Category Archives: કવિઓ

મારું વનરાવન છે રૂડું

સ્વર : પ્રફુલ દવે અને આશા ભોસલેં
સંગીત : અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ : ચુંદડીનો રંગ (૧૯૭૫)

સ્વર : હેમુ ગઢવી

મારું વનરાવન છે રૂડું
વૈકુંઠ નહિ રે આવું

નહિ આવું વાં નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

બેસીને રેવું ને ટગ ટગ જોવું
નહિ ખાવું કે મારે નહિ રે પીવું
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

સરગના લોક તો છે અતિ કૂડાં
વાંથી વ્રજના ચોક મારે રૂડાં
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

એ રે વિશે બે નોળિયા હતાં જો
એને સતવર મેલ્યા જો ને કાઢી
ઓ નંદજીના લાલ રે
વૈકુંઠ નહિ રે આવું

મારું વનરાવન….

એ સરગથી જો ને અમને સોહામણું
અમને માનવને મૃત્યલોક રે
પણ ઈમાં મોટી વાતું દોહ્યલી
વળી પાછો મરણ વિજોગ

આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત – રાહી ઓધારિયા

સ્વરનિયોજન અને સ્વરઃ ડૉ.ફિરદૌસ દેખૈયા

આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત
બેસો,કહું છું તમને હું મારા મર્યાની વાત.

વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને,
મારા મહીંથી ધીમે ધીમે હું સર્યાની વાત.

તમને ય તે હવે તો ખરી લાગતી હશે,
જન્માક્ષરો મારા ને તમારા વર્યાની વાત.

‘રાહી’!અબળખા કોઈ હવે બાકી ક્યાં રહી?
કેવળ રહી છે મન મહીં તમને સ્મર્યાની વાત.

-રાહી ઓધારિયા

એ ગીત મારા કહેવાય કઇ રીતે? – ધ્રુવ ભટ્ટ

Updated on June 28, 2023

This was composed on 20.08. 2004. Performed live In USA. This track was received recently from some friend. Regrets for minor break before second stanza.
Source – Bilipatra channel on YouTube.

Updated on August 18, 2012
મારું આ ઘણું જ ગમતીલું ગીત.. આ પહેલા ટહુકો પર ફક્ત શબ્દો સાથે – અને સ્વરાંકન પણ લઇ આવીશ એ promise સાથે મૂકેલું ગીત.. – આજે સ્વરાંકન સાથે ફરીથી માણીએ..!

અમુક ગીતો એવા હોય છે – જે ગમે એટલા વ્હાલા હોય, પણ એ વ્હાલને કાગળ પર ટપકાવવું અધરું થઇ પડે – આ ગીત માટે પણ કંઇક એવું જ વ્હાલ છે…

સ્વર – સ્વરાંકન : રાસબિહારી દેસાઇ

.

ધ્રુવ ગીત યુટ્યુબ ચેનલ ઉપર મુકાયેલું

———————————————-
Posted on December 12, 2008
મારું એક અતિપ્રિય ગીત.. એકવાર રાસબિહારી દેસાઇ-વિભા દેસાઇના કંઠે સાંભળ્યું તો એવું તો ગમી ગયું કે એના બધા શબ્દો મેળવવા છેક કવિશ્રી સુધી પહોંચવું પડ્યું… પણ છે જ એવું સરસ મજાનું – એકવાર સાંભળી/વાંચીને જ સીધું દિલમાં વસી જાય..!

આ ગીત દ્વારા કવિએ વાત પણ કેવી સરસ કરી છે.. પોતાનું એક ગીત લખવાની કોશિશ કરીએ, તો ખબર પડે કે ગીત કંઇ કલમ હાથમાં લેતાંની સાથે લખાઇ નથી જતાં.. અને તો યે કવિએ પોતે લખેલાં ગીત કેવી સરળતાથી આપણને આપી દીધાં? કવિના ગીતને આપણા કરવા માટે કરવાનું શું? બસ.. આકાશભરી પ્રીતે ગાઓ.. ! કવિના ગીતોને તો કંઠ કંઠ મ્હાલવુ છે, એટલે કવિએ ‘દેવકીની રીતે’ આપણને આપી દીધાં ગીત..!!

ધ્રુવ ભટ્ટનું ચાલ સખી પાંદડીમાં… મારું ખૂબ જ ગમતું ગીત, અને કવિનું આ ગીત વાંચીને એમના બધાજ ગીત હવે થોડા વધારે વ્હાલા લાગશે..!!

અને જેમ કવિ સુધી પહોંચીને શબ્દો લઈ આવી, એમ જ એક દિવસ સ્વરકાર સુધી પહોંચીને સંગીત સાથે પણ લઇ આવીશ આ ગીત.. ત્યાં સુધી ગીત પોતાના રાગમાં ગણગણવાની મઝા માણો..!!

(આકાશ ભરી પ્રીતે….. Fort Bragg, California – Nov 29, 2008)

* * * * *

તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત મારાં કહેવાય કઇ રીતે?

ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે
કે ચાલ જઇ કંઠ કંઠ મ્હાલીએ
આપણે તે એવડાં કે કેવડાં કે મારું છે
ચાલ કહી ગજવામાં ઘાલીએ

જે પ્રેમ કરી પામે તે જીતે
તે ગીત હવે મારા કહેવાય કઇ રીતે?

અમને અણદીઠ હોય સાંપડ્યું કે સાંપડી હો
પીડા એવી કે સહેવાય નહીં
એટલું જ હોય અને એટલાંક હોવાના
મથુરાને ગોકુળ કહેવાય નહીં

અમે આપ્યાં જે દેવકીની રીતે
તે ગીત હવે મારાં કહેવાય કઇ રીતે?

નથી રે રમવું – પ્રિયકાંત મણીઆર

નથી રે રમવું સહિયર મોરી સાંવરિયાની સાથે રે,
એ અંતરથી અંચઈ કરતો દાવ ચડાવે માથે રે.

જાણીજોઇને જવા દિયે છે સહિયર સૌ તમ સરખી,
આઘે રહીને અલબેલીઓ ! તમે રહી છો હરખી;
નારી મહીં હું નોખી નૈં ક્યાંથી રહેતો પરખી?
પલક મહીં તો પકડી પાડે બળિયો ભીડે બાથે રે…
નથી રે…

સામો આવી સરકી જાતો દોડી હં તો થાકી,
પલપલ જુદી ચાલ ચલંતો એની લટોશી બાંકી;
આ અડકી હું આ અડકી અવ બહું રહું ના બાકી…
ત્યાં ક્યા કદંબ જાય છુપાઈ હરિ ના આવે હાથે રે…
નથી રે…

– પ્રિયકાંત મણીઆર

કોરી નજરું લઇ એમ વળી જાશું – જગદીશ જોશી

આજે ૧૪મી જુલાઇ – સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથી! એમના સૂરીલા સ્વર અને સ્વરાંકનો થકી હંમેશા આપણી સાથે રહેનાર પરેશભાઇને આજે ફરી એકવાર યાદ કરીએ.. પરેશ ભટ્ટના સ્વરાંકનો પ્રત્યે મને થોડો પક્ષપાત છે – આજ સુધી એમના જેટલા સ્વરાંકનો સાંભળ્યા છે – એ બધા એટલા ગમ્યા છે, એટલા માણ્યા છે – કે હવે તો કોઇ પણ સ્વરાંકન પરેશ ભટ્ટનું સ્વરાંકન છે – એ જાણીને જ ગમી જાય છે..!

 
કોઇક કાર્યક્રમનું live recording છે, અને સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇની request પર પરેશભાઇ પહેલા આખી કવિતા સંભળાવે છે. સ્વરાંકનની સાથે સાથે કવિતાનું પઠન સાંભળવાની પણ એટલી જ મઝા આવશે.

