Category Archives: કવિઓ

અમથો અમથો ખુશ થાઉં છું – મનોજ ખંડેરિયા

મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ધણ જતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું

-મનોજ ખંડેરિયા

————

વિવેક ટેલરના શબ્દોમાં આ ગઝલનો આસ્વાદ :

અમથી-અમથી ખુશાલીના સાત શેરોની આ ગઝલ- જાણે કે સપ્તરંગી ઈંદ્રધનુષ. આજે માણસ સ-કારણ પણ માંડ હસી શકે છે એવામાં અ-કારણ તો કોણ ખુશ થઈ શકે કવિ સિવાય? ગુજરાતી ગઝલના દેહમાં નવો જ આત્મા રેડનાર શબ્દોના શિલ્પી મનોજ ખંડેરિયાની આ ગઝલ આપણને શીખવાડે છે કે પોતાના નહીં, પણ અન્યના વૈભવને અને એ પણ સાત્વિક વૈભવને નીરખીને પણ માંહ્યલાને હર્ષાવધિમાં તરબતર કરી શકાય છે અને કદાચ એ આનંદ જ સાચો નિજાનંદ છે.

મેદાનની ખુલ્લી અને શુષ્ક વિશાળતાને ભરી દેતું ઘાસ એ પ્રકૃતિએ લખેલી નજાકતભરી એવી કવિતા છે જે નજરને ખાલીપાથી ઘાયલ થવા દેતી નથી. મેદાનોની આ હરિયાળી કવિને ખુશ કરી દેવા માટે પૂરતી છે પણ મિસરામાં કવિતાનો પ્રાણ રેડે છે બીજી પંક્તિ. અહીં અજવાળાંની વાત છે પણ એ કેવું છે? પ્રકાશ ઘાસ પર પડે છે માટે એ પણ લીલોછમ… કેવું અદભુત કલ્પન !અનુભૂતિની અભિવ્યક્તિનું આ નાવીન્ય મત્લાને જાનદાર બનાવે છે.

મનોજભાઈની કવિતામાં બરછટતા કે કટુતા કદી જોવા નહીં મળે. જેવો ઋજુ એમનો સ્વભાવ એવી જ લવચીક એમની કવિતા. બીજા શેરના પહેલા મિસરામાં વૈશાખના તાપથી સૂક્કુંભઠ્ઠ થઈ ગયેલું ત્રાસેલું શહેર આખું આંખમાં લઈને નીકળવાની વાત કરે ત્યારે પળભર માટે આંચકો લાગે ? આ કવિની બાનીમાં કઠોરતા ? પણ બીજી જ કડીમાં કવિ આખી વાતને ઠંડક પહોંચાડે એવી મૃદુતા બક્ષી દે છે. સિમેન્ટ-કોંક્રિટના મકાનોના જંગલોથી ઊભરાતા અને ગરમીના કારણે ખાલી-ખાલી ભાસતા શહેરમાં ફરતા-ફરતા કોઈ એકાદ ખૂણે દોમદોમ સાહ્યબીથી છલકાતા એકાદ-બે ગરમાળાના ઝાડ કવિની આંખમાં ડોકિયું કરી જાય ત્યારે કેવી ખુશી એ આંખોમાં છલકાઈ આવતી હશે ! ડાળીઓના હજ્જારો હાથે પોતાનો વૈભવ લૂંટાવતો ગરમાળો જેણે જોયો હોય એ જ આ લાગણી સમજી શકે…

હવે એક જ શેરની ટૂંકાણમાં માંડણી કરીશ… રાત્રે પંખીઓ સામાન્યરીતે શાંત થઈ સૂઈ જાય છે. પણ અહીં વાત છે પૂનમની રાતની. પૂનમના અજવાળાંને દિવસનું અજવાળું ગણીને પક્ષીઓ સામ-સામા ટહુકાઓની લ્હાણી કરે ત્યારે કોણ અમથું અમથું ખુશ થયા વિના રહી શકે?

વાંસના વનમાં થઇ વાતો પવન – ભગવતીકુમાર શર્મા

કવિ શ્રી ભગવતીકુમાર શર્માને એમના ૭૬મા જન્મ દિવસે ખૂબ ખૂબ… હ્રદયપૂર્વક શુભેચ્છાઓ..! અને સાથે સાંભળીએ એમની આ ગઝલ, રવિન નાયક અને ગ્રુપના સ્વરમા..! દર વર્ષે રવિનભાઇ ‘પરેશ સ્મૃતિ’ કાર્યક્રમ દ્વારા પરેશભાઇને યાદ કરવાનો એક વધુ મોકો ગુજરાતીઓને આપે છે – એવા જ એક કાર્યક્રમમાં રજૂ થયેલું આ પરેશભાઇનું જ સ્વરાંકન…!!

bamboo trees Pictures, Images and Photos

(વાંસના વન……..   Photo: http://photobucket.com/)

સ્વરાંકન – પરેશ ભટ્ટ
સ્વર – રવિન નાયક અને સાથીઓ

વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.

તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન.

– ભગવતીકુમાર શર્મા

કેસર કેરી વાવી – નયન દેસાઈ

થોડા દિવસ પહેલા પેલું અનિલ જોશી અને રમેશ પારેખનું સહિયારું સર્જન – રવિન નાયકના અવાજમાં સાંભળેલું એ યાદ છે? એવું જ મઝાનું સ્વરાંકન અને મઝાની રજૂઆત સાથે આજે સાંભળીએ આ એટલું જ મઝાનું ગીત..!!! સાંભળ્યું છે કે આ વર્ષે તો દેશમાં ભરપૂર કેરીઓ આવી છે, અને એમાંથી કેટલીક તો ઊડી ને ન્યુ જર્સી-કેનેડા સુધી પહોંચે છે..! જો કે હું અને અમિત તો મેક્સિકોની કેરીમાં જ દેશની થોડી સુગંધ શોધી લેવોનો નિષ્ફળ પ્રયાસ કરી લઇ છીએ..! 🙂

સ્વર / સંગીત – રવિન નાયક

(કેસર કેરી વાવી…..     Photo from Web)

.

કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…

એની મહેક ગગનમાં ઘૂમે, ચૌદ ભૂવનમાં ખેલે
એના કેસરિયા છાંયે સૂરજ ઘડીક માથું મેલે
કીડી ખરીદતી એની મીઠાશ મોંધા દામમાં રે…

કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…

વાયુ વળોટ થઇ ને વાતો, તડકો બીતા બીતા જાતો
એની સૌથી પહેલી ચીરી એનો વાવણહારો ખાતો
એની સોના સરખી છાંય જરી પણ છાની નહિ,
સરીઆમમા રે… સરીઆમમા રે…

કેસર કેરી વાવી ગણદેવી ગામમાં રે
ટોળાં પંખીઓના આવ્યા ઇનામમાં રે…

– નયન દેસાઇ

આભનો એક જ મલક – સુરેશ દલાલ

(સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક……)

સ્વર : શૌનક પંડ્યા
સંગીત : રિશિત ઝવેરી

.

સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક;
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

આપણે એક જ ઝાડની જાણે જુદી જુદી ડાળી,
ફૂલની ઝીણા પાનની આડે તડકો રચે જાળી;
અંધારાની પડખે રમે અજવાળું અઢળક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

રામજી મારા બોરમાં વસી શબરી કેરી ભુખ,
વાંસળી અને સૂરની વચ્ચે જોઈએ એક જ ફુંક;
વ્રજમાં વૈકુંઠ રમતું રહે જો શ્યામની મળે ઝલક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

– સુરેશ દલાલ

વૃંદાવન – હરીન્દ્ર દવે

કવિ શ્રી હરીન્દ્ર દવે પોતાની અનુભૂતિના કૃષ્ણ માટે લખે છે:

કૃષ્ણે મારા જીવનમાં ક્યારે પ્રવેશ કર્યો એ યાદ નથી. પહેલી કૃષ્ણકવિતા ક્યારે લખી એ પણ સ્મરણ નથી. પરંતુ કૃષ્ણની પ્રથમ અનુભૂતિ અને એ અનુભૂતિમાંથી કયું કાવ્ય પ્રથમ આવ્યું એ બરાબર યાદ છે. ૧૯૫૫ના વરસમાં પબ્લિક સર્વિસ કમીશન દ્વારા યોજાયેલા નોકરીના ઇન્ટરવ્યૂ માટે દિલ્હી જવાનું થયું. ત્યાંથી એ વેળાના મુંબઇ રાજ્યના માહિતી ખાતાના કાર્યકરો શ્રી મોતીલાલ દૈયા અને શ્રીમતી હીરાબહેનના સંગાથે મથુરા-વૃંદાવન જવાનું થયું. વ્રજ, ગોકુળ વગેરે સ્થાનો વિશે મનમાં જે ચિત્ર હતું એ થોડી ક્ષણો માટે રેળાઇ જતું લાગ્યું. ‘આ એ જ હશે વૃંદાવન ?’ નો પ્રશ્વ ત્યારે મનમાં જાગ્યો. વ્રજની ભૂમિમાં કૃષ્ણ છે અને નથીની અનુભૂતિ એક સાથે ત્યારે અનુભવી હતી.
– હરીન્દ્ર દવે ( “મારગે મળ્યા’તા શ્યામ” માંથી સાભાર – પાના નં ૫ )

(આ એ જ હશે વૃંદાવન?    …………..       Photo: Webshots)

સ્વર – સંગીત : ??

.

આ એ જ હશે વૃંદાવન

એક સમે જ્યાં કૃષ્ણરાધિકા
કરતાં આવનજાવન?

આ કુંજગલી શું એ જ
કેલી જ્યાં કરતાં નિશદિન કા’ન?
આ એ જ સરિતજલ, કાલિયનાં
જ્યાં ઊતર્યા’તા અભિમાન?

પ્રભુને પગલે પગલે થઈ’તી
આ જ ભૂમિ શું પાવન?

રજના થર પર થર, ભીતર
ના ક્યાંક મળે એ પગથી,
આંકી જે ઘનશ્યામ સાંવરે
શૈશવમાં મૃદ ડગથી;

પગથી કોરે રહી, અરે એક
પગલું ક્યાં મનભાવન!

– હરીન્દ્ર દવે

કેડેથી નમેલી ડોશી – દલપતરામ કવિ

કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;

કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;

છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;

ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.

-દલપતરામ કવિ


(જરા = ઘડપણ)

(આભાર વિવેક ટેલર)

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર – સૌમ્ય જોશી

વિવેક આ ગઝલ માટે કહે છે:
ઈશ્વર ઉપર લખાયેલી ઢગલાબંધ કવિતાઓમાં આ ગઝલ એનું અલગ જ પોત લઈને મોખરે પહોંચતી હોય એવું નથી લાગતું? ભગવાનની આવી સુંદર ધોલાઈ કદી જોઈ છે ખરી? છ એ છ શે’ર એવા નિપજ્યા છે કે ભગવાન જો ક્યાંય હોય અને આ ગઝલ વાંચી બેસે તો અચૂક હાર્ટ-એટેક આવી જાય…

મન વગર મેં એ રીતે દર્શન કર્યું,
દોસ્ત, એણે જે રીતે સર્જન કર્યું

* * * * *

ગઝલ પઠન – સૌમ્ય જોશી

.

સ્વર – સંગીત : આલાપ દેસાઇ

.

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?

થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

– સૌમ્ય જોશી

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી – સુરેશ દલાલ

આજે ૨૫ મી મે એટલે મારા માટે થોડો ખાસ દિવસ.. મમ્મી પપ્પાના અને સાથે એક વ્હાલી સખીના લગ્નની વર્ષગાંઠ. એમને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આ પ્રેમ કાવ્ય ભેટ..!  🙂

ડોશી કહે સવાર પડી : ડોસો કહે હાજી.
ડોસો કહે રાત પડી : ડોશી કહે હાજી.
હાજી હાજી હાજી હાજી હાજી હાજી હાજી
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

બન્ને જણા વાતો કરે : કરે હોંશાતોંશી
મનથી રહ્યાં તાજાંમાજાં : શરીરની ખામોશી
ડોસો બ્હારથી થોંથા લાવે : ડોશી લાવે ભાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

ડોશીના દુ:ખે છે ઘૂંટણ : ડોસો ધીમે ચાલે.
એકમેકનો હાથ પકડી નાટકમાં જઈ મ્હાલે.
સિગારેટના ધુમાડાથી ડોશી જાયે દાઝી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી

બન્નેના રસ્તા જુદા : પણ બન્ને પાછા એક
એકમેક વિના ચાલે નહીં : લખ્યાં વિધિએ લેખ
વરસે તો વરસે એવાં : પણ ક્યારેક રહેતા ગાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

–  સુરેશ દલાલ

( આભાર – લયસ્તરો)

સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા? – ઊર્મિ

hpim0081-sml

(માહતાઈ મેરુની કે ખીણની ?… Lake George, NY… 22 ઑગષ્ટ 2005  Photo: Urmi)

*

આભ ધરાનાં
ક્ષિતિજે સરવાળા-
એ કોણે કર્યા?

*

શબ્દને બોલ, નખરાળા કોણે કર્યા?
અર્થને આમ અણિયાળા કોણે કર્યા?

મેરુની માહતાઈ તો છે ખીણથી,
મોભનાં આમ સરવાળા કોણે કર્યા?

જોખમાશે આ સત્તા બધી ચંદ્રની,
ભર અમાસે આ અજવાળા કોણે કર્યા?

તેં રચી સૃષ્ટિ કેવી આ સોહામણી!
તો પછી આંખે પરવાળા કોણે કર્યા?

પંચતત્ત્વોથી નશ્વર તેં કાયા ઘડી,
પણ મંહી નેહનાં માળા કોણે કર્યા?

આપણો તો હતો મૂળ એક જ ધરમ,
પંથનાં તો આ ઘટમાળા કોણે કર્યા?

જેને મોઘમ ગણી સાચવ્યા મેં હતા,
એજ સ્મરણોને પગપાળા કોણે કર્યા?

હું અને તું કદી પણ જુદા ક્યાં હતા?!
સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા?

-’ઊર્મિ’

છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા

ઠાલાં દીધાં છે મારા બારણાં – રમેશ પારેખ અને અનિલ જોશી

સ્વર / સંગીત – રવિન નાયક
કવિ – રમેશ પારેખ અને અનિલ જોશી

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું

બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

-રમેશ પારેખ અને અનિલ જોશીની
સહિયારી રચના
[સમયઃ બુધવાર, તા. ૧૬ ઓગસ્ટ, ૧૯૬૭ના
રોજ વહેલી સવારે ૨.૩૦ વાગ્યે]

( શબ્દો માટે આભાર – માવજીભાઇ.કોમ)