ટહુકો ડૉટ કોમ પર સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી સવારે સાડા છના સુમારે ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતી જયશ્રી પટેલ (ભક્ત)નો આજે જન્મદિવસ છે… અમારી આ વહાલી મિત્રને મારા, ઊર્મિ અને ધવલના પરિવાર તરફથી અને ટહુકો.કોમ તથા ઊર્મિસાગર.કોમના વાચકમિત્રો તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ…
शतम् जीवम् शरदः |
જે ગાલિબે કદી માંગી, દુઆ હું એ જ માંગું છું,
હું એની બંદગીમાં મારી ઇચ્છા પણ ઉમેરું છું;
ભલે ઇચ્છા હજારો હો, ભલે નીકળે બધી પર દમ,
ફળીભૂત થાય એ સઘળી, હું એથી કંઈ ન માંગું કમ.
હજારો વર્ષ તું જીવે, હજારો દિન હો વર્ષોના,
હજારો પળ હો દિવસની અને હર પળ હો મંગળમય;
હજારો ગીત ટહુકો ડૉટ કોમે હોય, ને જયશ્રી !
એ સઘળા ગીતમાં તારી પ્રસિદ્ધિનો જ ગુંજે લય !!
- વિવેક
(૦૪-૦૯-૨૦૦૯, મળસ્કે ૨:૪૫ વાગ્યે)
… અને મારી એક ગઝલ મારા જ અવાજમાં જયશ્રીને ભેટ સ્વરૂપે:
જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.
શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે.
ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!
દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે. *
સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.
ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?
-વિવેક મનહર ટેલર
* જો એ દસ આંકડાઓ સ્પીડ-ડાયલમાં સેવ કરી દીધા હોય તો આજકાલ તો માત્ર એક-બે આંકડા દબાવવાથી જ કામ થઈ જાય છે… એટલે કવિશ્રી, એટલો દમ તો તમારે આંગળામાં રાખવો જ જોઈએ હોં, બરાબર ને જયશ્રી?! -ઊર્મિ
આજની પોસ્ટ એટલે ઊર્મિની છલકતી ગાગરમાંની એક બુંદ..! એટલે કે - કોઇ પણ ભેળ-સેળ વગર સીધ્ધી ઉઠાંતરી! આમ પણ, Original material આટલું perfect હોય, તો એમાં મારી વાતો વચ્ચે મુકીને remix કરવાની જરૂર ખરી? (એટલે જ આ વાત અહીં શરૂઆતમાં જ કરી.) આગળ વાંચો ‘ઊર્મિ’ની ઊર્મિઓ…
ડૉ. રઈશ મનીઆરનાં શબ્દોમાં લખવાની ખુમારીનાં એમનાં એક સુંદર મુક્તક અને ધીમે ધીમે લખવાની વાત કરતી એટલી જ મુલાયમ આ ગઝલ સાંભળીએ…
ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે,
લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે;
લખાણે લખાણે પ્રહારો થયા છે,
અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે.
*
અને ગઝલનાં ત્રણ શેરો તો મધુર સંગીત અને કર્ણપ્રિય સ્વરથી એવા રણઝણી ઉઠે છે કે એકવાર સાંભળ્યા પછી દિવસો સુધી આ રણઝણાટ શમતો જ નથી…!!
સંગીત: મેહુલ સુરતી
સ્વર: સત્યેન જગીવાલા
આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું.
કોરા કાગળ ઉપર બસ સખી રે ! લખ્યું,
એથી આગળ નથી મેં લગીરે લખ્યું.
જેનો એક-એક શેર એક ગઝલની ગરજ સારે - એવી જલન માતરીની આ સદાબહાર ગઝલ.. સાથે એમનું એટલું જ સુંદર મુક્તક.. અને એ પણ પુરુષોત્તમ ઉપાધ્યાયના દિગ્ગજ સ્વર - સ્વરાંકન સાથે..
અને સાથે બીજું એક બોનસ.. આ રેકોર્ડિંગ Live Program નું છે, એટલે વચ્ચે વચ્ચે પુરુષોત્તમ ઉપાધ્યાય જે વાતો કરે છે - કવિતા વિષે, ગુજરાતી ભાષા વિષે, ક્ષેમુ દિવેટીઆ વિષે, રાગ વિષે.. એ સાંભળવાની પણ એટલી જ મજા આવે છે. જાણે થોડી વાર માટે આપણે પણ એમને રૂબરૂ જ સાંભળ્યા હોય…!! (Weekend ની મજા લીધા પછી એમ પણ સોમવારે સવારે થોડી વધારે energy ની જરૂર પડે ને? તો આ ગઝલ સાંભળીને ચોક્કસ એ extra energy મળી રહેશે..! )
પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો
ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો
સ્વર : સંગીત - પુરુષોત્તમ ઉપાધ્યાય
This text will be replaced
મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
હિચકારું કૃત્ય જોઇને ઇન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઇ શયતાનની નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે.
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
ચડી આવે યદી ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે
નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે
કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે
અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે
આપના અભિપ્રાયો: