો કોતરે છે. હવા પણ દેખાતી નથી શિલ્પો પણ દેખાતાં નથી. શિલ્પ મૂર્ત હોય છે, હવા અદ્રશ્ય હોય છે. અદ્રશ્યનું આ દ્રશ્ય છે, કવિની કલ્પનાની આંખે જોયેલું.

સૂના આંગણામાં પીછું છે; પણ આંગણાને સભર કરવાની એની શક્તિ છે. એક પીછામાં જો શિલ્પ દેખાય છે, તો એમાં પંખીનો કલશોર પણ સંભળાય છે. એટલું જ નહીં, પણ પીછું કે પીછાની સ્મૃતિ જો આંખમાં તરે તો હ્રદયમાં વસેલાં કેટલાય પંખીઓ બહાર ધસી આવે છે.

પીંછુ તો ખરી જાય છે પણ પંખીને જો ખરી ગયેલા પીછાની સ્મૃતિ થાય તો? એ પંખી જઇ જઇને ક્યાં ડૂબે? એક જ સ્થાન છે; ગગનના અકળ શૂન્યમાં..!

– સુરેશ દલાલ

તમારા વિના સાંજ – ભગવતીકુમાર શર્મા

આજથી લગભગ ૨ વર્ષ પહેલા ભગવતીકાકાને જ્યારે મળવાનું થયેલું, ત્યારે એમણે ‘ટહુકો’ ને આશિર્વાદ આપતા કહ્યું હતું કે કવિના શબ્દો જ્યારે કવિના પોતાના અવાજમાં રજૂ થાય, એનો પણ પોતાનો મહિમા છે…! ‘આલાખાચર’ ને રમેશ પારેખના અવાજમાં સાંભળવાની એક ઓર જ મજા છે – જે બીજા કોઇનો અવાજ ન જ આપી શકે..!

તો આજે – ભવગતીકાકાની જ એક ઘણી જાણીતી ગઝલ – એમના પોતાના અવાજમાં.. આશા છે કે તમને ગમશે..!

.

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે.

લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે.

ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે.

જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

– ભગવતીકુમાર શર્મા

લાવો તમારો હાથ – પન્ના નાયક

હાથ તો હું લંબાવી શકું
પણ
તમે તો મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમારી બંધ મુઠ્ઠીમાં શું છે
એ હું નથી જાણતી
પણ
મારી ખુલ્લી હથેળીમાં
હજીયે પંખીઓના
તાજા ટહુકાઓ છે
ખીલેલાં ગુલાબ જેવા.

તમે ઝીણવટથી જોશો તો
મારી હથેળીમાં
તમારે માટે
જતનપૂર્વક સાચવી રાખેલી
ચંદ્રલેખાય
એવી ને એવી મોજુદ છે.
તમારી મુઠ્ઠીમાં
જે હોય તે
મને એની કોઈ તમા નથી.
હું તો હાથ લંબાવી શકું
પણ શું કરું?
તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમે જ..
તમે જ..

———

પન્ના નાયકની પોતાના કાવ્યોની વેબસાઇટ – વિદેશીની પરથી…

મને જરા ઝૂંક વાગી ગઇ – રાજેન્દ્ર શાહ

સ્વર : કૌમુદી મુન્શી

સંગીત : નીનુ મઝુમદાર

(Photo : DollsofIndia.com)

.

મને જરા ઝૂંક વાગી ગઇ
માલતીની ફૂલ કુમળી તોયે ડૂખ લાગી ગઇ

હલમહીંને જલને વળી જલને થાનક વ્યોમ
એક ઘડીમાં જોઈ લીધા હજાર સૂરજ સોમ
સોણલાની દોર દુનિયા નવી ગૂંથવાતી ગઇ
મને જરા ઝૂંક વાગી ગઇ…

ડંખનું લાગે ઝેર તો હોયે ઝેરનો ઉતારનાર
મીટ માંડી મેં ખેરવી લીધી નયનની જલઝાર
મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ
મને જરા ઝૂંક વાગી ગઇ…

અનહદનો સૂર – હરીન્દ્ર દવે

(Photo: DollsofIndia.com)

* * * * * * *

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

– હરીન્દ્ર દવે

——–

(આભાર : સ્પંદનના ઝરણાં……)

સખીપણાના અભરખા – મુકેશ જોશી

સ્વર – સંગીત : નયનેશ જાની

.

મને તમારા સખીપણાના હજુય કેમ અભરખા
હજુય થાતું તાજા તાજા ગુલાબ ઊગે સરખા.

હજી તમારા રમતિયાળ એ નદીપણામાં
મારી આખી જન્મકુંડળી વહેતી
મૃગજળના ક્યારાઓ વચ્ચે કેમે કરવી
સ્મરણો વાવી ગુલાબજળની ખેતી

તમે આંખથી વાદળ છાંટો હું ધારું કે બરખા…
મને તમારા…

નથી સળગતો દીવો આ તો સૂરજ છે ને
સૂરજને હું કેમ કરીને ઠારું
કેટકેટલી માછલીઓ તરફડતી જીવે
આંખ વચાળે દરિયાથીયે ખારું

તમે બનો મંદિર, અહમના કાઢું હું ય પગરખા…
મને તમારા….

– મુકેશ જોશી

જો હોય – ઉશનસ્

આજે બે રીતે ખાસ દિવસ… એક તો નવરાત્રીના છેલ્લા દિવસે લગભગ સવાર સુધી નાચી-નાચીને, સીધ્ધા ગાંઠિયા – જલેબીની મઝા લેવાનો… એટલે કે દશેરાનો દિવસ..! અને હા, દશેરાના દિવસે વાહનની પણ પૂજા થાય ને? પહેલાના જમાનામાં બળદગાડીની પૂજા થતી, અને હવે સ્કૂટર, મોટરસાઇકલ, ગાડી (Car) વગેરેની પૂજા થાય છે..! ખરેખર, દશેરાના દિવસે બધા વાહનોને ગલગોટાના હાર અને સ્વસ્તિક કરેલા ફરતા જોવાની પણ એક મજા હતી…!! સૌ મિત્રોને અમારા તરફથી દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!

અને હા, આજે ૨૮મી સપ્ટેમ્બર – કવિ શ્રી ઉશનસ્ નો જન્મદિવસ.. (૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦). એમને આપણા તરફથી જન્મદિવસની અઢળક શુભકામનાઓ સાથે માણીએ એમની આ ગઝલ..!

(સામે અષાઢઘન… ?   Crater Lake, OR – Sept 09)

* * * * * * *

આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;

ફણગો ફૂટે અડકતાં જ,
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે,
જો આ ક્ષણે વતન હોય;

જામીય જાય મૂળિયાં,
જો થોડું બાળપણ હોય;

સિમેન્ટમાં ઢૂં ઢું છું:
એકાદ મિટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો,
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે,
બાના સમું સ્વજન હોય.

(આભાર : Readgujarati.com )

તાલીઓના તાલે – અવિનાશ વ્યાસ

ગયા વર્ષે નવરાત્રી વખતે મુકેલો આ મને ખૂબ જ ગમતો ગરબો – આજે શુભાંગીના સ્વર સાથે ફરી એકવાર… ૧૫ વર્ષની શુભાંગીનો સ્વર એવો મજાનો છે કે studio recording જેવી clarity નથી છતાં આપોઆપ પગ થરકવા લાગે..!! (શુભાંગીના અવાજમાં બીજા ઘણા ગુજરાતી ગીતો આપણે ભવિષ્યમાં ટહુકો પર તો સાંભળશું જ… પણ હાલ તમારે બીજા ગીતો સાંભળવા હોય તો Youtube માં એના થોડા ગીતો મળી રહેશે.)

નવરાત્રી અને ગરબાની જ્યાં વાત થતી હોય, ત્યાં અવિનાશ વ્યાસને યાદ કર્યા વગર ચાલે? કેટલાય ગુજરાતીઓ માટે અવિનાશ વ્યાસનું સંગીત એ જ ગુજરાતનું લોકસંગીત છે.

આમ તો પૂનમની રાત ને થોડા દિવસની વાર છે, પણ આવુ મજાનું ગીત સાંભળવા માટે કંઇ પૂનમની રાહ જોવાય?

સ્વર : શુભાંગી શાહ

.

સ્વર : ગીતા દત્ત અને વૃંદ

.

તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
કહેતી મનની વાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
રૂમો ઝૂમો, ગોરી રૂમો ઝૂમો,
રસ રમે જાણે શામળિયો ,
જમુનાજીને ઘાટ રે …
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત … ઊગી પૂનમની રાત …

– અવિનાશ વ્યાસ

…. તો બેધડક તું મારી પાસે આવજે – ઊર્મિ

આજે ૧૮ મી સપ્ટેમ્બર, વ્હાલી ઊર્મિનો જન્મદિવસ…

તો બેના, તારા જ શબ્દોમાં આજે તને ફરીથી આમંત્રણ આપું છું –

( આ સોનેરી દરવાજો જોવા… બેધડક તું મારી પાસે આવજે 🙂 )

* * * * * * *

ગઝલ પઠન : ઊર્મિ

કૈં હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે,
ને કદી જો દિલ રડે તો બેધડક તું મારી પાસે આવજે.

હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.

તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.

પ્રેમમાં જો કરગરું હું તો પ્રણયનો માર્ગ આ લાજે સખા,
માન એનું સાચવે તો બેધડક તું મારી પાસે આવજે.

જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારી પાસે આવજે.

આમ છો લાગે સભર તારું નગર વ્હાલમ, ન મળશે વાંસળી…
આંગળી જો સળવળે તો બેધડક તું મારી પાસે આવજે.

-‘ઊર્મિ’

છંદવિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

વસંતની પાલખી – ભગવતીકુમાર શર્મા

(Near Lombard Street, San Francisco)

* * * * * * *

આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઇ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઇ.

ભીની હતી જો આંખ તો જીવંત રહી ગઇ
રેતીમાં પડતાંવેંત મરી માછલી ગઈ.

શ્વાસો ખૂટી ગયા અને મીંચાયા બે નયન
પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.

તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો
રસ્તો ગયો, એ ઘર ગયું, તારી ગલી ગઈ.

બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે
છોડાવી મારી આંગળી ક્યાં લાગણી ગઈ?

લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને
કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ !

આવ્યો છું કંઇ સદી પછી તારે આંગણે
ગાળી’તી ચાર ક્ષણ ને મને ઓળખી ગઈ ?

સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?

– ભગવતીકુમાર શર્મા