ગ્લૉબલ કવિતા : ૧૦૪ : પરિશૂન્યતા – આહારોન આમીર (હિબ્રૂ)

Nothingness

I woke up at night and my language was gone
No sign of language no writing no alphabet
nor symbol nor word in any tongue
and raw was my fear-like the terror perhaps
of a man flung from a treetop far above the ground
a shipwrecked person on a tide-engulfed sandbank
a pilot whose parachute would not open
or the fear of a stone in a bottomless pit
and the fright was unvoiced unlettered unuttered
and inarticulate O how inarticulate
and I was alone in the dark
a non-I in the all-pervading gloom
with no grasp no leaning point
everything stripped of everything
and the sound was speechless and voiceless
and I was naught and nothing
without even a gibbet to hang onto
without a single peg to hang onto
and I no longer knew who or what I was
and I was no more

– Aharon Amir
(translated from the Hebrew by Abraham Birman)

પરિશૂન્યતા

હું રાત્રે જાગ્યો અને મારી ભાષા ચાલી ગઈ હતી
નહીં ભાષાનું કોઈ નિશાન ન લખાણ ન કક્કો
ન ચિહ્ન ન શબ્દ કોઈ જબાનમાં
અને પ્રાકૃત હતો મારો ભય – એ આતંક સમો જે કદાચ
જમીનથી ખૂબ ઊંચા ઝાડની ટોચેથી ફેંકાયેલ માણસ અનુભવે
ભરતીએ ગળી લીધેલા રેતકાંઠા પર ભગ્ન જહાજી વ્યક્તિ અનુભવે
જેનું પેરાશૂટ ખૂલે જ નહીં એ વિમાનચાલક અનુભવે
અથવા ડર જે તળહીન ખાડામાં એક પથરો અનુભવે
અને ભય અઘોષ અનક્ષરિત અનુચ્ચરિત હતો
અને અસ્ફુટ રે કેટલો અસ્ફુટ હતો
અને હું એકલો જ હતો અંધારામાં
એક બિન-હું સર્વવ્યાપી ઉદાસીમાં
ન કોઈ પકડ ન કશું અઢેલવાને
સર્વસ્વ ઉતરડી લેવાયેલું સર્વસ્વથી
અને ધ્વનિ હતો વાચાહીન અને અવાજહીન
અને હું શૂન્ય અને કંઈ જ નહોતો
લટકવા માટે વધસ્તંભ વિનાનો
લટકવા માટે એકેય ખૂંટી વિનાનો
અને હવે હું જાણતો જ નહોતો કે હું કોણ કે શું હતો
અને હું હતો જ નહીં

– આહારોન આમીર (હિબ્રૂ)
(અંગ્રેજી પરથી અનુવાદ વિવેક મનહર ટેલર)

ભાષા વગર, વિચાર વગર, અભિવ્યક્તિ વગર તમે શું કરો?

એક રાત્રે અચાનક ભયાનક સપનું જોઈને તમારી ઊંઘ ઊડી જાય છે અને તમે તમારા સાથીદારને ઊઠાડવા બૂમ પાડવા જાવ છો અને તમને અહેસાસ થાય છે કે તમારી પાસે નથી કોઈ વાચા કે નથી કોઈ વિચાર. અક્ષરો, શબ્દો, વાક્યો – બધું જ બાષ્પીભવન થઈ ગયું છે. વાણીના નામે તમારી પાસે નકરો શૂન્યાવકાશ જ રહી ગયો છે અને ભાષાના અભાવે તમે કંઈ વિચારવા માટે પણ સક્ષમ નથી. શૂન્યતાના આવા આકરા બ્લેકહૉલમાં જે ઘડી અંતહીન પડવાનું આવે એ ઘડીએ તમે આવી ઊભા છો. હવે તમે શું કરશો? કેવી રીતે તમારા સાથીદાર સાથે, પરિવારજનો સાથે, મિત્રો સાથે, સહકર્મીઓ સાથે હવે તમે વાર્તાલાપ કરી શકશો? તમારી જાતને કઈ રીતે અભિવ્યક્ત કરી શકશો? વિચારો… આવી કોઈ અસીમ શૂન્યતાની અનંત ભેખડ પર લટકવાનું થાય તો શું હાલત થાય? શૂન્યતાની ચરમસીમાની આવી જ ક્ષણો લઈને ઈઝરાઈલી હિબ્રૂ કવિ આહરોન આમીર આજે ગ્લૉબલ કવિતામાં ઉપસ્થિત થયા છે.

આહરોન આમીર. ૦૫-૦૧-૧૯૨૩ના રોજ લિથુઆનિયામાં જન્મ. મૂળે ઇઝરાઈલી. હિબ્રૂ ભાષાના સાહિત્યકાર. ૧૦ વર્ષની વયે એમનો પરિવાર પેલેસ્ટાઇન સ્થળાંતરિત થયો. તેલ અવીવમાં મોટા થયા. અભ્યાસ કરતા હતા એ સમયે આમીર ઇર્ગુન અને લેહી નામની ગુપ્તચર સંસ્થાઓના સભ્ય હતા, જેઓ પેલેસ્ટાઇનમાંથી બ્રિટિશરોને હાંકવા માંગતા હતા. કેનાનાઇટ ચળવળ જેણે પેલેસ્ટાઇનના યહૂદીઓના કળા, સાહિત્ય, આધ્યાત્મિક અને રાજકારણીય વિચારોને નવો દેહ બક્ષ્યો, એના સ્થાપક સભ્ય પણ તેઓ હતા. આ ચળવળે એ સમયની સંસ્કૃતિને ધર્મના સીમાડાઓથી ઊંચા ઊઠતાં શીખવ્યું. ૧૮ વર્ષ સુધી એમણે કેશેટ નામનું સાહિત્યિક સામયિક પણ ચલાવ્યું. જીવનના આખરી શ્વાસ સુધી સક્રિય રહ્યા. ૮૫ વર્ષની વયે કેન્સરના કારણે ૨૮-૦૨-૨૦૦૮ના રોજ નિધન. પોતાનું શરીર તેઓ વિજ્ઞાનને સમર્પિત કરતા ગયા.

કર્મઠ સર્જક આહરોનની ભાષા જેટલી સહજ છે એટલું વાતનું ઊંડાણ સહજ નથી. આહરોનની કવિતાઓ એક ઊંડા કૂવા જેવી છે, એમાં જેમ ઊંડે ઊતરતા જાવ, એમ નવા-નવા પરિમાણ હાથ આવતા જાય છે, નથી હાથ આવતું તો માત્ર તળ. ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષામાંથી વિપુલ સાહિત્ય તેઓ પોતાના હિબ્રૂ લોકો માટે ઊતારી લાવ્યા. ૨૦-૩૦ નહીં, લગભગ ૩૦૦ જેટલા પુસ્તકોનો એમણે હિબ્રૂ ભાષામાં અનુવાદ કર્યો. અને બંધ કોચલા જેવી સંસ્કૃતિના અંધારામાં કેદ ભાષાવાસીઓ માટે તેઓ આ રીતે અજવાળાનું આખું આકાશ લઈ આવ્યા હતા. આ છતાં એમણે આજીવન અનુભવ્યું કે પોતે આ દેશમાં આગંતુક હોવાના નાતે સ્થાનિક લોકો અને સ્થાનિક સાહિત્યે એમનો પૂર્ણપણે સ્વીકાર કર્યો નહોતો.

