વરસાદ થઈને તું ભલે વરસે – અનિલ ચાવડા

લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.

તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.

હું ભીંત પર માથું પછાડું? રોજ છાતી કૂટું? રોવું? શું કરું?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.

એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.

છે દેહ રૂનું પૂમડું ત્યાં વાત અટકી જાત તો સારું હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.

– અનિલ ચાવડા

બદનામ નથી – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલો નો સંચય
સંપાદક – મુસાફિર પાલનપૂરી

બદનામ નથી

એ પ્રેમની ઇજ્જત કોડી છે, જે પ્રેમ જર્ગ બદનામ નથી,
ઊઠ ચાલ, દીવાના ! બુદ્ધિ હો ત્યાં આપણું કોઈ કામ નથી.

અફસોસ ! પરિવર્તન ! તારી આ છેડ મદિરા-ભક્તોથી ?
મસ્તીની દશામાં જોયાં’તાં એ રંગ નથી એ જામ નથી.

દુનિયાનો ભરોસો કરનારા ! છે ધન્ય આ તારી દિષ્ટને !
મૃગજળથી તમન્ના પાણીની ૐ જેવું તેવું કામ નથી.

રહેવા દો વિચારોમાં એને આપો નહિ તસ્દી નજરોને
એ સૂક્ષ્મ જગતના વાસીનું, આ સ્થળ જગતમાં કામ નથી.

એક આશ હજુયે રાખું છું, મતલબ કે ખરેખર ‘શૂન્ય’ જ છું,
એ નામ અબાગી છે મારું જે નામનો શુભ અંજામ નથી.

‘શૂન્ય’ પાલનપૂરી

કાફિયા વિણના રદીફો – જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’

કાફિયા વિણના રદીફો સમ ફરે છે;
રોમરોમે યાદ બસ એની તરે છે.

ઊભું છું સામે જવાબો માગવા હું,
આયનો લઈને સવાલો શેં ધરે છે?

જે ગયા છે ને કદી પાછા ન આવ્યા,
એ હજી મારા ખયાલે શું કરે છે?

હા, સમયની આજ મુઠ્ઠી ખોલવી છે,
જોવું છે કે ભાગ્ય જેવું કંઈ ખરે છે?

છે મહેફિલો અહીં ગઝલો ક્યાં ‘ભગ્ન’?
શાયરો સાચી ગઝલને કરગરે છે.

– જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’
ગઝલ સંગ્રહ – ‘વાત તારી ને મારી છે’

એ સીતા હો કે ધોબી હો બધાંને રામ આપે છે – અશરફ ડબાવાલા 

પ્રથમ એ થઈ શકે એવાં જ થોડાં કામ આપે છે,
ને અઘરાં કામરૂપે એ પછી ઇનામ આપે છે.

છે મારા મનની અંદર આગવું પંચાંગ એવું કે,
અચાનક આવનારી હર ખુશીને નામ આપે છે.

બધી વિદ્યા, કળા ને યુક્તિથી પર થાઉં છું ત્યારે,
એ આવી રૂબરૂ અંગત મને પયગામ આપે છે.

એ મારી આવડતને પાથરી દઈને બજારોમાં,
કદી વેપાર આપે છે, કદી લિલામ આપે છે.

ભલે આશય જુદા જુદા હો એના આપવા માટે,
એ સીતા હો કે ધોબી હો બધાંને રામ આપે છે.

સમયની આગમાં એ મારું સર્જન ફેંકી દે છે પણ,
હું માગું ખાક પાછી તો મને ખય્યામ આપે છે.

સખાવત કે દૂરંદેશી જે ગણવું હોય તે ગણજો,
મફત જે હોય છે એનાય અશરફ દામ આપે છે.

– અશરફ ડબાવાલા 

સુખની પરિભાષાઓ બદલી જોઈએ. – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

આંગળીઓ કો’ક નોંધારાની પકડી જોઈએ,
ચાલ સુખની સૌ પરિભાષાઓ બદલી જોઈએ.

ભાવમાં ભીંજાવવાનું સુખ મળે કોઈક વાર,
આજ કોઈના અભાવોથીય પલળી જોઈએ.

જેમની હરએક પળ સંઘર્ષ છે અસ્તિત્વનો,
એમના જીવન કથાનક સ્હેજ પલટી જોઈએ.

તેલ દીવામાં પૂરી અંધારને અવરોધવા,
અંધ આંખોમાં થઈને નૂર ચમકી જોઈએ.

ઓસની બુંદો સમું ‘ચાતક’ જીવન છે આપણું,
કોઈના ચ્હેરા ઉપર થઈ સ્મિત ઝળકી જોઈએ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

मधुशाला 7 – डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 7

चलने ही चलने में कितना जीवन, हाय, बिता डाला !
‘दूर अभी है’, पर, कहता है हर पल बतलाने वाला;
हिम्मत है न बढूँ आगे को साहस है न फिरूँ पीछे;
किंकर्तव्यमूढ़ मुझे कर दूर खड़ी है मधुशाला।

– डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 7

જીવન હાય વિતાવી દીધું જગને મારગ જાવામાં !
‘હજી દૂર છે’ એમ કહે છે મુજને સૌ કહેવાવાળા;
હામ નથી કંઈ આગળ જાવા જોમ નથી પાછા ફરવા;
સાવ કરીને વિમૂઢ મુજને, દૂર ઊભી છે મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

સદા મોજૂદ છે! – શોભિત દેસાઈ

ક્યાં કશી ચિંતા જ છે! ઘર તો સદા મોજૂદ છે !
પગ તળે ધરતી ને અંબર તો સદા મોજૂદ છે!

પ્યાસ પહોંચાડીશ સીમા પર ચરમ, તો મેળવીશ,
ભીતરે તારી સરોવર તો સદા મોજૂદ છે!

દ્વેષ-ઈર્ષ્યા, વેર ઓસરતાં-ઊછરતાં જાય છે,
છે સનાતન, ઢાઈ અક્ષર તો સદા મોજૂદ છે!

ક્ષીણ, કપરા કાળમાં એ ઊંચકી લેશે તને
છાપ એક જ હોય, ઈશ્વર તો સદા મોજૂદ છે!

એય ભજતો હોય છે જીવંત મૂર્તિ આજીવન,
સૌ મુસલમાનોમાં કાફર તો સદા મોજૂદ છે!

એ જનમમાં પણ હું પંકાયો જ ‘ગાલિબ’ નામથી,
આપથી ‘શોભિત’ શાયર તો સદા મોજૂદ છે!

– શોભિત દેસાઈ

નદી પાણી ત્યજી ને કયાં જવાની? – અનિલ ચાવડા

લાખ છો કોશિશ કરે એ ભાગવાની,
પણ નદી પાણી ત્યજી ને કયાં જવાની?

એક પણ ઘટના વગર જીવી ગયો છું,
આખરે આ એક ઘટના તો થવાની.

એમણે ચંદન સમા અવસર ઘસ્યા છે,
એમની પણ જાત ચૌક્કસ મ્હેંકવાની.

આપણે અત્યાર થઈ ઊભા રહ્યા ને-
થઈ ગણતરી ફક્ત જૂનાની-નવાની.

ગાંડપણ નૈ ટેવ, મારે ટેવ છે આ;
ઘર વગર અમથા જ બારી વાંસવાની.

– અનિલ ચાવડા

તેજઅંધારે – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલો નો સંચય
સંપાદક – મુસાફિર પાલનપૂરી

તેજઅંધારે

જ અંત આદિમાં, તું જ તેજઅંધારે;
તું જ સાર છે કેવળ, આ અસાર સંસારે,

પથ્થરો તરે છે તો, એક અજું છે મારે,
મુજ જીવનની નૌકા પણ જઈ ચઢી છે મજધારે.

જન્મના સકળ ફેરા લેશ પણ નથી ભારે,
હું બધુંયે સમજું છું તું જ આવશે હારે.

એ જ આશ્વાસનથી શ્વાસ લઉં છું સંસારે,
ક્યાંક તું મળી જાશે, કોઈ નામ-આકારે.

રોમેરોમ ચાલે છે એ જ નામની રટના,
ઝેર પણ બને અમૃત જેના એક ઉદ્ગારે.

ભક્તજનની નજરોનાં પારખાં નથી સારાં,
એક દી’ બતાવીશું આપને નયનદારે.

ધન્ય મારાં પાપોને, મેળવી તો દે છે એ,
કોઈ પણ બહાનાથી, એક ન એક અવતારે !

આપદામાં પૂરો છો ચીર નવર્સે નવ્વાણું;
ત્રણ એમ રાખો છો ચીંથરીનું પણ ક્યારે !

મેં જ ખોટ પૂરી છે ‘શૂન્ય’ તારા સર્જનની,
તું મને જ તરછોડે ? તું મને જ ધિક્કારે ?

– ‘શૂન્ય’ પાલનપૂરી

વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ – જયશ્રી વિનુ મર્ચન્ટ

વૃંદાવનમાં વેણું વગાડે શ્યામ
ને યમુના તટે મારી જોને ગાગર છલકે…
હૈયું હરણ બની એ…ય…ને, જાય દોડી,
હું દોડી ચ૨ણ લઈ જોને, ગાગર છલકે…
વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ…

આંખ્યુંમાં ઉજાગરો રાતની રાતો,
ને, તારા નયનના ઉલાળાનું કરું શું શ્યામ?
તારી તે ૨ઢમાં મૂક્યાં મેં કામકાજ,
ને, વેણુની તાન દિ’ આખો ગણગણું શ્યામ!
વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ…

છૂટી મૂકું ગાયોને, બંધાતી હું ખીલે,
મનના હિંડોળે તો શ્યામ તું જ સદા ઝૂલે…!
સાનભાન ભૂલેલી અડતી કુંવારી કળીને,
સપનાંનાં ફૂલો મારે રોમેરોમ જોને ખીલે…!
વૃંદાવનમાં વેણુ વગાડે શ્યામ…

– જયશ્રી વિનુ મર્ચન્ટ