ગ્લૉબલ કવિતા: ૧૦૭ : જેલીફિશ – મેરિઆન મૂર

A Jelly-fish

Visible, invisible,
…a fluctuating charm
an amber-tinctured amethyst
…inhabits it, your arm
approaches and it opens
…and it closes; you had meant
to catch it and it quivers;
…you abandon your intent.

– Marianne Moore

જેલીફિશ

દૃશ્ય, અદૃશ્ય,
એક વધઘટ થતું કામણ,
એક અંબર-છાંટ્યો નીલમણિ
એનો નિવાસ; તમારો હાથ
નજીક પહોંચે છે અને એ ખૂલે છે

અને એ બીડાય છે; તમે ધાર્યું હતું
એને પકડવાનું અને એ કાંપી ઊઠે છે;
તમે પડતો મૂકો છો તમારો ઈરાદો.


– મેરિઆન મૂર

(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતા કેવી હોય? તો કે, જેલીફિશ જેવી…. ખરું?

                 તમે કોઈ દિવસ ડુંગળી છોલવા બેઠા છો? એક પડ દૂર કરો ને અંદરથી બીજું નીકળે. બીજું હટાવો કે ત્રીજું પડ પ્રગટ થાય. ત્રીજાથી છૂટકારો મેળવ્યો નથી કે ચોથું દૃષ્ટિગોચર થાય. ચોથાની નીચે પાંચમું, છઠ્ઠું ને એમ એક પછી એક પડ કાઢતા જાવ તો અંતે શું આવે હાથમાં? શૂન્ય?! આ આખી પ્રક્રિયા દરમિયાન આંખમાંથી આંસુની આડપેદાશ હાથ લાગે એ નફામાં. પણ ડુંગળી, અને ડુંગળી છોલવાની આ ક્રિયાને કવિતા સાથે સરખાવી શકાય ખરું? માત્ર કવિતા સાથે જ શા માટે, માનવમન સાથે કે માનવસંબંધો સાથે પણ સરખાવી શકાય ને? એક પડ ઉખેડો કે બીજું.… બીજું કાઢો કે ત્રીજું… એક અર્થ કાઢો કે તરત બીજો અર્થ જડી આવે. બીજો અર્થ વિચારો ત્યાં તો ત્રીજો જ કોઈ અર્થ જડી આવે. વિચારી વિચારીને મગજનું દહીં કરી નાંખો (ડુંગળીના બધા જ પડ ઉતરડી નાંખો) ત્યારે જે શૂન્યાવકાશ બચી જાય એ? સાચે જ, એકાધિક અર્થ એ કવિતાનું સાચું સૌંદર્ય છે. એક જ કવિતા અલગ અલગ ભાવક માટે અલગ અલગ અર્થ ધરાવે છે તો એક જ કવિતા એક જ ભાવક માટે પણ અલગ અલગ મનોસ્થિતિમાં અલગ અલગ અર્થ ધરાવી શકે છે. કવિતા હોય કે પછી કોઈ પણ કળા- એની ખરી કમાલ જ આ છે. આ બહુપડળત્વ જ ખરી કવિતા છે. અને બધા જ પડ એક પછી એક ઉતરડી નાંખીએ એ પછી હાથમાં અંતે જે શૂન્ય આવે છે એ જ કદાચ કવિતાની સાચી ઉપલબ્ધિ છે. પડ પછી પડ ઉખેડવાની આ પ્રક્રિયા કવિતાનું સાર્થક્ય છે અને શૂન્યનો સાક્ષાત્કાર એનો અર્થ. કવિતા વિશે કહેવાયું છે કે, A poem should not mean but be. અર્થાત્ કવિતાનું હોવું એ જ એનું સાફલ્ય છે, ન કે એનો મતલબ. ડુંગળીના નહીં, જેલીફિશના સંદર્ભમાં મેરિઆન મૂરની આ કવિતા કવિતાની આવી વિભાવના સમજવામાં મદદરૂપ થાય છે.

                 મેરિઆન ક્રેગ મૂર. જન્મ ૧૫-૧૧-૧૮૮૭ના રોજ અમેરિકાના મિઝોરી ખાતે. પિતા જોન મિલ્ટન મૂર ઇજનેર અને સંશોધક હતા પણ માનસિક સમસ્યાનો શિકાર બનતા મા-બાપ મેરિઆનના જન્મ પહેલાં જ અલગ થઈ ગયા. મેરિઆનના નસીબમાં પિતાને કદી પણ જોવા-મળવાનું લખાયું નહોતું. બંને ભાઈ બહેન માતાની દેખરેખમાં અને દાદાના પ્રભાવમાં મોટા થયા. ઇચ્છા તો ચિત્રકાર બનવાની હતી પણ કોલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ કોલેજના સામયિક માટે એમણે લખવાનું શરૂ કર્યું અને આમ, અકસ્માતે સાહિત્યકાર બની ગયાં. આખો પરિવાર ખૂબ જ ધાર્મિક. પરસ્પર ધોધમાર પત્રો લખવાની સહુને આદત હતી. ૧૯૧૫માં એમની કવિતાઓ પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થવી શરૂ થઈ અને ટૂંક સમયમાં જ એઝરા પાઉન્ડ, વિલિયમ કાર્લોસ વિલિયમ્સ, એલિયટ, વૉલેસ સ્ટિવન્સ જેવા કવિઓની પ્રસંશા પ્રાપ્ત થઈ. થોડો થોડો સમય ઇન્ડસ્ટ્રિઅલ સ્કૂલમાં વ્યાવસાયિક વિષયો શીખવ્યા, ક્લબમાં, લાઇબ્રેરિઅન તરીકે, સામયિકના સંપાદક તરીકે પણ કામ કર્યું. પુલિત્ઝર જેવા અનેક પારિતોષિકોથી વિભૂષિત થયાં. ત્રિકોણી ટોપી અને કાળો ઝભ્ભો એમની ઓળખ બની રહ્યાં. માતાના અંતિમ શ્વાસ સુધી એની સાથે રહ્યાં. આજીવન કુંવારા રહ્યાં. બોક્સર મહંમદ અલી તથા બેઝબોલના ચાહક. લકવાના નાનામોટા અનેક હુમલા પછી ૦૫-૦૨-૧૯૭૨ના રોજ ૮૪ વર્ષની વયે ન્યૂ યૉર્ક ખાતે દેહાવસાન. અનેક માનદ પદવીઓ તથા અમેરિકન કવિને મળે એ તમામ માનસન્માન એમને પ્રાપ્ત થયાં હતાં. ન્યૂ યૉર્ક ટાઇમ્સે આખું પાનું ભરીને એમને શ્રદ્ધાંજલિ આપી હતી.   

                 મેરિઆનની ગણના વીસમી સદીના મુખ્ય આધુનિક અમેરિકન કવિઓમાં મોખરાના કવિ તરીકે થાય છે. પ્રચલિત આયમ્બ પદ્ધતિના બદલે તેઓ કવિતામાં જૂની સિલેબિક પદ્ધતિ પ્રયોજતાં. પ્રાણીઓને કેન્દ્રમાં રાખીને લખાયેલી એમની રચનાઓ હકીકતે તો માનવસ્વભાવ અને વર્તણૂંકને જ ઉભારે છે. પોતાના સમયના સાહિત્યપ્રભાવમાં વિશેષ તણાયા વિના એમણે મૌલિક સર્જન કર્યું. પાઉન્ડ તથા કાર્લોસ સાથેની મિત્રતાના પરિણામે ઇમેજિસ્ટ પોએટ્રીની ઝાંય ક્યાંક જોવા મળે છે ખરી. મુક્ત કાવ્યમાં પણ એમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. એલિયટે એમના પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું હતું: ‘છેલ્લા ૧૪ વર્ષોથી મારો દૃઢ વિશ્વાસ યથાવત્ રહ્યો છે કે કુમારી મૂરની કવિતાઓ આપણા સમયમાં લખાયેલ ટાંકભાર ટકાઉ કવિતાઓનો એક ભાગ છે.’

                 મેરિઆનની કવિતા ‘જેલીફિશ’ વિશેની વાત આપણે ડુંગળીના પડ જેમ એક પછી એક ખોલીએ એમ પડ ઊતારતાં જતાં જ કરીએ તો? ચાલો ત્યારે, પહેલું પડ ખોલીએ. કવિતાના આકારની વાત કરીએ. પણ એ કરતાં પહેલાં ૧૯૦૯માં લખાયેલ આ જ કવિતાના મૂળ સંસ્કરણને જોઈએ:

Visible, invisible,
A fluctuating charm,
An amber-colored amethyst
Inhabits it; your arm
Approaches, and
It opens and
It closes;
You have meant
To catch it,
And it shrivels;
You abandon
Your intent—
It opens, and it
Closes and you
Reach for it—
The blue
Surrounding it
Grows cloudy, and
It floats away
From you.

દૃશ્ય, અદૃશ્ય,
એક વધઘટ થતું કામણ,
એક અંબર-રંગી નીલમણિ
એનો નિવાસ; તમારો હાથ
નજીક પહોંચે છે, અને
એ ખૂલે છે અને
એ બીડાય છે;
તમે ધાર્યું હતું
એને પકડવાનું,
અને એ સંકોચાઈ જાય છે;
તમે પડતો મૂકો છો
તમારો ઈરાદો –
એ ખૂલે છે, અને એ
બીડાય છે અને તમે
એને પકડવા જાવ છો-
એની ફરતે વીંટળાયેલી
ભૂરાશ
ડહોળી થઈ જાય છે, અને
એ દૂર સરી જાય છે
તમારાથી.

                 મેરિઆનને કવિતાઓમાં સુધારા કરવાની પ્રબળ ટેવ હતી. જેમ એઝરા પાઉન્ડે ‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો’માં કર્યું હતું એ રીતે ‘પોએટ્રી’ શીર્ષકની કવિતા તો એમણે ૨૯માંથી ૩ પંક્તિની કરી નાંખી હતી. પોતાની સમગ્ર કવિતાના પુરાલેખમાં એમણે લખ્યું હતું: ‘બાદબાકી એ અકસ્માત નથી.’ જેલીફિશ કવિતામાં પણ એમણે કાપાકૂપી કરી. ૧૯૬૭ની સાલમાં ઉપરની પંક્તિઓમાંથી આઠ પંક્તિઓ બનાવીને પાછળની આખી પૂંછડી જ કાપી નાખી. જૂની કવિતામાં છંદ અને પ્રાસ પણ સિફતથી હાથ આવતા નથી, જ્યારે આ આઠ પંક્તિની કવિતામાં મેરિઆને એકાંતરે ટેટ્રામીટર અને ટ્રાઇમીટર પ્રયોજ્યા છે, જે જેલીફિશના વિસ્તરણ અને સંકોચનની ક્રિયાનો ભાસ લય વડે કરાવે છે. પહેલી ચાર પંક્તિઓમાં ૪/૩/૪/૩ પ્રમાણે અને છેલ્લી ચાર પંક્તિઓમાં ૩/૪/૩/૪ મુજબ છંદ પ્રયોજ્યો છે, જે ફરી એકવાર પહેલી ચાર પંક્તિઓમાં સંકોચન અને છેલ્લી ચાર પંક્તિઓમાં વિસ્તરણનો અહેસાસ કરાવે છે. અને બેવડા ક્રમની પંક્તિઓમાં પ્રાસ પણ મળે છે. એમ કહી શકાય કે કવયિત્રીએ અહીં કવિતાના આકારની મદદથી જેલીફિશની મૂળભૂત પ્રકૃતિને ચિત્રાંકિત કરી છે અથવા જેલીફિશના આકારની મદદ લઈને કવિતાની જ મૂળભૂત પ્રકૃતિ તાદૃશ કરી આપી છે.

                 જેલીફિશ તો લગભગ બધાએ જોઈ જ હશે. જિલેટીન જેવી પોચી, પારભાસક કાયા ધરાવતી જેલીફિશ છત્રી કે પેરાશૂટ આકારનું શરીર અને એની સાથે જોડાયેલા દોરી જેવા અનેક તાંતણાઓ (ટેન્ટકલ્સ)ની બનેલ હોય છે. અમુક જેલીફિશમાં આ તાંતણાઓની લંબાઈ સો ફૂટથીય વધુ હોય છે, અર્થાત્ બ્લુ વ્હેલ કરતાંય લાંબા. એમનું માથું એક મિલીમીટર જેટલું નાનું પણ હોઈ છે અને બે મીટર જેટલું મોટું પણ. નામમાં જ ‘ફિશ’ શબ્દ હોવાથી આપણે સહેજે એને એક પ્રકારની માછલી ગણી લઈએ છીએ પણ હકીકતમાં તેઓ અપૃષ્ઠવંશી કે અકશેરુકી પ્રાણી છે. દૂધની અર્ધપારદર્શક કોથળી જેવી જેલીફિશ સતત આકાર બદલતી રહે છે. હૃદયના સંકોચન-વિસ્તરણની જેમ જ એનું મસ્તક અને એના તંતુઓના આકાર-લંબાઈ સતત વધ-ઘટ થતા દેખાય છે. દેખાવે નિર્દોષ અને અત્યંત મનમોહક દેખાતી જેલીફિશ હકીકતમાં તો ઝેરીલી હોય છે. એના તાંતણાઓમાં ડંખકોશિકાઓ હોય છે, જેના વડે તે પોતાના શિકારને બેહોશ કે લકવાગ્રસ્ત કરી દે છે અને આરોગી જાય છે. વજન વધી જાય તો તરી ન શકાય એ કારણોસર એમની પાચનક્રિયા અવિશ્વસનીય રીતે ઝડપી હોય છે. પોતાના રક્ષણ માટે જેલીફિશ ભૂરા રંગના પ્રવાહીનો સ્ત્રાવ કરે છે જેથી એની આસપાસનું પાણી ડહોળું બની જાય અને એને ભયસ્થાનથી દૂર સરકી જવાની તક મળે. મનુષ્યો માટે એમનો ડંખ ખાસ્સો પીડાદાયક અને કોઈક કિસ્સામાં જીવલેણ સુદ્ધાં બની શકે છે. જેલીફિશ કરડી જાય તો અસરગ્રસ્ત ભાગ પર સરકો (વિનેગર) લગાવવો પડે છે અથવા ખારા પાણીમાં જે-તે ભાગ ડૂબાડી રાખવાનો રહે છે. પણ ઘા ઘસવા ગયા કે મીઠા પાણીથી ધોવા ગયા તો મર્યા જ સમજો.    

                 મેરિઆન યુગયુગોથી મનુષ્યજાતિને આકર્ષતી આવનાર જેલીફિશની વાત બહુ ઓછા શબ્દોમાં કરે છે. જેલીફિશની જેમ જ કમનીય દેહયષ્ટિ ધરાવતી આ રચના વાંચતાવેંત આકર્ષી લે છે. વાતની શરૂઆત આપણે ડુંગળીથી કરી. ચાલો, ફરી ડુંગળીનું એક પડ ઉઘાડીએ.. કવિતા વાંચીએ. શું સમજાય છે? પહેલી નજરે આપણે જોઈ શકીએ છીએ કે કવયિત્રી જેલીફિશના કામણગારા અને સતત તરલ-ચંચળ સૌંદર્યનું, એના નિવાસસ્થાનનું, એની પ્રકૃતિનું અને સ્વબચાવ માટેની એની કોશિશનું સરળ ભાષામાં વર્ણન કરે છે. એક્વેરિયમમાં નહીં પણ સમુદ્રજળમાં જેમણે જેલીફિશ જોઈ હશે એમને ખ્યાલ હશે કે ઘણીવાર એ એટલી પારદર્શક હોય છે કે પાણીમાં એની હાજરીની નોંધ લેવી દુષ્કર થઈ પડે. કચ્છમાં માંડવીના દરિયામાં નહાતી વખતે મારા ખોબામાં એકવાર નાનકડી જેલીફિશ અકસ્માત આવી ગઈ હતી ત્યારે મને આ વાતનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો હતો. પ્રકાશ અને પાણીના સંયોજનના કારણે એક ઘડી એ નજરે ચડે છે તો બીજી જ ઘડીએ અદૃશ્ય થઈ ગઈ હોવાનો ભાસ થાય છે. જેલીફિશ જોઈને મંત્રમુગ્ધ ન થયો હોય એવો માનવી જડવો દોહ્યલો છે. એનું એકધારું વધઘટ થતું કામણ વશીકરણ કર્યા વિના રહેતું નથી.

                 જેલીફિશ માટે મૂર ‘અંબર-છાંટ્યો નીલમણિ’ વિશેષણ વાપરે છે. મૂળ કવિતામાં એ ‘રંગ’ શબ્દ વાપરે છે જ્યારે નવા સંસ્કરણમાં એનું ‘છાંટ’ કરી નાંખે છે. રંગ ભેળવી દેવા કરતાં છાંટ ઉમેરવાની પ્રક્રિયા વધુ ‘આર્ટિસ્ટિક’ છે. અંબર યાને નારંગીઝાંયવાળા પીળા રંગને ગુજરાતીમાં શું કહીશું? કદાચ અંબર જ કહેવું પડે. ભાષાની વિશિષ્ટતા ગણો કે વિવશતા, દરેક શબ્દ, વસ્તુ, અનુભૂતિનો સર્વાંગ તરજૂમો શક્ય જ નથી. અહીં તો અંબરને અંબર જ કહેવા માટે એક બીજું પણ કારણ છે. ઘણી જેલીફિશમાં છત્રી જેવી કાયા ભૂરાશ પડતી અને અંદર તરફનું મોઢું પીળાશ પડતું હોય છે પણ મૂરનો ઈરાદો જરા અલગ લાગે છે. ઝાડમાંથી જે રાળ ઝરે એ જામી જાય અને લાખો-કરોડો વર્ષ પછી એ અશ્મિનું સ્વરૂપ ધારણ કરે ત્યારે જે સ્ફટિક જેવો પદાર્થ હાથ આવે છે એનો રંગ અંબર રંગ તરીકે ઓળખાય છે. રંગ જેવા અપરિમાણીય તત્ત્વને મૂર અંબર સાથે સરખાવીને લંબાઈ-પહોળાઈ અને ઊંડાઈની સાથે સમયનું પરિમાણ ઉમેરીને ચતુષ્પરિમાણીય બનાવી દે છે. પૃથ્વીના પટ પર, સૉરી, સમુદ્રમાં જેલીફિશ લાખો કરોડો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. ડાયનૉસોરનો જન્મ પણ નહોતો થયો, એ સમયે પણ જેલીફિશનું અસ્તિત્વ હતું. આમ, અંબર શબ્દ પ્રયોજીને મૂર અંબર અને જેલીફિશ-બંનેના અસ્તિત્વના કરોડો વર્ષના સમયગાળાને અડખેપડખે મૂકવામાં સફળ થાય છે. વળી, જ્યારે એ અંબર-છાંટ્યો નીલમણિ કહે છે ત્યારે રાળને ખનિજ સ્ફટિકનો દરજ્જો આપે છે. જેલીફિશનું પાણીપોચું શરીર હકીકતમાં ૯૫% પાણીથી જ બન્યું છે એટલે એની મૃદુતા સામે આ રૂપક તીવ્ર વિરોધાભાસ ઊભો કરે છે. પણ યાદ રાખવાનું છે કે આ કવિતા છે. અને કવિઓ સંવેદનાને ધાર આપવા માટે ઘણીવાર અભિધા અને ભૌતિક વૈજ્ઞાનિક તથ્યોને અતિક્રમી જતા હોય છે એ આપણે ભૂલવાનું નથી. નિરંકુશ છળની આ દુનિયાને ગ્રીકમાં Poeisis  –એ ગતિવિધિ જેમાં પૂર્વાઅસ્તિત્વ ન હોય એ સર્જવામાં આવે- કહી ઓળખાવે છે. 

                 આ અંબર ઝાંયવાળા નીલમણિમાં દૃશ્ય-વધઘટ થતું અદૃશ્ય કામણ રહે છે. માત્ર ત્રણ પંક્તિ અને નવ-દસ શબ્દોમાં જ કવયિત્રી જેલીફિશનું સચિત્ર સર્જન કરી આપે છે. છે ને કમાલ! કવિતામાં બીજા પુરુષ એક/બહુવચનનો સમાવેશ થાય છે: ‘તમારો હાથ.’ આ હાથ વાચકનો, આપણો હાથ છે. આપણો હાથ જેલીફિશની નજીક પહોંચે છે અને એ ખોલબંધ થાય છે. આપણો હાથ એના તરફ એને પકડવાના ઈરાદાથી લંબાયો છે. સમગ્ર માનવજાતની કુલ પ્રકૃતિ કવયિત્રી ‘તમે ધાર્યું હતું એને પકડવાનું’ કહીને ઊઘાડી પાડી દે છે. આપણો સ્વભાવ છે કે જે વસ્તુ ગમી જાય એને હાથમાં લેવી, એનો કબ્જો મેળવવો. સૌંદર્યને આંખોથી જોઈને મનુષ્ય કદી ધરાયો નથી. ચાંદને પણ જોયો તો એના પર પગ મૂકવાનું સપનું જોયું ને આખરે એને પણ હાથમાં લઈને જ જંપ્યો. ગમતી ચીજને ઝબ્બે કર્યા વિના માણસને ચેન પડતું જ નથી. એમાંને એમાં પ્રકૃતિ સમસ્તની ખો નીકળી ગઈ છે. એમાંય આ તો અલગારી કામણગારી જેલીફિશ. એના તો જાદુ જ નોખા. રંગ જ અલગ. સંકોચન-વિસ્તરણની અદા જ નિરાળી. એને પકડવાનું મન ન થાય તો મનુષ્યએ પોતાના મનુષ્ય હોવા અંગે જ શંકા કરવી રહી.

                 સ્વરક્ષણ પ્રાણીમાત્રનો સ્વ-ભાવ છે. મનુષ્યના હાથને પોતાના તરફ લંબાતો જોઈને એ લજામણી મુરઝાઈ જાય એમ એ કાંપી ઊઠે છે. ‘જેજૂરી’માં ખોલબંધ થઈ અચાનક ગાયબ થઈ જતું અરુણ કોલાટકારનું ‘પતંગિયું’ યાદ આવ્યા વિના નહીં રહે. હાથ લંબાવનારને કદાચ સમજાઈ જાય છે કે સૃષ્ટિમાં સુંદર દેખાતી તમામ ચીજ હાથમાં લેવી યોગ્ય નથી. અથવા ડરની મારી કાંપતી જેલીફિશને જોઈને એ પરાજય સ્વીકારી પોતાનો ઈરાદો પડતો મૂકે છે. નવા સંસ્કરણમાં કવિતા અહીં ખતમ થઈ જાય છે. જૂની આવૃત્તિમાં મનુષ્ય સ્વભાવગત ઈરાદો પડતો મૂકી દેવાનો દેખાવ કરી જેલીફિશને જૂઠા વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરે છે અને વળી એને પકડવા જાય છે. પણ જેલીફિશ ભૂરા રંગનું પ્રવાહી પોતાના રક્ષણ માટે છોડે છે, જેથી પાણી ડહોળાઈ જાય છે અને આ ડહોળાશનો લાભ લઈને, પોતાની જાતને હોંશિયાર ગણતા મનુષ્યને સણસણતો તમાચો ચોડીને દૂર સરી જાય છે. મનુષ્ય-સ્વભાવ અને એક પ્રસંગની દૃષ્ટિએ આ નિરૂપણ વધુ યથાર્થ જણાય છે પણ જેલીફિશની કાયા અને જીવનીની સાથે છંદોલય અને પ્રાસયુક્ત કાવ્યસ્વરૂપની કરામતના કારણે વધુ સુસંગત નૂતન આવૃત્તિ કવિતાની દૃષ્ટિએ પણ સર્વાંગ સંપૂર્ણ જણાય છે.

                 શું આ કવિતા ખરેખર જેલીફિશ અંગેની જ છે? ના. હકીકતમાં તો જેલીફિશનું પ્રતીક લઈને કવયિત્રી કવિતા અને એ નિસ્બતે તમામ કળાઓની વાત કરે છે. કળામાત્ર કામણગારી હોય છે. કવિતા હોય કે ચિત્ર હોય, સંગીત હોય કે નૃત્ય- કળા મનુષ્યમાત્રને આકર્ષે છે. સમાજ કે સંસ્કૃતિનો વિકાસ સુદ્ધાં થયો નહોતો ત્યારે પણ મનુષ્ય ગુફાઓમાં ચિત્રો દોરતો. કળા ન માત્ર માનવી પર ભૂરકી નાંખે છે, એને હસ્તગત કરી લેવા માટે માનવીને લલચાવે પણ છે. દરેક માનવીને કોઈ ને કોઈ કળામાં પ્રવીણ થવાનું મન થતું હોય છે. જે ઘડીએ કળાકારને એવું લાગ્યું કે કળા હવે એને હસ્તગત થઈ ગઈ છે એ ઘડી એ કળાકારના મૃત્યુની ઘડી છે. એ ઘડીથી આગળ પછી કળાકારનો વિકાસ શક્ય જ નથી. કલા હજી હાથ આવી નથી, હજી હાથ આવી નથી કરીને કળાકાર જ્યાં સુધી એના ભણી હાથ લંબાવતો રહેશે ત્યાં સુધી એનો વિકાસ ચાલુ રહેશે. હકીકત એ છે કે જેલીફિશની જેમ જ કળાઓ, અને ખાસ તો કવિતા જેમ-જેમ એને પામવાની કોશિશ કરીએ એમ-એમ હાથમાંથી છટકી જતી જ અનુભવાય છે. તમે જેમ જેમ આયાસપૂર્વક એને સમજવાની કોશિશ કરશો, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવાની કે નિષ્કર્ષ પામવાની ચેષ્ટા કરશો, તેમ તેમ કવિતા અને કળાનું હાર્દ તમારી પહોંચની બહાર સરતું જશે. આ થયું ડુંગળીનું ત્રીજું પડ… જેમ જેમ પડ ઉખેડતા જશો, નવું પડ હાથ આવતું જશે. અને છેલ્લું પડ કાઢી નાંખ્યા બાદ જે અવકાશ બચે છે એ છે ડુંગળી છોલવાના પુરુષાર્થની અનુભૂતિ. એ શૂન્યાવકાશ તો અભરે ભરેલો છે. એ જ છે ખરી કવિતા. કેમ કે કોઈ પણ કળા હકીકતે તો માત્ર અનુભૂતિની વસ્તુ છે… અર્થ નહીં, અનુભૂતિ જ સાચી કવિતા છે. કવિતામાંથી પસાર થતી વખતે આપણે જે સમજીએ છીએ એ તો ખરું જ પણ એથીય વધારે જે આપણે અનુભવીએ છીએ એ સંવેદના જ કવિતાનો સાચો અર્થ છે.

                 ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,

                 કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.                    હવે જેલીફિશને ભૂલી જાવ, કવિતા/કળાને પણ ભૂલી જાવ અને જેલીફિશની જગ્યાએ ‘અરે! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો, ન માંગ્યે દોડતું આવે…’ (બાળશંકર કંથારિયા) જેવા નસીબને મૂકી જુઓ… આપણી જિંદગીનો સંદર્ભ મૂકી જુઓ, માનવ-સંબંધો વિશે વિચારી જુઓ… આ તમામ કામણગારી મેનકાઓના લટકાં આપણી પહોંચ બહાર છે… છેલ્લે જેલીફિશની જગ્યાએ સ્ત્રીનો સંદર્ભ મૂકી જુઓ… એ પણ આવી જ અકળ ને!!! ઉત્તમ કવિ કવિતા કરવામાં કવિતાના આકારનો કેવો ઉત્તમ ઉપયોગ કરે છે એ મેરિઆનની આ કવિતા પરથી સમજી શકાય છે. કાવ્યાકારની મદદથી કવયિત્રી કેવી સિફતથી નાની અમથી કવિતામાં જેલીફિશ અને એની મદદથી મનુષ્યમાત્રના સ્વભાવને સાંગોપાંગ મૂર્ત કરી શક્યાં છે!

3 replies on “ગ્લૉબલ કવિતા: ૧૦૭ : જેલીફિશ – મેરિઆન મૂર”

  1. “..છેલ્લે જેલીફિશની જગ્યાએ સ્ત્રીનો સંદર્ભ મૂકી જુઓ… ”
    કદાચ આ જ પહેલા મુકવા જેવો સંદર્ભ છે
    અહીં ‘જેલીફિશ’ એ સ્ત્રીનું પ્રતીક છે, જે
    પુરુષ પ્રધાન સમાજને શરણે થવા પણ નથી માંગતી કે
    પોતાની ઇચ્છાઓને મારી નાખવા પણ નથી માંગતી!

    એ તમામ પ્રકારના ભય અને અનિશ્ચિતતા ને ભૂલી
    પોતાની કલ્પનાની દુનિયામાં વિચરણ પણ કરે છે,
    એ પુ.ને લલચાવી પોતાના કામ પણ કઢાવી લે છે,
    તેનાથી એક સલામત અંતર પણ બનાવી રાખે છે
    અને તે છતાં,
    જો તે ફસાતી હોય એવું લાગે, તો
    પોતાના ફોનમાં હેલ્પ લાઈન નંબર અને
    પર્સમાં પેપર સ્પ્રે પણ રાખે છે!
    આમ, દરિયામાં જેલીફિશ તે સમાજમાં સ્ત્રી!!

    • જી. બિલકુલ… સ્ત્રીનો સંદર્ભ પણ ચપોચપ જ બેસે છે… અને મેં લખ્યું છે મુજબ દરેક પ્રકારના માનવસંબંધોમાં પણ આ વાત તંતોતંત લાગુ પડે છે… માલિકીભાવનો ત્યાગ કરીએ ઘડીએ જ સંબંધ મહોરે છે…

  2. “..છેલ્લે જેલીફિશની જગ્યાએ સ્ત્રીનો સંદર્ભ મૂકી જુઓ… ”
    કદાચ આ જ પહેલા મુકવા જેવો સંદર્ભ છે
    અહીં ‘જેલીફિશ’ એ સ્ત્રીનું પ્રતીક છે, જે
    પુરુષ પ્રધાન સમાજને શરણે થવા પણ નથી માંગતી કે
    પોતાની ઇચ્છાઓને મારી નાખવા પણ નથી માંગતી!

    એ તમામ પ્રકારના ભય અને અનિશ્ચિતતા ને ભૂલી
    પોતાની કલ્પનાની દુનિયામાં વિચરણ પણ કરે છે,
    એ પુ.ને લલચાવી પોતાના કામ પણ કઢાવી લે છે,
    તેનાથી એક સલામત અંતર પણ બનાવી રાખે છે
    અને તે છતાં,
    જો તે ફસાતી હોય એવું લાગે, તો
    પોતાના ફોનમાં હેલ્પ લાઈન નંબર અને
    પર્સમાં પેપર સ્પ્રે પણ રાખે છે!
    આમ, દરિયામાં જેલીફિશ તે સમયમાં સ્ત્રી!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *