Category Archives: કલ્યાણી કૌઠાળકર

રાધા શોધે મોરપિચ્છ – સુરેશ દલાલ

સ્વર : કલ્યાણી કૌઠાળકર
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

રાધા શોધે મોરપિચ્છ ને ,શ્યામ શોધતા ઝાંઝરિયા,
રાધિકાની આંખ જપે છે સાંવરિયા ! ઓ સાંવરિયા !

મુરલીના સૂર કદંબવૃક્ષે ચીર થઈને ઝૂલે,
અને શ્યામની આંખો જળમાં કમળ થઈને ખૂલે;
કુંજગલીમાં ધૂળ રેશમી તો ય કહે એ કાંકરિયા….

ઉજળો દિવસ શ્યામ થયો ને રાધિકા થઇ રાત,
યમુનાના જળ દર્પણ થઈને કરે હૃદયની વાત;
ભરી ભરીને ખાલી ખાલી કરતી ગોપી ગાગરિયા…

– સુરેશ દલાલ

મને ફાગણનું એક ફૂલ આપો – સુન્દરમ્

આજે આ ફાગણના ફૂલ જેવું કામણગારું ગીત… વિવેક કહે છે એમ – આખું ગીત એના લયમાધુર્ય અને શબ્દોની પસંદગીના જોરે અદભુત દૃશ્ય ઊભું કરે છે જે વાંચતાવેંત જ સોંસરું ઉતરી જાય છે… અને આવા મઝાના શબ્દોમાં અમરભાઇના સ્વર-સંગીતનો જાદુ ભળે… આ હા હા… બીજું મારે તો શું કહેવું ?

સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત
ચલો ગાઇએ ખેલીએ ફાગ હોરી
– રાજેન્દ્ર શુક્લ

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

કેસૂડો કામણગારો
કેસૂડો કામણગારો... (Source : Flickr)

સ્વર:કલ્યાણી કૌઠાળકર
આલબમ :શબ્દનો સ્વરાભિષેક-5

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.

વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

-સુન્દરમ્

કહેતી ગઇ – પન્ના નાયક

આમ તો ત્રણ વર્ષથી પણ વધારે સમયથી ટહુકો પર શબ્દ સાથે મુકેલું આ ગીત.. આજે ફરી એકવાર સાંભળીએ, કવિયત્રીના પોતાના અવાજમાં, અને પછી દિલીપ ધોળકિયાના સ્વરાંકનમાં…

અને સાથે માણીએ – 30 માર્ચ 2009નાં રોજ દિવ્ય ભાસ્કરનાં હયાતીનાં હસ્તાક્ષર વિભાગમાં શ્રી સુરેશ દલાલ દ્વારા આ ગીતનો આસ્વાદ…

bird

કાવ્ય પઠન : પન્ના નાયક

.

(Thanks Urmi for converting the audio cassette to mp3 format 🙂 )

સ્વરકાર: દિલીપ ઢોલકીયા
સ્વર: કલ્યાણી કૌઠાળકર
આલ્બમ : વિદેશીની

.

તારા બગીચામાં રહેતી ગઇ ને ટહુકાનું પંખી એક દેતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું

ઝાડવાની લીલેરી માયા મને
ફૂલની, સુગંધની છાયા મને

અને વહેતા આ વાયરામાં વહેતી ગઇ, કંઇક જન્મોની વાતને ઉકેલતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું

આ દિવસ ને રાતની કળીઓ ખૂલી
અહીં પળ પળના ગુંજનની ગાથા ઝૂલી

હું તો ભમતી ગઇ ને કશું ભૂલતી ગઇ ને યાદ કરતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું
– પન્ના નાયક

