ગ્લૉબલ કવિતા :૭૬ : ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા – લૂસીલ ક્લિફ્ટન

poem in praise of menstruation

if there is a river
more beautiful than this
bright as the blood
red edge of the moon if

there is a river
more faithful than this
returning each month
to the same delta if there

is a river
braver than this
coming and coming in a surge
of passion, of pain if there is

a river
more ancient than this
daughter of eve
mother of cain and of abel if there is in

the universe such a river if
there is some where water
more powerful than this wild
water
pray that it flows also
through animals
beautiful and faithful and ancient
and female and brave

– Lucille Clifton


ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા

જો ત્યાં એક નદી હોય
આના કરતાં વધારે સુંદર
તેજસ્વી જાણે કે રક્ત
રાતી કિનાર ચંદ્રની જો

ત્યાં એક નદી હોય
આનાથીય વધુ વફાદાર
જે દર મહિને પરત ફરતી
એ જ મુખત્રિકોણ પર જો ત્યાં

એક નદી હોય
આનાથીય વધુ બહાદુર
જે આવ્યા જ કરે આવ્યા જ કરે
આવેશના, દર્દના ઉછાળા સાથે જો ત્યાં એક

નદી હોય
જે વધુ પુરાતન હોય
કેઇન અને એબલની માતા
ઈવની આ પુત્રી કરતાં જો ત્યાં એક આવી

નદી હોય બ્રહ્માંડમાં જો
ત્યાં ક્યાંય પાણી હોય
વધુ તાકતવર આ જંગલી
પાણીથી
પ્રાર્થના કરો કે એ વહે
પ્રાણીઓમાંથી પણ
સુંદર અને વફાદાર અને પુરાતન
અને સ્ત્રી અને બહાદુર

– લૂસીલ ક્લિફ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)
માસિક-ઋતુસ્ત્રાવની ‘નો નોનસેન્સ’ કવિતા…

માસિક. માહવારી. મેન્સિસ. પિરિયડ. કેલેન્ડરના મહિનાના પાનાં સાથે જિગરજાન યારી હોય એ રીતે પુખ્તવયની સ્ત્રી રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીના જીવનના લગભગ ત્રણ-ત્રણ દાયકાઓ સુધી દર મહિને એકવાર ચારથી પાંચ દિવસ સુધી યોનિમાર્ગેથી કુદરતી રીતે થતા રક્તસ્ત્રાવને સહન કરે છે. દુનિયાની વસ્તીનો અડધોઅડધ ભાગ સક્રિય જીવનના લગભગ અડધોઅડધ વરસ આ દેહધાર્મિક ક્રિયામાંથી પસાર થતો હોવા છતાં આ દિવસો દરમિયાન કોઈકને કોઈક રીતે અછૂતા હોવાનો અહેસાસ આજે પણ કરે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ બિલકુલ કુદરતી એવી આ પ્રક્રિયા તરફની પ્રતિક્રિયા પૂર્ણતયા સામાન્ય નથી જ. લૂસીલ ક્લિફ્ટન એની કવિતામાં સાહિત્યમાં ઓછા ખેડાયેલા આ વિષય તરફ આપણું ધ્યાન દોરે છે.

લૂસીલ ક્લિફ્ટન. અમેરિકન અશ્વેત કવયિત્રી. બાળપણનું નામ થેલ્મા લૂસીલ સેઇલ્સ. ન્યૂયૉર્ક ખાતે ૨૭-૦૬-૧૯૩૬ના રોજ જન્મ. પિતા લોખંડની મિલમાં મજૂર હતા, મા ધોબણ હતી અને કવિતા પણ લખતી. ઓછું ભણ્યા હોવા છતાં મા-બાપે બાળકોને ઢગલાબંધ પુસ્તકો મળતા રહે એનું ધ્યાન રાખ્યું હતું. એમનાં એક પૂર્વજ અમેરિકામાં ગુલામીના સમયે માનવહત્યાના આરોપસર ફાંસી પામનાર પ્રથમ હબસી મહિલા હતાં. બંને હાથમાં છ-છ આંગળી હતી પણ અંધશ્રદ્ધાના કારણે બાળપણમાં જ એ કપાવી નંખાઈ હતી. આ બે આંગળીઓ એમના સર્જનમાં અવારનવાર ડોકાતી રહી. સ્કોલરશીપ મેળવીને ડ્રામા ભણવા તો ગયાં પણ ઓછા માર્ક્સ આવવાના કારણે હાવર્ડ યુનિવર્સિટી છોડવી પડી. પછી બીજી કોલેજમાં ભણ્યાં. શરૂમાં ક્લર્ક તરીકે, બાદમાં સાહિત્ય-સહાયક તરીકે અને અંતે સાહિત્યના પ્રોફેસર તરીકે નોકરી કરી. લગભગ છ વરસ સુધી મેરીલેન્ડના રાજકવિ રહ્યાં. ૧૯૫૮માં ફ્રેડ જેમ્સ ક્લિફ્ટન સાથે લગ્ન. છ બાળકો. ૧૯૮૪માં ફ્રેડનું નિધન. ૧૩-૦૨-૨૦૧૦ના રોજ ૭૩ વર્ષની વયે દુનિયાને અલવિદા. એમના અવસાન પર ન્યૂયૉર્કરે લખ્યું હતું: ‘એ વાત અલગ છે કે ક્લિફ્ટન સાચે જ બિલાડીની નવ જિંદગી જીવી ગયાં-કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેન્સરના અલગ-અલગ અંગો પરના વારંવારના હુમલાઓ-તોય એમના અવસાને આપણને આઘાત પહોંચાડ્યો છે કેમકે એમના જેટલા ચહીતા અને બહોળા પ્રભાવવાળા બીજા અમેરિકન કવિ આજે કોઈ નથી.’ (બિલાડીની નવ જિંદગી એ વિદેશોમાં સદીઓથી પ્રવર્તતી વાયકા છે. શેક્સપિઅરે રોમિયો-જુલિયેટમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે.)

આફ્રિકન-અમેરિકન સાંસ્કૃતિક વારસો અને નારીવાદ એમના બહોળા સર્જનનો પ્રધાન સૂર રહ્યો. એવરેટ એન્ડરસન નામના હબસી છોકરાના કાલ્પનિક પાત્રને કેન્દ્રમાં રાખીને ઘણું બધું બાળસાહિત્ય સર્જ્યું. એમની કવિતાઓ રોજબરોજના સમાજનો, સામાન્ય માનવજીવનનો સીધો આયનો છે. એમના સર્જનમાં બાળપણ, બાળકોના મનોભાવો અવારનવાર નજરે ચડે છે. દુઃસાધ્યતા બાજુએ રાખીને એ સરળ ભાષામાં લાઘવ સાથે પોતાની ભાવોર્મિ એ રીતે રજૂ કરે છે કે ભાવકને તરત જ સ્પર્શી જાય. કપરા સંજોગોમાં પણ ટકી રહેવાની તાકાત અને ધૈર્ય એ એમની રચનાઓનો લઘુત્તમ સામાન્ય અવયવ છે. અમેરિકન હબસી હોવાના નાતે એક માનવતાવાદી અભિગમ એમના સર્જન સાથે સદા સંકળાયેલો રહ્યો. એ કહેતાં, ‘લેખન એક રસ્તો છે આશા ટકાવી રાખવા માટેનો… કદાચ એ મારા માટે એ યાદ રાખવાનો રસ્તો છે કે હું એકલી નથી.’
કવિતાનું શીર્ષક ‘ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા’ જરૂર કરતાં વધારે બોલે છે. સામાન્યરીતે કવિતા દેખાડે ઓછું અને છુપાવે વધુ, પણ અહીં શીર્ષકની બાબતમાં કિસ્સો ઊલટો છે. એક તો કવિ જાતે જ કહી દે છે કે આ કવિતા છે, બીજું એ ઋતુસ્ત્રાવ વિશે છે અને ત્રીજું એ ઋતુસ્ત્રાવનું પ્રશસ્તિકાવ્ય છે. પ્રશ્ન થાય કે કવિએ શું આટલા મુખર થવાની જરૂર હતી ખરી? પણ વિચારતાં જ સમજાય કે કવયિત્રીએ જે વિષય અહીં હાથમાં લીધો છે એ હજારો વર્ષોથી આખી દુનિયાને સાફ દેખાતો હોવા છતાં હજારો વર્ષોથી છુપાવવામાં આવી રહેલો વિષય છે ને એટલે જ લૂસીલ આ અસ્પૃશ્ય વિષયમાં પ્રવેશતાં પહેલાં જ ભાવકને ચેતવી દે છે: Enter at your own risk! ‘મેન્સ્ટ્રુએશન’ (Menstruation)શબ્દ લેટિન menstruus અર્થાત્ માસિક (લેટિન mensis=મહિનો) પરથી ઊતરી આવ્યો છે. જૂની અંગ્રેજીમાં આ માટે monaðblot અર્થાત્ month-blood શબ્દ હતો. માસિક સામાન્યતઃ પાંચ દિવસ ચાલે એમ આ કવિતા પાંચ અંતરામાં વહેંચાયેલી છે. કવયિત્રીએ છંદ પકડી રાખવાની મમત સેવી નથી પણ રચના આયંબિક ટેટ્રામીટરની નજીક-નજીક પહોંચે છે. વિભાવના મુક્ત કાવ્યની હોવાથી પ્રાસની કેદ પણ એમણે સ્વીકારી નથી. આ ઉપરાંત લગભગ દરેક અંતરો ‘જો ત્યાં એક નદી હોય’થી શરૂ થાય છે અને પહેલા અંતરાના અંતમાં બીજા અંતરાની શરૂમાં આવતી આ ધ્રુવકડીનો પહેલો શબ્દ અંતર રાખીને જોડાઈ જાય છે, અને ત્યારબાદ દરેક અંતરામાં આ જોડાણમાં ધ્રુવકડીનો એક-એક શબ્દ જગ્યા રાખીને ઊમેરાતો જાય છે. લૂસીલ આ રીતે પાંચેય અંતરાઓને સળંગસૂત્રે બાંધે છે અને દરેક તબક્કે આ બંધન બળવત્તર બનાવતાં જાય છે. પાંચમા અંતરામાં આ ધ્રુવકડીમાં વચ્ચે બ્રહ્માંડ પ્રવેશે છે અને કવિતાને સર્વલક્ષી બનાવે છે.

સંસારમાં પહેલી સ્ત્રી પુખ્ત થઈ હશે એ દિવસથી માસિકસ્ત્રાવ (Menstruation)ની શરૂઆત થઈ હશે. ઋતુસ્ત્રાવ એ સ્ત્રીના ગર્ભધારણ માટેની અગત્યની દેહધાર્મિક ક્રિયા છે. હૉર્મોન્સના કારણે ગર્ભાશયની દીવાલો જાડી થાય છે અને બીજું માસિક આવવાનું હોય એના લગભગ ચૌદ દિવસ પહેલાં અંડાશયમાં તૈયાર થયેલ અંડકોષ અંડવાહિનીમાં થઈને ગર્ભાશયમાં આવે છે. ગર્ભાશયની જાડી થયેલી દીવાલો અંડકોષને રહેઠાણ અને પોષણ બંને પૂરાં પાડે છે. આ સમયે જો સ્ત્રીની યોનિમાર્ગેથી પુરુષના શુક્રાણુઓ ગર્ભાશયમાં પ્રવેશે અને લાખો શુક્રકોષમાંથી કોઈ એક નસીબદાર શુક્રકોષ અંડકોષની દીવાલ ચીરીને ભીતર પ્રવેશવામાં સફળ થઈ જાય તો ફલીકરણ થાય છે અને ગર્ભની સ્થાપના થાય છે. ગર્ભાશયની જાડી દીવાલમાંથી ગર્ભને શરૂનું પોષણ મળી રહે છે. શુક્રકોષ વડે અંડકોષનું ફલીકરણ ન થાય એ સંજોગોમાં ચૌદમા દિવસે દીવાલની જાડાઈમાં થયેલી આ વૃદ્ધિ છૂટી પડી જઈને માસિકસ્ત્રાવસ્વરૂપે શરીરની બહાર નીકળી જાય છે, જેથી અંતઃસ્ત્રાવો ગર્ભાશયની દીવાલોને ફરી એકવાર ગર્ભધારણ માટે અનુકૂળ બનાવવાની પ્રક્રિયા પુનર્રારંભ કરી શકે. ટૂંકમાં, માસિક એ ગર્ભધારણ ન થયું હોય એ સંજોગોમાં ગર્ભાશયને સાફ કરવાની દેહધાર્મિક ક્રિયા છે. આ ચક્ર સામાન્યતઃ ચાર અઠવાડિયાનું અથવા થોડું લાબું-ટૂકું હોય છે.

આજે એકવીસમી સદીમાં પણ આપણા દેશમાં ‘પેડમેન’ જેવી માસિકધર્મને લગતી ફિલ્મ બનાવવી પડે છે એ હકીકત જ એ વાતની સાબિતી છે કે હજી આ દેશના લોકોને માસિકધર્મ વિશે પૂરતી જાણકારીનો અભાવ છે. અને આજે આ હાલત હોય તો જૂના જમાનામાં તો કેવી હાલત હશે? હજારો વર્ષો સુધી માસિકમાં આવતી સ્ત્રીઓને જાત-જાતના લેબલ લગાવીને જોવામાં આવી. મોટાભાગના દેશોમાં ઇતિહાસકારો પુરુષો જ હોવાથી માસિક વિશેની પુરાતન માન્યતાઓની માહિતી ઓછી જ મળે છે. ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં આ ઋતુસ્ત્રાવના લોહીને કેટલીક દવાઓમાં પણ વાપરવામાં આવતું. માસિકમાં જાદુઈ શક્તિ હોવાનું મનાતું અને તેઓ આ શક્તિ મેળવવા માટે આ લોહી પીતાં પણ ખરાં. ગ્રીકલોકો આ લોહી દારૂમાં ભેળવીને જમીન પર છાંટતા જેથી જમીન વધુ ફળદ્રુપ બને. આફ્રિકન સ્ત્રીઓ માનતી કે આ લોહી કોફીમાં ભેળવવાથી પુરુષને વશ કરી શકાય છે. હિપોક્રેટ્સના ગ્રંથમાં ઓછું કે વધુ માસિક આવવાને બિમારી તરીકે નિર્દેશાયું છે. એરિસ્ટોટલના લખાણ પરથી સમજી શકાય છે કે પહેલાંના સમયમાં રજોનિવૃત્તિ નાની ઉમરે -૪૦ની આસપાસ-થતી હોવી જોઈએ. પહેલી સદીમાં રોમન લેખક પ્લાઇની ધ એલ્ડરે લખ્યું છે કે માસિકમાં હોય એવી નગ્ન સ્ત્રી કરાવૃષ્ટિ અને વીજળીને અટકાવી શકે છે અને પાકને નાશ કરતાં જંતુઓને ડરાવી ભગાડી શકે છે. ઈસ્લામમાં પણ નિયમોની ભરમાર છે અને આ સમય દરમિયાન સ્ત્રીઓને પ્રાર્થના કરવાની મનાઈ છે અને કરે તો એ ગણતરીમાં નથી લેવાતી. સિગ્મંડ ફ્રોઇડે તો રક્તસ્ત્રાવ ‘શિશ્ન-ઈર્ષ્યા’માંથી જન્મે છે એવું વિધાન કર્યું હતું. બાઇબલકાળમાં યહૂદીઓ અને વિશ્વમાં બીજા ઘણા સમાજમાં આ સાત દિવસ સુધી સ્ત્રીઓને સમાજથી દૂર એકલી રહેવાની ફરજ પાડતા. આપણે ત્યાં તો હજી પણ સમાજ એટલો પછાત અને ધર્મ એટલો બિમાર છે કે આજની તારીખે પણ મોટાભાગની સ્ત્રીઓને આ દિવસોમાં અસ્પૃશ્ય ગણવામાં આવે છે, એમને રસોઈ કરવાનો કે ઘરમાં કશાંને અડવાનો અધિકાર નથી, દેવસ્થાનોમાં જવાનો તો વિચાર જ અસ્થાને છે.

જો કે એ માહિતી ભાગ્યે જ મળે છે કે સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન સેનિટરી પેડ તરીકે શું વાપરતી હતી? ઇજિપ્શ્યન સ્ત્રીઓ જેમાંથી કાગળ બનાવાતો એ પેપાયરસ નામની જળવનસ્પતિનો તો ગ્રીકસ્ત્રીઓ ઊનનો પેડ તરીકે પ્રયોગ કરતી હતી. હિપોક્રેટ્સ લાકડાના ટુકડા સાથે શણ લગાવીને વાપરવાની સલાહ આપતા. મધ્યયુગીન યુરોપમાં પણ સ્ત્રીઓ ક્યાં તો કપડાંના લબાચા વાપરતી અથવા રક્તસ્ત્રાવ કપડાંમાં થવા દેતી હતી. માસિકસ્ત્રાવ કપડાંમાં જ થવા દેવાની પ્રથા તો હજારેક વર્ષ ચાલી. દુઃખદાયક તંગ માસિક માટેના પટ્ટાઓ પણ ચલણમાં આવ્યા હતા. છેક ૧૮૮૮માં જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડિસ્પોઝેબલ સેનિટરી પેડ –લિસ્ટર’સ ટૉવેલ્સ- અને ૧૯૩૩માં ડૉ હાસે ટેમ્પૂન બજારમાં મૂક્યા. ખરી ક્રાંતિ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ નર્સોએ ઘા પર લગાડવામાં આવતા સેલ્યુલૉઝ બેન્ડેજીસ વાપરવા શરૂ કર્યા ત્યારે થઈ. આપણા દેશમાં તો આજે પણ ઘણીખરી સ્ત્રીઓ સેનિટરી નેપકીન વાપરતી જ નથી અને ટેમ્પૂન વિશે તો ઘણી શિક્ષિત સ્ત્રીઓને પણ જાણકારી નથી.

કવિતા તરફ ફરી વળીએ. લૂસીલ કવિતાની શરૂઆત ‘જો’થી કરે છે. આ ‘જો’નો સીધો મતલબ એ જ થાય કે જે વાત માસિક વિશે અહીં કરવામાં આવી છે, એ અનન્ય છે; સંસારમાં એની કોઈ જોડ જડે એમ નથી. માસિક દરમિયાન થતા રક્તસ્ત્રાવને એ નદી સાથે, માફ કરજો, સુંદર નદી સાથે સરખાવે છે. અને આવી સુંદર નદી બીજે ક્યાંય જોવાય નહીં મળે એની પ્રતીતિ ‘જો’ મૂકીને કરાવે છે. નદી વહેણની સાથોસાથ ફળદ્રુપતા પણ ઈંગિત કરે છે. માસિકનો પ્રવાહ પણ ગર્ભધારણ માટેની પૂર્વતૈયારી જ તો છે. નદીનો ઉલ્લેખ જૉર્ડન નદીની યાદ પણ અપાવે છે. હિબ્રૂ બાઇબલમાં જૉર્ડન નદીને ફળદ્રુપતા સાથે સાંકળવામાં આવી છે. આ નદી બાપ્ટિઝમ અને પુનર્જન્મ સાથે પણ સંકળાયેલી છે. આ નદી લોહીની બની છે અને આ નદી સુંદર છે, બહાદુર છે, વફાદાર છે; બિલકુલ એ રીતે જે રીતે ઈસુનું લોહી ખ્રિસ્તીઓ માટે. ચંદ્રના ઉલ્લેખ પરથી યાદ આવે કે માસિકને પરાપૂર્વથી ચંદ્રના માસિકચક્ર સાથે સાંકળવામાં આવ્યું છે. લેટિનમાં mene એટલે ચંદ્ર (moon). મેન્સ્ટ્રુએશન શબ્દના ઉદભવમાં આ રીતે ચંદ્રનો પણ હાથ હોવાનું મનાય છે. સોળમી સદીમાં મિઝોઅમેરિકન માયા સંસ્કૃતિમાં માસિક એ ચંદ્રદેવીએ સૂર્યદેવ સાથેના શયન બાદ કરેલા નિયમભંગના કારણે સ્ત્રીઓને કરવામાં આવેલી સજા છે.

નદી એક સ્થળ છોડીને આગળ નીકળી જાય પછી ત્યાં ફરી આવતી નથી. માસિકની નદીથી વધુ વફાદાર નદી બીજી કઈ હશે જે દર મહિને એના એ જ મુખત્રિકોણ પર પરત ફરતી રહે છે? માસિક આવવનું હોય ત્યારે અને/અથવા ચાલુ હોય ત્યારે મોટાભાગની સ્ત્રીઓ ઓછાથી અસહ્ય દુઃખાવામાંથી પસાર થતી હોય છે, પણ સ્ત્રીઓ આ દર્દને ચુપચાપ સહેતી રહે છે. માસિકને કવયિત્રી ઈવની સૌથી પુરાતન પુત્રી તરીકે સંબોધે છે. કેઇન અને એબલ આદમ-ઈવના પ્રથમ બે સંતાન હતા. ઈવ સંસારની પ્રથમ માતા છે. માસિકનો દુઃખાવો અને ઈવનો સંદર્ભ ઇતિહાસનું એ પાનું તાજું કરે છે જ્યારે ચર્ચ માસિકનો દુઃખાવો ઓછો કરવા માટેની કોઈપણ જાતની સારવાર કરવા દેવાની મનાઈ ફરમાવતા કેમકે તેઓ માનતા કે ઈશ્વર દેખીતી રીતે ઇચ્છે છે કે દુઃખની દરેક આંચકી ઈવના મૂળ પાપની યાદ કરાવે. આમ, જે તકલીફોમાંથી પોતે કદી પસાર થવાનું જ નથી એ તકલીફો સમજવાના બદલે, સહાનુભૂતિ બતાવવાના બદલે પુરુષપ્રધાન સમાજે વરસોવરસ ન માત્ર સ્ત્રીઓનો જ વાંક કાઢ્યો, એમને દર્દ સહન કરવાની ફરજ પણ પાડી.

અંતે કવિતા સર્વલક્ષી બને છે. લૂસીલ કહે છે કે આખા બ્રહ્માંડમાં ક્યાંય આવી નદી હોય તો દેખાડો. માસિકના લાલ પાણીથી વધુ તાકતવર અને જંગલી પાણી બીજે ક્યાંય નથી કેમકે આ પાણી સૃષ્ટિના મૂળમાં છે. કવયિત્રી પ્રાર્થે છે કે આ પાણી સંસારના દરેક પ્રાણીઓમાં થઈને વહે. આ પાણી સુંદર છે અને વફાદાર છે અને પુરાતન છે અને સ્ત્રી છે અને બહાદુર છે. કવિતામાં ક્યાંય કવયિત્રીએ નથી કેપિટલ લેટર્સ વાપર્યા કે નથી એક પણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યા, જેના લીધે કવિતાની ગતિ નદીની જેમ બિલકુલ અટક્યા વિના સતત વહેતી અનુભવાય છે, નદી જે એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે અને એક માદા સજીવને બીજા માદા સજીવો સાથે અને એ રીતે આખી સૃષ્ટિને સાંકળી લે છે. કવિતા માસિક વિશેના આપણી સૂગ અને માન્યતાઓને ફગાવી દઈને ખુલ્લા હાથે એના ગર્વ અને મહત્ત્વને વધાવી લેવાનું ઈજન આપે છે. આ કવિતા આપણને સ્ત્રીઓની ફળદ્રુપતા અને સંસારચક્રને આગળ વધારવાની અનન્ય ક્ષમતાનો સ્વીકાર કરવાનું શીખવે છે. પ્રથમ પંક્તિનું દરેક અંતરાના પ્રારંભે કરાતું પુનરાવર્તન માસિકની કવિતાને માસિકસ્વીકારની પ્રાર્થનાની કક્ષાએ લઈ જાય છે, જે અંતે શબ્દશઃ પ્રાર્થનામાં પરિણમે પણ છે.

લૂસીલની આ કવિતા ‘નો નોનસેન્સ’ કવિતા છે. જે વસ્તુ તરફ હજારો વર્ષોથી પુરુષ ઇતિહાસકારોએ, પુરુષ સાહિત્યકારોએ, પુરુષ ધર્મનેતાઓએ આંખ આડા કાન જ કર્યે રાખ્યા, અસ્તિત્વ જ ન હોય એમ જેના પ્રતિ સતત દુર્લક્ષ જ સેવ્યે રાખ્યું; એ પવિત્રતાથીય પવિત્ર, ખુદ કુદરતની દેન અને સૃષ્ટિચક્રની સૌથી અગત્યની ધરી એવા ઋતુસ્ત્રાવનો મહિમાગાન લૂસીલ અહીં કરે છે કેમકે એ જાણે છે કે, ‘એ કવિ છે, એની પાસે કોઈ અર્થહીનતા નથી.’

કહેવું છે – સંજુ વાળા

મૂળ સાથે જ વળગી રે’વું છે
માટીનું માત્ર એવું કહેવું છે ?

બાપ – દાદાનું માથે દેવું છે
અન્યથા કયાં કશુંય લેવું છે ?

કોઈ દશ-વીસમાં જતા થાકી
કોઈની દોટ એંશી – નેવું છે

રાત તરબોળ સ્વપ્ન લઇ આવે
આંખને રોજ મેળા જેવું છે

શોધ વરસાદની કરે છે જે
એ નદીબાઈને ય વહેવું છે

ફકત ઈચ્છા જ ચણ-ચરક એનાં
મન અલૌકિક કપોત જેવું છે

સ્વાદ ચાખ્યો જ ક્યા છે પીડાનો
તું શુ જાણે ભલા શું સહેવું છે ?

( કવિતા : દ્વિમાસિક જૂલાઈ – સપ્ટે. – 2017)

મુજ અબળાને મોટી મિરાત – મીરાંબાઈ

સ્વર ઃ પૌરવી દેસાઇ
સ્વરાંકન ઃ નિનુ મઝુમદાર

.

મુજ અબળાને મોટી મિરાત, બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે…
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે;
ચિત્તમાળા ચતુરભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે ? … મુજ

ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;
વીછુવા ઘૂઘરા રામનારાયણના, અણવટ અંતરજામી રે… મુજ

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે;
કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે…મુજ.

સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
(બાઈ) મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે…મુજ.

– મીરાંબાઈ

ઠારી દે તું દીપ નયનના -રેઈનર મારિયા રિલ્કે

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ
અનુવાદ્ઃ હરીન્દ્ર દવે

.

ઠારી દે તું દીપ નયનના
તવ દર્શનને કાજ
મને એ કાચ નથી કઈ ખપના.

કર્ણપટલ તોડી દે તોપણ
રહું સાંભળી સૂર;
ચરણ વિના પણ નહિ લાગે
તવ ધામ મને બહુ દૂર.
છીનવી લે વાચા તદપિ
સ્વર વહેશે મુક્ત સ્તવનના.

