હું શું કરું ? – રઈશ મનીઆર

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ?

જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?

મારું શ્રેય શું, મારું ધ્યેય શું ? છું હું બેખબર છે તને ખબર
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું ?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે
કે સમાનતાનો જ્યાં ભંગ હો , એ ઉદારતાનું હું શું કરું ?

-રઈશ મનીઆર

તો હું શું કરું? – આદિલ મન્સૂરી

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

-આદિલ મન્સૂરી

(આભાર – લયસ્તરો)

ગ્લૉબલ કવિતા : ૧૧૫ : જેનીએ મને ચૂમી લીધો – જેમ્સ હેન્રી લે હન્ટ

Jenny kiss’d me

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry Leigh Hunt

જેનીએ મને ચૂમી લીધો

જેનીએ મને ચૂમી લીધો જ્યારે અમે મળ્યાં,

જે ખુરશીમાં બેઠી હતી એમાંથી ઊછળીને;

કાળ! ચોર! પસંદ તને છે તારી યાદીમાં

મીઠું બધું સમાવવાનું, આય નોંધી લે!

કહેજે કે હું થાક્યો છું, કહેજે કે છું ઉદાસ,

કહેજે કે સ્વાસ્થ્ય સંપત્તિ મને બેઉએ લખી વાળ્યો,

કહેજે કે હું વૃદ્ધ છું પણ ઉમેરજે આ ખાસ,

જેનીએ મને ચૂમી લીધો.

– જેમ્સ હેન્રી લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્મરણનું મરણ કદી થતું નથી…

          સમયથી મોટો બાજીગર બીજો કોણ હોઈ શકે? સમય દરેક ‘છે’ને ‘હતું’માં ફેરવી દે છે. સમય ઉસ્તાદોનો ઉસ્તાદ છે. એ પળેપળ આપણને હમણાં જ જીવી લેવાયેલી પળથી દૂર કરતો રહે છે. યમનું રેઝર તો એક જ વાર ચાલે છે પણ સમયનું ઇરેઝર તો એકધારું ચાલતું રહે છે. જે ક્ષણમાં આપણે હાલ શ્વસી રહ્યાં છીએ એ ક્ષણ આપણને ગમે એટલી પ્રિય કે અપ્રિય કેમ ન હોય, સમય એને બીજી જ ક્ષણે વીતી ગયેલી ક્ષણમાં પલટી નાંખે છે. સમય એટલે જીવનના પ્રસંગો અને આપણી વચ્ચે સતત વધતું જતું અંતર. વહેતા પાણીને કે વહેતી હવાને પણ આપણે કદાચ અટકાવી શકીએ પણ વહેતા સમયને નાથવો શક્ય નથી. સમય ન માત્ર જિંદગીની ઘટનાઓ અને આપણી વચ્ચે અંતર વધારતો જાય છે, એ આપણને સતત એ વાતનું પણ સ્મરણ કરાવે છે કે આપણે જીવનમાં ગમે એટલા ઊંચા શિખરે કેમ ન આરુઢ થયા હોઈએ, આપણી સિદ્ધિ, આપણી તાકાત, આપણી ક્ષમતા એટલી છે જ નહીં, જેટલી આપણે ધારી બેઠાં છીએ. સમયની આવી જ સર્વોપરિતા અને એની સામે નમતું નહીં મૂકવાની ક્ષમતાની વાત પ્રસ્તુત રચનામાં લે હન્ટ લઈ આવ્યા છે.       

          આખું નામ જેમ્સ હેન્રી લે હન્ટ. પણ સાહિત્યજગતમાં લે હન્ટ તરીકે જ વધુ પ્રખ્યાત. વિવેચક. પત્રકાર. નિબંધકાર. કવિ. જન્મ ૧૯-૧૦-૧૭૮૪ના રોજ સાઉથગેટ, લંડન ખાતે. અમેરિકાની આઝાદીની લડાઈ વખતે એના મા-બાપને અમેરિકા છોડીને ઇંગ્લેન્ડ આવવાની ફરજ પડી હતી. આઠ સંતાનોમા તેઓ સાતમા પણ ઇંગ્લેન્ડમાં જન્મેલ પ્રથમ. પિતા અમેરિકામાં વકીલ હતા પણ ઇંગ્લેન્ડ આવીને પ્રખ્યાત ધર્મોપદેશક બન્યા. લક્ષ્મીકૃપાથી કાયમ વંચિત જ રહ્યા. પિતા ચાન્ડોસના ડ્યુકના ભત્રીજાને ભણાવતા, જેના નામ પરથી જ એમણે પુત્રનું નામ જેમ્સ હેન્રી લે પાડ્યું. બાળપણમાં એમને બોલવામાં તકલીફ હતી -જે આગળ જતાં સારી થઈ ગઈ હતી- એના કારણે અભ્યાસ માટે યુનિવર્સિટી ન જઈ શક્યા. ૧૭ વર્ષની વયે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. પાછળ જતાં આ કવિતાઓ હન્ટને બાલિશ લાગી પણ માત્ર ત્રણ જ વર્ષમાં સંગ્રહની ચાર આવૃત્તિ બહાર પાડવી પડી એ હદે એ લોકપ્રિય થયો હતો. અખબારોમાં વિવિધ વિષયો પર લખવાનું આરંભ્યું. કવિ બાળપણમાં થોમસ ગ્રે અને વિલિયમ કોલિન્સના પ્રભાવ હેઠળ કવિતા કરતા. ઇટાલિઅન સાહિત્યની એમના પર ઊંડી અસર હતી. ૧૮૦૮માં ક્લર્કગીરી છોડીને ‘એક્ઝામિનર’ નામનું અખબાર બે હન્ટ ભાઈઓએ મળીને સ્થાપ્યું, તંત્રી બન્યા અને ખૂબ લોકપ્રિય થયા. એ જમાનામાં અખબારોની તાકાત ચરમસીમાએ હતી. પણ તત્કાલિન રાજકુમાર વિશેના એમના લેખે એમને તથા એમના ભાઈ-બંનેને ૧૮૧૩માં બે વર્ષનો જેલવાસ અપાવ્યો. જેલમાંથી પણ અખબાર માટે લખવાનું ચલુ રાખનાર હન્ટ આઝાદી માટેના શહીદ તરીકે ઓળખાયા. વચ્ચે ઘણા વર્ષ પારાવાર ગરીબીનો પણ શિકાર થયા હતા. ૧૮૦૯માં મરિઆન કેન્ટ સાથે લગ્ન અને વીસ વર્ષમાં દસ સંતાનોના પિતા બન્યા. ૧૮૫૭માં પત્નીનું અવસાન થયું એ પછી એમની સાળી એલિઝાબેથ, જે એમના પ્રેમમાં હતી, એમની શ્રુતલેખિકા બની. કવિતા ઉપરાંત, તેઓ સંગીત અને ચિત્રકળાના માણસ હતા. ૨૮-૦૮-૧૮૫૯ના રોજ ૭૪ વર્ષની વયે લંડન ખાતે જ નિધન.  

          માણસ તરીકે હન્ટ અજાતશત્રુ હતા અને એમના પ્રેમાળ સ્વભાવના કારણે સૌના ચહીતા પણ હતા. જો કે ચાર્લ્સ ડિકન્સે એમની સુપ્રસિદ્ધ ‘બ્લિક હાઉસ’માં હેરોલ્ડ સ્કિમ્પોલેનું જે પાત્ર રચ્યું હતું એ હકીકતમાં બીજું કોઈ નહીં પણ હન્ટ જ હતા. આ વાતથી હન્ટને મોટો આઘાત પણ પહોંચ્યો હતો. કવિનું ‘હન્ટ સર્કલ’ ખૂબ લોકપ્રિય હતું, જેમાં હેઝ્લિટ અને લેમ્બ જેવા દિગ્ગજોનો સમાવેશ થતો હતો. કિટ્સ, શેલી, બ્રાઉનિંગ અને ટેનિસન જેવા મહારથીઓને જનતા સમક્ષ લઈ આવવાનું સૌભાગ્ય પણ એમને પ્રાપ્ત થયું હતું. ‘રૉમેન્ટિસિઝમ’નો જે જુવાળ તત્કાલિન ઇંગ્લેન્ડમાં ફાટી નીકળ્યો હતો, એના કેન્દ્રસ્થ વ્યક્તિઓમાંના તેઓ એક હતા. વિપુલ માત્રામાં કવિતાઓ લખી. ગ્રીક, રોમન, ઇટાલિઅન અને ફ્રેન્ચ કવિતાઓના તરજૂમા પણ ઘણા કર્યા. જીવંત વર્ણન, અદભુત લયાન્વિતતતા, પ્રકૃતિ અને માનવમનની નાનાવિધ અવસ્થાઓનું તાદૃશ ચિત્રણ એમની કવિતાઓનાં મુખ્ય જમાપાસાં હતાં. અંગ્રેજી કપલેટ (યુગ્મક)ને નવશાસ્ત્રીય જડતામાંથી આઝાદ કરાવવામાં એમનો નોંધપાત્ર ફાળો હતો. ઊંડે ઊતરવું પડે એવી કવિતાઓ લખવાના બદલે એમણે મજા પડે એવી કવિતાઓ લખવી વધુ પસંદ કરી. કદાચ બહોળા પરિવાર તરફની જવાબદારી, શરાબી અને ઉધારખોર પત્નીના ઉધારને પહોંચી વળવા માટે હન્ટે મોટાભાગની જિંદગી આખા-આખા દિવસ અને અડધી રાત સુધી લખતા રહેવાની ફરજ પડી હતી જેની અસર ગુણવત્તા પર પડ્યા વિના રહી નહીં.  

          ૧૮૩૮માં પ્રગટ થયેલ માત્ર આઠ પંક્તિની આ નાનકડી કવિતાએ વિશ્વકવિતામાં ખાસ્સા વમળ સર્જ્યાં છે. સ્વરૂપની દૃષ્ટિએ આ કવિતા ફ્રેન્ચ કાવ્યપ્રકાર રૉન્ડુ (Rondeau-round)ની નજીકની છે. રચનાનું મૂળ શીર્ષક પણ રૉન્ડુ જ આપવામાં આવ્યું હતું પણ પછીથી એ ‘જેની કિસ્ડ મી’થી વધુ જાણીતી થઈ. રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં ઓછું વપરાતા અને પ્રમાણમાં કઠીન ગણાતા ટ્રોકેઇક મીટરનો અહીં અદભુત અને લગભગ પ્રવાહી કહી શકાય એ રીતે પ્રયોગ થયો છે, જેમાં એક હરોળમાં ત્રણ સ્વરભારવાળા શબ્દાંશ (સ્ટ્રેસ્ડ સિલેબલ), દરેકની પાછળ એક સ્વરભારહીન શબ્દાંશ (અનસ્ટ્રેસ્ડ સિલેબલ) હોય છે અને અંતે ચોથો સ્વરભારવાળો શબ્દાંશ વપરાય છે. સમજવા માટે આપણે ગુજરાતીમાં આ છંદને ‘ગુરુ-લઘુ ગુરુ-લઘુ ગુરુ-લઘુ ગુરુ’ (ગાલ ગાલ ગાલ ગા) ગણી શકીએ. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં આયમ્બિક પેન્ટામીટરનો પ્રયોગ વધુ થાય છે જેમાં લઘુ-ગુરુ એમ સ્વરભારની યોજના જોવા મળે છે પણ અહીં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટો –ગુરુ-લઘુ- છે, જેના કારણે કાવ્યપઠનની પદ્ધતિ પણ બદલાય છે જે અલગ પ્રકારની ફ્લેવર સર્જે છે. આ પ્રકારનો ‘સિંગસોંગ’ લય અંગ્રેજીમાં નર્સરીની કવિતાઓ જેમ કે, ‘ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર’ વગેરેમાં સવિશેષ જોવા મળે છે પણ નર્સરીની કવિતાઓમાં પ્રાસરચના અઅબબ પ્રકારની હોય છે, જ્યારે હન્ટે અબઅબ પ્રકારની પ્રાસવ્યવસ્થા કરીને પોતાની કવિતાને સાયાસ બાળકાવ્યોથી અલગ તારવી છે. બીજું, ભલે ને છંદના જૂતાં પહેરીને ચાલતી હોય પણ નાના-મોટા કૂદકા મારવાનું ચૂકી જાય તો તો એ કવિતા શાની? બધી જ પંક્તિમાં સાત શબ્દાંશ પ્રયોજવાને બદલે હન્ટ બીજી અને છઠ્ઠી પંક્તિમાં આઠ અને છેલ્લી પંક્તિમાં ચાર જ શબ્દાંશ પ્રયોજીને સાવ ટચૂકડી હોવા છતાંય કવિતાને જોડકણું બનતું અટકાવે છે.       

          આ કવિતા પાછળની વાયકા પણ રસપ્રદ છે. કિટ્સ અને શેલી તો એમના ખાસ મિત્રો હતા. પણ સ્વભાવે વિચિત્ર થોમસ કાર્લાઇલ સાથે એમની મૈત્રી થોડી અજુગતી હતી. લાંબા સમય સુધી ફ્લૂની બિમારીમાં સપડાઈ રહ્યા બાદ જ્યારે હન્ટ સાજા થયા ત્યારે કાર્લાઇલને મળવા એના ઘરે ગયા. એ વખતે કાર્લાઇલની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ઉર્ફે જેની એમને મળ્યાં. લાંબા સમય સુધી ન દેખાયેલ હન્ટને જોતાંવેંત જેને એમને ચુંબન આપ્યું અને બે દિવસ પછી હન્ટનો નોકર જેનને એક કાગળ આપી ગયો, જેમાં આ કવિતા લખેલી હતી. એક બીજી વાર્તા એવી પણ છે કે, હન્ટે પોતે થોમસની કવિતાઓ પ્રગટ કરનાર હોવાના સમાચાર જેનને આપ્યા હતા અને ખુશીની મારી જેને ઊછળી પડીને હન્ટને ચુંબન આપ્યું હતું. એવી માહિતી પણ છે કે કવિતાના મૂળ ફરમામાં જેનીના સ્થાને ‘નેલી’ નામ હતું અને weary (થાક્યો)ના સ્થાને jaundiced (કમળાગ્રસ્ત) લખ્યું હતું.       

          કવિતા જે વાક્યથી શરૂ થાય છે એ જ વાક્ય પર એક સંપૂર્ણ વર્તુળની જેમ પૂર્ણ પણ થાય છે. આ પુનરોક્તિ કવિતામાં પ્રાણ પૂરે છે. કાવ્યાંતે ત્રણ જ પંક્તિઓમાં ચાર વાર ‘કહેજે કે’ આવે છે, જે પણ આ જ રીતિનું દ્યોતક છે. લાંબા અંતરાલ પછી કાવ્યનાયક નાયિકા સાથે મુખામુખ થયો છે. આનંદના ઉમળકામાં નાયિકા ઊછળીને એને એક ચુંબન ચોડે છે. ઘટના બસ આટલી જ છે. આ ચુંબન, આ સ્નેહાવિર્ભાવ આલિંગન કે શય્યાશયન સુધી પણ લંબાતા નથી. પણ ચુંબન પાછળનો જે ઉમળકો છે, જે આવેગ છે, જે આવેશ છે એ તરત જ આપણને સ્પર્શી જાય છે. એક રીતે આ કવિતા માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ છે! એક ચુંબન. સાવ સામાન્ય ઘટના. વિદેશમાં તો બિલકુલ સાહજિક બાબત. પણ ચુંબન કરવાની સામાન્ય પ્રણાલિથી વિપરીત ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવ્યું છે એમાં જે ‘ઉછળવા’ની ક્રિયા કવિ ઉમેરે છે એ આખી વાતને અસામાન્ય બનાવી દે છે.

          નાયક સમય સાથે ગુફ્તેગૂ માંડે છે. આખી રચનામાં કવિએ જે રીતે શબ્દોની કરકસર કરી છે એ પણ નોંધવા જેવું છે. આડીઅવળી વાત કરવાના બદલે એ સીધું જ સમયને ગળચીમાંથી પકડતા હોય એમ વાત આદરે છે- ટાઇમ, યુ થીફ! કોઈ પણ ઔપચારિકતા કરવાના બદલે એ સમયને સીધું જ સંબોધે છે અને તરત જ ચોરકરાર પણ આપી દે છે. સમય પર સીધો જ આરોપ મૂકતા નાયક કહે છે કે સમય બધી જ મીઠી વાતોને પોતાની યાદીમાં સમાવી લેતો હોય છે. સમયને અપાતો આ ઉપાલંભ કાવ્યનો પ્રાણ છે. સમય એકતરફ ભલભલા ઘાનું સિદ્ધ ઔષધ છે તો બીજીતરફ ભલભલી મીઠી વાતો, સિદ્ધિઓ, પ્રસંગોનું કબ્રસ્તાન પણ સારું-નરસું બધું જ સમય પોતાના પાલવમાં ભેદભાવ વિના સમાવી લે છે. બીજા શબ્દોમાં, એ આપણી પાસેથી આપણો વર્તમાન સતત છીનવતો રહે છે. અને એ અર્થમાં એ હરહંમેશ પોતાની સર્વોપરિતા અને આપણા અસ્તિત્વની ક્ષુલ્લકતાનો જયઘોષ કરતો રહે છે.

          ખરી મજા તો નાયક કાળને જે ચીમકી આપે છે એની છે. એ કહે છે, ભલે તું તારી ટેવ મુજબ તારી ડાયરીમાં બધું જ નોંધી લે, પણ હું કહું છું એ નોંધવાનું ભૂલીશ નહીં. કાવ્યનાયક ઊંમરના છેલ્લા પડાવ પર આવી ઊભો છે. સ્વાભાવિક છે કે કાવ્યનાયિકા પણ જરાવસ્થામાં જ હશે. સમયની આગળ નાયક સ્વીકારે છે કે એ થાકી ગયો છે, હારી ગયો છે, ઉદાસ પણ ઘણો છે. તન-મન-ધનના ત્રિવિધ તાપ -આધિ, વ્યાધિ, ઉપાધિ- સામે નાયક નિષ્ફળ ગયો છે. આરોગ્ય કથળ્યું છે. ખિસ્સામાં નિર્ધનતા ભરેલી છે, ને મનમાં હતાશા. એક અવસ્થા સુધી માણસ પોતાની સ્થિતિ સામે સતત લડતો રહે છે પણ પછી એક સમયે એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની સમ્યક્ અવસ્થા પર આવી ઊભે છે. ગાલિબ યાદ આવી જાય: ‘रंज़ से खूंगर हुआ इंसान तो मिट जाता है रंज़, मुश्किलें मुझ पर पडी इतनी कि आसान हो गई । (માણસ જ્યારે દુખનો આદિ થઈ જાય છે, ત્યારે દુઃખ મટી ગયેલું અનુભવાય છે. મુસીબતોનો બોજ જ્યારે સહનશક્તિની તમામ હદો પાર કરી જાય છે ત્યારે એ મુસીબતો પછી મુસીબત જણાતી નથી.) પોતાના હારેલ-થાકેલ ઘડપણને સ્વીકારીને સમ્યકાવસ્થામાં નાયક નાયિકાની સન્મુખ આવી ઊભે છે કેમકે બધું જ હારી ગયા પછી પણ સ્નેહ પરની શ્રદ્ધા હજી ગત થઈ નથી. જીવન હારી ગયું છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને. ‘જગતની સર્વ કડીમાં સ્નેહની સર્વથી વડી.’ (સુન્દરમ્) નાયિકાનું ચુંબન સ્નેહની આ સર્વથી વડી કડીની પ્રતીતિ કરાવે છે.

          નાયક સમયને કહે છે કે ભલે મારી બરબાદી, મારો વિનાશ, મારી રોગિષ્ઠાવસ્થા, મારું ઘડપણ – બધું જ તું તારી યાદીમાં સમાવી લે પણ હું જ્યારે જેનીને મળ્યો ત્યારે જેનીએ આ ઉંમરે પણ ખુરશીમાંથી ઊછળીને મને જે ચુંબન કર્યું એ નોંધવાનું ભૂલીશ નહીં કેમકે આ ચુંબન, આ સ્નેહ, નાયકની તમામ મોરચે થયેલી હાર પછી પણ નાયકનો સ્નેહપૂર્વક કરાયેલો સ્વીકાર એ નાયકની જિંદગીની સાચી ઉપલબ્ધિ છે. આ જીત, આ પ્રાપ્તિ, આ દોલત સંસારની સમસ્ત સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે. સ્નેહ જ જીવનનો સાચો અર્થ છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય ઊછળીને કરવામાં આવેલા ચુંબનની આ અનૂઠી ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે. વાતચીતના શબ્દો કઈ રીતે કાવ્યનું સ્તર આંબી શકે છે એ સમજવા માટે આ કવિતાના શબ્દો અને એની રચના –બંને મદદરૂપ થઈ શકે છે.

          સંગીત હોય, કે ગીત, ચિત્ર હોય કે શિલ્પ, નૃત્ય હોય કે કવિતા- ઘણીવાર એને આપણી સામાન્ય સમજની બહારના કોઈક તત્ત્વને સ્પર્શી જતાં આપણે સહુએ અનુભવ્યું જ હશે. કળા કોઈપણ હોય, ક્યારેક એ આપણી બુદ્ધિમત્તાને અતિક્રમી જઈ ઠે…ઠ ભીતરના કોઈક અગોચર રહસ્યમયી ઊંડાણને ઝંકૃત કરી બેસે છે. પરિણામે આપણને એ પસંદ આવી જાય છે. અને આવી ક્ષણે આપણને આમાં શું ગમી ગયું એ કહેવુંય કદાચ અઘરું થઈ પડતું હોય છે. ખેર, કળાની આ I-know-not-what, યાને કે સમજ અને શબ્દ બહારની દિવ્ય અલૌકિક ક્ષમતાના કારણે જ એ સદાકાળથી મનુષ્યજાતને આકર્ષતી આવી છે. બાઇબલમાં આવી જ વાત કરવામાં આવી છે: ‘કેમ કે અત્યારે આપણે અરીસા, અંધારિયામાં, જોઈ રહ્યાં છીએ, પણ પછી રૂબરૂ થઈશું: અત્યારે હું થોડું જ જાણું છું, પણ પછી હું પૂરું જાણી લઈશ.’ (રાજા જેમ્સનું સંસ્કરણ: ૧ કોરિન્થિઆન્સ ૧૩:૧૨) કળાના અર્થમાં વિચારીએ તો ઘણીવાર આપણે શરૂમાં એને માત્ર અનુભવીએ છીએ અને આનંદ લઈએ છીએ, અને પાછળથી આપણે એનું સમગ્રતયા મૂલ્યાંકન કરી શકીએ છીએ. ઇલિયટે કહ્યું હતું કે સાચી કવિતા સમજાય એ પહેલાં જ સંવાદ સાધી લે છે. હન્ટની આ કવિતા કાવ્યત્ત્વની દૃષ્ટિએ એવી મહાન કળાકૃતિ ન હોવા છતાંય દાયકાઓથી લોકોએ એને સિરઆંખો પર બેસાડીને અફાટ પ્રેમ આપ્યો છે. અમર કવિતાઓના સંપાદનોથી લઈને સામયિકો, અંગત ડાયરીઓ, જાહેર પ્રસંગો; પ્રેમની દરખાસ્ત મૂકવાના સમયથી માંડીને સુહાગરાત સુધી પેઢીઓની પેઢીઓએ આ કવિતાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. કવિતા સારી અને સાચી હશે તો એ ટકશે જ એના જીવંત દાખલા સમી આ કવિતા નવલોહિયા સર્જકો માટે પ્રેરણાનું પીયૂષ છે. થોમસ એલને ‘(સે આઇ એમ ગ્રોઇંગ ઓલ્ડ બટ એડ) જેની કિસ્ડ મી!’ નામની નવલકથા પણ લખી છે. ૧૯૮૬ની સાલમાં ‘જેની કિસ્ડ મી’ નામની એક ફિલ્મ પણ બની હતી. બ્રોડવે પર આ નામનું નાટક પણ ભજવાઈ ચૂક્યું છે. ‘એજ ઓફ એડેલાઇન’ ફિલ્મમાં પણ નાયક નાયિકા સાથે લિફ્ટમાં પ્રથમ મુલાકાત વખતે આ કવિતાની પંક્તિઓ બોલે છે, જે આ કવિતાની લોકપ્રિયતાના માપદંડ ગણી શકાય. આ કવિતા વિશ્વ સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ થઈ છે કે ઢગલાબંધ લોકોએ આની પ્રતિ-કવિતાઓ પણ રચી છે.

          સમય તો વૃકોદર છે. એના પેટમાં જેટલું નાંખો, પેટ ખાલીને ખાલી જ રહે છે. બ્રહ્માંડના બ્લેકહૉલમાં પ્રવેશેલી કોઈપણ વસ્તુ કરીય પરત આવી શકતી નથી એ જ રીતે સમયના બ્લેકહૉલમાં આપણી એક-એક ક્ષણ, એક-એક અનુભૂતિ પળેપળ હોમાયે જ રાખે છે પણ સમય કદી સંતોષનો ઓડકાર ખાવાનું નામ લેતો નથી. સમયે નાયકની જિંદગીની તમામ નબળી પળો, મીઠી પળો પોતાની યાદીમાં સમાવી લીધી છે. ‘કહેજે કે’થી શરૂ થતી બધી જ વાત જીવનની કાળી બાજુઓની અને સંજોગો સામેના મનુષ્યના પરાભવની વાત કરે છે. સમયનું કદ શબ્દે-શબ્દે મોટું થતું દેખાય છે. પણ કાવ્યાંતે નાયક પહેલાના બદલે ‘છેલ્લો ઘા રાણાનો’ કરે છે. એ સમયને કહે છે કે તું માત્ર મારા જીવનની નકારાત્મક બાજુઓ કે મારી હાર-નિષ્ફળતાઓ જ મને યાદ કરાવ્યે રાખશે એ કોઈ કાળે ચાલશે નહીં. ‘જેનીએ મને ચૂમી લીધો’ જેવી ખાસ પળ એવી છે, જેને તું લાખ ઇચ્છે તોય જીવનમાંથી ભૂંસી શકનાર નથી. ‘समय समय बलवान है, नहीं मनुष बलवान’ની આલબેલની સામે સાવ મામૂલી ભાસતી અને સાવ નાની કહી શકાય એવી જીવનની યાદગાર પળો છાતી કાઢીને ઊભી રહે છે. નાની-નાની પણ મીઠી યાદો સમય જેવા સમયને માત દઈ શકે એટલી તાકતવર હોય છે.

હે સમય! તું સ્મરણ રાખ આ વાતનું

કે, સ્મરણનું મરણ થાય ના કોઈ દિ…..  

ગ્લૉબલ કવિતા : ૧૧૪ : લે’રિયાની લૂંટાલૂંટ – લોકગીત

મારા લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

મારા દાદાનું દીધેલું લે’રિયું રે બાઈ,
મારી માતાની બાંધેલ લાંક હો…ઓ
      નણદલ માગે લે’રિયું રે બાઈ!

ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

શું રે કરું તારા ડાબલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

શું રે કરું તારાં બેડલાં રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

સામી ઘોડાહારે ચાર ઘોડલા રે બાઈ,
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

શું રે કરું તારા ઘોડલા રે બાઈ,
મને લે’રિયાની ઘણી ઘણી હામું હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

સામી વળગણીએ લે’રિયું રે બાઈ,
નણદી લઈને અદીઠડાં થાવ હો…ઓ
     નણદલ માગે લે’રિયું રે બાઈ!

નણંદ-ભોજાઈ અને લેરિયાની લૂંટાલૂંટની મજા…  

                 તમે મારે ત્યાં જાન લઈને આવ્યા છો. ને કન્યા પક્ષના હોવાના નાતે વાંકા વળીને તમારું સ્વાગત કરવાના બદલે હું હજાર માણસોની હાજરીમાં તમને ગાળો ભાંડું છું. મારી દીકરીના થનારા સાસુ-સસરાથી લઈને જેઠ-જેઠાણી, દિઅર-દેરાણી, નણંદ-નણદોઈ બધાને હું અપશબ્દોથી વધાવું છું અને જાનૈયાઓ ગુસ્સે થઈ ચાલ્યા જવાના બદલે ખડખડાટ હસે છે, મજા લ્યે છે અને વળતી રોકડી મને ને મારા ઘરવાળાંઓને ચોપડાવે છે. નજરોનજર જોયું ન હોય તો આ વાત કોણ માને? પણ હા, એ હકીકત છે કે પ્રસંગોપાત ગાવામાં આવતાં આવાં ફટાણાં અને અન્ય પ્રકારનાં લોકગીતો આપણને આવી વિશિષ્ટ પ્રકારની જાહેર સગવડ પૂરી પાડે છે. લોકગીત એટલે સમાજનો ખરો પડઘો. કવિની કવિતા ઘણીવાર કળાના રસ્તે ચડીને ગુમરાહ થતી પણ દેખાય પણ લોકગીત એટલે તો સાંપ્રત સમયનો સીધો અરીસો જ. સભ્ય સંસ્કૃતિની થોડે બહારના વર્તુળમાં આદિમ જીવન વ્યતીત કરતા લોકો પોતાના દુઃખસુખ, મસ્તી-મજાક, રીતરિવાજ અને સામાજિક પ્રસંગો કે દિનબદિનની ઘટમાળના નાનાવિધ રંગોને લયમાં ઢોળીને જે બહુઆયામી ચિત્ર ઊભું કરે એ લોકગીત. આજે આપણે આવા જ એક લોકગીતની વાત કરવાની છે.

                 લોકસાહિત્યની પરંપરા બહુ જૂની છે. માણસમાત્રને અભિવ્યક્ત થવાની ઝંખના હોય જ. અને માણસ જાત માટે એની બોલી એ અભિવ્યક્તિ માટેનું ઉત્તમ સાધન છે. એટલે જ કોઈપણ ભાષામાં બોલાતા શબ્દનું આયુષ્ય લખાતા શબ્દ કરતાં સેંકડો-હજારો વર્ષ વધારે જ હોવાનું. બોલીનો ઇતિહાસ લિપિના ઇતિહાસ કરતાં કંઈ કેટલોય જૂનો હોવાના કારણે સદીઓની સદીઓ સુધી સાહિત્યનું વહન મુખપાટીએ થતું રહ્યું. આપણે ત્યાં સમાજમાં ચલણી આવા ગીતો પહેલાં કંઠસ્થ મુખપાટીના ગીતો કે દેશજ ગીતો તરીકે ઓળખાતાં. પણ હવે લોકગીત શબ્દ સર્વસ્વીકૃત થઈ ગયો છે. આમ, જેનો કોઈ નિશ્ચિત રચનાકાર ન હોય અને જે સમાજના લોકોમાં મોઢામોઢ ચાલતું આવ્યું હોય અથવા પુરાતન હસ્તપ્રતોમાંથી જડી આવ્યું હોય એ લોકગીત એમ કહી શકાય. લોથલમાંથી મળી આવેલા અવશેષો પરથી સમજી શકાય છે કે આપણે ત્યાં વેદસાહિત્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાંથી દેશજ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હશે. શરૂઆતનું આ સંસ્કૃત સાહિત્ય ક્રમશઃ પ્રાકૃત ભાષામાં, પછી અપભ્રંશ ભાષા અને એમ શિષ્ટ ભાષામાં પલટાતું ગયું. લોકોએ રચેલાં અને લોકો દ્વારા કંઠોપકંઠ પેઢી દર પેઢી વહેતાં રહેલાં આ પદ્યસાહિત્યનું ‘લોકગીત’ નામાભિધાન તો છેક ઈ.સ. ૧૯૦૫ની સાલમાં રણજીતભાઈ વાવાભાઈએ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદમાં અંગ્રેજી કાવ્યપ્રકાર Folk-song પરથી કર્યું હતું. જે સમય સાથે સહુએ સ્વીકારી લીધું. લોક શબ્દ મૂળે સંસ્કૃત ‘लोकृ’ ધાતુ પરથી જન્મ્યો છે, જેનો અર્થ છે ‘જોવું’, ‘જાણવું’, જેના પરથી ‘લોક’ અર્થાત્ ‘જોવાવાળો.’ ઋગ્વેદ અને ઉપનિષદોમાં ‘લોક’ શબ્દનો ઉપયોગ ‘સામાન્ય જનતા’ના અર્થમાં અવારનવાર થયેલો જોવા મળે છે. ભગ્વદગીતામાં પણ ‘લોકસંગ્રહ’ શબ્દ વાપરવામાં આવ્યો છે:

                 कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः।
                 लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि।।3.20।।   

                 સવારે ઊઠવાનું થાય ત્યાંથી સાંજે પથારીભેગા થવાનું થાય એ બે છેડાની વચ્ચે દિવસ જે જે વસ્તુઓ જુએ છે એ તમામ લોકગીતનું વસ્તુ બની રહે છે. જનમ-મરણ-પરણ, પ્રણય-પરિણય, રુસણાં-મનામણાં, વૈધવ્ય, ગરીબી, ખેતી, શ્રમ, યાત્રા, પ્રશસ્તિ, ઋતુચક્ર, પ્રભુભક્તિ – જીવનના બધા જ રંગ લોકગીતોમાં જોવા મળે છે.  ઠઠ્ઠામશ્કરી કરતાં કરતાં હળવા હૈયે આવેલ પ્રસંગને ઉકેલવામાં લોકગીત મદદરૂપ નીવડે છે. શીરાની જેમ ગળે ઉતરી જાય એવા લય અને લહેકાની ગૂંથણીવાળી પ્રબળ પ્રવાહિતા લોકગીતનું જમા પાસું છે. તો એકવિધતા, નિંદા કે પ્રશસ્તિનો અતિરેક ક્યારેક એની ઉધાર બાજુ પણ બની રહે છે. જાડી ભાષામાં એમ કહી શકાય કે કવિતા અને લોકગીતની વચ્ચે આમ જોવા જઈએ તો ડાયરી અને અખબાર જેવો ફરક હોઈ શકે. કવિતા કવિની અંગત અનુભૂતિ ઝીલે છે જ્યારે લોકગીત પ્રવર્તમાન સમાજની સામૂહિક ચેતનાને પ્રતિબિંબિત કરે છે. લોકગીતની ભાષામાં કાવ્યતત્ત્વ ઓછું અને તળપદી ભાષાનો કાકુ વધુ પ્રબળ જોવા મળે છે. આ બોલચાલની ભાષા છે અને વળી એ અકૃત્રિમ છે. લાગણીની સહજ અભિવ્યક્તિ અને પ્રાદેશિક લઢણની સ્વાભાવિક્તા આમાં સાંગોપાંગ ઊતરી આવે છે. અભણ લોકો જિંદગીની પાઠશાળામાં જે ભણે એ છે લોકગીત. ક્યારેક અતિવિસ્તારના કારણે અહીં ભાવવિશ્વ પાતળું બનતું અનુભવાય છે તો ક્યારેક લોકગીત ગણીને આગળ ચાલ્યા જવામાં કાવ્યતત્ત્વ ચૂકી જવાનો ભય પણ રહેલો છે. ભગ્વદ્ગોમંડલ ‘લોકગીત’ વિશે લખે છે: ‘ગાથા અથવા ભજનોના રૂપમાં આવિર્ભાવ પામેલું સાહિત્ય. તેમાં મંદિરો વગેરે ધર્મસ્થાનોમાં ગવાતાં ભજનો અને કીર્તિનો તથા જાગરણ, મોળાક્ત વગેરે પ્રસંગે શેરીમાં ગવાતા વિનોદપ્રદ ગીતોનો સમાવેશ થાય છે. મરસિયા કે રાજિયા વગેરે શોકપૂર્ણ ગીતો તથા ભાટ, ચારણ, વહીવંચા, ગઢવીના દુહા, કવિત તથા રાસ જેવાં ઐતિહાસિક ગીતો પણ તેમાં સમાવિષ્ટ થાય છે. માળવા, રજપૂતાનામાં ગવાતા માંડ, મેવાડામાં ગવાતા મેવાડા, બનારસમાં વરસાદના દિવસોમાં ગવાતા કજ્જલી, આગ્રા તથા મથુરામાં ગવાતાં રસિયા, બંગાળામાં એક જ ઢબથી ગવાતાં કીર્તનો અને ગુજરાતમાં ગુજરાતણોના ગરબા આ બધાં લોકગીતોના જુદા જુદા પ્રકારો છે.’

                 લોકગીતો વિશે આટલી વાત કરી લીધા બાદ આપણે પ્રસ્તુત ગીત તરફ વળીએ. નાયિકા તાજી પરણીને સાસરે આવી છે અને એનું મનગમતું લહેરિયું સાસરિયાં લૂંટી લેવા ટાંપીને જ બેઠાં છે એવી અહીં વાત છે. લહેરિયું, લે’રિયું કે લેરીયું એટલે વાંકડિયા લીટાની કે મોજાંની ભાતવાળો સાલ્લો. દરિયાની લહેર ઉપરથી એના જેવી ભાતવાળી સાડી લહેરિયું કહેવાઈ. વહુ પરણીને આવે ત્યારે ‘આણું’ પાથરવાનો રિવાજ આપણે ત્યાં પ્રચલિત છે, જેમાં મા-બાપે કરિયાવરમાં જે કંઈ આપ્યું હોય એ બધી જ વસ્તુઓને સાસરિયાંઓના જોવા કાજે પ્રદર્શિત કરવામાં આવે છે. કન્યાના મા-બાપની આર્થિક પરિસ્થિતિનો અહીં તાગ પણ મળે છે. આણાં વખતે એક રિવાજ મુજબ કન્યાની નણંદ એને મનગમતી કોઈપણ એક સાડી ઊઠાવી લે છે, જે એની કાયમી માલિકીની થઈ જાય છે. કન્યાને ગમે એટલી વહાલી કેમ ન હોય, નણંદ આણાંમાંથી ઊઠાવે એટલે મને-કમને એનો ત્યાગ કરવો જ પડે. સાસરિયાં પક્ષની તાકાત અને જોહુકમીનો કન્યા માટે આ પ્રથમ અનુભવ અને સ્વીકાર છે. ટૂંકમાં, આ રિવાજ નણંદની દાદાગીરીનો દસ્તાવેજ છે, જેના પર મતું મારવું કન્યા માટે ફરજિયાત છે. હવે જો કે આ રિવાજ ભૂંસાવા માંડ્યો છે.             

