Category Archives: કવિઓ

અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો? – અનિલ જોશી

આજે સાંભળીએ અનિલ જોશીનું આ મઝાનું ગીત – એટલા જ મઝાના સ્વરમાં…
અને હા, સોલીભાઇને રૂબરૂ સાંભળવાનો મોકો Los Angeles – San Diego ના ચાહકો ને ટૂંક સમયમાં જ મળશે… વધુ માહીતી માટે અહીં ક્લિક કરોઃ
Sunheri Yaadein – Soli Kapadia – LA – June 25, 2010
Sunheri Yaadein – Soli Kapadia – San Diego – June 26, 2010

સ્વર – સોલી કાપડિયા
સ્વરાંકન – ગૌરાંગ વ્યાસ

(આવળનાં ફૂલ Photo : Internet)

.

અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો?
એમાં શું પડી ગઈ ધાડ,
તમારી નજર જો પડી જાય ઘાસમાં,
તો તરણું પણ બની જાય પ્હાડ.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
આંખોમાં થાક હજી એટલા.

અરીસાનાં ફૂટવાથી ચહેરો ફૂટે નહીં,
ખોટાં છે કાચનાં કમાડ… તમારી નજર જો..

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા,
પડતર જમીનનાં વેરાણ,
તમે આવળનાં ફૂલ સમું એવું જોતાં કે,
સૂકી ડાળખીને ફૂટી જાય પાન.

છણકાની છાલકથી જાશે તણાઇ
તમે બાંધેલી ઉંબરાની વાડ.. તમારી નજર જો..

ઝીલો – ધ્રુવ ભટ્ટ

આજે માણીએ કવિ ધ્રુવ ભટ્ટની આ વરસાદી ગઝલ..!!

આ ઝરમર ઝરમર ઝરી રહ્યાં તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો.

આ એક જ ટીપું આખે આખાં સરવર દેશે
ધરો હથેળી અચરજના અવસરને ઝીલો

આ કણ કણ લીલી લીલા છે નાચી ચોગરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

આ નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો
ઘટ-ઘટ ઊમટી ઘેરાયાં વાદળને ઝીલો

આ ઉમ્મર પદવી નામ ઘૂંટ્યા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો

આ મહેર કરી છે મહારાજે મોટું મન રાખી
ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો

–  ધ્રુવ ભટ્ટ

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 7: એક પ્રશ્નગીત – રમેશ પારેખ

ટહુકો પર જ્યારે ‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ – ક્ષેમુદાદાની રચનાઓની એક અઠવાડિયા સુધી ઉજવણી કરી હતી, ત્યારે અમરભાઇના અવાજમાં રજુ કરેલી આ રચના, આજે એક નવા સ્વરાંકન – એક નવા સ્વર સાથે ફરી એકવાર..!! આશા છે આ સ્વરાંકન પણ ગમશે..!

સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: સાધના સરગમ
આલ્બમ: હસ્તાક્ષર

***************************

રમેશ પારેખનું આ ઘણું જાણીતું ગીત – અમરભાઇના અવાજ અને શાસ્ત્રીય સંગીત-ગાયકીની અસર સાથે કંઇક અલગ જ નીખરી ઉઠે છે…….

સ્વર : અમર ભટ્ટ
સંગીત :  ક્ષેમુ દિવેટીઆ

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

પંખીવછોઇ કોઇ એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રીતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

– રમેશ પારેખ

પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં – રાજેન્દ્ર શાહ

અમરભાઇને રૂબરૂમાં સાંભળવા એ ખરેખર એક લ્હાવો છે. કોઇ પણ કવિતા કે ગઝલ રજૂ કરવાની એમની આગવી રીત જાણે આપણને કવિ-કવિતાની થોડી વધુ નજીક લઇ જવામાં મદદ કરે છે.

અને અમદાવાદીઓને એ લ્હાવો અવારનવાર મળતો રહે છે.. વધુ એક એવો જ લ્હાવો મળશે જુન ૧૯મી એ… વધુ માહીતી માટે અહીં ક્લિક કરો.

કાવ્યસંગીત શ્રેણી – મરીઝ (૧૯ જુન, ૨૦૧૦ – અમદાવાદ)

પ્રસ્તાવના, સંગીત અને સ્વર : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વારાભિષેક

પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.

કોણને એ મ્હોતી,
ને નેણ ભરી જોતી,
શું જાણ એને ન્હોતી ?
કે ચાંદલો બંધાણો પાણીનાં પાશમાં… પોયણી o

તમરાએ ગાન મહીં,
વાયરાને કાન કહી,
વન વન વાત વહી,
ઢૂંઢતી એ કોને આટલા ઉજાસમાં… પોયણી o

અંકમાં મયંક છે,
ન તોય જરી જંપ છે,
અંગમાં અનંગ છે,
શિબાવરી બનેલ અભિલાષના હુતાશમાં… પોયણી o

-રાજેન્દ્ર શાહ

* ‘શબ્દનો સ્વારાભિષેક’ આલ્બમ ખરીદવાની ઈચ્છા ધરાવનાર અમેરિકામાં રહેતા મિત્રો અહીંથી માહિતી મેળવી શકે છે…!

અટકળ – ઊર્મિ

વહાલી ઊર્મિને આજે ઊર્મિસાગર.કોમની ચોથી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ.. મબલખ શુભેચ્છાઓ..! એની ગાગરમાં ભરેલા ઊર્મિના સાગરમાંથી ગુજરાતી સાહિત્યને અવનવા ગીત-ગઝલના મોતીઓનો ખજાનો હંમેશા મળતો રહે એવી અમિત શુભેચ્છાઓ…!!!

tunnel

(અટકળનું બોગદું… Tunnel… ૨૬ ડિસેમ્બર, ૨૦૦૮)

*

તું નથી તોયે
ભાળું હું- આવું છળ
કૈં હોતું હશે ?

*

કાળથીયે કંઈક પર હોતું હશે,
જીવવાનું એ જ બળ હોતું હશે.

‘તું હશે’ -ની શક્યતા પૂરી થતાં
વેદનાનું અવતરણ હોતું હશે.

જેમ દિલમાં લાગણીઓ હોય છે,
લાગણીને પણ હૃદય હોતું હશે?

તારા હોવાની મને શંકા પડે,
એવું તે કંઈ વ્યાકરણ હોતું હશે?

પાંગળી થઈ જાય જ્યાં સંભાવના,
ત્યાં જ શ્રદ્ધાનું ઝરણ હોતું હશે.

કેમ આપું હું પુરાવા પ્રેમનાં ?
વ્હેમનું નિરાકરણ હોતું હશે ?!

આવરણ જેની કને ઉતરે સ્વયં,
એવું પણ એક ખાસ જણ હોતું હશે !

હો ગમે તેવી ધરા પથરાળ, પણ-
ક્યાંક તો ઊર્મિ-કળણ હોતું હશે…!

-’ઊર્મિ’

એક ઘા -કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

ચોમાસુ બેઠું – કૃષ્ણ દવે

પથરા આઘા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું,
છત્રી પણ ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

રેઇનકોટ ને ગમશુઝથીયે જાડી ચામડીયુ વાળા કયે,
ભીંજાતા ભીંજાતા રૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈંઆપે? પણ-
મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

કઇ રીતે ભીંજાવુ એનું લાંબુ લાંબુ ભાષણ દઇને
પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

બીજા તો કોરાકટ્ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા એ,
મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

– કૃષ્ણ દવે

મારા ચ્હેરાનું ઘરેણું – રમેશ પારેખ

રમેશ પારેખની કવિતાઓમાં આવતી વિષય-વિવિધતાનો વધુ એક નમૂનો એટલે આ કવિતા… પોતાની મૂછોના આવા વખાણ બીજા કોઇ કવિએ કર્યા છે ખરા? 🙂 હા, મને મૂછ અને કવિતાની એક સાથે વાત નીકળે ત્યારે મને ગમતી આ કવિતા – …કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો ચોક્કસ યાદ આવે..!!

( રમેશ પારેખ…..    Photo: http://rameshparekh.in)

મારા ચ્હેરાનું ઘરેણું મારી મૂછ, મને ખમ્મા…
અમરેલી શ્હેર જેવું અમરેલી શ્હેર મારી મૂછ બાદ કરીએ તો તુચ્છ, મને ખમ્મા…

કોણ જાણે ક્યાંથી આ નાસિકાના છાયડામાં
દોમ દોમ તાણી છે રાવટીઃ
ભીતરનું ભોપાળું નીકળ્યું કે અસ્સલમાં
એક એક તંત છે બનાવટીઃ

કોઇ નથી કરતું પડપૂછ, મને ખમ્મા…

ખોંખારા મારવાથી હિમ્મત રહે છે
અને લાગે છે વાહવાને દાદુઃ
બાકી તો માછલી બતાવે છે રેતીના –
રાફડામાં જીવવાનો જાદૂઃ

ધીંગાણું કોણે જોયું છ? – મને ખમ્મા…

– રમેશ પારેખ

નેજવાંની છાંય તળે… – હરિકૃષ્ણ પાઠક

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો,
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
તો ય ફૂલ જેમ ખૂલ્યું છે મન.

આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ,
એવું લાગે ઘડી, ઊગી છે આજ ફરી
વીતેલી રંગભરી કાલ!

છોગાની શંકાએ માથે ફેરીને હાથ
ખોળે ખોવાયલું ગવન.

ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ને છલકાતું એ જ નર્યું રૂપ.
કંકુનાં પગલામાં મ્હોરી ગૈ વાત
જેને રાખી’તી માંડ માંડ ચૂપ !

શમણાંને સાદ કરી હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગન.

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન.

– હરિકૃષ્ણ પાઠક

————
કવિ શ્રી હરીન્દ્ર દવે ના શબ્દોમાં આ ગીત વિષે:

કવિ ઓગ્ડેન નેશે વૃધ્ધાવસ્થા વિશે સરસ વાત કહી હતી : જ્યારે તમારા મિત્રો કરતાં તમારા પુત્ર-પૌત્રાદિકોની સંખ્યા વધે ત્યારે પ્રૌઢાવસ્થા પૂરી થાય છે અને વૃધ્ધાવસ્થા શરૂ થાય છે.

વૃધ્ધાવસ્થાએ ઘણા કવિઓને વિષય પૂરો પાડ્યો છે. અહીં કવિ બુઢાપાને નેજવાની છાંય હેઠળ બેઠેલો કલ્પે છે અને કહે છે : કાયા પર કરચલીઓ પડી ગઇ છે, પણ મન ફૂલની માફક ખીલી ઊઠ્યું છે. બુઢાપો નેજવાની છાંય તળે બેઠો છે એવી કવિની કલ્પના હાથનું નેજવું કરી દૂર તાકી રહેલા કોઇ વૃધ્ધની છબી આપોઆપ ઉપસાવી દે છે.

ગઇ કાલ જે વીતી ગઇ છે – એનાં સ્મરણો, એ વૃધ્ધાવસ્થાનો સૌથી મોટો સંકેત છે. કોઇએ કહ્યું છે કે આયુષ્ય લાંબુ કે ટૂંકું નો નિર્ણય વરસોના આધારે નહીં પન સ્મરણોના આધારે કરી શકાય છે. શૈશવ ઝડપથી વીતી જાય છે કારણ કે એને કોઇ જ સ્મરણો હોતાં નથી. જ્યારે વૃધ્ધાવસ્થા ખૂબ જ લંબાતી હોય એમ લાગે છે કારણ કે એ સ્મરણોથી સભર હોય છે.

એટલે જ વૃધ્ધાવસ્થાનું મન ઝાડ જેમ કોળતું કવિ બતાવે છે; ઝાડનાં મૂળ ઊંડા હોય છે એ રીતે વૃધ્ધાવસ્થાનાં સ્મરણોનાં મૂળ પણ ઊંડા હોય છે.

આ કાવ્યના નાયક વૃધ્ધને ઘેર લગ્નનો અવસર છે; લગ્નના તોરણ બંધાયા ત્યારે એને પોતાના લગ્નનું સ્મરણ થાય છે. આ સ્મરણ એકી સાથે સુખદ અને દુઃખદ બને છે. વીતેલી ગઇકાલ જાણે નવો શણગાર સજીને આવી હોય એવું લાગે છે. પણ ગઇ કાલના શણગારમાં જે પાત્ર પોતાની સાથે હતું એનું અસ્તિત્વ નથી; એટલે જ માથે છોગું શોધવા ઊંચો થયેલો હાથ જ્યારે ભોઠોં પડી પાછો ફરે છે, ત્યારે ખોવાયેલા ગવનની ખોજ શરૂ થાય છે. અને આ શોધ સાથે કૈંક સુખદ પરિસ્થિતિ સંકળાઇ છે; કંકુપગલે ઘરમાંથી વિદાય થતી પુત્રીનાં પગલાંમાં એની માતાનું સ્મરણ સંકળાઇ ગયું છે.

કવિ મનસ્થિતિને વાચા આપવા માટે ઝાઝા શબ્દો નથી વાપરતા – એક જ શબ્દ એમને માટે બસ થઇ પડે છે. એક ઘૂંટ ભરીને ‘ગગન’ પીએ છે, આખા આકાશને જાણે કે પોતાની ઘૂંટમાં સમાવવા ઇચ્છતો હોય એ રીતે વૃધ્ધ ઊંડો શ્વાસ લે છે.

સ્મરણોનું એક આખું યે આકાશ મુખ્ય નાયકના અંતરમા હુક્કાની ઘૂંટની સાથે પ્રવેશે છે, અને વાચકના અંતરમાં પણ એ સાથે એક અનુભૂતિનું આકાશ ઊઘડે છે.

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી – અનિલ જોશી

ત્રણ વર્ષથી ટહુકો પર પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે ટહૂકતું આ અનિલ જોશીનું આ મારું ખૂબ જ ગમતું ગીત – આજે રાજેશભાઇના સ્વરમાં ફરી એકવાર… ગીત છે જ એવું સરસ કે જેટલીવાર સાંભળીએ એટલીવાર…. આહા… !!

સ્વર – રાજેશ મહેડુ
સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય

.

—————————-
Posted on : April 24th, 2007

સૌપ્રથમ આ ગીત લગભગ ૯-૧૦ વર્ષ પહેલા સાંભળેલું. કોણ ગાયક અને કયા કવિનું આ ગીત છે એ જાણવાની પણ તે સમયે તો કોઇ ઉત્સુકતા ન હતી, કારણ કે આ શબ્દોનો મર્મ સમજવા જેટલી સમજ ન હતી.
પણ હવે જેટલી વાર આ ગીત સાંભળું, એટલું વધારે ગમે છે આ ગીત. અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ કલાકારનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? જાણે એક અલગ દુનિયામાં પહોંચી જવાય છે. થોડી હતાશા, અને સાથે જ થોડી ખુમારીનો અહેસાસ કરાવી જાય છે આ ગીત…..

સ્વર – સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

ડો.દર્શના ઝાલાના સુંદર અવાજમાં એમનાં આલબમનું આ ગીત સાંભળો….
સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:પુરુષોત્તમ ઉપાધ્યાય
આલબમ:તારાં નામમાં

.

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

————————————-

ફરમાઇશ કરનાર મિત્રો : મૌલિન, મિરાજ, વિક્રમ ભટ્ટ.

( આભાર : લયસ્તરો )