Category Archives: કવિઓ

કાન તને રાધા ગમે કે મીરાં – ઈશુદાન ગઢવી

સ્વર : અનુપ જલોટા
કાર્યક્રમ : સમનવ્ય ૨૦૦૮

સ્વર : પામેલા જૈન

કાન તને રાધા ગમે કે ગમે મીરાં?
એકે કાળજ કરવત મેલ્યાં, એકે પાડ્યા ચીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

એકે જોબન ઘેલી થઈને તુજને નાચ નચાવ્યો;
એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યો.
એકે તુજને ગોરસ પાયાં, એકે ઝેર કટોરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

પચરંગી પાનેતર તું વિણ રાધે કદી ન પહેર્યા;
મખમલિયો મલીર મીરાંનાં અંગે કદી ન ઓઢીયાં.
એકે ઓઢી શ્યામ ઓઢણી, એકે ભગવત લીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

મલક બધાનો મેલી મલાજો રાધા બની વરણાગણ;
ભરી ભાદરી મેલી મહેલા તો મીરાં બની વીજોગણ.
એક નામની દરદ દીવાની, બીજી શબદ શરીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

કીધું ક્રિષ્નએ પૂછો એટલું મળે ક્યાંય જો રાધા;
મળે ક્યાંય તો પૂછો મીરાંને કોને વહાલો માધા?
મોરે અંતર રાધા વેણુ વગાડે, ભીતર મીરાં મંજીરા!
કાન કહે મારે બે સરખાં રાધા-મીરાં!
કાન તને રાધા ગમે કે મીરાં?

રાત આખી આસપાસ – અંકિત ત્રિવેદી

સ્વર / સંગીત – રવિન નાયક

રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી,
આંસુથી મેલા આ આંખોનાં આંગણાને,
વાળીને હમણાં પરવારી હો..

સૂરજનાં તાંતણામાં ડૂબેલી ઘટનાઓ,
ફાનસનાં અજવાળા ચૂએ;
પડછાયા ઓગળીને અંધારું થાય,
અને શમણાની ઓસરીમાં રૂએ.
બારીને ઝાપટીને ચોક્ખી કરૂં ત્યાંતો,
સેપટ ઉડે છે અણધારી હો..
રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી…

ચુલા પર સાચવીને કરવા મૂક્યો છે,
મેં પાછલી ઉમરનો વઘાર;
આંખોની નીચેનાં કુંડાળા શોભે છે,
વેદાનાનો લીલો શણગાર.
સૂની અગાસીનાં ટેકાએ ઉભેલી,
પૂનમ થઈ છે અલગારી હો..
રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી ….

– અંકિત ત્રિવેદી

સર્જક અને સર્જન – ગુજરાતી સાહિત્યકાર શ્રી રમેશ પારેખ

કવિ શ્રી રમેશ પારેખને એમના જન્મદિવસ…૨૭મી નવેમ્બરે…આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! અને સાથે સાંભળીએ થોડી વાતો – કવિ શ્રી વિષે – અને કવિ શ્રી તરફથી..!!

સર્જક અને સર્જન – ગુજરાતી સાહિત્યકાર શ્રી રમેશ પારેખ (ગુજરાતી સાહિત્ય અકાદમી)
પરિકલ્પના : શ્રી હર્ષદ ત્રિવેદી

(Video માટે આભાર – ગુજરાતી સાહિત્ય અકાદમી)

અહીં પ્રસ્તુત videoમાં એમણે સંભળાવેલા ગીતોમાંથી થોડા ટહુકો પર અહીં સાંભળો:

1. આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ 

2. હાં રે અમે ગ્યાતાં – રમેશ પારેખ

કવિ શ્રી રમેશ પારેખની અન્ય કવિતા ટહુકો પર અહીં જુઓ રમેશ પારેખ 

સાત સાત પગલાઓ સાથે ચાલીને – મેઘબિંદુ

સ્વર – વિરાજ/બીજલ ઉપાધ્યાય
સંગીત – દક્ષેશ ધ્રુવ
આલબ્મ – સંબંધ તો આકાશ

સાત સાત પગલાઓ સાથે ચાલીને
તેં માંગ્યો તો મારો હાથ
પણ અધવચ્ચે એવું તે શું રે થયું
કે મારો છોડી દીધો તે સંગાથ
સાત સાત પગલાઓ….

હું તો ઈચ્છાઓ તારી ઉછેરતી હતી
ને મહેકાવ્યો તારો એ બાગ
તારા અવાજમાં હું એવી ખોવાઈ ગઈ
કે ભૂલી ગઈ મારો રાગ
તારા એક એક પગલાની પૂજા કરી
તને માની ને મારો નાદ
પણ અધવચ્ચે એવું તે શું રે થયું
કે મારો છોડી દીધો તે સંગાથ
સાત સાત પગલાઓ….

મંઝિલની ટોચ જ્યારે દેખાઈ દૂરથી
ત્યારે તેં લીધો વળાંક
તપ તપતાં તાપમાં તારી સંગાથમાં
ચાલી એમાં મારો શું વાંક?
મનના મારગમાં એવું તે કોણ મળ્યું
છોડી દીધો મારો સાથ
પણ અધવચ્ચે એવું તે શું રે થયું
કે મારો છોડી દીધો તે સંગાથ
સાત સાત પગલાઓ….

– મેઘબિંદુ

પરીક્ષા – કૃષ્ણ દવે

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,
કાં તો સ્કુલમાં ,કાં ટયુશનમાં ,કાં ટેન્શનમાં રહીએ

નથી એકલા પાસ થવાનું ટકા જોઇએ મોટા .
નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા
એચ ટુ ઓ ને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ ?

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,

થાકું, ઊંઘું ,જાગું ત્યાં તો સામે આવે બોર્ડ
હોઉં રેસનો ઘોડો જાણે એમ લગાવું દોડ
પ્રવાસ ચાલુ થાય નહી એ પહેલા હાંફી જઈએ .

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,

રામ, કૃષ્ણ કે અર્જુન પણ ક્યાં દેતા રોજ પરીક્ષા ?
એના પપ્પા ક’દિ માંગતા એડમીશનની ભિક્ષા ?
કોની છે આ સીસ્ટમ જેમાં અમે ફસાયા છઈએ .

રોજ પરીક્ષા ,રોજ પરીક્ષા , રોજ પરીક્ષા દઈએ ,

– કૃષ્ણ દવે

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને – રમેશ પારેખ

લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ….(આભાર – લયસ્તરો.કોમ)

રમેશ પારેખ ફક્ત ગીતકાર તરીકે યાદ કરાશે એમ કહેવામાં એમની ગઝલો આડે આવે છે.કેટલાંક છંદદોષને બાદ કરીએ તો ભાષા-વૈવિધ્ય, અંદાજે-બયાં, મૌસિકી અને શેરિયતથી છલકાતી એમની ગઝલો સદાને માટે આપણી ભાષામાં મોખરાના સ્થાને વિરાજમાન રહેશે. ર.પા.ની ઘણી વિખ્યાત પણ હજી સુધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી એવી એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ. ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો કદાચ સૌથી સરળ છતાં સૌથી ઉત્તમ ! અને મક્તો જુઓ: શબ્દોને આશીર્વાદ તો ર.પા. જ આપી શકે ને! વાજીકરણ શબ્દને કાફિયા તરીકે વાપરવાની છાતી તો અમરેલીના નાથ વિના કોની કને હોય!
(ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ)

સ્વર – ઐશ્વર્યા મજમુદાર

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.

– રમેશ પારેખ

કે લાવ્યા સાગર જેવો ગરબો…. – નીનુ મઝુમદાર

આજે ૯ નવેમ્બર – કવિ, સ્વરકાર, ગાયક – શ્રી નીનુ મઝુમદારનો જન્મદિવસ. એમને આપણા સર્વે તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી!

૨ દિવસ પહેલા અહીં મુંબઇના ‘મનિષા ડૉક્ટર’ ના મ્યુઝિક ક્લાસના જવાનું થયું. ‘મારે પણ મ્યુઝિક ક્લાસમાં જવું છે’ – એવી મારી ઇચ્છા ૧૫ વર્ષે એક દિવસ પૂરતી ફળી.. 🙂

અને ત્યાં જ મને આ ‘સાગર જેવો ગરબો’ મળ્યો..! એમના Students ને એમણે થોડા દિવસ પહેલા જ આ શીખવાડ્યો હતો, તો એમણે બધાએ મને ખાસ સંભળાવ્યો. આ હા હા.. શું મઝા આવી..!! Cell phone માં થયું એવું on the spot રેકોર્ડિંગ કરી લીધું, એટલે એટલું clear નથી, પણ તો યે નીનુભાઇનો આ દુર્લભ ખજાનો મને મળ્યો તે આજે – નીનુભાઇના જન્મદિવસે – તમારી સાથે ન વહેંચું એવું બને?

સ્વર – મનિષા ડૉક્ટર

સ્વર – મનિષા ડૉક્ટર અને એમની શિષ્યાઓ

સૂર, તાલ અને લયમાં હિલ્લોળા લેતો ગરબો આજે સપ્તમીએ પહોંચ્યો છે ત્યારે નિનુ મઝુમદારના ગરબામાં વિશ્વેશ્વરી સાથે જોડાયાં છે શ્રી અને બ્રહ્મા, નાગર નંદલાલ, ગોપીઓ અને સાથે સ્વરાંગી વૃંદની બહેનો.

સ્વરાંગી વૃંદનાં કલાકારો : વિજલ પટેલ, ખેવના દેસાઈ, સુષ્મા ભગત, એકતા દેસાઈ, રીની ભગત, કિર્તીદા રાંભિયા, કામિની શાહ, વિરાલી દેસાઈ, મેધા ઝવેરી, દત્તા દેસાઈ
તોરલ શાહ, પારુલ પુરોહિત, નયના પંડ્યા, દક્ષા દેસાઈ, જીગૃક્ષા દવે, ઉર્વી મહેતા,

નિવેદન – ખેવના દેસાઈ
સંગીત સંચાલન અને હાર્મોનિયમ સંગત – વિજલ પટેલ
તબલા – રક્ષાનંદ પાંચાલ
વિડિયોગ્રાફી – સ્વરાંગી પટેલ, રાહી પટેલ, ધ્વન ભગત

સૂરે સૂરે તરંગમાં વહેતો, હિલ્લોળા લેતો,
કે લાવ્યા, સાગર જેવો ગરબો
એના તાલે ચોસઠ જોગણી, ગાતી’તી રાગિણી
કે લાવ્યા, સાગર જેવો ગરબો

એક મધુવનમાં, માનુની મનમાં, નૃત્યંતી વિલસંતી રે…
મધૂરી લયમાં, ગોપી વિજયમાં, ગાતી જયજયવંતી રે…

નાગર મારો થઇ ગયો દાસ, કાલે વ્રજમાં થકવ્યો રાસે
આજ સખી નહિં જાઉં હું જમુના એવા નંદલાલની પાસ
નાગર મારો થઇ ગયો દાસ, કાલે વ્રજમાં થકવ્યો રાસે

એણે સીંચ્યા આનંદ અભિષેકો, ગૌરવનો લહેકો
કે લાવ્યા, સાગર જેવો ગરબો

શ્રી અને બ્રહ્મા સુતા સાથે મળી વિશ્વંભરી
શુધ્ધ બાગેશ્રીરૂપે વાણી મહીં વાગેશ્વરી
મમ હ્રદય સૂરે સ્પંદન આજે આનંદ અંગઅંગન
વાયે પવન શીત ચંદન, આયો કૂંજન નંદનંદન

ધીરે તરતી લહેરમાં નૈયા ડોલે અજાણ હૈયા
કે લાવ્યા સાગર જેવો ગરબો

ઢોલડાં જાગ્યાં ભૈરવ જાગ્યા, ઘેરાં ઘેરાં મંદિરે
તપને છોડી ભૈરવી દોડી, રસિકા થઇ રસવંતી રે
ગાગર નંદવાણી ખૂબ ભીંજાણી સખી આજ.. વહેલી સવારે
કેમ જાઉં પાણી કોઇ કાંકરીયું મારે,
બેઠો ત્યાં કોરો કોરો કાળો નંદલાલ, જમુના કિનારે

તીરે તીરે અનંત પછડાતો ને વિશ્વમાં ઝીલાતો
કે લાવ્યા સાગર જેવો ગરબો..
કે લાવ્યા સાગર જેવો ગરબો..

– નીનુ મઝુમદાર

જશોદા ! તારા કાનુડાને – નરસિંહ મહેતા

લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ….(આભાર – લયસ્તરો.કોમ)

જેટલા લાડ કૃષ્ણે એના ભક્તોને અને ભક્તોએ એને લડાવ્યા છે એ અન્ય તમામ ભગવાન માટે ઈર્ષ્યાજનક છે. નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે. નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે….

(જાન કીધું = જાણીને કર્યું; મહી મથવાની ગોળી = દહીં વલોવવાની માટલી; મુઝાર = અંદર, માં)

સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ

સ્વર – રેખા ત્રિવેદી, કૌમુદી મુનશી
સંગીત – નીનું મઝુમદાર
આલબ્મ – નરસિંહ મીરા – એક ઝાંખી

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા.

શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે,
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.

ખાંખાંખોળાં કરતાં હીંડે, બીએ નહીં લગાર રે,
મહીં મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.

વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે,
નિત ઊઠીને કેટલું સહીએ, રહેવું નગર મોઝાર રે … જશોદા.

આડી-અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે;
ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે … જશોદા.

મારો કાનજી ઘરમાં સૂતો, ક્યારે દીઠો બ્હાર રે,
દહીં દૂધનાં તો માટ ભર્યાં, પણ ચાખે ન લગાર રે … જશોદા.

શોર કરંતી ભલે સહુ આવી, ટોળી વળી દસ-બાર રે,
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે …. જશોદા.

– નરસિંહ મહેતા

કોઇ ગઝલના ગિરનારી ગઢ – અનિલ જોશી

કોઇ ગઝલના ગિરનારી ગઢ કોઇ ગીતના ગઢવી છે.
પોપટલાલને ભગવદ્ ગીતા તરન્નુમમાં પઢવી છે.

કોયલ ટહુકે આંબાડાળે, દાદ નહિ ફરિયાદ,
ચકલીબાઈથી ચીં.. થઇ જાય તો આભ કહે ઈર્શાદ
માટીની સોડમને તારે કાગળિયામાં મઢવી છે?

સંત કબીરની કહી ગયા તે વાત બહુ અલગારી છે,
દોરાધાગા કરવા કરતાં ચાદર વણવી સારી છે.
આ તે કેવી મેડી છે જે વગર પગથિયે ચડવી છે?

કોઇ ગઝલના ગિરનારી ગઢ કોઇ ગીતના ગઢવી છે.
પોપટલાલને ભગવદ્ ગીતા તરન્નુમમાં પઢવી છે.

– અનિલ જોશી

હોય વ્યવહાર તો કાલનું રાખીએ – હેમેન શાહ

અશ્રુ એકાદ ખુશહાલનું રાખીએ,
માન થોડુંક રૂમાલનું રાખીએ.

ક્રોધનું કહેણ કાલે ભલે માનશું,
વેણ આજે તો બસ વ્હાલનું રાખીએ.

સૂર્ય-તારા-ગ્રહો, વૃક્ષ-જળ-પંખીઓ,
ધ્યાન ક્યાં કોની હિલચાલનું રાખીએ?

એકતારો ને કરતાલ હો હાથમાં,
ગીત મજનૂ કે મહિવાલનું રાખીએ.

કાવ્યની વાત કરવી છે? બેસો, કરો,
હોય વ્યવહાર તો કાલનું રાખીએ.

– હેમેન શાહ