                 આમ તો આખા સાસરિયામાં માત્ર નણંદ જ પારંપારિક હકથી લહેરિયું માંગી રહી છે. એક સાડી આપવી જ પડવાની છે એ વાતથી નાયિકા અજાણેય નથી. ને તે છતાંય એટલામાંય નાયિકાને લૂંટાલૂંટ મચી ગઈ હોવાનું જણાય છે. આટલા પરથી લહેરિયું એને કેટલું પ્રિય છે એ સમજાય છે અને કેમ પ્રિય છે એનો જવાબ આગળ જતાં આવે છે. લોકગીતના ‘ઉપાડ’ કે શરૂઆતને ગીતનું ‘થડ’ કહે છે. મધ્યભાગને ‘પેટાળ’ કહે છે જેમાં સંવાદ, સંઘર્ષ કે આપત્તિનું નિરુપણ કરી મૂળ કથાતંતુના વેગને અંતિમ લક્ષ્યગામી બનાવાય છે. અને લોકગીતનું સમાપન એટલે ‘પીચ્છ’ કે ‘છેડો’. અહીં ગીતનો ‘ઉપાડ’ લીધા પછી ‘પેટાળ’માં સંવાદરીતિ પ્રયોજવામાં આવી છે, જ્યાં નવી પરણેલી ભાભી લહેરિયું કેમ આપી શકાય એમ નથી એના કારણો એક-એક કરીને રજૂ કરે છે અને જિદ્દી નણંદ કેમ લહેરિયું જ જોઈએ છે એનો પ્રત્યુત્તર વાળે છે. આ લહેરિયું કન્યાના દાદાએ આપેલું છે. ને વળી માતાએ એના પર લાંક યાને કે કોર બાંધી છે. આગળ જતાં ગીતમાં ચાર-ચાર ચીજોની યાદી આવે છે. સામાન્ય સંજોગોમાં આણામાં મા-બાપ એક-એક ચીજ મોકલાવે છે પણ અહીં ચારની સંખ્યા પિયર પક્ષની સમૃદ્ધિ નિર્દેશે છે. આવું ભર્યું-ભર્યું આણું લઈ જે આવી હોય, એની પાસે તો સાડી પણ પેટારો ભરીને હોવાનો. એટલે નણંદ એકાદી સાડી ઊંચકી લે એમાં કંઈ દુઃખ લગાડવા જેવું હોય નહીં. પણ આ લહેરિયું ખાસ છે કેમકે દાદા લઈ આવ્યા છે અને માએ પોતાના હાથે પરવટ મૂકી છે. નાયિકા કહે છે કે ઘરમાં ચાર ખૂણે ચાર ડાબલા મૂક્યાં છે. એમાંથી જે ગમી જાય એ લઈ લેવાની છૂટ છે પણ લે’રીયું બક્ષી દે, બસ. નવોઢાને એના પિયરિયાં આણામાં ડાબલા આપે, જેમાં નકદ નાણું અને તેજાના ભર્યા હોય છે. તેજાના જીવનને સ્વાદિષ્ટ અને સુગંધસભર બનાવવાનું પ્રતીક છે તો પૈસો દુઃખેસુખે આર્થિક ભીડ ભાંગવામાં કામ આવે એ હેતુસર મૂકવામાં આવે છે. નવોઢાને પૈસા જેવા પૈસાનોય મોહ નથી, એ એનો લહેરિયાપ્રેમ દર્શાવે છે.  

                 આગળ કહે છે, ચાર ખૂણે ચાર બેડલાં છે. જે પસંદ આવે એ તારું. બેડલું એટલે ઘડો-ગાગર કે હાંડો ને માણિયાની ઉતરડ. હાંડો એટલે મોટો દેગડો કે ગાગર અને માણિયો એટલે મણ જેટલું અનાજ કે પ્રવાહી ભરી શકાય એટલો મોટો ઘડો. એકની ઉપર એક ગોઠવવામાં આવે છે અને ભીતર ઘી અને અનાજ ભરવામાં આવે છે. ભાભી એની નણંદને એમાંથી જે પસંદ હોય એ લઈ લેવાની છૂટ આપે છે. નણંદ માનતી નથી તો વળી ઘોડાંની લાલચ આપે છે. ઘર સામની ઘોડારમાં પિયરથી આણાંમાં આવેલ ચાર-ચાર અશ્વો છે, એમાંથીય જે મનપસંદ હોય એ લઈ લેવા ભાભી નણંદને પ્રલોભન આપે છે. પણ નણંદ કંઈ કેડો મેલે એમ નથી. એનો જીવેય લેરીયામાંજ ભરાણો છે. આમેય માણસજાતનો મૂળ સ્વભાવ જ છે કે જે વસ્તુની ના કહેવામાં આવે એનું જ મન પહેલું થાય.

                 નણંદ બીજા કોઈ પણ જાતના પ્રલોભનોને વશ થતી નથી અને લહેરિયા પર જ ફેણ માંડીને બેઠી હોવાની ખાતરી થાય છે ત્યારે ભોજાઈ નમતું જોખે છે. સાસરીની બળજબરી કેવી હોઈ શકે એ આ ગીત વડે સચોટ વર્ણવાયું છે. નાયિકાના ભાથામાં હવે કોઈ તીર બચ્યાં નથી. નણંદની માંગને તાબે થયા વિના હવે એનો છૂટકો જ નથી એ હવે એને સમજાઈ ગયું છે અને એ લેરીયું દેવા તૈયાર થઈ જાય છે. અને આ ‘પીચ્છ’ કે છેડો’ આ લોકગીતને ઉત્તમોત્તમ કાવ્યની પંગતમાં બેસાડે છે. નાયિકા નણંદને લહેરિયું હાથમાં આપવાના બદલે છણકો કરીને કહે છે કે સામી વળગણીએ લહેરિયું લટકી રહ્યું છે, એ જાતે જ લઈ લો અને અદીઠડા થઈ અહીંથી હાલતા થાવ. પિયરથી આણામાં આવેલું લહેરિયું એટલું તો વહાલું છે કે જીવ પર આવીને એનાથી જીવ છોડાવવાની ફરજ પડે છે તોય નાયિકા પોતાના હાથે એ નણંદને આપી શકતી નથી. એને ફરજ પડી છે એ અલગ વસ્તુ છે, બાકી જીવ તો હજીય ચાલતો જ નથી. એટલે એ હાથોહાથ આપવાના બદલે લહેરિયું ક્યાં મૂક્યું છે એ બતાવીને જાતતસ્દી લેવાનું નણંદને કહે છે. આટલું ઓછું હોય એમ એ એને અદીઠડાં થવાનુંય જણાવી દે છે. ‘અદીઠડાં’ શબ્દ જ કેટલો કાવ્યાત્મક છે! કવિતામાં જવલ્લે જ પ્રયોજાતા આ ‘અદીઠડું’ શબ્દનો આવો વિવેકસરનો ઉપયોગ શામળના દોહામાં નજરે પડે છે:     

                 મારગ દીઠે સંચરે, તેમાં શો વિવેક;

                 પણ ચલાવીએ અદીઠડે, નિર્મળ તો એ નેક  

                 લોકગીતોનો કોઈ એક સર્જક નથી હોતો. એનું સર્જન ટેબલ-ખુરશી કે ઘરમાં બેસીને થાય નહીં, એ તો પ્રસંગોપાત્ત લોકોની વચ્ચે જ રચતાં રચાઈ જાય અને એમાં રચનારનું કોઈ કર્તૃત્વ પણ હોતું નથી. ગીત જેવું રચાય કે તરત જ એ લોકોની માલિકીનું થઈ જાય. કવિતાની જેમ એ કાગળ પર નહીં પણ સીધું લોકોના દિલમાં જ લખાય છે અને પેઢી દર પેઢી ગળામાં સચવાતું રહે છે. આપણે ત્યાં લોકગીતોને સંગ્રહિત કરવાનું ભગીરથ કાર્ય ગામે-ગામ રખડી-રઝળીને ઝવેરચંદ મેઘાણીએ કર્યું. એમના મતે ‘લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય કૃતિઓ છે.’ લોકગીત એ સંઘોર્મિનું ગાયન છે અને એટલે જ સમય-સમયાંતરે લોકસમૂહ એમાં નવું ઉમેરતો પણ રહે છે અને જૂનું ક્યારેક વાઢતો પણ રહે છે. નણદલ અને લેરિ’યાંની વાત કરતા આ લોકગીતનું થોડા ફેરફારવાળું અન્ય એક સંસ્કરણ પણ હાથ જડે છે, જેમાં નણંદનો સંવાદ ભાભીના સંબોધન સાથે પ્રયોજાયો છે, એ પણ જોઈએ:   

નણદલ માગે લે’રિયું રે બાઈ

               નણદી, જે જોઈએ તે લ્યો રે… નણદલ…

મારા દાદાનું દીધેલું લે’રિયું રે,
               મારી માતાની બાંધેલ લાંક હો… નણદલ…

ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ,
               નણદી, સારે રાં જોઈ જોઈ લ્યો રે… નણદલ…

શું રે કરું તમારા ડાબલા રે ભાભી,
               મને લે’રિયાની ઘણી ઘણી હામ હો… નણદલ…

ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ,
               નણદી, સારે રાં જોઈ જોઈ લ્યો રે… નણદલ…

શું રે કરું તારાં બેડલાં રે ભાભી,
               મને લે’રિયાની ઘણી ઘણી હોંશ હો… નણદલ…

સામી ઘોડા’રે ચાર ઘોડલા રે બાઈ,
               નણદી, સારે રાં જોઈ જોઈ લ્યો રે… નણદલ…

શું રે કરું તારા ઘોડલા રે ભાભી,
               મને લે’રિયું પહેર્યાની ઘણી હામ હો… નણદલ…

.

સામી વળગણીએ લે’રિયું રે બાઈ,
               નણદી લઈને અદીઠડાં થાવ હો… નણદલ…

                 હવે આ તો થઈ જે જમાનામાં શહેરો નહોતાં કે નહોતાં બરાબર હતાં એ જમાનાની વાત. હવે માનો કે આ જ ગીત આજના યુગના કોઈ કવિ લખે તો કઈ રીતે લખે? બેમાં શો ફરક પડે? તો ચાલો, આ સાથે ભાવનગરના કવયિત્રી નેહા પુરોહિતે આ ગીતની જમીન ઉપર જ રચેલું ગીત જોઈએ. સૌથી પહેલો તફાવત તો લંબાણનો નજરે ચડે છે. આજનો જમાનો ઝડપનો અને લાઘવનો છે. એટલે આજનું ગીત પહેલાંના ગીત કરતાં કદમાં ખાસ્સું મર્યાદિત છે. બીજું, આજનો માણસ પહેલાં કરતાં વધુ સાધનસંપન્ન થયો છે પણ સાથોસાથ એનો જીવ પણ ટૂંકો થયો છે. નફો ન થાય એવો વેપાર હવે ભાગ્યે જ કોઈ કરે છે. પરમાર્થની જગ્યા સ્વ-અર્થે ક્યારની પચાવી પાડી છે. કવયિત્રીના પોતાના જ શબ્દોમાં, ‘નણંદ માગે ને આધુનિક નાયિકા પોતાનું મનપસંદ લે’રિયું આપી દે ખરી?’ ન જ આપે… એમ કહી શકાય કે પ્રસ્તુત લોકગીત કવયિત્રીની પેઢી સુધીનું પ્રતિનિધિત્વ કરે છે, તો કવયિત્રીની આ રચના એમના પછીની પેઢીઓનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજું, નાયિકા લેરિયું તો આપવા તૈયાર નથી જ પણ લેરિયાના બદલામાં નણંદને ડાબલો, બેડું, ઘોડો તો ઠીક, એકેય વસ્તુનું પ્રલોભન આપવા સુદ્ધાં તૈયાર નથી. ચોથું, આજે માનવી બુદ્ધિજીવી થયો છે. લે’રિયું ન આપવા માટે આજની વહુ એવા અદભુત કારણ રજૂ કરે છે કે પછી એના વરની બહેન લેરિયું માંગી જ ન શકે. એ કહે છે કે તારા ભાઈને જ આ લેરિયું એવું ગમે છે કે મેં એ પહેર્યું નથી કે એણે મને બાથમાં લીધી નથી. અને આ સિવાય લેરિયું ન દેવા પાછળનું સૌથી અગત્યનું કારણ તો એ છે કે એમાં વરવધૂની પ્રથમ રાતના સંભારણાં સાચવીને વીંટી રાખ્યા છે… માણીએ નેહા પુરોહિતની કલમે નવા જમાનાની વહુનું આ ગીત:              

મારાં લે’રિયામાં લાગી લૂંટાલૂંટ હો.. નણદલ માગે લે’રિયુ રે બાઇ !

મારા દાદાનું વ્હોરેલ લેરિયું રે બાઇ ;

મારી માડીએ પાડી એમાં ભાત હો.. નણદલ માગે લે’રિયું રે બાઇ !

મારા વીરાએ દોર્યો એમાં મોરલો રે બાઇ ;

મારી ભાભીએ પૂર્યાં એમાં હીર હો… નણદલ માગે લે’રિયું રે બાઇ !

તારા વીરે વખાણેલ લેરિયું રે બાઇ ;

હું તો પે’રું ને ભરે મુંને બાથ હો… નણદલ માગે લે’રિયું રે બાઇ !

હું તો આપું નંઇ મારું લે’રિયું રે બાઇ ,

એમાં વીંટીને રાખી પે’લ્લી રાત હો… નણદલ માગે લે’રિયું રે બાઇ !

(પૂરક માહિતી: (૧) ગુજરાતનાં લોકગીતો – સં. ખોડીદાસ પરમાર, (૨) ભમ્મરિયા કૂવાને કાંઠડે –સં. સુરેન ઠાકર ‘મેહુલ’)

ગ્લૉબલ કવિતા : ૧૧૩ : તણાતું – બાઓ ફી

ગ્લૉબલ કવિતા : ૧૧૩ : વિવેક મનહર ટેલર

Adrift

A shipping container of rubber duckies made in China for the US washed overboard in 1992, and some of them traveled and washed ashore over 17,000 miles over 15 years.

Let’s go ahead and assume it’s yellow.
What little of science I know:
its plastic skin invincible against salt water,
but not the sun–
we can only ask so much.
Will it fade or brown?
What I mean to say is
I would want one of these
for my daughter:
its internal clock set to the mercy of the currents
that have been predictable for centuries,
but mercy is not the word anyone
would choose.
Sometimes not making sense and floating
are the same.
Each wave is its own beginning and ending.
Through international waters,
you could have caused an incident:
no one knowing you,
never reaching the hands that hoped for you.
Rough immigrant, or
free refugee–
floating flagless,
fading border,
stamped with words but not your name.

– Bao Phi

તણાતું

અમેરિકા મોકલવા માટે ચીનમાં બનાવાયેલ રબરના બતકોથી ભરેલું એક શિપિંગ કન્ટેનર ૧૯૯૨ની સાલમાં પાણીમાં તણાઈ ગયું, અને એમાંના કેટલાક ૧૫ વર્ષ અને ૧૭૦૦૦ માઇલની મુસાફરી કરીને કિનારે ઘસડાઈ આવ્યાં.

ચાલો આગળ વધીએ અને ધારી લઈએ કે એ પીળું છે.
જે થોડું ઘણું પણ વિજ્ઞાન હું જાણું છું એ મુજબ:
એની પ્લાસ્ટિકની ત્વચા ખારાં પાણીની સામે અપરાજેય છે,
પણ સૂર્ય સામે નહીં-
આપણે માત્ર આટલું જ પૂછી શકીએ.
એ ઝાંખી પડશે કે તપખીરી?
હું એમ કહેવા માંગું છું કે
મારે આમાંથી એક જોઈએ છે
મારી દીકરી માટે:
એની આંતરિક ઘડિયાળ સદીઓથી અનુમાનિત રહેલ પ્રવાહોની
દયા પર નિર્ભર છે,
પણ દયા કંઈ એ શબ્દ નથી જે કોઈપણ
પ્રયોજવું પસંદ કરે.
ક્યારેક બેમતલબની વાત કરવી અને તણાવું
એકસમાન હોય છે.
દરેક મોજું એનો પોતાનો પ્રારંભ અને અંત છે.
આંતરરાષ્ટ્રીય પાણીઓમાં થઈને,
તમે કોઈક ઘટનાને જન્મ આપ્યો હોત:
કોઈ તમને જાણતું નથી,
જે હાથોએ તમારી કામના કરી હતી એમના સુધી કદી પહોંચ્યા નહીં.
નઠોર દેશાગત, કે
મુક્ત નિર્વાસિત-
તરતાં ધજાહીન,
સરહદ ભૂંસતાં,
શબ્દોનો સિક્કો તો લાગ્યો છે પણ તમારા નામનો નહીં.

– બાઓ ફી
(અનુ.: વિવેક મનહર ટેલર)

पंछी, नदियाँ, पवन के झोंके, कोई सरहद न इन्हें रोके…

મા. અલગ-અલગ ભાષાઓમાં ‘મા’ માટે કયા શબ્દો વાપરવામાં આવે છે એ શું આપણે જાણીએ છીએ? હિંદી-ગુજરાતીમાં મા કે માતા. દક્ષિણ ભારતીય ભાષાઓ, નેપાળ, બાંગ્લાદેશમાં અમ્મા. અંગ્રેજીમાં મધર, મમ્મી કે મોમ. ચાઇનીઝ, રશિયન, પૉલિશ, જર્મન વગેર ભાષાઓમાં મામા, ફ્રેન્ચમાં મેર, મમા… આશ્ચર્ય થશે પણ આ સિવાય પણ દુનિયાની મોટાભાગની ભાષાઓમાં જનની માટેના સંબોધનમાં ‘મા’ શબ્દ કોઈક ને કોઈક રીતે અચૂક વપરાયેલો જણાશે. આદિમ-હિન્દ-યુરોપીય ભાષાના *méh₂tēr (મખ્તેર્) પરથી આદિમ-જર્મનિક *mōdēr (મોદેર્) નો જન્મ થયો. ડચ moeder(મોએદેર), જર્મન Mutter (મતર), લેટિન matter (મેતર), ગ્રીક μήτηρ (મીતીર), સંસ્કૃત मातृ (વિદેશીઓ માટે માતર) વગેરે શબ્દોમાં આના મૂળિયાં હોવાનું મનાય છે. માનવામાં આવે છે કે મૂળ સંસ્કૃત માતૃ શબ્દ આ બધાના મૂળમાં છે. હકીકત કોઈપણ હોય પણ સમજી શકાય છે કે ડાળ ભલે અલગ-અલગ હોય પણ મૂળિયાં એક જ છે. સવાલ એ થાય કે એક જ બીજમાંથી જન્મેલાં ફળ કઈ રીતે આટઆટલે દૂર લગી ફેલાયાં હશે. તો એનો જવાબ છે મનુષ્યની મુસાફરવૃત્તિ. ફરતા રહેવાના મનુષ્યના સ્વભાવના કારણે માત્ર ‘મા’ જ નહીં, સેંકડો શબ્દો એવા છે જે ભાષાઓની અલગતાની વચ્ચે પણ સમાનતા ધરાવે છે. માણસમાં મમત્વ જન્મ્યું એ દિવસથી સીમાડાઓ સર્જાવા શરૂ થયા. શરૂમાં રાજ્યોની સરહદો હતી પણ માનવી આઝાદ હતો. પછી પાસપોર્ટનો જન્મ થયો અને માણસની ઉપર નિર્વાસિત અને દેશાગતના સિક્કા લાગવા શરૂ થયા. નિર્વાસિતો અને દેશાગતોની પોતાની સમસ્યાઓ છે પણ અહીં અમેરિકન-વિએટનામી કવિ બાઓ ફીએ એમની સમસ્યાઓની વાત માંડવાના બદલે એમની યાત્રાનું ગાન ગાવા નિર્ધાર્યું છે.