બાહુ વિના પણ હ્રદય-બાહુથી
આલિંગન રહું આપી,
હ્રદય પડે પરવશ, તો મન
ધબકાર દિયે આલાપી;
મન પે આગ લગાડો તોપણ
વહું વહેણે નસનસનાં.
-રેઈનર મારિયા રિલ્કે (અનુવાદઃહરીન્દ્ર દવે)

ગ્લૉબલ કવિતા : ૭૫ : પ્રિય મલિસા: – ટીસી ટોલ્બર્ટ

Dear Melissa:

I wish you (my mother once told me—mother of my child-
hood—even though water is water-weary—what is prayer if not quiet
who has made me—what hands you become when you touch—
who laid down on whose body—whose face and whose shoulders

worth shaking—what will I not hear when I look back
at you—who is not the mother of a daughter—who is not
the mother of a man—we are right to be afraid of our bodies—wind
is carried by what is upright and still moves what has) had

(been buried deep enough in the ground to be called roots—
when will this be the world where you stop—whatever broke
into you was torn by the contact—a face wears a face it can see—
what is alive is unrecognizable—need it be—who is my mother,

mother—no one—who hasn’t killed herself by
growing into someone—I’m sorry you have) never been born.

– TC Tolbert


પ્રિય મલિસા:
હું ઇચ્છું છું (મારી માએ મને એકવાર કહ્યું હતું—મા મારા બાળ-
પણની—ભલેને પાણી હોય પાણી-થાક્યું —શું છે પ્રાર્થના જો નથી શાંત
જે એણે મને બનાવી છે—કયા હાથ બનો છો તમે જ્યારે તમે સ્પર્શો છો—
કોણે મૂક્યા કોના શરીર પર—કોનો ચહેરો અને કોના ખભા

હલાવવા લાયક છે—હું શું નહીં સાંભળું જ્યારે હું ફરીને જોઈશ
તારા તરફ—જે મા નથી એક દીકરીની—જે મા નથી
એક પુરુષની—આપણે સાચા છીએ આપણા શરીરથી ડરવામાં—પવન
દોરવાય છે જે સીધું ઊભુ છે એનાથી અને તોય હલાવે છે જે) કે તું

(જમીનમાં એટલે ઊંડે દટાયું છે કે મૂળ કહી શકાય—
ક્યારે આ એ દુનિયા બનશે જ્યાં તમે અટકી શકો—જે કંઈ તૂટ્યું છે
તમારી અંદર એ ચીરાઈ ગયું છે સંપર્કથી—ચહેરો પહેરે છે ચહેરો જેને એ જોઈ શકે—
જે જીવંત છે એ ઓળખી શકાય એમ નથી—એમ જ હોવું ઘટે—કોણ છે મારી મા,

મા—કોઈ નહીં—કોણે પોતાની જાતને મારી નથી નાંખી
બીજા કોઈમાં વિકસીને—હું દિલગીર છું કે તું) કદી જન્મી જ ન હોત.

– ટીસી ટોલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)


કૌંસ બહાર આવું-આવું કરતી (ટ્રાન્સજેન્ડર) બાળક/કીની સંવેદના

વાંદરી અને એના બચ્ચાની વાર્તા જાણીતી છે. હંમેશ મુજબની ચડસાચડસીમાં બિરબલે અકબરને કહ્યું કે પ્રાણીમાત્ર માટે પોતાની જાતથી વધીને બીજું કશું હોઈ શકે જ નહીં અને મા પણ આમાં અપવાદ નથી. અકબરને ખાતરી કરાવવા માટે એક હોજમાં બિરબલે એક વાંદરી અને એના નવજાત બચ્ચાને મૂકીને પાણી ભરાવવાનું શરૂ કર્યું. જેમ જેમ પાણી વધતું ગયું એમ એમ વાંદરી બચ્ચાને પહેલાં કેડ પર, પછી ખભા પર અને છેવટે માથા પર મૂકીને બચાવવા મથી પણ જ્યારે પાણી એના નાક સુધી પહોંચી ગયું ત્યારે જીવ બચાવવા વાંદરી બચ્ચાને ફેંકી દઈને બહાર કૂદી જાય છે. આવી જ એક ઘટનામાંથી પસાર થયા બાદ વાલિયો લૂંટારો પણ વાલ્મિકી બન્યો હતો. પારાવાર તકલીફોમાંથી પસાર થનાર મા-બાપ ક્યારેક પોતાના સંતાનોને કોસતા પણ હોય છે. આપણે ભલે ‘મા તે મા, બીજા વગડાના વા’ કેમ કહેતાં ન હોઈએ પણ જીવનમાં સમસ્યાઓના અડાબીડ કળણમાં ખૂંપી ગયેલી મા ક્યારેક પોતાના સંતાનને એમ કહી બેસે છે, કે આના કરતાં તો તને જન્મ જ ન આપ્યો હોત તો સારું હતું કે આના કરતાં તો મારા પેટે પાણો પાક્યો હોત તો સારું થાત. ટીસી ટૉલ્બર્ટ ‘પ્રિય મલિસા’ કવિતામાં આવી જ વાત લઈને આવ્યા છે.

ટીસી ટૉલ્બર્ટ. એને તમે સ્ત્રી ગણશો કે પુરુષ? કે પુરુષના શરીરમાં વસતી સ્ત્રી? એ પોતાની વેબસાઇટ ઉપર પોતાને ટ્રાન્સજેન્ડર અને જેન્ડરક્વિઅર નારીવાદી, સહયોગી, નર્તક અને કવિ તરીકે ઓળખાવે છે. ટ્રાન્સ અને જેન્ડરક્વિઅર કવિ અને કાવ્યશાસ્ત્રના એ એક અગ્રણી નેતા છે. પોતાની અ-જાતીયતા કે દ્વિ-જાતીયતાનો જાહેર સ્વીકાર કરી એ પોતાની જાતને S/he કહીને સંબોધે છે. એમણે કવિતામાં માસ્ટર ઑફ ફાઇન આર્ટ્સની પદવી મેળવી છે અને ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષક/શિક્ષિકા છે. હાલમાં એ ટક્સન, અરિઝોનાના રાજકવિનું બહુમાન ધરાવે છે. આ ઉપરાંત તેઓ ઇમરજન્સી મેડિકલ ટેક્નિશ્યન(EMT)નું રાષ્ટ્રકક્ષાનું સર્ટિફીકેટ ધરાવે છે. અવિકસિત અને નિર્જન જગ્યાઓ પર તમને સાહસયાત્રા પર લઈ જવાનું કામ પણ એ કરે છે. સામાજિક ચેતનાના નાનાવિધ અભિયાનો સાથે એ સંકળાયેલા છે. એ એટલી બધી સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લે છે કે એ બધાના નામ જ લખવા બેસીએ તો પાનાંના પાનાં ભરાઈ જાય. આમાનું મોટાભાગનું આપણા માટે તો પરગ્રહની વાત જેવું જ લાગે એમ છે, પણ આ માણસ આ જિંદગી જીવે છે અને એ પોતાની જાતને મનુષ્યના પ્રેમમાં માનવીય કૃત્યો કરનાર એક માનવીથી વિશેષ ગણતો નથી.

એમના મુખ્ય પુસ્તક ‘ગેફાઇરોમેનિયા’ (પુલો માટેનું ઝનૂન)માં એ સ્ત્રી અને પુરુષ, પ્રેમી અને જાત, કે નુકશાન અને રાહતની વચ્ચે પસંદગી કરવાના બદલે જે જગ્યાએ આ દોરાહાઓ ભેગા થાય છે એ જગ્યાઓ પર સ્વેચ્છાએ રહેવાનું પસંદ કરે છે. ટૉલ્બર્ટ સામાન્યલિંગીપ્રજા અને વિપરીતલિંગીઓ વચ્ચે પુલ બનાવવાનું કામ કરે છે, જે વાત એમના આ સંગ્રહમાં નજરે ચડે છે. એમની રચનાઓ ખૂબ જ વ્યક્તિગત લાગે છે, વ્યક્તિની લાગે છે અને એ છતાં એ કબૂલાતનામું બનતી નથી. એક પાત્રમાંથી બીજા પાત્રમાં પાણી ઢોળાતું રહે એમ એમનું કથન એક વાક્યમાંથી બીજામાં અને એક સંદર્ભમાંથી બીજામાં સતત રેલાયા કરતું હોવાથી અપાર વિસંગતિની વચ્ચે પણ અપાર સંવાદિતાની અનુભૂતિ થયા વિના રહેતી નથી. એમની કવિતા સતત ટુકડાઓમાં વિયોજિત થતી અને સમાંતરે જ પુનર્ગઠિત થતી અનુભવાય છે. જેમ એમની કાયા કોઈ એક લિંગમાં રહેવા તૈયાર નથી એમ જ એમની કવિતા પણ વર્ષોથી ચાલ્યા આવતા કવિતાના નિર્ધારિત લિંગી શરીરમાં રહેવા તૈયાર નથી. એટલે જ ટૉલ્બર્ટનો અવાજ અન્ય કવિઓથી સાવ અલગ ઊઠતો સંભળાય છે. એ કહે છે, ‘ઘણા લાંબા સમયથી મને કવિતા કેવું સ્વરૂપ લે છે એમાં એના વિષયવસ્તુ કરતાં વધુ રસ પડે છે. મને સ્વરૂપમાં વધુ રસ છે કેમકે વિષ્યવસ્તુ તો હું પોતે જ છું. હું પાનાંને શરીર તરીકે જોઉં છું અને મેં આ શરીરને કેવી રીતે વાપર્યું, અથવા એણે મને કેવી રીતે વાપર્યો/વાપરી, પ્રયોગ માટે, મૌન, આકાર, સંગીત, આનંદ, દૃશ્ય વિ. એમાં મને રસ પડે છે. મારો પ્રશ્ન હંમેશા આ જ રહ્યો છે: શરીરને કેવી રીતે કવિતામાં લઈ જવું, મારા શરીરને શી રીતે પાનાં પર શોધવું.’

કળા સમાજના કોઈ એક વર્ગ પૂરતી સીમિત નથી. મનુષ્યમાત્રને કળા સાથે અવિનાભાવી સંબંધ છે. સમાજનો કચડાયેલો વર્ગ પણ પોતાની રીતે કળાસાધના કરે જ છે. જેમ આપણી ભાષામાં દલિત વર્ગ ખાસ પ્રકારની દલિત કવિતાઓ રચે છે, એમ વિશ્વના દરેક દેશોમાં દરેક વર્ગના મનુષ્યો પોતાના સમાજ-વર્ગને રજૂ કરતી કવિતાઓ લખતા હોય છે. જે લોકો અ-જાતીય કે દ્વિ-જાતીય છે, એ લોકો પણ પોતાના સમાજને રજૂ કરતી રચનાઓ કરતા હોય છે. આ ટ્રાન્સજેન્ડર લોકો એટલે એવા લોકો જે પોતાની જન્મજાત જાતીયતાથી વિપરીત જીવે છે. લિંગપરિવર્તન કરાવનાર લોકો ટ્રાન્સસેક્સ્યુઅલ કહેવાય છે. ૧૯૬૫માં મનોચિકિત્સક જોન ઑલિવને ટ્રાન્સજેન્ડર શબ્દ પહેલવહેલીવાર વાપર્યો, આ શબ્દ જન્મજાત ખોટું લિંગ ધરાવનારાઓ, લિંગપરિવર્તન કરાવનારાઓ, વિપરીતલિંગી જીવન જીવનારાઓ તથા વિપરીતલિંગી વસ્ત્રધારીઓ- આ બધાને સમાવી લે છે. ૧૯૮૪માં ટ્રાન્સજેન્ડર સમાજની સ્થાપના થઈ અને ૧૯૯૨માં આ લોકો માટેના કાયદાઓ બનાવવા માટે પહેલું આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું. ટૉલ્બર્ટે સંપાદિત કરેલા ‘ટ્રબલિંગ ધ લાઇન’ સંગ્રહમાં આવા એક-બે નહીં, ૫૫ કવિઓની રચનાઓ સમાવાઈ છે. આ સંગ્રહમાં જેન (જય) બેઝેમર લખે છે: તમે પુરુષ છો કે સ્ત્રી? તમે દરવાજો છો કે બારી? ક્યારેક ક્યારેક હું ઘૃણાસ્પદ અથવા વિપરીત દેખાઉં છું જેથી પોતાને ખોટી રીતે વર્ગીકૃત થવાથી બચાવી શકું. હું શું છું એ હું શી રીતે કામ કરું છું અને શું બનાવું છું એ જ છે.’

– આ વર્તમાનનો અવાજ છે. ત્રીજા લિંગના મનુષ્યો હંમેશા સામાજિક ઉપેક્ષા અને તિરસ્કારના શિકાર થતા આવ્યા છે. હીજડા, કિન્નર કે વ્યંઢળ કહીને આપણે કદી એમને આપણી અડખેપડખે બેસવા દીધા નથી. પાશ્ચાત્ય દેશોમાં તો આવા લોકોની સ્વીકૃતિ અને સમાનાધિકારની વાત લગભગ સર્વસ્વીકૃત બની ચૂકી છે પણ આપણે ત્યાં આવા લોકોને હજીપણ સામાજિક માન્યતા મળી નથી, અને નજીકના ભવિષ્યમાં મળે એવું દેખાતું પણ નથી. સર્જનહારની ભૂલ આ લોકો માટે જનમકેદની પીડા બની રહે છે. એક લિંગના શરીરમાં ભૂલથી કેદ થઈ ગયેલો બીજા લિંગનો આત્મા આજીવન તરફડતો રહે છે. રાઇસ નામનો/ની એક સર્જક લખે છે: ‘જિંદગીના પહેલા ત્રીસ વર્ષ હું લેખનની મદદથી જ મારા શરીરથી ભાગી છૂટતો/તી હતો/તી, કેમકે મારી જાણ મુજબની આ એકમાત્ર સૌથી જાણીતી અને જીવવાલાયક જગ્યા હતી.’

‘પ્રિય મલિસા’ કવિતા વિપરીતલિંગી કવિની કવિતા છે. આ કવિતા માટે કવિ કહે છે: ‘મલિસા એ યુવતીનું નામ છે જે હું ક્યારેક હતો/તી, અને જ્યારે હું એ હતો/તી, મારી મમ્મી, ગાંઠમાં પૈસા ન હોવા છતાં છોકરાંઓને ઉછેરવાના આવતાં, હતાશા અને ગુસ્સાના આવેશમાં ક્યારેક ચિલ્લાતી, ‘મને થાય છે કે તું કદી જન્મી જ ન હોત.’ આ કવિતા એ જ ભાષાને ઊઘાડવાની કોશિશ છે જેથી સામેલ તમામ કોઈક નવું બની શકે.’ આજ શીર્ષકથી એમણે એક બીજી કવિતા પણ લખી છે, જેના વિશે એ કહે છે: ‘…અને જેમ એ સાચું છે કે એ (મલિસા) કદી મને છોડી ગઈ નથી, હું ઘણીવાર વિચારું છું કે શું મે એને છોડી દીધી છે? આ કવિતા એક રીતે એમ કહે છે, ‘આભાર, મલિસા, એ શરીર બનવા માટે જેમાં મારું મૃત્યુ મરી શકે છે.’

આમ જોઈએ તો આખી કવિતામાં શીર્ષકથી લઈને અંત સુધી એક નાનકડું વાક્ય જ છે: પ્રિય મલિસા, હું ઇચ્છું છું કે તું કદી જન્મી જ ન હોત. બસ! કવિતાનું શીર્ષક કવિતાનો જ એક ભાગ પણ છે શીર્ષકથી જ કવિતાની શરૂઆત થાય છે. પણ આ એક વાક્યની વચ્ચે-વચ્ચે બે વાર કૌંસની વચ્ચે જે સ્વગતોક્તિ આવે છે, એ આખી કવિતાને શીર્ષકને બાદ કરતાં ચૌદ પંક્તિઓ અને ચાર અંતરામાં વહેંચી દે છે. રચનાસ્વરૂપ પર ધ્યાન આપીએ તો આ રચના ત્રણ ચતુષ્ક અને એક યુગ્મ – એમ સૉનેટને મળતી આવે છે. આખી કવિતા એક ન બનેલી વાત ઇચ્છવાની અનિશ્ચિતતાની છે એટલે કવિએ પોતાની જાતને છંદ અને ઘણુખરું વ્યાકરણમાં બાંધવાનું સ્વીકાર્યું નથી. કવિતા સ્વચ્છંદમાં વહે છે કેમકે એની ગતિ પણ એ તરફની જ છે.

જીવનના કોઈ એક તબક્કે મા એની દીકરી મલિસાને કહે છે કે કાશ! તું જન્મી જ ન હોત! (તો આ ઉપાધિઓ સહન કરવાનો વારો જ ન આવ્યો હોત.) જો અને તો પર કોઈની જિંદગી જીવાતી નથી એ બધા જાણે છે ને એ છતાંય બધા જો અને તો પર જ જીવ્યે જતાં હોય છે. માના આ પ્રલાપની વચ્ચે મલિસા પોતાની જાતને ટુકડા-ટુકડામાં અભિવ્યક્ત કરે છે. મા ખુદ ઊઠીને સંતાનના અસ્તિત્વના આગમન સામે નાદારી નોંધાવે ત્યારે સંતાનના મનમાં કેવા ત્સુનામી ઊઠતા હશે? આ સમયે એવું કોઈ હશે જે સુસંગતતાથી વિચારી શકે? ટૉલ્બર્ટ જેમ્સ જૉયસ અને વર્જિનિયા વુલ્ફે પ્રચલિત કરેલી ‘સ્ટ્રીમ ઑફ કૉન્સિયશનેસ’ -જેમાં મનુષ્યની છિન્નભિન્ન ચાલ્યે રાખતી વિચારધારાને યથાતથ રજૂ કરવાની નેમ હોય છે- પ્રકારની કથનશૈલી પ્રયોજે છે. મા સામેના એના પ્રતિભાવો સળંગ નથી, અને સુસ્પષ્ટ પણ નથી. બાળકને બોજ ગણતી માના બળાપા સામે ડઘાઈ ગયેલા સંતાનના છુટકમુટક વિચારોને ટૉલ્બર્ટ ટુકડાઓને જોડવાની કોશિશ કર્યા વિના જ, એમાંથી કોઈ અર્થ તારવવાની સ્પષ્ટ ચેષ્ટા કર્યા વિના જ આપણી સામે રજૂ કરે છે.

માના એકવાક્યી નિસાસાની વચ્ચે બાળક આંતરિક એકાલાપ (ઇન્ટિરિયર મૉનોલૉગ) કરે છે, જેની શરૂઆત સ્વાભાવિકપણે માથી જ થાય છે. મારી માએ એકવાર કહ્યું હતું… પછી એ કહે છે કે મા એના બાળપણની. આખી કવિતામાં કવિ એકમાત્ર બાળપણ શબ્દને ‘બાળ’ અને ‘પણ’માં દ્વિભાજિત કરે છે, જેના પરથી સમજી શકાય છે કે જે રીતે શબ્દ, એમ જ એમનું બાળપણ પણ અડધેથી ચીરાઈ ગયું છે. બાળક જે જે બોલે છે એ તમામના અર્થ કાઢવા શક્ય નથી કેમકે આ ચિરાયેલા બાળ-પણના અસંબદ્ધ મનોભાવ છે. પહેલા અંતરામાં જે ‘મારી મા’ અને ‘મારા બાળ-પણની મા’ છે, એ બીજા અંતરામાં એક દીકરીની મા નથી, એક માણસની મા પણ નથી, ત્રીજા અંતરામાં એ ‘કોણ છે’નો પ્રશ્ન બની રહે છે અને કાવ્યાંતે મા કોઈની પણ મા રહેતી નથી. એક તરફ માનું વાક્ય આગળ વધે છે કે તું જન્મી જ ન હોત તો સારું થાત તો બીજી તરફ બાળકનો એકાલાપ માના અસ્તિત્વને ક્રમશઃ ભૂંસી નાખે છે. એક તરફ મા જે એક વાક્ય બોલે છે એ મૂકીએ તો કાવ્યાંતે બાળકની એકોક્તિનું અર્ધવાક્ય અને માનું અર્ધવાક્ય ભેગાં થઈને ‘હું દિલગીર છું કે તું કદી જન્મી જ ન હોત’ એમ વંચાય છે. આ વાક્ય માના ઉદ્ગારનો જ પત્યુદ્ગાર નથી તો બીજું શું છે? માના બળાપાની મિરર-ઇમેજ ઊભી કરીને કવિ આપણા સંવેદનાતંત્રને સૂન્ન કરી નાંખે છે.

બાળકની એકોક્તિના નામે કવિ જે નાના-મોટા ટુકડાઓ આપણને આપે છે એ દરેકના પોતપોતાની રીતે અલગ-અલગ અર્થ કરી શકાય એમ છે. પાણી પાણી થાક્યું છે, અર્થાત્ મા સંતાનથી થાકી ગઈ છે કેમકે સંતાન એ આખરે તો માનો જ અંશ છે. મા જો પાણી છે, તો સંતાન પણ એ જ પાણીનું ટીપું છે. માના બળાપાની સામે પણ બાળક શાંત છે કેમકે જો એ શાંત ન થઈ શક્યું હોય તો માએ જ શીખવેલી પ્રાર્થનાનો અર્થ શો? તમે કોઈકને અડો છો ત્યારે તમે કયા હાથ બનો છો? સ્નેહના? ધિક્કારના? તમે કોઈને અડો છો એ ઘડીએ એ હાથની ભાષા તમારા આખા અસ્તિત્વની ભાષા છે. તમે કોના શરીર પર હાથ મૂકો છો, તમે કોનું ધ્યાન ખેંચવા માંગો છો, તમે શું સાંભળશો જ્યારે તમે પાછા વળીને એની સામે જોશો ત્યારે કેમકે જે તમારી મા છે એ તો કોઈ દીકરીની કે અર્થવિસ્તાર કરીએ તો કોઈપણ મનુષ્યની જ મા નથી કેમકે કઈ મા ઇચ્છે કે સંતાન જન્મ્યું જ હોત તો સારું થાત? આપણું શરીર જ્યારે આપણું શરીર નથી એવું અનુભવાય ત્યારે શું ડર ન લાગે? સ્ત્રી તરીકે જન્મ્યા પછી ખબર પડે કે અંદર માહ્યલો તો પુરુષનો આવી ગયો છે અથવા એનાથી વિપરીત હોય તો શું ડર ન અનુભવાય? જિંદગીનો પવન આ દુવિધા દેખાતી હોવા છતાં ઉપર-ઉપરથી તો વહેતો જ રહે છે પણ જેને તમે તમારા મૂળ કહી શકો એને હચમચાવવાનું ચૂકતો નથી. એ વિશ્વ શું બનશે ખરું જ્યાં તમે અટકીને નિરાંતવા શ્વાસ લઈ શકો કે પછી તમારી અંદર જે તૂટી ચૂક્યું છે, ચીરાઈ ચૂક્યું છે સમયના મારથી, તમારા ચહેરા ઉપર જે ચહેરો ચડી ગયો છે, જે કંઈ જીવંત છે એ ઓળખવા-ઓળખાવાની પરિસીમાની બહાર પહોંચી ગયું છે? કદાચ એમ જ હશે કેમકે મા કોણ છે? તું તો નહીં જ. કારણ તેં તારી જાતને બીજા કોઈમાં વિકસીને મારી નથી નાંખી. મા તો પોતાના બાળકના જન્મ સાથે જ પોતાની જાતને ખતમ કરી નાંખે, બાળકનું અસ્તિત્વ જ એનું અસ્તિત્વ બની રહે, બાળકનો ચહેરો જ એના ચહેરા ઉપર ચડેલો દેખાય પણ અહીં એવું નથી એટલે જ સંતાન દિલગીર છે. કાવ્યાંતે આ દિલગીરી બાળક અને માતાની અર્ધોક્તિના સમન્વયમાંથી જન્મતા ઉચ્ચારણની વેદના બનીને આપણને ચીરી નાંખે છે.

મા શા કારણે વ્યથિત છે એ કવિ કહેતા નથી. કવિતા કદી બધું કહે નહીં પણ એક સામાન્ય લાગતા બળાપાની સામે બાળકના ચિત્તતંત્રમાં થતા ખળભળાટને આપણી સામે મૂકીને કવિ આપણને કહેવા માંગે છે કે બાળકોની સામે વગર વિચાર્યે કશું બોલતાં પહેલાં વિચારવું ઘટે. બાળક ખરેખર બાળક નથી હોતો, એ નાનો વયસ્ક જ હોય છે. એના મનોમસ્તિષ્કના કૌંસની વચ્ચે જે છૂટક-તૂટક પ્રતિભાવો તમારી નાસમજીની સામે ઊઠે છે એ જો કૌંસ બહાર આવશે તો તમારું જીવવું જ દુભર થઈ જશે, ધ્યાન રહે!

કુમાર ગૌતમની અંગ્રેજી કવિતા ‘હું કોણ છું?’ના થોડા અંશ આ સાથે જોવા જેવા છે:

હું વિચારું છું
કે હું કોણ છું?
એક શરીર જે અલગ આત્મામાં ફસાઈ પડ્યું છે
કે એક આત્મા શરીર સાથે કુમેળ ધરાવતો.

હું મનન કરું છું
કે કોણ યુદ્ધે ચડ્યું છે?
હું મારી જાત સાથે
કે દુનિયા મારી સાથે ઝઘડી રહી છે.

મને રમૂજ થાય છે.
કોણે મને ગુલામ બનાવ્યો?
મારી દ્વિધાઓ
કે સમાજે.

સાધો, શબ્દસાધના કીજે -કબીરસાહેબ

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

સાધો, શબ્દસાધના કીજે,
જેહિ શબ્દ તે પ્રગટ ભએ સબ શબ્દ સોઈ ગહિ લીજૈ.

શબ્દહિ ગુરુ શબ્દ સુનિ સિખ ભૈ સો બિરલા બૂઝૈ,
સાંઈ શિષ્ય ઔર ગુરુ મહામત જેઈ અંતરગત સૂઝૈ.

શબ્દૈ વેદ પુરાન કહત હૈ શબ્દૈ સબ ઠહરાવૈ,
શબ્દૈ સુરમુનિ સંત કહત હૈ શબ્દભેદ નહિ પાવે.

શબ્દૈ સુનિસુનિ ભેખ ધરત હૈ શબ્દૈ કહે અનુરાગી,
ષટદર્શન સબ શબ્દ કહત હૈ શબ્દ કહૈ બૈરાગી.

શબ્દૈ માયા જગ ઉતપાની શબ્દૈ કેર પસારા,
કહ કબીર જહં શબ્દ હોત હૈ તબન ભેદ હૈ ન્યારા.
-કબીરસાહેબ

ગ્લૉબલ કવિતા : ૭૪ : ગધેડો – જી. કે. ચેસ્ટરટન

The Donkey

When fishes flew and forests walked
And figs grew upon thorn,
Some moment when the moon was blood
Then surely I was born.

With monstrous head and sickening cry
And ears like errant wings,
The devil’s walking parody
On all four-footed things.

The tattered outlaw of the earth,
Of ancient crooked will;
Starve, scourge, deride me: I am dumb,
I keep my secret still.

Fools! For I also had my hour;
One far fierce hour and sweet:
There was a shout about my ears,
And palms before my feet.

– G. K. Chestorton


ગધેડો

મત્સ્ય ઊડે ને જંગલ ચાલે,
અંજીર ઊગે કાંટે,
મારો જનમ થયો છે નક્કી
રક્તિમ ચંદ્રની સાખે.

રાક્ષી શિર ને ભૂંડી ભૂંક
ને ભ્રાંત પાંખ સમ કાન,
સૌ ચોપગાઓમાં મારી જ
ફિરકી લે શેતાન!

ભૂખે-કોરડે મારો,
કરો ઉપહાસ, હું છું મૂઢ
ધરતીનો ઉતાર છું તોયે
રાખું ગૂઢને ગૂઢ

મૂર્ખાઓ! મારોય વખત હતો,
મીઠો ને વળી ઉગ્ર:
કાન આગળ એક શોર હતો ને
પગ આગળ તાડપત્ર.

– જી. કે. ચેસ્ટરટન
(અનુ. વિવેક મનહર ટેલર)


ખરો ગધેડો કોણ?

માની લો કે તમારે કોઈને ગાળ આપવી છે પણ ગાળ બોલ્યાનું આળ પણ માથે લેવું નથી તો આ આખી દુનિયામાંથી કયું એકમાત્ર પ્રાણી તમારી વહારે ધાશે? ગધેડો જ ને! તમારે કોઈને મૂર્ખ કહેવો છે? ગધેડો કહી દો. કમઅક્કલ કહેવો છે? ગધેડો કહી દો. નકામો કહેવો છે? ગધેડો કહી દો. મજૂર કહેવો છે? ગધેડો કહી દો. જક્કી કહેવો છે? ગધેડો હાજર જ છે! કદરૂપો કહેવો છે? જી હા, તમે બરાબર જ સમજ્યા. ગધેડો સૌથી હાથવગી એવી લાખ ગાળોની એક ગાળ છે. પણ એની સામે એ પણ હકીકત છે કે આ એક જ પ્રાણી એવું છે, જેને તમે લાખ ડીફણાં મારો તોય અળવીતરું ચાલતું નથી ને જે તમે કહો એ જ કરે છે. એના જેવું સંનિષ્ઠ ને મહેનતુ પ્રાણી જડવું મુશ્કેલ છે. એવો પ્રશ્ન પણ થાય કે શા માટે ઈશ્વરે એવું પ્રાણી બનાવ્યું હશે જે માત્ર બધાની મજાક બનવા જ સર્જાયું હશે? પણ રહો, કંઈક તો હશે ને આ પ્રાણીમાં, નહિતર જી. કે. ચેસ્ટરટન જેવા પંડિત કવિએ એક આખી કવિતા એના માનમાં શા માટે લખી હશે?

ગિલ્બર્ટ કીથ ચેસ્ટરટન. ૧૯-૦૫-૧૮૭૪ના રોજ કેન્સિંગ્ટન, લંડન ખાતે જન્મ. કવિ, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, જીવનકથાકાર, ફિલસૂફ, નાટ્યકાર, પ્રવક્તા, અને વિવેચક. એ પાંચ જ વર્ષના હતા અને પરિવારમાં બીજું બાળક આવ્યું ત્યારે એમણે કહ્યું હતું: ‘હવે મારી પાસે હંમેશા એક ઑડિયન્સ રહેશે.’ બાળપણથી જ એ અગોચરથી પ્રભાવિત હતા. પરિવાર ઐક્યવાદ (યુનિટેરિયાનિઝમ)માં માનતો હતો. પત્ની ફ્રાન્સિસ બ્લૉગ એમાંથી એમને એન્ગ્લિકન સંપ્રદાયમાં લઈ આવવામાં નિમિત્ત બની. એ પોતાને ઓર્થોડોક્સ ખ્રિસ્તી તરીકે ઓળખાવતા અને એન્ગ્લિકનમાંથી ૩૦-૦૭-૧૯૨૨ના રોજ કેથોલિક પંથમાં પ્રવેશ્યા પછી આ સંકુચિતતા વધુ ગાઢી બની. પત્નીએ પતિની જેમ ધર્મપંથ પરિવર્તન ન કર્યું અને જીવનભર બંનેના ધર્મ વિશેના વિચારો અલગ હોવાનો એનો વસવસો આંસુઓમાં વહેતો રહ્યો. ચેસ્ટરટનનું પંથપરિવર્તન એ જમાનામાં ચોરેચૌટે ચર્ચાતા સમાચાર બની રહ્યા હતા. ચેસ્ટરટને કહ્યું: ‘હું શા માટે કેથોલિક થયો છું એ સમજાવવું કપરું છે કેમકે એ માટેના દસ હજાર કારણ છે જે દરેક એક જ કારણ બરાબર છે ને તે એ છે કે કેથોલિઝમ સત્ય છે.’ કોલેજમાં ભણ્યા પણ પદવી ન લીધી. શરૂમાં ચેસ્ટરટનને ચિત્રકાર બનવામાં ખૂબ રસ હતો જે એમના લખાણમાંના જીવંત શબ્દચિત્રોમાં પ્રતિબિંબિત થાય છે. ૬ ફૂટ, ૪ ઇંચની ઊંચાઈ અને ૧૩૦ કિલોગ્રામ વજનવાળા કદાવર શરીરનું વજન જેમ જીવનમાં એમ કથન-કવનમાં પણ પડતું. એમની કાયાની જેમ જ એમના વિરાટ વ્યક્તિત્વને પુસ્તકના પાનાંઓમાં કેદ કરવું મુશ્કેલ છે. એમના ‘ફ્રેન્ડલી એનિમી’ જ્યૉર્જ બર્નાર્ડ શૉને ચેસ્ટરટને જ્યારે કહ્યું કે તમને જોઈને લાગે છે કે ઇંગ્લેન્ડમાં દુકાળ પડ્યો છે. જવાબમાં બર્નાર્ડ શૉએ કહ્યું કે તમને જોઈને લાગે છે કે આ દુકાળનું કારણ તમે જ છો. મોઢામાં સિગાર, માથે ટોપી અને હાથમાં તલવારયુક્ત લાકડી – આ એમનો બાહ્ય દેખાવ. સ્વભાવે એકદમ ભૂલક્કડ. ક્યાં જવા નીકળ્યા છે જ ભૂલી જાય અને પત્નીને ટેલિગ્રામ કરીને પૂછાવે કે ક્યાં જવાનું હતું. જીવનના આખરી પાંચ વર્ષોમાં બીબીસી રેડિયો પરની એમની વાતચીત ખૂબ લોકપ્રિય થઈ હતી. ૬૨ વર્ષની વયે ૧૪-૦૬-૧૯૩૬ના રોજ હૃદયનો પંપ ફેઇલ થવાથી બિકન્સફિલ્ડ, ઇંગ્લેન્ડ ખાતે નિધન.

પુષ્કળ લખ્યું. ૮૦ જેટલા પુસ્તકો, ૨૦૦ જેટલી વાર્તાઓ, ૪૦૦૦ નિઓબંધો, સેંકડો કવિતાઓ અને બીજુંય ઘણું બધું. જેમ આર્થર કૉનન ડોયલનું અમર પાત્ર શેરલૉક હૉમ્સ એમ ચેસ્ટરટનનું ધર્મગુરુ-ડિટેક્ટીવ ફાધર બ્રાઉન. ચેસ્ટરટનને લોકો ‘વિરોધાભાસના રાજકુમાર’ તરીકે ઓળખે છે. ટાઇમ મેગેઝીન કહે છે: ‘શક્ય હોય ત્યારે ત્યારે ચેસ્ટરટન એમની વાતને લોકપ્રિય વાતો, કહેવતો અને રૂપકો વડે રજૂ કરે છે-પહેલાં કાળજીપૂર્વક એમને ઊલટાવી નાંખ્યા બાદ.’ જાહેરમાં વાદવિવાદમાં ભાગ લેવું પણ એમને ગમતું. ચતુરાઈ અને વ્યંગ એ એમના પ્રધાન કાકુ. ધર્મશાસ્ત્ર (થિઓલોજી) વિશેના એમના અભિપ્રાયો ઊંચું સ્થાન ધરાવે છે. કહે છે કે એમણે દરેક વિષય પર કંઈક્ને કંઈક કહ્યું જ છે અને બીજા કરતાં સારું જ કહ્યું છે. વીસમી સદીના શ્રેષ્ઠ સર્જકોમાં એમનું સ્થાન શિરમોર છે.

કવિતાનું શીર્ષક એ કવિતાના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે. ઉંબરા પર પગ મૂકતાં જ ખ્યાલ આવી જાય કે ઘર કેવું હશે! ૧૯૨૦માં લખાયેલી ચેસ્ટરટનની આ કવિતાનું શીર્ષક ‘ધ ડૉન્કી’ વાંચતા જ સમજી શકાય છે કે આ ગધેડા વિશેની કવિતા છે. પણ કવિએ ‘અ ડૉન્કી’ નથી લખ્યું એટલે ખ્યાલ આવે છે કે આ કોઈ એક ગધેડાની નહીં, સમગ્ર ગદર્ભજાતિ વિશેની કવિતા હોવી જોઈએ. કવિએ અહીં બૅલડ-મીટર પ્રયોજ્યું છે; જેમાં ચાર-ચાર પંક્તિના અંતરામાં પહેલી અને ત્રીજી પંક્તિમાં આયંબિક ટેટ્રામીટર (ચાર ઋણભાર-ધનભાર ધરાવતા શબ્દાંશ) અને બીજી અને ચોથીમાં આયંબિક ટ્રાઇમીટર (ત્રણ ઋણભાર-ધનભાર ધરાવતા શબ્દાંશ) વાપરવામાં આવે છે અને બીજી તથા ચોથી પંક્તિમાં પ્રાસ મેળવવામાં આવે છે. બૅલડ એટલે એક પ્રકારનું કથાકાવ્ય કે ગાથાગીત. મધ્યકાલીન ઇંગ્લેન્ડમાં આ પ્રકારની કવિતાઓ ખૂબ પ્રચલિત હતી. ચેસ્ટરટન બૅલડના માસ્ટર ગણાતા.

આ કવિતા ચેસ્ટરટનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવજગત અને ફિલસૂફીનું સીધું પ્રતિબિંબ છે. આ નાનીઅમસ્તી કવિતામાં આખેઆખા ચેસ્ટરટન નજરે ચડે છે: વિરોધાભાસ, વક્રોક્તિ, હાસ્ય, વ્યંગ, આશ્ચર્ય, વિનમ્રતા, સીધાસાદા ગરીબ માણસોનો બચાવ અને દુનિયાદારીથી છલકાતા અને અમીર માણસોને ઉપાલંભ. એમની પ્રખ્યાત ફાધર બ્રાઉન શ્રેણીની જેમ જ અહીં પણ આપણે જેને શરૂઆતમાં અવગણવાનું વિચારીએ છીએ, એ જ સત્યની અડોઅડ ઊભેલું જડી આવતાં આપણને અંતે દિગ્મૂઢ કરી દે છે. કોઈને ગધેડો કહેતાં પહેલાં બે ઘડી વિચારી લેજો: શું ખબર એની પીઠ પર ઈસુ ખ્રિસ્ત બેઠા હોય!

આ કવિતા ગધેડાની સ્વગતોક્તિ છે એ સમજી શકાય છે. પહેલા અંતરામાં એ પોતાના જન્મના સંજોગોની વિચિત્રતા વર્ણવે છે. કહે છે, જ્યારે માછલીઓ ઊડતી હશે, જંગલો ઊઠીને ચાલવા માંડ્યા હશે, અંજીર ઝાડ પર ઊગવાના બદલે કાંટાળા છોડ પર ઊગતા હશે અને ચંદ્ર જ્યારે લોહી જેવો રાતો થયો હશે ત્યારે મારો જન્મ થયો હશે. સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે ક્યારેક ચંદ્રનો રંગ લોહી જેવો રાતો થઈ જતો હોય છે. છેલ્લો બ્લડ મૂન ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ જોવા મળ્યો હતો. બાઇબલમાં રક્તિમ ચંદ્ર કયામત તરફ ઈશારો કરે છે એમ કહેવાયું છે. જોએલ (૨:૩૦-૩૧) કહે છે: ‘સૂર્ય અંધારામાં અને ચંદ્ર લોહીમાં બદલાઈ જશે, ઈશ્વરના મહાન અને ભયંકર દિવસ આવતાં પહેલાં.’ તાજેતરમાં માર્ક બ્લિટ્ઝના ‘બ્લડ મૂન્સ’ અને જોન હેગીના ‘ફોર બ્લડ મૂન્સ’ પુસ્તકોએ ધર્મિષ્ઠ માણસોમાં આવનારી કયામતનો સજ્જડ ડર બેસાડી દીધો છે. ચેસ્ટરટન પણ રક્તિમ ચંદ્ર અને એ દ્વારા નિર્દેશિત ભયાવહ એંધાણીઓથી જાણતલ હશે એટલે જ એમણે ગધેડાના જન્મ સાથે આ વાત સાંકળી લીધી છે. દુનિયા આખી તળેઉપર થઈ ગઈ હશે ત્યારે ગધેડાનો જન્મ થયો હશે. વાંચતાની સાથે વાત શીરાની જેમ ગળે ઊતરી જાય છે કેમકે ગધેડો આપણા સહુના તિરસ્કાર અને અવહેલનાનું કેન્દ્ર છે. આપણા મનોમસ્તિષ્કમાં ગધેડાની જે છબી છે એને અવળવાણી વડે કવિએ યથાર્થ વાચા આપી છે.

ગધેડા માટે અંગ્રેજીમાં Ass શબ્દ પણ વપરાય છે, જે લેટિન શબ્દ asinus પરથી ઊતરી આવ્યો છે જેનો એક મતલબ કઢંગુ અને મૂર્ખ પણ થાય છે. અંગ્રેજીમાં કૂલા માટે વપરાતા arse માંથી ‘આર’ ખડી પડતાં assનો બીજો મતલબ કૂલા પણ થયો. શેક્સપિઅરે ‘અ મીડસમર નાઇટ’સ ડ્રીમ’માં બોટમને ગધેડાનું માથું પહેરવ્યું એના ચાર દાયકા પહેલાં ૧૫૫૦માં asshead શબ્દ વપરાયો હતો. ચેસ્ટરટન ઍસના સ્થાને ડૉન્કી પ્રયોજે છે કેમકે એ આ અવગણાયેલા પ્રાણીને એના સન્માનનીય સ્થાને પુનરારૂઢ કરવા માંગે છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી કહે છે તેમ, નમ્ર લોકો સૌમ્યોક્તિરૂપે ક્રૂર લાગતા ‘ઍસ’ શબ્દને અવગણવા માટે ‘ડૉન્કી’ શબ્દ પ્રયોજે છે. સર્વાન્ટીસની પ્રખ્યાત કૃતિ ડૉન કિહોટેમાં નાયક સાંચો પાંઝા એના વાહન તરીકે ડેપલ નામના ગધેડાને પસંદ કરે છે. એન્ડી મેરીફિલ્ડે તો ‘ધ વિસ્ડમ ઑફ ડૉન્કીઝ’ નામનું પુસ્તક પણ લખ્યું છે. એ લખે છે: ‘ગધેડાઓને ચરતા જોવું એ કંઈક અનુભૂતિ જ છે. એ એક જાતની સારવાર છે, એક જાતનું ધ્યાન જ ગણી લો. તમે તમારી જાતને ખોઈ પણ બેસો છો અને પામી પણ લો છો.’ એક ઑસ્ટ્રેલિઅન કહેવત એવું કહે છે કે તમે ગધેડાઓને મેદાનમાં ચરતાં જુઓ તો ખુરશી ખેંચી લેવાનું ભૂલતા નહીં. કલાકો પસાર થઈ શકે એવું એ જાદુઈ અને નશીલું છે. ટ્રેઝર આઇલેન્ડના અમર સર્જક રૉબર્ટ લૂઈ સ્ટિવન્સને ‘ટ્રાવેલ્સ વીથ અ ડૉન્કી ઇન સિવેન્સ’ નામની ઉત્તમોત્તમ ગણાતી પુસ્તિકા લખી છે. ‘ધ રિલક્ટન્ટ સેંટ’ ફિલ્મમાં સેંટ જોસેફ પોતાને ‘ગોડ’સ જેક-એસ’ કહીને સંબોધે છે એ પણ યાદ આવે.

ગધેડો પોતાની જાતને જ ઉતારી પાડવાનું કામ ચાલુ રાખે છે. એ પોતાના ભદ્દા શરીરનું વર્ણન કરે છે. એનું માથું રાક્ષસ જેવું છે, એનું ભૂંકવુંય ચીડ ચડે એવું ભૂંડુભખ છે, કાન ભૂલી પડેલી, ભ્રાંત પાંખો જેવા છે. બધા ચોપગાઓમાં શેતાન જાણે એના એકલાની જ ફિરકી ઉતારતો હોય એમ એને લાગે છે. એ કહે છે કે હું મૂર્ખ છું, મને ભૂખે મારો, કોરડા વીંઝો, મારી ઠેકડી ઊડાવો; હું ઉપહાસને જ લાયક છું. હું તો ધરતીનો ઉતાર છું. –આ રીતે ત્રીજા અંતરાની ત્રીજી પંક્તિ સુધી ગધેડો પોતાની જાતને ઊતારી પાડવામાં કંઈ જ બાકી રાખતો નથી. પણ આ ચેસ્ટરટનની કવિતા છે. એ તો વિરોધાભાસના સ્વામી હતા. ગધેડો શું સાચે જ પોતાની જાતને ઊતારી પાડી રહ્યો છે કે એ સદીઓથી ઉપેક્ષિત રહીને હડધૂત થનારા સમાજનું પ્રતિનિધિત્વ કરીને આપણને જ ચાબખા મારી રહ્યો છે? દુનિયા આખીમાં એક બહુ મોટો વર્ગ છે, જેમના હક પર કહેવાતો ભદ્ર સમાજ આદિકાળથી તરાપ મારતો આવ્યો છે, શોષણ-અપમાન-તિરસ્કાર કરતો આવ્યો છે. ચેસ્ટરટનનો ગધેડો દુનિયાના ખૂણે-ખૂણે, દેશ-દેશાવરમાં પથરાયેલા આ શોષિત દલિત વર્ગનો કાનમાં વાગે એવો તીવ્ર અવાજ છે એ સમજી શકાય છે કેમકે કવિતામાં એનો સૂર અહીંથી બદલાય છે.

એ કહે છે કે હું ગામનો ઉતાર કેમ ન હોઉં પણ રહસ્યને રહસ્ય રાખતાં મને બરાબર આવડે છે. (આ સંભળાયું?- જે તમને નથી આવડતું!) ચેસ્ટરટનનો ગધેડો તડ ને ફડ વાત કરે છે. એ પોતાના વિશે બોલે છે ત્યારે પણ એકપણ શબ્દ ચોરતો નથી અને આપણને ફટકારે છે ત્યારે પણ નિર્મમતાથી જે કહેવું છે ડંકે કી ચોટ પર કહે છે. એ સીધું જ મૂર્ખાઓ કરીને સંબોધન કરે છે. પોણી કવિતા સુધી જે પાઘડી એણે પોતાના માથે પહેરી એ તાત્કાલિક અસરથી હવે આપણને પહેરાવે છે. એ કહે છે કે એનોય સમય હતો. ફરી ફરીને યાદ કરી શકાય, વાગોળવો ગમે, લાખ મૂર્ખ અને ઊતરતા હોવા છતાંય ખૂબ જ ગર્વ કરી શકાય એવો તીવ્ર અને મીઠો ‘હર કુત્તે કા એક દિન આતા હૈ’ જેવો સુવર્ણકાળ એના જીવનમાં પણ આવ્યો હતો. એ કયા સમયની વાત કરે છે એ સમજવા માટે ફરી એકવાર બાઇબલના પાનાં ઊલટાવવાં પડશે.

ઈસ્ટર પહેલાંના રવિવારને ખ્રિસ્તીઓ ‘પામ સન્ડે’ તરીકે ઉજવે છે અને એ પછીના આખા અઠવાડિયાને પવિત્ર સપ્તાહ તરીકે. પામ સન્ડેના આગલા દિવસે ઈસુ ખ્રિસ્તે લેઝારસને પુનર્જીવિત કર્યો હતો એટલે હર્ષઘેલા પ્રજાજનોએ બીજા દિવસે રવિવારે ઈસુની વિજેતા તરીકેની જેરુસલેમમાંની પધરામણીને વધાવી લીધી. નગરમાં પ્રવેશવા માટે ઈસુ ખ્રિસ્ત એના બે સાથીઓને એવો ગધેડો શોધી લાવવા સૂચના આપે છે કે જેના પર કોઈએ સવારી કરી ન હોય અને જે બિલકુલ અવાંછિત હોય. પોતાની જેમ જ ન્યાતબહાર હોય એવા પ્રાણીને ઈસુ પસંદ કરે છે. આમ તો વિજેતા રાજા નગરમાં ઘોડા પર પ્રવેશે પણ ઘોડો યુદ્ધ અને અશાંતિનું પ્રતીક છે, જ્યારે ગધેડો કદી યુદ્ધમાં જોતરાતો નથી અને એના જેવું શાંત અને સ્થિતપ્રજ્ઞ પ્રાણી જડવું દોહ્યલું છે. સફેદ ગધેડો વળી પ્રકાશ અને શુદ્ધતાનું પણ પ્રતીક ગણાતો. એમાંય માદા ગદર્ભ એ કારણોસર વધુ પસંદ કરાતી કે એ દૂધ પણ આપતી અને ઈઝરાઈલના લોકોને ‘જજિસ’ તથા ‘જિનેસિસ’ની આગાહીની જાણકારી હતી કે માદા સફેદ ગધેડા ઉપર બેસીને રાજા નગરમાં પ્રવેશસે. એટલે ઈસુ સફેદ માદા ગધેડો મંગાવે છે. આખું નગર અને નગરમાં ઊમટી પડેલા દુનિયાભરના લોકો પામવૃક્ષના પાંદડા પાથરીને, હાથમાં રાખીને, હલાવીને ગધેસ્વાર ઈસુનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કરે છે. ઈસુ પોતાને ઈઝરાઈલનો રાજા ઘોષિત કરે છે, બીજા અઠવાડિયે એમને શૂળી પર ચડાવી દેવામાં આવે છે. આ સિવાય પણ બાઇબલમાં ગધેડાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ઈસુના હજાર વર્ષ પૂર્વે ડેવિડ પાસે રાજવી માદા ખચ્ચર હતું. એનો પુત્ર સોલોમન પણ ઈઝરાઈલનો નવો રાજા બન્યો એ દિવસે જંગલી ગધેડા પર જ સવાર થયો હતો. જેકબ એના પુત્ર જુદાહને આશીર્વાદ આપે છે એમાં પણ ગધેડાનો સંદર્ભ વાંચવા મળે છે. બલામ નામના મસીહા પણ ગધેડા પર સવારી કરતા બતાવાયા છે અને આ ગધેડો વાતો પણ કરે છે અને દેવદૂતની તલવારથી બલામને બચાવે પણ છે. વર્જિન મેરી પણ સગર્ભાવસ્થામાં પેટમાં ઈસુને લઈને બેથ્લેહેમ સુધી ગધેડા પર બેસીને જ આવે છે. આમ, ગધેડો ભલે ગધેડે ગવાતું પ્રાણી કેમ ન હોય, બાઇબલમાં એનું સ્થાન ખૂબ ઊંચુ અને મહત્ત્વનું છે. કુરાનમાં પણ ગધેડાનું સ્થાન ઘણું ઊંચું અંકાયું છે. જૂના અને નવા કરારમાં તથા કુરાનમાં ગધેડાને વફાદાર તથા હોંશિયાર પ્રાણી તરીકે, ડહાપણના ભંડાર તરીકે, પયગંબરોના વિશ્વાસુ વાહન તરીકે, ચીતરવામાં આવ્યો છે. કુરાનમાં ગધેડાના અવાજને ગંદામાં ગંદો ગણાવાયો છે પણ એની સાથે જ યાફૂર નામના ગધેડાને અલ્લાહના પ્રશ્નોનો જવાબ આપતો, પોતાની જાતને પયગંબરનો વફાદાર ગણાવતો અને મહંમદ પયગંબરનો ખાસ સાથી બનતો બતાવાયો છે. મહંમદ આ જ ગધેડા પર ફરતા. યાફૂર જ ઘરે ઘરે જઈને દરવાજો ખખડાવતો અને ઘરમાલિકને ઈશારાથી જાણ કરતો કે પયગંબર એમને બોલાવી રહ્યા છે.

કાવ્યાંતે ગધેડો તાડપત્રની વાત કરે છે. પામ સન્ડેના સંદર્ભ સાથે એ પણ સમજવું જરૂરી છે. પ્રાચીન કાળમાં ગ્રીક-રોમન સંસ્કૃતિ -જેનો ખ્રિસ્તી વિચારધારા ઉપર ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો છે-માં તાડ(પામ)નું પાંદડુ વિજય અથવા આધિપત્યના પ્રતીકસ્વરૂપે પહેરવામાં અથવા ઊંચકવામાં આવતું હતું એ કારણોસર ‘પામ’નો અર્થ વિજય સાથે સંકળાઈ ગયો. પ્રાચીન ઇજિપ્તમાં તાડપત્ર સ્મશાનમાં લઈ જવાતું અને એ શાશ્વત જિંદગીનું પ્રતીક ગણાતું. અંગ્રેજીમાં પામ એટલે હથેળી પણ થાય છે, આ અર્થનો આવિર્ભાવ પણ હથેળીની અને તાડના પાંદડાની રચના વચ્ચેના આકારના સામ્યના કારણે જ થયો હતો. હિબ્રૂ બાઇબલ અને તોરાહના ત્રીજા પુસ્તક લેવિટિકસમાં સુક્કોટ (સાતમા મહિનાના પંદરમા દિવસે ઉજવાતો તહેવાર)ની ઉજવણી માટે જે ચાર છોડને ઈશ્વરના ચરણમાં લઈ આવવાનું કહ્યું છે, એમાંનો એક તે તાડવૃક્ષ. નવા કરાર (બુક ઑફ રેવિલેશન)માં લખ્યું છે: ‘વિશાળ મેદની, ગણી ન શકાય એટલી, દરેક દેશમાંથી, દરેક જાતિ અને લોકો અને ભાષાઓમાંથી, સફેદ વસ્ત્રોમાં આવી ઊભી હતી, હાથમાં તાડની શાખાઓ લઈને.’

ગધેડો એના એ સ્વર્ણિમ સમયને યાદ કરે છે જ્યારે પ્રભુપુત્ર ઈસુ એના પર સવાર થઈને ઈઝરાઈલમાં પ્રવેશ્યા હતા અને લોકો એમના સ્વાગત માટે તાડપત્રો જમીન પર પાથરતા હતા. આપણે સમજવાનું એ છે કે ઈસુ જ્યારે જેરુસલેમમાં પ્રવેશે છે ત્યારે ચારે તરફ કીડિયારું ઊભરાયું છે પણ આ બધા રંગ-રંગના લોકોની વચ્ચે એક જણ જે માણસ ન હોવાના નાતે જ નહીં પણ એ રીતે પણ બધાથી અલગ પડે છે કે એક જ જણ સાચા અર્થમાં પોતાના હોવાના તમામ અર્થો ભૂલી જઈને માત્ર ને માત્ર ઈસુની સાથે હોવાની ક્ષણોને આકંઠ માણી રહ્યું છે અને એ છે આ ગદર્ભ! ગદર્ભ બે સંદર્ભ નિર્દેશિત કરે છે: એક ઈસુ જેરુસલેમમાં અને એ રીતે આપણા આત્મામાં ‘શાંતિના રાજકુમાર’ તરીકે પ્રવેશે છે અને આપણી ભીતરના કોલાહલને શમાવે છે. બીજું, ગદર્ભ એ આપણી દૈહિક વાસનામય પ્રકૃતિનું પ્રતીક છે જેના પર ઈસુ સવાર થાય છે અને આપણામાંથી આ કામવાસના દૂર કરે છે. ‘ઉપર-ઉપરનું જીવી રહ્યા છો, કવર જોઈને બુક ખરીદી’ જેવી બાહ્ય સંદર્ભોને જ જોવામાં રત અને આંતરિક અર્થને ભૂલી જતી આપણી સાહજિક પ્રકૃતિને ગધેડાના માધ્યમથી આ કવિતામાં ચેસ્ટરટન હળવી પણ મક્કમ ટકોર કરે છે. આ ઉપરાંત એ કહે છે, કે નાનામાં નાની લાગતી વસ્તુનું પણ ઊંચામાં ઊંચું મૂલ્ય હોઈ શકે છે. દુનિયા ભલે તમને અવગણતી હોય, તમારી હાંસી ઊડાવતી હોય, પણ તમારે તમારી પોતાની કિંમત સમજવાની છે. તમે જ્યાં સુધી પોતાનું મૂલ્ય નથી સમજતા ત્યાં સુધી જ તમે ગધેડા છો, જે ઘડીએ તમે તમારી અગત્યતા, તમારા આ ધરતી પર અવતરવાનો હેતુ સમજી લો છો એ ઘડી એ તમને ગધેડો કહેનારા મૂર્ખાઓ સિદ્ધ થાય છે. આ ઉપરાંત, ઈસુની નજરમાં, ભગવાનની નજરમાં સૌ પ્રાણીઓ સમાન છે; સૌ મનુષ્યો સમાન છે; બધાનું લોહી એક છે; બધા સાથે એકસમાન વ્યવહાર થવો જોઈએ. આ વાત જે ચેસ્ટરટન ગધેડાને માધ્યમથી બનાવીને કહે છે એ વાત આપણે બધા પરાપૂર્વથી જાણતા હોવા છતાં સમાજમાંની અસમાનતા, ઊંચ-નીચ દૂર થતાં નથી અને એ અર્થમાં ચેસ્ટરટનનો ખરો ગધેડો તો આપણે છીએ, આપણો કહેવાતો ભદ્ર સમાજ જ છે!

અમે બરફનાં પંખી રે ભાઈ – અનિલ જોશી

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.
– અનિલ જોશી

ગ્લૉબલ કવિતા : ૭૩ : નવા મિત્રો અને જૂના મિત્રો – જોસેફ પેરી

New Friends and Old Friends

Make new friends, but keep the old;
Those are silver, these are gold.
New-made friendships, like new wine,
Age will mellow and refine.

Friendships that have stood the test –
Time and change – are surely best;
Brow may wrinkle, hair grow gray,
Friendship never knows decay.

For ‘mid old friends, tried and true,
Once more we our youth renew.
But old friends, alas! may die,
New friends must their place supply.

Cherish friendship in your breast –
New is good, but old is best;
Make new friends, but keep the old;
Those are silver, these are gold.

– Joseph Parry


નવા મિત્રો અને જૂના મિત્રો

દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;
પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.
નવી મિત્રતા નવી શરાબના જેવી જ છે અલબત્તા,
વયની સાથે વધુ ખીલે ને વધે સતત ગુણવત્તા.

ભાઈબંધી જે સમય અને પરિવર્તનની એરણ પર
ટકી શકી છે એ જ બધામાં છે સાચે સર્વોપર;
પડે કરચલી માથે, પળિયા ધોળા થાય ખચિત,
મૈત્રી ક્યારેય સડે નહીં ને થાય નહીં જર્જરિત.

કારણ કે જૂના ને જાણીતા યારોની વચ્ચે,
ફરી એકવાર તાજી થઈને એ જ યુવાની મળશે.
પણ અફસોસ! કે જૂના યારો એક દિવસ તો મરશે;
સ્થાન એમનું નવા નવા ભેરુએ જ ભરવું પડશે.

જૂની યારીનું જતન કરીને રાખો એ અંતરતમ-
નવી તો સારી જ છે પરંતુ જૂની છે સર્વોત્તમ.
દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;
પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.

– જોસેફ પેરી
(અનુ. વિવેક મનહર ટેલર)


મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે….

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.

– સાચે જ, દોસ્તી એક એવો સંબંધ છે જે ભગવાનથીય મૂઠી ઊંચેરો છે કેમકે આ એક જ સંબંધ સંસારમાં સ્વાર્થથી પર હોવાની સંભાવના વધુ છે. દોસ્તી એટલે એક એવી ચાવી જે તમને તમારામાં ખોલી આપે છે. દોસ્તી એટલે ખજાનાનો એવો પેટારો જેમાં તમે જેટલો હાથ વધુ ઊંડો નાંખો, એટલા તમે તમને જ વધારે મેળવી શકો છો. દોસ્તી તમને સર્વથી સ્વ તરફ દોરી જાય છે કેમકે દોસ્ત એક જ વ્યક્તિ એવી છે જે તમને ગાળ આપીને પણ સાચું કહેવાની હિંમત કરી શકે છે, બાકીના સંબંધો તો ફેસબુકની લાઇક્સ જેવા વાડકી-વ્યવહાર જ હોય છે. જીવનમાં જે સંબંધ દોસ્તીની કક્ષાએ પહોંચી નથી શકતો એમાં દુઃખથી વિશેષ કંઈ હાથ લાગવું શક્ય જ નથી. વિલિયમ બ્લેક એક અદભુત વાક્ય આપી ગયા: ‘પંખી માળો, કરોળિયો જાળું, માણસ મૈત્રી’ (The bird a nest, the spider a web, man friendship) મતલબ, માણસનું ખરું ઘર ઈંટ-રેતીથી બનેલું મકાન નહીં, દોસ્તી જ છે. સંગીતકાર-કવિ જોસેફ પેરી પ્રસ્તુત રચનામાં દોસ્તોની વાત માંડે છે.

જોસેફ પેરી. ૨૧-૦૫-૧૮૪૧ના રોજ વેલ્સ, યુ.કે. ખાતે સંગીતપ્રેમી અને બહોળા પરિવારમાં જન્મ. નવ વર્ષની કૂમળી વયે અભ્યાસ છોડીને કોલસાની ખાણમાં કામે લાગ્યા. સાડા બાર પેની માટે એ અઠવાડિયાના છપ્પન કલાક કામ કરતા. અગિયારની ઉમરે લોખંડની ભઠ્ઠીમાં. ૧૩ વર્ષની વયે પરિવાર પેન્સિલ્વેનિયા, અમેરિકા સ્થળાંતરિત થયો ને ત્યાં એ ફરી ધાતુકામની ફેક્ટરીમાં જોતરાયા. પણ પંચમહાભૂતના એ શરીરમાં છઠ્ઠું મહાભૂત નામે સંગીત પણ શ્વસતું હતું. સહકર્મી સંગીતકારો પાસેથી નાની-મોટી ટિપ્સ મળતી રહી. ફેક્ટરી બંધ થઈ ત્યારે વિધિવત્ સંગીતશિક્ષણના પાગરણ થયાં. હાર્મનીમાં એમને સવિશેષ રસ હતો. એમના સ્વરાંકનોથી પ્રભાવિત થયેલા એમના વતને એ પરત ફર્યા ત્યારે બબ્બે સ્કૉલરશીપ આપવાની દરખાસ્ત મૂકી જે પારિવારીક સાંકળોથી બંધાયા હોવાના કારણે એમણે નકારી. પરિવારના નિર્વાહ માટે વેલ્સ અને અમેરિકા- બંને દેશ તરફથી ફાળાની વ્યવસ્થા થઈ એ પછી જ એ સંગીત શીખવાનું વિચારી શક્યા. પછી તો સંગીતમાં ડૉક્ટરેટ કર્યું. સંગીતમાં સ્નાતક અને ડૉક્ટરેટની પદવી મેળવનાર એ પ્રથમ વેલ્શ નાગરિક હતા અને વેલ્સમાં સંગીતના પ્રથમ પ્રોફેસર પણ બન્યા. વેલ્શ ભાષામાં પ્રથમ ઑપેરા પણ એમણે જ આપ્યું. ૧૮૬૧માં જેન થોમસ સાથે લગ્ન. ત્રણ પુત્ર અને બે પુત્રી થયાં. બે પુત્ર નાની વયે જ મૃત્યુ પામ્યા. અમેરિકાની સંગીતયાત્રાઓ થતી રહી. બંને દેશમાં એના સંગીતનો ડંકો વાગતો હોવા છતાં ધંધાકીય દૃષ્ટિના અભાવે આર્થિક સ્થિતિ કાયમ નબળી જ રહી. અદભુત ક્મ્પોઝીશન Myfanwy, સર્વોત્કૃષ્ટ ઋચા (hymn) Aberystwyth અને અભૂતપૂર્વ ઑપેરા Blodwenના કારણે એ અમેરિકન-વેલ્શ સંગીતના આકાશમાં ધ્રુવતારક જેવું અવિચળ સ્થાન પામ્યા છે. ઢગલાબંધ ગીતો, ભજનો, સમૂહગાન, ઑપેરા, અને વાદ્યસંગીતને એણે સંગીતબદ્ધ કર્યા છે. ઉત્તમ સંગીતકાર હોવાથી એમણે લખેલા ગીતોનો લય પણ એવો થયો છે કે સાંભળતાવેંત દિલમાં ઘર કરી જાય. ઉપરાછાપરી બે શસ્ત્રક્રિયા અને એના ગુંચવાડાના પરિણામે ૧૭-૦૨-૧૯૦૩ના રોજ દેહાવસાન. મૃત્યુશય્યા પર સૂતાં સૂતાં એમણે એમનું આખરી સંગીતનિયોજન ‘ડિઅર વાઇફ’ પોતાની પત્ની જેન માટે લખ્યું હતું. શબવાહિની ચર્ચના દરવાજે પહોંચી ત્યારે એમની અંતિમયાત્રામાં જોડાયેલ આખરી માણસ એમના ઘરેથી નીકળતો હતો. આમ, આ અંતિમયાત્રા ઘરથી ચર્ચ સુધી એક માઈલ લાંબી હતી. સાચા અર્થમાં એ ચીંથરે વીંટ્યું રતન હતા. જેક જોન્સે ‘ઑફ ટુ ફિલાડેલ્ફિયા ઇન ધ મૉર્નિંગ’ નવલકથામાં એમની આ જીવનયાત્રાને અમર બનાવી છે, જેના પરથી એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.

રચનાની દૃષ્ટિએ ‘નવા મિત્રો અને જૂના મિત્રો’ ગીત આયમ્બિક ટેટ્રામીટરમાં લખાયું છે અને અ-અ-બ-બ પ્રકારની પ્રાસરચના પ્રયોજાઈ છે. ક્યાંક આ ગીતની સોળેસોળ પંક્તિઓ એકીસાથે લખાયેલી જોવા મળે છે તો ક્યાંક ચાર-ચાર પંક્તિના ચાર બંધ સ્વરૂપે આ ગીત છાપવામાં આવેલું જોવા મળે છે. સળંગસૂત્રીતા કે અંતરાવ્યવસ્થા જો કે આ ગીતને કોઈ ખાસ પ્રકારે ઉપકારક થતા ન હોવાથી એ બાબતનો ખાસ અર્થ રહેતો નથી. મૂળ ગીતનો લય ખૂબ જ મજબૂત છે એટલે કવિતાની સાથે લયનો પણ અનુવાદ કરવો અનિવાર્ય બને છે.

વાત મિત્રોની છે. પણ પાયાનો પ્રશ્ન એ છે કે મિત્ર આપણે કોને કહીશું? મિત્ર એટલે શેરીમાં કે શાળામાં કે હવેના જમાનામાં વૉટ્સ-એપ કે ફેસબુક જેવા સોશ્યલ મિડીયાઝના ચોતરે મળી ગયેલી વ્યક્તિ માત્ર? મિત્રની વ્યાખ્યા વ્યક્તિએ-વ્યક્તિએ બદલાતી નથી? સામાન્ય પરિભાષાને જરા વિસ્તારીએ તો પતિ-પત્ની મિત્ર તરીકે જીવવાનું નથી ઇચ્છતા? મા-બાપને સંતાનોના મિત્રો થવાના અભરખા નથી હોતા? ભાઈ-બહેન મૈત્રી નથી ઝંખતા? માત્ર શેક્સપિઅરના નાટકોમાં જ મૈત્રીના કેલિડોસ્કોપિક આયામ કેવા પ્રદર્શિત થયા છે એ જોઈએ:

‘એઝ યુ લાઇક ઇટ’ (અંક ૧, દૃશ્ય ૩)માં રોઝાલિન્ડ ડ્યુક ફ્રેડરિકને કહે છે કે: ‘રાજદ્રોહ વંશપરંપરાગત નથી, નામદાર, અને જો એ અમને અમારા મિત્રોમાંથી મળ્યો છે તો એનાથી મારે શું? મારા પિતા તો ગદ્દાર નહોતા.’ અહીં શેક્સપિઅર ‘પરિવાર’ને ‘મિત્ર’ ગણાવે છે. તો ‘ટ્વેલ્ફ્થ નાઇટ’ (અંક ૫, દૃશ્ય ૧)માં એન્ટોનિયો સેબેસ્ટિઅનને બચાવીને હેમખેમ શત્રુ રાજ્યમાં પહોંચાડવાનું જોખમ લઈ ધરપકડ થયા બાદ બિનશરતી પ્રેમને મૈત્રી વડે વ્યાખ્યાયિત કરે છે. તો ‘જુલિયસ સિઝર’(અંક ૩, દૃશ્ય ૨)માં માર્ક એન્ટની સિઝરની હત્યા કર્યા બાદ ભીડને સંબોધીને કહે છે, ‘મિત્રો, રોમનલોકો, દેશવાસીઓ, મારી વાત ધ્યાનથી સાંભળો.’ એ પોતાની પ્રજાને બીજા કોઈપણ સંબોધન કરતાં પહેલાં મિત્રો કહીને સંબોધે છે. મિત્ર સંબોધન પ્રેમી, ખાસ તો અવૈધ સંબંધ માટે પણ એ વાપરે છે. ‘ઓથેલો’ (અંક ૩, દૃશ્ય ૪)માં કેસિયો એની પ્રેમિકા બિઆન્કાને એક રૂમાલ એના ભરતકામની નકલ કરવા માટે આપે છે ત્યારે બિઆન્કા કહે છે, ‘આ કોઈ નવી મિત્રની ભેટ લાગે છે.’ ‘મર્ચન્ટ ઑફ વેનિસ’માં બે પુરુષો (બસાનિઓ અને એન્ટોનિઓ) તો ‘અ મિડસમર નાઇટ’સ ડ્રીમ’ (હેલેના અને હર્મિઆ) તથા ‘એઝ યુ લાઇક ઇટ’માં (રોઝાલિન્ડ અને સિલિઆ) બે સ્ત્રીઓ વચ્ચેની સજાતીય મૈત્રીની વિભાવના પણ એ આપે છે. ‘રોમિયો જુલિએટ’ જેવી વિજાતીય મૈત્રી તો એના નાટકોમાં ચારેતરફ વેરાયેલી છે. ટૂંકમાં, મિત્રતા એ કોઈ એક સંબંધ પૂરતું સીમિત નામ નથી, પણ બે વ્યક્તિ લાગણીના તંતુથી જોડાય એ જ મિત્રતા.

પણ મિત્રતાની વિભાવના જોવા માટે આપણે છે…ક શેક્સપિઅર સુધી નજર શા માટે લંબાવવી? આપણા પુરાણો-કથાઓ ભર્યાં પડ્યાં છે દોસ્તીના સ્વર્ણિમ પ્રકરણોથી. એકતરફ કૃષ્ણ-સુદામાની દોસ્તી છે તો બીજી તરફ કૃષ્ણ-દ્રૌપદીનું સખ્યત્વ છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચે પણ સગપણ ઓછું અને દોસ્તી વધુ નજરે ચડે છે. બલરામ અને કૃષ્ણ પણ ભાઈ ઓછા અને ભાઈબંધ વધુ અનુભવાય છે. ખેર, કૃષ્ણ તો માણસ જ સંબંધોનો છે. એના મોરપિચ્છના જેટલા રંગ એથી વધુ તો એની મૈત્રીના. રામ અને હનુમાનની મૈત્રી રાવણ માટે તો કર્ણ અને દુર્યોધનની મૈત્રી આખી કૌરવસેના માટે નિર્ણાયક બની. પુરાણની વાતો છોડીએ તો આપણા હિંદી સિનેમાનો ઇતિહાસ પણ દોસ્તી, આનંદ, શોલે, યારાના, દોસ્તાના, દિલ ચાહતા હૈ જેવી સીમાચિહ્ન ફિલ્મોથી ઉજ્જવળ છે. ટૂંકમાં, જ્યાં જ્યાં સાચી દોસ્તી નજરે ચડી છે, ત્યાં લોકોએ એને વધાવી જ છે.

આ કવિતામાં જોસેફ દોસ્તીની આવી જ વાત લઈને આવ્યા છે. કવિતાની શરૂઆત જ નિતનવા દોસ્તો બનાવવાની છૂટ લેવાની વાતથી કરે છે પણ તરત જ યાદ અપાવે છે કે નવા દોસ્તો ભલે બનાવીએ પણ જૂનાને ભૂલવાના નથી કેમકે જો નવા દોસ્તો ચાંદી જેવા કિંમતી છે તો પુરાણા યાર સોના જેવા, બહુમૂલ્યવાન છે. એક બહુ સુંદર વાક્ય શેક્સપિઅરના નામે ચડી ગયું છે: ‘નવા મિત્રો કવિતા જેવા છે પણ જૂના તો મૂળાક્ષરો (આલ્ફાબેટ્સ) જેવા છે.મૂળાક્ષરોને ભૂલશો નહીં કેમકે કવિતા વાંચવા માટે તમને એની જ જરૂર પડશે.’ (હકીકત એ છે કે શેક્સપિઅરે એમના સમગ્ર સર્જનમાં ‘આલ્ફાબેટ’ શબ્દ માત્ર એક જ વાર ‘ટાઇટસ એન્ડ્રોનિકસ’માં જ વાપર્યો છે.) એમિલિ ડિકિન્સન પણ ‘મારા મિત્રો એ જ મારી ગરાસ છે’ એમ કહે છે. જોસેફ પણ બંને પ્રકારની મૈત્રીનું મૂલ્ય કરે છે. નવી દોસ્તીને એ નવી શરાબ સાથે સરખાવે છે, જે સમય જતાં વધુ અસરદાર અને મૂલ્યવાન બનશે જ. જે દોસ્તી સમય અને પરિવર્તનની કસોટી પર ખરી ઊતરી શકે છે એ જ બધામાં સર્વોપરી છે. ‘હેમ્લેટ’માં શેક્સપિઅર લખે છે: ‘તમારી પાસે જે મિત્રો છે, અને જેમની વફાદારી ચકાસી લેવાઈ છે, એમને લોઢાની હાથકડીથી તમારા આત્મા સાથે બાંધી રાખો, પણ દરેક નવા અપરિપક્વ માણસ સાથે તમારે હથેળી ગંદી ન કરો’ શેકસપિઅરના નામે ચડી ગયેલ ‘ધ પેશનેટ પિલ્ગ્રિમ’ની આખરી કવિતામાં હકીકતમાં રિચર્ડ બાર્નફિલ્ડ ‘વફાદાર મિત્રો મળવા મુશ્કેલ છે’ એમ કહે છે. (૧૫૯૯માં પ્રગટ થયેલ આ પુસ્તકમાંની વીસ કવિતામાંથી હકીકતમાં પાંચ જ કવિતા શેક્સપિઅરની હોવાનું પુરવાર થયું છે.)

સમયની સાથે માણસ ઘરડો થાય છે, શરીરનો ક્ષય થાય છે પણ દોસ્તીનો ક્ષય થતો નથી. જૂના અને ચકાસેલા દોસ્તોનો સહવાસ જ આપણા ઘડિયાળના કાંટા ઊલટા ફેરવી આપવા સમર્થ છે. દોસ્ત જ આપણો હાથ ઝાલીને આપણી વીતેલી ગઈકાલમાં લઈ જઈ શકે છે અને ते हि नो दिवसा गताःથી બિલકુલ વિપરીત એ આપણને ઘડપણમાં પણ નવયુવાનીનો અહેસાસ કરાવી શકે છે. પણ દરેક વસ્તુ એક એક્સપાયરી ડેટ સાથે જ આવે છે. દોસ્તી ભલે કદી મરતી નથી, પણ દોસ્તો તો મરણ પામે જ છે ને! એક પછી એક બધા જ દોસ્ત મરણને શરણ થાય ત્યારે? જોસેફ એટલે જ નવા મિત્રો પણ બનાવતા જવાની સલાહ આપે છે. એ કહે છે, જૂની દોસ્તીનું જીવની જેમ જતન કરો, કેમકે બધામાં એ જ સર્વોત્તમ છે. અને કવિતાની શરૂની બે પંક્તિઓનું પુનરાવર્તન કરીને પોતાના મુદ્દા નીચે ડબલ અંડરલાઇન કરે છે. કોઈકે કહ્યું છે ને, ‘કપડાંની વાત હોય તો નવાં શ્રેષ્ઠ છે, પણ દોસ્તોની વાત હોય તો જૂના.’ લૂઈ વૉલેસ ‘બેન-હુર’ નવલકથામાં લખે છે કે ‘આ પાગલ દુનિયામાં એક જ શાણપણ છે, અને તે છે જૂના દોસ્તોની વફાદારી.’ એક અજ્ઞાત કવિનો દોહો યાદ આવે છે:

दोस्ती ऐसी कीजिये जैसे सिर के बाल
कटे कटावे फ़िर कटे, जड से न जाए ख्याल।

પહેલી નજરે કવિતામાં માત્ર જૂના મિત્રોનું જ માહાત્મ્ય કર્યું હોય એમ લાગે પણ ધ્યાનથી જોઈએ તો સમજાય છે કે કવિએ નવા અને જૂનાનું નહીં, પણ દોસ્તીનું જ માહાત્મ્ય કર્યું છે. જૂનાની વાત કરતી વખતે પણ એ યાદ કરાવે છે કે નવા મિત્રોની પણ જરૂર પડવાની જ છે, કેમકે આજે જે નવા છે, એ જ તો કાલે જૂના થશે. અને જૂનું એટલું સોનું તો આપણે જાણીએ જ છીએ. જે મિત્રો આપણા જીવનની અંતરંગ ક્ષણોના સાક્ષી છે, જેમણે આપણી લાગણીઓના ઉતારચઢાવ સતત જોયા છે, જે આપણી સફળતા-નિષ્ફળતામાં આપણા કદમ સાથે હરદમ કદમ મિલાવતા આવ્યા છે, જે કદાચ આપણા સ્વ-ભાવને આપણા કરતાં વધુ સારી રીતે સમજી શકે છે એ દોસ્તથી બહુમૂલ્ય ઘરેણું જીવનમાં કયું હોઈ શકે? ઈસુથી સો વર્ષ પહેલાં થઈ ગયેલા માર્કસ ટુલિયસ સિસેરોએ કહ્યું હતું કે મિત્ર એ તમારી બીજી જાત (another self) છે; મિત્રો ‘બે શરીરમાં એક આત્મા’ છે. આજે આપણા સૌની સહનશક્તિ ઐતિહાસિક તળિયાને આંબી રહી છે, ત્યારે નાનીમોટી વાતોમાં આપણને ખોટું લાગી આવે છે, નજીવી બાબતમાં વર્ષોની દોસ્તી તૂટી જાય છે અને ક્યારેક જેના વિના જીવન શક્ય પણ નહોતું લાગતું એ સામા મળી જાય તો હસવાનુંય દુષ્કર થઈ પડે છે. સોશ્યલ મિડીયાની દોસ્તી આજે વાસ્તવિક દોસ્તી કરતાં આપણને વધુ મીઠી લાગવા માંડી છે. વર્ચ્યુઅલ સંબંધોનું રૉલર ધરતીમાં ઊંડે મૂળ ઊતારીને ઊગેલા વાસ્તવિક સંબંધો પર ઝડપભેર ફરી વળવા માંડ્યું છે. પણ જીવનમાં રડવા માટે આ વર્ચ્યુઅલ ખભા કામ નથી આવતા. દોસ્તી એટલે એવા ખભાનું સરનામું જ્યાં વગર ટિકિટે ટપાલ પોસ્ટ થઇ શકે, અને તોય એ ગેરવલ્લે ન જાય! ખોળિયામાં જેમ શ્વાસ એમ જીવનમાં દોસ્તનો ખભો અનિવાર્ય છે:

એ ખભો નહીં હોય તો નહીં ચાલશે,
એ ખભો ક્યાં છે? એ મારો શ્વાસ છે!

દોસ્તના ખભા ઉપર મૂકાયેલા માથાંઓએ તો ઇતિહાસ સર્જ્યા છે. જે ખભા પર આપણી જિંદગીની રામાયણ-મહાભારતના એક-એક શ્લોક લખાયા છે એ ખભાને નાની-મોટી વાતોમાં તરછોડવાનું, અવગણવાનું કેટલા અંશે વ્યાજબી ગણાય? જીવનના બબ્બે-પાંચપાંચ દાયકાઓ આપણી સાથે કોઈ મિત્ર બનાવીને વીતાવે એ વાત જ કેટલી મોટી છે! આપણી સહનશક્તિનો ગ્રાફ થોડો ઊંચો રાખીને આવા મિત્રો છેલ્લા શ્વાસ સુધી મિત્રો જ બની રહે એ જોતાં શીખી જઈશું તો જીવનમાં કોઈ તકલીફ જ નહીં રહે કેમકે ‘ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન.’

અમે તો ગીત ગાનારા – પ્રિયકાંત મણિયાર

સ્વરાંકનઃ અમર ભટ્ટ
સ્વર: અમર ભટ્ટ

.

અમે તો ગીત ગાનારા
પ્રીત પાનારા
સાવ છલોછલ જઈએ ઢળી
પૂછીએ નહી ગાછીએ નહી મનમાં જઈએ ઢળી,
કોઈના મનમાં જઈએ મળી

આંખને મારગ અંદર જઈએ, ટેરવે કરીએ વાત,
સળગે સૂરજ આજ ભલેને નિતની શરદ રાત,
અમારે નિતની શરદ રાત,
આટલા ધગે તારલા એ તો વણ ખીલેલી મોગરકળી.

પુલ બનીને જલને જોવા ઉપજે દાહ,
સરકી જાતી ટ્રેનના પાટા અંતર ભરતા આહ,
જાણીએ અમે કોઈની એવી વેદના વળી.

સાગરના એ ક્ષારથી છૂટા – આભથી અંતરિયાળ,
જલને વહેવું હોય તો પછી ક્યાંકથી મળે ઢાળ,
કાળની કંકુશીશી એમાં ચાંલ્લો કરવા ક્ષણની સળી,
અમે ક્ષણની સળી.
– પ્રિયકાંત મણિયાર