કવિતાના શીર્ષક નથિંગનેસનો તરજૂમો વ્યાયામ માંગી લે છે. ફરી એકવાર એક ભાષાની લાક્ષણિકતા કઈ રીતે બીજી ભાષાની મર્યાદા બનતી હોય છે એ સમજી શકાય છે. અંગ્રેજીના જાણતલને નથિંગનેસનો અર્થ સમજાવવો પડતો નથી. નથિંગનેસ બોલતાં જ આંખ સામે શૂન્યતાની અસીમ ખીણ નજર સામે આવી ઊભે છે. શીર્ષકનો અનુવાદ શું કરવો? શૂન્યતા? પરિશૂન્યતા? અનસ્તિત્વતા? ખાલીપો? બધા જ વિકલ્પ સાચા પણ છે અને અધૂરા પણ છે. યથાર્થ ભાષાંતર કરવું હોય તો ‘કંઈ નહીં-તા’ જેવો શબ્દ કોઇન કરવો પડે પણ મૂળ રચના અને અંગ્રેજી અનુવાદમાં શીર્ષક માટે કોઈ અરુઢ શબ્દ પ્રયોજાયો ન હોવાથી ગુજરાતીમાં ‘પરિશૂન્યતા’ જેવો નિકટતમ વિકલ્પ નિર્વાહ્ય ગણી લેવો પડે. શીર્ષકના અનુવાદની ગડમથલ જાહેર કરવાનું મુખ્ય કારણ એ છે કે પ્રસ્તુત રચના ભાષાની આ ખાસિયત અને મર્યાદાઓ પર જ પ્રકાશ નાંખે છે. ‘પરિશૂન્યતા’ વીસ પંક્તિઓના એક જ બંધમાં લખાયેલ કાવ્ય છે. અહીં ભાષાલોપની વાત મુખ્ય હોવાથી છંદલોપ તથા પ્રાસલોપ પણ સહજ સ્વીકૃત બની રહે છે. મૂળ કવિતા ઉપલબ્ધ ન હોવાથી કવિએ એમાં વિરામચિહ્નોનું પ્રયોજન કઈ રીતે કર્યું છે કે કર્યું છે યા નહીં એ જાણવું શક્ય નથી પણ અબ્રાહમ બિરમને અંગ્રેજી અનુવાદમાં કવિતામાં ચાર જગ્યાએ ડૅશ (લઘુરેખા) વાપરવા ઉપરાંત કોઈપણ પ્રકારના વિરામચિહ્ન પ્રયોજ્યા નથી જે સૂચક છે. ભાષા-વાણી ખોવાઈ જવાની વાત તમામ પ્રકારના વિરામચિહ્નો ખોઈ નાંખવાના કારણે વધુ ધારદાર બની છે. જો કે એની સામે કવિએ વ્યાકરણમાં ક્યાંય કોઈ ચેડા કર્યા નથી એ પણ એટલું જ નોંધપાત્ર છે.

અડધી રાત્રે સંભાષકની ઊંઘ કોઈક કારણોસર અચાનક ઊડી જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે એની ભાષા અચાનક ચાલી ગઈ છે. એની પાસે હવે એની ભાષાનું કોઈ નિશાન, લખાણ, કક્કો કે અન્ય કોઈ પણ ભાષાના શબ્દ કે ચિહ્ન-ઈશારા સુદ્ધાં રહ્યાં નથી. અડધી રાતે અચાનક કોઈકે એની પાસેની આ તમામ મતા સાગમટે ચોરી લીધી છે અને એ આદિમ ભયથી આતંકિત થઈ જાય છે. ફ્રાન્ઝ કાફકાની બહુપ્રસિદ્ધ જર્મન લઘુનવલ (Novella) ‘Die Verwandlung’ (અંગ્રેજીમાં ‘મેટામોર્ફોસિસ’)નો નાયક ગ્રેગોર સામ્સા યાદ આવી જાય. એક સવારે ઊઠીને ગ્રેગોર પોતાની જાતનું એક વિશાળ જંતુમાં રૂપાંતર થઈ ગયેલું જુએ છે. જંતુ બનવાની સાથે એની ભાષા પણ બદલાઈ જાય છે, જે પરિવારજનો માટે અસંબદ્ધ અવાજથી વિશેષ કશું નથી. સ્વરૂપ અને ભાષા બદલાઈ જવાથી ગ્રેગોર અને પરિવારજનો જે સમસ્યાઓનો શિકાર બને છે એ આખી વાત બહુ અદભુત છે અને દુનિયાભરના વિદ્વાનોએ આ લઘુનવલના પોતપોતાની રીતે અર્થઘટનો કર્યાં છે. આમીરની આ રચના કાફકાની લઘુનવલના પદ્યસ્વરૂપ સમી છે.

આખું જીવન અભરે ભરેલું હોવા છતાં મનુષ્યને જીવનમાં જે નથી એનો જ મોહ વધુ હોય છે. ‘છે’નો સિક્કો સમયના હાથે સતત ઘસાતો રહે છે પણ ‘નથી’નો સિક્કો વધુ ને વધુ ચમકદાર બનતો રહે છે. પગ પાસેની રેતીમાં શ્રદ્ધા હોત તો મરીચિકાનો જન્મ જ ન થાત! પણ આપણને હંમેશા પારકે ભાણે જ લાડુ મોટો લાગતો આવ્યો છે. હોવા કરતાં ન હોવાનું ગણિત જ પ્રાધાન્ય ધરાવતું હોવાથી જિંદગીના દાખલામાં સરવાળે હંમેશા ખોટ જ હાથ લાગે છે. ઈ.પૂ. ૫૬૫માં લાઓ ત્સેએ કહ્યું હતું: ‘અજ્ઞાનને જાણવું એ જ્ઞાનનો શ્રેષ્ઠ ભાગ છે.’ અહીં નાયકને અચાનક પોતાની પાસે જે બચ્યું નથી કે છિનવાઈ ગયું છે એનું જ્ઞાન થાય છે. જ્ઞાન હંમેશા કષ્ટદાયક હોય છે. ડી એચ લૉરેન્સે કહ્યું હતું કે ‘જ્ઞાને સૂર્યને મારી નાંખ્યો છે, ધબ્બાઓવાળો વાયુનો એક ગોળો બનાવી દીધો છે.’ કેવી સાચી વાત! ગુમાવી બેસવાના જ્ઞાને જ નાયકને ભયભીત કરી દીધો છે. કોઈ વસ્તુ આપણે કદી જોઈ-અનુભવી જ ન હોય તો એની અછત બહુ તકલીફદેહ બનતી નથી. મર્સિડિઝ-બીએમડબ્લ્યૂના કદી માલિક થયાં જ ન હોઈએ તો ઈર્ષ્યાથી વધીને કદાચ તકલીફ ન જ થાય પણ આખી જિંદગી એમાં ફર્યા હોઈએ અને અચાનક ગુમાવી બેસીએ એ વધુ પીડાકારક છે. ‘ન હોવું’ એ ‘હોવું’ કરતાં વધુ દર્દ પહોંચાડે છે પણ ‘હોવું’ જ્યારે ‘ન હોવું’ બની જાય ત્યારે તો અસહ્ય જ બની રહે છે.

નાયકની જિંદગીમાંથી રાતોરાત ભાષા એના તમામ આયામો લઈને ચાલી ગઈ છે. ભાષાથી મોટી કોઈ ક્રાંતિ મનુષ્યજાતે કરી-અનુભવી નથી. જ્યારે ભાષા હતી જ નહીં, ત્યારે પણ પ્રત્યાયન તો હતું જ. પણ એ બિલકુલ આદિમ પ્રકારનું હતું. માનવામાં આવે છે કે પાંચ લાખ વર્ષ પહેલાં વાણીનો ઉદગમ થયો હતો. સાંઠ-સિત્તેર હજાર વર્ષ પહેલાં આદિમાનવો અલગ અલગ ભૂખંડમાં ફેલાવા શરૂ થયા અને અલગ-અલગ પ્રકારની વાચાનો જન્મ થવાની શરૂઆત થઈ. ફ્રાન્સમાં શૉવેટ ગુફામાં પ્રત્યાયનમાં મદદરૂપ ગુફાચિત્રો મળી આવ્યા છે, જે ૩૦૦૦૦ વર્ષો પુરાણાં છે. ભાષાની ઉત્ક્રાંતિ અત્યંત ધીમી ગતિએ થઈ. ગુફાચિત્રોથી પેટ્રોગ્લિફ (પહાડમાં કરેલ કોતરકામ) સુધી જવામાં બીજાં વીસેક હજાર વર્ષ નીકળી ગયાં. લેખનની શરૂઆત ઈસુથી ત્રણથી છ હજાર વર્ષો પૂર્વે થઈ હોવાનું મનાય છે પણ વાણીની શરૂઆત વિશે કોઈ આધારભૂત સ્રોત ઉપલબ્ધ નથી કેમકે વાચા કોઈ નિશાન મૂકતી નથી જેને પુરાતત્ત્વવિદ્દ ખોદી કાઢી શકે. જેમ પશુ-પક્ષીઓમાં એમ મનુષ્યોમાં પણ અવાજના નાના-મોટા આરોહ-અવરોહથી વાતચીત કરવાની શરૂઆત થઈ હશે. મનુષ્યો પાસે હાથ-પગ-શરીર વડે સંકેત કરવાની વધારાની સુવિધા પણ હતી. સમય જતાં આ અવાજોના પિંડ બંધાયા અને એમ ભાષાની શરૂઆત થઈ. આજે આપણે જે કંઈ પણ વિચારીએ છીએ એ માત્ર ભાષાના પ્રતાપે જ છે. જો આપણા વિકાસના મૂળમાં ભાષાની સિમેન્ટ રેડવામાં આવી જ ન હોય તો અભિવ્યક્તિની ઈમારત બાંધવી જ સંભવ નથી. ફ્રાન્સિસ બેકને કહ્યું હતું એમ, ‘માણસો કલ્પના કરે છે કે તેઓનું મન ભાષા પર આધિપત્ય ધરાવે છે, પણ બહુધા એવું થતું હોય છે કે ભાષા મનોમસ્તિષ્ક પર રાજ્ય કરે છે.’ કોઈકે કહ્યું છે એમ ભાષા સુનિશ્ચિત રેલપટ્ટીઓ જેવી છે, જેના પર જ આપણા વિચારોએ દોડવું પડે છે.

અને આ ભાષાની એકદિવસ અચાનક આગોતરી જાણ વિના જ જીવનમાંથી બાદબાકી થઈ જાય તો કેવી હોનારત સર્જાય?! નખશિખ વસ્ત્રોથી સુશોભિત સભાગૃહની સમક્ષ મંચ પર અચાનક નિર્વસ્ત્ર આવી ઊભા રહેવાનું થાય ત્યારે જે હાલત થાય એ હાલત સંભાષક અનુભવી રહ્યો છે. આકાશને આંબતા વિરાટકાય વૃક્ષની ટોચ પરથી કોઈ માણસ નીચે ફંગોળાય ત્યારે કેવો ડર લાગે! જહાજ તૂટી ગયા પછી કોઈ નાના ટાપુ પર આશરો લેનાર માણસ જ્યારે જુએ કે દરિયાની ભરતી ટાપુને ગળવા માંડી છે તો જીવ કેવો પડીકે બંધાય! વિમાનચાલકે વિમાનમાંથી કૂદવું પડે અને જે પેરાશૂટના આશરે કૂદ્યો હોય એ પેરાશૂટ ખૂલે જ નહીં તો કેવી કફોડી હાલત થાય! પથરો ખાડામાં પડે ને ખાડાનો અંત આવે જ નહીં, આવે જ નહીં ત્યારે ભય અને અનિશ્ચિતતાની જે તીવ્રતમ લાગણી થાય એ લાગણી કથક અહીં અનુભવી રહ્યો છે. પણ આ ભય પણ અવાજ વગરનો, અક્ષર વગરનો, ઉચ્ચારી ન શકાય એવો હતો. કોઈપણ જાતના અવયવ વિનાના શરીર જેવી આ વાત છે. કોઈપણ પ્રકારે સ્ફુટ ન થઈ શકે એવી અસંબદ્ધતા નાયકને ઘેરી વળે છે. ભયની આ અસ્ફુટતાને કવિ ‘અસ્ફુટ’ શબ્દને બેવડાવીને વધુ ધારદાર બનાવે છે.

ભાષા વિનાના અંધારામાં સાવ માણસ એકલો પડી જાય છે. એક એવી કાળી ગાઢી ઉદાસી બધી તરફ વ્યાપી જાય છે, જેમાં ભલભલા ‘હું’ ઓગાળી જાય છે. જીવનમાં જે કોઈ સહારાઓ હતા, એ આ અંધારામાં ગાયબ થઈ જાય છે. આમેય અંધારું નાના-મોટા બધાને બધાને એકસમાન રંગીને એક કક્ષાએ લાવી દે છે. આ અંધારામાં જાતને ટકાવવા માટે હવે નથી કોઈ પકડ બચી કે નથી કોઈ ટેકો, જેને અઢેલી શકાય. જાણે સર્વસ્વને સર્વસ્વમાંથી ઉતરડી ન લેવાયું હોય એમ શૂન્યતામાં શૂન્યતાનો ગુણાકાર થતો રહે છે. પાસે જે ધ્વનિ બચી ગયો હોવાનું અનુભવાય છે એમાં કોઈ વાચા નથી ને કોઈ અવાજ પણ નથી. આ વાચાહીન અને અવાજહીન ધ્વનિનું રૂપક કવિતામાં સૌથી વધુ મજબૂત રૂપક છે, જેની સામે આવીને મજબૂતમાં મજબૂત ભાવક પણ ઘૂંટણિયે પડવા મજબૂર થઈ જાય છે.

ભાષા આપણી શક્તિ છે તો આપણી મર્યાદા પણ છે. કોઈકે અંગ્રેજીમાં કહ્યું છે કે, ‘કેમકે આપણે માત્ર આપણા અનુભવોને જ ઓળખીએ છીએ, આપણે કેવી રીતે ક્યારેય એમની બહાર આવીને ચકાસી શકીએ, કે ખરેખર વાસ્તવિક્તા શું છે?’ આપણા મનોભાવોને સુપેરે યથાતથ રજૂ કરી શકે એવી કોઈ ભાષા દુનિયામાં શોધી શકાઈ જ નથી. દરેક ભાષા પાસે અભિવ્યક્તિની વધતીઓછી ક્ષમતા હોવાના કારણે એક ભાષા જે લાગણી જે શબ્દમાં વ્યક્ત કરી શકે છે, એ લાગણી એના એ રૂપે વ્યક્ત કરવામાં બીજી ભાષા કદી સક્ષમ બને જ નહીં. રાવજી પટેલના ‘આભાસી મૃત્યુનું ગીત’નો દુનિયાની બીજી કોઈપણ ભાષામાં તરજૂમો શક્ય જ નથી. ને એ ન્યાયે દુનિયાની કોઈ કવિતા બીજી ભાષામાં મૂળ ભાષાના ભાવોને હૂબહૂ રજૂ કરી શકે જ નહીં. ફ્રોસ્ટે કહ્યું જ હતું કે અનુવાદમાં જે ગુમાવી બેસાય છે એ કવિતા છે. એઝરા પાઉન્ડે બહુ સાચું કહ્યું છે: ‘તમામ માનવ જ્ઞાનનો સરવાળો કોઈ એક ભાષામાં સમાવી શકાય નહીં, અને કોઈ એક ભાષા માનવીય સમજના તમામ સ્વરૂપો તથા પરિમાણો વ્યક્ત કરવાને સક્ષમ નથી.’

જ્યારે હોવામાંથી હોવું નીકળી જાય ત્યારે મનુષ્ય શૂન્ય બની જાય છે, શૂન્યથીય વધુ સીમિત –કંઈ જ નહીં- બની જાય છે. (શૂન્ય પણ આખરે કંઈક તો છે જ ને!) લટકી જવા માટે વધસ્તંભ તો નથી જ, એકાદી ખૂંટીય નથી રહેતી જ્યાં તમે લટકી-અટકી જઈ શકો અને શૂન્યની હદોય ઓગળી જાય એવી પરિશૂન્યતા-કંઈ નહીંતામાં સરી પડવાથી બચી શકો. મહર્ષિ અરવિંદ સમાધિના પ્રથમ પગથિયાં તરીકે પોતાના વિચારોથી અળગા થવાની સલાહ આપે છે. પોતાના વિચારોને કોઈ ત્રાહિત વ્યક્તિની જેમ આવતાં-જતાં જોતાં એ શીખવે છે. સાચા અર્થમાં આ આવડે એ પછી માણસ વિચારોને સંપૂર્ણતયા અવગણી શકીને વિચારહીનતાના શિખરે પહોંચી શકે છે. વિચારહીનતાનું સર્વોત્તમ શિખર એ સમાધિનું પ્રથમ પગથિયું છે. ઓશો પણ અરવિંદના સૂરમાં પોતાનો સૂર પૂરાવી તાટસ્થ્યપૂર્ણતાથી વિચાર સાથે વર્તી સમાધિ સુધી જવાનો રાહ કંડારે છે. કેમકે જ્યારે માણસ સમગ્રતઃ વિચારશૂન્ય થઈ જાય છે ત્યારે સાચા અર્થમાં એનો ‘હું’ સંપૂર્ણપણે ઓગળી જાય છે. ભાષા આપણને વિચારતા શીખવે છે. આપણા વિચારને ચાલવા માટે ભાષાની સડક અનિવાર્ય છે. સોળમી-સત્તરમી સદીમાં થઈ ગયેલા રેની ડેઇકાર્ટ (René Descartes)નું લેટિન વિધાન છે: હું વિચારું છું, માટે હું છું. (ego cogito, ergo sum) ફિલિપ આદમ્સ આ વાતથી એક પગલું અગળ વધે છે: ‘હું વિચારું છું તેથી મારી પાસે કોઈ સગડ નથી.’

ભાષા બે મનુષ્યો, બે સંસ્કૃતિઓને જોડતો સેતુ છે. ભાષા સમાજનો મૂળભૂત પાયો છે. ભાષા વિચારની જનેતા છે. ભાષા છિનવાઈ જવાનું કાવ્યનાયકનું દુઃસ્વપ્ન એના એકલા પડી જવાના ડરનું જ દ્યોતક છે. આજે આપણે એ બિંદુએ આવી ઊભા છીએ જ્યાં માણસ હજારો માણસોને મળવાની ક્ષમતા તો ધરાવે છે પણ પોતાની જાતને મળવાની હિંમત ગુમાવી બેઠો છે. આજના મનુષ્યની મથરાવટી મુકુલ ચોક્સીએ આબેહૂબ આલેખી છે:

હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.

જાતથી રૂબરૂ થઈ જવાનો ડર આજે તમામ ડરનો બાપ બની બેઠો છે. ઇન્ટરનેટ અને સ્માર્ટફોને તો મોંકાણની પરાકાષ્ઠા માંડી છે. એણે માણસને પોતાની જાતથી તો વેગળો કરી જ નાંખ્યો છે, આસપાસમાંથીય બાદ કરી નાંખ્યો છે. આજનો મનુષ્ય આભાસી દુનિયામાં ગરકી ગયો છે એવામાં અડધી રાતે આવો અહેસાસ થાય કે ભાષા-વિચાર-અવાજ બધું જ છિનવાઈ ગયું છે ત્યારે જે એકલતાની-પરિશૂન્યતાની ચરમસીમા અનુભવાય એ અનુભવવું આજના માનવીના બરની વાત નથી. ભાષા-વાચા-વિચારહીન થઈ જવાની ઘડીએ હું હું રહેતો નથી કેમકે બધી ઉપાધિ વિચાર-વાના કારણે જ છે. વિચારને જ લકવો પડી જાય તો પછી ઉપાધિ જ શી રહે? કબીર યથાર્થ જ કહી ગયા છે કે, ‘जब मैं था तब हरी नहीं, अब हरी है मैं नाही|’ જ્યાં સુધી માણસ પાસે એનો ‘હું’ હોય છે ત્યાં સુધી ઈશ્વર પણ એની નજીક ફરકવાની હિંમત કરી શકતો નથી પણ જે ઘડીએ માણસનો ‘હું’ ખરી પડે છે ત્યારે ઈશ્વર સિવાય કંઈ બચતું નથી કેમકે ‘હું’વિહોણો મનુષ્ય સાક્ષાત્ ઈશ્વર જ છે! એકવાર કોઈપણ પ્રકારના વિચારોથી પરિશૂન્ય થઈ જવાય તો હું કોણ છું કે હું શું છુંનો કોઈ અર્થ બચતો નથી, કેમકે હુંનું અસ્તિત્વ જ મટી જાય છે. અનસ્તિત્વતાનો આ સાક્ષાત્કાર જ આ કવિતાની સાચી ઉપલબ્ધિ છે.

6 replies on “ગ્લૉબલ કવિતા : ૧૦૪ : પરિશૂન્યતા – આહારોન આમીર (હિબ્રૂ)”

  1. આપના કવિતા વિવેચન -રસદર્શનને લઈને ગ્લોબલ કવિતા માણવા-સમજવાની આવડત -સમજ અનેક ગણી વધી જાય છે.
    વિકેકભાઈ , આપનો અંત્યંત અભાર.

  2. ભાઇ શ્રી વિવેક,

    ઘણા કાવ્યો ના આપના વિવેચન આ વેબસાઇટ પર વાંચવા મળે છે જેના આધારે
    કાવ્યો સમજવાનુ સરળ પડેછે.
    ખૂબ ખુબ આભાર.

    નવિન કાટ્વાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *