Category Archives: કવિઓ

મારે પાલવડે બંધાયો – અવિનાશ વ્યાસ

સ્વર – આશા ભોસલેં
સંગીત – અવિનાશ વ્યાસ

સ્વર – શુભાંગી શાહ
સંગીત – અવિનાશ વ્યાસ

મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો,
આખા રે મલકનો માણિગર કહાન,
એક નાની શી ગાંઠે ગંઠાયો, જશોદાનો જાયો…

એવો રે બાંધ્યો કે છૂટ્યો ના છૂટે
આંખ્યુંના આંસુ ભલે ખૂટ્યા ના ખૂટે
આજ ઠીક લાગ હાથ મારે આવ્યો, જશોદાનો જાયો…

મારે કાંકરીયા ને મટકી ફૂટે
મારગ આવી મારા મહીંડા નીત લૂંટે
મુને લૂંટતા એ પોતે લૂંટાયો, જશોદાનો જાયો…

સ્થંભ વિના આખું આકાશ લટકાવ્યું મહીં
ચાંદ સૂરજ તારાનું તોરણ ટીંગાવ્યું,
સહુને ટીંગાવનાર લટકંતો લાલ,
મારા પાલવની કોરે ટીંગાયો,જશોદાનો જાયો…

– અવિનાશ વ્યાસ

દરિયો ડોલે રે માઝમ રાતનો… – ઝવેરચંદ મેઘાણી

પહેલા મુકેલું આ હાલરડું ફરી એક વાર હેમુ ગઢવીના સ્વરમાં….ઓડિયો ફાઈલ માટે આભાર  jhaverchandmeghani.com

સ્વર – હેમુ ગઢવી

* * * * * * * * * * * * * * * *
Posted previously on July 17, 2007

આ હાલરડું શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એના વિષે જે વાત કરે છે એ સાંભળવાની પણ મજા આવશે. અને વિરાજ ઉપાધ્યાયના કંઠે હાલરડું સાંભળવું ખરેખર એક લ્હાવો છે. દુનિયાના ગમે તે ખૂણામાં હોઇએ, પણ જાણે પોરબંદરના દરિયા કિનારે પહોંચી જવાય છે.

babysleeping

સ્વર – વિરાજ/બીજલ ઉપાધ્યાય

.

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજા રે છોળો મારતા, હે…ખૂંદે જાણે ખોળલા મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે…પાથરે જાણે વીરાના ઓછાડ રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, હે….ઝબકે જાણે સોણલે મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો, હે….માવડી જાણે વીરને હાલા ગાય રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

– ઝવેરચંદ મેઘાણી

માધવ, વળતા આજ્યો હો ! – મકરન્દ દવે

પહેલા, Nov 13, 2009 માં મુકેલું મકરન્દ દવેનું આ ગીત ફરી એક વાર, એક નવા સ્વરમાં……

સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત : અજીત શેઠ ?

* * * * * * * * * * * * * * * * * * *

લગભગ ૬ મહિના પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત… આજે ક્ષેમુદાદાના સંગીત અને મૃદુલા પરીખના મધુર સ્વર સાથે ફરી એકવાર…

માધો, મન માને તબ આજ્યો – કવિ શ્રી ઉશનસ્ નું આ ગીત ઐશ્વર્યાના મધુર કંઠમાં સાંભળ્યુ હતુ – એ યાદ છે? (ચૂકી ગયા હોય તો સાંભળી લેજો.. ) – એ ગીતની પ્રસ્તાવનામાં અમરભાઇએ મકરંદ દવેના આ ગીતની વાત કરી હતી.

સ્વરઃ મૃદુલા પરીખ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

(Picture: Hare Krishna Books)

.

માધવ, વળતા આજ્યો હો !
એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો !

રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર,
મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણુ વાજ્યો હો !

અમને રૂપ હ્રદય એક વસિયું ગમાર ક્યો તો સ્હેશું
માખણ ચોરી, નાચણ પગલે નેણ લગાજ્યો હો !

રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે;
જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો !

– મકરન્દ દવે

અલ્લાબેલી – સુંદરજી બેટાઈ

સ્વર / સંગીત – શૌનક પંડ્યા

**********************

Posted on January 16, 2010:

કવિ શ્રી સુંદરજી બેટાઈની આજે પુણ્યતિથિ. એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ આ એમનું ઘણું જ જાણીતું ગીત…

***

અલ્લાબેલી, અલ્લાબેલી,

જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે.

આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
છોને એ દૂર છે!

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

– સુંદરજી બેટાઇ

છૂટી શકું તો બસ – વિવેક મનહર ટેલર

Sea-eagle
(તીખી નજર…            ….બ્રાહ્મણી કાઈટ, દેવબાગ, કર્ણાટક, નવે- ૨૦૦૮ – Picture by Dr. Vivek Tailor)

એક તારી ગડમથલમાંથી છૂટી શકું તો બસ !
અડધી લખી ગઝલમાંથી છૂટી શકું તો બસ…

હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.

મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ.

તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

-વિવેક મનહર ટેલર
(૦૮-૦૯-૨૦૦૮)

છંદ-વિધાન: ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા

ઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે ? – ગુંજન ગાંધી

આવવાનું હોય તો હમણાં તરત એ આવશે,
ક્યાં પછી એ શક્ય છે જનમો સુધી ટટળાવશે.

છાંયડામાં બેસવાનો Tax જ્યારે માંગશે,
વૃક્ષ મૂડીવાદ શું છે, વિશ્વને સમજાવશે.

માપ પડછાયાનું દિનભર લઈ સીવ્યા લાંબા-ટૂંકા,
એ બધા વસ્ત્રોને રાતે ક્યાં જઈ લટકાવશે ?

તું બરફ પીગળે નહીં ની માન્યતા ઘૂંટ્યા કરે,
કો’ક દિવસ એ સૂરજને ઊગતો અટકાવશે.

આંખમાં આવે છતાં એ સહેજ પણ વાગે નહીં,
દૃશ્ય એવું આઈનો તૂટ્યા પછી એ લાવશે ?

ભીંત જો નક્કી કરે કે ચાલવું એ ધર્મ છે,
ઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે ?

– ગુંજન ગાંધી

કોણ છે ? – હનીફ સાહિલ

બંધ દરવાજાની ભીતર કોણ છે ?
હું જો બાહર છું તો અંદર કોણ છે ?

લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?

કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?

કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?

કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે જે અનુત્તર, કોણ છે ?

– હનીફ સાહિલ

વાલમનો બોલ – અનિલ જોષી

ગઈ કાલે, 17 May 2012, કવિ શ્રી રમેશ પારેખની છઠ્ઠી પુણ્યતિથી હતી – તો એમને ફરી એકવાર શ્રધ્ધાંજલી!….

કવિ શ્રી રમેશ પારેખ અને કવિ શ્રી અનિલ જોષીની દોસ્તીથી તો તમે વાકેફ હશો જ. એમણે સાથે લખેલું પેલું ગીત – ડેલીએથી પાછા મા વળજો હો શ્યામ – યાદ છે?

બે કવિઓ ભેગા મળી ગીત-ગઝલ લખે – એ સમજી શકાય… પણ એક કવિનું ગીત, બીજા કોઇ કવિની યાદમાં લખાયેલું ગીત, ત્રીજા એક કવિ એ સ્વરબધ્ધ કર્યું હોય, એવું તમને યાદ છે? અહીં પ્રસ્તુત આ ગીત લખ્યું છે અનિલ જોષીએ.. કવિ શ્રી મણીલાલ દેસાઇની યાદમાં.. અને એનું સ્વરાંકન કર્યું છે – કવિ શ્રી રમેશ પારેખએ..! અરે થોભો…!! હજું એક વાત તો બાકી રહી ગઈ… આ જ ગીતને કવિ રમેશ પારેખ અને અનિલ જોષીએ – સાથે મળીને સ્વર પણ આપ્યો છે..!!

અને હા.. આ વિડિયો ક્લિપમાં પ્ર્સ્તુતકર્તા કવિ શ્રી શોભિત દેસાઇ…!!

સ્વર – અનિલ જોષી અને રમેશ પારેખ
સંગીત – રમેશ પારેખ
ગીત પ્રસ્તાવના – શોભિત દેસાઇ

કૂવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
ને ઊગ્યો તે બાજરાને મોલ
કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
મારા વાલમનો હરિયાળો કોલ

શેઢે ઘૂમે રે ભૂરી ખિસકોલી જેમ
મારી કાયાનો રાખોડી રંગ
તરતું આકાશ લઈ વહી જાય ધોરિયે
અંતરનો બાંધ્યો ઉમંગ

દખ્ખણની કોર હવે ઊડતું રે મન
જેમ ખેતર મેલીને ઊડે પોલ.

