ગ્લૉબલ કવિતા : ૭૨ : શ્યામ! હું તારી ગાયો ચરાવું – પરવીન શાકિર

आँख जब आईने से हटाई
श्याम सुन्दर से राधा मिल आई
आये सपनो में गोकुल के राजा
देने सखियों को बधाई
प्रेम-जल ख़ूब गागर में भर लूँ
आज बादल ने माया लुटाई
किसको पनघट पे जाने की ज़िद थी
किससे गागर ने विनती कराई
ओक से पानी बहने लगा तो!
प्यास गिरधर की कैसे बुझाई
अब तो जल का ही आँचल बना लूँ
पेड़ पर क्यों चुनरिया सुखाई
उसी बालक से निन्दिया मिलेगी
जिसने माथे की बिन्दिया चुराई
रंग डाली मेरी आत्मा तक!
क्या मनोहर के मन में समाई
मैंने सखियों को कब कुछ बताया
बैरी पायल ने ही जा लगाई
गोपियों से भी खेले कन्हैया
और हमसे भी मीठी लड़ाई
कोई ख़ुशबू तो अच्छी लगेगी!
फूल भर-भर के आँचल में लाई
श्याम! मै तोरी गईयाँ चराऊँ
मोल ले ले तू मेरी कमाई
कृष्ण गोपाल रास्ता ही भूले
राधा प्यारी तो सुध भूल आई
सारे सुर एक मुरली की धुन में
ऐसी रचना भला किसने गाई
कैसा बंधन बंधा श्याम मोरे
बात तेरी समझ में न आई
हाथ फूलो से पहले बने थे
या कि गजरे से फूटी कलाई!

– परवीन शाकिर

શ્યામ! હું તારી ગાયો ચરાવું

આંખ દર્પણથી જ્યારે ખસેડી,
શ્યામસુંદરને રાધા મળી આવી.
આવ્યા સપનામાં ગોકુળના રાજા,
આપવા સહિયરોને વધાઈ.
પ્રેમજળથી ભરું આખી ગાગર,
વાદળે આજે માયા લૂંટાવી.
કોને પનઘટ જવાની હતી જિદ્દ?
ગાગરે કોને વિનતિ કરાવી?
વહેવા લાગ્યું જો ખોબેથી પાણી!
પ્યાસ ગિરધરની શી રીતે છીપી?
જળનો જ આંચલ બનાવી હવે લઉં
ઝાડ પર કેમ ચુનરી સૂકાવી?
નીંદ પણ આપશે એ જ બાળક
જેણે માથાની બિંદીને ચોરી.
મારો આત્માય રંગી દીધો છે!
શી મનોહરને મન વાત આવી?
મેં સખીઓને ક્યારે કહ્યું કંઈ?
વેરી પાયલને લૈ વાટ લાગી
ગોપી સંગેય ખેલે કનૈયો,
મારી જોડેય મીઠી લડાઈ.
લાગશે કોઈ તો ખુશબૂ સારી!
ભરી-ભરી ફૂલ આંચલમાં લાવી.
શ્યામ! હું તારી ગાયો ચરાવું
મોલ લઈ લે તું મારી કમાઈ.
કૃષ્ણ ગોપાલ બસ, માર્ગ ભૂલ્યા
રાધા પ્યારી તો સૂધ ભૂલી આવી.
સૂર સૌ એક મુરલીની ધૂનમાં
આવી રચના ભલા, કોણે ગાઈ?
શ્યામ! બંધાયું આ કેવું બંધન!
વાત તારી સમજમાં ન આવી.
હાથ ફૂલથી પહેલાં બન્યા કે
ફૂલમાંથી જ ફૂટી કલાઈ!

– પરવીન શાકિર
(અનુ. વિવેક મનહર ટેલર)
પાકિસ્તાનની મીરાંબાઈ – પરવીન શાકિર અને શ્રીકૃષ્ણપ્રેમ

ગિરધરગોપાળ શ્રીકૃષ્ણ ધર્મ-જાતિ-સ્થળ-કાળથી પર છે. એના પર કોઈ ધર્મ કે દેશનો સિક્કો મારી ન શકાય. કૃષ્ણની લીલાઓ સેંકડો સદીઓથી માનવજાતને આકર્ષતી આવી છે. શ્રીકૃષ્ણને તમે ગ્લૉબલ મેગ્નેટ કહી શકો. કૃષ્ણ જેટલો લાડકો ભગવાન કોઈ થયો નથી, થશે નહીં. બીજા ભગવાનોથી વિપરીત એને તમારે ‘તું’ કહીને જ બોલાવવો પડે. પ્રસ્તુત નઝ્મમાં પરવીન શાકિર સૌના માનીતા કાનજી અને રાધાની વાત લઈને આવે છે.

પરવીન શાકિર સઈદ. કૃષ્ણની જેમ જ પરવીન પણ એના ચાહકોને એવી તો પ્યારી અને પોતીકી લાગે છે કે એને તુંકાર સિવાય બોલાવીએ તો વચ્ચે દીવાલ અનુભવાય. પરાણેય તમારે એને એકવચનમાં જ સંબોધવી પડે. જન્મ ૧૪-૧૧-૧૯૫૨ના રોજ કરાચી, પાકિસ્તાન ખાતે. પિતાના નામ શાકિરઅલીમાંથી શાકિરને એણે આજીવન પોતાની અટક તરીકે અપનાવ્યું. ઘરમાં વાતાવરણ સાહિત્યનું પણ લેખન પહેલવહેલું આદરનાર પરવીન. ખૂબ નાની વયે ગદ્ય-પદ્ય બંને પર હાથ અજમાવ્યો. શરૂમાં ‘બીના’ના છદ્મનામે લખતી. અંગ્રેજી સાહિત્ય, ભાષાશાસ્ત્ર, બેન્ક વહીવટ અને મૃત્યુના 3 વર્ષ પહેલાં જ અમેરિકાથી સાર્વજનિક પ્રશાસન -આમ ચાર-ચાર તો માસ્ટર્સ ડિગ્રી. પીએચડી પણ કર્યું. નાની-મોટી પદવીઓ અલગ. આટલો બધો ઉચ્ચઅભ્યાસ અંગ્રેજીમાં કર્યો હોવા છતાં અભિવ્યક્તિની ભાષા તરીકે એણે ઉર્દૂ પર જ મહોર મારી. ૧૯૮૨માં જ્યારે પરવીન સેન્ટ્રલ સુપિરિયર સર્વિસિસ (CSS)ની પરીક્ષા આપવા બેઠી હતી ત્યારે એના આશ્ચર્ય વચ્ચે એક સવાલ એની કવિતા વિશે જ પૂછાયેલો હતો. નવ વર્ષ શિક્ષિકા તરીકે કામ કર્યા બાદ સિવિલ સર્વિસમાં કસ્ટમ ખાતામાં જોડાઈ. ઇસ્લામાબાદ ખાતે ફેડરલ બ્યુરૉ ઓફ રેવન્યૂમાં નાયબ સચિવ બની. ગજબનાક સૌંદર્યવતી. એનું અપાર ભણતર, મેધાવી બુદ્ધિપ્રતિભા, બેસુમાર રૂપ, ક્રાંતિકારી વિચાર અને પાકિસ્તાન જેવા રુઢિચુસ્ત દેશમાં એક મુસલમાન મહિલા હોવા છતાં બેબાક હિંમતભેર લખેલી અને મંચ પરથી એના મદહોશ અવાજમાં રજૂ થતી એની બળવાખોર કવિતા ભલભલાને આંજી નાખતા. પાકિસ્તાની તબીબ સઈદ નાસિર અલી સાથે નિકાહ અને થોડા સમયમાં છૂટાછેડા. ભારતની એની મુલાકાત દરમિયાન એક ભારતીય જ્યોતિષીએ એનો હાથ જોઈને ભાખ્યું હતું કે એ એનું પાંચમું પુસ્તક પૂરું કરી શકે એ પહેલાં જ મૃત્યુ પામશે. થયું પણ એવું જ. ૨૬-૧૨-૧૯૯૪ના રોજ ઇસ્લામાબાદ કામે જતી વખતે એની કારના બસ સાથેના અકસ્માતમાં માત્ર બેતાળીસ વર્ષની નાની વયે એ જન્નતનશીન થઈ. એવું પણ માનવામાં આવે છે કે આ અકસ્માત પાછળ એના વિરોધીઓ અને/અથવા સરકારનો હાથ હતો. પણ મેરેલિન મનરો, મધુબાલા, દિવ્યા ભારતી, જિયા ખાન અને શ્રીદેવી જેવી સુંદરીઓના અકાળ અવસાનની જેમ જ એનું મોત પણ એક રહસ્ય બનીને રહી ગયું.

પરવીનની કવિતા નખશિખ એક સ્ત્રીની કવિતા છે. એના પ્રથમ સંગ્રહ ‘ખુશબૂ’ની પ્રસ્તાવનામાં એ લખે છે: ‘પરવીને પરવરદિગારને પ્રાર્થના કરી કે તું મારી અંદર રહેલી કન્યાનો મને સાક્ષાત્કાર કરાવ. ખુદા પણ હસ્યો હશે એ છોકરીની નાદાની પર. પૃથ્વી પર વસતા માનવીને આત્મજ્ઞાન થાય તેની જેવી બીજી કોઈ દુઃખદ ઘટના નથી એ વાત આ છોકરી જાણતી ન હતી. આમ છતાં પ્રાર્થના મંજૂર રાખવામાં આવી.’ અહીં બે વસ્તુ નજર સામે આવે છે. એક, પરવીનની કવિતા એ એના આત્મજ્ઞાનના પરિણામે જન્મેલા તીવ્રતમ દુઃખની ઉપજ છે અને બીજું, એ પોતાની જાતને એક સ્ત્રી તરીકે નહીં, છોકરી તરીકે જુએ છે પરિણામે એની કલમમાં શરૂથી અંત સુધી યુવાનીના ઉંબરે ઊભેલી યુવતીની મુગ્ધતા નજરે ચડે છે. ઉર્દૂ ગઝલ અને આઝાદ નઝ્મ એ પરવીનની કવિતાના બે પહલૂ છે. એની કવિતાઓ આત્મકથનાત્મક શૃંગારપ્રચૂર કામુકતાના કારણે બેહદ ચર્ચાનો વિષય બની હતી. એના વિરોધીઓનો વર્ગ જેટલો વિશાળ હતો, એટલો જ વિશાળ વર્ગ એના બેફામ સમર્થકોનો પણ હતો. શું કવિતા, શું દામ્પત્યજીવન કે શું સરકારી નોકરી- પરવીને કદી પાકિસ્તાનના સંકુચિત પછાત માનસધારી પુરુષપ્રધાન સમાજની પરવા કરી નહોતી. પોતાની સ્ત્રીસહજ ઊર્મિઓ એણે કશાય ઢાંકપિછોડા વિના હિંમતપૂર્વક રજૂ કરી છે. તમારી ગઝલ તો મર્દાના છે એવા આરોપની સામે મુશાયરામાં જરા પણ ઝંખવાયા વિના એણે ‘તો પછી સ્ત્રીની ગઝલ સાંભળો’ એમ કહીને ‘હુસ્ન કો સમઝને કો ઉમ્ર ચાહિયે જાનાં, દો ઘડી કી ચાહત મેં લડકિયાઁ નહીં ખુલતી’ જેવી ગઝલ ફટકારીને ટીકાકારોનો મોઢા સીવી લીધા હતા. ડૉ. બશીર બદ્ર પરવીનને ‘પૂરી ઔરતકી પહલી ગઝલ’ કહીને ઓળખાવે છે.

પ્રસ્તુત નઝ્મનું શીર્ષક ‘શ્યામ! હું તારી ગાયો ચરાવું’ વાંચતા જ નવાઈ અનુભવાય. પાકિસ્તાની મુસલમાન શાયરા અને શ્યામ? કંઈ ભૂલ તો નથીને? પણ પરવીનની કવિતાઓમાંથી પસાર થઈએ ત્યારે શ્રીકૃષ્ણપ્રેમની એની આરત આપણને મંત્રમુગ્ધ કરી દે છે. પરવીનને ‘પાકિસ્તાનની મીરાબાઈ’ કહીએ તોય કંઈ ખોટું નથી. પણ પરવીન જ શા માટે, ઘણા બધા મુસલમાન કવિઓ સદીઓથી કૃષ્ણપ્રેમની કવિતાઓ લખતા આવ્યા છે. પઠાણ ભક્ત કવિ રસખાન (સૈયદ ઈબ્રાહીમ) (?૧૫૪૮-?૧૬૨૮), સૈયદ મુર્તુઝા (૧૫૯૦-૧૬૫૨), ચાંદ કાજી (૧૬-૧૭મી સદી), અકબરના દરબારના નવ રત્નોમાંના એક અબ્દુલ રહીમ ખાન-એ-ખાના (૧૫૫૬-૧૬૨૭), ઉઝીર બેગ(૧૮૬૯), મિયાં નાઝીર અકબરાબાદી (૧૭૩૫-૧૮૩૦), મૌલાના હઝરત મોહાની (૧૮૭૮-૧૯૫૧) ઉપરાંત ઢગલાબંધ મુસ્લિમ અને સૂફી કવિઓએ શ્રીકૃષ્ણના ભક્તિગાન કર્યા છે. રસખાન એક રચનામાં કહે છે:

मानुष हौं तो वही रसखानि बसौं ब्रज गोकुल गांव के ग्वारन।
जो पशु हौं तो कहा बस मेरो चरौं नित नन्द की धैनु मंझारन।।
पाहन हौं तो वही गिरि को जो धरयो कर छत्र पुरन्दर धारन।
जो खग हौं तो बसेरो करौं मिलि कालिन्दी कूल कदम्ब की डारन।।

((કવિ) રસખાન કહે છે કે જો માણસ (અવતાર) હો તો ગોકુળ ગામના ગોવાળ તરીકે મળે, જો પશુ (અવતાર) હો તો નંદની ગાયો વચ્ચે ચર્યા કરું, જો પથ્થર થાઉં તો એ જ પહાડનો જેને પુરંદર (ઇન્દ્ર)ના કારણે છત્ર બનાવીને ધારણ કર્યો હતો, અને જો પંખી હોઉં તો કાલિન્દી કાંઠે કદમ્બની ડાળે રહું.)

ગઝલની સરખામણીમાં એની નઝ્મ અનેકવિધ વિષયોને સાંકળી લેતી, અને ક્યારેક વધુ બળકટ પુરવાર થતી નજરે ચડે છે. અંગ્રેજી શબ્દો અને શીર્ષકોનો પણ એને છોછ નથી એ એક કવિ તરીકેના મોકળાપણની નિશાની છે. પરવીનની નઝ્મોના નાનાવિધ વિષયવસ્તુઓમાંનો એક પ્રધાન વિષય તે કૃષ્ણ. પરવીનની રચનાઓમાં અવારનવાર મીરાંની દીવાનગી અને રાધાનો તલસાટ વંચાતો રહે છે. એ પોતાનો આત્મા સુદ્ધાં મુરલીમનોહર પર વારી દેતા કહે છે:

बस इक आत्मा रहती है/जो दान करुँ तुझ पर!
मनोहर/क्या वारुँ तुझ पर?

પ્રસ્તુત નઝમનો પહેલો બંધ જ એટલો આકર્ષક છે કે એનાથી આગળ વધીએ જ નહીં તો પણ સાર્થક છે. પરવીન દર્પણમાં પોતાની આંખોને જોઈ રહેલી રાધાની વાત કરે છે. આંખ દર્પણ સામેથી હટાવી લેવાઈ છે એ વાતને પરવીન રાધા કૃષ્ણના મિલનના અંત સાથે કેવી ખૂબસૂરતીથી સાંકળે છે! રાધા અરીસામાં પોતાને જુએ છે. આંખની કીકી શ્યામ રંગની છે એટલે અરીસામાં રાધા પોતાની આંખોને નહીં, શ્યામસુંદરને જ જોઈ રહી છે જાણે. આગળ વધીને એમ પણ કહી શકાય કે રાધા અરીસામાં જુએ છે ત્યારે એને પોતાની જાતને બદલે શ્રીકૃષ્ણ જ નજરે ચડે છે. એટલે એ અરીસામાં પોતાને જ્યાં સુધી જોયા કરે છે ત્યાં સુધી શ્યામ સાથેનું મિલન ચાલુ અને જેવી અરીસા સામેથી શ્યામ આંખો હટાવી નથી કે મિલન પણ પૂરું. અરીસાની સામે કોઈ આજીવન ઊભા રહી શકતું નથી, ભલે સ્વમાં શ્યામ કેમ ન દેખાતા હોય?! ટોચ ગમે એટલી વહાલી કેમ ન હોય માણસ ટોચ પર કાયમી ઘર કરી શકતો નથી એટલે રાધાએ પણ અરીસાથી નજર હટાવીને દુનિયામાં પરત તો આવવું જ પડે છે. મિલન ગમે એવું મધુરું કેમ ન હોય, એ કદી સનાતન હોઈ શકતું નથી. કેવું અદભુત કલ્પન! શ્યામમિલનની આવી ઉત્તમ કલ્પના તો આપણા વ્રજકવિઓએ પણ કદાચ નહીં કરી હોય. દેહથી બહાર નીકળીએ ત્યારે એહની પ્રાપ્તિ થાય એ વાત તો હજારો સંતો ને કવિઓ કરી ગયા છે. પણ સ્વમાં જ સર્વેશ્વરને જોવાની પરવીનની આ વાત યજુર્વેદના अहं ब्रह्मास्मि ભગ્વદગીતામાંના શ્રીકૃષ્ણના ઉચ્ચારણ -सर्वस्य चाहं हृदि सन्निविष्टो (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું)-ની યાદ પણ અપાવે છે. બીજું, પરવીન અહીં શ્યામસુંદર વિશેષણ વાપરે છે, જે કૃષ્ણ માટે જેટલું સાચું છે એટલું જ અરીસા સામે ઊભેલી રાધા માટે પણ સાર્થક છે. પ્રથમ બંધ વાંચતી વખતે શ્રી કૃષ્ન બિહારી ‘નૂર’ની ગઝલનો એક શેર પણ યાદ આવ્યા વિના નહીં રહે:

દેના હૈ તો નિગાહ કો ઐસી રસાઈ દે
મૈં દેખૂં આઇના,તો મુઝે તૂ દિખાઈ દે

સપનામાં ગોકુળના રાજા સખીઓને વધાઈ આપવા આવ્યા છે એટલે એમ જ લાગે છે કે ખુદ વાદળે આજે મહેર કરી છે. વાદળ ગોરંભાયેલું હોય ત્યારે શ્યામરંગનું હોય છે. શ્યામ વાદળ જ વરસી શકે. શ્યામસુંદર આજે માયા લૂંટાવી રહ્યો છે તો શા માટે આપણે આપણી માટીની ગાગરમાં આપણી પાત્રતા અનુસાર ભરી શકાય એટલું પ્રેમજળ ન ભરી લઈએ? રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ યાદ આવે: ‘તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને તોય હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.’ પણ પનઘટ પર જવાની વાત આવી ક્યાંથી? આ જિદ્દ કરવા માટે ગાગરે કોની પાસે વિનંતી કરાવી? શ્યામને પનઘટ ગણીએ અને આપણી જાતને માટીની ખાલી ગાગર ગણીએ તો? પરવીન કહે છે, આપણો ખોબો તો કાણો છે. એમાં પાણી ઝાલવાની ગમે એટલી કોશિશ કરીએ, પાણી વહી જ જાય છે ને એ છતાં કૃષ્ણની તરસ છિપાઈ જાય છે એ કેવો કોયડો છે! કૃષ્ણનું ધ્યાન જો કે ખોબામાંથી સરી જતા પાણી તરફ છે જ નહીં, એ તો આકંઠ રાધાના સૌંદર્યનું પાન કરી રહ્યો છે એટલે તરસ તો છિપાઈ જ જાય ને! હકીકતે પણ કૃષ્ણમુરારિ તો ભાવના ભૂખ્યા છે. દ્રૌપદીના પાત્રમાંના કોથમીરના નાના અમથા પાંદડા માત્રથી એની ક્ષુધા શમી જાય છે. પનઘટ પર પાણી ભરવા આવીએ તો યમુનામાં નહાવું પણ પડે, ને નહાવા પડીએ તો ચુંદડી કદમ્બ પર નાખવી પડે ને એમ કરીએ તો કાનજી બધા કપડાં પોતાના કબ્જે કરી જ લેવાનો છે. નદીમાંથી નિર્વસ્ત્ર બહાર કેમ આવવું? પણ બધા જ આવરણ ઘનશ્યામે કબ્જે કરી લીધા હોય એથી વિશેષ પરમસુખ કયું? એ ખુદ દુન્યવી આવરણોથી મુક્તિ આપતો હોય તો હવે જેમ છીએ એમ રહેવામાં જ સાચું સુખ નથી? એટલે રાધા અને ગોપીઓ નદીના જળને જ આંચલ બનાવી લે છે. જેણે માથાની બિંદી ચોરી છે, એ ચિત્તચોરની મરજી વિના ઊંઘ પણ આવનાર નથી. આ મનોહરના મનમાં શું છે એ તો એ જ જાણે પણ એણે માત્ર કાયા જ નહીં, રાધાનો આત્મા સિક્કે રંગી નાંખ્યો છે. એક નઝ્મમાં પરવીન કહે છે:

तू है राधा अपने कृष्ण की, तेरा कोई भी होता नाम
तेरा रंग भी कौन-सा अपना, मोहन का भी एक ही काम

હવે વાત સ્વથી સર્વ સુધી આવે છે. રાધાએ તો પોતાના પનઘટગમન વિશે સખીઓને કંઈ જ કહ્યું નથી. કૃષ્ણને મળવાની આશામાં એ તો એકલી આવવા નિસરી હતી પણ દુશ્મન ઝાંઝરની ઝણકાર એના અભિસારને છતો કરી દે છે. એક અન્ય નઝ્મમાં પરવીન એના સાજશૃંગારમાં પાયલની વાત કરે છે:

हाथों की इक-इक चूडी में मोहन की झनकार
सहज चले फिर भी पायल में बोले पी का प्यार

કાનજી મૂઓ પણ કાંઈ કમ નથી. એ એકલી રાધા સાથે મીઠો કલહ નથી માંડતો, બધી ગોપીઓ સાથે પણ રાસલીલા રચાવે છે. શ્યામને રીઝવવા માટેના રાધાના પ્રપંચ પણ નજરે ચડે છે. કયા ફૂલની ખુશબૂ એને પસંદ પડી જાય એની સૂઝ ન પડતાં હરખઘેલી આંચલમાં જાત-જાતના ફૂલો ભરી લાવી છે. લક્ષ્મણ માટે કઈ જડીબુટ્ટી લાવવી એ બાબતમાં ગૂંચવાયેલા હનુમાન યાદ આવી જાય. દુનિયાદારીમાં કામના બદલામાં વેતન મેળવવાનો રિવાજ છે પણ શ્યામદારીમાં રાધા શ્યામની ગાય ચરાવવાનું કામ મળે તો બદલામાં પોતાની કમાઈ પણ આપવા તૈયાર છે. હકીકતમાં તો આપણી પાસે જે કંઈ છે એ બધું શ્યામનું જ છે એટલે આ તો तेरा तुझ को अर्पण અથવા त्वदीयं वस्तु गोविन्द तुभ्यमेव समर्पये જેવી વાત થઈ. કબીરે પણ આ જ કહ્યું હતું, ‘मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तोह, तेरा तुझको सौपता, क्या लागे है मोह’ આ પ્રેમ છે, આ પ્રેમનો ખરો મહિમા છે. પરવીન કેવી સરસ વાત કરે છે! કહે છે, કૃષ્ણ તો માત્ર માર્ગ ભૂલ્યા હતા. ગોકુળ છોડીને ગયા એ ગયા, ફરી આવ્યા જ નહીં પણ રાધા તો બિચારી પૂરી સુધબુધ ખોઈ બેઠી છે. અહીં ‘રસ્તો ભૂલવા’નો બીજો અર્થ આડા રસ્તે ચડી જવું પણ થાય છે એ ભૂલવા જેવું નથી. પણ તોય શ્યામ માટે કોઈ ફરિયાદ નથી. વિમાસણ છે તો એ જ કે દુનિયાના બધા જ સૂર એક માત્ર વાંસળીની ધૂનમાં કેવી રીતે સમાયા છે? અન્ય એક મુસલમાન ભક્તકવિ ચાંદ કાજી બહુ સ-રસ વાત કરે છે:

बाँशी बाजानो जान ना
असमये बाजाओ बाँशी पराण माने ना।
यखन आमि बैसा थाकि गुरुजनार माझे
नाम धैरा बाजाओ बाँशी आमि मरि लाजे॥

(વાંસળી વગાડવાનું તું જાણતો નથી. કસમયે વાંસળી વગાડે છે ને (મારા) પ્રાણ માનતા નથી. જ્યારે હું વડીલજનોની વચ્ચે બેઠી હોઉં છું, તું નામ લઈને વાંસળી વગાડે છે ને હું લાજી મરું છું.)

આગળ પરવીન જે વાત કરે છે એ એક સ્ત્રી જ કરી શકે. શ્યામ સાથે આ જે બંધન બંધાયું છે એ વાત માત્ર સ્ત્રી જ સમજી શકે, દુનિયાનો કોઈ પુરુષ, પછી ભલેને એ પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણ કેમ ન હોય, એની સમજની બહારની છે. સ્ત્રીનો પ્રેમ, બિનશરતી સમર્પણ અને નિરપેક્ષતા પુરુષના કૉર્સ બહારનો દાખલો છે. અને અંતમાં સમર્પણની પરાકાષ્ઠાએ રાધા જે વિમાસણ અનુભવે છે એ જોઈને કૃષ્ણની રાસલીલા જોતાં નરસિંહ મહેતા જરૂર યાદ આવે. રાસલીલામાં તલ્લીન નરસિંહને એય ભાન નથી રહેતું કે હાથમાંની મશાલ સળગીને ક્યારે ખતમ થઈ ગઈ ને મશાલના સ્થાને હાથ ક્યારે સળગવા માંડ્યો! પરવીન કહે છે કે રાધાના હાથ શ્યામના અભિવાદન માટે ફૂલો-ગજરાથી એવા ભર્યા પડ્યા છે, બંને એવા એકાકાર થઈ ગયા છે કે હાથની રચના હાથમાંના ફૂલો કરતાં પહેલાં થઈ ચૂકી હતી કે ગજરામાંથી જ કાંડું ફૂટ્યું છે એ જ સમજાતું નથી. આ પ્રેમની ચરમસીમા છે. આ પ્રેમની આગળ સાક્ષાત ગોવર્ધનધારીની પણ કંઈ વિસાત નથી.

જરા ધ્યાનથી જોઈએ તો સમજાય છે કે એક જ નાની અમથી નઝ્મમાં પરવીન કેવી બખૂબી આખાય ભાગવતને સમાવી લે છે! કૃષ્ણની બાળલીલાના મોટાભાગના અગત્યના પહલુઓ પરવીને અહીં એક જ નઝ્મમાં કેદ કરી દીધા છે. આ કરામત સર્વાંગ સંપૂર્ણ સમર્પણ વિના શક્ય નથી ને એટલે જ પરવીનને ફરી-ફરીને ‘પાકિસ્તાનની મીરા’ કહેવાનું મન થાય છે.

ટન ટન બેલ પડ્યો -રૂપાંગ ખાનસાહેબ

Audio Player

.

ટન ટન ટન બેલ પડ્યો ને, સ્કુલમાં થઇ ગઈ છુટ્ટી
ભરી દફતર ખભે મુકીને મે તો દોટ મૂકી..
પાંજરામાંનું પંખી જાણે જાય આકાશે ઉડી… જાય આકાશે ઉડી..

યુનિફોર્મ છે વિખરાયેલો ને છે ખુલ્લું દફતર
બુટની દોરી છુટ્ટી ને બેલ્ટ ઢીલો ને બક્કલ..
સ્કુલ તો લાગે જાણે મેદાને એ દંગલ.. ટન ટન ટન બેલ ..

નોટબૂકના પાનાં ફાડીને પ્લેઈન બનાવવા બેઠા
સ્કુલના દરવાજે અમે તો રીક્ષા કાજે બેઠા
થઇ રહી છે ચોપડાઓની જુઓ અદલા-બદલી
લંચબોક્ષ ખાલી કરવાની છે ઉતાવળ કેટલી…ટન ટન ટન બેલ..
-રૂપાંગ ખાનસાહેબ

એક કાચી સોપારીનો કટકો રે – વિનોદ જોશી

કાવ્ય ગાન – કવિ શ્રી વિનોદ જોષી

એક કાચી સોપારીનો કટકો રે

એક લીલું લવિંગડીનું પાન
આવજો રે… તમે લાવજો રે… મારા મોંઘા મે’માન
એક કાચી સોપારીનો……

કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી
લિખીતંગ કોનાં છે નામ ?

એક વાંકી મોજ્જલડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે… તમે ઝીલજો રે… એના મોંઘાં ગુમાન
એક કાચી સોપારીનો…….

ઊંચી મેડી ને એના ઊંચા ઝરુખડા
નીચી નજરુંનાં મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
આંગણમાં રોપાતી કેળ !

એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન
જાણજો રે… તમે માણજો રે… એનું વાતું જુવાન
એક કાચી સોપારીનો…..

– વિનોદ જોશી

ગ્લૉબલ કવિતા : ૭૧ : ક્યારેક – શીનાઘ પ્યુ

Sometimes

Sometimes things don’t go, after all,
from bad to worse. Some years, muscadel
faces down frost; green thrives; the crops don’t fail,
sometimes a man aims high, and all goes well.

A people sometimes will step back from war;
elect an honest man, decide they care
enough, that they can’t leave some stranger poor.
Some men become what they were born for.

Sometimes our best efforts do not go
amiss, sometimes we do as we meant to.
The sun will sometimes melt a field of sorrow
that seemed hard frozen: may it happen for you.

– Sheenagh Pugh

ક્યારેક

ક્યારેક બદમાંથી ચીજો બદતર નથી બનતી કદી,
ને કંઈક વર્ષો દ્રાક્ષ પણ હંફાવે છે હિમપાતને;
હરિયાળી ફૂલે-ફાલે, નિષ્ફળ પાક પણ જાતો નથી,
ક્યારેક માણસ ઊંચું તાકે, ને બધું સારું બને.

ક્યારેક લોકો પાછી પાની પણ કરે છે યુદ્ધથી;
ચૂંટે છે પ્રામાણિકને, ને કાળજી પૂરતી કરે,
કે કોઈ અણજાણ્યો ગરીબીમાં ન સબડે ભૂલથી.
કેટલાક લોકો જે થવાને જન્મ્યા છે, બસ, એ બને.