સ્વર – સ્વરાંકન : પરેશ ભટ્ટ

કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

ઘેરાતી સાંજના તમને સોગંદ
હવે વાદળાઓ વીખેરી નાખો
જળમાં આ પંખીનો છાંયો પડે
ને તોય પંખીની થાય ભીની આંખો

છૂટા પડેલા આ ટહુકાના પીંછામાં
અંકાશી ગીત કેમ ગાશું
તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું

નહીં આવો તો યે આશ તો ઉજાસની
પણ જાશો તો ઘેરો અંધાર
ઝાલરનું ટાણું ને ગાયો ઉભરાઇ
એની આંખોમાં ડંખે ઓથાર

ચૈતરનો વાયરો વાવડ પૂછે છે
કે ક્યારે અહીં વરસે ચોમાસું

કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ

– જગદીશ જોશી

ધુમ્મસ કેરી ધરતી – મકરંદ દવે

આ ગીત તો જાંણે અમારા San Francisco માટે જ લખાયું છે. છેલ્લા થોડા દિવસોથી Bay Area માં બરાબર ઉનાળો જામ્યો છે – અને બધેથી heatwave ના સમાચાર આવે છે – અને અમારે ત્યાં ૪ દિવસથી સૂરજદાદાએ દર્શન નથી દીધા..! આ ધુમ્મસ કેરી ધરતી પર વાદળ કેરી વસ્તીએ કબ્જો જમાવ્યો છે..!!

ધુમ્મસ કેરી ધરતી ... Golden Gate Bridge & San Francisco in Fog !

આ ધુમ્મસ કેરી ધરતી રે
આ વાદળ કેરી વસ્તી,
શિખર શિખરને ગળે લગાવી
અલ્લડ જાય અમસ્તી રે,
આ ધુમ્મસ કેરી ધરતી.

ઘડીક ઢાંકે, ઘડી ઢબૂરે,
ઘડીક છુટ્ટે દોરે,
સૂરજને સઘળું સોંપીને
પોતાને સંકોરે,
કિરણો કેરી રંગનદીમાં, માથાબોળ નીતરતી રે
આ ધુમ્મસ કેરી ધરતી.

એક પલકનો પોરો ખાવો
એક ઝલકનો છાંટો,
જુગ જુગથી મારે આ જગમાં
અમથો અમથો આંટો,
તરપણ એનું તેજ કરે ને, તો યે તરસે મરતી રે
આ ધુમ્મસ કેરી ધરતી.

– મકરંદ દવે

મનોજ પર્વ ૨૧ : વિદાયનું ગીત

આ વર્ષના મનોજ પર્વની આજે છેલ્લી કડી.! પરંતુ આ તો અલ્પવિરામ છે. આવતા વર્ષે ફરીથી મનોજભાઇના શબ્દોનો ઉત્સવ ઉજવશું..!! અને આજે માણીએ મનોજભાઇનું એક સુંદર વિદાયનું ગીત – અને સાથે કવિ શ્રી વિવેક કાણે ‘સહજ’ના સંસ્મરણો..!

——————–
લગભગ સન ૧૯૯૭ ની આ વાત છે. મારી પત્ની અપર્ણા એ સમયે એક NGO મારફતે ગરજુ મહિલાઓને સીવણકામ શીખવવા માટે જતી. એકવાર એણે ઘેર આવીને કહ્યું કે ‘આવતા અઠવાડીએ મારે સીવણકામ શીખવવા માટે જૂનાગઢ જવાનું છે’. મેં કહ્યું ‘એટલે તું મારા પ્રિય કવિ મનોજ ખંડેરિયાને ગામ જાય છે એમ ને ! તો મનોજ ખંડેરિયાને મળતી આવજે.’

આ વાત મેં માત્ર મજાક માં જ કહેલી. મનોજ ખંડેરિયા મને ઓળખે એવો કોઈ પ્રશ્ન જ ન હતો કારણકે એ વખતે હજી હું કવિ તરીકે જાણીતો થયો નહોતો. પણ મઝાની વાત તો એ પછી બની. અપર્ણાનો જૂનાગઢથી ફોન આવ્યો ‘બોલ, હું ક્યાંથી બોલતી હોઈશ ?’ મેં કહ્યું ‘જૂનાગઢથી, બીજે ક્યાંથી ?’ તો કહે કે ‘એ તો બરાબર વિવેક, પણ હું અત્યારે તારા પ્રિય કવિ મનોજ ખંડેરિયા ને ત્યાં થી બોલું છું.’ હું તદ્દન અવાચક ! મેં મજાકમાં કહેલી વાત આમ સાચી પડશે એવું મેં સપનામાં પણ ધારેલું નહીં. વાત એમ હતી કે અપર્ણા જે સંસ્થામાં સીવણકામ શીખવવા ગઈ હતી એના મુખ્ય સંચાલકોમાં પૂર્ણિમાબેન ખંડેરિયા એક હતાં.

પહેલાં તો અપર્ણાનો ઉતારો ગેસ્ટહાઉસ ઉપર હતો, પણ જેવી પૂર્ણિમાબેન ને ખબર પડી કે અપર્ણા સગર્ભા છે (સોપાન એ વખતે ગર્ભમાં હતો), એ અપર્ણાને સીધી ઘેર લઇ ગયા અને બે ત્રણ દિવસ ખૂબ લાડ લડાવ્યા. પછી મનોજભાઈને મળવાનું થયું ત્યારે અપર્ણાએ એમને મારા વિષે વાત કરી કે ‘વિવેક તમારો મોટો ફેન છે અને એ પોતે પણ કવિ છે’ ત્યારે મનોજભાઈ એમનું જાણીતું મંજુલ સ્મિત વેરીને મૌન રહ્યા. આજે પણ અપર્ણા મને કહે છે કે ‘મ.ખ.ને હું તારાથી પહેલાં મળી છું’.

મારે મનોજ ખંડેરિયાને પ્રથમ મળવાનું બન્યું તે સીધું INT ના મુશાયરાના મંચ ઉપર – બિરલા માતોશ્રી સભાગૃહ, ૧૯૯૯, મુંબઈ. આપણા માનીતા કવિને ‘કલાપી’ એવોર્ડ એનાયત થતો નિહાળવો – અને એ પણ એમની જ સાથે મંચ પર બેસીને – એ અમારા સૌ યુવાન કવિઓ (હું, મકરંદ, હિતેન, મુકેશ વગેરે) માટે ગૌરવની વાત હતી, એક અનેરો લહાવો હતો. એ પછી પણ મનોજભાઈ સાથે મંચ share કરવાના પ્રસંગો આવ્યા અને એ પ્રત્યેક પ્રસંગ મારા માટે જીવનભરનું સંભારણું છે.

મ.ખ. જેટલા ઉત્તમ કવિ, એટલા જ ઉમદા માણસ. જાન્યુઆરી ૨૦૦૦ માં મને INT દ્વારા ‘શયદા’ એવોર્ડ એનાયત થયો એ પહેલાં અને પછી પણ મનોજભાઈને મળવાનું બન્યું હતું પણ ‘શયદા’ એવોર્ડની ચયન સમિતિમાં એ વખતે મ.ખ. અને ચિનુ મોદી હતા એની જાણ તો મને એ પછી ઘણા વર્ષે આડકતરી રીતે થઇ હતી. બાકી મ.ખ. તો ભદ્રતા અને શાલીનતાની જાણે પ્રતિમૂર્તિ – એ પોતે તો આવી વાત કદી સામે ચાલીને કહેતા હશે !

૨૦૦૨ ની સાલમાં, મારું વાસ્તવ્ય મુંબઈમાં હતું ત્યારે રમેશ પારેખના સમ્માન પ્રસંગે મનોજભાઈ એમની સાથે આવેલા. કાર્યક્રમના મધ્યાંતરમાં હું મનોજભાઈને મળ્યો ત્યારે એમણે એમની હોટેલનું નામ-ઠેકાણું વગેરે આપ્યાં અને આગ્રહથી કહ્યું કે કાલે સમય હોય તો મળવા આવજો. હું બીજે દિવસે મળવા ગયો ત્યારે મને થોડું અચરજ થયું, કારણકે જે કલાક દોઢ કલાક મેં એમના રૂમ માં વિતાવ્યો, એમાં મ.ખ. પોતે માત્ર ૫ મિનીટ માંડ કંઇ બોલ્યા હશે. બાકીનો સમય હું અને ર.પા. જ વાતો કરતા રહ્યા. કૈંક વિચિત્ર લાગણી સાથે મેં વિદાય લીધી અને મ.ખ.ની આ વર્તણુક વિષે તર્ક-વિતર્ક કરતો રહ્યો. એ પછી બે ચાર મહિનામાં જ સમાચાર મળ્યા કે મ.ખ.ને ગળાના કેન્સરનું નિદાન થયું છે ! અને તરત જ એમની હોટેલમાંની વર્તણૂક નો મને જાણે ખુલાસો મળી ગયો. આવું આવું કરતા કેન્સર ને કારણે મ.ખ. બોલવામાં તકલીફ અનુભવી રહ્યા હોવા જોઈએ. પોતે બહુ વાત નહીં કરી શકે એની જાણ હોવા છતા એમણે હોટેલ પર મને મળવા બોલાવ્યો કારણ કે એ કદાચ મને એક વાર નિરાંતે મળી લેવા માગતા હતા. અને ખરેખર, એ જ મારી એમની સાથેની છેલ્લી મુલાકાત પુરવાર થઇ.

જયશ્રીએ મનોજપર્વ માટે કૈંક લખવાનું કહ્યું અને એ નિમિત્તે આ વાત કરવાનું થયું. બાકી આજ સુધી, મારા અંતરંગ વર્તુળ સિવાય આનો મેં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી.

‘ટહુકો’ નો ખૂબ ખૂબ આભાર અને મ.ખ.ને આદરાંજલિ…

વિવેક કાણે ‘સહજ’
વડોદરા

—————————-
બીજો શું અર્થ હવે હોય તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

અડક્યાની સુંવાળી કેડીનો ખાલીપો
ખટકે છે આજ મને શૂળ થઈ
ઊઘડી રે જાય એવી પાંપણની છાંય તળે
સેવ્યાં’તા સમણાં એ ભૂલ થઈ

પરપોટે પુરાયો તૂટ્યો રે મ્હેલ સાત જન્મોના રંગોની ઝાંયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી તૂટતી
વિદાયનો

દિવસ ને રાત તપી એકલતા એટલું કે
ઓગળ્યો સંબંધ બધો મીણનો
દરિયો આખો તો સખી,સહી લઈએ આજ
નથી જીરવાતો ભાર કેમે ફીણનો

ઓળખી ન શકતો રે હું જ મને કોઈ રીતે હાથમાં જ્યાં
લઉં જરા આયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો

– મનોજ ખંડેરિયા

મનોજ પર્વ ૨૦ : શબ્દ અને મનોજ ખંડેરિયા (શેર સંકલન – ભાગ ૨)

આજે માણીએ ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ જેવા અમર શબ્દો ગુજરાતી કવિતાને આપનાર કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાના થોડા શેરનું સંકલન.. કવિએ કવિના શબ્દને અલગ અલગ ગઝલોમાં જે રીતે પેશ કર્યો છે એની એક નાનકડી ઝલક…
(ઘણા વખત પહેલા ‘શબ્દ અને મનોજ ખંડેરિયા’ શેર સંકલન – ભાગ ૧ – ટહુકો પર રજૂ કર્યો હતો એ માટે અહીં ક્લિક કરો)

આ મારો અંધકાર લીલોછમ બની જશે
શબ્દોનું જ્યારે વાતાવરણ ઓગળી જશે
*

એકેય પાન શબ્દનું લીલું નહીં રહે
ઊડી રહ્યા છે તીડનાં ટોળાંઓ ગામ પર
*

હું દર્પણમાં શબ્દો ઉતારી શકું તો
મને એ રીતે હું પ્રસારી શકું તો
*

આ મારી શૂન્યતા મહીં શબ્દો ભરો નહીં
ઠાલી હવાથી એમ ક્યાં પુરાઈ જાય ખીણ
*

શબ્દો મારા પગભર ક્યાં છે
ચાલો મૌન તણી આંગળિએ
*

કોની મુદ્રા ઊપસી આવી
મારા શબ્દોની લગડીમાં

કવિતા તો છે કેસર વાલમ!
ઘોળો સોના-વાટકડીમાં
*

શબ્દને મેં પંક્તિમાં વાળી લીધો
એક ઝંઝાવાતને ખાળી લીધો

મેં કશો અપરાધ ક્યાં વનમાં કર્યો
મેં રઝળતો ટહુકો સંભાળી લીધો
*

“મને તું મૌન દઈને શબ્દ તારો લઈ જજે”
પડી છે એક જાસાચિઠ્ઠી મારા ઉંબરે
*

ભ્રમર જેમ એમાં પુરાઈ ગયો છું
કહો શબ્દનું ઘર કમળ તો નથીને
*

મૂકી દે આજ મારા શબ્દો પર
ચોથું પગલું ચરણ ઉપાડીને
*

ક્યાં સરળ શબ્દનો છે ખજાનો
એ ફણીધર નીચેનો ચરુ છે
*

હવા જેવા સરળ, આવી ગયા છે બ્હાર આજે પણ
આ શબ્દોને નીકળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે
*

સદા શબ્દોના અગ્નિ-સ્તંભને મેં બાથ ભીડી છે
સતત કાગળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
*

શબ્દના વનમાં ફૂલોના પથ મળે
મ્હેકથી ખૂણેખૂણો લથબથ મળે
*

કથામાંથી છટકેલ છળ છે કે શું
ફરી એ જ માયાવી સ્થળ છે કે શું

મને શબ્દ ખેંચી ગયા ક્યાંથી ક્યાં
એ સોના-હરણવાળી પળ છે કે શું
*

લખાયા પહેલાં જ પોઢી ગયેલા
ઘણા શબ્દની છે કબર આંગળીમાં

કવિતા તો ઢાકાની મલમલ મુલાયમ !
વણાતી રહી હર પ્રહર આંગળીમાં
*

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને-
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દ બીજું શુણ ?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

મનોજ પર્વ ૧૯ : રહસ્યોની ગૂફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં

મનોજપર્વમાં આજે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ rare ગઝલ – સ્વરકાર શ્રી અમર ભટ્ટ પાસે, એમના જ શબ્દોમાં થોડી પ્રસ્તાવના સાથે…!
———————————

મનોજ ખંડેરિયાને આજે સહર્ષ યાદ કરું છું. કાયમ દિવાળીના થોડા દિવસો પહેલા અમદાવાદ આવે. મારા ઘરે અચૂક આવે. નવી ગઝલો સંભળાવે. શ્રોતામાં માત્ર હું ને પૂર્ણિમાબેન ને વિરાજ – મારી પત્ની. એક ગઝલ એમણે સંભળાવેલી તે આ –

રહસ્યોની ગૂફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં,
સમયસર ખૂલ જા સિમ સિમ ઉચરવું યાદ આવ્યું નહીં

અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
ઘણા યત્નો છતાં પાછું ચીતરવું યાદ આવ્યું નહીં

હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ
ખરે ટાણે હુકમ પાનું ઉતરવું યાદ આવ્યું નહીં

કલમથી શાહી બદલે દર્દ છટકોર્યું છે કાગળ પર
બીજી કોઇ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહીં
– મનોજ ખંડેરિયા

આ એક rare ગઝલ છે. એમની સમગ્ર કવિતામાં પણ કદાચ છપાઈ નથી. આ ગઝલ એક experience ane expression તરીકે તાલ વગર રજૂ કરું છું.

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

મનોજ પર્વ ૧૮ : દોસ્ત, અહીં થાવું છે અમર કોને…

આજના મનોજ પર્વમાં માણીએ મનોજભાઇની એક મઝાની ગઝલ – એમના પોતાના અવાજમાં પઠન સાથે..! અને એ સાથે કવિ શ્રી મકરંદ મૂસળે એમના કવિ શ્રી મનોજ ખંડેરિયા સાથેના કંઇક સ્મરણો આપણી સાથે વહેંચે છે..!

કવિ શ્રી મકરંદ મૂસળેના શબ્દોમાં :

આ સાથે શ્રી મનોજ ખંડેરિયા સાથે ની મારી પહેલી મુલાકાત અહી મૂકી છે.

“કવિશ્રી મનોજ ખંડેરિયાસાથે મારી પહેલી મુલાકાત મુંબઈ આઈ.એન.ટી. ના મુશાયરામાં થઈ. 1997-98માં શ્રીદામુભાઈ ઝવેરીએ ‘ઈંડિયન નેશનલ થિયેટર’ દ્વારા એક સમયે મુંબઈમાચાલતી મુશાયરા પ્રવૃત્તિને પુનર્જિવિત કરી. દર 25મી જાન્યુઆરીએ યુવાન કવિઓનો મુશાયરો અનેદર 14મી ઑગષ્ટે પ્રસ્થાપિત કવિઓનો મુશાયરો થતો. એ સાલ 25મી જાન્યુઆરી ના મુશાયરામાંગાજેલા નવયુવાન કવિઓ વિવેક કાણે, હિતેન, મુકેશ અને મકરંદ મુસળે (એટલે મને) 14મી ઑગષ્ટ ના મુશાયરામાંસિનિયર કવિઓ સાથે મંચ પર બેસવાનો લાભ પ્રાપ્ત થયો. એનો રોમાંચ તો ખરો જ. મુશાયરો મુંબઈના‘બિરલા માતોશ્રી સભાગૃહ’ માં હતો. અને એ જ વર્ષે કવિ શ્રી મનોજખંડેરિયાને ‘કલાપી’ એવોર્ડ અર્પણ કરવામાંઆવ્યો. મંચ પરથી એ પ્રસંગના સાક્ષી બનવાનું સન્માન મળ્યું એનો ગર્વ આજીવન રહેશે. મનોજખંડેરિયાને મંચ પરથી ગઝલ રજું કરતા સાંભળવા એને હું એક લહાવો ગણું છું. કોઈ પણ જાતનોઅભિનય કે આડંબર કર્યા વિના માત્ર અને માત્ર શુધ્ધ ગઝલ રજુ કરી શ્રોતાઓના હ્રદય ની આરપારનીકળી જઈ શકાય છે એ શ્રી મનોજભાઈ પાસેથી શીખવા મળ્યું.

ત્યારબાદ 2005ની સાલનો ‘શયદા’ પુરસ્કાર આઈ.એન.ટી. તરફથી જ્યારે મને મળ્યો ત્યારે કવિશ્રી મનોજ ખંડેરિયા આ જગતના મંચ પર ન હતા. એ વખતે મુંબઈના ‘ભારતિય વિદ્યા ભવન’ ના મંચ પરથી કવિશ્રી મનોજ ખંડેરિયાને શ્રધ્ધાંજલિ આપતો આ શે’ર મેં અનેક મહાનુભાવો ની હાજરીમાં તરન્નુમમાં રજૂ કર્યો હતો.મત્લા અને શે’ર આ પ્રમાણે હતા…”

“ઝણઝણી ઊઠે હ્રદયના તાર કંઈ કે’વાય ના,
લાગવા માંડે સબંધો ભાર કંઈ કે’વાય ના
તું જુનાગઢને ત્યજી ક્યાં જઈ શક્યો ‘ખંડેરિયા’,
આ ઊભો એ તું જ, કે ગિરનાર કંઈ કે’વાય ના.

…….કવિશ્રી મનોજ ખંડેરિયા ને વંદન….

– મકરંદ મુસળે – વડોદરા – 5-07-2012

****

ગઝલ પઠન – મનોજ ખંડેરિયા

 

*************

Posted on August 20, 2007

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

————

( આભાર : ગુજરાતી-લેક્સિકોન ઉત્કર્ષ )