ચારે દિશાઓ ભરી વાદળ ઘેરાય
અને પર્વતના શિખરોમાં કંપ
આઘે આઘે રે ઓલી વીતકની ઝાડીમાં
હરણું થઈ કૂદે અજંપ

સામે આવીને ઊભી ઝંઝાની પાલખીમાં
ફરફરતો વાલમનો બોલ.

– અનિલ જોષી

************
અને આ રહ્યો – લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ…   (આભાર – લયસ્તરો.કોમ)

અનિલ જોષીના ખાસ મિત્ર રમેશ પારેખ આ ગીતનો ‘પાણીદાર ગીત’ કહીને જે આસ્વાદ કરાવે છે એને ટૂંકાણમાં માણીએ (થોડી મારી નોંક-ઝોંક સાથે):

ગીતના ઉપાડમાં જ કવિ ‘પાણી ઉલેચ્યું’ એમ નહીં, ‘કૂવો ઉલેચ્યો’ એમ કહીને આ કૈંક જુદી જ વાત છે એનો સંકેત કરી દે છે. પછી તરત જ ‘કૂવો વાવ્યો’ એમ કહે છે ત્યારે કૂવો એના વાચ્યાર્થનો પરિહાર કરીને રહસ્યમય વ્યંજના ધારણ કરે છે. વાતે-વાતે રડી પડનારને લોકો ‘ભઈ, તારે તો કપાળમાં કૂવો છે’ એવું કહે છે તે યાદ આવે. અને તરત જ ‘આંખ’ના સંદર્ભો વીંટળાઈ જાય. ‘ખેતર’નો પણ એની જડ ચતુઃસીમામાંથી મોક્ષ થયો છે. પ્રતિભાશાળી સર્જક પગલે પગલે શબ્દોનો મોક્ષ કરતો હોય છે.

જેનાથી દૃષ્ટિ પોતાનું સાર્થક્ય પામે તેવા કોઈ ‘અવલોકનીય’ને પામવાની અપેક્ષામાં આંખને રોપી, વાવી. પછી? પછી બાજરાના મોલની ખળા સુધી પહોંચવા માટે હોય તેવી પક્વ સજ્જતાનું અને ઉત્સુક્તાનું દૃષ્ટિમાં પ્રકટીકરણ થયું. કાંટાની વાડનું નડતર પણ ન રહ્યું કેમકે એને અતિક્રમીને વ્હાલમનો બોલ સન્મુખ પ્રકટ થયો છે.

કાયા અને કાયામાં રહેલો ઉમંગ હવે અસીમ બન્યો છે. ખેતર પાછળ મેલીને પોલ ઊડી નીકળે એમ સ્થૂળ દેહ ખેતરના શેઢે છોડીને મન વિસર્જિત થવા દક્ષિણ તરફ ઊડ્યું. (મૃત્યુ પછી મૃતદેહને દક્ષિણ દિશામાં વિસર્જિત કરાય છે એ પરંપરાગત સંદર્ભમાંથી કવિએ આ માર્મિક અભિવ્યક્તિ નિપજાવી લીધી છે).

ચારે દિશાઓ ભરાઈ જાય એટલા ઉમળકા હૈયામાં ઊઠી રહ્યા છે અને અ-ચલ પર્વતના શિખરોમાં ય કંપ છે. હરણાં જેવું મન અજંપે ચડી કૂદાકૂદ કરે છે…કેમકે પવનની પાલખીમાં આવેલ વ્હાલમનો કોલ, ઉપયોગી કે નિરુપયોગી તમામ વળગણોને તોડીફોડીને, પાલખીમાં લઈ જવા આવ્યો છે એટલે લઈ જ જશે….