બાઓ ફી. ૧૯૭૫માં વિએટનામમાં જન્મ. જન્મનું નામ થિએન બાઓ. બાઓ ત્રણ મહિનાના જ હતા ત્યારે એમના મા-બાપ બાઓ અને મોટા પાંચ સંતાનો સાથે વિએટનામ યુદ્ધથી બચવા અમેરિકા આવી ગયા. અમેરિકાના મિનીઆપોલિસમાં ઉછેર અને શાળેય શિક્ષણ. શાળામાં હતા ત્યારથી જ પોતાની કવિતાઓનું પઠન આદરી દીધું હતું. સર્જનાત્મક લેખનમાં સ્નાતક થયા. પિત્ઝા ડિલીવરી બોય તરીકે પણ કામ કર્યું. અને સુપરમાર્કેટ તથા રેસ્ટૉરન્ટમાં પણ કામ કર્યું. શિકાગોમાં ૧૯૮૪ની સાલથી સ્લેમ પોએટ્રી નામની એક સ્પર્ધા શરૂ થઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ કવિતાને ભારીખમ્મ વિવેચકો અને ચંદ ભાવકોના સાંકડા પાંજરામાંથી મુક્ત કરી સામાન્ય જનસમૂહ સુધી પહોંચતી કરવાનો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક કવિ હોવા પણ જરૂરી નથી હોતું. આ સ્પર્ધાઓમાં કવિતા સાચે જ કાનની કળા સિદ્ધ થાય છે. બાઓ આ સ્પર્ધાઓમાં અવારનવાર પુરસ્કૃત થઈ ચૂક્યા છે એ બતાવે છે કે એમની સરળતા અને સહજતા એમની રચનાઓના પ્રધાન કાકુ હશે. ૧૯૯૧ની સાલથી તેઓ પર્ફોર્મન્સ પોએટ (પ્રદર્શન કવિ) છે. તેઓ સ્પોકન વર્ડ આર્ટિસ્ટ તરીકે જાણીતા છે. હાલ તેઓ લોફ્ટ લિટરરી સેન્ટરના પ્રોગ્રામ ડિરેક્ટર છે.

એમના પ્રથમ સંગ્રહનું નામ ‘સૉંગ આઇ સિંગ’ છે. સૉંગ એટલે અંગ્રેજીમાં ગીત એ તો આપણે જાણીએ છીએ પણ વિએટનામી ભાષામાં એનો અર્થ નદી થાય છે અને બાઓને નદી સાથે એટલો બધો લગાવ છે કે ન માત્ર એમણે પોતાના પ્રથમ સંગ્રહના નામ માટે એનો પ્રયોગ કર્યો, પોતાની દીકરીનું નામ પણ એ જ રાખ્યું છે. આ પુસ્તક એમણે ‘મારા’ એશિયન-અમેરિકન લોકોને અર્પણ કર્યું છે. ન્યૂયૉર્ક ટાઇમ્સ એમની કવિતા વિશે લખે છે: ‘શ્રીમાન ફીએ લખેલી દરેક કવિતા સચ્ચાઈ સાથે પ્રાસ મેળવે છે.’ શિકાગો રિવ્યૂ ઑફ બુક્સ લખે છે: ‘આ એક અલગ પ્રકારની કવિતા છે, એક સંગ્રહ જે એક અનુભવી વક્તા દ્વારા લખવામાં આવ્યો છે, જે સમજે છે કે વાર્તા કઈ રીતે કહેવાય છે. આ કવિતાઓ થતી નથી, વીતી જાય છે. તેઓ એ વાર્તા સાથે જોડાઈ જાય છે જે હજી પૂરી થઈ નથી.’ બાઓનું કામ વંશિય, ઐતિહાસિક, રાજકીય અને સામાજીક છે. એની શાંતિ અને વિચારશીલતાની નીચે એક આક્રોશ છૂપાયેલો જોવા મળે છે. વિએટનામી અમેરિકન કવિતાનો એ એક જાગૃત અવાજ છે.

‘તણાતું’ અછાંદસ કાવ્ય છે. સમુદ્રના મોજાંની લંબાઈની જેમ અહીં પણ પંક્તિઓ અનિયમિત લંબાઈની બનેલી છે. કવિએ ટીવી પર જોયેલી એક ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં રજૂ થયેલી સત્યઘટનાના વાક્યનિરૂપણથી ખૂલે છે. શીર્ષક અને કવિતાની વચ્ચેનું આ વાક્ય દરિયાના મોજાં પર તરતાં રમકડાં જેવું લાગે છે. વિદેશી કવિતાઓમાં મૂળ કવિતાના મથાળે આવું કોઈ સ્વરચિત વાક્ય અથવા જાણીતા લેખક-કવિની એકાદી પંક્તિ કે વાક્ય ટાંકવાની પ્રણાલિ ખાસી પ્રચલિત છે. આ પંક્તિ કે વાક્ય ભાવક અને કવિતા વચ્ચે સેતુ બાંધવાનું કાર્ય કરે છે. પ્રાસ અને છંદની અનુપસ્થિતિમાં કવિની સંવેદનાને પ્રસ્તુત કવિતા સાચો લય આપી શકી છે એ હકીકત અનુભવાયા વિના રહેતી નથી. આ કવિતા વિશે બાઓ કહે છે, ‘વિએટનામ યુદ્ધના પગલે મારો પરિવાર શરણાર્થી તરીકે અમેરિકા આવ્યો. હું બાળક હતો, શારીરિક રીતે તો હાજર, પણ મારા પરિવારે જે મને કહ્યું એ સિવાય મારી પાસે કોઈ યાદ નથી. એક લેખક અને અમેરિકામાં એક મનુષ્યના રૂપમાં, મારા સમગ્ર જીવન દરમિયાન, ખોવાઈ ગયાના, આગંતુક હોવાના, જિજ્ઞાસા કે ઉપહાસની વસ્તુ હોવાના વિષયો હંમેશા હાજર રહ્યા છે.’

જાન્યુઆરી, ૧૯૯૨માં અમેરિકાની ‘ફર્સ્ટ યર ઇન્ક’ કંપની માટે ચીને બનાવેલ બાથટબમાં તરે એવા રબરના પીળાં બતક, ભૂરા કાચબા અને લીલા દેડકાઓથી ભરેલું એક શિપિંગ કન્ટેનર ચીનથી અમેરિકા જવા સમુદ્રમાર્ગે રવાના કરાયું હતું. ૨૯૦૦૦ રમકડાંઓથી ભરેલ આ કન્ટેનર કોઈક કારણોસર પેસિફિક સમુદ્રની મધ્યમાં ખૂલી ગયું અને રમકડાંઓ અમેરિકા પહોંચવાના બદલે સમુદ્રના મોજાંઓના હવાલે થયાં. બાથટબમાં બાળકોને મોજમસ્તીમાં સહાયક બનવાના હેતુસર સર્જાયેલા રબર અને પ્લાસ્ટિકના આ રમકડાં ઈશ્વરના વિશાળતમ બાથટબમાં તરતાં થઈ ગયાં. ટકાઉ પ્લાસ્ટિકમાંથી બનેલ તથા વૉટરપ્રુફ હોવાના કારણે તેઓ સમુદ્રના પ્રવાહો સાથે તરવા-તણાવા માંડ્યાં. કર્ટિસ એબિસમાયર નામના એક સમુદ્રશાસ્ત્રીને આ રમકડાંઓમાં રસ પડ્યો. એણે દૈવજોગે બનેલી આ ઘટનામાં વિજ્ઞાન જોયું અને એ આ રમકડાંઓના અભ્યાસમાં મચી પડ્યો. જે સ્થળે ટાઇટનિક જહાજ ડૂબી ગયું હતું એ જગ્યાએ પણ ડૂબ્યા વિના આ રમકડાંઓ અલાસ્કા, હવાઈ અને આર્ક્ટિકના બર્ફીલા સમુદ્ર અને પ્રદેશોની મુસાફરી કરીને લગભગ સત્તર હજાર માઇલનું અંતર કાપીને પંદર વરસના લાંબા સમયગાળા બાદ બ્રિટન પહોંચ્યા. વિશ્વના મહાસમુદ્રોના પ્રવાહોની દિશા નક્કી કરવામાં આ રમકડાંઓના અભ્યાસે જે મદદ કરી એ અકલ્પનીય હતી. જે કામ ઢગલો નાણાં ખર્ચીને કરવામાં આવતું હતું એ કામ આ રમકડાંઓની મુસાફરીના નક્શાએ આસાન કરી દીધું. પ્રવાહોની દિશા પરથી પૃથ્વીની આબોહવાની આગાહી કરી શકાય છે. આ રમકડાં સમુદ્રી પર્યાવરણ પર પ્લાસ્ટિકના ગેરફાયદાઓ સિદ્ધ કરવામાં પણ કામ લાગ્યાં. ‘ફર્સ્ટ યર ઇન્ક’ કંપની, જેના માટે આ રમકડાં બનાવાયાં હતાં એ કંપનીએ જે-તે સમયે આ રમકડાં શોધીને કંપનીને પરત કરનારને પચાસથી સિત્તેર પાઉન્ડનો પુરસ્કાર આપવાની ઘોષણા કરી હતી, જે ઘટના પોતે આ રમકડાંઓનું મહત્ત્વ નિર્દેશે છે. આ રમકડાંઓને ‘ફ્રેન્ડલી ફ્લોટિસ’નું નામ આપવામાં આવ્યું. ટીવી પર આ બાબતની એક ડૉક્યુમેન્ટરી કવિએ જોઈ, એમાંથી આ કવિતા સર્જાઈ.

નાનકડા અભિલેખમાં પૂર્વભૂમિકા બાંધ્યા બાદ કવિ ઝડપભેર કવિતામાં આગળ વધવા કૃતનિશ્ચયી જણાય છે. એ કહે છે, ચાલો આગળ વધીએ અને ધારી લઈએ…. કવિની નજર સમક્ષ વર્ષો સુધી અને માઈલો સુધી તણાઈને છેવટે કિનારે આવવામાં સફળ રહેલા બતકોમાંના કેટલાક ઉપસ્થિત છે. કવિ લાંબી ચર્ચામાં ઊતરવાના મિજાજમાં નથી એટલે બતકનો રંગ પીળો હશે એમ ધારી લઈને પોતાની વાતમાં તરત આગળ વધવા માંગે છે. આગળ જતાં સમજાશે કે ન માત્ર રંગનો વિવાદ, નામનો-ઓળખનો વિવાદ સુદ્ધાં અહીં બેબુનિયાદ છે. મહત્ત્વ માત્ર હજારો માઇલ અને સેંકડો વર્ષોની મુસાફરી બાદ કોઈક કિનારો પ્રાપ્ત થવાનું જ છે. પોતે ભૌતિકશાસ્ત્ર કે વિજ્ઞાનના અભ્યાસુ નથી એ વાત સ્વીકારીને પણ કવિ પોતાની વાતમાં વૈજ્ઞાનિક તથ્ય છે જ એવું પ્રતિપાદિત કરી જણાવે છે કે આ રમકડાંઓની ત્વચા ખારાં પાણીની સામે તો હાર માને એવી નથી પણ સાથે જ એ સૂર્ય સામે ઝીંક ઝીલી શકે એમ નહોતી. એટલે આ રમકડાં મૂળે પીળાં હોવા જોઈએ એમ ધારી લઈને આપણે માત્ર એટલું જ પૂછી શકીએ છીએ કે આ રમકડાંઓની ત્વચા સમય સાથે ઝાંખી પડશે કે તપખીરી થશે. આ રમકડાંઓમાં કેટલાક રબરના હતાં તો કેટલાક પ્લાસ્ટિકનાં. કદાચ એટલે જ કવિએ અભિલેખમાં રબર શબ્દ પ્રયોજ્યો છે અને કવિતામાં પ્લાસ્ટિક. હશે, રમકડાં શેનાં બન્યાં છે એની પિષ્ટપેષણ કરતાં વધુ અગત્યનું કવિ જે મુદ્દો ઊઠાવવા માટે આ કવિતા લઈ આવ્યા છે એ છે. એટલે જે રીતે કવિ કહે છે એ જ રીતે આપણે પણ રબર અથવા પ્લાસ્ટિક ધારી લઈએ અને ચાલો આગળ વધીએ.

કવિને આ રમકડાંઓમાંથી એક પોતાની દીકરી માટે મેળવવાની નેમ છે. ઓહહો! તો આ કારણ હતું, આખી ભાંજગડનું! દરેક માણસની ભીતર એક બાળક જીવતું હોય જ છે. અને આ ભીતરી બાળકને જે વસ્તુ સ્પર્શી જાય પણ ઉંમર વચ્ચે અંતરાય બનીને ઊભી રહી ગઈ હોય એ વસ્તુ માણસ પોતાના સંતાન માટે મેળવવા ઝંખે જ છે. એક આ જ રીત છે જે રીતે માણસ પોતાની ભીતરના બાળકને સંતોષવાના શ્રેષ્ઠતમ કીમિયાની સૌથી નજીક જઈ શકે છે. આ રમકડાંઓની આંતરિક ઘડિયાળ સદીઓથી અનુમાનિત રહેલા સમુદ્રી પ્રવાહોની દયા પર આધારિત છે. અહીં આગળથી કવિતા જરા સંદિગ્ધ બનતી જાય છે. કવિને વાત રમકડાંઓની કે દીકરીની નથી કરવી પણ કવિને જ્યાં જવું છે, જેની વાત કરવી છે, ત્યાં જવા માટે કવિ પહેલા પગથિયા તરીકે એમનો ઉપયોગ કરે છે. સમુદ્રના પ્રવાહો વિશે અનુમાન કરવામાં આ રમકડાં ઉપયોગી બન્યાં એનો સંદર્ભ કવિ આ રીતે અહીં પ્રયોજી લે છે. વર્ષો સુધી હજારો માઇલ તરતાં રહીને કાંઠે પહોંચેલ આ રમકડાંઓને સાધારણ ન જ ગણી શકાય એ કવિ તો સમજે જ છે, આપણે પણ સમજવાનું છે. સમય અને વિપરિત સંજોગોની સામે ઝીંક ઝીલીને એ વિજયી થયાં છે એટલે કયા સમયે કાંઠો આવશે એ ઘડિયાળ સમુદ્રના પ્રવાહોની દયા પર નિર્ભર હતી એમ કહી દીધા બાદ તરત કવિને ખ્યાલ આવે છે કે આ ઘટના માટે દયા શબ્દ પ્રયોજવો અનુચિત છે. રમકડાંની મૌન સિદ્ધિ સમજનાર કોઈ પણ આ શબ્દ વાપરી શકશે નહીં એ હકીકત છે.

કવિને ખ્યાલ છે કે પોતે જે કહેવું છે એ સીધું ન કહીને કદાચ બેમતલબની વાત કરી રહ્યાં છે. કદાચ કંપનીના ગોડાઉનમાં પહોંચીને બજાર અને ત્યાંથી બાળક અને બાથટબ સુધીનું ગંતવ્ય ધરાવતા આ રમકડાંઓ માટે વરસો સુધી સમુદ્રમાં તણાઈને કોઈક અજાણ્યા કિનારે અજાણ્યા હાથોમાં પહોંચી જવું પણ એક બેમતલબ બાબત જ હતી. કવિ બેમતલબની વાત અને દરિયામાં તણાવાને સમાનાર્થી ગણાવે છે. કોઈપણ જાતનો અર્થ ન સરે એવી વાતો જ્યારે આપણે કરતાં હોઈએ છીએ ત્યારે કદાચ આપણે આ રમકડાંઓની જેમ જ દિશાહીન સમયહીન તરતાં-તણાતાં હોઈએ છીએ. ખરું ને?

દરિયાનું દરેક મોજું આરંભની સાથે જ અંત પણ લઈને જ જન્મે છે. આપણે સહુ પણ. આપણો જન્મ એ પોતે જ મૃત્યુની શરૂઆત નથી? આપણે જ આપણી શરૂઆત અને આપણે જ આપણો અંત. આ એક વસ્તુ સમજી લેવાય તો ઘણાખરા શોક કે અફસોસને જીવનમાં સ્થાન ન રહે. મોજું જન્મે છે અને ખતમ થાય છે. એક મોજું ખતમ થાય છે અને બીજું જન્મે છે. આમ, મોજાંઓની હારમાળા અનવરત ચાલ્યે રાખે છે પણ એની ઉપર બતક સ્વરૂપે સમય અને વાતાવરણની જીતીને જીવી રહેલ જે અસ્તિત્વ છે, એ કાયમ રહે છે. કવિ રમકડાંઓને સંબોધીને કહે છે અથવા જેની પાસે દીકરી માટે એક રમકડું માંગે છે એને કહે છે અથવા તો પોતાની જાતને જ સંબોધીને કહે છે કે આંતરરાષ્ટ્રીય પાણીઓમાંથી પસાર થઈને તમે કદાચિત કોઈક ઘટના જન્માવી હોત. માણસે જમીન અને પાણીને સરહદો નક્કી કરીને વહેંચી લીધા છે. રજા વિના કોઈક સરહદ તમે વટાવી નથી કે બબાલ થઈ નથી. આ રમકડાંઓ કેટલા બધા દેશોની માલિકીના પાણીઓ વટાવીને અહીં સુધી પહોંચ્યાં છે. પાણી માટે કવિ બહુવચન પ્રયોજે છે એ વાત ધ્યાન ખેંચે છે અને એ કારણોસર રમકડાંઓની આ યાત્રા પણ વધુ ધ્યાનાર્હ બને છે. જ્યાં એ પહોંચી ગયાં છે ત્યાં કોઈ એમને જાણતું નથી, અને જે હાથોને એમની આશા હતી એ હાથો સુધી એ કદી પહોંચી જ શક્યા નથી. તમે એને દેશ છોડી જનાર નઠોર દેશાગત ગણો કે મુક્ત વિહાર કરી મનફાવે ત્યાં આશ્રય લેનાર નિર્વાસિત ગણો, તેઓ કોઈ પણ જાતની ઓળખની ધજા વિના, તમામ સરહદોને ભૂંસતાં ભૂંસતાં અહીં આવ્યાં છે. એમની ઉપર સિક્કો જરૂર લાગેલો છે પણ એ સિક્કો તમારા નામનો નથી. મતલબ એમની પોતીકી ઓળખ છે જે તમારી માલિકીથી પર છે.

આખી વાત ટૂંકમાં જબરદસ્તી એક યા બીજા કારણોસર પોતાનો દેશ કે મુલ્ક ત્યજવાની જેને ફરજ પડી છે એવા નિર્વાસિતોની કે સ્વેચ્છાએ વતનત્યાગ કરીને અન્ય દેશને પોતાનું ઘર બનાવવા નીકળેલ દેશાગતો કે દેશાંતરવાસીઓની મુસાફરીની છે. કવિના માબાપ વતન છોડીને પરભોમમાં સ્થાયી થયા એ વખતે કવિ તો બહુ નાના હતા પણ નિર્વાસિતોની કથા-વ્યથા એમણે આખું જીવન કાનેથી પીધે રાખી છે. આ કથા-વ્યથા રમકડાંઓની જેમ જ એમની ભીતર વર્ષોના વહાણાં વહાવા અને જિંદગીના સૂરજોની અનેક થપાટો ખાવા બાદ પણ ડૂબવા પામી નથી, અને આખરે એક ડૉક્યુમેન્ટરીના પ્રતાપે કાગળની સપાટી પર તરી આવી. એલિઝા ગ્રિસ્વૉલ્ડ એક કવિતામાં લખે છે: ‘અહીં દરેક વ્યક્તિ દેશાંતરવાસી છે. દરેક જણ ક્યાંક બીજેથી જ આવ્યું છે.’ એક મજાના ગીતમાં સુન યુન્ગ શિન કહે છે: ‘દરેક પક્ષી -જેઓ ઊડી નથી શકતાં તેઓને પણ- પાંખો હોય છે.’ પોતે જે જમીન પર જન્મ્યાં છે, એ જમીન, એ ઘર, એ સમાજ, એ સંબંધો છોડીને-તોડીને બિલકુલ અણજાણ ભોમ પર જીવન વીતાવવા નીકળેલ માણસ કેટલો મોટો નિર્ણય લે છે, કેટલો હિંમતવાન હશે! ‘છે’ની દુનિયા ત્યજીને ‘હશે’ની દુનિયામાં કૂદકો હિંમતના કે મજબૂરીના પેરાશૂટ વિના મારવો દોહ્યલો છે. બીજી ભૂમિ પર ઝંડો ગાડવા નીકળવા માટે પ્રથમ જાતના ઝંડા છોડવા જરૂરી બને છે. ધજાહીન થયા પછી જ સરહદહીનતામાં પ્રવેશી શકાય છે. માથે દેશનો સિક્કો તો લાગ્યો છે, પણ દેશાગતો-નિર્વાસિતોનું ખુદનું નામ, નિજની ઓળખ સ્થળાંતરના ખારાં પાણી અને સંજોગોના સૂર્યના તાપમાં મૂળ રંગ ગુમાવી બેઠું હોય છે. યુદ્ધ કે આપખુદ શાસકોના ભયથી ઘરબાર ત્યજી ભાગનાર નિર્વાસિતો આખરે શું છે? સત્તાના હાથમાં તરતા રમકડાં જ ને? પૉલ વેલેરીએ કહ્યું હતું: ‘કવિતા ક્યારેય સમાપ્ત થતી નથી, એ માત્ર ત્યજી દેવામાં આવે છે.’ રમકડાંઓની યાત્રા તો કિનારે આવીને ખતમ થઈ જાય છે પણ નિર્વાસિતોની કવિતા તો ત્યાંથી જ શરૂ થાય છે..

ગ્લૉબલ કવિતા : ૧૧૨ : હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !

છે ચન જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાબ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક !

-રાજેન્દ્ર શુક્લ

ગઝલ કે આધ્યાત્મનું મેઘધનુષ ?

                 ગઝલના બે પ્રમુખ રંગ કયા? તો કે, ઈશ્કે-મિજાજી (લૌકિક પ્રેમ) અને ઈશ્કે-હકીકી (અલૌકિક પ્રેમ). મોટાભાગની ગઝલો આ બેની રંગચ્છાયામાં ગતિ કરતી જોવા મળે છે. ગઝલના મુખ્ય અંગ કયા એમ પૂછીએ તો સાંઈ કવિ મકરન્દ દવે કહેશે: ‘અંદાજે-બયાઁ (અભિવ્યક્તિ), હુસ્ને-ખયાલ (સૌંદર્યબોધ), મૌસિકી (સંગીતમયતા), અને મારિફત (આધ્યાત્મિક્તા).’ આધ્યાત્મિક્તાને તેઓ ‘વાણીના લોહીમાં વહેતું રસાયન’ કહી કવિતાનો પ્રાણ ગણાવે છે. ઇલ્મે-તસવ્વુફ (સૂફી અધ્યાત્મવિદ્યા) પણ નજીકનો જ એક રંગ છે. ગુજરાતી ભાષામાં છેલ્લા કેટલાક દાયકાઓ ગઝલની સદાબહાર વસંતના છે. એક જમાનામાં જેમ બધા જ કવિઓ સૉનેટ પર હાથ અજમાવતા હતા, એમ આજે લગભગ બધા જ કવિઓ ગઝલ કહે છે. ઈશ્કે-હકીકી, મારિફત કે ઇલ્મે-તસવ્વુફના રંગ ગઝલમાં કદી સાયાસ આવી જ શકે નહીં એ હકીકતથી અણજાણ મોટાભાગના કવિઓ પોતાની ગઝલની કક્ષા ઊંચી છે એવું સિદ્ધ કરવા માટે આધ્યાત્મ પર હાથ અજમાવે છે. ગહન અભ્યાસ, પ્રખર વાંચન તથા ઊંડી નિસબતના અભાવે આ ગઝલો મુશાયરાઓ તો ડોલાવી શકે છે પણ સમયની સરાણ પર ટકી શકતી નથી. ગઝલના અડાબીડ જંગલમાં ફૂટી નીકળેલા બાવળિયાઓની વચ્ચે એક ચંદનવૃક્ષ વર્ષોથી પોતાની સુગંધ મંદ-મંદ પ્રસરાવી રહ્યું છે, જેને આપણે બાપુ કે રા. શુ. તરીકે ઓળખીએ છીએ.        

                 રાજેન્દ્ર શુક્લ. જન્મ ૧૨-૧૦-૧૯૪૨ના રોજ વિદ્યાબહેન તથા અનંતરાયના ઘરે બાંટવા, જૂનાગઢ ખાતે. શાળેય શિક્ષણ ગામમાં અને સ્નાતક (૧૯૬૫) તથા અનુસ્નાતક (૧૯૬૭) કક્ષાનું શિક્ષણ અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાં. ૧૪ વર્ષની વયે એમને ખ્યાલ આવી ગયો હતો કે પોતે કવિ બનવા સર્જાયા છે. ૨૦ વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય કુમારમાં પ્રગટ થયું. આ જ અરસામાં જૂનાગઢ ખાતે દર મંગળવારે થતી કવિઓની બેઠકમાં તખ્તસિંહ પરમારે કહ્યું હતું કે અહીં આવતા બે નવોદિત કવિઓની રચના મારા વર્ગખંડમાં ભણાવવામાં આવશે. આગાહી નખશિખ ખરી પડી. એ બે કવિ તે મનોજ ખંડેરિયા અને રાજેન્દ્ર શુક્લ. ૨૮ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ કોમલ રિષભ પ્રગટ થયો. ૧૯૮૦માં દાહોદની નવજીવન આર્ટસ કોલેજમાંથી રાજેન્દ્ર શુક્લ (સંસ્કૃત) અને એમના પત્ની નયના જાની (અંગ્રેજી)એ સાંપ્રત શિક્ષણ પ્રથાને તિલાંજલિ આપી નિવૃત્તિ લીધી અને બંને પુત્રો ધૈવત અને જાજવલ્યને શાળાનું શિક્ષણ આપવાના બદલે ઘરનું શિક્ષણ આપવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો. કોઈપણ માન્ય ડિગ્રી વિના પણ બંને પુત્રો પોતાની કારકિર્દી બનાવી શક્યા એ કવિએ પ્રવર્તમાન શિક્ષણવ્યવસ્થામાં રહેલ અવ્યવસ્થાને પકડાવેલો રોકડિયો જવાબ છે. એમના ઘરે ટેલિવિઝન પણ નથી અને અખબાર પણ આવતાં નથી. લગ્ન બાદ એમણે વાળ-દાઢી કપાવ્યાં નથી. લાંબા સફેદ દાઢી-મૂછ, સાક્ષાત્ શિવનું સ્મરણ કરાવે એવા લાંબા છૂટા જટા સમ વાળ, કેસરી ઝભ્ભો, ગળામાં રુદ્રાક્ષની માળા, ખભે થેલો અને આંખે ચશ્માં- ‘બાપુ’ને જોઈએ ત્યારેકોઈ અલગારી ઓલિયાને મળ્યાનો ભાસ થયા વિના ન રહે. હાલ કવિ સપરિવાર અમદાવાદ ખાતે રહે છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં કોઈ પુરસ્કાર એવો નથી જે એમને અર્પણ ન થયો હોય.

                  લિવિંગ લેજંડ’ કહી શકાય એવા રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. એમની કવિતા વાંચીએ તો લાગે કે એ શબ્દો કને નથી જતા, શબ્દો એમની કને સહસા સરી આવે છે, જાણે કે આ એમનું એકમાત્ર સાચું સરનામું ન હોય! શબ્દના તળમાં ઠેઠ ઊંડે ડૂબકી લગાવ્યા બાદ હાથમાં આવેલા અલભ્ય મોતીની ચમક એમના કાવ્યોમાં આવ્યા વિના રહેતી નથી. મૌનને બોલતું સાંભળવું હોય તો એમની કવિતાનો ભગવો ધારણ કરવો પડે. ભગવો માત્ર એમના દેહ પર જ નહીં, એમના શબ્દોમાં પણ સરી આવ્યો છે. રાજેન્દ્રભાઈની કવિતા એટલે જાણે આત્માનો પરમાત્મા સાથેનો ચિરંતન વાર્તાલાપ. એમની કવિતાનો પ્રમુખ રંગ ગઝલનો. ગુજરાતી ગઝલને તો એમણે એકલા હાથે નવી દિશા બતાવી છે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય. ગુજરાતી, ઉર્દૂ, સંસ્કૃત, વ્રજભાષા, તળપદી અને ખડી બોલીનો અદભુત સમન્વય એટલે રા.શુ. એમની ગઝલના શેરો વિશિષ્ટ અભિવ્યંજના લઈને સામાન્ય પ્રતીકોમાંથી અસામાન્ય કલ્પનલીલા સર્જે છે, જેના અર્થ-વર્તુળો ધીમે-ધીમે આપણી અંદર કંઈક હચમચાવતા હોય એવું ભાસે છે. ગઝલોપરાંત અછાંદસ, છંદોબદ્ધ તથા ગીતોમાં પણ એમનો યથેચ્છ વિહાર છે.  

                 આમ તો ગઝલમાં બધા જ શેર એક સ્વતંત્ર એકમ ગણાય છે એટલે કે એક શેર પૂર્વમાં જાય, બીજો પશ્ચિમ ને ત્રીજો ઉત્તરમાં જાય અને ચોથો કોઈ દિશામાં ગયા વિના સ્થિર જ ઊભો રહે એ શક્ય છે. પણ તોય એક સૂક્ષ્મ વિચારના તાંતણે આખી ગઝલ સળંગસૂત્રી લાગે એમ બંધાયેલ હોય તો એ આપણને વધુ ગમી જાય છે. કેટલીક ગઝલ એના બધા જ શેરમાં સળંગ એક જ વિચારનું વહન કરતી જોવા મળે છે, જેને આપણે મુસલસલ ગઝલ તરીકે ઓળખીએ છીએ. રાજેન્દ્ર શુક્લની પ્રસ્તુત ગઝલ મુસલસલ ગઝલનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. અહીં પ્રયોજાયેલી લગાગાના ચાર આવર્તનવાળી મુત્કારિબ મુસમ્મન સાલિમ બહેર એમાંથી નિપજતા પ્રવાહી સંગીતના કારણે ખૂબ લોકપ્રિય છે. આ હમરદીફ-હમકાફિયા ગઝલનું ઊડીને આંખે વળગે એવું લક્ષણ એના કાફિયાની વિશેષતા છે. અચાનક, કથાનક જેવા કાફિયા તો સહેજે પ્રયોજાતા આપણે જોઈએ છીએ પણ પાનક, નાનક, ગાનક અને આનક જેવા અનૂઠા કાફિયા તો રા.શુ.ની કલમમાંથી જ જન્મી શકે. સાત શેરની આ ગઝલ કવિએ ખુદ એમની એકસમયે કાર્યરત્ વેબસાઇટ ઉપર ટિપ્પણી કરી હતી.એ ટિપ્પણી વિના બે-ચાર સંદર્ભ ચૂકી જવું જરાય અસંભવ નથી. સાત શેરમાં કવિએ અલગ-અલગ ભાષા-સંસ્કૃતિની સાત ભક્તપ્રતિભાઓની વાત કરી છે એ જોતાં આ ગઝલને આધ્યાત્મનું મેઘધનુષ કહી શકાય.

                 એક પછી એક શેર હાથમાં લઈએ:

                 હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
                 તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

                 મુસાફરી કોઈ પણ હોય, શરૂઆત તો ઘરથી જ થાય છે. સાત શેરોમાં આધ્યાત્મના સાત મુકામના પ્રવાસે લઈ જતી આ ગઝલની શરૂઆત પણ ઘરથી જ થાય છે. જૂનાગઢના ઋષિકવિ જૂનાગઢના આદિકવિ નરસિંહ મહેતાને સ્મરે છે. નરસિંહ એટલે ગિરનારની તળેટીમાંથી કરતાલના તાલે ઊઠતો ભક્તિમાં સરાબોળ સાદ. કવિની પહેલી અભીપ્સા છે કે હાથમાં કરતાલ હોય. કરતાલ એ આત્માના તારને પરમાત્મા સાથે જોડવાનું સાધન માત્ર છે. કરમાં કરતાલ લેવાનો મતલબ ધ્યેય નક્કી કરવું. પણ માત્ર કરતાલ કાફી નથી, ચિત્તમાં એ ચાનક પણ હોવી ઘટે જે નરસૈયામાં હતી. પોતાનું સ્થાનક પણ કવિ ગિરનારની તળેટીની નજીક જ ક્યાંક ઝંખે છે. જ્યાં વિક્રમાદિત્યનું સિંહાસન દટાયેલું હતું એ માટીના ટીંબા પર બેસીને ન્યાય તોળતા ભરવાડના છોકરાને જોઈને રાજા ભોજ આશ્ચર્યચકિત થઈ ગયેલો. સ્થાનનો મહિમા આ કથામાં સમજાય છે. ‘મન ચંગા તો કથરોટમેં ગંગા’ તથા ‘ઈશ્વર કણકણમાં છે’ એમ બોલવા છતાંય ગંગા જઈને નહાવાનું કે મંદિર જઈને ભક્તિ કરવાનું આપણે ત્યજતા નથી કેમકે મૂળ મહિમા સ્થાનનો છે. એટલે જ કવિ પણ તળેટીની નજીકમાં જ સ્થાનક ઝંખે છે. જૂનાગઢ કવિની માત્ર જન્મભૂમિ નથી, ભાવભૂમિ છે, સ્વભાવભૂમિ છે. એટલે જ કવિ અહીંથી શરૂઆત કરે છે.

                 લઈ નાંવ થારો સમયરો હળાહળ,
                 ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

                 ગુજરાતી સંતકવિના સંદર્ભવાળો પ્રથમ શેર ગુજરાતીમાં છે તો બીજા શેરમાં રાજસ્થાનનો ગેરુઓ નજરે ચડે છે. કવિ ઈશ્વરને કહે છે કે તારું નામ લઈને, સ્મરીને હળાહળ હોઠે ધર્યું કે તરત જ એ અમૃત સીંચેલું પીણું બની ગયું. રાણાએ મોકલાવેલો વિષનો પ્યાલો હરિનામ લઈને ગટગટાવી જવા છતાં પણ મીરાંબાઈનો વાળ પણ વાંકો થયો નહોતો એ ઘટના યાદ આવી જાય છે. ‘વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે; હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે…’ (ગેમલ) મીરાંબાઈ પોતે પણ કહી ગયાં: ‘जहर का प्याला राणा भेज्या, अमृत दीन्ह बनाय। हाथ धोय जब पीवण लागी, हो गई अमर अँचाय।’ અન્ય એક પદમાં: ‘विष को प्यालो राणोजी भेज्यो, द्यौ मेडतणी णे पाय। कर चरणामृत पी गई रे, गुण गोविन्द रा गाय।’ એમના સેંકડો પદમાં આ ઉલ્લેખ જોવા મળે છે. પ્રસ્તુત શેર વિશે કવિ પોતે કહે છે: ‘અનન્ય શ્રદ્ધાના પરિણામે વિષનું અમૃતમાં પરિવર્તન-ની અનુશ્રુતિનો સંદર્ભ. સમયના હળાહળનું, બાહ્ય જગતની પ્રતિકૂળતાઓનું સશ્રદ્ધ નામસ્મરણના પ્રતાપે પરમ અનુકૂળતામાં પરિણત થવાની અનુભૂતિનું કથન.’ ગઝલ તો ગઝલ, એની સમજૂતી માટેય કવિ જે અનુભવકોશ ખોલે છે, ત્યાં સુધીની પહોંચ ભાગ્યે જ આજની પેઢીના કોઈ સર્જકના શબ્દકોશની હશે!    

                 સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
                 તિલક કોઈ આવીને કરશે અચાનક.

                 શેર વાંચતા જ તુલસીદાસ નજર સમક્ષ આવી જાય. ‘चित्रकूट के घाट पर भई संतन की भीर, तुलसीदास चंदन घिसे तिलक करे रघुवीर।’ ઓરસિયા પર સુખડનું લાકડું ઘસાયે રાખે અને ચંદનનો સુગંધી લેપ ઉતરતો રહે અને રઘુનંદન આવીને અચાનક તિલક કરશે એવી શ્રદ્ધા કવિને શબ્દોમાં છે. કવિએ શબ્દોના ખોળે માથું મૂકી દીધું છે. સુખડના લાકડાંની જેમ કવિ શબ્દોની સાધનામાં જાત ઘસી રહ્યા છે. કવિ એક જગ્યાએ કહે છે: ‘ગઝલ આવે તો તેને ઝીલી શકે એવો અવકાશ રાખું છું, ખાલી રહું છું. હું માનું છું કે, કવિતાના આરંભથી અંત સુધી કવિની ચેતનામાં કંઈ ન ઉમેરાય તો તે રંક છે. શેરની વાત તો પછી. પ્રત્યેક શબ્દ પોતાનું વિશ્વ લઈને બેઠો છે. શબ્દમાં તાકાત છે.’ કવિનો શબ્દ શબ્દકોશમાંથી નહીં, જીવનકોશમાંથી આવતો હોય છે. શબ્દકોશમાંથી જ જો કવિતા બનતી હોય તો દુનિયામાં કોઈ અ-કવિ હોય જ નહીં. પણ જ્યારેતમે શબ્દોના, સરસ્વતીના પનારે આખું જીવતર ઘસાવા મૂકી દો છો ત્યારે એમાંથી આધ્યાત્મ આપોઆપ પ્રકટ થાય છે અને પરમકૃપાળુના આશિષ તિલક બનીને લલાટનું ગૌરવ કરે છે. સાધના વિના સાર્થક્ય નથી. કવિ એક જગ્યાએ કહે છે: ‘બધા મારી કવિતાને અધ્યાત્મ સાથે જોડે છે. ભાઈ, હું કહું છું બધું અધ્યાત્મ છે. મારે મન સર્જન સ્વ સાથેનું અનુસંધાન છે. મને પામવા માટે મને મળેલું સાધન એ શબ્દ છે.’ સ્વ સાથે અનુસંધાન થાય તો શબ્દ-કવિતા સામે ચાલીને ચંદનતિલક કરે.   

                 અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
                 મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક!

                 શેર વાંચતા જ સાળ પર ચાદર વણતા સંત કબીરની છબી તરત તાદૃશ થઈ આવે. ‘दास कबीर जतन करि ओढी, ज्यों की त्यों धर दीनी चदरिया।’ કબીરનો સંસાર પ્રતિનો અભિગમ बाजार से गुजरा हूँ, खरीदार नहीं हूँ વાળો હતો. સંસારની વચ્ચોવચ તેઓ સંન્યાસી હતા. પરમાત્માએ આપણને સહુને સંસારમાં કોરી પાટીરૂપે જ મોકલ્યા છે. આપણે જીવનભર એમાં અક્ષરોના ગુંચવાડા પાડ્યે રાખ્યે છીએ. આવીએ ત્યારે તો કોરાં જ આવીએ છીએ પણ જઈએ ત્યાં સુધીમાં એટલું લખાઈ જાય છે કે કોઈને વાંચવુંય હોય તો વાંચી ન શકે. પણ કબીર સાફ હતા. દાતા તરફથી મળેલ કોરા કથાનક અંગે તેઓ જાણતલ હતા અને એટલે જ કહે છે કે અમે માત્ર જતનથી નહીં, ઝીણેરાં જતનથી એ સાચવ્યું છે. ચારિત્રની ચાદર પર એકેય ડાઘ ન પડે એમ સાચવવી દોહ્યલી છે. પણ કબીર કટિબદ્ધ હતા. સંસારના કાદવમાં રહેવા છતાંય ન ખરડાવાની કમળીય નિર્લેપતા એમણે સિદ્ધ કરી હતી. ઈશ્વરે જે આપ્યું છે, જે સ્વરૂપે આપ્યું છે એ એમનું એમ જ પરત કરવા તેઓ કૃતનિશ્ચયી હતા. ઊંચી આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા કરતાંય ચારિત્ર્ય કે વ્યવહારમાં ડાઘ ન પડવા દેવું શું વધુ ઇચ્છનીય નથી?             

                 છે ચન જેનું એનાં જ પંખી ચૂગે આ,
                 રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

                 ગુરુ નાનકનું નામ પોતે જ કાફિયો બનીને શેરમાં પ્રવેશતું હોવાથી કવિ ગઝલમાં પ્રથમવાર મુખર થયા છે. કવિ પોતે આ મુખરતાને ‘પ્રાસાનુરોધની અનિવાર્યતાને કારણે ‘નાનક’ એ વિશેષ નામનો અભિધામૂલક પ્રયોગ’ ગણાવે છે. નાનક નાના હતા ત્યારે શાળામાં અભ્યાસમાં એમનું મન લાગતું નહોતું એનો ખ્યાલ આવતા પિતાએ એમને ખેતરની દેખભાળનું કામ સોંપ્યું. ખેતરમાં પક્ષીઓને દાણા ચણવા આવતાં જોઈને નાનકને તો જાણે સમાધિ લાગી જતી. પાકની જાળવણી કરવાના બદલે એ તો ‘राम की चिडिया, राम का खेत, खा लो चिडिया भर भर पेट’ ગાતાં-ગાતાં પક્ષીઓને સામે ચાલીને દાણા ખાવા આમંત્રણ આપતા. જે છે એ સઘળું ઈશ્વરનું જ છે તો આપણામાં આ માલિકીભાવ કેમ? આ મમત્વ શા માટે? આ આસક્તિ શા માટે? નાનકે જે બાળપણથી હાંસલ કરી હતી એ અનાસક્તિ અને ‘હું’હીનતા પ્રાપ્ત કરવા માટે હાથ હેઠાં રાખીને સાક્ષીભાવે સંસારને જોવાની તટસ્થતા પ્રાપ્ત થાય છે. મમત્વ દૂર થાય ત્યારે જ સમત્વ પ્રાપ્ત થાય છે. પંજાબી બોલીની લઢણ શેરમાં સહજ વણી લવાઈ છે એ કવિકર્મની વિશેષતા.            

                 નયનથી નીતરતી મહાભાબ મધુરા,
                 બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

                 કૃષ્ણરસમાં તરબોળ બાળ નિભાઈને એના આગ્રહને વશ થઈ સંન્યાસી ઈશ્વરપુરી સ્વામીએ દીક્ષા તો આપી પણ વૃંદાવન જવાના બદલે એની જન્મભૂમિ નવદ્વીપમાં જ કૃષ્ણભક્તિની રસધારા વહેવડાવવાનો અનુરોધ પણ કર્યો.બંગાળનો એ પ્રદેશ એ સમયે ગૌડ દેશ તરીકે જાણીતો હતો. નિભાઈ આગળ જતાં ચૈતન્ય મહાપ્રભુ તરીકે જાણીતા થયા અને એમનો સંપ્રદાય ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય તરીકે ખ્યાત થયો. પ્રસ્તુત શેરમાં કવિએ ચૈતન્ય મહાપ્રભુની તસ્વીર ઉજાગર કરી છે. કવિની લાક્ષણિકતા મુજબ શેરની ભાષામાં બંગાળી ભાષાનો સંસ્પર્શ પણ અનુભવાય છે. મહાપ્રભુના કરુણાસભર નેત્રોમાંથી મધુરો મહાભાવ અહર્નિશ નીતરતો રહેતો. ‘हरे-कृष्ण हरे-कृष्ण कृष्ण-कृष्ण हरे-हरे, हरे-राम हरे-राम राम-राम हरे-हरे’ના અખંડ ગાનની સ્વચ્છ ધારા અનવરત વહેતી રહે, અને એ થકી સ્વ ઓગળી જાય અને આત્મા-પરમાત્માનું અદ્વૈત-સાયુજ્ય સ્થપાય એની આરત અહીં ઉપસી આવે છે.      

                 શબોરોઝ એની મહકનો મુસલસલ,
                 અજબ હાલ હો ને અનલહક હો આનક!

                 આખરી શેરમાં મન્સૂર-બિન-હલ્લાજનો સંદર્ભ વણી લેવાયો છે. નવમી સદીમાં બૈજા નગરમાં હુસેનહલ્લાજને ઘેર જન્મેલ મન્સૂર-બિન-હલ્લાજ સૂફી મસ્તરામ હતા. એ જે ‘અનલહક’ –अन अल हक़्क़– હું હક-ખુદા છું/હું સત્ય છું-નું રટણ કરતા હતા, જે ભારતીય અદ્વૈત સિદ્ધાંત -अहं ब्रह्मास्मि– ‘હું જ બ્રહ્મ છું’નું સમાનાર્થ ગણી શકાય. અનલહક સૂફીધારાના ચાર તબક્કા છે: શરીયત, તરીકત, મારફત, હકીકત. શરીયતમાં નમાજ, રોજા વિ.નો અમલ કરવાનો રહે છે. એ પછી તરીકતમાં પીરનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું રહે છે. ત્રીજા તબક્કા મારફતમાં માણસ જ્ઞાની થાય છે અને અંતિમ ચરણ હકીકત સુધી પહોંચતાં એ સત્ય પ્રાપ્ત કરી લે છે અને ખુદને ખુદામાં ફના કરી લે છે. દ્વૈતભાવ મટી જાય છે. મન્સૂરની આ પ્રવૃત્તિને ઈસ્લામવિરોધી ગુસ્તાખી ગણી એમને ક્રૂરતાપૂર્ણ ત્રાસ અપાયો હતો. પણ એ ઓલિયાને એની પરવાહ નહોતી. અંતે બગદાદના ખલીફા મક્તદિરે એમને શૂળી ઉપર ચડાવી દીધા અને ઈસ્લામના ધારા વિરુદ્ધ એમના શબને બાળીને રાખ કરાવ્યું.

                 કવિના અંતર્મનમાંથી આ શેર સાવ અણધાર્યો ઉપસી આવ્યો હોવાનું કવિ કહે છે. આખી ગઝલ ભજનસાદૃશ છે પણ આખરી શેરમાં અરબી-ફારસી શબ્દોનો સંસ્પર્શ, સૂફી વિચારધારા અને મન્સૂરની પ્રખ્યાત સૂક્તિ ‘અનલહક’ની ઉપસ્થિતિ એને ગઝલમૂલક ઓપ આપવામાં સફળ રહે છે. કવિએ આનન અર્થાત્ મુખ શબ્દમાં લુપ્તસપ્તમીનો પ્રયોગ કરીને ‘આનક’ અર્થાત્ ‘મુખમાં’ એવો શબ્દ નિપજાવ્યો છે જે પુનઃ સાર્થક અને સક્ષમ કવિકર્મની સાહેદી પુરાવે છે. જે રીતે સાચો સંત દરેક મનુષ્યને સમાન ભાવથી સત્કારે છે એ જ રીતે સંતકવિ રા.શુ.એ અહીં ‘અમીયેલ’થી માંડીને ‘શબોરોઝ’ સુધીના અલગ-અલગ ભાષા અને સંસ્કારના શબ્દોને એક જ રચનામાં ગોઠવીને સાચો કવિધર્મ બજાવ્યો છે. રાતદિવસ એ પરમ તત્ત્વની સુગંધ અવિરત અનુભવાતી રહે એવો અજબ હાલ આત્માનો થાય ત્યારે મુખમાં સતત હું જ બ્રહ્મ છુંની રટણા આપોઆપ રહે અને દિવ્યસમાધિ અને અનિર્વચનીય ઐક્યભાવની અવસ્થા જન્મે.

                 ગુજરાતી ગઝલમાં સીમાચિહ્ન ગણી શકાય એવી આ માતબર રચનાના અંતે કવિએ શા માટે પોતાના અનર્ગળ સ્નેહનો કળશ ગઝલરાણી પર ઢોળ્યો છે એ જાણીને વાત પૂરી કરીએ: ‘લાઘવ અને સંક્ષેપપ્રેમના કારણે ગઝલ મને ગમે છે. તેમાં વ્યંજનાને અવકાશ છે. મારી ગઝલના શેર પેલી એકસરખા શબ્દવાળા શેરની કોલમમાં નહીં મળે એનું કારણ છે કે, સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કહે છે કે, ગઝલમાં કોઈ ભાવ સ્વશબ્દવાંચ્ય નથી, તેને માટે સંદર્ભ રચવો પડે. કવિતામાં ટાઇમલેસનેસ અગત્યની વાત છે. ‘આઇ-ધાઉ’થી શરૂ કરી ‘આઇ-ઓલ’ રિલેશનશીપમાં પરિણમતી એ ઘટના છે તેવી મારી સમજણ છે.’

ગ્લૉબલ કવિતા : ૧૧૧ : રેઇનકોટ – અદા લિમોન

The Raincoat

When the doctor suggested surgery
and a brace for all my youngest years,
my parents scrambled to take me
to massage therapy, deep tissue work,
osteopathy, and soon my crooked spine
unspooled a bit, I could breathe again,
and move more in a body unclouded
by pain. My mom would tell me to sing
songs to her the whole forty-five minute
drive to Middle Two Rock Road and forty-
five minutes back from physical therapy.
She’d say, even my voice sounded unfettered
by my spine afterward. So I sang and sang,
because I thought she liked it. I never
asked her what she gave up to drive me,
or how her day was before this chore. Today,
at her age, I was driving myself home from yet
another spine appointment, singing along
to some maudlin but solid song on the radio,
and I saw a mom take her raincoat off
and give it to her young daughter when
a storm took over the afternoon. My god,
I thought, my whole life I’ve been under her
raincoat thinking it was somehow a marvel
that I never got wet

– Ada Limón

રેઇનકોટ

જ્યારે ડોક્ટરે સર્જરી કરાવવાનું

અને મારી તરુણાવસ્થા માટે બ્રેસ પહેરવાનું સૂચવ્યું,

મારા મા-બાપ તરત જ હડી કાઢતાં મને લઈ ગયા

માલિશ ચિકિત્સક પાસે, ફિઝિયોથેરાપીસ્ટ પાસે,

હાડવૈદ પાસે, અને જલ્દી જ મારી વાંકી કરોડરજ્જુ

થોડી સીધી થઈ, હું ફરી શ્વાસ લઈ શકતી હતી,

અને વધુ હરીફરી શકતી હતી દર્દના વાદળ છટી ગયા બાદના

શરીરમાં. મિડલ ટુ રોક રોડ પર થઈને ફિઝિયોથેરાપી માટે જતી અને

આવતી વેળાની પોણા કલાકની સમગ્ર મુસાફરી દરમિયાન    

મારી મમ્મી મને ગીતો ગાઈ સંભળાવવા કહેતી.

એ કહેતી, મારો અવાજ સુદ્ધાં પછી તો મારી કરોડરજ્જુની

ચુંગાલમાંથી મુક્ત થયેલો લાગતો. એટલે, હું તો બસ ગાયે જ રાખતી,

કેમ કે મને લાગતું કે એ એને ગમતું હતું. મેં એને કદી પૂછ્યું જ નહોતું

કે મને લઈ જવા-આવવા માટે એણે શું છોડવું પડ્યું હતું,

કે આ નવી દિનચર્યા પહેલાં એનો દિવસ કેવો હતો. આજે,

એની ઉમરે પહોંચીને, કરોડરજ્જુની વળી એક એપૉઇન્ટમેન્ટથી પરવારીને

હું ઘર તરફ ડ્રાઇવ કરી રહી હતી, રેડિયો પર વાગી રહેલા

કો’ક ગાંડાઘેલા પણ મજાના ગીતના સૂરમાં સૂર પુરાવતી,

અને મેં એક માને એનો રેઇનકોટ ઉતારતી

અને એની નાનકી દીકરીને આપતી જોઈ જ્યારે

ઢળતી બપોરે એક ઝાપટું અચાનક આવી ચડ્યું. હે ભગવાન,

મેં વિચાર્યું, જિંદગીભર હું એના રેઇનકોટની

અંદર જ હતી, એમ વિચારતી કે કોઈક ચમત્કાર જ હશે

કે હું કદી ભીની જ ન થઈ.    

– અદા લિમોન

(અનુ.: વિવેક મનહર ટેલર)   

ऐ माँ! तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी?

                મા-બાપ અને સંતાન. એક એવો સંબંધ જેને માપવા માટે દુનિયાની તમામ ફૂટપટ્ટી વામણી જ સાબિત થાય. એમાંય મા તો સર્વોત્તમ. દુનિયાની ગરીબમાં ગરીબ મા પણ સંતાનને પ્રેમ કરવામાં દુનિયાના અમીરમાં અમીર માણસથી વધુ અમીર હોય છે. બાળકની ખૂબીઓ જોવા માટેના ચશ્માં ઈશ્વરે માત્ર માને જ આપ્યા હોય છે. કોઈકે બહુ સાચું કહ્યું છે કે ભગવાન દરેક વખતે દરેક જગ્યાએ હાજર રહી શકતો નથી એટલે એણે માનું સર્જન કર્યું. હિંદી ફિલ્મ જગતે માને બે પંક્તિમાં જે અંજલિ આપી છે એ કોઈપણ મહાકાવ્યથી કમ નથી: ‘उस को नहीं देखा हमनें कभी पर इसकी ज़रूरत क्या होगी, ऐ माँ! तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी?’ (મઝરુહ સુલતાનપુરી) એક ચાઇનીઝ કહેવત છે: ‘દુનિયામાં એક જ બાળક સૌથી વહાલું છે, અને દરેક મા પાસે એ હોય છે.’ મા વિશેની આવી બીજી હજારો-લાખો સૂક્તિઓની યાદ અપાવે એવી મજાની કવિતા અમેરિકન કવયિત્રી અદા લઈ આવ્યાં છે.

                અદા લિમોન. ૨૮-૦૩-૧૯૭૬. સોનોમા, કેલિફૉર્નિયામાં મોટા થયાં. બચપણથી જ કળા અને કળાકારોથી આકર્ષાયાં હતાં, જેમાં એક એમની પોતાની મા પણ હતી. વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં નાટ્યકળાનો અભ્યાસ કર્યો. ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સમાં અનુસ્નાતક થયાં. બાર વર્ષ ન્યૂ યૉર્કમાં ગુજાર્યા બાદ હાલ તેઓ લેક્સિંગ્ટન, કેન્ચુકી અને કેલિફૉર્નિયા –એમ ત્રણ શહેરમાં પોતાના જીવનને વહેંચી દઈને જીવે છે. બે યુનિવર્સિટીમાં શિક્ષિકા છે અને ફ્રી-લાન્સ લેખિકા છે. માત્ર ૪૨ વર્ષની નાની વયમાં કવિતાના પાંચ પુસ્તકો તેઓ આપી ચૂક્યાં છે.

                એમની કવિતાઓ વિશે રિચર્ડ બ્લેન્કૉ કહે છે: ‘મૃદુ અને માયાળુ, પ્રચંડ અને પડઘાતી- ઉભય ગુણો ધરાવતી એની કાવ્ય ચેષ્ટાઓ ભાવાભિભૂત અને મંત્રમુગ્ધ કરે છે.’  અદાની કવિતાઓનું સંગીત લાંબા ગાળા સુધી આપણા મનમાં પડઘાતું રહે એવું છે. એની ભાષા સરળ છે, એ રોજબરોજની જિંદગીમાંથી જ વાતો લઈ આવે છે પણ કાગળ પર જ્યારે આ વાતો અવતરણ પામે છે ત્યારે એનો નવોન્મેષ થતો આપણે અનુભવી શકીએ છીએ. એ જે વસ્તુ, પ્રાણી, પ્રસંગ વિશે લખે છે, એને આત્મસાત કરીને લખતાં હશે એનો ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. અદાની રચનાઓમાં શબ્દની ઊંચાઈ અને ઊંડાણ બંને એકસાથે વર્તાય છે. અદાની કવિતાઓ આજની નારીનો અનોખો અવાજ છે. દર્દની શ્રીમંતાઈનો મહિમા કરતાં એક કવિતામાં તેઓ કહે છે: ‘જો આપણે ઓરડાને દર્દ વડે અજવાળી શકીએ, તો આપણે કેવો યશસ્વી અગ્નિ બની શકીશું!’    

                થોડી આડવાત ગણાય પણ અદાની અદા કેવી છે એ ચૂકી જઈએ તો કવયિત્રીને અન્યાય કરેલો કહેવાય. પ્રસ્તુત રચના વિશે વાત કરતાં પહેલાં અદાની એક નારીવાદી કવિતા ‘હાઉ ટુ ટ્રાયમ્ફ લાઇક અ ગર્લ’ પર નજર નાંખીએ: ‘મને ઘોડીઓ સૌથી વધુ ગમે છે, તેઓ કેવી સિફતથી આ બધાને સાવ આસાન દેખાડે છે, જેમ કે ચાળીસ માઇલ પ્રતિ કલાકની ઝડપે દોડવું એ જાણે ઝોકું લેવું કે ઘાસ ચરવા જેવું મસ્તીનું કામ ન હોય! મને તેઓની, જીત્યા પછીની, ઘોડીસહજ મટકતી ચાલ પણ ગમે છે. કાન સરવા કરો, છોકરીઓ, કાન સરવા! પણ મુખ્યત્વે, પ્રામાણિકતાથી કહું તો, મને ગમે છે કે તેઓ માદા છે. જાણે કે આ વિશાળ ખતરનાક પ્રાણી પણ મારો જ એક ભાગ હોય એમ મારી કાયાની નાજુક ત્વચા તળે ક્યાંક, માદા ઘોડાનું આઠ પાઉન્ડનું હૃદય ધબકી રહ્યું છે, વિશાળ, શક્તિશાળી, રુધિરભર્યું, વજનદાર. શું તમે આ માનવા નથી માંગતા? શું તમે મારું પહેરણ ઊંચકીને જોવા નથી માંગતા એ વિશાળ ધબકતા વિલક્ષણ યંત્રને જે વિચારે છે, ના, જાણે છે, કે એ પહેલા ક્રમે આવનાર છે.’ કેવી મજબૂત રચના! સ્ત્રીઓની ભીતરી તકાતનો ક્યાસ તો એક સ્ત્રી જ કાઢી શકે ને!            

                 રેઇનકોટ’ કવિતા પણ સ્ત્રી વિશેની જ છે, સ્ત્રીની તાકાત, સ્નેહ અને સમર્પિતતતાની. પણ આ કવિતાની સ્ત્રી એક માતા છે એટલે એ તો સ્ત્રીઓમાં પણ ખાસ છે. શીર્ષક આપણને તૈયાર કરે છે મુશળધાર વરસાદમાં જવા માટે. પણ પચ્ચીસ પંક્તિઓની આ કવિતામાં રેઇનકોટનો અને વરસાદનો ઉલ્લેખ તો છેક અંતમાં આવે છે. આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલ આ અછાંદસ કવિતામાં લાંબા-ટૂંકા અને ખાસ તો લાંબા કહી શકાય એવા કુલ સાત જ વાક્ય છે એટલે મોટાભાગના વાક્યો એકાધિક પંક્તિઓમાં વરસાદના પાણીની જેમ અપૂર્ણાન્વયરીતિ (enjambment)થી રેલાયે રાખે છે. પરિણામે એક જ સળંગ પરિચ્છેદમાં લખાયેલ રચનામાં ગતિસંચાર અનુભવાય છે. નાયિકા પોતાની આપવીતી આપણને કહી રહી હોય, બિલકુલ એવી રીતે સાવ સરળ બોલચાલની ભાષામાં કવિતા ગતિ કરે છે. કવિતાની સરળતા જ એનું ખરું હર્દ છે. અદાને જે મુદ્દા વિશે વાત કરવી છે ત્યાં સુધી ભાવકને લઈ જવામાં સરળતાનો સેતુ જ સહજ બની રહે છે. જોઈએ…    

                તબીબ ઇલાજ તરીકે ઓપરેશન કરાવવાની તથા સમગ્ર યૌવનકાળ દરમિયાન કરોડરજ્જુના ટેકા માટે બ્રેસ પહેરવાની સલાહ આપે છે ત્યાંથી કવિતા શરૂ થાય છે. એટલે સમજી શકાય છે કે નાયિકાને કરોડરજ્જુની કોઈક બિમારી હોવી જોઈએ. બે જ વાક્યમાં એ પણ ખ્યાલ આવી જાય છે કે આ બિમારી ખાસી ગંભીર છે. કરોડરજ્જુની સર્જરી આમેય જોખમી સર્જરી ગણાય છે. સર્જરી કરાવ્યા બાદ ઘણીવાર દર્દીને બંને પગે લકવો મારી જવાનું જોખમ પણ રહેલું છે. એટલે અનિવાર્ય ન હોય તો તબીબ પણ એની સલાહ આપતા નથી. એમાં આ તો નાની બાળકી. અને સર્જરી કર્યા પછી પણ ડોક્ટર એક બાબતમાં તો નિશ્ચિત જ છે કે છોકરીએ યૌવનકાળના બધા જ વર્ષ કરોડને સહારો આપે એવા બ્રેસ પહેરીને જ કાઢવા પડશે. આપણે બે-ચાર દિવસથી વધુ લાંબી ચાલતી બિમારીથી કંટાળી જઈએ છીએ, જ્યારે આ તો વરસોના વરસ યાતના વેઠવાની વાત. કવિતામાં સ્પષ્ટ કર્યું નથી પણ એવો ખ્યાલ આવે છે કે મા-બાપ આવો જોખમી રસ્તો અપનાવવાના મત સાથે સહમત નથી. ફૂલ જેવા કોમળ સંતાનને જિંદગીભર બ્રેસિસ પહેરવાં પડે એવી સર્જરીમાં જોખવાના બદલે મા-બાપ આ ઘર, પેલું ઘર એમ જેટલા ઉપાય યાદ આવે કે હાથ લાગે એ ચલકચલાણી પેલે ઘેર ધાણીના ન્યાયે અપનાવવા દોડે છે. માલિશ કરાવનાર પાસે, કસરત કરાવનાર પાસે, હાડવૈદ પાસે –જ્યાં જ્યાં આશાનું કિરણ નજરે ચડે છે ત્યાં ત્યાં મા-બાપ નાયિકાને લઈ જાય છે.

                આ મહેનત રંગ લાવશે કે નહીં એની કોઈ ખાતરી નહોતી, માત્ર આશા જ હતી. कर्मण्येवाधिकारस्ते मा फ़लेषु कदाचन् નો શંખધ્વનિ સંભળાય છે. અન્ય એક કવિતામાં અદા કહે છે: ‘હું એ ક્યારેય કહી નહીં શકું કે દરવાજો ક્યારે ખૂલશે કે બંધ થશે, હું ફક્ત બારસાખને કહેતી જ સાંભળી શકું છું, પસાર થઈ જાવ.’ નાયિકાના મા-બાપ નાયિકા સારી થશે કે નહીં એ કહી શકે એમ નહોતા, પણ તેઓ શક્યતાના દરવાજામાંથી પસાર થવામાં માનતા હતા. અને નાયિકાને ફરક પણ વર્તાય છે. મા-બાપની દોડધામનું વળતર કરોડરજ્જુની સમસ્યાઓમાં સુધારાના રૂપમાં મળે છે. પણ આ કંઈ શરદી-ખાંસી કે મેલેરિયા-ટાઇફોઇડ જેવી બિમારી નહોતી કે જેનાથી ઝટ છૂટકારો મળી જાય. વરસોવરસ આની પાછળ મંડ્યા રહેવું પડે એ પ્રકારની આ બિમારી છે. વાંકી કરોડરજ્જુ વધુ વાંકી ન વળે અને ક્રમશઃ થોડી-થોડી સીધી થાય એ માટે જિંદગીભર રોજ જ ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં આંટાફેરા કરવાના છે. આજ તકલીફમાં છે પણ આવતીકાલ પર આશા છે એટલે આ મુસાફરી કરવી જ પડવાની છે. અન્ય એક કવિતામાં અદા જિંદગી કઈ રીતે આવતીકાલ પર લટકી રહી છે એની વાત કરતાં કહે છે: ‘આ જિંદગી પ્રબળ ઇચ્છાઓની એક મુઠ્ઠી છે, જેને બીજા કશાએ નહીં પણ આવતીકાલની ખેંચનૌકાના ગલે પકડી રાખી છે.’

                ફિઝિયોથેરાપીસ્ટનું ક્લિનિક નાયિકાના ઘરથી ખાસ્સું દૂર છે. કારમાં જઈએ તો ખાસ્સો પોણો કલાક નીકળી જાય. કરોડરજ્જુનો ઇલાજ ભલે થેરાપીસ્ટ પાસે હશે, પણ દીકરી રોજેરોજની આ લાં….બી મુસાફરીથી થાકી-કંટાળી ન જાય એનો ઈલાજ એની મમ્મી પાસે હતો. મમ્મી પોણા કલાક લાંબી આ બેવડી મુસાફરી દરમિયાન દીકરીને ગીતો ગાવા કહેતી. દીકરીને ગમ્મત પડતી. મમ્મી કહેતી કે એની કરોડરજ્જુની ચુંગાલમાંથી એનો અવાજ મુક્ત થઈ ગયો છે અને દીકરીને લાગતું કે એ ગાય છે એ મમ્મીને ગમે છે. એ સમયે એની માની જે ઉંમર હતી, આજે આટલા વરસો બાદ એ ઉંમરે પહોંચીને દીકરીને વિચાર આવે છે કે મમ્મીને શું સાચે જ એની ગાયકી ગમતી હતી? દોઢ કલાક લાંબી ડ્રાઇવ અને થેરાપિસ્ટને ત્યાં વ્યતીત કરવો પડતો સમય –રોજ જ આટલો બધો સમય એની મમ્મી એના માટે ક્યાંથી કાઢતી હતી? એણે પોતાની દિનચર્યામાંથી કઈ કઈ વસ્તુઓનો ફરજિયાત ત્યાગ આપ્યો હશે? આ નવી રોજનીશી અમલમાં આવતાં પહેલાંની મમ્મીની રોજનીશી કઈ હતી? જે જમાનામાં આ સવાલો મનમાં ઊઠવા જોઈતા હતા કે પૂછાવા જોઈતા હતા એ જમાનામાં તો માએ દીકરીને ગાવામાંથી નવરી જ ન પડવા દીધી. દીકરીને સતત વ્યસ્ત રાખી.

                આ કોઈ એક માની વાત નથી. દુનિયાભરની તમામ મા આવી જ હોવાની. પિતા પણ કંઈક અંશે આવા જ હોવાના. માના ગુણગાન ગાવામાં આવે ત્યારે પિતાને અન્યાય કરતો હોય એવું સહજ અનુભવાય પણ વાસ્તવિક્તા એ જ છે કે પિતાની સંતાન માટેનાં સમર્પણ અને કુરબાની સોએ સો ટકા ભાગ્યે જ હોય છે. બાપ પણ પોતાના સંતાન માટે બધું જ કરી છૂટતો હોવાની ના નહીં, પણ માના પક્ષે કોઈ સરહદ હોતી નથી, જ્યારે બાપના પક્ષે ભલે આઘી તો આઘી, પણ ક્ષિતિજ તો હોવાની જ. ‘મા તે મા, બીજા વગડાના વા’ કંઈ અમસ્તુ જ કહ્યું હશે? ગમે એ કરે પણ બાપા ‘બા’નો ‘પા’ જ ભાગ હોવાના. અહીં પણ માએ પોતાની દીકરીની આવતી કાલ માટે એકુંહકારો સુદ્ધાં કર્યા વિના પોતાની આજ વધેરી નાંખી છે. નાની બાળકીની મા પોતે યુવાન જ હોવાની. એની પોતાની એક જિંદગી હશે. એની પોતિકી દિનચર્યા હશે. એ નોકરી પણ કરતી હોઈ શકે. એનું પોતાનું મિત્રમંડળ હશે. એના પોતાનાં સ્વપ્નો હશે. પણ દીકરી માટે ફાળવવાનો આવેલ આ નિર્ધારિત અને ઘણો વધુ કહી શકાય એવા સમયનો અજગર માની અંદર રહેલી યુવતીના અરમાનોને સમૂચા ગળી ગયો. હશે, આ મા છે. એના હોઠ પર કોઈ ફરિયાદ પણ આવી નથી. એણે પોતાની જિંદગીનો ત્યાગ કરીને દીકરીની જિંદગી એ રીતે અપનાવી લીધી છે કે દીકરીને એ તમામ વર્ષો દરમિયાન વિચાર સુદ્ધાં નથી આવ્યો કે માએ પોતાના માટે શું શું ત્યાગ્યું હશે! આજે મા કદાચ નથી. અથવા હોય તોય દીકરીને થેરાપિસ્ટને ત્યાં લઈ જવા-લાવવા માટે એની જરૂર નથી. દીકરી મોટી થઈ ગઈ છે. જાતે કાર ચલાવતી થઈ ગઈ છે. અને હવે દીકરીને માએ કરેલા ત્યાગ વિશે વિચાર આવે છે. કેથેરિન પલ્સિફેર નામની એક લેખિકા કહે છે: ‘માતાઓ ઘણો બધો ત્યાગ કરે છે, જેથી તેમના સંતાનોને ઘણું બધું મળી રહે.’                  

                વીતેલા વર્ષો ઉપર એક લાંબો દૃષ્ટિપાત કરીને કવિતા હવે વર્તમાન પર ફૉકસ કરે છે. નાયિકા થેરાપિસ્ટ સાથેની એની આજની મુલાકાત નિપટાવીને ઘર તરફ પરત વળી રહી છે. સાથે મમ્મી નથી પણ કારમાં વાગતો રેડિયો છે અને રેડિયો પર કોઈક ગાંડુંઘેલું પણ મજાનું ગીત વાગી રહ્યું છે, એના સૂરમાં સૂર પરોવતી નાયિકા પણ મુક્તકંઠે ગાઈ રહી છે. મમ્મીએ વરસો સુધી આ આદત એને પાઈ છે. આ આદત ડ્રાઇવિંગના સમયાંતરાલને ટૂંકો અને હળવો બનાવી દે છે. ઢળતી બપોરનો સમય છે. અચાનક વરસાદી ઝાપટું આવી ચડે છે. કાર હંકારતાં અને ગીત ગાતાં-ગાતાં નાયિકાની નજરે એક મા-દીકરી ચડે છે. અચાનક આવી ચડેલ ઝાપટાંથી નાની દીકરીને બચાવવા એની મા સત્વરે પોતાનો રેઇનકોટ ઉતારીને દીકરીને પહેરવા આપે છે. એક ઝાપટું કારની બહાર આવ્યું છે, એક ઝાપટું કારની અંદર આવે છે. હવે ખ્યાલ આવે છે કે આ દીકરીને પોતાનો રેઇનકોટ આપતી માનું દૃશ્ય નજરે ચડ્યું એ કારણોસર આજે આટલા વરસે નાયિકાની નજર સમક્ષ એની આખી જિંદગી ઝડપભેર રિવાઇન્ડ થઈને રજૂ થઈ છે.

                હે ભગવાન!, એ વિચારે છે, આખી જિંદગી પોતે કદી તકલીફોના વરસાદ-વાવંટોળમાં ભીની જ ન થઈ એનું કારણ એની મા હતી, આખી જિંદગી એ એની માના રેઇનકોટની અંદર સુરક્ષિત હતી… ‘હું કદી ભીની જ ન થઈ’ કહીને નાયિકા વાત પૂરી કરે છે એ ઘડી ભાવકની આંખ ભીની થવાની ઘડી છે. અઢી હજાર વર્ષ પૂર્વે સોફોક્લિસ કેવી સાચી વાત કરી ગયા: ‘બાળકો લંગર છે જે એક માને જિંદગી સાથે જકડી રાખે છે!’ બાળક વિના માનું કોઈ અસ્તિત્વ જ નથી. અને બાળકોનો વર્તમાન પણ માના ભૂતકાળને આભારી છે. અબ્રાહમ લિંકને કહ્યું હતું: ‘હું જે કંઈ પણ છું, અથવા બનવા ચહું છું, એ મારી દેવદૂત સમી માને આભારી છે.’ સાચી વાત! બાપે માત્ર એક શુક્રકોષ આપ્યો છે જ્યારે માએ પોતાની ભીતર સંતાનનો આખો પિંડ બાંધ્યો છે. કુંભાર તો માટીના તૈયાર પિંડને ચાકડે ચડાવી વાસણ સર્જે છે, પણ મા તો માટીનું સર્જન પણ જાતે જ કરે છે અને નવ-નવ મહિના પોતાના પેટમાં જ સર્જનચાકડો ચલાવીને શિશુનું સર્જન કરે છે. કદાચ એટલે જ બાપ માટે બાળક એક અલગ અસ્તિત્વ છે પણ મા માટે સંતાન એ પોતાના અસ્તિત્વનો જ એક ટુકડો છે. આ ટુકડો નિજમાંથી જ પ્રસવ્યો હોવાથી માને પોતાની જાત કરતાં પણ આ નવું અસ્તિત્વ વધુ વહાલું હોય છે. બાળકોને આખી જિંદગી એમ લાગે છે કે પોતાના માથે કોઈ તકલીફ ન પડી એ કોઈ ચમત્કાર હોવો જોઈએ. સંતાનની આંખ ત્યારે ખુલે છે જ્યારે એને ખબર પડે છે કે આ ચમત્કારનું બીજું નામ મા છે… સાચે જ, માથી મોટો બીજો કોઈ ચમત્કાર હોઈ જ ન શકે, ખુદ ઈશ્વર પણ નહીં…

તો પણ છે તો પણ છે તો પણ છે… – – અનિલ ચાવડા

(આપણી વચ્ચે….                                                   …રેડ બીલ્ડ બ્લુ મેગ્પાઇ, ઉત્તરાખંડ, ૨૦૧૭)

******

ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી ગોફણ છે ગોફણ છે ગોફણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;
એમાં શું ખોટું હું આંખોને કહી દઉં તું ધોબણ છે ધોબણ છે ધોબણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

કોની તે ઝંખનામાં વરસોથી ટળવળતાં
મારાં બધીર સાવ ટેરવાં,
વીંટી જો હોય તો એ પ્હેરી પણ લઈએ
પણ કેમ કરી સ્પર્શોને પ્હેરવા?
પથ્થર પર ઢીંચણિયે ચાલવામાં છોલાયા ગોઠણ છે ગોઠણ છે ગોઠણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.

– અનિલ ચાવડા

ગ્લૉબલ કવિતા : ૧૧૦ : વહાણવટું -રમેશ પારેખ

પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.

એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.
સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.

કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ.
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના.
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.

સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.

-રમેશ પારેખ

कुछ पाने के लिए कुछ खोना पडता है…

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનનાં મુસાફરને હિમાલય નથી નડતો

બે જ પંક્તિમાં શૂન્ય પાલનપુરી સફળતા માટે મક્કમ નિર્ધાર કેટલો આવશ્યક છે એ સમજાવી ગયા. કામ કોઈ પણ હોય, જ્યાં સુધી એને અંજામ આપવાનું નક્કી ન કરી લઈએ ત્યાં સુધી એ પરિપૂર્ણતાના દર્શન કરવા પામતું નથી. નિશ્ચયની અનુપસ્થિતિમાં ઘણીવાર તો કાર્યનો આરંભ જ થતો નથી હોતો. આપણે ‘પંગુ લંઘયતે ગિરિમ્’ અથવા ‘A will will find a way’ કહીએ છીએ ત્યારે પણ મનોબળનો જ મહિમા કરતાં હોઈએ છીએ. આ કામ કરવું જ છે એવું નક્કી કરીને ઘરેથી નીકળો તો જ ‘રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ’ (ગની દહીંવાળા) જેવા ચમત્કાર થાય. રમેશ પારેખની આ કવિતા મક્કમ મનોબળનું મહિમાગાન કરે છે.

રમેશ મોહનલાલ પારેખ. ૨૭-૧૧-૧૯૪૦ના રોજ અમરેલી ખાતે જન્મ. શાળામાં હતા ત્યારે જ એમની વાર્તા ચાંદનીમાં છપાઈ હતી. મેટ્રિક સુધી અભ્યાસ. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ચિત્રકળા માટે જવું હતું પણ આર્થિક ભીડ આડી આવી. અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. ૧૯૬૨ સુધી વાર્તાઓ લખી અને ૧૯૬૭માં કવિતા હાથ ધરી તે એવી ધરી કે આંબી ન શકાય એવું સીમાચિહ્ન બની ગયા. ૪૮ વર્ષની વયે સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લઈ ફૂલ-ટાઇમ સરસ્વતીદેવીની નોકરી સ્વીકારી. રસીલાબેન પત્ની. નેહા અને નીરજ બે સંતાન. ૧૭-૦૫-૨૦૦૬ના રોજ ૬૫ વર્ષની વયે કર્મભૂમિ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાના કારણે નિધન. રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. પાટણમાં સિદ્ધરાજ જયસિંહે આચાર્ય હેમચન્દ્રના ‘સિદ્ધહેમ’ ગ્રંથની શોભાયાત્રા કાઢી હતી એની સદીઓ બાદ રમેશ પારેખની વર્ષગાંઠના દિવસે ૧૯૯૧માં અમરેલી શહેરના લોકોએ એમની સમગ્ર કવિતાના ગ્રંથ -‘છ અક્ષરનું નામ’-ની રથયાત્રા કાઢી હતી જેમાં રમેશ પારેખ પણ પગપાળા સામેલ હતા. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે.

ર.પા. એમના ભાષાવૈવિધ્ય અને લયની મૌલિક્તા માટે જાણીતા “સ-જાગ” કવિ છે. મોરારીબાપુએ કહ્યું હતું, ” આ કવિ કંઈક ભાળી ગયો છે. આ કવિ સતત સર્જન કરતો કવિ છે. તેને કદી કસુવાવડ થઈ નથી”. ર.પા.નું શબ્દ-વિશ્વ અ-સીમ છે. બહુ જૂજ કવિઓ એવા હશે જેમના હાથે ખુદ શબ્દો મોક્ષ પામે છે ! સીટી વગાડવા જેવી કદાચ ઉતરતી કક્ષાની વાત પણ ર.પા. પાસે આવીને સાહિત્ય બની જાય છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. કવિતાનો એવો કોઈ પ્રકાર નથી જ્યાં ર.પા.એ પગ મૂક્યો હોય અને શબ્દોએ એનો ચરણાભિષેક ન કર્યો હોય. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ, બાળગીત, કટાક્ષ કાવ્ય, હાઈકુ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. મીરાંને નીચે પોતાની સહી કરવાનું મન થઈ જાય એ સહજતાથી લખાયેલાં મીરાંકાવ્યો ર.પા.ના જીવનનું શિરમોર છોગું છે.

કવિએ છંદ વિશે કહ્યું હતું: ‘મંને છંદો પર ઊંડે ઊંડે શ્રદ્ધા છે. એક વિશિષ્ટ અર્થમાં છંદની કાવ્યને મંત્ર બનાવી નાખતી શક્તિમાં શ્રદ્ધા છે. છંદની નાભિમાં એક એવી ઊર્જા છે જેના સ્પર્શ માત્રથી શબ્દને નિર્વીર્ય ભાષાની ભ્રમણકક્ષાની બહાર જ્યાં તર્કાતીત આનંદના અનુભવો આપણી રાહ જોઈ રહ્યા છે ત્યાં પહોંચાડી શકાય છે.’ છંદનાભિનું ભેદન થાય તો જ નવું વિશ્વ ખુલી શકે એવી શ્રદ્ધા ધરાવનાર ‘લયના કામાતુર રાજવી’ તરીકે ખ્યાત રમેશ પારેખ ‘વહાણવટું’ નામે અછાંદસ કવિતા લઈને આવ્યા છે. ઉત્તરાયણના દિવસે ૨૦૦૫માં લખાયેલું આ કાવ્ય અછાંદસ કવિતાઓમાં એક અલગ જ ભાત પાડે છે. વહાણવટુંમાંનો ‘વટું’ શબ્દ સંસ્કૃત ‘વૃત્તિ’ પરથી ઉતરી આવ્યો છે. વહાણ ચલાવવું જ જેની વૃત્તિ છે એવો કોઈ માછીમાર કે વેપારી વહાણ લઈને દરિયાની છાતી ધમરોળવા નીકળી પડ્યો છે એટલી વાર્તા તો શીર્ષક જ કહી દે છે. ત્રેવીસ પંક્તિઓ અને ૮-૭-૪-૪ પંક્તિઓના અંતરાઓમાં વહેંચાયેલા આ અછાંદસમાં કવિએ ક્યાંય કોઈ પણ લાંબું વાક્ય પ્રયોજ્યું નથી. હાથમાં લેતાં જ પૂરું થઈ જાય એવા ટબુકડા વાક્યો, સમુદ્ર અને નાવિક વચ્ચેની ત્રણેક ટૂંકી પ્રશ્નોત્તરીનો હાથ ઝાલીને કવિતા ઝડપભેર તોફાની જિદ્દી દરિયામાં અનુભૂતિની નાનકી નાવમાં બેસાડીને આપણને વહાણવટે લઈ જાય છે.

અછાંદસ કવિતા કેવી હોવી જોઈએ એ સવાલનો જવાબ આ કવિતા તંતોતંત આપી શકે એમ છે. એ સિવાય ર.પા.નું આ અછાંદસ ખરી કવિતાની વિભાવના સમજવામાં પણ મદદ કરે એવું છે. કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. બની શકે કે દરિયાએ પ્રવાસ શરૂ કરતાં પૂર્વે જ એને ચેતવ્યો હોય કે રહેવા દે, આ સફર હું તને ખેડવા નથી દેવાનો. નાયકે વાક્યુદ્ધમાં ઉતરવાના બદલે કાંઠે નાંગરેલી નાવને ધકેલવાનું જ વધુ ઉચિત ગણ્યું હશે. હશે, આગળની વાતો અપ્રસ્તુત છે અને કવિને નાયકની જેમ દરિયો લાંઘવાની ઉતાવળ હશે કે કેમ, પણ કવિતા અડધેથી શરૂ થાય છે. આ જ ખરી કાવ્યકળા છે ને! લંગર પરથી લાંગરેલું શબ્દ આપણે ત્યાં વધુ પ્રચલિત છે એટલે ‘નાંગરેલું’નો પ્રયોગ ભાવકને અટકાવે છે. લાંગરેલું શબ્દ જે રીતે સાચો છે એ જ રીતે નાંગરેલું શબ્દ પણ સાચો છે. દેશ્ય ભાષાના ણંગર કે ણંગલ અથવા ફારસી લંગર ઉપરથી આંગર શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં એને મળતો શબ્દ છે લાંગલ. નાંગરનો એક અર્થ થાય છે લંગર અથવા નાંગળ યાને વહાણ અટકાવી રાખવા માટે પાણીમાં નાંખવામાં આવતો અંકોડો. એ પરથી નાંગરવું એટલે નાંગર નાંખીને વહાણને ઊભું રાખવું, લંગરવું. એક રૂઢિપ્રયોગ પણ છે: “નાંગળ નાખવાં” યાને કે લાંબા વખત માટે ઉતારો કરવો. મેઘાણીની એક પંક્તિ પણ યાદ આવે: ‘ઊંડા જળ એલાણ નાંગળ તૂટ્યાં નાગડા.’

નાયક નાંગરેલ વહાણને દરિયામાં ધક્કેલે છે. ધક્કેલ્યુંમાં જે બેવડો ‘ક’કાર આવે છે એ નાવને સમુદ્રમાં ધકેલવાની ક્રિયામાં વધારાનો વેગ પૂરો પાડી કાવ્યને વધુ ગતિશીલ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત પણ કરે છે. ધકેલવું અને ધક્કેલવું વચ્ચેનો આ અડધા અક્ષરનો તફાવત સક્ષમ કવિકર્મની સાહેદી છે. વહાણ એનો ધર્મ નિભાવે છે. ‘ચાલ્યું’ કહીને એક જ શબ્દનું વાક્ય પ્રયોજીને ફરી કવિ અમૂર્ત ગતિને મૂર્ત કરવામાં સફળ થાય છે. પણ કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે અફાટ અસીમ સમુદ્ર એક પડકાર સમો ઊભો છે. નાયક અર્ધેક પહોંચે છે ત્યારે સમુદ્ર એને થાક લાગ્યો હોવા બાબત ખાતરીપૂર્વક પૃચ્છા કરે છે. સમુદ્રને ખાતરી છે કે નાની અમથી નાવ સાથે સાગરપાર કરવા નીકળેલ આ કાળા માથાનો માનવી હવે થાક્યો જ હશે. નાયક પણ વાસ્તવવાદી છે. એને થાકનો ઇન્કાર નથી. સવાલનો જવાબ એ સવાલથી આપે છે- ‘તેથી શું?’ અને તરત જ ‘જવું જ છે આગળ’ કહીને પોતાનો ઇરાદો પણ સાફ બતાવે છે. હોડીમાંના વધારે પડતા વજન સામે સમુદ્ર ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. જવાબમાં નાયક સમુદ્રમાં હોડી આગળ ચલાવવાના એકમાત્ર ઓજાર હલેસાંઓને સમુદ્રમાં ફેંકી દે છે. તરત જ પ્રશ્ન થાય કે શું નાવમાં વજન સાચે જ ‘આટલું’ હશે? ભાર ઘટાડવાની નેમથી જો નાયક હલેસાં જ હોમી દેતો હોય તો એનો અર્થ જ એ કે નાવ, હલેસાં અને જાત –આ ત્રણ સિવાય નાવમાં બીજું કશું છે જ નહીં અને તોય સાગર ‘આટલા વજન સાથે?’ જેવો સવાલ કરે છે અને નાયક હલેસાં ત્યજી દઈને વળી સવાલની પુષ્ટિ પણ કરે છે. ‘જવાબમાં હલેસાં વામી દીધાં’ એમ સળંગ વાક્ય લખવાના બદલે કવિ જવાબમાં પછી અલ્પવિરામ પ્રયોજે છે, જે ભાવકને ક્ષણેક રોકે છે જેથી નાયકની ચેષ્ટા તરફ ધ્યાન આપ્યા વિના કવિતામાં આગળ વધવાની ગુસ્તાખી કે ઉતાવળ ભાવક ભૂલથીય ન કરી બેસે. વાહ કવિ! બીજું, અહીં કવિ એક અંતરો પૂરો કરીને બે પંક્તિ વચ્ચે એક પંક્તિ જેટલી ખાલી જગ્યા મૂકે છે. અને હલેસાંને વજન ગણવાની સમુદ્ર અને નાવિક- બંનેની ચેષ્ટા બાદ આવતો આ અવકાશ આપણને એ સમજવાનો સમય આપે છે કે દેખીતી વાત ભલે સાગર, નાવિક અને વહાણવટાંની હોય, પણ કવિ કોઈક બીજું જ નિશાન તાકી રહ્યા છે.

વેગપૂર્વક કવિતા આગળ વધતી રહે છે. માત્ર ૩-૩-૪-૩-૪-૩-૩ શબ્દોની બનેલી ટૂંકીટચરક પંક્તિઓમાં તસુભર જ આગળ વધી શકતી હોડી, સાગરનું અટ્ટહાસ અને નાયકનો નિર્ધાર રજૂ થાય છે. એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- નાયક સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં હલેસાં, પછી પગ, પછી કોણી સુધીના હાથ અને છેલ્લે તો એ પોતાનું આખેઆખું ધડ હોમી દે છે. નાવમાંનો બોજ હળવો કરવા માટે ગમે એ હદ સુધી પોતે જશે પણ યેનકેન પ્રકારેય આગળ તો વધીશ જ એવા હુંકારથી હળવી થયેલી નાવ ભરાઈ જાય છે. આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. સાત પંક્તિઓમાં ઉપરાછાપરી ત્રણવાર પુનરાવર્તિત થતા વાક્યમાં માત્ર ‘ખડખડ’ શબ્દનું સ્થાન બદલીને કવિ એકતરફ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે તો બીજી તરફ ખડખડનું બદલાતું જતું સ્થાન નાવની ગતિ પણ સૂચવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે. ર.પા.ને શબ્દોનું ગૌરવ કરવાની કળા જન્મજાત હસ્તગત છે.

નાયક વડે આગળ વધના યજ્ઞમાં પોતાના કબંધ-ધડની આહુતિ આપવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે. ત્રીજા બંધમાં કવિએ એને હાજર રહેવા દીધો નથી. અચાનક આખી સૃષ્ટિ કવિતામાં આવી ઊભે છે. હવાઓ ચિરાઈ જાય છે, આકાશના રંગો ભર ભર યાને કે તત્કાળ ખરી પડે છે અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થઈ જાય છે. બલિદાનની આ પરાકાષ્ઠા છે. હવા વહેતી બંધ થઈ જાય છે. આકાશમાંથી રંગો ગાયબ થઈ જાય છે. દિશાઓનું જાણે અસ્તિત્વ જ રહેતું નથી. ઓછામાં ઓછા શબ્દોમાં કવિ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સમક્ષ ચાક્ષુષ કરે છે. આ શબ્દની તાકાત છે. આ કવિનો જાદુ છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખૂલે છે.

નાયકનો અભૂતપૂર્વ ત્યાગ અને न भूतो न भविष्यति તૈયારી જોઈને સાગરની બોલતી જ બંધ થઈ જાય છે. નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરી ઊઠે છે. કોઈપણ ભોગે આગળ વધવાની ઇચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. ‘વજન’ ઓછું કરાયેલ વહાણમાં એકમાત્ર બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. આરૂઢના બંને અર્થ ઊંચે ચડેલું અને દૃઢ, સ્થિર અહીં યથાર્થ ઠરે છે. વહાણમાંના એ એકલવાયા મસ્તકમાં ઊઠતા તરંગોને કાળી વીજળીઓનું સંબોધન કરીને કવિ વહાણવટા પાછળના આંધળુંકિયા સાહસ સુધી અર્થવલયો વિસ્તારે છે. ‘મસ્તક’ શબ્દનું પ્રયોજન પણ સાયાસ છે. પાણી અને વારિ વચ્ચે, ઘોડો અને અશ્વ વચ્ચે જે ફરક છે, એ જ માથું અને મસ્તક વચ્ચે છે. સાચો કવિ એકપણ શબ્દ કાચો પ્રયોજતો નથી. સંસ્કૃતમાં મોટાભાગે ભવભૂતિએ કહ્યું છે: ‘एकः शब्दः सुज्ञातः सुप्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति।’ (એક જ શબ્દને જો બરાબર સમજવામાં આવે અને બરાબર પ્રયોજવામાં આવે તો સ્વર્ગલોકની ઇચ્છા પણ પૂરી થાય છે.)

સુન્દરમની ‘ટિટોડી અને સાગર’ કવિતા તરત જ યાદ આવે, જ્યાં ડુંગર જેવાં જહાજોને ડૂબાડી ચૂકનાર સાગર ટિટોડીના ઈંડાં તાણી જાય છે અને ટિટોડીની વિષ્ટિ-વિનવણીને જ્યારે સાગર અવગણે છે ત્યારે ટિટોડી આખી દુનિયાના પંખીઓને એકઠાં કરે છે અને બધાં જ પંખીઓ ચાંચે જે સમાય એ તરણું કે કાંકરો લઈને દરિયાને પૂરવા માંડે છે. દરિયાનું અભિમાન ઊતરી જાય છે, અને ટિટોડીના ઈંડા લઈને કરગરતો આવે છે. ત્યાં પણ અડગ નિર્ધારનો મહિમા હતો, અહીં પણ એ જ છે. ગુજરાતી કવિતાઓની સર્વપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો (layastaro.com) પર કવયિત્રી નેહા પુરોહિત આ કાવ્યનું કંઈક આ રીતે અર્થઘટન કરે છે: ‘હલેસાં અને હાથ-પગનો ત્યાગ ભૌતિક સુખ-સગવડના ત્યાગનું પ્રતીક છે. છાતી સહિત ધડને હોમી દેવાની બાબત એટલે હૃદય યાને કે લાગણીઓથી વિચારવાનું બંધ કરીને નાયક હવે ફક્ત મસ્તક, યાને બુદ્ધિથી કામ પાર પાડશે. કાળી વીજળીઓનો મતલબ –હવે આગળ જે થશે એમાં ભાવનાઓનું તેજ નહીં હોય- એવો લઈ શકાય.’ સરવાળે પ્રસ્તુત રચનામાં મનુષ્યને ખતમ કરી શકાય છે પણ પરાસ્ત નહીં એવી વિભાવના ઉજાગર થાય છે. મનુષ્યે કંઈક કરવું જ હોય તો એને અંજામ આપવા માટે કઈ હદ સુધી ત્યાગ કરવા તૈયાર રહેવું પડે છે એ પણ સમજી શકાય છે. બોજનો ત્યાગ કર્યા વિના કોઈ સિદ્ધાર્થ બુદ્ધ બનતો નથી અને નિર્ધારમાંથી પાછીપાની કરીને કોઈ વર્ધમાન મહાવીર નથી બનતો.