અંતિમ અવસરના જુહાર

પન્ના નાયક વિદેશમાં રહે છે અને સ્વદેશમાં આવનજાવન કરે છે. એના ગીત સંગ્રહનું નામ પણ ‘આવનજાવન’ છે. પ્રારંભમાં કેવળ અછાંદસ કાવ્યો લખતાં. પછી એમની કલમ ગીત અને હાયકુ તરફ પણ વળી છે. આ કાવ્ય એટલે અંતિમ સમયે વ્યકિત પ્રત્યે અને જગત પ્રત્યે આભારની અભિવ્યકિત- કોઈ પણ પ્રકારના ભાર વિના નરી હળવાશ અને અનાયાસે પ્રગટેલી અભિવ્યકિત. આ સૌંદર્યમય વિશ્વમાં જે કંઈ જોયું છે- જાણ્યું છે- માણ્યું છે એનો નર્યોઆનંદ. સજજનો જયારે જાય છે ત્યારે ઘા કે ઘસરકા મૂકી જતા નથી. જતાં જતાં પણ કોઈને આવજો કહીને જવું એમાં માણસની અને માણસાઈની ખાનદાની છે. જીવનમાં જયારે આપણે જીવતા હોઇએ છીએ ત્યારે કોક આપણને પ્રેમ કરે છે. આ પ્રેમ એ કોઈકે રચી આપેલો બગીચો છે. હું તો ત્યાં સુધી કહું કે આ સૃષ્ટિમાં આવ્યા પછી આપણે સૃષ્ટિમાં જીવીએ છીએ એ બીજું કશું જ નથી પણ ઈશ્વરે આપણા માટે રચેલો બગીચો છે. તો જીવ જયારે અહીંથી વિદાય લે ત્યારે એ બગીચામાં રહેવાનો જે આનંદ મળ્યો એ આનંદની લાગણીને કઈ રીતે વ્યકત કરે? ઈશ્વર પાસેથી માત્ર લેવાનું ન હોય. કશુંક સૂક્ષ્મ ઈશ્વરને આપવાનું પણ હોય. જેણે આપણને બગીચો આપ્યો એને આપણે કમમાં કમ આપણા ટહુકાનું પંખી તો આપીએ. ટહુકો નિરાકાર છે ને પંખીને આકાર છે. આમ તો જીવ અને શિવની, રૂપ અને અરૂપની આ લીલા છે. હરીન્દ્ર દવેની પંકિત યાદ આવે છે: કોઈ મહેલેથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો. આ ગીતની મજા એ છે કે એમાં મરણની ભયાનકતા નથી, મરણનું માંગલ્ય છે, એનું વૃંદાવન છે. ઝાડવાની લીલી માયા છે. ફૂલોની સુગંધી છાયા છે. વહેતા વાયરાની જેમ પસાર થતા કાળમાં આપણે પણ પસાર થઈએ છીએ અને આપણને ખબર નથી કે આ આપણો કયો અને કેટલામો જન્મ છે. પણ આપણે એ જન્મોની વાતને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક ક્ષણ એવી આવે છે કે જયારે આપણા આંગણે આખરનો અવસર આવી ઊભો રહે છે. કવિ રાજેન્દ્ર શાહની પંકિતઓ માણવા જેવી છે:

આખરને અવસરિયે,
વણું જુહાર, જયાં વાર વાર,
ત્યારે જ મેં અરે જાણ્યું
મારે આવડો છે પરિવાર.
રણની રેતાળ કેડીએ
જાતા ઝાકળને જળ ન્હા.

અહીં પણ અંતિમ ક્ષણની વેદના નથી, પણ આનંદનો અવસર છે. આમ આમ કરતાં કેટલા દિવસો વહી ગયા. કેટલી કળીઓ દિવસ રાતની ખૂલી અને આ કળીઓની આસપાસ કાળના ભમરાનું ગુંજન અને એની ગાથાઓ ઝૂલતી રહી. કાવ્યનાયિકા કહે છે કે હું તો જન્મોજન્મ લખચોર્યાશી ફેરામાં ભમતી રહી. ગત જન્મને ભૂલતી રહી અને છતાં કયાંક કયાંક પૂર્વજન્મના અને પુનર્જન્મના અણસાર આવતા રહ્યા. એ અણસારે અણસારે હું જન્મોની વાતોને ઉકેલતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉ છું. ખલિલ જિબ્રાને વિદાય વેળાનું એક ચિત્ર કર્યું છે. એમાં ‘આવજો’ કહીએ ત્યારે આપણો હાથ સહજપણે ઊચકાઈ જાય છે. કવિ ચિત્રકાર ખલિલ જિબ્રાને આવજો કહીને હથેળીમાં આંખને મૂકી છે. કારણ કે આવજો માત્ર હાથથી નહીં પણ આંખથી કહેવાનું હોય છે. આ સાથે સ્પેનિશ કવિ યિમિનેસના કાવ્ય અંતિમ યાત્રાનો અનુવાદ મૂકું છું તે તુલનાત્મક રીતે વાંચવા જેવો છે.

લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
ને તોય હશે અહીં પંખી : રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો!
લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ, શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ: ઘંટનો હશે રણકતો નાદ:
નાદ એ નહીં જાય રે ઝાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
મને રહાતાં લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- ખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
અને એકલો જાઉ : વટાવી ઘરના ઉબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
-તો ય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!

(આસ્વાદ: સુરેશ દલાલ)

પાગલ થઈ ગઈ -પન્ના નાયક

‘વિદેશિની’ એટલે? ઘણા કવિતાપ્રેમીઓ જાણતા હશે – વિદેશિની એ અત્યાર સુધીનાં (હવે લગભગ અપ્રાપ્ય એવા) પન્ના નાયકના પાંચ કાવ્યસંગ્રહોને સમાવી લેતો સમગ્ર કાવ્યસંગ્રહ.. પ્રવેશ, ફિલાડેલ્ફીઆ, નિસ્બત, અરસપરસ અને આવજાવન એટલે વિદેશિની.

જો કે ફેબ્રુઆરી ૨૦૦૯માં ‘વિદેશિની’ ને એક બીજી વ્યાખ્યા મળી – કવિયત્રી પન્ના નાયકનાં ગીતોની સંગીતમય રજૂઆત..!!
આ આલ્બમમાં એમના કાવ્યસંગ્રહમાંથી લેવાયેલા 7 ગીતો – અને 3 નવા ગીતોનો સમાવેશ કરાયો છે. આલ્બમનાં બધા જ ગીતો ખૂબ જ સુંદર રીતે સંગીતબદ્ધ કરવામાં આવ્યા છે અને એમનું સ્વરાંકન પણ ખૂબ જ કર્ણપ્રિય થયું છે. અમર ભટ્ટ, અમિત ઠક્કર, ગૌરાંગ વ્યાસ, ક્ષેમુ દિવેટિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલીપ ધોળકિયા -જેવા દિગજ્જોના સ્વરાંકનમાં જ્યારે ઐશ્વર્યા મજમુદાર, ઝરણા વ્યાસ, સોનિક સુથાર, પાર્થિવ ગોહિલ, કલ્યાણી કૈઠાળકર, ગાર્ગી વ્હોરા, અમર ભટ્ટ, વિરાજ-બિજલ અને દીપ્તિ દેસાઈ જેવા સુરીલા કંઠ ભળે – તો આબ્લમ કેટલું સુરીલું બને એ તમે જાણતા જ હશો…

અને હા.. ગઇકાલે ‘વિદેશિની’ને એક ત્રીજી વ્યાખ્યા પણ મળી – પન્ના નાયકનાં કાવ્યોની વેબસાઇટ : http://pannanaik.com/

તો ચલો, સાંભળીએ એમના આબ્લમ ‘વિદેશિની’માં સ્વરબધ્ધ થયેલું આ મઝાનું ગીત..

અને હા, ગુજરાતી સુગમ સંગીતનાં પ્રેમીઓને ખાસ જણાવવાનું કે વિદેશિની સાઈટ પર તમને આ સીડીનાં બધા જ ગીતોનું મુખડું સાંભળવા મળશે… 🙂

સ્વર : કલ્યાણી કૌઠાળકર
સંગીત : ગૌરાંગ વ્યાસ

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :

હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ,
એવી પાગલ થઈ ગઈ…
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઈ ગઈ.
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.

હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં;
તારી સાથેની મારી પળપળની વાત,
મારી કોરી આંખોનું કાજળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું ;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.

-પન્ના નાયક

આ ગીત વિશેની પ્રેરણા વિશે પન્ના નાયકનાં થોડા શબ્દો અને પછી નિશાબેને ગાયેલું આ ગીત અહીં સાંભળો…!

————

અને હા… આ જ આબ્લમનું બીજુ એક મઝાનું ગીત સાંભળો : ગાગરમાં સાગર પર

ઓરડાની માલીપા બેસીને નીરખું – તુષાર શુક્લ

સ્વર : કલ્યાણી કૌઠાળકર
સંગીત : હસમુખ પાટડિયા

rain

.

ઓરડાની માલીપા બેસીને નીરખું
કે ચોમાસું કોની સોગાત છે?
ભીનપની, ટહુકાની, લાગણીના વહેવાની,
કે કોરા કુતુહલની વાત છે!

વરસાદી વાદળાએ ઘેર્યું આકાશ, અને
વર્ષાની ઝામી તૈયારી
તુફાની વાયરાના ભીના અડપલાએ હું
કેમ કરી બંધ કરું બારી

ત્રૂફેલા મોરલાઓ ગહેકી ઉઠે છે,
એવી વરસાદી વાતો રળીયાત છે

મનડું મુંઝાય અને હૈયું હિજરાઇ
લીલા તોરણ સુકાય મારે ટોડલો
પ્રિતમને કહી દો કે સૂના આકાશ મહીં
આષાઢી ગીતો ના મોકલે

તરસ્યો આ કંઠ મારો કોરોધારોક
છો ને લીંપણમા નદીઓની ભાત છે

ઓરડાની માલીપા બેસીને નીરખું
કે ચોમાસું કોની સોગાત છે?
ભીનપની, ટહુકાની, લાગણીના વહેવાની,
કે કોરા કુતુહલની વાત છે!