બોલીએ ના કંઈ -રાજેન્દ્ર શાહ

થોડા દિવસ પહેલા જ હિમાંશુભાઇએ આ ગીત યાદ કરાવ્યું, અને ઊર્મિની ગાગરમાંથી આ મોતી મળી પણ ગયું. તો આજની આ પોસ્ટ ઊર્મિના ગાગરમાંથી એની પરવાનગી વગર ઊઠાંતરી..!! 🙂

*************

જ્યાં ને ત્યાં હૃદય ખોલવાની આપણી (કુ)ટેવને કવિ અહીં પ્રેમથી ટકોરે છે. સામેની વ્યક્તિ આપણી એની સમક્ષ હૃદય ખોલવાને લાયક છે કે નહીં એ સમજ્યા કે ચકાશ્યા વગર જ મોટેભાગે આપણે આપણી વ્યથાની કથા કરતા રહીએ છીએ, જે બીજાને મન તો ક્યારેક માત્ર રસની કથા જ હોય એવુંય બને. એટલે જ થોડું મોઘમ રહીને ચૂપ રહેતા શીખવે છે આ ગીત.

– ઊર્મિ

wlart0010z-sml
(આપણું હૃદય ખોલીએ ના કંઈ…   ફોટો: વેબ પરથી)

બોલીએ ના કંઈ,
આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ;
નેણ ભરીને જોઈ લે, વીરા!
વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ!

વનવેરાને મારગ વિજન,
સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુજન,
લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?
માનમાં જવું એકલ વીરા!
તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!

આપણી વ્યથા,
અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા.
જીરવી અને જાણીએ, વીરા!
પ્રાણમાં જલન હોય ને તો યે ધારીએ શીતલ રૂપ!

– રાજેન્દ્ર શાહ

સો સો રે સલામું મારાં ભાંડુડાંને (છેલ્લી સલામ) – ઝવેરચંદ મેઘાણી

સ્વર – ?
સંગીત – ?

સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો…જી !
મળાયું ન તેને સહુને માફામાફ કે’જો, ને
રુદિયામાં રાખી અમને રે’જો હો…જી !

ટીપેટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,
પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી –
એવા પાપ-દાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા – ઠરશે નજી !
– સો સો રે સલામુંo

કીધાં ખાખ ખાંડવવનને પાંડુ તણા પુત્રે તે દી
નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો…જી :
આદુનાં નિવાસી એ તો આ રે આર્યભોમ કેરાં,
પૂર્વજ મારાને પાપે ઓરાણાં હો…જી.
– સો સો રે સલામુંo

રઘુપતિ રામ મારા રુદાનો વિસામો – એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો…જી :
પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો…જી !
– સો સો રે સલામુંo

છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથવીના પેટમાં, ને
અસૂરો કહીને કાઢ્યા વનવાસ જી :
જીવતાંને કાજે જુદી નરકું બંધાવિયું, ને
સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી.
– સો સો રે સલામુંo

સમર્થોની સત્તા, સંતો, ઘુતારાની ઘૂતણબાજી,
કૂટિયા ગુરુની કૈં કૈં કરામાત જી :
એની તો વણાવી ઘીંગી ઘરમધજાઓ, એને
ભાંડું કેરે રગતે રંગી ભલી ભાત જી.
– સો સો રે સલામુંo

એવી એવી ઝડીઓ મારાં સહોદરો ઝીલતાં, ને
ધરમધજા કેરે ક્યારે સિંચાણાં હો…જી :
રુદામાં શમાવી સરવે રુદનપિયાલા, વા’લાં
હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો…જી.
– સો સો રે સલામુંo

રથના સારથિડા – સુણજો, સાધુ ને ગુંસાઈ સરવે,
કડાકા કરે છે રથની ધરીઓ હો…જી :
જુઓ જુઓ જુગનો ભેરવ ઊભો વાટ ખાળી આજે,
ભીતર તો નિહાળો : હરિ ક્યાં પળિયો હો…જી.
– સો સો રે સલામુંo

જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો, ને
ધરમ કેરા ધારણ-કાંટા માંડે હો…જી :
સતને ત્રાજવડે મારાં કલેજાં ચડાવિયાં મેં,
શીશ તો નમાવ્યું શાસનદંડે હો…જી.
– સો સો રે સલામુંo

હરિ કેરાં તેડાં અમને – આવી છે વઘામણી રે,
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો…જી :
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા’લાં !
રખે કોઈ રોકે નયણાં રડિને હો…જી.
– સો સો રે સલામુંo

– ઝવેરચંદ મેઘાણી