ક્યારેક કોશિશ શ્રેષ્ઠતમ એળે ન જાતી આપણી,
ક્યારેક જે કરવા વિચાર્યું હોય એ કરીએ છીએ.
સંતાપનું મેદાન જે થીજ્યું પડ્યું હો કાયમી
પીગાળશે ક્યારેક સૂરજ: આવું તમને પણ ફળે.

– શીનાઘ પ્યુ
(અનુ. વિવેક મનહર ટેલર)

મોટું કોણ? કવિ કે કવિતા? કળા કે કળાકાર?

ક્યારેક કવિતા કવિને પણ અતિક્રમી જતી હોય છે. કવિતાના વિરાટસ્વરૂપ સામે સર્જક અને એનું અન્ય તમામ સર્જન વામણા બનીને રહી જતા હોય છે. આ કળાની તાકાત છે કેમકે સર્જક માત્ર સર્જન કરતી વખતે જ પોતાના સર્જનનો માલિક હોઈ શકે, એકવાર શબ્દો કાગળ પર મંડાઈ ગયા કે એ પરાયા થઈ ગયા. સર્જક મટી જાય છે પણ અક્ષર મટતા નથી, કદાચ એટલે જ આપણે એને અ-ક્ષર કહેતા હોઈશું! આવી જ એક કવિતા બ્રિટિશ કવયિત્રી શીનાઘ પ્યુ લઈને આવ્યા છે.

શીનાઘ પ્યુ. કવિ, નવલકથાકાર, અનુવાદક અને વિવેચક. બર્મિંગહામ, ઇંગ્લેન્ડ ખાતે ૨૦-૧૨-૧૯૫૦ના રોજ જન્મ. હાલ શેટલેન્ડ ખાતે પતિ સાથે રહે છે. નિવૃત્ત થયા ત્યાં સુધી યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખન શીખવતાં હતાં. સાયબરસ્પેસના શોખીન. કહે છે, હું પુષ્કળ સમય ઓનલાઇન વેડફું છું. શીનાઘની કવિતા વાસ્તવ અને કલ્પના તથા ઇતિહાસ અને સાંપ્રતતાની વચ્ચેની ‘નો-મેન્સ લેન્ડ’માં લઈ જતી કવિતા છે. એની ભાષાની સરળતા બહુધા ભ્રામક છે. સરળતાનું પડ જરા ઊંચકતા જ અંદરથી કંઈક અણધાર્યું જ આપણા હાથમાં આવી પડે છે. કરકસરયુક્ત શબ્દ-પ્રયોજન તથા કાવ્યસ્વરૂપના યોગ્ય સંમાર્જનના કારણે એમની કવિતાઓ ભાવકને તરત સ્પર્શી જાય છે. ભૌગોલિક દૃષ્ટિએ એમને એંગ્લો-વેલ્શ કવિ ગણી શકાય પણ જે રીતે એમની કવિતાઓના વિષયવસ્તુ સ્થળ, ઇતિહાસ અને સંસ્કૃતિઓને બહોળા ફલક પર આવરી લે છે એ જોતાં એમને વિશ્વનાગરિક ગણવું વધુ ઉચિત થઈ પડે છે.

શીનાઘ પ્યુની આ નાની અમથી કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે અને લોકોએ જીવનના દરેક તબક્કામાં અને દરેક પ્રસંગોમાં, ખાસ કરીને શોકસભાઓમાં તથા શાળાઓએ અભ્યાસક્રમમાં ને પરીક્ષામાં આ કવિતા સેંકડોવાર વાપરી છે, વાપરી રહ્યા છે. લંડન, હેલસિંકી, પિટ્સબર્ગ જેવા શહેરની ટ્રામ, મેટ્રો અને સ્ટેશનમાં આ કવિતા રોજ સેંકડો મુસાફરો વાંચે છે. હકીકત એ છે કે સર્જક શીનાઘ પ્યુ આ કવિતાને બેહદ નફરત કરે છે. એ એના બ્લૉગ પર લખે છે કે આ કવિતા તમારે બિનવ્યાવસાયિક હેતુસર જ્યાં વાપરવી હોય ત્યાં વાપરો, પણ મારું નામ વાપરશો નહીં. આજે જ્યારે કવિતા નીચે કવિનું નામ લખવાનું રહી ગયું હોય તો કવિ હોબાળો મચાવી દે એવા સંજોગોમાં શીનાઘ પોતાનું નામ કવિતા નીચે ન લખવા આગ્રહ કરે છે. શીનાઘ કહે છે કે એ આ કવિતાને એટલા માટે નફરત કરે છે કે એ એમનું પ્રતિનિધિ કાવ્ય નથી. આ કાવ્ય એમની સાચી શૈલી અને સર્ગશક્તિ રજૂ કરતું નથી. એ કહે છે કે જો પહેલાથી ખબર હોત કે આ કાવ્ય આવું લોકપ્રિય બનશે તો એમણે વધુ મહેનત કરી હોત. ખેર, ‘ક્યારેક’ આવું પણ બને છે!

ક્યારેક’ કાવ્ય મૂળભૂતરીતે કવયિત્રીએ એંસીના દાયકામાં એક ઓળખીતા ખેલાડી માટે લખ્યું હતું. આ ખેલાડીને કોકેનનું વ્યસન હતું અને આ કવિતા એ ખેલાડી ગમે તે ભોગે વ્યસનમુક્ત થઈ શકશે એવી આશા સાથે લખાઈ હતી. શીનાઘ ભલે આ કવિતાથી ધરાઈ ગયાં છે પણ સેંકડો લોકો માટે આ કવિતા આશાનું કિરણ બનીને આવી છે. દુનિયાભરના લોકોએ પોતાની તથા પોતાના ઓળખીતાઓની મદદ કરવા માટે આ કવિતાનો સહારો લીધો છે. કવિની કવિતા માટેની નફરતનો લોકોએ જાયજો પણ લીધો છે ને કવિને એમ કહીને ઝાટ્ક્યા પણ છે કે તમારે જાતે જ તમારી કવિતાની ગુણવત્તા નક્કી કરવી હતી તો રાખવી હતી બધી તમારી પાસે. લોકોથી મોટો વિવેચક કોઈ નથી. લખો એવી કવિતા જે આ કવિતાને ટપી જાય. – કોઈપણ કવિ આ વાતનો શો જવાબ આપી શકે?

આર્થર કોનન ડોયલને એમની ઐતિહાસિક નવલકથાઓ વધુ વહાલી હતી, પણ લોકોને શેરલોક હોમ્સ જ એટલો ગમ્યો કે જેનાથી છૂટકારો મેળવવા લેખકે મારી નાખ્યો હતો, એ જ શેરલોક હોમ્સને એણે ફરી જીવતો કરવો પડ્યો હતો. અગાથા ક્રિસ્ટી પણ એના અમર પાત્ર ‘હરક્યુલ પોઇરો’થી પરેશાન હતાં કેમકે પ્રકાશકો એ સિવાય બીજું કશું લખવા જ નહોતા દેતા. ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ની પ્રસિદ્ધિ અને બાકીના કામ તરફ સેવાતા દુર્લક્ષથી એના સર્જક એન્થની બર્ગેસ પણ વ્યથિત હતા. ફ્રાન્ઝ કાફ્કાએ તો પોતાનું ઘણુંખરું લખાણ સળગાવી દીધું હતું અને જે અધૂરા લખાણ મૃત્યુપર્યંત સળગાવી દેવા કહ્યું હતું એ જ ‘ટ્રાયલ’, ‘કેસલ’ અને ‘અમેરિકા’એ એને અમરત્વ આપ્યું. ‘વીની-ધ-પૂ’ના સર્જક મિલ્ને પણ વીનીને ધિક્કારતા હતા કારણ કે વીનીની ચકાચૌંધના કારણે એમનું બાકીનું સર્જન પોંખાયું નહીં. શીનાઘને પણ આ રચના સાથે આવો જ લવ-હેટનો સંબંધ છે.

રચનાની દૃષ્ટિએ ચાર-ચાર પંક્તિના ત્રણ અંતરાવાળું આ ગીત આયમ્બિક પેન્ટામીટરમાં લખાયું છે પણ કવયિત્રી પોતે આ રચના લખતી વખતે ગંભીર નહોતા એટલે એમણે ચુસ્ત પ્રાસ મેળવવાની દરકાર રાખી નથી એટલે આખરી અંતરાને બાદ કરતાં રચનામાં પ્રાસ શિથિલ જોવા મળે છે. ઘણી ભાષાઓમાં આનો અનુવાદ થયો છે પણ વિતાલી અશ્કેનાઝીએ કરેલો રશિયન અનુવાદ શીનાઘને પોતાની રચના કરતાંય વધુ ગમે છે. ગુજરાતીમાં અનુવાદ કરતી વખતે પ્રાસરચના અ-બ-અ-બ પ્રકારની પ્રમાણમાં નિયમિત કરી છે અને અંગ્રેજીમાં જે અપૂર્ણાન્વય (enjambment) છે એને અવગણીને પંક્તિ વધુ સુગમતાથી આસ્વાદ્ય બને એનું ધ્યાન રાખ્યું છે.

ક્યારેક’ શીર્ષક પરથી સમજી શકાય છે કે અહીં જે વાત છે એ રોજમરોજની નથી, કાયમની નથી પણ કદીમદીની છે. કવિતામાં જે વિધેયાત્મક્તા અને આશા છે એ હંમેશા પરિપૂર્ણતામાં પરિણમતા નથી. એટલે પહેલી નજરે ભલે કવિતા હકારાત્મક્તાની કેમ ન લાગે, હકીકતમાં એ નિરાશાઓથી ભર્યાભાદર્યા જીવન તરફ વધુ ઈશારો કરે છે. જો કે લોકોને ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણીલાલ દ્વિવેદી)વાળી વાત વધુ સ્પર્શી ગઈ છે. શીનાઘ કહે છે ક્યારેક ચીજો ખરાબમાંથી વધુ ખરાબ તરફ ગતિ નથી કરતી. બ્રિટનની કવિતા છે એટલે દ્રાક્ષની વાડીઓ અને બરફના કારણે થતું નુકશાન આગળ આવે છે. કવિ મસ્કાડેલ શબ્દ પ્રયોજે છે. મસ્કાડેલ એટલે સફેદ વાઇન જેમાંથી બનાવવામાં આવે છે એવી દ્રાક્ષની એક જાતિ. એક અર્થ મસ્કતની દ્રાક્ષ એવો પણ થાય છે જોકે વિકીપીડિયા એનો વિરોધ કરે છે. હિમવર્ષા દ્રાક્ષનો પાક વેડફી નાંખતી હોય છે પણ કવિ કહે છે ક્યારેક વરસો સુધી દ્રાક્ષનો પાક હિમપ્રપાતને પણ હંફાવીને વિજયી નીવડે છે. ચોતરફ હરિયાળી ફૂલે-ફાલે છે, પાક નિષ્ફળ જતો નથી. માણસ ઊંચુ નિશાન તાકે છે અને સફળ થાય છે. કવિનો આશાવાદ વધુ આગળ વધે છે. માણસજાત યુદ્ધથી પાછી ફરે છે, ચૂંટણીમાં પ્રામાણિક માણસની વરણી કરે છે, અજાણ્યા ગરીબોની દરકાર કરે છે. કેટલાક માણસો પોતે જે થવા સર્જાયા હોય એ જ બને છે.

ક્યારેક એવુંય બનતું હોય છે કે આપણા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયત્નોના ગળામાં વિધિ સફળતાની વરમાળા પહેરાવે છે. ક્યારેક એવું બને છે કે આપણે જે કરવા ધાર્યું હોય એ સાચે જ કરી શકીએ છીએ. દુનિયાદારીની આડખીલી પગમાં વચ્ચે નડતી નથી. પીગળવા જ ન કરે એવા હઠીલા બરફાચ્છાદિત દુઃખના મેદાનને ક્યારેક સૂર્ય પીગાળી દે છે. અહીં ‘ફિલ્ડ’નો તરજૂમો ‘ખેતર’ કરવા મન લલચાઈ શકે છે કેમકે આગળ દ્રાક્ષ, હરિયાળી અને પાકની વાત આવી ચૂકી છે પણ કારણકે કવિતા એક ખેલાડીને માટે લખાઈ છે, અહીં (રમતનું) મેદાન શબ્દ જ ઉચિત ગણાશે. બીજું, કવિ તો હકીકતમાં બરફ (snow) લખવા માંગતાં હતાં. કેમકે જે ખેલાડી માટે આ લખાયું એ ખેલાડી કોકેઇનનો બંધાણી હતો અને કોકેઇનનો સફેદ રંગનો ભૂકો બરફની છીલ જેવો જ દૃષ્ટિગોચર થાય છે. પણ આજે જેમ ઘણાબધા કવિઓ કવિતા લખવા માટે કાગળ-કલમ વાપરવાને બદલે સીધા કમ્પ્યુટર કે હવે તો મોબાઇલમાં જ ટાઇપ કરે છે, એમ ટાઇપ કરતી વખતે ભૂલ થઈ ગઈ અને સ્નૉના સ્થાને સંતાપ (sorrow) ટાઇપ થઈ ગયું. કવિને મૂળ વિચાર કરતાં ભૂલ વધુ ગમી ગઈ અને એમણે ભૂલ સુધારી નહીં. હકીકત એ છે કે બરફના સ્થાને સંતાપ શબ્દ જ આ રચનાને કાવ્યકક્ષાએ લઈ જવામાં વધુ સહાયક નીવડ્યો છે. શીનાઘ કહે છે: ‘હું ઘણીવાર કી-બૉર્ડને સર્જનાત્મક પ્રક્રિયામાં જોડાવા દેવામાં માનું છું.’ ભાઈ, વાહ!

બાર પંક્તિની આશાવાદી કવિતાની આખરી અર્ધપંક્તિ આ કવિતાની અપ્રતિમ લોકચાહના માટેનું ખરું કારણ છે. આપણે બધા જ જાણીએ છીએ કે જીવનમાં મોટાભાગે ખરાબ વધુ ખરાબ બને છે, પાક અવારનવાર નિષ્ફળ જાય છે, ધાર્યું નીવડતું નથી, અકારણ યુદ્ધો થતા રહે છે, અપ્રામાણિક માણસો જ ચૂંટાઈને આગળ આવે છે, ગરીબોની અને અજાણ્યાઓની આપણે મોટાભાગે ઉપેક્ષા જ કરીએ છીએ અને આપણામાંથી મોટાભાગનાને એ જ વાતનો અફસોસ હોય છે કે આપણે જે બનવા માટે જન્મ્યા હતા, એ બની જ શક્યા નથી, બધી કોશિશ વ્યર્થ જાય છે, કરવા કંઈ ઇચ્છીએ છીએ અને થાય છે કંઈ, દુઃખના મેદાન કદી સાફ થતા જ નથી, જીવનમાં સુખનો સૂરજ કદી ઊગતો જ નથી. સરવાળે, જિંદગીમાં સૌને દુઃખ વધુ અને સુખ ઓછાં, નિષ્ફળતા ઝાઝી અને સફળતા જૂજ, લાચારી પુષ્કળ અને આઝાદી થોડાં જ મળ્યા હોવાનો અસંતોષ બહોળો અને સંતોષ અલ્પ જ અનુભવાય છે. પણ આ કવિતાની આખરી અર્ધપંક્તિ અમર્યાદિત આશાની વાત કરે છે જે સમગ્ર મનુષ્યજાતિની એકમાત્ર ઝંખના હોવાથી આ પંક્તિ કવિતાની સફળતાની ચાવી બની ગઈ છે. કવિ કહે છે, જીવનમાં જે બધું જ સકારાત્મક વસ્તુઓ ક્વચિત્ જ ફળતી હોય છે, એ બધી જ કાશ! તમને પણ ફળે! સામી વ્યક્તિ માટેની મહત્તમ સુકામના વ્યક્ત કરતી હોવાના કારણે આ અતિસરળ પંક્તિ લોકોના દિલમાં કાયમ માટે કંડારાઈ જવામાં સફળ નિવડી છે.

આશા એકમાત્ર એવું તણખલું છે જેના સહારે માનવજાત અસ્તિત્વના પહેલા દિવસથી આજદિન લગી જીવનસાગરમાં તરતી આવી છે અને અસ્તિત્વ ટકશે ત્યાં સુધી એના આધારે જ તરતી રહી શકશે. માણસના જીવનમાંથી આશા કાઢી લો તો શું બચે? પ્રાણવાયુ જે ફેફસાં માટે, એ જ આશા જીવન માટે છે. રાતના અંધારામાં માણસ આંખ મીંચીને માત્રને માત્ર એ જ કારણોસર ઊંઘી શકે છે કે રાત ગમે એટલી અંધારી કેમ ન હોય, સવાર તો પડવાની જ છે. માણસને જો એવી ખાતરી થઈ જાય કે આવતીકાલે સવાર પડવાની જ નથી, તો એ કદાચ ઊંઘી જ ન શકે. બર્નાર્ડ વિલિયમ્સે કહ્યું હતું: ‘એવી કોઈ રાત કે સમસ્યા છે જ નહીં જે સૂર્યોદય કે આશાને હરાવી શકે.’ દુઃખના દિવસો આપણે બેળે બેળે પણ એ કારણોસર જ પસાર કરી શકીએ છીએ કે દિલમાં ઊંડે ઊંડે એ આશા છૂપાયેલી હોય જ છે કે સુખના દિવસ આવશે જ. ઇસુના ૨૭૦ વર્ષ પૂર્વે થિઓક્રેટસે કહ્યું હતું: ‘જ્યાં જીવન છે, ત્યાં આશા છે.’ ઈસ્લામમાં તો અલ્લાહમાંના ભરોસાને જ આશા કહી છે. શેક્સપિઅર પણ કહે છે કે દુઃખી માણસો પાસે બીજી કોઈ દવા નથી, સિવાય કે આશા. મોટા મોટા મહાપુરુષો અને સંતો કહી ગયા કે આજમાં જીવો પણ માનવજાત પાસે જો આવતીકાલની આશા ન હોય તો એની આજ પણ શૂન્ય જ થઈ જાય. મૃત્યુ ગમે એટલું અફર કેમ ન હોય, માણસ જીવે છે જ એટલા માટે કે એને ખાતરી છે કે એ કાલે સવારે ઊઠવાનો જ છે, ભલે પછી મોઢેથી એ ‘કાલ કોણે દીઠી છે’નું પોપટિયું રટણ કેમ ન કરતો હોય!

શીનાઘની આ કવિતા આશાનો બુસ્ટર ડોઝ છે. એ ‘ક્યારેક’ ‘ક્યારેક’ની આલબેલ પોકારે છે પણ આપણને એમાંથી ‘હંમેશા’ ‘હંમેશા’નો જ પડઘો સંભળાય છે. એ ‘આવું તમને પણ ફળે’ કહે છે ત્યારે આપણા હાથમાંથી બધા હથિયાર હેઠા પડી જતા અને આપણે દોડીને આ કવિતાને આશ્લેષમાં લેવા જતા હોવાનું અનુભવાય છે. ‘ક્યારેક’ શબ્દ નાની-નાની આશાઓનો સમાનાર્થી બનીને આપણી પાસે આવે છે. આ કવિતાએ નિષ્ફળતાની ચરમસીમા પર ઊભેલા ઢગલાબંધ લોકોનો હાથ ઝાલીને સંજીવની બક્ષી છે. એટલે જ ક્યારેક કળા કળાકાર કરતાં મહાન સિદ્ધ થાય છે. હા, ‘ક્યારેક.’

ચોકલેટનો બંગલો

સ્વરાંકન: રૂપાંગ ખાનસાહેબ
સ્વર: દ્રવિતા ચોકસી

Audio Player

.

હોય એક સુંદર ચોકલેટનો બંગલો, ચમકતો ચાંદામામા કેરા રંગનો.
ચોકલેટના બંગલાને ટોફીના દ્વાર, ખિસકોલી પૂંછડે ઝાડુનો માર.
હોય એક…

ગોળ ગોળ લેમનનો ગોખલો છે નાનો, હલો હલો કરવાનો ફોન એક છાનો
બિસ્કીટને ટોડલે સુંદર છે મોર. પીપરમીંટના આંગણામાં લાલ ફૂલ ડોલ,
હોય એક…

ચાંદીના ઝાડ પાછળ ચાંદામામા ભમતા. મોતીના ફલોમાં સંતાકુકડી રમતા.
ઉંચે ઉંચે હિચકો ખૂબ ઝૂલે ઝૂલ, મેનાનું પીંજરું ટાંગે રંગલો.
હોય એક …

ગ્લૉબલ કવિતા : ૭૦ : ચર્ચમાં – આર. એસ. થોમસ

In Church

Often I try
To analyse the quality
Of its silences. Is this where God hides
From my searching? I have stopped to listen,
After the few people have gone,
To the air recomposing itself
For vigil. It has waited like this
Since the stones grouped themselves about it.
These are the hard ribs
Of a body that our prayers have failed
To animate. Shadows advance
From their corners to take possession
Of places the light held
For an hour. The bats resume
Their business. The uneasiness of the pews
Ceases. There is no other sound
In the darkness but the sound of a man
Breathing, testing his faith
On emptiness, nailing his questions
One by one to an untenanted cross.

– R S Thomas


ચર્ચમાં

ઘણીવાર હું મથું છું
એની ચુપકીઓની ગુણવત્તાનું
વિશ્લેષણ કરવા. શું અહીં જ ભગવાન છુપાયો છે
મારી શોધખોળથી? મેં સાંભળવી બંધ કરી છે,
કેટલાક લોકોના ચાલી ગયા પછી,
એ હવાઓને જે પુનર્ગઠિત કરે છે પોતાને
નિગરાની માટે. એણે આ જ રીતે પ્રતીક્ષા કરી છે
પથ્થરો એની ફરતે ટોળું બનાવી બેઠા છે ત્યારથી.
આ છે કઠણ પાંસળીઓ
એક શરીરની જેને આપણી પ્રાર્થનાઓ જીવંત કરવામાં
નિષ્ફળ નીવડી છે. પડછાયાઓ આગેકૂચ કરી રહ્યા છે
તેમના ખૂણાઓમાંથી, એ જગ્યાઓનો કબ્જો મેળવવા માટે
જે પ્રકાશે બાનમાં રાખ્યો છે
એક કલાક સુધી. ચામાચીડિયાઓ
એમના ધંધે લાગી ગયાં છે. બાંકડાઓની બેચેની
શમી ગઈ છે. બીજો કોઈ જ અવાજ નથી
અંધારામાં સિવાય કે એક માણસના
શ્વસનનો, એના વિશ્વાસને ચકાસતો
આ ખાલીપે, એના પ્રશ્નોને એક પછી એક
ખીલે ઠોકતો એક ભાડૂતવિહોણી શૂળી પર.

– આર. એસ. થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)


ઈશ્વર: માનો તો મૈં ગંગા મા હૂઁ, ના માનો તો બહેતા પાની…

ઈશ્વર. શું છે ઈશ્વર? સત્ય કે અસત્ય? વાસ્તવ કે કલ્પના? સધિયારો કે ડર? જગન્નિયંતા કે કથપૂતળી માત્ર? આપણે એનું સર્જન છીએ કે એ આપણું? કોઈએ જોયો નથી, કોઈએ અનુભવ્યો નથી, કોઈએ જોયાનો દાવો કર્યોય હોય તો એ દાવાની સત્યાનૃતતા કોઈએ કરી નથી ને તોય માનવજાતે આજસુધીના ઇતિહાસમાં સૌથી વધુ વિશ્વાસ આ સંપૂર્ણતઃ ઇન્દ્રીયાતીત વિભાવનામાં જ મૂક્યો છે, ને મૂકતી રહેવાની છે. માણસે જે દિવસે પહેલવહેલીવાર ડર અનુભવ્યો હશે એ દિવસે કદાચ ઈશ્વરનો જન્મ થયો હશે અને ડર એ સહજ અને સ્વભાવગત અનુભૂતિ હોવાના કારણે કોઈપણ જાતના સંપર્ક કે સંદેશવ્યવહાર વિના દરેક યુગ, દરેક દેશ અને દરેક સંસ્કૃતિએ પોતાનો ઈશ્વર સ્થાપ્યો જ છે. દુનિયા આસ્તિકોથી ભરી પડી છે તો નાસ્તિકોનીય કંઈ કમી નથી. પણ ઈશ્વર ગળથૂથીથીજ એવો રક્તસંસ્કાર બની બેઠો છે કે એના અસ્તિત્વને સમુચુ નકારવું નાસ્તિકો માટેય આસાન નથી. પ્રસ્તુત કવિતામાં આર. એસ. થોમસ ઈશ્વરની વિભાવનાને ટટોલી જુએ છે.

રોનાલ્ડસ્ટુઅર્ટથોમસ. ૨૯-૦૩-૧૯૧૩ના રોજ કાર્ડિફ, વેલ્શ (યુ.કે.) ખાતે ખલાસીને ત્યાં જન્મ. મા-બાપનું એકમાત્ર સંતાન. ૨૩ વર્ષની વયે એન્ગ્લિકન ચર્ચમાં પાદરી બન્યા. ૧૯૪૦માં મિલ્ડ્રેડ એલ્ડ્રિજ સાથે લગ્ન, જે ૧૯૯૧માં એલ્ડ્રિજના અવસાન સુધી ટક્યા. ચિત્રકાર પત્નીની પ્રસિદ્ધિએ થોમસની કવિ તરીકે પ્રસિદ્ધ થવાની ઇચ્છામાં ભાગ ભજવ્યો. એલિઝાબેથ વર્નન સાથે બીજા લગ્ન. જેનો ઉપદેશ આપ્યો એ જ જીવન જીવ્યા. સ્વૈચ્છિક ગરીબીનો સ્વીકાર. ઘરની એકમાત્ર સાહ્યબીની ચીજ વેક્યુમ ક્લિનર પણ થોમસે એમ કહીને કાઢી નાંખ્યું કે એ બહુ અવાજ કરે છે. પ્રબળ રાષ્ટ્રવાદી હતા પણ માતૃભાષા છેક ૩૦ની ઊંમરે શીખ્યા એટલે કવિતા અંગ્રેજીમાં જ લખી. ૧૯૯૬માં નોબલ પારિતોષિક માટે નામાંકન થયું પણ મેળવવા જેટલા સૌભાગ્યશાળી ન નીવડ્યા. આજીવન નાના અમથા વેલ્શની બહાર ભાગ્યે જ નીકળ્યા હશે પણ યુરોપના મુખ્ય કવિઓમાંના એક ગણાયા. ૧૫૦૦થી વધુ કવિતાઓ લખી. ૮૭ વર્ષની જૈફ વયે ૨૫-૦૯-૨૦૦૦ના રોજ હૃદયરોગની બિમારીથી દેહાવસાન.

દેશના પારંપારિક વિચારો અને બીજી રીતે કહો તો, આત્માને હચમચાવી નાંખનાર કવિ. જેમ થોમસ હાર્ડીનું સમગ્ર સર્જન વેસેક્સની ફરતે રચાયું છે એમ આર. એસ. થોમસની કવિતા પણ વેલ્શના સામાન્યજનના જીવનમૂલ્યોનું સહજ ગાન છે. આપણે ત્યાં લક્ષ્મણે જેમ ‘કોમનમેન’ સર્જ્યો તેમ થોમસે એની કવિતાઓમાં ‘ઇઆગો પ્રિથેર્ચ’ નામના ખેડૂતનું સર્જન કરી વેલ્શના આત્માને અવાજ આપ્યો છે. એ પોતાના દેશબંધુઓની કઠોર આલોચના કરે છે પણ કરુણામય સમદૃષ્ટિ સાથે. કડવા કટાક્ષ પણ અનુકંપાસભર છે. ભાષા સરળ પણ લય મજબૂત. માનવમનના ઊંડાણમાંથી એમની કવિતા નીકળે છે અને ઈશ્વરની ઊલટતપાસ કરવા નીકળે છે. એમની રચનાઓમાંથી ઈશ્વરના છેતરામણા પ્રપંચ સામેનો આર્તસ્વર ઊઠે છે. એ ‘ક્રોસના કવિ’, ‘ચર્ચના કવિ’ તરીકે ઓળખાય છે. પણ ઈશ્વર વિશેની પારંપારિક કવિતાઓ કરતાં આ કવિતાઓ ઊફરી ચાલે છે. બહુધા એમાંથી નાસ્તિકતાનો સૂર ઊઠતો સંભળાય છે. એ ન સંભળાયેલી પ્રાર્થનાઓનો, એકલતાનો, અંધારાનો, ઈશ્વરના પથ્થરિયા મૌનનો જવાબ માંગે છે. એ કહેતા, ‘કેટલાક લોકો આતુર છે એ જાણવા કે મારા બે વ્યવસાયો વચ્ચે અથડામણ નથી થતી? તો હું હંમેશા જવાબ આપું છું કે ઈસુ કવિ હતા, નવો કરાર પણ એક કવિતા છે, અને મને કોઈ સમસ્યા નડતી નથી.’ એમની કવિતા એકાકી જીવની ‘નખશિખ શુદ્ધ, નખશિખ કડવી’ કવિતા તરીકે ઓળખાવાય છે. એ કહે છે, ‘મારો મુખ્ય હેતુ છે કવિતા બનાવવાનો. તમે પહેલાં તમારી જાત માટે બનાવો છો, બીજા લોકો પછી ઇચ્છતા હોય તો જોડાઈ શકે છે.’

૧૯૬૬માં લખાયેલ ‘ચર્ચમાં’ એક ગદ્યકાવ્ય છે. છંદ કે પ્રાસની પળોજણમાં પડવાના બદલે કવિ સીધી સરળ ભાષામાં પોતાની વાત બહુ ઓછી પંક્તિઓમાં રજૂ કરે છે. વીસ પંક્તિની કવિતામાં માત્ર નવ જ વાક્ય છે અને છેલ્લું વાક્ય તો કાવ્યાંતે જ પૂરું થઈ શકે એને બાદ કરીએ તો આખી રચનામાં બીજું એક જ વાક્ય પંક્તિ પતે ત્યાં પતે છે. એ સિવાયના સાતે-સાત વાક્યો પંક્તિની વચમાં પૂરાં થાય છે એટલે આખી કવિતામાં એક પંક્તિ બીજીમાં ને બીજી ત્રીજીમાં સતત ઢોળાતી રહે છે, જેને આપણે અપૂર્ણાન્વય (Enjambment/run-off lines) તરીકે ઓળખીએ છીએ. આ પ્રયુક્તિને લીધે કાવ્ય સળંગસૂત્રી હોવાનું અનુભવાય છે.

કવિતા ‘ઘણીવાર’થી શરૂ થાય છે, અર્થાત્ આ જે પણ કંઈ વાત કે મથામણ છે એ આજની કે એકવારની નથી, એ સતત ચાલતી આવેલી અને કદાચ સતત ચાલતી રહેનાર પ્રક્રિયા છે. કવિતાનો પ્રારંભ આત્મકથનાત્મકશૈલીમાં થાય છે પણ થોડી જ વારમાં હું નીકળી જઈને ‘અમારી પ્રાર્થનાઓ’ના ‘અમે’માં રૂપાંતરિત થાય છે અને એ પછી આખી કવિતા ત્રીજા પુરુષ કથાનકમાં રજૂ થતી હોય એમ લાગે છે. કવિ બહુ સિફતથી પોતાના ‘આઇ’ને દૂર કરી દે છે કેમકે એ જાણે છે કે ‘આઇ’નો બોજો માથા પર લઈને ઈશ્વરના દાદરા ચડી શકાનાર નથી. નાયક ચર્ચમાં બેઠો છે અને ઈશ્વરની તલાશમાં છે. ‘ઈશ્વર કણ કણમાં વસેલો છે’, ‘अहं ब्रह्मास्मि’ અને ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ આપણે ફક્ત બોલવા માટે જ બોલીએ છીએ, દિલથી કદી સ્વીકારતા નથી. ને એટલે જ વિશ્વભરમાં ધર્મસ્થાનોનું નિર્માણ અનવરત ચાલતું આવ્યું છે. ઈશ્વરને મળવા આપણે કદી આપણા કે બીજાના દિલ સુધી જતા નથી, મંદિર-મસ્જિદ-ગિરિજાઘરમાં જ જઈએ છીએ, કેમ જાણે આખી દુનિયાને પડતી મૂકીને ઈશ્વર ત્યાં જ આરામ ન ફરમાવતો હોય આપણી પ્રતીક્ષામાં. ઈશ્વર વિશેની કોઈપણ સંસ્કૃતિની એકેય વાતો તર્કસંગત નથી ને તોય ઈશ્વરના અસ્તિત્વને નકારવાની આપણી હિંમત નથી. ટી. એસ. ઇલિયટે કહ્યું હતું: ‘માનવજાત વધુ પડતી વાસ્તવિક્તા સહી શકતી નથી.’હરિવંશરાય બચ્ચન કહે છે: ‘આણે બનાવીને મંદિર-મસ્જિદ-ગિરજાઘર/ખુદાને કરી દીધો છે બંધ;/આ છે ખુદાની જેલ/જેને તેઓ-વ્યંગ તો જુઓ/કહે છે શ્રદ્ધા-પૂજાના સ્થાન.’

નાયક ચર્ચમાં નિયમિત આવે છે અને ચર્ચ ખાલી થઈ ગયા પછી પણ ત્યાં હાજર રહે છે. થોમસ પોતે પાદરી છે એટલે એ કદાચ એ પાદરીના ધર્મોપદેશ પતી ગયા પછીના ચર્ચની આ સ્થિતિ કલ્પે છે. એ અહીંની ચુપકીદીઓની ગુણવત્તાનું વિશ્લેષણ કરવા અવારનવાર મથે છે. મૌનમાંથી ઊઠતા પડઘા સાંભળવા એના કાન કાયમ આતુર રહે છે. પ્રશ્ન થાય છે, શું આ જ જગ્યા છે જ્યાં એની નજરોથી, પહોંચથી, શોધખોળથી પરે ઈશ્વર સંતાયો છે? લોકો ચાલ્યા ગયા પછીના ખામોશ વાતાવરણમાં મંડરાયા કરતી હવાઓ જાણે ચોકીપહેરો ભરવા માટે પુનર્ગઠિત થઈ રહી છે. નાયક હવે એની અવગણના કરવા માંડ્યો છે. મતલબ એવો પણ સમય હશે જ્યારે એ આ હવાઓને સુંઘતો, ગણકારતો હશે. પણ હવે એને લાગે છે કે પથ્થરો ટોળું જમાવીને બેઠાં છે ત્યારથી આ ચર્ચ, આ હવાઓ ઈશ્વરની આમ જ રાહ જોયા કરતાં હશે. ચર્ચમાંના આ પથ્થરો જાણે લાશની કઠણ પાંસળીઓ છે જેમાં વરસોની, સદીઓની પ્રાર્થના પણ પ્રાણ ફૂંકી શકી નથી. ઈસુના પુનરુજ્જીવન (Resurrection)ની વાયકા યાદ આવ્યા વિના નથી રહેતી. મૃત્યુના ત્રીજા દિવસે ઈસુ ખ્રિસ્ત ફરી જીવતા થયા હતા એ વાત ખ્રિસ્તી ધર્મના કેન્દ્રસ્થાને છે. ઈસુ પુનર્જીવિત થયા ન હોઈ શકે એમ જેઓ માને છે તેઓ હજી પાપમુક્ત થયા જ નથી એમ કહી દઈને ખ્રિસ્તી ધર્મ તમામ પ્રકારની આશંકાઓની શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકી દે છે. કોઈ જ ધર્મ આવા પૂર્ણવિરામોથી પર નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. (જલન માતરી)

નમું તને પથ્થરને? નહીં, નહીં
શ્રદ્ધા તણા આસનને નમું નમું. (સુન્દરમ્)

આમ, ઈશ્વરને શ્રદ્ધાનો વિષય બનાવી દઈને એના અસ્તિત્વની ખરાખરી તરફ આપણે આંખ જ મીચી દીધી છે. ચર્ચનો ધર્મનાદ ટાઢો પડી ગયો છે. લોકો ચાલ્યા ગયા છે. સ્થગિત હવા ત્યાંને ત્યાં ઘુમરાઈ રહી છે. પથ્થરો વધુ નિર્જીવ ભાસી રહ્યા છે. ઘડી પહેલાં જે સ્થાન પ્રકાશના તાબામાં હતું એને હડપવા ખૂણાઓના અંધારા આગેકૂચ કરી રહ્યાં છે. ‘એલાઇવ’ કવિતામાં થોમસ લખે છે: ‘અંધારું તારી હાજરીનો ગાઢો બનતો જતો ઓળો છે.’ દિવસભર ચુપચાપ ઊંધા લટકી રહેલ ચામાચીડીયાઓ પોતાના કામે લાગી ગયાં છે. ચામાચીડીયા આપણી અંધ શ્રદ્ધાના પ્રતીક છે. માણસોના હોવાથી બાંકડાઓ પણ જાણે કે બેચેન હતા, તે માણસોના ચાલી ગયા પછી તેમની બેચેની પણ ક્રમશઃ શમી રહી છે. અંધારામાં બધું જ ઓગળી ગયું છે, અવાજ સુદ્ધાં. અંધારું આમેય બધા ભેદભાવ મિટાવી દઈને બધાને એકાકાર કરી દઈ એક જ કક્ષાએ આણે છે, જે સહન કરવું મનુષ્ય માટે શક્ય નથી, ને કદાચ એટલે જ મનુષ્યમાત્ર અંધકારથી ડરે છે.

ટાંકણી પડે તો પણ સાંભળી શકાય એવી ચર્ચની નીરવ શાંતિમાં ત્યાં હાજર એકમાત્ર માણસના શ્વસનનો અવાજ એકમાત્ર અપવાદ છે. ‘ધ ઇકોઝ રિટર્ન સ્લૉ’માં એ લખે છે: ‘તમારે એવી પ્રતીક્ષાની કલ્પના કરવાની છે જે ઉતાવળી નથી કેમકે એ સમયાતીત છે.’ થોમસે જિંદગીનો મોટાભાગનો સમય ચર્ચની સેવામાં વીતાવ્યો હતો એટલે એની કવિતાઓમાં ચર્ચ અને ધર્મ સદૈવ કેન્દ્રસ્થાને રહ્યા છે. એમની કવિતાઓના સાચા નાયક ચર્ચ બહુધા ખાલી જ જોવા મળે છે, અથવા વધુમાં વધુ એક માણસ એમાં હાજર દેખાય છે. આ એક માણસ કવિનો આભ્યંતર અહમ્ (Alter ego)પણ હોઈ શકે છે. થોમસ છૂપા ઈશ્વરનો, નીરવતાનો કવિ છે. એ અંધારા એકાંતમાં પોતાનું અજવાળું શોધવા મથે છે. ‘ધ એમ્પ્ટી ચર્ચ’કવિતામાં એ કહે છે: ‘એ લોકોએ એના માટે આ પથ્થરની જાળ બિછાવી, મીણબત્તીઓથી લલચાવ્યો, જાણે કે એ એક મોટા ફૂદાની જેમ અંધારામાંથી અહીં આવી ચડવાનો ન હોય.’ આજ કવિતામાં એ આગળ કહે છે: ‘શા માટે, તો, હું ઘૂંટણિયે પડીને મારી પ્રાર્થનાઓ એક પથ્થરના હૃદય પર ફટકારું છું? શું એ આશામાં કે એમાંની એકાદ પ્રજ્વળશે અને આ પ્રકાશિત દીવાલો હું સમજી શકું એનાથી વધુ વિરાટ કશાકનો પડછાયો ફેંકી શકે?’

‘ન્યુક્લિઅર’માં એ કહે છે: ‘એવું નથી કે એ બોલી શકતો નથી; ભાષાઓ કોણે સર્જી, સિવાય કે ભગવાન?’ પણ અહીં પથ્થરોની નિર્જીવ વસ્તીમાં ખાલી ક્રોસની ઉપર એ એક માણસ પોતાના શ્વાસોચ્છ્વાસ વડે પોતાના પ્રશ્નો, પોતાની શંકાઓ, પોતાની શ્રદ્ધાઓને એક પછી એક ખીલે ઠોકી રહ્યો છે. ૩૧ ઓક્ટોબર, ૧૫૧૭ના દિવસે માર્ટિન લ્યુથરે વિટેનબર્ગ કેસલ ચર્ચના દરવાજે ચર્ચમાં પેસી ગયેલા સડાના વિરોધમાં પોતાના ૯૫ મુસદ્દાઓની નકલ ખીલે ઠોકી હતી એ વાત યાદ આવ્યા વિના નહીં રહે. અહીં પણ નાયક પોતાના વિશ્વાસને આ ખાલીપામાં, આ અંધારામાં ચકાસવા મથી રહ્યો છે. જેમ ઈસુના શરીરમાં એમ એ પોતાના પ્રશ્નોના શરીરમાં ખીલા ઠોકી રહ્યો છે. શું આનો મતલબ એવો સમજવો કે એ પોતાના જવાબો મેળવી રહ્યો છે? અહીં શૂળી ભાડૂતવિહોણી છે એ રૂપક ખાસ્સું અર્થગંભીર છે. આ રૂપકે સાહિત્યજગતને ચર્ચાના ચકડોળે ચડાવ્યું છે. આ ખાલી ક્રોસ હાજરી-ગેરહાજરી, શ્રદ્ધા-અશ્રદ્ધા, ક્રુસાહોરણ-પુનરુજ્જીવનના વિરોધાભાસ ઈંગિત કરે છે. સુધારાવાદી ખ્રિસ્તીઓ (પ્રોટેસ્ટન્ટ્સ) લોકોનો ક્રોસ ખાલી હોય છે જ્યારે પરંપરાગત રોમન કેથલિક સંપ્રદાયમાં ક્રોસની ઉપર ઈસુ ખ્રિસ્ત જોવા મળે છે. આ બિનનિવાસિત શૂળીનો એક અર્થ એવો કરી શકાય કે ઈશ્વર હવે અહીં નથી, ચાલ્યા ગયા છે. જ્યારે બીજો અર્થ પરંપરાગત ઈસુના ક્રુસારોહણ (crucifixion) અને પુનરુજ્જીવન તરફ ઈશારો કરે છે. એમ માની શકાય કે પુનરુત્થાન થઈ ચૂક્યું હોવાથી એ હવે ક્રોસ પર નથી. એવું પણ કહી શકાય કે આપણે જે સમાજ-સંસ્કૃતિમાં રહીએ છીએ એનું એ હદે પતન થઈ ચૂક્યું છે કે ભગવાન હવે અહીં રહી શકે એમ ન હોવાથી આપણને છોડીને ચાલ્યા ગયા છે. ‘ભાડુત’ શબ્દ પણ ધ્યાન માંગે છે. ભાડુત એટલે એક એવો શખ્સ જે બીજાના મકાનમાં રહે છે. મતલબ આ ક્રોસ એ ઈસુનું પોતાનું ઘર નથી, એ રોમન લોકોએ આપેલું ભાડાનું ઘર છે.

થોમસે કહ્યું હતું: ‘ગામડાંના દેવળમાં પાદરી તરીકે રહેવાના ફાયદાઓ અને પડકારોમાંનો એક છે શાંતિ અને એકલતા. ઘણો બધો સમય ઘૂંટણિયે પડીને ઈશ્વરને શોધવામાં, સંપર્ક સાધવાની કોશિશમાં જાય છે અને ઈનામમાં નીરવતા અને અનુપસ્થિતિની લાગણી મળે છે, કેમકે આપણે એનામાં છીએ, નહીં કે એ આપણી કોઈ ઈમારતો કે છટકાઓમાં.’પણ આ કવિતા છે. પાદરી થોમસ અને કવિ થોમસને એમણે કાયમ અલગ રાખ્યા હતા. ચર્ચમાં એમણે કદી પોતાની અંગત માન્યતાઓના જોરે ધર્મોપદેશ આપ્યો નહોતો. ચર્ચમાં એ બાઇબલની જ વાત કરતા. એટલે થોમસની અન્ય રચનાઓ તરફ નજર કરો કે ન કરો, એના પાદરી તરીકેની કારકિર્દીને ધ્યાનમાં લો કે ન લો, કવિતા કવિતા છે અને એ કદી અર્થ અને સમજણની પકડમાં આવી શકે નહીં એટલે આ કવિતાને તમે નાસ્તિકતાનું રણશિંગુ પણ કહી શકો અને આસ્તિકતાનો શંખનાદ પણ; કેમકે ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે એ માત્ર ને માત્ર જોનારાની નજર ઉપર જ અવલંબિત હોઈ શકે. તમે ખોબામાં જે અંજલિ ભરી છે, એ શ્રદ્ધા હશે તો સાક્ષાત્ ગંગાજળ છે, ને શ્રદ્ધા ન હોય તો નકરું પાણી…

આ અમારો બચુડો અંગ્રેજી ભણવા જાય

સ્વરાંકનઃ મહેશ દવે
સ્વર: યુનુશ અને દેવેશ

Audio Player

.

આ અમારો બચુડો અંગ્રેજી ભણવા જાય
કહે કદી એ હાય, કદી કહે ગુડબાય
કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય.

પોએટ્રી તું પટ પટ બોલે, દાદીનો દેસી કાન,
swan કહે તું હંસને, દાદી સમજે શ્વાન,
દહાડે દહાડે ત્રીજી પેઢી દુર જતી દેખાય.. આ અમારો બચુડો

મેઘધનુષી ગુર્જરભાષા કેટલાં એના રંગ.
દાદીમાની કહેવત સુણી દુનિયા આખી દંગ.
પણ અંગ્રેજીથી રંગી દીધું તે તો આખું સ્કાય.. આ અમારો બચુડો

તું અંગ્રેજી બોલે ત્યારે દાદાજી પણ ઝૂલે,
કેમ કરી ચાલે રે બચુડા ગુજરાતી જો ભૂલે,
ભલે હોઠે ઈંગ્લીશ, હૈયે ગુજરાતી સચવાય .. આ અમારો બચુડો

ગ્લૉબલ કવિતા: ૬૯: કવિની અનિશ્ચિતતા – વેન્ડી કોપ



I am a poet.
I am very fond of bananas.

I am bananas.
I am very fond of a poet.

I am a poet of bananas.
I am very fond.

A fond poet of ‘I am, I am’-
Very bananas.

Fond of ‘Am I bananas?
Am I?’-a very poet.

Bananas of a poet!
Am I fond? Am I very?

Poet bananas! I am.
I am fond of a ‘very.’

I am of very fond bananas.
Am I a poet?

– Wendy Cope


કવિની અનિશ્ચિતતા

હું એક કવિ છું.
હું ખૂબ શોખીન છું કેળાંની.

હું કેળાં છું.
હું ખૂબ શોખીન છું એક કવિની.

હું એક કવિ છું કેળાંની.
હું ખૂબ શોખીન છું.

એક શોખીન કવિ ‘હું છું, હું છું’ની-
ખૂબ કેળાં.

શોખીન છું ‘શું હું કેળાં છું?
છું હું?’ની- એક ખૂબ કવિ.

કેળાં એક કવિના!
શું હું શોખીન છું? શું હું ખૂબ?

કવિ કેળાં! હું છું.
હું શોખીન છું ‘ખૂબ’ની.

હું ખૂબ શોખીન છું કેળાંની.
શું હું કવિ છું?

– વેન્ડી કોપ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતા તમાચાનો જવાબ તમાચાથી આપે?

ગાંધીજી તો કહી ગયા કે કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરજો. પણ ગાંધીપગલે ચાલવું એટલે લોઢાના ચણા ચાવવા. સમાજની રક્તવાહિનીમાં આજે ભ્રષ્ટ-આચારના રક્તકણો જ વહે છે, માટે ગાંધીના પગલે ચાલવાનું નક્કી કરે એની તો આખી માત્ર ચાલવા પર ધ્યાન આપવામાં જ વ્યતીત થઈ જાય, માર્ગ કે મંઝિલ-બેમાંથી કશાયનો આનંદ લેવું એના માટે શક્ય જ ન બને. તમાચાનો જવાબ તમાચાથી ન આપો તો જીવવું દોહ્યલું થઈ પડે એવા (અ)સમાજમાં આપણે જીવી રહ્યાં છીએ. પણ શું કવિતા આવું કામ કરે ખરી? શું કવિતા એના કપડાં કાઢનારનાં કપડાં ઊતારે ખરી? વેન્ડી કોપની પ્રસ્તુત રચના આનો જવાબ આપે છે.

વેન્ડી કોપ. યુનાઇટેડ કિંગ્ડમમાં એરિથ, કેન્ટ ખાતે ૨૧-૦૭-૧૯૪૫ના રોજ જન્મ.માતા-પિતા એમને નાનપણથી કવિતાઓ સંભળાવતા એટલે કવિતા ગળથૂથીમાં જ મળી હતી એમ કહીએ તો ખોટું નથી. ૧૯૮૬થી માત્ર કલમના ખોળે માથું મૂકીને જીવવું આદરતા પૂર્વે ઓક્સફર્ડ અને લંડન ખાતે શિક્ષક હતાં. એમના પહેલા જ પુસ્તકની આશરે બે લાખ જેટલી પ્રતો વેચાઈ ચૂકી છે. બ્રિટિશ લાઇબ્રેરી દ્વારા ૨૦૧૧માં એમની હસ્તપ્રતો, રિપૉર્ટ્સ અને ૪૦૦૦૦ જેટલા ઇ-મેલ્સની કરવામાં આવેલી ખરીદી આજદિન પર્યંત કરવામાં આવેલ મોટામાં મોટી ખરીદી છે. ૧૯ વર્ષના સહવાસ બાદ ૨૦૧૩માં કવિ લોકલન મેકિનન સાથે લગ્ન કર્યા અને હાલ ઈલિ, કેમ્બ્રિજશાયર ખાતે રહે છે.

વ્યંગ એ એમનો પ્રમુખ કાકુ. અન્યોના વિષયવસ્તુનું વ્યંગ્યાત્મક અનુકરણ કરીને તેઓ મખમલમાં વીંટાળીને જૂતાં મારવામાં પ્રવીણ છે. ગંભીરતમ વિષયને હળવી રમૂજ સાથે રજૂ કરવામાં એક્કો. સમાજ અને સાહિત્યમાંના છીંડા તરફ એ તરોતાજા અને ખાસ તો, સ્ત્રીસહજ નમણા અભિગમથી જુએ છે, માટે એમની રચનાઓ વિવેચકોને અતિક્રમીને ભાવકો સુધી પહોંચી છે. કાવ્યસ્વરૂપ ઉપરની એમની સચોટ હથોટી અને ત્રુટિહીન ચોક્સાઈ એમને સમકાલીન પુરુષ કવિઓની બરાબરીમાં મોખરે બેસાડે છે. કવિતામાં એ સતત નવીનીકરણ રજૂ કરતાં રહ્યાં છે. સૉનેટ, લિરિક અને ક્રમશઃ ગદ્યકાવ્ય એમ એમની પરિવર્તનશીલ ગતિ નજરે પડતી રહે છે. લંડન રિવ્યૂ ઑફ બુક્સે એમને ‘જેટ-યુગના ટેનિસન’ કહી નવાજ્યાં છે.
કવિતા પર નજર કરતાં પહેલાં શીર્ષકને સમજવું જરૂરી બની રહે છે. ‘કવિની અનિશ્ચિતતા’ (The Uncertainty of the Poet) શીર્ષક જૉર્જો ડિ કિરિકો (Giorgio de Chirico) નામના ઇટાલિઅન ચિત્રકારે ૧૯૧૩ની સાલમાં ૨૫ વર્ષની નાની વયે બનાવેલા ચિત્રના નામ પરથી લેવામાં આવ્યું છે. જૉર્જો ચિત્રોમાં અધિભૌતિકી કળા (Metaphysical art)ના પ્રણેતા હતા, જેણે પરાવાસ્ત્વવાદીઓ(Surrealists)ને એ હદે આકર્ષ્યા કે લોકો એમને પરાવાસ્તવવાદના પિતાઓમાંના એક પણ કહે છે. પણ જેમ એઝરા પાઉન્ડની ઇમેજિસ્ટ ચળવળ ૧૯૧૨માં શરૂ થઈ એના જ હાથે ૧૯૧૭માં અંત પામી એ જ રીતે જૉર્જો પણ ૧૯૧૧માં અધિભૌતિકતા પ્રશસ્ત કરીને ૧૯૧૯માં પારંપારિક ચિત્રકળાના મૂલ્યો સ્વીકારીને અનુઆધુનિકતા તરફ વળી ગયા. કહે છે કે એમના અધિભૌતિક ચિત્રો પરિત્યક્તવ્યતા અને ખાલીપાની છબીઓ છે જે તાકાત અને આઝાદીનું નિરૂપણ કરે છે. એમનું ‘કવિની અનિશ્ચિતતા’ ચિત્ર પણ બહુચર્ચિત છે. આ ચિત્રની કિંમત આજે સાડા નવ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવે છે. ચિત્રમાં હાથ-પગ અને માથું કપાયેલ સ્ત્રીનું ધડ નજરે ચડે છે, જે કમરમાંથી જોનાર તરફ વળેલ છે. માનવામાં આવે છે કે આ પ્રેમ અને કામની દેવી એફ્રૉડાઇટનું ધડ છે. એની બરાબર સામે જ પાકાં મોટા કદના કેળાંઓની એક લૂમ પડી છે, જે શિશ્નનો આભાસ પણ ઊભો કરે છે. જમણી બાજુએ દરવાજા વગરની ત્રણ ગોળ કમાનોવાળી ભીંત નજરે ચડે છે અને એ ભીંત જ્યાં પૂરી થાય છે ત્યાં ચિત્રના મથાળે ચિત્રના આ નાકેથી પેલા નાકા સુધી ખેંચાયેલી ઈંટોની બનેલી નાનકડી દીવાલ છે જેની પેલે બાજુ એક ટ્રેન ધુમાડા છોડતી દોડતી, ચિત્રની છેક ડાબી કિનારી સુધી પહોંચી ગયેલી નજરે ચડે છે. જમણી તરફ દીવાલની પેલે તરફ એક હોડીના સઢ જેવો આકાર નજરે પડે છે. ધડ અને કેળાંની લૂમના પડછાયા યથાતથ પડવાના બદલે તીક્ષ્ણ ધાર અને ગાઢા રંગથી ચિત્રમાં અલગ તરી આવે છે.

કહે છે કે, આ ચિત્રમાં વિશ્વની દેખાવે કામુક, ઊલટીસૂલટી અકારણની દુનિયાને ખૂબ બારીકાઈથી ઉપસાવવામાં આવી છે. સ્ત્રીનું ધડ અને પાકાં કેળાં ની પાછળ કમાનમાંથી નીકળી આગળ ધસતી દેખાતી ટ્રેન ઇન્દ્રિયજન્ય સુખ, એની નશ્વરતા અને બૌદ્ધિક તથા આધ્યાત્મીક મુસાફરી ઈંગિત કરે છે. આ ચિત્ર જેવું જે એક બીજું ચિત્ર ‘ધ ટ્રાન્સફૉર્મ્ડ ડ્રીમ’ છે. જૉર્જોના બીજા ચિત્રોના પણ શીર્ષકમાં પણ કવિનો સમાવેશ થયો છે, જેમ કે ‘ધ ડિપાર્ચર ઓફ ધ પોએટ’, ‘ધ ડ્રીમ ઓફ ધ પોએટ’ વિ. આ ચિત્રમાં જે અનિશ્ચિતતતા કેન્દ્રસ્થાને છે એને કવિ સાથે શા માટે સાંકળવામાં આવી હશે એ એક કોયડો છે પણ આ ચિત્ર બકવાસ છે એમ કહેનારો વર્ગ પણ છે. એ લોકો માને છે કે ચિત્ર નકરી અસંદિગ્ધતાથી ભર્યું પડ્યું છે અને ગમે એટલું ગણિત કેમ ન માંડો, દાખલાની રકમ જ મૂળે ખોટી મંડાઈ છે. અને ચિત્રને ‘કવિની અનિશ્ચિતતા’ નામ આપીને જૉર્જોએ કવિતાની ઠેકડી ઊડાડી હોય એમ લાગે છે.

વેન્ડી કોપ વરસો પછી ૧૯૯૨માં પ્રકાશિત ‘સિરીયસ કન્સર્ન્સ’માં જાણે tit for tat (જેવા સાથે તેવા) કરતાં હોય એમ એ જ શીર્ષક સાથે આ કવિતા લઈને આવે છે. વાત અનિશ્ચિતતાની છે એટલે વેન્ડી છંદોની નિયમિતતાનો ત્યાગ કરે છે, પ્રાસની પળોજણમાં પૂળો મૂકે છે અને બબ્બે પંક્તિઓના કુલ આઠ અંતરા આપણને આપે છે. સોળ પંક્તિની કવિતામાં કુલ મળીને માત્ર આઠ જ શબ્દો વપરાયા છે. માત્ર આ આઠ જ શબ્દોનો વાક્યવિન્યાસ ઊલટાવી-સૂલટાવીને આખી કવિતા લખવામાં આવી છે. ગુજરાતી અનુવાદ કરતી વખતે કથકનું લિંગ દર્શાવવાની ફરજ પડી છે. અંગ્રેજીમાં પ્રથમપુરુષ એકવચન ‘આઇ’ વાપરતી વખતે લિંગને અધ્યાહાર રાખવાની સગવડ છે, જે ગુજરાતીમાં નથી. ‘પોએટ’નો પ્રથમદર્શી તરજૂમો તો કવિ જ થાય પણ અંગ્રેજીમાં નારીવાદી કવિઓ પોતાને કવયિત્રી કહેવડાવવામાં ‘સેકન્ડ જેન્ડર’ હોવાનો સ્વીકાર અનુભવતાં હોવાથી પોતાને કવયિત્રીના બદલે કવિ જ કહેવડાવે છે. બીજું, આ આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલી કવિતા છે. મૂળ અંગ્રેજી રચના લખનાર સ્ત્રી હોવાથી અનુવાદ કરતી વખતે કથકને સ્ત્રીજાતિ તરીકે જ દર્શાવવું ઉચિત જણાય છે.

‘આર્સ પોએટિકા’ કવિતામાં આર્ચીબાલ્ડ મેકલીશ કહે છે: ‘A poem should be palpable and mute.A poem should be wordless. A poem should be motionless in time. A poem should not meanbut be.’ (કવિતા ઇંદ્રિયગમ્ય અને મૂક હોવી જોઈએ. કવિતા શબ્દહીન હોવી જોઈએ. કવિતા સમયમાં ગતિહીન હોવી જોઈએ. કવિતાનો અર્થ જરૂરી નથી, બસ હોવી જોઈએ)કવિતામાં ઘણીવાર જે સમજાય છે તે કવિતા નથી હોતી પણ જે અનુભવાય છે એ કવિતા હોય છે. કવિતામાં કવિએ લખેલા શબ્દોનીવચ્ચેનો શૂન્યાવકાશ વાંચવાનો હોય છે. કવિતાના શબ્દો તો ચિનુ મોદીના શબ્દોમાં ‘લુચ્ચાના સરદાર’ છે, એ બોલે છે કંઈ અને કહે છે કંઈ. શબ્દ નહીં, શબ્દનો પડઘો ખરી કવિતા છે. ધ્વનિ નહીં, પ્રતિધ્વનિ સાંભળતા આવડી જાય ત્યારે ખરી કવિતા સમજાય.

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.

કવિતામાં વપરાયેલા આઠ શબ્દોમાંથી એકેયનો અર્થ સામાન્યજનથીય અજાણ્યો ન હોવા છતાં આ કવિતા જ્ઞાનથી નહીં, પણ કાનથી અને ધ્યાનથી સમજાય છે.એલિયટે પણ કહ્યું હતું:‘વિશુદ્ધ કવિતા સંવાદ સાધી લે છે, સમજી શકાય એ પહેલાં.’વેન્ડીની આ કવિતા પણ અર્થ આપણી સમજમાં ઊતરે એ પહેલાં તો આપણી સાથે વાતચીત કરી લે છે ને આપણા ચહેરા પર એક અકળ અકથ સ્મિત ભેટ ધરી દેછે. આ સમજી ન શકાય, કહી ન શકાય પણ કવિતામાંથી પસાર થતી વખતે બળજબરીથી આપણા ચહેરા પર ઊમડતું સ્મિત જ સાચી કવિતા છે.

પહેલી નજરે એમ લાગે કે શબ્દોની આ કેવી છોકરમત છે! આવું લખવું એ ડાબા હાથનો ખેલ પણ લાગે. પણ ધ્યાનથી જોતાં જ સમજાય કે વેન્ડીએ શબ્દોને આગળ-પાછળ ગોઠવીને, વાક્યવિન્યાસને તોડીમરોડીને નવા જ વાક્યવિન્યાસોનું, નવા જ અર્થોનું સર્જન કર્યું છે.ચિત્રમાં કેળાંઓની લૂમ પડી છે એ ધ્યાનમાં રાખીને વેન્ડી વાત માંડે છે. શીર્ષકમાં ‘કવિની અનિશ્ચિતતા’ પ્રસ્થાપિત કર્યા પછી પહેલું જ વાક્ય એ લખે છે કે ‘હું એક કવિ છું.’ મતલબ, હું અનિશ્ચિતતાથી ઘેરાયેલી છું અથવા હું પોતે જ એક અનિશ્ચિતતતા છું. અને પછી તરત જ શબ્દોની હેરફેર કરીને વાક્યોને પહેલી નજરે અર્થહીન બનાવીને રમૂજી લાગે એમ એકની એક વાત ગોળગોળ ફેરવીને એ કવિની અનિશ્ચિતતા નિશ્ચિત કરે છે. જૉર્જોના ચિત્રમાં જેમ કેળાંઓ એક પ્રતીક છે, એમ અહીં પણ કેળાંઓ પ્રતીકમાત્ર છે. શેનાં પ્રતીક છે એ કવિ કહેતાં નથી. કવિનું કામ બાંધી મુઠ્ઠી ખોલવાનું છે પણ નહીં. એ તો મુઠ્ઠી ધરે, મુઠ્ઠીમાં શું છે એ આપણે ધારી લેવાનું. કવિની મુઠ્ઠીમાંનો શૂન્યાવકાશ પણ પકડતાં આવડી જાય ત્યારે ખરી કવિતા તો હાથ લાગે છે, એ પહેલાંનું તો શબ્દોની રમત માત્ર.

ફકરે ફકરે સમીકરણ બદલાય છે. શરૂઆતમાં કવિને ખબર છે કે એ એક કવિ છે અને એ કેળાંની ખૂબ શોખીન છે. બીજામાં પોતે કેળાં જ છે ને કવિની શોખીન, સૉરી ખૂબ શોખીન છે એમ લાગે છે. ત્રીજામાં પોતે કેળાંની કવિ કે કેળાંની બનેલી કવિ હોય અને ખૂબ શોખીન છે એમ લાગે છે. અહીં શોખીન શેની એ અધ્યાહાર છે. આગળ એબ્સર્ડિટી વધે છે. ‘હું છું, હું છું’ની શોખીન એક કવિની વાત છે. આગળ હું કેળાં છું કે નહીંનો પ્રશ્ન હું છું?ના સનાતન હેમ્લેટિયા પ્રશ્ન સુધી લંબાય છે. ‘કેળાં એક કવિના’ વાંચીએ ત્યારે પ્રશ્ન થાય કે શું વેન્ડી સાચે જ કેળાંની વાત કરે છે કે કેળાં શબ્દોનું પ્રતીક છે? શું અહીં કેળાંનો અર્થ કવિના શબ્દો તરીકે લેવાનો છે? જો એમ હોય તો આખી કવિતામાં હવે ‘કેળાં’ના સ્થાને ‘શબ્દો’ મૂકીને વાંચીએ તો? કવિતાની તરત જ કેવી કાયાપલટ થાય છે, નહીં?! આને જ આપણે મેટામૉર્ફોસિસ કહેતાં હોઈશું ને? હવે ‘કેળાં’ને એના કઠબોલી (Slang) અર્થમાં જોઈએ તો? કેળાનો આકાર શિશ્નને મળતો આવે છે એટલે અશિષ્ટ ભાષામાં આપણે ‘કેળાં’ શબ્દને એ અર્થમાં અને ક્યારેક અપશબ્દ તરીકે પણ વાપરતા હોઈએ છીએ. ત્રીસીના દાયકામાં અંગ્રેજીમાં પણ ‘કેળાં’નો એક સંદર્ભ સેક્સ, યૌન વિકૃતિ સાથે સંકળાયેલો હતો. ‘કેળાંનો કવિ!’ એમ આપણે કહીએ એટલે આખી વાત એક સ્તરેથી ઊતરીને બીજા સ્તરે જઈ પહોંચે છે. Going Bananasનો સંદર્ભ પાગલપન, મૂર્ખતા સાથે જોડાયેલો પણ જોવા મળે છે. ૧૯૦૧માં ઓ હેનરીએ રાજકીય અને આર્થિક રીતે અસ્થાયી દેશ માટે ‘બનાના રિપબ્લિક’ શબ્દ ‘કોઇન’ કર્યો હતો. પી. જી. વૂડહાઉસ ૧૯૨૭માં ‘કેરી ઓન જિવ્સ’માં લખે છે: ‘This is pure banana oil.’ અહીં પણ કેળાંનો મતલબ મૂર્ખતા અને પાગલપન સાથે સંકળાયેલો જોઈ શકાય છે. જંગલીપન કે ગુસ્સા સાથે પણ ‘બનાના’ના અર્થના છેડા જઈ મળે છે. Going Apes પરથી આ શબ્દપ્રયોગ ઊતરી આવ્યો હોવાનું મનાય છે. ૧૯૮૭માં તો ‘ગોઇંગ બનાનાસ’ નામની અંગ્રેજી ફિલ્મ પણ બની હતી. એટલે કવિતાને હવે આ બધા અર્થોના પ્રકાશમાં જોઈએ તો ફરીથી આખી વાત જ બદલાઈ જાય છે. અને વેન્ડી, ચિત્રકાર, એના ચિત્ર અને એ બંને વસ્તુને ભૂલી જઈએ તો પણ કવિ ઉપર, કવિની અનિશ્ચિતતા ઉપર અને એથીય આગળ વધીને જીવન અને જીવનની અનિશ્ચિતતા, જીવનના પાગલપન ઉપર ગાળસરીખો વ્યંગ કરે છે.

શબ્દોની અદલાબદલી અને વાક્યોના અર્થફેરની આ રમત અંતે ‘હું એક કવિ છું’થી શરૂ થઈને ‘શું હું કવિ છું?’ના પ્રશ્નની અનિશ્ચિતતામાં પરિણમે છે ત્યારે આખી કવિતામાં શબ્દોની માયાજાળ જોઈને મલકાયા કરતો ભાવક ઘડીભર માટે સૂન્ન થઈ જાય છે. વેન્ડી પણ આ જ કહેવા માંગે છે કદાચ… મસ્તી મસ્તીમાં એ અસ્તિત્વના શાશ્વત પ્રાણપ્રશ્નને છેડી દે છે. આખી વાત અનિશ્ચિતતતાની છે પણ આખી ગતિ નિશ્ચિતતા તરફની છે એ હવે સમજી શકાય છે. એ પણ સમજી શકાય છે કે ચિત્રકારના ચિત્રમાંનો કવિ તરફનો વ્યંગ કદાચ કવયિત્રીને પસંદ આવ્યો નહીં હોય એ કદાચ કવિતા લખવા માટેનું નિમિત્ત બન્યો હોય પણ કવિતા કદી બદલાની ભાવનાથી લખાતી નથી હોતી. આક્રોશ એક ઉદ્દીપક બને એ ખરું પણ અંતિમ રાસાયણિક પ્રક્રિયા તો કવિના આત્મા સાથે જ થાય અને કવિનો આત્મા કદી હલકટ હોય નહીં જે તમાચાનો જવાબ તમાચાથી આપે.

હોળીનો રંગ

સ્વરાંકન: મહેશ દવે
સ્વર: મેહુલ અને વૃંદ

Audio Player

.

રંગ લ્યોને રંગ લ્યોને,
હોળીનો રંગ લ્યોને
જીવનને રંગે ભરી ધ્યોને,
શેરીમાં ફરતી’તી વાનરની ટોળી,
લઈને પિચકારી રંગ દે ઘોળી,
પેલા કાકા આવે છે, હોડીનું ઘેડિયું લાવે છે,
લાવો કાકા હોડીનું ઘેડિયું,
પીળોને, વાદળી, જાંબલી ને રાતો, રંગોનો મેળો એવો ભરાતો,
ભગાભાઈ આવે છે. હોડીનું ઘેડિયું લાવે છે,
લાવો ભાઈ હોડીનું ઘેડિયું,
રંગોની વસ્તીમાં રહેવું અમારે,આખો દિ’ મસ્તીમાં રહેવું અમારે,
મંજુમાસી આવે છે,
હોડીનું ઘેડિયું લાવે છે, લાવો માસી હોડીનું ઘેડિયું

ગ્લૉબલ કવિતા: ૬૮: એ દેશની દયા ખાજો – ખલિલ જિબ્રાન

Pity the nation

Pity the nation that is full of beliefs and empty of religion.

Pity the nation that wears a cloth it does not weave
and eats a bread it does not harvest
and drinks a wine that flows not from its own wine-press.

Pity the nation that acclaims the bully as hero,
and that deems the glittering conqueror bountiful.

Pity a nation that despises a passion in its dream,
yet submits in its awakening.

Pity the nation that raises not its voice
save when it walks in a funeral,
boasts not except among its ruins,
and will rebel not save when
its neck is laid between the sword and the block.

Pity the nation whose statesman is a fox,
whose philosopher is a juggler,
and whose art is the art of patching and mimicking

Pity the nation that welcomes its new ruler with trumpeting,
and farewells him with hooting,
only to welcome another with trumpeting again.

Pity the nation whose sages are dumb with years
and whose strongmen are yet in the cradle.

Pity the nation divided into fragments,
each fragment deeming itself a nation.

― Khalil Gibran

એ દેશની દયા ખાજો

એ દેશની દયા ખાજો જે માન્યતાઓથી ભરેલો અને ધર્મથી ખાલી છે.

એ દેશની દયા ખાજો જે પોતે નથી વણ્યું એ કાપડ પહેરે છે
અને એ રોટલી ખાય છે જે એણે નથી લણી
અને એ શરાબ પીએ છે જે એના શરાબખાનાંમાંથી નથી વહી.

એ દેશની દયા ખાજો જે લફંગાની નાયક તરીકે જયકાર કરે છે,
અને જે ઝાકમઝોળવાળા વિજેતાને ઉદાર સમજે છે.

એ દેશની દયા ખાજો જે પોતાના સ્વપ્નમાં આવેશને તિરસ્કારે છે,
અને જાગૃતિમાં તાબે થઈ જાય છે.

એ દેશની દયા ખાજો જે પોતાનો અવાજ ઊંચો નથી કરતો
સિવાય કે અંતિમયાત્રામાં હોય,
ઇતરાતો નથી સિવાય કે એના ખંડેરોમાં હોય,
અને બળવો નથી કરતો સિવાય કે
એની ગરદન પર તલવાર તોળાઈ હોય.

એ દેશની દયા ખાજો જેનો વેપારી લુચ્ચો હોય,
જેનો ફિલસૂફ કીમિયાગર હોય,
અને જેની કળા થીંગડિયાળ અને નકલચી હોય.

એ દેશની દયા ખાજો જે એના નવા શાસકને વાજતેગાજતે આવકારે,
અને હુરિયો કરીને વિદાય આપે,
ફક્ત બીજાનું ફરીથી વાજતેગાજતે સ્વાગત કરવા માટે.

એ દેશની દયા ખાજો જેના સાધુઓ વર્ષોથી ગૂંગા છે
અને જેના મહારથીઓ હજી પારણાંમાં છે.

એ દેશની દયા ખાજો જે ટુકડાઓમાં વહેંચાયેલો છે,
દરેક ટુકડો પોતાને એક દેશ ગણતો હોય.

– ખલિલ જિબ્રાન
(અનુ. વિવેક મનહર ટેલર)

એ દેશની દયા ખાજો…

રામરાજ્યની સ્પૃહા કોણે ન હોય? પણ રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એનેય કૈકયી-મંથરા, રાવણ ને અંતે ધોબી નડ્યા હતા. મનુષ્યજાતિને આદર્શ રાજ્યની ખેવના કાયમ રહી છે. ૧૫૧૬માં થોમસ મોરે ‘યુટોપિયા’ (આદર્શ કલ્પદ્વીપ) પુસ્તક લખીને આ શબ્દ લોકબોલીમાં રમતો કરી દીધો. સેમ્યુઅલ ટેઇલર કોલરિજે તો રીતસર બાર સદગૃહસ્થો અને બાર સદગૃહિણીઓની મદદથી ‘પાન્ટિસોક્રસી’ (Pantisocrasy) નામના સમાજની સ્થાપના કરી યુટોપિયા બનાવવાની કસરત કરી હતી. પણ યુટોપિયા શબ્દનો ખરો અર્થ જ ‘ક્યાંય નહીં’ (ou-ના, topos-સ્થળ) થાય છે. ખલિલ જિબ્રાન દેશને આદર્શ બનાવવો હોય, રામરાજ્ય સ્થાપવું હોય તો કઈ કઈ કમજોરીથી બચીને રહેવું જોઈએ એની વાત પ્રસ્તુત રચનામાં કરે છે.

જિબ્રાન ખલિલ જિબ્રાન. ૦૬-૦૧-૧૮૮૩ના રોજ લેબેનોન ખાતે ખલિલ અને કામિલાને ત્યાં ખ્રિસ્તી ગરીબ પરિવારમાં જન્મ. ગરીબીના કારણે બાળપણમાં માત્ર ઘરેલુ શિક્ષણ જ મળ્યું. ઉચાપતના ગુનાસર પિતાને જેલ થઈ અને સંપત્તિ જપ્ત થઈ ગઈ. આ કારણોસર નાનપણમાં જ માતાએ બાળકો સાથે બોસ્ટન, અમેરિકા ઉચાળા ભર્યા. શાળામાં એના નામની જોડણી Khalil ના સ્થાને ભૂલથી Kahlil લખાઈ ગઈ જેના કારણે આજે પણ એમના પુસ્તકોમાં બંને પ્રકારની જોડણી જોવા મળે છે. શાળેય શિક્ષણોપરાંત કળા પણ ભણ્યા. ૧૫ વર્ષની વયે ફરી બૈરુત ભણવા આવ્યા અને ‘કોલેજ પોએટ’ બન્યા. અમેરિકા પરત ફર્યા એ ગાળામાં એમના ભાઈ-બહેન ક્ષયરોગથી અને માતા કેન્સરથી નિધન પામ્યા. એકાધિક સ્ત્રીઓ સાથે સ્નેહસંબંધ. મેરી એલિઝાબેથ હસ્કેલ સાથે મૈત્રી થઈ જે આજીવન ટકી પણ લગ્નમાં ન પરિણમી. મેરીએ એમના ચિત્રો અને લખાણોમાં એટલા બધા સુધારા કર્યા કે સહલેખિકા જ કહી શકાય. પેરિસની આર્ટ સ્કૂલમાં પણ ભણ્યા. ૧૯૧૮ પછી મોટાભાગે અંગ્રેજીમાં જ લખ્યું પણ અમેરિકાનું નાગરિકત્વ કદી સ્વીકાર્યું નહીં. ૧૯૨૩માં ‘ધ પ્રોફેટ’ પ્રગટ થયું અને બે મહિનામાં તો પ્રથમ આવૃત્તિ ખપી પણ ગઈ. પચાસથી વધુ ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. એકલી અમેરિકન આવૃત્તિ જ નેવુ લાખથી વધુ વેચાઈ ચૂકી છે. ૨૦૧૨ સુધીમાં તો વિશ્વભરમાં એક કરોડથી વધુ પ્રત વેચાઈ ચૂકી હતી. કહેવાય છે કે દર બીજી-ત્રીજી મિનિટે હજી એક પ્રત વેચાઈ રહી છે. મરણ થયું ત્યારે જિબ્રાન પ્રોફેટના બીજા ભાગ ‘ધ ગાર્ડન ઑફ પ્રોફેટ’ લખી રહ્યા હતા. અને ત્રીજો ભાગ ‘ધ ડેથ ઓફ ધ પ્રોફેટ’નું તો એક વાક્ય જ લખી શક્યા હતા. ૧૦-૦૪-૧૯૩૧ના રોજ ન્યૂયૉર્ક ખાતે પારાવાર શરાબખોરીના કારણે યકૃત ખરાબ થવાથી અને ક્ષયરોગના બેવડા મારથી દેહાવસાન. એમની ઇચ્છા પ્રમાણે લેબેનોન ખાતે દફનાવાયા. કબર પર લખ્યું છે: ‘હું તમારી જેમ જીવંત છું, અને તમારી બાજુમાં જ ઊભો છું. આંખો બંધ કરો, અને આજુબાજુ જુઓ, તમે મને તમારી સામે જ ઊભેલો જોશો.’

ઉત્તમ ચિત્રકાર, કવિ અને લેખક. અંગ્રેજી અને અરબી એમ બંને ભાષામાં લખ્યું. ઓગણીસમી સદીમાં થઈ ગયેલા સિરિઅન લેખક ફ્રાન્સિસ મારાશની એમના લખાણમાં ઊંડી અસર જોવા મળે છે. એમના નિબંધ, કવિતાઓ, ગદ્યકાવ્યો અને કાવ્યાત્મક ગદ્ય વિશ્વસાહિત્યમાં અલગ તરી આવે છે. અરબી સાહિત્યની કાયાપલટ કરવામાં એમની બળવાખોરીનો પ્રમુખ ફાળો હતો. પારંપારિક ક્લિષ્ટ અરબી સાહિત્યને સરળ નિરાડંબરી ભાષા અને અંગ્રેજી રોમેન્ટિસિઝમની છાંટથી એમણે ચોંકાવી દીધું જેના પરિણામે અરબી સાહિત્યજગતમાં પુનર્જાગૃતિ (રેનેસન્સ)ના શ્રીગણેશ થયા. વિવેચકોએ એમની કળા અને સાહિત્ય બંનેની ખાસ્સી અવગણના કરી છે પણ હકીકત એ છે કે શેક્સપિઅર અને લાઓઝી પછી દુનિયામાં આજદિનપર્યંત સૌથી વધુ વેચાતા-વંચાતા કોઈ કવિ હોય તો તે જિબ્રાન છે. સમયની સાથે વધતી રહેલી એમની લોકપ્રિયતા કોઈ વિવેચનની મહોતાજ નથી.

પ્રસ્તુત ગદ્યકાવ્ય ‘પ્રોફેટ’ના બીજા ભાગ ‘ગાર્ડન ઑફ ધ પ્રોફેટ’નો એક અંશ છે. અલમુસ્તફા એના મા-બાપના બગીચામાં આવે છે અને દરવાજો બંધ કરી દે છે જેથી કોઈ આવી ન શકે. લોકો જાણે છે કે એ બાગમાં એકલો છે પણ કોઈ એને ખલેલ કરવા દરવાજાની નજીક પણ આવતું નથી. એક-બે નહીં, ચાળીસ દિવસો સુધી અલમુસ્તફા એ મકાન અને બગીચામાં એકલા રહ્યા પછી એ દરવાજો ખોલે છે અને નવ માણસો અંદર આવે છે. એક સવારે હાફીઝ એને પૂછે છે, ‘સ્વામી, એ ઓરફાલિઝ શહેર અને એ ભૂમિ વિશે અમને કહો જ્યાં તમે બાર વરસ વિતાવી દીધાં.’ જવાબમાં અલમુસ્તફા જે કહે છે તે આ કવિતા છે. જિબ્રાન એમની આગવી શૈલી મુજબ એકદમ સીધીસટીક ભાષામાં જ વાત કરે છે. ૧૯૩૩માં આ પુસ્તક પ્રગટ થયું પણ વાત આજે સાડા આઠ દાયકા પછી પણ આજના ભારત માટે જ ન લખાઈ હોય એવી તંતોતંત પ્રસંગોચિત છે!

અખા ભગતના છપ્પા અને ભોજા ભગતના ચાબખા જેવી તીવ્રતા જિબ્રાનની મસૃણવાણીમાંથી પડઘાતી સંભળાય છે. પહેલી પંક્તિથી આગળ જ ન વધીએ, એ એક પંક્તિ જેટલો જ સુધારો પણ દેશમાં કરી શકીએ તો પણ આખો જન્મારો સાર્થક ગણાય! જિબ્રાન એ દેશની દયા ખાવાનું કહે છે જે ખોખલી માન્યતાઓથી ભર્યોપડ્યો છે પણ સાચા ધર્મના નામે ખાલીખમ હોય. ભારતવર્ષના સમગ્ર ઇતિહાસ પર નજર કરતાં આપણને જણાશે કે ધર્મના નામે આપણે શૂન્યથી વિશેષ કંઈ જ નથી. અખો બહુ સરસ વાત કરી ગયો:

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

આપણો ધર્મ એ બાહ્ય પહેરવેશ માત્ર છે, ભીતરનું શરીર તો એનાથી સાવ અલગ ને અળગું જ છે. ધર્મસ્થાનોમાં જઈને ભક્તિ કરવી, ગાયને ચારો નીરવો, ગંગામાં નહાવું, દિવસમાં પાંચવાર નમાજ પઢવાથી કે દર રવિવારે ચર્ચમાં સર્મન્સ સાંભળવાની નિયમિતતા એ જ આપણી ધાર્મિકતા. હરિવંશરાય બચ્ચન ‘બુદ્ધં શરણં ગચ્છામિ’ કવિતામાં કહે છે: ‘જ્યાં છે તારી વસ્તીઓ, તારા બજાર, તારી લેવડ-દેવડ, કમાઈ-ખર્ચના સ્થાન, ત્યાં ક્યાં છે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહમ્મદ, ઈસુના કોઈ નિશાન? માનવતાનો થાત બુરો હાલ, જો ઈશ્વર હાજર રહત સર્વસ્થળ, સર્વકાળ. એણે બનાવડાવીને મંદિર, મસ્જિદ, ગિરજાઘર ખુદાને કરી દીધો છે બંધ; આ છે ખુદાની જેલ.’ ઓશોએ એના એક પ્રવચનમાં કહ્યું હતું, ‘દુનિયાને બચાવવી હોય તો ધર્મને મારી નાંખો.’ સાચી વાત છે. મનુષ્ય ઈશ્વરનું નહીં, ઈશ્વર મનુષ્યનું સર્જન છે. કોઈકે કહ્યું છે: ‘ઈશ્વરનો આવિષ્કાર કરતી વખતે, સૌથી અગત્યની બાબત એ દાવો કરવાની છે કે એ દરેક પ્રકારે અદૃશ્ય, અશ્રાવ્ય અને અતીન્દ્રિય છે’ ઈશ્વર એ સદીઓથી થતું આવેલું માનવજાતનું સામૂહિક બ્રેઇનવૉશિંગ છે. સાચું કહીએ તો ધર્મથી મોટો કોઈ અધર્મ જ નથી અને ઈશ્વરથી મોટું કોઈ અસત્ય નથી. ભગવાનના નામે જેટલા ખૂનખરાબા થયા છે એટલા તો કોઈ શેતાનના નામે પણ થયા નથી. ધર્મના નામે જેટલો અધર્મ થયો છે એની સામે રોજિંદા વ્યવહારનો અધર્મ તો રતીભાર પણ નથી. આજે પણ વાતવાતમાં ધર્મના નામે લોકો રસ્તા ઉપર આવી જાય છે. હકીકત એ છે કે સાચો ધર્મ કદી કોઈને કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચાડી શકે જ નહીં. સાચો ધર્મ એટલે સમગ્ર સૃષ્ટિ પરત્વે કરુણા, સમદૃષ્ટિ. ધર્મ એટલે વયષ્ટિથી સમષ્ટિ સુધીનો સદભાવ. એટલે જ જિબ્રાન ધર્મથી ખાલી દેશની દયા ખાવા કહે છે.

પછીની વાતમાં ગાંધીજીના સ્વદેશી અને વિનોભા ભાવેના સર્વોદયની વાત નજરે ચડે છે. જે દેશ પોતાની મૂળભૂત જરૂરિયાત જાતે પૂરી ન કરી શકતાં બીજા દેશ પર અવલંબિત હોય એનાથી વધુ દયનીય દેશ બીજો કયો હોઈ શકે? સિંગાપોર અને મલેશિયા વચ્ચેની પાણીની તકરાર જાણીતી છે. બંને દેશો વચ્ચે અવારનવાર કરાર કરવામાં આવ્યા છે. એક જમાનો હતો જ્યારે સિંગાપોર એની પાણીની જરૂરિયાત માટે મલેશિયા પર પૂર્ણપણે આલંબિત હતો પણ ધીમે ધીમે સિંગાપોર પાણીની બાબતમાં સંપૂર્ણ સ્વાવલંબી થવા જઈ રહ્યું છે. જે કામ ૨૦૬૧ સુધીમાં કરવાનું હતું એ ૨૦૧૮ સુધીમાં લગભગ કરી દઈને સિંગાપોરે સ્વાવલંબનનું મસમોટું ઉદાહરણ બેસાડ્યું છે. અને કદની દૃષ્ટિએ સાવ ટચુકડું સિંગાપોર સ્વમાનની દૃષ્ટિએ આપણા કરતાં ચાર ચાસણી ચડે એમ છે.

જિબ્રાન કહે છે કે ગુંડાઓને નાયક સમજે અને સમૃદ્ધિની ઝાકમઝોળ કરનારને ઉદાર સમજે એ દેશનું ભલું થઈ રહ્યું. ભારતમાં પહેલાં ડાકુઓ ચંબલની કોતરોમાં ને જંગલોમાં વસતા હતા, હવે સંસદભવનમાં આવી ગયા છે. મોટાભાગના સાંસદો કે ધારાસભ્યો પર કોઈને કોઈ કેસ ચાલી રહ્યા છે, મોટા મોટા માથાંઓ કોઈને કોઈ કૌભાંડમાં સલવાયેલા છે. લોકશાહીના સ્થાને આપણે ત્યાં આજે ગુંડાઓની બેરોકટોકશાહી ચાલે છે.

જે દેશના સ્વપ્ન અને જાગૃતિના કાંટલા અલગ છે એ દેશની દયા ન ખાવ તો બીજું શું કરી શકો? આવેશ એ બેકાબૂ દોડતો અશ્વ છે, એની લગામ ખેંચીને ન રખાય તો એ ક્યારે જમીનદોસ્ત કરી દે એ કહેવાય નહીં. મરણાસન્ન થયા સિવાય અવાજ ઊંચો ન કરી શકે એ દેશનું વળી ભવિષ્ય શું? નાક દબાય ત્યારે જ મોઢું ખોલે એની પાસે શી આશા રખી શકાય? પ્રગતિ તો એ દેશ જ કરી શકે જેની વૃત્તિ આગ લાગતા પહેલાં કૂવો ખોદવાની ને પાણી પહેલાં પાળ બાંધવાની હોય. પોતાના ભવ્ય ભૂતકાળની ગાથામાં રાચતા રહીને કંગાળ વર્તમાન અને ચીંથરેહાલ ભવિષ્યને જોઈ શકવાની સહદેવદૃષ્ટિ ન હોય એ દેશની હથેળીમાં માત્ર વિનાશની રેખા જ અંકાયેલી છે. ‘સોનેકી ચિડિયા’ અને ‘સતયુગ’ના તૂટી ગયેલાં તણખલાં લઈને આપણે વર્તમાનના સાગરમાં હવાતિયાં મારવાથી વિશેષ શું કરી રહ્યાં છીએ આજે? જે દેશમાં માણસો ઈમાનદાર ન હોય, વિચારકો પ્રપંચમુક્ત ન હોય અને જેની પાસે પોતાની મૌલિક કળા પણ ન હોય એ દેશને તો ઈશ્વર જ બચાવે. (જો હોય તો!) એલેક્ઝાંડરે થિબ્સ જીત્યું હતું ત્યારે સૈનિકોને આખા થિબ્સને ધૂળમાં મેળવી દેવાની, મન ફાવે એમ લૂંટ મચાવવાની છૂટ આપતી વખતે કવિ પિન્ડારના ઘરને નુકશાન ન પહોંચે એ માટેની ચીમકી પણ આપી હતી કેમકે એ જાણતો હતો કે કળા શું છે અને કળાનું મહત્ત્વ શું છે.

ચડતા સૂરજને પૂજે અને આથમતાને ઠોકરે ચડાવે એવા દેશનું પણ કોઈ ભલુ કરી ન શકે. જિબ્રાને આ વાત આપણી આરંભથી જ ખોરંભે ચડેલી રેઢિયાળ લોકશાહી માટે જ લખી હોય એવું નથી લાગતું? આપણને શરૂથી જ ‘સાહેબ-કલ્ચર’ કોઠે પડી ગયું છે. ટોળાંની ગુલામ માનસિકતા જ એ છે કે સત્તા પર હોય એને માથે બેસાડવા ને સત્તા ગુમાવે એના પર ખિખિયાટા બોલાવવા ને ચક્ર આમ જ ચાલુ રાખવું. સાધુપુરુષો (સાચા!) દેશનો આત્મા છે કેમકે તેઓ દિશા બતાવે છે અને મહારથીઓ દેશની કાયા છે કેમકે તેઓ સુકાન સાચવે છે. સજ્જનો મૂંગા રહે ત્યારે જ દુર્જનો માથે ચડે છે. પ્લેટૉ ‘રિપબ્લિક’માં કહે છે: ‘(શાણા માણસો માટે શાસનના) અસ્વીકારની સૌથી ખરાબ સજા તેમના કરતાં વધુ ખરાબ માણસના હાથે શાસિત થવું એ છે.’

સરદાર પટેલ અંગ્રેજોના સમય પહેલાં થઈ ગયા હોત અને એમણે ગુલામી પૂર્વે અખંડ ભારતનું સર્જન કર્યું હોત તો અંગ્રેજો કદી ફાવી શક્યા ન હોત. કમનસીબે ભારત દેશ શરૂથી જ નાનાં-મોટાં પરગણાંઓમાં વહેંચાયેલો હતો ને શરૂથી જ એકત્વના અભાવે વિદેશી શાસકો આપણા પર અવારનવાર રાજ કરતા આવ્યા છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ દર થોડા વરસે કોઈ એક નવા રાજ્યની રચના કરવાની ફરજ પડે છે ને નવા સ્વતંત્ર દેશોની માંગણીને દબાવતા રહેવું પડે છે કેમકે ટુકડા બનીને જીવવાની મથરાવટી હજી બદલાઈ નથી.

આઠ-નવ દાયકા પહેલાં ખલિલ જિબ્રાને ઊંધા હાથે કાન પકડીને રામરાજ્ય-યુટોપિયા કેવું હોવું જોઈએ એનો ચિતાર આપણને આપ્યો હતો જે સમયની સાથે વધુને વધુ પ્રસ્તુત બનતો જાય છે. રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિનું ૩૫મું પુષ્પ યાદ આવ્યા વિના નહીં રહે:

જ્યાં મન નિર્ભય છે ને મસ્તક ઉન્નત છે;
જ્યાં જ્ઞાન મુક્ત છે;
જ્યાં વિશ્વ સાંકડી સ્થાનિક દીવાલોથી છિન્નભિન્ન થઈ વિખરાયેલ નથી;
જ્યાં શબ્દો સત્યના ગર્ભમાંથી પ્રગટે છે;
જ્યાં અથાક પ્રયત્નો એમની બાંહો ફેલાવે છે સંપૂર્ણતા તરફ;
જ્યાં વિવેકનું નિર્મળ ઝરણ ભૂલું નથી પડ્યું મૃત આદતોના ઉજ્જડ રણની રેતીમાં;
જ્યાં મન તારા વડે નિત-વિકસિત વિચાર અને કાર્યમાં આગળ દોરવાય છે-
એ સ્વતંત્રતાના સ્વર્ગમાં, હે મારા પિતા, મારા દેશને જગાડ.