ચુલા પર સાચવીને કરવા મૂક્યો છે,
મેં પાછલી ઉમરનો વઘાર;
આંખોની નીચેનાં કુંડાળા શોભે છે,
વેદાનાનો લીલો શણગાર.
સૂની અગાસીનાં ટેકાએ ઉભેલી,
પૂનમ થઈ છે અલગારી હો..
રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી ….
કવિ શ્રી રમેશ પારેખને એમના જન્મદિવસ…૨૭મી નવેમ્બરે…આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! અને સાથે સાંભળીએ થોડી વાતો – કવિ શ્રી વિષે – અને કવિ શ્રી તરફથી..!!
સર્જક અને સર્જન – ગુજરાતી સાહિત્યકાર શ્રી રમેશ પારેખ (ગુજરાતી સાહિત્ય અકાદમી)
પરિકલ્પના : શ્રી હર્ષદ ત્રિવેદી
(Video માટે આભાર – ગુજરાતી સાહિત્ય અકાદમી)
અહીં પ્રસ્તુત videoમાં એમણે સંભળાવેલા ગીતોમાંથી થોડા ટહુકો પર અહીં સાંભળો:
સાત સાત પગલાઓ સાથે ચાલીને
તેં માંગ્યો તો મારો હાથ
પણ અધવચ્ચે એવું તે શું રે થયું
કે મારો છોડી દીધો તે સંગાથ
સાત સાત પગલાઓ….
હું તો ઈચ્છાઓ તારી ઉછેરતી હતી
ને મહેકાવ્યો તારો એ બાગ
તારા અવાજમાં હું એવી ખોવાઈ ગઈ
કે ભૂલી ગઈ મારો રાગ
તારા એક એક પગલાની પૂજા કરી
તને માની ને મારો નાદ
પણ અધવચ્ચે એવું તે શું રે થયું
કે મારો છોડી દીધો તે સંગાથ
સાત સાત પગલાઓ….
મંઝિલની ટોચ જ્યારે દેખાઈ દૂરથી
ત્યારે તેં લીધો વળાંક
તપ તપતાં તાપમાં તારી સંગાથમાં
ચાલી એમાં મારો શું વાંક?
મનના મારગમાં એવું તે કોણ મળ્યું
છોડી દીધો મારો સાથ
પણ અધવચ્ચે એવું તે શું રે થયું
કે મારો છોડી દીધો તે સંગાથ
સાત સાત પગલાઓ….
લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ….(આભાર – લયસ્તરો.કોમ)
રમેશ પારેખ ફક્ત ગીતકાર તરીકે યાદ કરાશે એમ કહેવામાં એમની ગઝલો આડે આવે છે.કેટલાંક છંદદોષને બાદ કરીએ તો ભાષા-વૈવિધ્ય, અંદાજે-બયાં, મૌસિકી અને શેરિયતથી છલકાતી એમની ગઝલો સદાને માટે આપણી ભાષામાં મોખરાના સ્થાને વિરાજમાન રહેશે. ર.પા.ની ઘણી વિખ્યાત પણ હજી સુધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી એવી એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ. ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો કદાચ સૌથી સરળ છતાં સૌથી ઉત્તમ ! અને મક્તો જુઓ: શબ્દોને આશીર્વાદ તો ર.પા. જ આપી શકે ને! વાજીકરણ શબ્દને કાફિયા તરીકે વાપરવાની છાતી તો અમરેલીના નાથ વિના કોની કને હોય!
(ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ)
સ્વર – ઐશ્વર્યા મજમુદાર
સ્વર – હેમા દેસાઇ
સંગીત – આશિત દેસાઇ
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
૨ દિવસ પહેલા અહીં મુંબઇના ‘મનિષા ડૉક્ટર’ ના મ્યુઝિક ક્લાસના જવાનું થયું. ‘મારે પણ મ્યુઝિક ક્લાસમાં જવું છે’ – એવી મારી ઇચ્છા ૧૫ વર્ષે એક દિવસ પૂરતી ફળી.. 🙂
અને ત્યાં જ મને આ ‘સાગર જેવો ગરબો’ મળ્યો..! એમના Students ને એમણે થોડા દિવસ પહેલા જ આ શીખવાડ્યો હતો, તો એમણે બધાએ મને ખાસ સંભળાવ્યો. આ હા હા.. શું મઝા આવી..!! Cell phone માં થયું એવું on the spot રેકોર્ડિંગ કરી લીધું, એટલે એટલું clear નથી, પણ તો યે નીનુભાઇનો આ દુર્લભ ખજાનો મને મળ્યો તે આજે – નીનુભાઇના જન્મદિવસે – તમારી સાથે ન વહેંચું એવું બને?
સ્વર – મનિષા ડૉક્ટર
સ્વર – મનિષા ડૉક્ટર અને એમની શિષ્યાઓ
સૂર, તાલ અને લયમાં હિલ્લોળા લેતો ગરબો આજે સપ્તમીએ પહોંચ્યો છે ત્યારે નિનુ મઝુમદારના ગરબામાં વિશ્વેશ્વરી સાથે જોડાયાં છે શ્રી અને બ્રહ્મા, નાગર નંદલાલ, ગોપીઓ અને સાથે સ્વરાંગી વૃંદની બહેનો.
લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ….(આભાર – લયસ્તરો.કોમ)
જેટલા લાડ કૃષ્ણે એના ભક્તોને અને ભક્તોએ એને લડાવ્યા છે એ અન્ય તમામ ભગવાન માટે ઈર્ષ્યાજનક છે. નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે. નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે….